Opinion Magazine
Number of visits: 9575524
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નરેન્દ્ર મોદી : દુર્ભાવનાપૂર્ણ કે બિનકાર્યક્ષમ?

અભિજીત અય્યર મિત્રા|Opinion - Opinion|17 May 2020

જનતાની નાડીના ધબકાર પકડવામાં ઉસ્તાદ કોઈ વ્યક્તિ અઠવાડિયામાં જ તે પકડ કેવી રીતે ગુમાવી શકે? પરંતુ એકવીસ દિવસના પ્રથમ લૉક ડાઉનની ઘોષણાના પોતાના પ્રવચનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આમ જ કર્યું. સંકટસમયે બે પ્રકારના ભાષણો આપવામાં આવે છે. એક, વિન્સ્ટન્ટ ચર્ચિલનાં યુદ્ધકાલીન ભાષણોની જેમ લોકોનું મનોબળ વધારનારાં અને બીજાં, સૈનિકોએ વાસ્તવમાં કરવાનું શું છે તેનું માર્ગદર્શન કરનારાં.

પહેલું ભાષણ ગૂઢ હોય છે, તો બીજું સટીક અને વિસ્તૃત. કોરોનાસંકટ સમયે સામાન્ય નાગરિક પાસે સૈનિકો જેવા વ્યવહારની અપેક્ષા રાખવામાં આવે છે. એટલે આપણને મનોબળ વધારવાની અને વિસ્તૃત માર્ગદર્શનની — એમ બંનેની જરૂરિયાત છે. અને આ જ બાબતમાં મોદીનું ભાષણ સંપૂર્ણપણે નિષ્ફળ ગયું હતું. એક દિવસની એકતા કે જનતા કરફ્યૂવાળું મોદીનું પહેલું ભાષણ મનોબળ વધારવાને લઈને હતું. પરંતુ એકવીસ દિવસના અખિલ ભારતીય લૉક ડાઉનની ઘોષણાવાળું એમનું બીજું  ભાષણ, એક રીતે સૈન્ય અભિયાનની શ્રેણીનું હતું. મોદીનું આ ભાષણ દિલ્હી રમખાણો અંગેનાં તેમનાં વલણ સાથે સંકળાયેલું હતું. તે કુશાસન, આળસ કે ઘમંડ આ ત્રણમાંથી એક સૂચવતી નિયમિત પેટર્નને ઉજાગર કરી આપે છે.

ગુજરાતની વર્ષ ૨૦૦૨ની કોમી હિંસાની આ પેટર્ન છે : મૅસેજિંગ, કાયદો – વ્યવસ્થા તથા અંધાધૂંધી. બધા જ મામલાઓમાં પહેલાંની ભૂલો ફરી ફરીને કરવામાં આવતી જોવા મળે છે. તેનાથી એક ચિંતાજનક નિષ્કર્ષ એ નીકળે છે  કે આ કંઈ ભૂલો નથી, પરંતુ સભાનપણે આમ કરવામાં આવી રહ્યું છે. આપણને સતત એમ કહેવામાં આવી રહ્યું છે કે મોદી મૅસેજિંગના માસ્ટર છે. અર્થાત્ જનતાને પોતાનો સંદેશ પહોંચાડવામાં નિષ્ણાત છે. લોકસભા ચૂંટણીમાં ભા.જ.પ.ને ૩૦૩ બેઠકો અપાવી, તે બાબત તેનું જીવતં ઉદાહરણ છે કે તે પોતાની વાતોના પૈકિજિંગમાં સિદ્ધહસ્ત છે. તો પણ આપણે જોઈએ છીએ કે તેમનું આ મૅસેજિંગ માત્ર બહુ થોડા અપેક્ષિત માપદંડોમાં જ ખરું ઊતરે છે.

મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાળમાં ગોધરાકાંડ પછીની કોમી હિંસામાં બે પ્રકારના સંદેશ સામે આવ્યા. વિદેશી અને સ્થાનિક મીડિયા માટે તે રમખાણો સરકારની સહભાગિતાનાં હતા, તો પ્રેસને વિશ્વસનીય નહીં માનનારા લોકો (બાળપણમાં જાતિવાદી તનાવના કેન્દ્ર સાઉથ અર્કોટનાં રમખાણોના સાક્ષી તરીકે હું પણ તેમાં આવું) માટે આ કથાનક એક એવી વ્યક્તિનું હતું, જેને સચ્ચાઈ અને વાસ્તવિકતાથી દૂર એવા મીડિયા દ્વારા અપમાનિત અને હેરાનપરેશાન કરવામાં આવી રહ્યો છે. આ અધૂરું કથાનક મોદીને ખૂબ કામમાં આવ્યું, જેણે તેમને પ્રધાનમંત્રીની ખુરશી સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.

આ જ બાબત વર્ષ ૨૦૨૦નાં પૂર્વોત્તર દિલ્હીના રમખાણો વખતે ફરી દોહરાવવામાં આવી. ગુજરાતનાં ૨૦૦૨નાં રમખાણોને કારણે ભારત, ગુજરાત અને ખુદ મોદીની પ્રતિષ્ઠા ખરડાવા છતાં દિલ્હીનાં કોમી રમખાણોને ડામવાની મોદી શૈલી પહેલાનાં (૨૦૦૨ના) જેવી જ હતી. સુરક્ષાદળોના ઉપયોગમાં એ જ પ્રકારનો વિલંબ, પહેલાંની જેમ પોલીસનું ખુલ્લેઆમ પક્ષપાતી વલણ અને સમુદાય વિશેષની કત્લેઆમના એ જ પુરાણા આરોપ.

આ પેટર્ન તરફ ધ્યાન ગયું તમારું? નવાઈની વાત તો એ છે કે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના બેઉ સમયગાળામાં કોમી રમખાણોમાં નેતૃત્વ સંભાળતા હોવા છતાં મોદીએ ન કોઈ પ્રકારના પોલીસસુધારા માટે કે આવા સંજોગોમાં આદર્શ રીતે શું થવું જોઈએ એવી પ્રક્રિયા ઊભી કરવા માટે પહેલ કરી છે. કાયદો – વ્યવસ્થા સાથે જોડાયેલા કોઈ પણ અધિકારી કહેશે કે ભીડનિયંત્રણનો મૂળ મંત્ર છે : ભીડને એકઠી જ થવા ન દેવી. એક વાર લોકો ભેગા થઈ જાય, પછી મામલો કાબૂ બહાર થઈ જાય છે. તેમ છતાં આપણને ગુપ્તચર વ્યવસ્થા કે નિરીક્ષણ વ્યવસ્થામાં કોઈ સુધારો જોવા મળતો નથી.

મોદી કોઈનું સાંભળતા નથી કે પછી કોઈની પરવા કરતા નથી કે પછી વધુ ચિંતાજનક નિષ્કર્ષ એ છે કે તે આવું જ ઈચ્છે છે. સચ્ચાઈ એ છે કે દિલ્હીમાં જે કંઈ બન્યું તે અંગે આપણી પાસે સરકારનું કોઈ અધિકૃત બયાન આવ્યું નથી. તેનાથી એવા પણ સંકેત મળે છે કે દિલ્હી રમખાણોમાં એક ચોક્કસ સમુદાયની કત્લેઆમને લગતું કથાનક (જે સ્પષ્ટપણે સાચું નથી) બની રહે તેનાથી તેઓ સંતુષ્ટ છે. સંભવ છે કે એનાથી તેમને ઘણો લાભ થાય પરંતુ તેનાથી ભારતને નુકસાન થશે.

આ પણ એ જ પેટર્ન છે, જે વડાપ્રધાનનું પ્રથમ લૉક ડાઉનનું ભાષણ પૂરું થયું કે તરત જ દેશમાં ગભરાટને લીધે થયેલી ખરીદીમાં જોવા મળી. પોતાના નેતૃત્વમાં ૨૦૧૬ની નોટબંધી અને તેની વ્યાપક ખરાબ અસરોને જોતાં, સૌથી પહેલાં તો વડાપ્રધાનને એ વાતની ખબર હોવી જોઈએ બલકે તે જાણવાની તેમની ફરજ હતી કે તેમની લૉક ડાઉનની જાહેરાતથી કેવા પ્રકારનો ગભરાટ ફેલાઈ શકે છે. એમના ભાષણને લાઈવ ટ્વીટ કરતાં મને સુરક્ષા અને ભીડનિયંત્રણની મારી સીમિત તાલિમ પરથી સ્પષ્ટ  દેખાતું હતું કે લોકોમાં ડર અને ચિંતાને લઈને અંધાધૂધી મચશે. તો પછી સુરક્ષા અને સામાજિક વિશેષજ્ઞોના લશ્કરથી ઘેરાયેલી એક વ્યક્તિને આ વાતની ગંધ સુદ્ધાં કેમ ન આવી? એટલે એક વાર ફરી કહેવું પડશે કે કાં તો વડાપ્રધાન કોઈનું સાંભળતા નથી, કોઈની પરવા કરતા નથી કે પછી તેઓ આ જ ઈચ્છે છે.

એકેડેમિક દૃષ્ટિએ કોઈ પેટર્નને સાબિત કરવા મટે ત્રણ ઉદાહરણોની આવશ્યકતા હોય છે. હવે તો આપણી પાસે ચાર છે : ગોધરા, નોટબંધી, દિલ્હી રમખાણો અને હવે કોરોના વાઇરસ લૉક ડાઉન. અહીં મામલાની ગંભીરતા ઓછી કરવા માટે એક કારણ એ પણ હોઈ શકે છે કે આપણી પાસે ઉગ્ર પ્રતિક્રિયાત્મક નીતિઓની પણ એક પેટર્ન છે, જે “પહેલા દિવસે જોરદાર ઝટકો આપવાની” માનસિકતાને અનુરૂપ છે. તેમાં બીજા અને ત્રીજા ક્રમે અધિક મહત્ત્વપૂર્ણ પ્રભાવને નજરઅંદાજ કરવામાં આવે છે. આપણે આ બાબત વારંવાર જોઈ છે. જેમ કે જી.એસ.ટી., બાલાકોટ, અનુચ્છેદ ૩૭૦ વગેરે બાબતો.

ટૂંકમાં આ બધા ઉદાહરણો પરથી તમે દુર્ભાવનાપૂર્ણ મોદીનું ચિત્રણ કરી શકો છે. પરંતુ તમામ તથ્યોને એક સાથે રાખતાં આપણને એક બિનકાર્યક્ષમ મોદીની તસવીર જોવા મળે છે. એમ લાગે છે કે નહેરુની જેમ મોદી ચૂંટણી તો જીતી શકે છે, પણ એથી વિશેષ કશું જ નહીં.       

અનુવાદઃ ચંદુ મહેરિયા

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 17 મે 2020

Loading

અમદાવાદમાં કોરોનાનો કહેર : કેટલાંક નિરીક્ષણ

ગૌરાંગ જાની|Opinion - Opinion|17 May 2020

છેલ્લા બે દાયકામાં ‘વિકાસ’ અને ‘નંબર વન’—એ બે શબ્દો દેશભરમાં કોઈએ સૌથી વધુ સાંભળ્યા હોય તો એ અમદાવાદીઓ છે. પણ આ જ અમદાવાદ અને તેના નાગરિકો કોરોના કટોકટીમાં સપડાયા છે. સમગ્ર ગુજરાતમાં 11 મે  સુધીમાં કોવિદ-19 કેસોની કુલ સંખ્યા 8,542 હતી. તેમાં માત્ર અમદાવાદના 6,086 કેસ નોંધાયા. અર્થાત્ ગુજરાતના 71 ટકા કેસ માત્ર અમદાવાદમાં. રાજ્યની લગભગ સાડા છ કરોડની વસ્તીમાં માત્ર એક શહેરમાં 70 ટકાથી વધુ દરદીઓ. યુનાઇટેડ નેશન્સના વર્ષ 2020ના અંદાજ પ્રમાણે અમદાવાદની વસ્તી 78 લાખ છે. વળી, મૃત્યુઆંક જોઈએ તો ગુજરાતમાં 11 મે સુધી 513 વ્યક્તિઓના દુ:ખદ અવસાન થયા. તેમાં માત્ર અમદાવાદના 400 મૃત્યુ છે. અર્થાત્ રાજ્યમાં કોરોનાને કારણે થયેલા મૃત્યુમાં 77 ટકા માત્ર અમદાવાદમાં.

એ વ્યથિત કરનારું છે કે આપણે કોરોનાના દદરદીઓ અને તેનાથી થતાં મૃત્યુના આંકડાની વાત કરીએ છીએ. જે પરિવારોમાં સભ્યો કોરોનાગ્રસ્ત હશે કે ત્યાં કોઇનું મૃત્યુ થયું હશે તે કેવી પીડા અને વ્યથા અનુભવતા હશે? અમદાવાદ ગુજરાત અને દેશના અન્ય શહેરોની તુલનાએ કેમ કોરોનામાં સપડાયું તેનાં કારણોની તપાસ અનિવાર્ય બને છે. છેલ્લા પંદર દિવસમાં આ અંગે કેન્દ્ર સરકારે બે પ્રતિનિધિમંડળ અમદાવાદ મોકલ્યાં, પણ ‘સબ સલામત’ છે એવી છાપ ઉપસી આવે છે. અમદાવાદના એક નાગરિક તરીકે આ શહેરને દાયકાઓથી સમજવાનો મોકો મળ્યો છે, તેના આધારે અહીં કેટલાંક નિરીક્ષણો રજૂ કરું છું.

સ્વતંત્રતા બાદ અમદાવાદે કુદરતી અને માનવસર્જિત કટોકટીનો અનુભવ કર્યો છે. પૂર, દુકાળ અને સામાજિક સંઘર્ષોનો એક ઇતિહાસ સ્વતંત્રતા બાદનો છે. સાબરમતીમાં પૂર જેવી કુદરતી હોનારતોનો અમદાવાદે સામનો કર્યો છે. બીજી તરફ વર્ષ 1969, 1985, 1992 અને 2002નાં કોમી હુલ્લડોએ આ શહેરને છિન્નભિન્ન કર્યુ છે. વર્ષ 1981 અને 1985માં અનામત-વિરોધી આંદોલનોએ અને વર્ષ 2016માં અનામતતરફી પાટીદાર આંદોલનોએ અહમદશાહે વસાવેલા આ નગરના સામાજિક તાણાવાણા વેરવિખેર કર્યા છે. આવા સમયે વખતોવખત, દિવસો સુધી અમદાવાદીઓએ કરફ્યૂનો અનુભવ કર્યો છે. આવા પડકારો અને તેનો સામનો કરવાનો ઇતિહાસ હોવા છતાં કોરોનાએ અમદાવાદને બૂરી રીતે ઘાયલ કર્યુ.

તાજેતરના અમદાવાદમાં સરકાર અને બીજાના પ્રયત્નો જોતાં એક છાપ એવી ઉપસે છે કે અમદાવાદની નાડ પારખનાર નેતૃત્વનો અભાવ છે અથવા એવા નેતૃત્વનો લાભ લેવામાં ન આવ્યો. અમદાવાદને માત્ર ‘હૉટ સ્પૉટ’ની દૃષ્ટિએ જોવામાં આવ્યું. વાસ્તવમાં આ શહેરનું સામાજિક-આર્થિક વર્ગીકરણ કરીને તેને સમજવાની અને તેનો ઉપચાર કરવાની આવશ્યકતા હતી. કુદરતી અને માનવસર્જિત કટોકટી વખતે અમદાવાદને અત્રે દર્શાવેલા ચાર વિભાગોમાં વિભાજિત કરીને સમજ મેળવવી રહી.

અમદાવાદના ચાર વિભાગ

1: અમદાવાદ રેલવે સ્ટેશનની ઉત્તરે આવેલો શ્રમજીવીનો વિસ્તાર, જ્યાં 80થી વધુ કાપડની મીલો બંધ થતાં મોટા પાયે બેકારી આવી. ત્યાં સ્થળાંતરિતોની વસ્તી પણ છે.

2: રેલવે સ્ટેશન અને સાબરમતી નદી વચ્ચે આવેલું શહેર, જે કોટ વિસ્તાર તરીકે ઓળખાય છે. પોળોનું અમદાવાદ. ગીચ વસ્તી હિંદુ-મુસ્લિમ પાડોશ.

3: સાબરમતી નદીને દક્ષિણે આવેલું અમદાવાદ, જે સમૃદ્ધ છે. મહદ્ અંશે હિંદુઓની કહેવાતી ઉપલી જ્ઞાતિઓનો પ્રભાવ છે. શૈક્ષણિક સંસ્થાઓ છે.

4: અમદાવાદ શહેરની ફરતે છેલ્લાં 30 વર્ષમાં વિકસેલું નવું અમદાવાદ.

એવું તો શું બન્યું કે અમદાવાદ આજે ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. આ અંગેના કેટલાંક કારણો-પરિબળો તપાસીએ.

1. અમદાવાદને લૉક ડાઉન કરતાં પૂર્વે એ જાણવું અનિવાર્ય હતું કે શહેરના શ્રમિકો માત્ર ઘેર બેસીને કેટલા દિવસ સુધી રોજગારી વિના ચલાવી શકશે. એ યાદ રહે કે અમદાવાદ મહદ્ અંશે શ્રમિકો અને સ્વરોજગાર કરનારાઓનું શહેર છે.

2. ‘સ્ટે એટ હોમ’ એ સૂત્ર પર ભાર મૂકાયો, તેની પાછળ સામાજિક અંતર અવશ્ય હતું, પણ એ મહદ્દઅંશે સમૃદ્ધ પરિવારો અને ઉચ્ચ મધ્યમવર્ગને ધ્યાનમાં રાખીને દોહરાવાયું.

3. એક મહિના પૂર્વે જ્યારે 282 કેસ હતા ત્યારે એક કોમ પર દોષારોપણ કરવામાં આવ્યું. આ દોષારોપણમાં લગભગ ત્રણ અઠવાડિયાં ચાલ્યાં ગયાં અને એ દિવસોનાં અન્ય કારણ નજરઅંદાજ થઇ ગયાં.

4. દોષારોપણનો સિલસિલો આગળ ચાલ્યો. સમગ્ર અમદાવાદને શાકભાજી પહોંચાડનારા ફેરિયાઓમાં કોરોના દેખાયો, એટલે નવો શબ્દ ‘સુપર સ્પ્રેડર’ લોકોને કલંકિત કરવા લાગ્યો. ભાજીવાળા અને ત્યારબાદ લારીવાળા એમ સુપર સ્પ્રેડરની યાદી લંબાતી ગઇ. એ પૂર્વે કોરોનાના ફેલાવાને કોમી રંગ અપાઈ ચૂકયો હતો.

5. સમૃદ્ધ અમદાવાદ છે, ત્યાં ગીચતા નથી પણ જે શ્રમિકોનું અમદાવાદ છે કે પછી સાંકડી પોળોનું અમદાવાદ છે ત્યાં વસ્તી ગીચતાને કારણે પણ કોરોના ફેલાય એ સ્વાભાવિક છે. ગુજરાતમાં સુરત પછી સૌથી વધુ ઝૂંપડાવાસીઓ અમદાવાદમાં છે. આ વિસ્તાર પણ ગીચ છે. તેમ જ નહાવા માટે કે હાથ ધોવા માટે પાણી ઘરમાં જ સુલભ હોય એવી શકયતા નથી.

6. અમદાવાદમાં શાકભાજી વેચનારા મોટા ભાગના દેવીપૂજક છે. મુસ્લિમ છે કે પછી પાડોશના રાજ્યના સ્થળાંતરિતો છે. શાક એક એવી જીવનજરૂરિયાતની વસ્તુ છે કે જે સૌને જોઇએ. પરંતુ જીવના જોખમે શાકભાજી વેચનારા પર આપણે ઠીકરાં ફોડયાં. તેમના ગ્રાહકો શું કોરોનાગ્રસ્ત ન હોય?

7. સરકાર અને મ્યુનિસિપલ કૉર્પોરેશન કોરોના-નિયંત્રણની નીતિ બદલતાં રહ્યાં. વહીવટકર્તાઓ બદલાયા, પણ સત્તાસ્થાને બેઠેલાઓએ અમદાવાદના વિદ્યાર્થીઓ અને જ્ઞાતિ સંગઠનો કે અન્ય નાગરિક સંસ્થાઓની ભાગીદારી વિશે ગંભીરતાથી વિચાર્યુ નહીં. ચૂંટણીસમયે કે છેલ્લે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની મુલાકાત સમયે લોકભાગીદારીનો જે ઉત્સાહ હતો, એ વર્તમાન મહામારીમાં ન દેખાયો. વિદ્યાર્થીઓ જાહેરમાં ન આવે તે સમજાય એવું ને જરૂરી છે પરંતુ તે સોશિયલ મીડિયાથી સતત જોડાયેલા રહે છે. યુનિવર્સિર્ટીઓએ આવા લાખો વિદ્યાર્થીઓને કોરોનાનિયંત્રણની જાગૃતિમાં જોડવા જોઇતા હતા. આ જ રીતે શહેરનાં જ્ઞાતિસંગઠનો પણ ભૂલાઈ ગયાં.

8. અમદાવાદના જે વિસ્તારોમાં કોરોનાનો એક પણ કેસ ન હતો કે મર્યાદિત કેસ હતા ત્યાં જુદી રણનીતિ અપનાવવાની જરૂરિયાત હતી. ત્યાં જાગૃતિ માટેની વિશેષ ગંભીરતા ન જણાઈ, ટી.વી. અને છાપાઓએ માહિતી આપીને કામ કર્યુ, પણ ‘સુપર સ્પ્રેડર’ વિશે રોજેરોજ પ્રસિદ્ધિ અપાતાં નકારાત્મક વાતાવરણ સર્જાયું.

9. એચ.આઇ.વી. એઇડ્સ રોકથામ વિશેનો મારો અનુભવ સ્પષ્ટ કરે છે કે જ્યારે કોઇ વિશેષ સમુદાયને ટારગેટ કરવામાં આવે ત્યારે આવા સમુદાયોમાં ભય ફેલાય છે અને તેઓ અન્ડરગ્રાઉન્ડ જતા રહે છે. કરફ્યૂમાં ઢીલ આપી ત્યારે જૂની પરંપરા પ્રમાણે બહેનોને મુક્તિ આપી. તેના કારણે બહેનોમાં પણ ચેપ ફેલાવાની શકયતા વધી ગઈ.

મહામારીનો પ્રભાવ અંતે તો લોકો પર જ હોય છે પણ લોકો સમાન નથી. તેઓની સામાજિક-આર્થિક લાક્ષણિકતાઓની સમજ મહામારીના નિયંત્રણમાં મદદરૂપ થાય છે.

e.mail : gaurang_jani@hotmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 17 મે 2020

Loading

જીવતા રહીશું તો ફરી આવીશું, સાહેબ*

કૌશિક અમીન|Opinion - Opinion|17 May 2020

જીવતા રહીશું તો ફરી આવીશું, સાહેબ,
તમારા શહેરોને આબાદ કરવા.

ત્યાં જ મળીશું ગગનચૂંબી ઈમારતો પછીતે,
પ્લાસ્ટિક છાજલીથી ઢાંકેલી ઝૂંપડપટ્ટીઓમાં.

ચાર રસ્તે ઓજારોના થેલા સાથે,
કારખાનાઓના ઓકતા કાળા ધુમાડા જેવી હોટલો ને ઢાબા પર ખાવાનું પકાવતા.

વાસણ માંજતાં, કપડાં ધોતાં,
ગલી ગલી ને ચોકમાં ફેરી કરતા,
સાયકલ રિક્ષા ખેંચતા.

ઓટો રિક્ષા ચલાવતા,
પરસેવે રેબઝેબ થતા,
તમને તમારા મુકામે પહોંચાડતા.

ક્યાંક ને ક્યાંક તો ફરી મળીશું તમને,
પાણી પીવડાવતા કે
સાંચામાં શેરડીના સાંઠા પિલતા.

કપડાં ધોતાં, ઈસ્ત્રી કરતા,
શેઠની ભાડે લીધેલી રેંકડી પર
સમોસાં તરતાં કે પાણીપૂરી વેચતા.
ઈંટવાડા પર ધૂળિયા વેશે,
કે તેજાબથી ઘરેણાં ચમકાવતા,
સ્ટીલનાં વાસણોને બફ પોલિશ કરતા.

મોરાદાબાદના પિત્તળનાં કારખાનાથી લઈને,
ફિરોજાબાદની બંગડી સુધી.

પંજાબના લહેરાતા ખેતરોથી લઈ,
ગોવિંદ ગઢની લોહભઠ્ઠીઓ સુધી,
પૂર્વના ચાના બગીચાઓથી લઈને અલંગના જહાજવાડાઓ સુધી.
અનાજ મંડીઓમાં ગુણો ઊંચકતા ઠેર ઠેર હોઈશું અમે.

બસ ફક્ત એક મહેરબાની અમારી પર કરજો, સાહેબ,
આટલી વાર અમને અમારા ઘેર પહોંચાડી દો.

ઘરે બુઢ્ઢી મા છે, બાપ છે, જવાન બહેન છે.
મહામારીની ખબરો સાંભળી,
તે સહુ બહુ પરેશાન છે.
ભેગા મળી એ સહુ,
કાકા, કાકી, માસા, માસી
વાટ જુએ છે અમારી.

ના રોકશો હવે અમને,
બસ અમને જવા દો,
તૂટી ચૂક્યો વિશ્વાસ તમ શહેરીઓથી,
એ ફરી જતાવવા અમને થોડો સમય આપો.

અમે ય માણસ છીએ તમારી જેમ જ,
એ વાત અલગ છે અમારા શરીરે છે,
પરસેવે ગંધાતા પહેરેલાં જૂનાં કપડાં,
તમારા જેવાં ચમકતાં કપડાં નથી.

સાહેબ, ચિંતા ન કરો,
વિશ્વાસ ફરી જો પડશે
તો ફરી પાછા આવીશું.
જીવતા રહીશું
તો ફરી પાછા ચોક્કસ આવીશું.

આમ તો જીવવાની આશા નહિવત્ જ છે,
અને મરી ગયા તો ……
અમને આટલો હક તો હવે આપો,
અમને અમારા વતનની ધૂળમાં સમાઈ જવા દો.

આપે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે
ખવડાવ્યું તેનો દિલથી આભાર.
અમારા ઝોળામાં ફૂડપેકેટ બનાવી બનાવીને નાંખ્યા
એનો પણ આભાર.
આખરે તમે ય ક્યાં સુધી અમને ખવડાવશો?
સમયે તમને પણ લાવી દીધા અમારી બરોબર
પછી અમને કેમ જમાડશો?

તો પછી કેમ નથી જવા દેતા અમને અમારે ઘર, અમારે ગામ.
તમને મુબારક છે આ ચકાચોંધ ભર્યું શહેર તમારું.
અમને અમારા જીવથી વહાલું
ભોળું ભલું ગામ અમારું.

[ઘર તરફ ઉચાળા ભરી રહેલા શ્રમિકોના દિલમાં પડઘાતો અવાજ સંભ્રમિત શહેરીઓને સમર્પિત.]

મૂળ હિંદી અજ્ઞાત સર્જકની રચનાનો ભાવાનુવાદ.

 યુ.એસ.એ.

e.mail : Kaushikamin@hotmail.com

Loading

...102030...2,3782,3792,3802,381...2,3902,4002,410...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved