Opinion Magazine
Number of visits: 9966510
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મુશ્કેલ સમયમાં (28)

સુમન શાહ|Opinion - Opinion|30 June 2020

= = = = સાહિત્ય અઘરું લાગે, ન સમજાય, પણ આનન્દ આપે એવું હોય છે. અને સાહિત્ય સહેલું લાગે, સમજાય, પણ આનન્દ ન આપે એવું પણ હોય છે. અને સાહિત્ય સમજાય અને આનન્દ પણ આપે એવું પણ હોય છે. તેમ છતાં, અઘરું જ લાગે તો એક સહેલો ઉપાય છે – એવા સાહિત્યકારને હમ્મેશને માટે તિલાંજલિ આપી દેવી, એના ભણી કદી ફરકવું નહીં. = = = =

= = = = સાહિત્યકલાના મહેલમાં પ્રવેશાય અથવા તો દૂરથી એને રામ રામ કરી દેવાય … = = = =

આ લેખમાળાનું શીર્ષક છે, આ મુશ્કેલ સમયમાં; પણ તમને કહું, કેટલાક લોકોને આ સમય મુશ્કેલ નથી લાગતો. કોરોના વૉરિયર્સ તો ખુલ્લેઆમ દિવસ-રાત જે દિશામાં એમના જીવડાને હખ પડે ત્યાં નીકળી પડતા હોય છે. મેં હમણાં જ જાણ્યું કે કેટલાયે અમરિકનોને બીચ પર ગયા વિના ચાલતું જ નથી. મૉલમાં ન જવાય એ દિવસે એમને પેટમાં દુખે છે. Six Flags પર જઈને રોલર કોઅસ્ટર અને થ્રિલ્લ રાઇડ્સની મજા લૂંટવી જ હોય છે – કોરોનાની ઍસીતૅસી !

મેં હમણાં મારા મિત્રની પત્નીને કહ્યું : આમ સવાર-સાંજ ખાવાનું બનાવવાનું મને ગમે છે ખરું પણ બહુ અઘરું પડે છે. તો કહે, અઘરું છે પણ ગમે છે ને, તો સમજી જાવ, ધીમે ધીમે રાગે પડી જવાશે – અમને સ્ત્રીઓને તો અઘરું જે કંઈ છે એ બધું જ કોઠે પડી ગયું હોય છે. મને કહે, આ કોરોનાને સમજવાની ને રસી શોધવાની બધી ભાંજગડ નક્કામી મગજમારી છે. સમજો તો કોરોનામાં ય એક જાતની મજા છે, અલબત્ત, એક જાતની. ઘરમાં ચૉવીસે કલાક બધાં સાથે ને સાથે. તમારા ભાઈબંધ તો મારી હારે ને હારે જ હોય છે પણ દીકરાઓ, દીકરા-વહુઓ ને પોતરાં, એ ય તમારે જલસો, બહુ લ્હૅર પડે છે. અઘરું કશું હોતું જ નથી સુમનભાઈ, તમારા લેખો ય કેટલા સરળ હોય છે, બને તો, મથાળું બદલીને ‘આ સરળ સમયમાં’ કરી દો … હું હસી પડ્યો …

તે વખતે મારી નજર બારી બ્હાર હતી. રસ્તાઓ સૂમસામ હતા, વાહનોનું ચીંચીંપીપી તો, આમ લખું ત્યારે જ યાદ આવે છે. મને એ શાન્ત માહોલ ગમવા લાગેલો … થયેલું કે આવું ને આવું રહે તો કેવું સારું … દુષ્ટ વિચાર, આમ તો …

પણ સુથારનું મન બાવળિયે હોય એમ હું ‘સાહિત્યમાં અઘરું ને સ્હૅલું’ પર જઈ બેઠો. મારા લેખો મિત્ર-પત્નીને તેમ બીજાં ઘણાંને સરળ લાગે છે, પણ કેટલાકોને નથી લાગતા, અમુકોને તો ક્યારે ય નથી લાગતા. આ વાતમાં આ ક્ષણે મને એક હૂજકો પડે છે – સમજ – અન્ડરસ્ટૅન્ડિન્ગ. એમ કે, સાહિત્યકારો ત્રણ પ્રકારના હોય છે.

એક એવા કે એમનું સાહિત્ય અઘરું લાગે, ન સમજાય, પણ આનન્દ તો આપે જ. એમનામાં આપણો કશો ગજ વાગે નહીં પણ એમની સૃષ્ટિમાં આપણને મજા તો પડે જ. અને બીજા એવા કે એમનું સાહિત્ય સહેલું લાગે, સમજાય, પણ આનન્દ ન આપે. પણ ત્રીજા એવા કે સમજાય અને આનન્દ પણ આપે.

જેમ કે, બાણની ‘કાદમ્બરી’ -માં કશું ઝટ પલ્લે ન પડે, શબ્દગુચ્છોની વેલ વિસ્તર્યા કરતી હોય, તે, મૂળ વાત તો છેક પાંચમા પાને પૂરી થાય ! પણ એ શબ્દલીલા આપણને અભિભૂત કરી દે. શ્રીહર્ષના ‘નૈષધીયચરિતમ્’-ના કેટલાક શ્લોકને સમજવાનું કઠિનતમ, કેમ કે એવા કોઈ શ્લોકના તો પાંચ પાંચ અર્થ થતા હોય ! શિક્ષક પણ કવિના જેટલો જ પાણ્ડિત્યપ્રેમી હોય, તે એવા એક જ શ્લોકની ચર્ચામાં પીરિયડ પૂરો કરે ને નર્યા ઉત્સાહથી બધું બતાડે ત્યારે આનન્દ, કદાચ થાય. પણ સંસ્કૃત ભાષાનો એ વૈભવ જોઈને આપણી છાતી ફૂલે અને આપણે વગર સમજ્યે બસ ખુશ થયા કરીએ. ગીતાંજલિ’-ની કોઈ કોઈ રચનાઓ સમજાય બહુ મૉડેથી, પણ હમેશાં સંતોષ અને આનન્દ આપે, વાતમાં આપણો જીવ ઠરે. ‘સરસ્વતીચંદ્ર’-ના ત્રીજા-ચૉથા ભાગનું વસ્તુ ઘણું મૂલ્યવાન ભાસે પણ આનન્દ ન આવે તે ન જ આવે. ચિન્તક ગોવર્ધનરામ માટે માન થાય પણ સર્જક ગોવર્ધનરામની શોધ કરવા નીકળીએ તો આપણે ઘાંઘા થઈ જઈએ. એ ત્રીજા-ચૉથા ભાગના કોઈ વિશિષ્ટ વિદ્વાન બધું સમજાવે, તો થાય.

પણ બીજા સાહિત્યકારો કે જેમનું સાહિત્ય સહેલું લાગે છે, સમજાય છે, તેમનાં નામ કે કામનો શો મહિમા કરવો? એઓ તો પહેલા જ વાચને પમાઇ ગયા હોય છે ! એઓની સૃષ્ટિથી આનન્દ નથી મળતો, ફુરસદનો સમય આરામથી પસાર કરી શકાય છે. નૉંધપાત્ર વાત એ છે કે દુનિયાભરનાં સાહિત્યક્ષેત્રોમાં આ બીજા પ્રકારના લેખકો સંખ્યાબંધ હોય છે. ઘણી વાર તો એમ લાગે કે એમની હાજરીને કારણે જ સાહિત્ય વાજતું-ગાજતું રહે છે.

પણ, કાલિદાસ. એમનું ‘મેઘદૂત’ સમજાય પણ ખરું, આનન્દ પણ આપે. કબીર અઘરા તો ન જ લાગે, હમેશાં સમજાય અને સાતા આપે. સૉનેટકાર શેક્સપીયર ક્યારેક જ અઘરા પડે, પણ ચારમાંની બે ટ્રેજેડી – ‘હૅમ્લેટ’ અને ‘ઑથેલો’ જેટલી સમજાય, એટલો આનન્દ પણ આપે. કામૂ કાફ્કા હૅમિન્ગ્વે હમેશાં સમજાય, હમેશાં આનન્દ આપે. વર્તમાન ગઝલસર્જકોની તુલનામાં ગાલિબ મુશ્કેલ લાગે, પણ ગમે ઘણા. હું પ્રૉફેસર ઇમેરિટ્સના મારા એ સમયગાળામાં ઉમાશંકરની પદ્યરચના પર સંશોધનકાર્ય કરતો’તો. ત્યારે ઘણા મને પૂછે કે તમને સુન્દરમ્-ની પદ્યરચનાઓ સરળ નથી લાગતી? હું કહેતો કે હાલ તો હું ઉમાશંકરમાં છું, પછી વાત કરશું. સુરેશ જોષીની સૃષ્ટિમાં ઘણાઓને સમજ નથી પડતી પણ એમને મજા જરૂર પડે છે – ‘છિન્નપત્ર’ને ચૂસ્યા જ કરે, પાનાં પછી પાનાં ભલે ફરતાં જાય. આવાં બીજાં અનેક દૃષ્ટાન્તો ઉમેરી શકાય.

આ વાત સંગીતકલાને પણ લાગુ પડે છે. શાસ્ત્રીય સંગીતમાં, સાચું કહીએ તો, ઘણાઓને કશું સમજાતું નથી પણ એમનાં માથાં તો ડોલતાં હોય છે. આ વાત ચિત્રકલાને પણ લાગુ પડે છે. મૉડર્ન, ઍબ્સ્ટ્રેક્ટ, પેઇન્ટિન્ગમાં માણસને કશી ગતાગમ ન પડે, પણ તાક્યા કરે. શ્રીમન્તો એવાં ચિત્રો ખાસ ખરીદે છે ને ઘરની દીવાલ પર લટકાવીને કલાપોષક હોવાનો ગર્વ અંકે કરે છે.

આ વાત તત્ત્વચિન્તનને પણ લાગુ પડે છે. ઇમાન્યુએલ કાન્ટને સમજવા અને માણવા માટે બહુવિધ વ્યાયામની જરૂર પડવાની. નિત્શે બીજે તો ઠીક પણ ‘ધસ સ્પોક જરથુષ્ટ્ર’-માં સમજાય અને આનન્દ પણ આપે. સાર્ત્ર એમની નવલ ‘નૉશિયા’ વગેરે સર્જનાત્મક કૃતિઓમાં સમજાય અને આનન્દ પણ આપે, બાકી, તત્ત્વચિન્તક સાર્ત્રને પામવા તમારે કોઈને ગુરુ કરવા પડે કે પછી જાતે ગુરુ થઈને મથવું પડે. શોપનહાવરને, હાઇડેગર કે હ્યુસેર્લને, દેરિદાને, ફૂકોને કે બાદિયુને સમજવા માટે પણ ઘણી બધી વિદ્વદ્ત્તાસભર વ્યક્તિઓના માર્ગદર્શનની જરૂર પડે.

પણ આ બાબતે લેખાંજોખાં ન મંડાય, સરખામણીઓ ન કરાય. જેમ કે, નર્મદ અને દલપતની કે પ્રેમચંદ અને ‘અજ્ઞેય’-ની આ પરત્વે સરખામણીઓ ન જ થાય. પત્રકાર ચન્દ્રકાન્ત બક્ષીને કયા પત્રકાર સાથે સરખાવવા? હમેશાં સમજાય ને આનન્દ આપે. ઘણી વાર તો ગુસ્સો દાખવીને કે ચીડવીને પણ તમને રાજી કરી દે. આ પરત્વે, કિશોર જાદવ અને શિવકુમાર જોષીની તુલના ન કરાય, જેમ રામનારાયણ પાઠક અને જયન્તી દલાલની ન કરાય. સમજાય એવું છે કે ગની દહીંવાળા અને રમેશ પારેખની પણ આ વિષયે, તુલના ન જ કરાય.

તમને કહું, જાણ્યે-અજાણ્યે સાહિત્યકારો અઘરાની સાધનામાં જ વ્યસ્ત હોય છે. જુઓ, વિદ્વદ્પ્રિય લેખકો લોકપ્રિયોને એ કારણે જ ગણકારતા નથી. પોતાનાં લેખનો ન સમજાય તેને ગુણ ગણે છે ને લોકપ્રિયોનાં સમજાય તેમાં અવગુણ જુએ છે. તમને એ પણ કહું કે એક લોકપ્રિયની બીજા લોકપ્રિય જોડે સરખામણી ન કરાય. કેમ કે, દરેક લોકપ્રિય પોતાને અંદરખાને કંઈક તો વિદ્વત્તાતરફી ગણતો જ હોય છે. બાજુવાળા લોકપ્રિયને એ ગણકારતો નથી – એમ કે એની લોકપ્રિયતા ગ્રામ્ય છે, છીછરી છે.

વગેરે વગરે દાખલાઓ ઉમેરીને સાહિત્યમાં આ અઘરું ને સ્હૅલું-ની વારતાને બહેલાવી શકાય.

મૂળ વાત હતી કોરોનાની. એનો સાર એ છે કે કોરોના અઘરો છે, ન સમજાય એવો છે, એમાં આનન્દ કે મજાને તો જગ્યા જ નથી, બલકે રોજે રોજનાં મૉતથી એણે માનવસંસારને કલુષિત કરી મેલ્યો છે. એ જાય એ માટે એને કે એના મોકલનારને માત્ર પ્રાર્થના જ કરી શકાય છે.

બીજી વાત આ હતી, સાહિત્યની. એનો સાર એ છે કે સાહિત્ય અઘરું લાગે, ન સમજાય, પણ આનન્દ આપે એવું હોય છે. અને સાહિત્ય સહેલું લાગે, સમજાય, પણ આનન્દ ન આપે એવું પણ હોય છે. અને સાહિત્ય સમજાય અને આનન્દ પણ આપે એવું પણ હોય છે.

તેમ છતાં, અઘરું જ લાગે તો એક સહેલો ઉપાય છે – એવા સાહિત્યકારને હમ્મેશને માટે તિલાંજલિ આપી દેવી, એના ભણી કદી ફરકવું નહીં.

સાહિત્યકલાના મહેલમાં પ્રવેશાય અથવા તો દૂરથી એને રામ રામ કરી દેવાય …

= = =

(June 30, 2020: Ahmedabad)

Loading

ઓનલાઈન શિક્ષણની ધાડ કેમ પડી છે તે નથી સમજાતું

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|30 June 2020

સરકાર હોય અને તઘલખી નિર્ણયો ન લે તો તેની આબરૂ જાય એટલે તે થોડા નિર્ણયો તેવા લે જ. એવો એક નિર્ણય તે ઓનલાઈન શિક્ષણનો છે. કોરોનાને કારણે શિક્ષણ જોખમમાં મૂકાયું છે ને ઘણાની કારકિર્દી દાવ પર લાગી છે તે સાચું, પણ તેના જે વિકલ્પો વિચારાય છે તે જોખમો વધારનારા તો નથીને તે શિક્ષણ વિભાગે વિચારવું જોઈએ.

એક વાત બહુ સ્પષ્ટ છે કે સરકાર કોઈ નિર્ણય શિક્ષણ સંદર્ભે લે તો તેની પાસેથી એવી અપેક્ષા સહેજે રહે કે તે બધી સ્કૂલો, કોલેજો કે જેને લાગુ પાડવા ધારે છે તેને તે લાગુ પડે છે કે કેમ તે જોઈ લે. દાખલા તરીકે ઓનલાઈન શિક્ષણનો નિર્ણય સ્કૂલો પૂરતો લેવાનો હોય તો  તેણે એ ચિંતા કરવાની રહે કે બધી સ્કૂલોને તે અસરકારક રીતે લાગુ પડે. સ્કૂલોમાં નેટ કે કોમ્પ્યુટર કે મોબાઇલની વ્યવસ્થા છે કે કેમ, એ જ રીતે એ શિક્ષણ આપનાર શિક્ષકો છે અને એમ જ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓ સાધન સજ્જ છે કે કેમ એ પણ સરકારે તંત્રો દ્વારા જોવાનું રહે. એવું ન જુએ તો એકને શિક્ષણ મળે ને એકને ન મળે એવું થાય. એવું થાય તો એક લઘુતાથી ને માનસિક સમસ્યાઓથી પીડાય ને બીજો લાભ ખાટે એમ બને. આ ભેદ શિક્ષણ દ્વારા ઊભો થાય અને એ શિક્ષણનો હેતુ ન જ હોય તે કહેવાની જરૂર નથી.

મોટે ભાગની શાળાઓ આમાં મનસ્વી રીતે વર્તી રહી છે ને તેની ચોખ્ખી દાનત પૈસા બનાવવાની વધારે છે. ઘણા સંચાલકો વાલીઓને લૂંટવાની ને શિક્ષકોનું શોષણ કરવાની ફિરાકમાં રહે છે તે કોઈથી અજાણ્યું નથી.

વિદ્યાર્થીઓ માટે આ બધું થાય છે ને એમાં એનો વિચાર ઓછામાં ઓછો થાય છે.

ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકોને પૂરો પગાર મળે એ જોવાની જવાબદારી સંસ્થાની અને સરકારની છે. ખાનગી સ્કૂલો ભાગ્યે જ શિક્ષકોનું શોષણ કરવાથી બચતી હશે. મોટે ભાગના શિક્ષકો અત્યારની પરિસ્થિતિમાં પગાર ન મળવાને કારણે આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. સરકારે એવી સ્કૂલોનું લાઇસન્સ રદ કરવાની ધમકી સાથે એ જોવું જ જોઈએ કે શિક્ષકોને પૂરો પગાર મળે. કેટલીક સ્કૂલોએ છૂટા કરી દેવાની ધમકી સાથે શિક્ષકોને મફત કામ કરવાની કે ભીખ જેવા પગારમાં કામ કરવાની ફરજ પાડી છે તે શરમજનક છે. ખાનગી સ્કૂલો વધારે ફી લે છે ને અનેક બહાને તે વાલીઓને ખંખેરતી રહે છે. કેટલાક બીજાને ખંખેરી લેવાશે એ ખાતરી હોવાથી ખંખેરાતા પણ રહે છે તો બીજા કેટલાક 'કજિયાનું મોં કાળું' કરતા રહે છે. સરકારે આ મામલે સરપ્રાઈઝ ચેકિંગ કરીને શિક્ષકોની ગુણવત્તા અને આર્થિક સ્થિતિની સમીક્ષા કરવી જોઈએ.

રહી વાત વિદ્યાર્થીઓની, તો એની સ્થિતિ સૌથી દયાજનક છે. જે મોબાઈલ અનેક સમસ્યાઓનું કારણ છે તે શિક્ષણ માટે ઉપયોગી ને લાભદાયી કઈ રીતે થઈ ગયો તે નાનાં બાળકો ને વાલીઓ સમજી શકતાં નથી. મોબાઇલની ગેઈમ હાનિકારક છે તો ઓનલાઈન શિક્ષણમાં તો ઘણાની 'ગેઈમ' થઈ જાય  છે તો તે ઉપયોગી કઈ રીતે? આનો જવાબ જડતો નથી.

સામે શિક્ષક હોય છતાં વિદ્યાર્થી સરખું શિક્ષણ પામતો નથી તો સરકારને એ ખાતરી કઈ રીતે છે કે વિદ્યાર્થી શિક્ષકના સીધા સંપર્કમાં નથી તો પણ, ખરેખર શિક્ષણ પામશે જ?

માબાપને શું છે કે આમ રખડે છે કે ટી.વી.ની મેથી મારે છે તો છો થોડું ભણી ખાતો. એમને એમાં રસ નથી કે સંતાનો ખરેખર ભણે. એમને તો એટલું જ છે કે ઓનલાઈન શિક્ષણને નામે સંતાનોની કટ કટ ઘટે તો ય ઘણું. એમને એ ભાન નથી પડતું કે ત્રણ ચાર વર્ષનું છોકરું ઓનલાઈનમાં કૈં શીખ્યું છે કે નહીં તે જાણ્યા વગર, શિક્ષકે આપેલું હોમવર્ક કેવી રીતે કરાવવું? નાનાં સંતાનોને ઓનલાઈન હોમવર્ક આપવા જેવું મોટું પાપ નથી. ઓનલાઈનને નામે બેવકૂફ પંડિતો પેદા કરવાની સ્કૂલોને ચળ ઊપડી છે ને આ આખો વેપલો સરકારની દેખરેખમાં આર્થિક લાભ ખાટવા જ ચાલતો હોય એવું લાગે છે. શિક્ષણને જોખમે બધાંને કમાઈ લેવાની ધાડ પડી છે. આ શિક્ષણ નથી પણ સર્વગ્રાહી ભક્ષણ છે. એના કરતાં તો બધી શરતો સાથે સ્કૂલો રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં ઓછું જોખમ છે. આમે ય લોકોને ખર્ચે ને જોખમે બધું ચાલે જ છે તો સ્કૂલો ચાલુ ન કરવાનું નાટક શું કામ? આપણને શિક્ષણની બહુ ચિંતા હોય તેમ સ્કૂલોને બંધ રાખી છે, પણ ઓનલાઈન શિક્ષણને નામે આપણને  શિક્ષણ સિવાયની જ ચિંતા છે એ સાબિત થઈ રહ્યું છે તે સમજી લઈએ તો સારું, જેથી આરોગ્ય અને શિક્ષણને નામે છેતરાયાનો આઘાત ઓછો લાગે.

0

e.mail : ravindra21111946@gmail.com

Loading

ગલવાન ઘટના, જરી સબૂરીથી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|29 June 2020

પૂર્વી લદ્દાખ સરહદે દૈનંદિન બલકે કલાક બ કલાક ઝડપી ઘટનાક્રમ વચ્ચે વડાપ્રધાનનું આ અવતરણ મોડું, ખાસુ મોડું ગણાય તેમ છતાં એનું એક તરેહનું શ્રીગણેશ મૂલ્ય હોઈ એ સંભારી લેવું ઠીક રહેશે : “ના વહાં કોઈ હમારી સીમામેં ઘૂસ આયા હૈ, ના હી હમારી કોઈ પોસ્ટ કિસીકે કબ્ઝે મેં હૈ …” ખાસ તરેહની વાગ્પટુતા (મેઘાણી જેને ‘મુખચાલાકી’ કહેતા), એ વડાપ્રધાનનો વિશેષ રહ્યો છે. પછીથી જે બધો સત્તાવાર ખુલાસો ખાસાં બે પાનાં ભરીને આવ્યો એથી આપણે ઊંઘતા ઝલાયાનું ને જે ઊકલ્યું ગણાવાતું હતું તે ધરાર ઉકળતું હોવાનું સમજાઈ રહે છે. અલબત્ત, આ આરંભિક ટીકાવચનો છતાં સામાન્યપણે આપણે સત્તાવાર સફાઈકાર ઉર્ફે પ્રવક્તા સાથે સમ્મત થઈશું કે કોઈની સામે આંગળી ચીંધવામાં અટવાઈ રહેવાનો અવસર આ નથી.

૨૭મી જૂનની સવારે આ અગ્રનોંધ લખાઈ રહી છે ત્યારે વાસ્તવચિત્ર શું છે એનો અચ્છો ચિતાર સવારનાં અખબારો ચીનસ્થિત ભારતીય રાજદૂત વિક્રમ મિસરીની ખાસ મુલાકાતના હેવાલ સાથે આવ્યાં એ જોતાં મળી રહે છે. આગલી રાતે (૨૬મી જૂને) નવ વાગ્યાની આસપાસ છાપાંને ‘ન્યૂઝ ઍલર્ટ’ મળ્યો હતો. (વાચકોની જાણ માટે ઉમેરું કે કોઈ મહત્ત્વના સમાચાર (બ્રેકિંગ ન્યૂઝ) તરતમાં ઊતરવાના હોય એની આગમચ ઍલર્ટ અપાય છે.) હવે વાંચો શું હતું એમાં : “India hopes China will realise its responsibility in de-escalation and disengaging by moving back to its side of LAC : India envoy to China.” પણ જ્યારે સમાચારનો પૂરો પાઠ ઊતર્યો ત્યારે એમાંથી ‘મુવિંગ બૅંક …’ એ શબ્દો અદૃશ્ય થઈ ગયા હતા. કૉલકાતાથી પ્રકાશિત થતું દૈનિક ‘ટેલિગ્રાફ’ ખબર આપે છે તેમ આ સમાચાર સબબ જે બીજા ન્યૂઝ ઍલર્ટ અપાયા હતા તે પણ અધિકૃત સમાચારપાઠમાં ‘ઍડિટ’ (એટલે કે સેન્સર) થઈ ગયેલા માલૂમ પડ્યા હતા. પહેલા ઍલર્ટનો પાઠ : “Only way to resolve military standoff along LAC is for China to stop erecting new structures on the Indian side of the LAC : Indian envoy to China.” પણ જ્યારે આખો હેવાલ ઊતર્યો ત્યારે એમાંથી ‘ન્યૂ સ્ટ્રક્ચર્સ …’ એ શબ્દો અદૃશ્ય થઈ ગયા હતા.

સર્વપક્ષીય બેઠક વખતના વડાપ્રધાનના ધન્યોદ્‌ગારોથી માંડીને લગભગ એક અઠવાડિયાના અંતરે ચીનસ્થિત રાજદૂત વિક્રમ મિસરીની મુલાકાતના આખરી પાઠ અને આગોતરા એલર્ટ વચ્ચેનું આ અંતર શું સૂચવે છે? વાસ્તવિક વિગતો બાબતે અંધારપછેડીનું કશુંક રાજકારણ ચાલી રહ્યું હોવું જોઈએ. પ્રભામંડળની સાચવણી સહિતની પી.આર. પ્રબંધન ગણતરીઓ એની પૂંઠે કામ કરતી હોવી જોઈએ. વસ્તુતઃ નૅશનલ મીડિયામાં ‘ગ્રાઉન્ડ ઝીરો’થી જે હેવાલો આ દિવસોમાં આવ્યા તે લેહબેઠા એટલે કે બસો-અઢીસો કિલોમીટર છેટેથી લખાયેલા છે.

કોઈની સામે આંગળી ચીંધવાનો અવસર આ બેલાશક નથી. તે સાથે, હકીકતો છુપાવવાનો અને પ્રજાને વિશ્વાસમાં નહીં લેવાનો અવસર પણ આ નથી. વ્યૂહાત્મક પેચપવિત્રા અલબત્ત અધિકૃત લશ્કરી વડા અને રાજનેતાની જાણકારીનો વિષય છે, પણ સ્થળચિત્ર અને વાસ્તવ બાબતે વિપક્ષને જ કેમ લોકસમસ્તને વિશ્વાસમાં લેવાપણું છે. મુદ્દે, મોદી ભા.જ.પ.ની શૈલીની મુશ્કેલી એ રહી છે કે એણે રાષ્ટ્રીય સુરક્ષા અને એ માટેના નિર્ણાયક નેતૃત્વને પોતાના પ્રધાન પ્રચારમુદ્દો બનાવેલો છે. પરિણામે, ગલવાન ઘટના જેવો પડકાર સામે આવે કે તરત પ્રજામત નહીં તો વિપક્ષ એમને એમના અગાઉ બોલાયેલા શબ્દો પાછા આપવામાં મચી પડે છે. એમાં અપેક્ષા હોય કે પછી ટોણાં મારવાનો ખયાલ પણ, અગર તો બંને.

આરંભે જે ઉલ્લેખ કર્યો, વિશેષ વાગ્પટુતાનો, એને અંગે આવે વખતે એક વાત બિલકુલ સાફ થઈ જાય છે. અને તે એ કે વીરત્વભર્યાં વચનો એ પ્રત્યક્ષ કર્મનો અવેજ નથી. ચૂંટણી જીતવા સુધી તો માનો કે તમે એ ગોપુચ્છથી વૈતરણી પાર કરી જાઓ, પણ પછી વાસ્તવિક નીતિઅમલનો કોઠો ભેદવો રહે.

આ જ વાગ્પટુતાએ વડાપ્રધાનને સારુ દેશબહારના ભારતવાસીઓમાં એક વિશેષ કૉન્સ્ટિટ્યૂઅન્સી નિર્માણ કરી છે. પહેલી પારીમાં એમણે એક એક કરીને કેટલા બધા દેશોમાં ભારતમિલનના કાર્યક્રમો કર્યા હતા! એક પા આ પ્રકારનાં આયોજનો અને બીજી પા વિદેશી નેતાઓ સાથે ગર્મજોશીથી મળવાનો સિલસિલો …  પી.આર. પ્રબંધન તો કોઈ એમની કને શીખે ! પણ જિન પિંગ સાથેની અઢાર અઢાર મુલાકાતો, રિવરફ્રન્ટ પરની હીંચકાસહેલ અને શ્રીખંડ ને ઢોકળાથી ગલવાનની ઘૂસણખોરી ને અંકુશ રેખાની આપણી હદમાં ગેરકાયદે બાંધણી, કશું રોક્યું રોકાયું નહીં.

વિક્રમ મિસરીની મુલાકાતના પૂરા પાઠમાંથી પસાર થતાં સમજાઈ રહેતી એક વાત એ છે કે અત્યાર સુધીનું વલણ સીમાસંઘર્ષને ભારત-ચીન વચ્ચેના બાકી મુદ્દાઓથી અલગ રાખીને જોવાનું હતું તે હવે કદાચ રહેતું નથી. બંને વચ્ચેના સંબંધોની, પછી વેપારવણજના હોય કે બીજા, સમગ્ર સમીક્ષાને હવે અવકાશ હોવાનો છે. આ સંજોગોમાં, કેવળ ‘આપણે બે’ એવી દ્વિપક્ષી ભૂમિકાને બદલે જાપાન, વિયેટનામ, તાઈવાન, ફિલિપિન્સ જેવા જે પાસપડોશના દેશોને ચીનની સરહદી સતામણી ઓછેવત્તે અંશે છે તેમને સાથે રાખીને ચાલવાનુંયે વલણ વિકસાવવું જોઈશે. એપ્રિલપૂર્વ ‘યથાસ્થિતિ’ની પુનઃસ્થાપના વિના બંને પક્ષો વચ્ચેની વિશ્વાસની ખાઈ પુરાવાની નથી. ગલવાન પર પોતાનો સાર્વભૌમ અધિકાર છે એવો ચીનનો દાવો પ્રમાણમાં નવો છે, અને એ પંથકમાં આપણને ફિંગર ૪થી ફિંગર ૮ના વિસ્તારમાં પૂર્વવત્‌ પેટ્રોલિંગની છૂટ ન મળે ત્યાં સુધી સાર્વભૌમત્વનો ચીની દાવો અક્ષુણ્ણ મનાશે.

ગમે તેમ પણ, આ નિમિત્તે પણ સત્તાપક્ષ અને વિપક્ષ લગરીક દિલખુલાસ મળતા થાય તેમ જ સત્તાવાર ભાષણલીલા લોકલુભાવન શૈલીની મોહતાજ ન રહેતાં લોકમતને વિશ્વાસમાં લેવાની રીતે ચાલે તો ગઈ પારી વેળાની નોટબંધીથી માંડીને ચાલુ પારીના દૂઝતા ઘાવ ભૂલીને પણ લોક મહત્ત્વના પ્રશ્ને એક સાથે રહેતા થશે. સત્તા-પ્રતિષ્ઠાનને પક્ષે આ પ્રક્રિયા મતભેદ અને ભિન્નમત સબબ દમન, ઉચ્છેદન, ઉપેક્ષાને બદલે આલોચનાત્મક દૃષ્ટિબિંદુના આદર સાથે સહવિચારણાની હોવી જોઈશે.

૨૭-૬-૨૦૨૦

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2020; પૃ. 01-02

Loading

...102030...2,4052,4062,4072,408...2,4202,4302,440...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved