Opinion Magazine
Number of visits: 9456547
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તરસ જિંદગીની

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|26 February 2025

દેવેન આજે ખૂબ ખુશ હતો. આજે જિંદગીની મોટી લડાઈ જીતી લીધી હતી. દેવેનને આજે હોસ્પિટલથી ઘર સુધીનો રસ્તો બહુ લાંબો લાગ્યો. એવું નહોતું કે દેવેન પહેલીવાર આ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો; હકીકતમાં આ રસ્તો જ દેવેન માટે જીવાદોરી સમાન બની ગયો હતો. અનેક વાર આ રસ્તા પરથી પસાર થયો હતો. દેવેન આજે ફેફસાંના કેન્સરને માત આપીને, તેની પર જીત મેળવીને સંપૂર્ણ પણે સ્વસ્થ થઈને ઘરે જઈ રહ્યો હતો.

આવી સ્થિતિ દેવેનની જ હતી એવું નહોતું. દેવેનની પત્ની અંજલિ, મમ્મી અને પપ્પા પણ વ્યગ્રતાથી ઘરે પહોંચવાની રાહ જોઈ રહ્યાં હતાં. અંતે ઘરનું આંગણું દેખાયું, સૌના મનમાં હાશકારો થયો. મમ્મીએ દીકરાની આરતી ઉતારી; અંજલિએ સૌને મો મીઠું કરાવ્યું અને પપ્પાએ બાથમાં લઈ કેન્સર જેવા જીવલેણ રોગ સામે જંગ જીત્યાની શાબાશી આપી પીઠ થાબડી અને કહ્યું, “દીકરા, મને તારી પર ગર્વ છે. અમે તો જિંદગી હારી ગયા હતા, પણ તેં અને અંજલિએ અમને જીતાડી દીધા, જીવાડી દીધા.”

આજે ઘરમાં ખૂબ જ ખુશીનો માહોલ હતો. દેવેન અને અંજલિ એકલા પડ્યાં …. અંજલિ દોડીને દેવેનની બાહોમાં સમાઈ ગઈ. ક્યાં ય સુધી આંસુઓને વહાવતી રહી. દેવેને તેને ક્યાં ય સુધી રડવા દીધી જેથી તેનું મન હળવું થઈ જાય. આખરે આ અંજલિની તપસ્યા અને ધીરજનું તો આ ફળ હતું.

“દેવેન, દેવેન … હું, તો જિંદગી જ હારી ગઈ હતી. મને કંઈ સૂઝતું નહોતું કે હું શું કરું. તારી …. તારી જીજીવિષાએ અને તારી કેન્સર જેવા રોગને માત આપવાની તરસ, તીવ્ર ઈચ્છા અને આત્મવિશ્વાસનું આ પરિણામ છે. દેવેન,મારા દેવેન આજે હું ખૂબ ખુશ છું. આજે હું ફરી જિંદગી જીવતી થઇ ગઈ.”

“ના અંજલિ એવું નથી. હા, મારી જીજીવિષા હતી. રોગ સામે લડવાનો આત્મવિશ્વાસ હતો અને જિંદગીને જીવવાની એક તરસ હતી. પણ તેનું મૂળ કારણ તો તું છો. તે મારામાં ભરપૂર વિશ્વાસ જગાડ્યો; પરિસ્થિતિનો સામનો કરવા માટે હોશલો વધાર્યો, અને વધુમાં કહું તો તે મારું એટલું બધું ધ્યાન રાખ્યું; મારી સેવા કરી કે મને મારા માટે નહીં પણ તારા માટે જંગ જીતવાની મનમાં તરસ જાગી ઊઠી હતી. પછીની વાત તો તું જાણે જ છે.” પતિપત્ની વચ્ચે આવો મીઠો સંવાદ ચાલી રહ્યો હતો. 

દેવેને કહ્યું, “અંજલિ, આજે ઘરમાં આવતા જ મને ઊંધે ધેરી લીધો છે; બહુ ઊંઘ આવે છે.” અને વાતો કરતાં કરતાં દેવેન તો ગાઢ નિંદ્રામાં સરી પડ્યો, પણ અંજલિ સામે ભૂતકાળ ચલચિત્રની જેમ પસાર થવા લાગ્યો.

દેવેન અને અંજલિના એરેન્જ મેરેજ હતા. દેવેન સારી કંપનીમાં આસિસ્ટન્ટ ઈસી. એન્જિનિયર હતો જ્યારે અંજલિ હાઉસવાઈફ હતી. અંજલિ પણ ગ્રજ્યુએટ હતી, ધારત તો તેને પણ સારી જોબ મળી શકે એમ હતું, પણ તેણે ફેમિલીને પ્રાધાન્ય આપ્યું હતું. દેવેને પણ અંજલિને જોબ માટેનો નિર્ણય લેવાની સ્વતંત્રતા આપી હતી. આ વિશે બંને વચ્ચે ક્યારે ય ચર્ચા ન થતી. બંનેનું લગ્નજીવન, સામાજિક અને કૌટુંબિક જીવન સારી રીતે પસાર થઈ રહ્યું હતું. જીવનમાં કોઈ કમી નહોતી, પણ, અચાનક દેવેન અને અંજલિના જીવનમાં ધરતીકંપ આવ્યો; આખું ય જીવન કડકડભૂસ થતું લાગ્યું. ડોકટરે દેવેનને જોઈને, તપાસીને બીજા સ્ટેજના કેન્સરનું નિદાન કર્યું હતું.

દેવનનું જીવન એકદમ સાદગી ભર્યું હતું. બહાર જમવાનું પણ પ્રસન્ગોપાત થતું અને ઓફિસમાં કેન્ટીનમાં જમવાના બદલે ઘરેથી ટિફિન લઈ જતો. દેવેન અંજલિને કહેતો “હું, ઓફિસમાં તારું બનાવેલું ટિફિન જમતો હોવ, ત્યારે ઘરે તારી સામે જમતો હોવ એવો અહેસાસ થાય છે.” અંજલિ આ સાંભળીને પ્રેમથી હસીને કહેતી “તમારી જેવી બીજા કોઈને ઓફિસમાં ઘરનું ટિફિન જમતી સમયે આવી લાગણી થાય છે?” ત્યારે દેવેન કહેતો કે “ઓફિસમાં મોટા ભાગના તો ઓફિસની કેન્ટીનમાં જ જમી લે છે. બધાંયના નસીબમાં પ્રેમભરી અંજલિ ન હોય.” ત્યારે અંજલિ મીઠો છણકો કરી શરમાઈને રસોડામાં ચાલી જતી.

દેવેનની આવી સાદી લાઈફ સ્ટાઇલ હોવા છતાં દેવેનની તબિયતમાં ગરબડ શરૂ થઈ ગઈ હતી. તાવ, આંખે ઓછું દેખાવું, ક્યારેક શ્વાસની તકલીફ, પેટની ગરબડ, ઊલટી અને અશક્તિ જેવા ચિહ્નો દેખાવાં લાગ્યાં હતાં. એક દિવસ ફેમિલી ડોક્ટરને બતાવતા તેણે કેટલા ય ટેસ્ટ કરાવ્યા અને અંજલિને કહ્યું, “મારે દેવેનની બાબતમાં તમને થોડીક મહત્ત્વની વાત કરવી છે; તમે મારા ક્લીનિકે એકલા આવજો.” ડોક્ટરે આપેલા સમયે અંજલિ મનમાં ગભરાટ સાથે ડોક્ટરસાહેબને મળવા પહોંચી ગઈ.

ડોક્ટરે કહ્યું, “અંજલિબહેન, મારી વાત શાંતિથી, ધીરજ રાખીને સાંભળજો. તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી; હું તમારી સાથે છું; પણ, અત્યારની દેવેનની જે પરિસ્થિતિ છે તે ગંભીર અને ચિંતાજનક મને લાગે છે; ગમે ત્યારે શારીરિક પરિસ્થિતિ બદલાઈ શકે છે. દેવેનને જમણી તરફના ફેફસાંમાં કેન્સરની ગાંઠ છે. અત્યારે રિપોર્ટ જોતાં એ બીજા સ્ટેજમાંથી ત્રીજા સ્ટેજમાં પહોંચવા તરફ જઈ રહ્યું છે. આપણે તાત્કાલિક ટ્રીટમેન્ટ ચાલુ કરી દઈશું; પણ તમારો પોઝિટિવ સપોર્ટ અને દેવેનનો આત્મવિશ્વાસ જેટલો વધારે તેટલું સારું પરિણામ મળવાની શક્યતા વધારે છે. તમે કોઈ જાતની ચિંતા ન કરતા આપણે ચોક્કસ દેવેનને કેન્સર મુક્ત કરી શકીશું.”

ડોક્ટરસાહેબની વાત સાંભળીને અંજલિના પગતળેથી ધરતી ખસી જતી લાગી હતી. એક ક્ષણ તો અંજલિ ભાંગી પડી, પણ તેને ડોક્ટરસાહેબના શબ્દો યાદ આવ્યા, “અંજલીબહેન, તમારો પોઝિટિવ સપોર્ટ અને દેવેનનો આત્મવિશ્વાસ જેટલો વધારે તેટલું સારું પરિણામ મળવાની શક્યતા વધારે છે.” અંજલિએ દેવેનને ખબર ન પડે તેમ સંપૂર્ણ સપોર્ટ આપવાનું નક્કી કરી કેન્સર સામે લડવા માટે મનને મક્કમ કરી નાખ્યું.

ફેમિલી ડોક્ટરના માર્ગદર્શન નીચે દેવેનની ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ. ટ્રીટમેન્ટની પ્રોસેસથી દેવેન સમજી ગયો હતો કે તેને કેન્સર જેવો કોઈ રોગ છે. એક વખત તેના હાથમાં રિપોર્ટ આવતા એ સમજી ગયો કે તેને ફેફસાંનું કેન્સર થયું છે. દેવેને નક્કી કર્યું કે મારે એવો વર્તાવ કરવો પડશે કે મને કંઈ જ ખબર નથી. જો અંજલિ મને ભાંગી પડેલો જોશે તો અંજલિ પોતે ભાંગી પડશે અને અંજલિ ભાંગી પડે તો …. તો….. ના, મારે કોઈપણ બીજો વિચાર કર્યા વગર કેન્સરને હરાવવું જ પડશે. હું મારી જીજીવિષા અને જિંદગી જીવવાની તરસને એ ઊંચાઈએ લઈ જઈશ કે ત્યાં કેન્સર તો શું બીજો કોઈ ભયંકર રોગ પણ પહોંચી ન શકે, હારીને પાછો વળી જાય.

અંજલિએ વિચાર્યું હું દેવેનમય બની જઈશ. દેવેનને રોગ વિશે વિચારવાની કોઈ તક જ નહીં આપું. અંજલિ સતત દેવેન સાથે રહેવા લાગી. દેવેનનો આત્મવિશ્વાસ અને રોગ સામે લડવાની ઉર્જા વધારતી રહી; પરિણામે ત્રીજા સ્ટેજમાં જતું કેન્સર અટકી ગયું અને ધીમે ધીમે દેવેનની તબિયતમાં સુધારો થતો ગયો.

ડોક્ટરસાહેબે અંજલિને કહ્યું, “અંજલિબહેન, અમે ઘણા કેન્સરના દર્દીઓ જોયા છે. ઘણા તો કેન્સરનું નામ સાંભળીને જ જીવન જીવવાની, જિંદગીની આશા છોડી દેતા હોય છે. જ્યારે તમારા કેસમાં એથી ઊલટું થયું. મને ખ્યાલ છે ત્યાં સુધી દેવેનને પણ તેને થયેલા ફેફસાંના કેન્સરની ખબર છે. તમે બંનેએ હિંમત હાર્યા વગર કેન્સર સામે લડવાની, નવી જિંદગી જીવવાની તરસ એટલી બધી વધારી દીધી કે આખરે કેન્સરે હારીને તમારી તરસને જોઈને તમારી સામે જિંદગી જીવવા માટેની ભેટ ઘરી દીધી. આજે આપણે દેવેનના આખરી રિપોર્ટ કર્યા. દેવેન સંપૂર્ણપણે ફેફસાંના કેન્સરથી મુક્ત છે; જેનો શ્રેય હું મારી ટ્રીટમેન્ટ કરતાં તમારાં બંનેના કેન્સર સામે લડવાના જોમ અને જુસ્સાને આપું છું. તમારી ધીરજ અને તમારી તરસ જિંદગી જીવવા માટેની હતી તેને આપું છું.”

“અંજલિ, એય અંજલિ, ક્યાં ખોવાઈ ગઈ? આજે આપણે હોસ્પિટલમાં નહીં આપણા ઘરે છીએ. આજ પછી કેન્સર તો શું કોઈપણ જીવલેણ રોગ આપણા ઘર સામે જોવાની હિંમત નહીં કરે.”

“હા એટલે તો અતિતમાં આંટો મારવા ચાલી ગઈ હતી, એ શોધવા કે આપણામાં ઊભી થયેલી તરસ જિંદગી જીવવા માટેની તરસ હતી કે આપણે તરસ જિંદગી જીવવા માટે ઊભી કરી હતી.”

ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com

Loading

શિવા પત્રકારત્વ અવૉર્ડ : પ્રગતિશીલ અને પ્રસ્તુત, પ્રેરણાદાયી અને પ્રથમ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|26 February 2025

– ‘મારો દીકરો ત્રણ મહિનાનો હતો અને મારે સળંગ ત્રણ દિવસ ઓવરનાઈટ શૂટ પર જવું પડ્યું. આમ તો ચોવીસ કલાકની નોકરી ઇમ્પોસિબલ છે’ : ગોપી મણિયાર-ઘાંઘર, જાણીતાં ટેલિવિઝન પત્રકાર

–  ‘આ મારું લાઇફ અચીવમેન્ટ સન્માન છે’ : ભાનુમતિબહેન, ગોપીનાં સાસુ 

‘મારું સન્માન થાય એના કરતાં વધારે ખુશી મારાં મા-બાપનું સન્માન કર્યું તેની છે. તેમણે મારા માટે જે કર્યું છે તે મારા માટે બહુ મહત્ત્વનું છે’ : અનિતા પટણી, ટેલિવિઝન પત્રકાર, કે જેમના માતાને ફળની લારી છે અને પિતા નિવૃત્ત શિક્ષક છે. 

– ‘માસિક ધર્મ થકી સ્ત્રી દર મહિને પવિત્ર થાય છે, પુરુષ ક્યારે ય પવિત્ર થતો નથી, પછી એ પ્રયાગરાજ જઈને આવે પછી પણ એવો ને એવો જ રહે છે’, પ્રશાંત દયાળ, અગ્રણી પત્રકાર

આ કેટલીક વાતો છે શિવા પત્રકારત્વ અવૉર્ડ સમારંભની.

•••

પ્રશાંત દયાળ, તેમના પરિવાર અને નવજીવન ન્યૂઝે પ્રશાંતભાઈના જીવનસાથી શિવાનીબહેનની સ્મૃતિમાં શરૂ કરેલા શિવા પત્રકારત્વ અવૉર્ડનો સમારંભ 22 ફેબ્રુઆરીએ, કસ્તૂરબાની પુણ્યતિથિએ, સાંજે નવજીવન ટ્રસ્ટના સંકુલમાં આવેલા જિતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હૉલમાં ભરચક દર્શકોની હાજરીમાં યોજાયો હતો. 

આ પહેલી વારનું સન્માન ગોપી મણિયાર ઘાંઘર અને તેમનાં સાસુ ભાનુમતિબહેનને; અને,  અનિતાબહેન પટણી અને તેમનાં માતા સવિતાબહેનને આપવામાં આવ્યું.

તેમાં સન્માનપત્ર, સ્મૃતિચિહ્ન અને વીસ હજાર રૂપિયાના રાશિનો સમાવેશ હતો. બંને પત્રકારોનો પરિચય તરીકે તેમના પરની ટૂંકી સંગીન ફિલ્મ્સ હતી.

પ્રગતિશીલ, પ્રસ્તુત અને પ્રેરણાદાયી એવા આ ઉપક્રમના કાર્યક્રમનું આયોજન પણ દોઢ કલાક યાદગાર બને તેવી રીતે થયું હતું.

પ્રશાંતભાઈએ માહિતી આપી કે આ સન્માન દસ વર્ષથી વધુ અનુભવ ધરાવનારા અને પચાસ વર્ષથી ઓછી ઉંમરના પત્રકારને એનાયત થશે. જેથી કામગીરીનો એક તબક્કો સધાયો હોય અને અવૉર્ડનો આનંદ આવે તેવી ઉંમર હોય. 

અલબત્ત, આ એવૉર્ડની અનન્યતા એ કે તે પત્રકાર ઉપરાંત તેની સાથે પડખે રહેનાર મહિલાને પણ આપવામાં આવશે. તેનો આશય પત્રકારની કામગીરી માટે તેના પરિવારના ફાળાને બિરદાવવાનો છે.   

કસ્તૂરબાની પુણ્યતિથિએ સમારંભ યોજવાનો હેતુ ગાંધીજીના જીવનમાં તેમનાં પ્રદાનનું ગૌરવ કરવાનો હતો. અનેક અગ્રણીઓનાં જીવનમાં આવેલી મહિલાઓની જેમ ઉપેક્ષિત રહ્યાં છે. તેમની કદર ન થઈ. ઘરઘરમાં આવી કસ્તૂરબા હોય છે. તેની કદર કરવી એ સાચી અંજલિ  ગણાય. 

શિવાની અને પ્રશાન્ત દયાળ

એવૉર્ડની ઉપરોક્ત ભૂમિકા આપવાની સાથે પ્રશાંતભાઈએ સમાજમાં ઘરની મહિલાઓ બાબતે તને-ખબર-ન-પડે એ બેહૂદી પુરુષપ્રધાન માન્યતાથી શરૂ કરીને પ્રશાંતભાઈએ સ્ત્રીજાતિની અસાધારણ ક્ષમતાને સરસ રીતે ઉપસાવી.

પ્રશાંતે તેમના જીવનમાં શિવાનીબહેનનું કેવું અસાધારણ સ્થાન હતું તે હૃદયસ્પર્શી રીતે બતાવ્યું. સમારંભનો દિવસ એ ત્રીસ વર્ષ પૂર્વે એટલે કે 1996માં ભરૂચના નાનકડા ટાઉનની  શિવાની મોઘે પ્રશાંતના જીવનમાં રજિસ્ટર લગ્ન કરીને પહેરેલાં કપડે પ્રવેશવાનો પણ દિવસ હતો.

પત્રકાર પતિ પ્રામાણિક અને હિમ્મતવાળો જ રહે તેના માટે શિવાનીએ જે  કહ્યું-કર્યું તેના બનાવો પણ પ્રશાંતભાઈએ વર્ણવ્યા. જેમ કે, પોતે કૌસરબી બળાત્કાર-હત્યા તેમ જ સોહરાબુદ્દીન એન્કાઉન્ટરનું જબરદસ્ત કવરેજ કરતા હતા, તે વખતે તેમને મોટી રકમની ઑફર થઈ હતી. એ  વખતે મમ્મીના કૅન્સરની સારવાર માટે પૈસાની જરૂર પણ હતી.

એટલે પ્રશાંતભાઈએ પૈસા લેવા અંગે શિવાનીને પૂછ્યું, એટલે એ મતલબનો જવાબ મળ્યો કે ‘મારી પર બળાત્કાર થાય અને મને આવી રીતે મારી નાખે તો તમે પૈસા લઈ લેશો ને, લઈ લેજો પૈસા.’  

એક વખત સરકારે એક સ્ટોરી માટે પ્રશાન્ત પર રાજદ્રોહનો કેસ કર્યો અને તેને અન્ડરગ્રાઉન્ડ જવું પડ્યું ત્યારે શિવાનીએ કહ્યું : ‘હવે કોઈ દિવસ કોઈની વિરુદ્ધ લખતા નહીં … ડરીને ભાગી જાય એવો પતિ હું પસંદ નથી કરતી.’ 

પ્રશાંતભાઈએ યાદ કર્યું કે લગ્ન બાદ પહેલાં પંદર વર્ષ એમણે એક પણ વીકલી ઑફ લીધો ન હતો. તેમણે ઘરના મોકળાશભર્યા વાતાવરણની, સંતાનો સાથેની નિખાલસ વાતચીતની, સભ્યો વચ્ચેના સંવાદની અને એકંદરે સંસારની ઉજળી બાજુ બનાવો સાથે સંભારી.

પ્રશાંતભાઈએ અનેક શબ્દોમાં શિવાનીને યાદ કર્યાં : ‘શિવાનીએ મારા ઘરની દીવાલોને ઘર બનાવ્યું’, ‘હું પત્રકારત્વમાં આગળ વધતો રહ્યો અને તેની કિંમત શિવાની અને મારો પરિવાર ચૂકવતાં રહ્યાં એ મને સમજાયું નહીં’, ‘એ બહુ સાદી સ્ત્રી, સરળ, બીકણ સ્ત્રી. પણ એના પાતળા દેહમાં બહાદુરી, ખુમારી ઠાંસી ઠાંસીને ભરી હતી’, ‘એની પાસે એ સ્પષ્ટતા હતી કે મારા ઘરમાં એવો પૈસો ન આવવો જોઈએ કે જે નિસાસાનો પૈસો હોય, કોઈની પીડાનો પૈસો હોય.’ 

‘એને ખબર હતી કે એ જવાની છે, એની પાસે સમય ઓછો છે, પણ છતાં એ એની તાકાત પ્રમાણે લડતી રહી’, ‘મારી પાછળ શિવાની ન હોત તો હું જે કંઈ છું તે ન હોત, આ મુકામ પર પત્રકારત્વને પહોંચાડી શક્યો ન હોત’, ‘શિવાની પુત્રવધૂ ભૂમિને પેટે દીકરી તરીકે અમારા ઘરમાં પાછી આવવની છે.’ 

સન્માન મેળવનાર  બંને પત્રકારોએ તેમનાં ઘડતરમાં પ્રશાંતભાઈના ટેકાનો કૃતજ્ઞતાપૂર્વક ઉલ્લેખ કર્યો. ગોપીએ લાગણીસભર રીતે શિવાંગી અને તેની વચ્ચેની મૈત્રીને યાદ કરી. તેમણે ભાનુમતિબહેનની પીઠબળની પણ વાત કરી.

સન્માન સમાજસેવક મિત્તલ પટેલ અને વરિષ્ઠ પત્રકાર મુકુંદ પંડ્યાને હસ્તે અપાયાં. મિત્તલે પ્રશાંતભાઈએ તેને પ્રસંગે પૂરાં પાડેલાં મજબૂત પીઠબળની જીકર કરી. તેમણે એ પણ નોંધ્યું કે પ્રશાંતભાઈ માણસ તરીકે ટકી રહ્યા, ખોવાયા નહીં તેની પાછળ શિવાની હતાં. 

મુકુંદભાઈ 1975ની કટોકટી વખતના પત્રકારત્વને યાદ કર્યું .તેમણે એમ પણ કહ્યું કે સન્માનિત પત્રકારો અત્યારના સમયમાં પણ મૂલ્યો જાળવીને, પ્રામાણિકતાથી કાર્યરત છે તેમાં તેમના પરિવારનો સાથ હોય છે, તેમનો પરિવાર તેમની તાકાત, તેમનું પોષણ હોય છે.

શિવાનીને યાદ કરીને તેમણે ‘રામ તમે સીતાજીની તોલે ન આવો’ પંક્તિ ટાંકી. મકરંદ દવેના જાણીતા ભજન ‘અમે રે સૂકું રૂનું પૂમડું’નો છેલ્લો અંતરો ‘અમે રે ઊધઈ ખાધું ઇંધણું’ હલકથી ગાઈને તેનો કસ્તૂરબાના, મહિલાના સંદર્ભમાં અર્થ બતાવ્યો. નવજીવનના મૅનેજિન્ગ ડિરેક્ટર વિવેક દેસાઈએ પણ ભાવસભર રીતે નવજીવન બ્લૉક્સનો માહોલ અને તેમાં શિવાનીની હાજરીની યાદો વર્ણવી. પ્રશાંતના દીકરી પ્રાર્થનાએ પણ તેની મમ્મીને સ્વસ્થ રીતે યાદ કરી.

સંશોધક, પત્રકાર, લેખક અને વર્ષોથી પ્રશાંતના મિત્ર ઉર્વીશ કોઠારીએ કાર્યક્રમનું સંચાલન સાહજિક રીતે કર્યું. તેમાં પ્રશાન્ત, અત્યારની પત્રકારિતા, અત્યારનો સમય જેવી બાબતોના ઉલ્લેખો હતા. તેમની વાતમાં હળવાશ, કટાક્ષ, ટિપ્પ્ણી અને ચિંતનનો મજાનો મેળાપ હતો.

અત્યારે સ્ત્રીઓ માટે તકો વધતી જાય છે, એની સામે પુરુષી ઝેરીલાપણું (male toxicity) પણ વધતું જાય છે. એવા સંજોગોમાં સ્ત્રીની મહત્તાનું આટલી સરસ રીતે ગૌરવ કરવા બદલ પ્રશાંત દયાળ અને નવજીવન ન્યૂઝને અનેક ધન્યવાદ!

તસવીરો : રોહન ત્રિવેદી, કોલાજ : પરીક્ષિત જોગી 
26 ફેબ્રુઆરી 2025
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સાવરકરના મનમાં હિંદુ રાજાઓની છાપ કેવી હતી?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|26 February 2025

જન્મ : 28-5-1883 — મૃત્યુ : 26-2-1966

સાવરકરે ઈતિહાસનાં જે સ્વર્ણિમ પૃષ્ઠો પોતાની દૃષ્ટિએ આલેખ્યાં છે એમાં હિંદુઓની ‘સદગુણ વિકૃતિ’ એક મુદ્દો છે

ગોધરા-અનુગોધરાના દુર્ભાગી ઘટનાક્રમને તેવીસ વરસ પૂરાં થવામાં છે, અને બેસતે ફેબ્રુઆરીએ (પહેલી તારીખે), ઝકિયા આપા ગયાં. છેલ્લા બે’ક દાયકામાં, રાજધર્મના પરિપાલન વિષયક સવાલિયા દોરને અંગે ન્યાયની લડતના એક અણનમ ચહેરા તરીકે એ ઉભર્યાં હતાં. આવી લડતો સફળતા-નિષ્ફળતાને ધોરણે નહીં એટલી ખુદ લડત થકી જ ઓળખાય છે.

પ્રકાશ ન. શાહ

ઝકિયાની પોતાની આ જે ઓળખ બની, ઝુઝારુ જણ તરીકેની તેનું સ્વતંત્ર મૂલ્ય અલબત્ત છે જ. પણ જાફરી એ જે એમનું કુલનામ એ તો 1977ની શકવર્તી ચૂંટણીમાં યશસ્વી રહેલા કાઁગ્રેસમેન અહેસાનની ભેટ હતી. ધારાશાસ્ત્રી અહેસાન જાફરી, ઉર્દૂની પ્રગતિશીલ ધારાના એક અચ્છા શાયર પણ હતા. 1969માં રમખાણ ફાટી નીકળ્યું ત્યારે પૂર્વ અમદાવાદમાં ડો. ગાંધીની ચાલના એક ટેનામેન્ટમાં આ પરિવાર રહેતો હતો અને જાન બચાવવા વાસ્તે ખાસ્સું બે-ત્રણ કિલોમીટર દોડ્યા પછી અસારવા-ઉદયપુર રેલવે લાઈન ક્રોસ કરી પોલીસ સ્ટેડિયમમાં આશરો લીધો હતો. 1969ના આ અમંગલ અનુભવ પછી પણ પ્રજાસત્તાક સ્વરાજ લાયક જાહેર જીવન માટેની ગડમથલમાં એ કટુતા વગર સક્રિય હતા. 1977માં એમની સામે હારેલા બ્રહ્મકુમાર ભટ્ટ પાસેથી સાંભળ્યું છે કે અમે પોલીસ સ્ટેડિયમમાં શાતા પૂછવા ને સહાય જોગવવા ગયા ત્યારે હાથમાં ડબલું ઝાલી ચા વાસ્તે ઊભેલા અહેસાનનો ચહેરો હજુ નજર સામેથી ખસતો નથી, અને એ લાગણી પણ – કે છતે જુલમે આ માણસમાં કટુતા નથી.

દફતર ભંડારના અખિલ હિંદ વડા પ્રો. તીરમીઝી નિવૃત્ત થઈ દિલ્હીથી અમદાવાદ પાછા ફર્યા ત્યારે એમની પહેલથી રચાયેલ મૌલાના આઝાદ સેન્ટરની કાર્યવાહક સમિતિમાં અહેસાન જાફરીને મળવાનું થતું. તે વખતે એમની રચનાઓનોયે કંઈક પરિચય થયો હતો. એક વાર વસંત-રજબ શહાદત સ્મૃતિની પૂર્વ રાત્રિએ મુશાયરો યોજાયો હતો એમાં અહેસાનભાઈએ ઉચ્ચારેલી પંક્તિઓ આ લખતાં મનમાં ગૂંજે છે, અને એમના સંગ્રહ ‘કંદીલ’(દીવો, ફાનસ)ના નાગરી પાઠમાંથી ઉતારવાનું મન થઈ આવે છે : ‘હર દિલ મેં મુહબ્બત કી, ઉખુવ્વત કી લગન હૈ, યે મેરા વતન, મેરા વતન, મેરા વતન હૈ.’ આ વતન તે કેવું ને કોનું એ પણ એમણે બીજી એક રચનામાં અચ્છું વ્યાખ્યાયિત કરેલું છે : મીરાંબાઈના ભજને સોહતું, ગૌતમ બુદ્ધ – ગુરુ નાનક – અમીર ખુશરોના પ્રેમસંદેશ થકી આશીર્વાદપ્રાપ્ત, આ મારું વતન!

2002ની 28મી ફેબ્રુઆરીએ ગુલબર્ગ, ચમનપુરામાં બોંતેર વરસના અહેસાન સહિત 69 જણા જે રીતે ગયાં એમાં જવાબદાર કરવૈયાઓની ખુદની વીરગાથા શી સાહેદી ‘તહલકા’ની ટેપમાં અંકિત છે, પણ … ખેર છોડો એ ચર્ચા, હિંદુ કે મુસ્લિમ તરીકે નહીં પણ એક નાગરિક તરીકે જ્યારે જ્યારે ગોધરા-અનુગોધરા દિવસો સંભારીએ છીએ ત્યારે શું કહેવાનું બને છે? રાજધર્મ ન ચુકાયો હોત, એટલે કે કાયદાનું શાસન પળાયું હોત, શાસન એ ધોરણે ચુસ્તદુરસ્ત અનુશાસનમાં રહ્યું હોત તો જે ન થવાનું થયું તે નિ:શંક ન થયું હોત, શું ગોધરામાં કે શું તે પછી. શાસનની કામગીરીની જે પણ વિગતો સામાન્યપણે સમજાય છે તે કાં તો નિ:શાસનની છે, કે પછી દુ:શાસનની. અપવાદરૂપ કિસ્સાઓમાં, ‘કંદીલ’ લઈને શોધ્યે કાયદાનું શાસન જોવા મળે છે, એ આંખમાથા પર.

1965થી સંઘ પરિવારમાં દીનદયાલ ઉપાધ્યાયે એકાત્મ માનવ દર્શનની કંઈક ચર્ચા શરૂ કરી ત્યારે એમણે ‘ધર્મરાજ્ય’ એ પ્રયોગ સરસ સમજાવ્યો હતો કે આ તો ‘રુલ ઓફ લો’ કહેતા કાયદાના શાસનની વાત છે. કંઈક ક્ષીણદુર્બળ પણ એ તંતુ વાજપેયીએ ઝીલવાની કોશિશ કરી હશે તે 2002ના એમના રાજધર્મ ઉદ્દગારોથી સમજાય છે. આ ઉદ્દગારો પરત્વે તત્કાળ એમને જે આશ્વસ્તકારી વેણ સાંભળ‌વા મળ્યાં હશે એને વિશે એમને કોઈ પતીજ નહીં હોય તેમ એમણે બેત્રણ મહિનાને આંતરે વળી તત્કાલીન મુખ્ય મંત્રી જોગ લખેલ પત્રમાં કરેલી ઝીણી પૃચ્છા અને આપેલી સાફ સલાહ પરથી જણાઈ આવે છે. 1 જૂન 2002નો આ પત્ર ત્યારે તો અપ્રકાશિત રહ્યો હતો. પણ પછી આર.ટી.આઈ.ને પરિણામે તે પ્રકાશમાં આવ્યો હતો.

ગમે તેમ પણ, ગોધરા-અનુગોધરા ઘટનાક્રમને કાયદાના શાસનની રીતે નહીં નિપટાવતા સામસામી છાવણીના ચશ્મે જોવાની અને હિંસ્ર વલણો પરત્વે અનુમોદનાની આ ‘નીતિ’નું સમર્થન એક અણચિંતવ્યે છેડેથી મળી શકે એમ છે. એ છેડો સાવરકરનો છે જે શાસનકૃપાએ શરૂ થયેલી અને વિક્રમ સંવતથી માંડી ઉદય માહુરકર સહિતના લેખો થકી ખાસી ઊંચકાયેલ નવ્ય દેવપ્રતિમા (ન્યૂ આઈકોન) પરત્વે શૌરિના વળતા સપાટે ચર્ચાની વંડી ઠેકી ચકચારના ચોકમાં ખાબકી છે.

સાવરકરે ઇતિહાસનાં જે સ્વર્ણિમ પૃષ્ઠો પોતાની દૃષ્ટિએ આલેખ્યાં છે એમાં હિંદુઓની ‘સદ્દગુણ વિકૃતિ’ એક મુદ્દો છે. શત્રુઓ સામે હિંદુ રાજાઓ નીતિના પાલનપૂર્વક લડતા એવી જે છાપ છે એ ‘છાપ’ સાવરકરને મન ‘વિકૃતિ’ સૂચક છે. હિંદુપત પાદશાહતના સ્વપ્નશૂરા શિવ છત્રપતિ નિમિત્તે સાવરકરના ‘ધન્ય ઉદ્દગારો’ સાંભરે છે. શિવાજીએ કલ્યાણની લૂંટમાં હાથ આવેલ સુબેદારની પત્નીને સબહુમાન પાછી મોકલી એમાં સાવરકરને કશું ‘ખાસ પ્રચાર’ યોગ્ય કે ‘આદરણીય’ જણાતું નથી; કેમ કે “જુવાનજોધ તરુણીને પરત મોકલવી એટલે જ શત્રુના વેતર વધારવામાં મદદ કરવા સમાન હતું. … એકાદ મોટા સરદારને આ આપી દેવી હતી. એ ય ન કરવું હતું તો તેમનો એકાદ નિકટનો હજુરિયો તો હતો ને ? એણે એ સુંદર છોકરી આનંદભેર સ્વીકારી હોત …” 

નહીં કે આ અધિકૃત અવતરણ ટાંકવું ગમે છે. માત્ર, રાજધર્મની શિથિલતાનો ઉત્તર, નાગરિક ધર્મની શિથિલતામાં નથી, એટલું જ એક નમ્ર નિવેદન, આજે સાવરકર સ્મૃતિ દિવસે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 26 ફેબ્રુઆરી 2025

Loading

...102030...237238239240...250260270...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved