Opinion Magazine
Number of visits: 9966114
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બ્રાહ્મમુહૂર્તે અઝાન

વલીભાઈ મુસા|Opinion - Short Stories|6 August 2020

દિવાળીના તહેવારની સળંગ ત્રણ રજાઓનો આજે બીજો દિવસ હતો. ભિવંડીની લગભગ તમામ પાવરલુમ્સ ફેક્ટરીઓ આખું વર્ષ ત્રણેય શિફ્ટમાં ચાલતી, પણ વર્ષાંતે આ બોતેર કલાક સંપૂર્ણ લોકડાઉન રહેતું અને આખો ઈન્ડસ્ટ્રીઅલ એરીઆ કબ્રસ્તાનની શાંતિમાં ફેરવાઈ જતો. મારી નોકરી હંમેશ માટે રાતપાળીની જ રહેતી હતી અને ભવિષ્યે પણ એમ જ રહેવાની હતી, કેમ કે એ શરતે જ તો મને કામ મળ્યું હતું. મારી પાળી રાત્રે દસથી સવારના છ વાગ્યા સુધી રહેતી અને આમ આખું વર્ષ મારા માટે દિવસ એ રાત અને રાત એ દિવસ બની રહેતાં. કહેવાય છે કે સોબત તેવી અસર અને તે ન્યાયે હું પણ યંત્ર સાથે કામ કરતાં કરતાં યંત્ર બની ગયો છું. જોજો પાછા કોઈ ગેરસમજ ન થવી જોઈએ કે હું સંવેદનાશૂન્ય યંત્રમાનવ(રોબોટ)માં ફેરવાઈ ગયો છું; પરંતુ હા, એટલું તો ખરું જ કે હું ઘડિયાળના કાંટે ચાલતો સંવેદનશીલ માનવયંત્ર તો અચૂક બની ચૂક્યો છું.

આ સળંગ ત્રણ રજાઓમાં મારે માનવયંત્રમાંથી માત્ર અને માત્ર માનવ જ નહિ; પરંતુ એક પાગલ પ્રેમી બની રહેવાનું છે, મારી સલમાના દીવાના બની રહેવાનું છે અને તે માટે વાલદૈને સંતાનો સાથે વતનમાં ચાલ્યાં જઈને સાનુકૂળ માહોલ પણ પૂરો પાડ્યો છે. જો કે એક વિકટ કોઠો તો મારે જ જીતવાનો છે અને તે છે, જેટલોગને પરાસ્ત કરવાનો; મારે મારી સલમાના દિવસરાતમાં ગોઠવાઈ જવાનો અને તેના હૃદયાંચલમાં સમાઈ જવાનો!

સાયંકાલીન નમાજ પછીનું ભોજન પતાવીને હું મુખવાસ ચગળતો ચગળતો ટેરેસ ઉપર પહોંચી ગયો અને સલમાની રાહ જોવા માંડ્યો. આજે પણ અગાઉનાં વર્ષોની જેમ સલમાએ ફૂલછોડનાં કૂંડાંઓને ટેરેસ ઉપર સજાવ્યાં હતાં અને સીરીઝ લાઈટની રોશની પણ કરી હતી. સરકારી જાહેરાત અનુસાર નિશ્ચિત ડેસિબલ અવાજની મર્યાદાવાળા ફટાકડા રાત્રિના આઠથી દસ વાગ્યા સુધી ફૂટવાના હતા. હું ટેરેસ ઉપર ઊભો ઊભો આકાશમાંની આતશબાજીના નજારાને માણતો વિચારી રહ્યો હતો કે સલમા તેનાં કામ જલદી પતાવીને ઉપર આવી જાય તો સારું; અને લ્યો, તે આવી પણ ગઈ. જમ્યા પછીના મારા પ્રિય ડેઝર્ટ ફાલૂદાની તપેલી અને બે ગ્લાસને ટિપોય ઉપર મૂકતાં સલમાએ કહ્યું, ‘જમીલ, ફટાકડા ફોડવાની ઇચ્છા હોય, તો લઈ આવું; મેં છોકરાંને આપ્યા પછી થોડાક રાખી મૂક્યા છે.’

મેં મજાક કરતાં જવાબ વાળ્યો, ‘મારી ફટાકડી સામે એ ફટાકડાઓની શી ઓખાત?’

‘લુચ્ચા! શું હું ફટાકડી છું?’

‘હા, હાલ સુધી તો ફિગર જાળવી રાખ્યું છે, એટલે ફટાકડી ખરી; પણ આવી જ કાળજી ચાલુ નહિ રાખે તો કોઠી થતાં વાર નહિ લાગે! ખુદાનખાસ્તા એમ થયું તો મારે બીજી ફટાકડી લાવવી પડશે, હોં!’

‘એ ઉંમરે તો તમે પણ કોઠા જ થઈ ગયા હશો અને કોઠાને તો કોઠી જ મળે!’ આમ કહેતાં તેણે મારો કાન આમળ્યો.

‘સલમા, હવે એ ગમ્મતની વાત રહેવા દે તો હું તારી સાથે થોડીક ગંભીર વાત કરવા માગું છું.’

‘જુઓ જમીલ, ચિંતા થાય તેવી વાત હોય તો મોજમજા માણવાના આ તહેવારના દિવસોમાં મારે એ નથી સાંભળવી. આમ અચાનક જ ટોળટપ્પાના આનંદમાં તમે વિક્ષેપ નાખી રહ્યા છો.’

‘જો સલમા, પતિ જ્યારે હતાશ થાય, ત્યારે પત્ની જ તેનો સહારો બની રહે છે. વળી કુદરતનો કરિશ્મા પણ એવો હોય છે કે એવા ટાણે પત્નીમાં કોણ જાણે ક્યાંથી એવી શક્તિ ઊભરી આવતી હોય છે કે જે થકી તે પતિની હતાશાને પળવારમાં દૂર કરી દે છે.’

’હવે મૂળ વાત ઉપર આવશો કે મને પતંગની જેમ ઊંચે ને ઊંચે હવામાં ઉડાડ્યે જ જશો!’ સલમાએ કાજળમઢી આંખો ઉલાળતાં કહ્યું.

‘સલમા, ગઈકાલે રાત્રે મોડેથી પણ તું ઘસઘસાટ ઊંઘતી હતી, જ્યારે મારે તો ‘કરવટેં બદલતે રહે, સારી રાત હમ, આપકી કસમ’ જેવું થઈ રહ્યું. જેટલોગની પહેલી રાત્રિ અને વધારામાં આખી રાત આવતાં જતાં વિમાનોની ઘરઘરાટી, વાહનોની અવરજવર, ભસતાં કૂતરાં વગેરે અવાજોએ જરા ય આંખ મળવા ન દીધી. પરંતુ પછી તો કોણ જાણે મંદમંદ હવાની લહેરકીથી છેક મોડે ઊંઘમાં સરી પડ્યો, જે અઝાનના અવાજે હું જાગી ગયો હતો. મને પેલા બાહ્ય અવાજો જ નહિ, મારા અંતરનો અવાજ પણ મને સતાવી રહ્યો હતો. મારા અંતરનો અવાજ મને કહી રહ્યો હતો કે આપણે મુંબઈ છોડીને વતનભેગાં થઈ જઈએ. આજકાલ દેશની શાંતિ એવી ડહોળાઈ ગઈ છે કે સૌ કોઈ અજંપો અનુભવે છે; અને એમાં ય ખાસ તો આપણે મુસ્લીમો અગાઉ કદી ય નહિ એવી અસલામતી અનુભવી રહ્યા છીએ. એક પછી એક આવ્યે જતા મુદ્દાઓમાં હવે વહેલી સવારની અઝાનનો મુદ્દો ચગાવવામાં આવી રહ્યો છે. તોફાનો ફાટી નીકળે અને આપણે ભોગ બનીએ તે કરતાં રોજીના રઝાકાર અલ્લાહ ઉપર ભરોંસો રાખીને મુંબઈને અલવિદા કહેવામાં આપણી ભલાઈ છે. મારી જિંદગીમાં આવી હતાશા મેં ક્યારે ય અનુભવી નથી.’

‘આ તો મહિનાઓથી ચાલી રહ્યું છે અને તમને અચાનક આજે કેમ આ યાદ આવી ગયું. કોઈની સાથે આ મુદ્દે કોઈ ચડભડ થઈ છે કે શું?’

‘સલમા, તને મારા સ્વભાવની ખબર છે જ કે આવા સંવેદનશીલ મુદ્દાઓ અંગે હું કદી ય કોઈની સાથે વાદવિવાદમાં ન જ ઊતરું! પરંતુ કાને પડતું હોય કે જાણી જોઈને પાડવામાં આવતું હોય તેનાથી તો કઈ રીતે બચી શકાય! અમારી ફેક્ટરીના માલિક મુસ્લીમ છે અને ત્યાં કામ કરતા લગભગ ૮૦% જેટલા કામદારો બિનમુસ્લીમ છે. મારા બ્લોકમાં અમે વીસ કારીગરો છીએ, જેમાં હું એકલો જ મુસ્લીમ છું. મારા મિલનસાર સ્વભાવના કારણે બધા મને ખૂબ માનસન્માન આપે છે. ચારેક જણ તો મારા જિગરી દોસ્ત બની ગયા છે. હવે છેલ્લા એકાદ અઠવાડિયાથી એક બદલી કામદાર આવે છે, જે હજુ ત્રણ દિવસ રહેવાનો છે. પહેલી નજરે જ આપણને તે રૂક્ષ અને ટપોરી જ દેખાય. એ બીજાઓ સાથે ભળવાનો પ્રયત્ન કરે છે, પણ મારાથી તો દૂરી જ રાખે છે. વળી એટલું જ નહિ, તે મને કરડી નજરે જોતો હોય એવું લાગ્યા કરે. અમારાં મજદૂર યુનિયનો કોઈક ને કોઈ રાજકીય પક્ષના પ્રભાવ હેઠળ હોય છે. અમારી ફેક્ટરીના તમામ કારીગરો આઝાદી વખતે સ્થપાયેલા જૂનામાં જૂના રચનાત્મક અભિગમ ધરાવતા યુનિયનના સભ્યો છે, જ્યારે પેલો વિધ્વંસક વિચારધારા ધરાવતા અન્ય કોઈ યુનિયનનો સભ્ય હોઈ શકે છે. પરમ દિવસે તે એક કારીગર કે જે તેને અવગણતો હોવા છતાં તે તેની સાથે પરાણે વાત કરતો હતો. જોગાનુજોગ વેફ્ટ થ્રેડ (વાણો) ખલાસ થવાના કારણે તેની ત્રણ પાવરલુમ એક સાથે બંધ પડતાં તેના શબ્દો મને સ્પષ્ટ સંભળાયા કે ‘મસ્જિદોનાં ભૂંગળાંને તોડીફોડી નાખવાં જોઈએ’. બસ, એટલું સાંભળતા જ મારો મુડ ગયો અને ત્યારનો હું હતાશામાં ઘેરાઈ ગયો છું. અહીં આપણને વાંધો એ છે કે પ્રજા જો કાયદો હાથમાં લે તો સરકારની શી જરૂર રહે! ત્રણ તલાક, હજ સબસિડી વગેરે કાયદા દ્વારા નાબૂદ થયાં, તેમાં મુસ્લીમોએ શાંતિ જ જાળવી રાખી હતી ને! પહેલી નજરે ઘોર અન્યાય દેખાતા બાબરી મસ્જિદના ચુકાદાને મને કે કમને મુસ્લીમોએ માન્ય રાખ્યો. મુકદ્દમો હારનારને પણ ખુશ કરવામાં આવે તેવું વિશ્વના ન્યાયતંત્રના ઇતિહાસમાં પ્રથમ વાર બન્યું હશે! મૂળ મુદ્દા ઉપર આવું તો માઈક ઉપર સવારની અઝાનને કાયદો પસાર કરીને બંધ કરાવી શકાય. આઝાદી પછી કોણ જાણે કેટલાં ય રમખાણો લોકો વડે કાયદો હાથમાં લેવાના કારણે જ થયાં અને કેટલા ય નિર્દોષોનો ભોગ લેવાયો.’

સલમા ફાલૂદાના બે ગ્લાસ ભરી લાવીને મારી પાસે ઝૂલા ઉપર બેસતાં બોલી, ‘હવે મને જરા કંઈક કહેવા દેશો, પ્લીઝ? તમે કહો છો કે માઈક ઉપર સવારની નમાઝની અઝાનને કાયદા દ્વારા બંધ કરાવી શકાય. પરંતુ મારું માનવું છે કે આવો કાયદો ઘડવો જ ન પડે એ દિશામાં શું ન વિચારી શકાય? શું મુસ્લીમો વગર કાયદાએ આ આચારસંહિતાનું પાલન ન કરી શકે? કોઈને કોઈપણ પ્રકારની હાનિ ન પહોંચાડવાનો ઈલાહી કાનૂન શરિયતમાં મોજૂદ હોવા છતાં દુન્યવી આવો કાયદો પસાર થવાની રાહ જોવી કે એવી તાર્કિક દલીલ આપવી તે ઈસ્લામના માનવતાવાદી અને શાશ્વત કાયદાનો ઈન્કાર કરવા બરાબર નથી શું?’

‘સલમા, માની લે કે આપણે તારા કહેવા પ્રમાણે આ પ્રશ્નનો નિવેડો લાવીએ; પણ એ લોકો નવું કંઈક લાવશે, તો દરેક વખતે આપણે જ નમતું નાખવાનું?’

‘હા, જો એમના દરેક વાંધામાં વ્યાજબીપણું હોય અને આપણા શરિયતી કોઈ કાનૂનનો ભંગ ન થતો હોય, તો દરેક વખતે નમતું મૂકવું જ જોઈએ.’

હું સલમાની મક્કમતાપૂર્વકની ધારદાર દલીલોને સાંભળીને મનોમન પોરસાતો રહ્યો. ગ્રેજ્યુએટ સલમાની વાકપટુતા અને બોલતી વખતે પાંપણોને પટપટાવતી તેની આંખો સામે હું જોતો જ રહ્યો.

‘તારી વાત સાથે હું સહમત છું. પરંતુ મને બીજો એક વિચાર આવે છે કે દરેક ધર્મમાં ઈશ્વરસ્મરણ કરવાનો ઉત્તમ સમય વહેલી પરોઢ નહિ હોય?’

‘બીજા ધર્મોની તો મને ખબર નથી, પણ આપણી અઝાન સામે જેમને વાંધો છે; તેવી આપણી ભાઈબંધ કોમ માટે સૂર્યોદય પહેલાં ‘બ્રાહ્મમુહૂર્ત’નો સમય હોય છે, તેવું અબ્બુ કહેતા હતા. વળી યુનો દ્વારા ૨૧મી જૂનને યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે, તે યોગ કરવા માટેનો આદર્શ સમય પણ બ્રાહ્મ મુહૂર્ત દરમિયાન જ હોવાનો વિદ્વાનોનો મત છે. આપણા વતનના અબ્બુના એક બ્રાહ્મણ મિત્રનું કહેવું હતું કે આપણે મુસ્લીમો સાચે જ બ્રાહ્મમુહૂર્તના સમયે જ ઈશ્વર-અલ્લાહને પ્રાર્થીએ છીએ અને તેથી આપણે સાચા બંદા છીએ. તેમની વાત સાચી જ છે, કેમ કે આપણે પણ તે સમયને નૂરવેળા કહીએ છીએ. બ્રાહ્મમુહૂર્તના માહાત્મ્યને એ લોકો સમજે તો તે સમય ચૂકી ન જવાય તેની ચિંતામાં રાત્રે તેઓ ઠીક રીતે ઊંઘી પણ ન શકે! વળી તે જ રીતે મુસ્લીમો પણ અલ્લાહની આભારવશતા દર્શાવતાં તેઓ સજદામાંથી માથું ઊચું પણ ન કરે. જો કે આપણામાં પણ એવા કોઈ આકડા જેવા હોઈ શકે કે જેઓ દિવસ ઊગ્યા પછી કજા નમાજો પઢતા હોય! ’

‘સલમા, બ્રાહ્મમુહૂર્તના સમયની તને જાણ હોય તો મને બતાવ ને કે જેથી મારા સાથીમિત્રોને હું સમજાવી શકું. બે સમુદાય વચ્ચેની આવી હકારાત્મક વાત હાલ ભલે થોડા માણસો સુધી પહોંચે, પણ છેવટે તો વધુ ને વધુ આગળ ફેલાવાની જ છે.’

‘અબ્બુનું કહેવું હતું કે સાધકોની કક્ષા પ્રમાણે ત્રણ પ્રકારનાં બ્રાહ્મમુહૂર્ત છે. સૌથી વધારે લાંબા સમયગાળાનું કે જે થોડું કઠિન કહેવાય, તે રાત્રિના ત્રણ વાગ્યાથી સૂર્યોદય સુધીનું છે; જે ખાસ કરીને વયોવૃદ્ધો કે જેમને ઓછી ઊંઘ આવતી હોય અને બીજા જે વહેલા સૂઈ જનારા હોય તેમને લાગુ પડતું હોય છે. બીજું મધ્યમ સમયગાળાનું બ્રાહ્મમુહૂર્ત કે જે ભક્તકવિ નરસિંહ મહેતાના મતે છ ઘડી એટલે કે સૂર્યોદય પહેલાંની ૧૪૪ મિનિટથી શરૂ થાય. ત્રીજું વધારે પ્રચલિત અને દરેકને અનુકૂળ પડે તેવું ટૂંકામાં ટૂંકું બે ઘડી એટલે કે ૪૮ મિનિટનું બ્રાહ્મમુહૂર્ત છે. હવે જોવાની ખૂબી એ છે કે આપણી ફજર(સુબ્હ)ની નમાજ માટેની અઝાન સૂર્યોદયની ૮૦ મિનિટ પહેલાં થતી હોય છે, જે પેલા ત્રીજી કક્ષાના સાધકોને સ્નાનશૌચાદિ માટે ૩૨ મિનિટ પહેલાં જગાડે છે. અબ્બુના મિત્રનું કહેવું હતું કે અમારામાંના સૂર્યવંશીઓ (!) કે અઘોરીઓ જે મોડી રાત સુધી રખડતા હોય છે, તડકા ચઢ્યે પથારી છોડતા હોય છે અને જેમને ધર્મધ્યાન સાથે કોઈ લેવાદેવા હોતી નથી; તેવાઓને તમારી અઝાનથી ઊંઘમાં ખલેલ પહોંચતી હશે, પણ અમારા જેવાઓ માટે તો એ અઝાન આશીર્વાદરૂપ છે.’

‘સલમા, તારી આ સમજૂતિથી એક વાત તો સ્પષ્ટ થઈ કે આપણી અઝાન બ્રાહ્મમુહૂર્ત દરમિયાન જ થતી હોય છે, પરંતુ રાજકારણીઓના હાથા બનેલા ઉપદ્રવીઓ જ અઝાનના મુદ્દે આવા બખેડા ઊભા કરતા હોય છે. થોડાક સમજદાર માણસો આ વાત સમજે તો સવારની અઝાનનો વિવાદ એ વિવાદ રહેતો જ નથી. એક વાત કહું કે તું જે રીતે આ બધું મને સમજાવી શકી છે, તે રીતે હું મારા સાથીમિત્રોને સમજાવી નહિ શકું; માટે આપણે મારા એ મિત્રોને આપણા ત્યાં ભોજન માટે સજોડે નિમંત્રીએ અને તું જ તેમને સારી રીતે સમજાવી શકે તો કેવું સારું!’

‘બહુ જ સરસ. તમારી પાસે તેમના મોબાઈલ નંબર હોય તો હાલ જ તેમને કાલે બપોરના જમણ માટે નિમંત્રણ આપી દો. બીજી એક વાત કે હું આપણા મુસ્લીમ સમુદાય માટે હાલ તેઓ જે કરી રહ્યા છે તેમને ક્લિન ચીટ નથી આપી રહી, તેમણે પણ આ બાબતે કેટલીક ખોટી પ્રણાલિકાઓને છોડવી જ પડશે. આપણા સમુદાયમાં બધી જ મસ્જિદોમાં એક જ સમયે અઝાન થઈ જતી હોય છે, જ્યારે બીજા સમુદાયોમાં મસ્જિદે મસ્જિદે વારાફરતી અઝાનો થતી હોય છે; જેના કારણે શહેરોમાં આ અઝાનની પ્રક્રિયા અડધાપોણા કલાક સુધી ચાલુ રહેતી હોય છે, જે ગેરવ્યાજબી કહેવાય. બીજું રમઝાન માસમાં રોઝાના અને નમાજના પ્રારંભ માટે અમુક સમય બાકી, અમુક સમય બાકી તેવાં એલાનો થતાં રહે છે, તે પણ ખોટું છે. ત્રીજી છેલ્લી વાત કે તમારી ફેક્ટરીમાં જેમ ૮૫ ડેસિબલ સુધીના અવાજની મર્યાદા હોય છે, તેમ વસવાટનાં સ્થળોએ દિવસે ૫૫ ડેસિબલ અને રાત્રે ૪૫ ડેસિબલ સુધીના ઉપકરણોના અવાજો માન્ય છે. આમ અઝાન માટેના માઈકના અવાજના જે તે નિયમનું પણ પાલન થવું જોઈએ.’

‘વાહ, સલમા વાહ! તારી સમજદારી અને કાયદાકાનૂનોની જાણકારીને વખાણવા મારી પાસે શબ્દો નથી, માટે જો બેચાર શબ્દો ઉછીના આપે તો તને વખાણી લઉં!’

‘જુઓ વધારે હોશિયારી બતાવવાની અને મસ્કા મારવાની કોઈ જરૂર નથી. હવે તાકીદનું કામ હાથ ધરો અને તમારા મિત્રો સાથે કન્ફર્મ કરી લો, જેથી સવારે કેટલા જણની રસોઈ બનાવવી તેની મને ખબર પડે.’

‘યસ, બેગમ.’

સલમા ગ઼ાલિબના એક શેરને ગણગણતી અમારી સુખશય્યાને તૈયાર કરવામાં લાગી ગઈ:

યા-રબ વો ન સમઝે હૈં ન સમઝેંગે મિરી બાત


દે ઔર દિલ ઉન કો જો ન દે મુઝ કો જ઼બાઁ ઔર

‘શેર-ઓ-શાયરીમાં મને પણ ઘેલું લગાડનાર સલમાએ જાણે કે આવતી કાલના પોતાના મિશનની સફળતા માટે બીજા મિસરામાં ખુદાને દુઆ કરી લીધી કે કાં તો એ લોકોના દિલમાં એવું પરિવર્તન લાવે કે તેઓ તેની વાતને સમજી શકે અથવા તો પોતાની જીભને એવી શક્તિ આપવામાં આવે કે જે થકી એ તેમનાં દિલોને સ્પર્શે તેવી રીતે તેમને એ વાત સમજાવી શકે. આ દુઆ માટેનું કારણ પહેલા મિસરામાં એ છે કે શાયરના દિલની એ વાત તેઓ સમજ્યા નથી અને સમજશે પણ નહિ; આમ છતાં ય શાયરની દુઆથી એવી આશા બંધાય છે કે પ્રયત્નનું સુખદ પરિણામ આવે પણ ખરું! જો કે આ શેર ઇશ્ક અને માશૂકા સંબંધિત હોવા છતાં અહીં બરાબર બંધ બેસે છે.’

આમ વિચારતાં વિચારતાં મારાથી સલમાને શાબ્દિક દાદ અપાઈ ગઈ, ‘આફરિન….આફરિન…’.

સલમાએ પણ શાયરાના અંદાઝમાં મને ઝૂકીને જવાબ વાળ્યો, ‘શુક્રિયા, જનાબ.’

e.mail : musawilliam@gmail.com

Loading

માર્કસ અને ગાલિબનો પત્રવ્યવહાર *

અનુવાદ : રૂપાલી બર્ક|Opinion - Opinion|6 August 2020

માર્ક્સનો પત્ર

રવિવાર, એપ્રિલ ૨૧, ૧૮૬૭.

લંડન, ઇંગ્લૅન્ડ

પ્રિય ગાલિબ,

પરમ દિવસે મારા મિત્ર એન્જ્લ્સનો પત્ર મને મળ્યો. એની અંતિમ પંક્તિઓથી હું ખૂબ પ્રભાવિત થયો. ઘણી જહેમત પછી જાણવા મળ્યું કે તે મિરઝા અસદુલ્લાહ ખાન ગાલિબ નામના ભારતીય શાયરે લખેલી હતી. ભાઈ, આ તો ગજબ કહેવાય! મેં કદી ધાર્યું ન હતું કે ગુલામીમાંથી આઝાદી માટેની ક્રાંતિકારી ભાવના ભારત જેવા દેશમાં આટલી વહેલી પાકી જશે! ગઈકાલે એક લોર્ડની અંગત લાયબ્રેરીમાંથી મને તમારી શાયરીનાં બીજાં પુસ્તકો મળ્યાં. આ પંક્તિ તો કમાલની છે :

हम को मालूम है जन्नत की हक़ीक़त लेकिन,
दिल को बेहेलाने को ग़ालिब ये ख़याल अच्छा है।

તમારી શાયરીની આગલી આવૃત્તિમાં મજૂરોને સંબોધીને વિગતવાર લખજો : “સ્વર્ગની જાદુઈ દુનિયામાં તમને પહોંચાડીને જમીનદારો, વહીવટદારો અને ધર્મધૂરંધરો તમારી મહેનતનું ફળ ચૂસી જાય છે. આમ તો, જો તમે અમુક આવી પંક્તિઓ લખો તો સારું :

दुनियाभर के मजदूरो, मुताहिद हो जाओ।

ભારતીય શૈલી અને કાવ્યાત્મકતાનો મને ઝાઝો ખ્યાલ નથી. તમે શાયર છો, કાવ્યની સીમાઓમાં રહીને તમે કશું માતબર લખો છો. જે પણ હોય, તમારો મુખ્ય લક્ષ્ય લોકોમાં એના સંદેશ મારફતે ઉર્જાનો સંચાર કરવાનો છે. વધુમાં, મારી સલાહ છે કે તમે ગઝલ કે શાયરી જેવી ફુરસદમાં થતી રચનાઓ કરવાનું છોડીને અછાંદસ તરફ વળો જેથી ઓછા સમયમાં તમે વધુ લખી શકો અને જેટલું વધારે લખો એટલું કંગાળ લોકોને વાંચવાનું અને મનન કરવાનું વધારે ભાથું મળી શકે.

કોમ્યુનિસ્ટ મૅનિફૅસ્ટોની ભારતીય આવૃત્તિ સાથે પ્રથમ ભાગ, જેનો અનુવાદ દુર્ભાગ્યવશ હાલ ઉપલબ્ધ નથી, મોકલી રહ્યો છું. જો તમને આ પસંદ પડે તો આગલી વખતે વધુ સામગ્રી મોકલી આપીશ. હાલના સમયમાં ભારત સામ્રાજ્યવાદીઓનો અડ્ડો બની ગયું છે. શોષિત અને દમિત લોકોનો સહિયારો પ્રયત્ન જ તેમને શોષણકર્તાઓની ચુંગાલમાંથી બચાવી શકશે.

એશિયાના વિદ્વાનોના જૂનવાણી અને અવ્યવહારુ વિચારોને બદલે તમારે પશ્ચિમના આધુનિક તત્ત્વદર્શનનો અભ્યાસ કરવો જોઈએ. મોગલ રાજાઓ અને નવાબોની દંતકથાઓ અને પ્રસંશા લખવાનું મૂકીને લોકોના ક્રાંતિકારી મુદ્દા ઉઠાવતું સાહિત્યનું સર્જન કરો. ક્રાંતિ ઢુકડે છે. ગુરુ અને શિષ્યની પરંપરા લુપ્ત થઈ જવાનો સમય આવી રહ્યો છે.

ભારતને ક્રાંતિ ભણી અવિચલ માર્ગ મળે એવી આશિષ પાઠવું છું.

તમારો,

કાર્લ માર્ક્સ

~

ગાલિબનો ઉત્તર

સપ્ટેમ્બર ૯, ૧૮૬૭.

મને તમારો પત્ર અને કોમ્યુનિસ્ટ મૅનિફૅસ્ટો મળ્યા. જવાબમાં શું લખું? પ્રથમ, તમારી વાત સમજવી ખૂબ અઘરી લાગે છે. બીજુ, લખવા અને બોલવા માટે હું હવે બહુ વૃદ્ધ થઈ ચૂક્યો છું. આજે એક મિત્રને પત્ર લખ્યો એટલે થયું તમને પણ લખું. ફરહાદ (ગાલિબની એક ગઝલમાં આવતો ઉલ્લેખ) અંગેનો તમારો ખ્યાલ ભૂલ ભરેલો છે. તમે ધારો છો એવો મજૂર નથી એ. બલકે તે એક પ્રેમી છે. જો કે પ્રેમની તેની વિભાવનાથી હું પ્રભાવિત નથી. તે પ્રેમમાં પાગલ છે અને તેની પ્રેમિકા ખાતર આખો વખત આત્મહત્યાનો વિચાર કર્યા કરે છે. અને તમે કેવા ઇન્ક્લાબની વાત કરો છો? એ તો ભૂતકાળ બની ચુક્યો છે. દસ વર્ષ પૂર્વે સમાપ્ત થઇ ચુક્યો છે. હવે તો અંગ્રેજો છાતી કાઢીને ફરી રહ્યા છે અને અહીં બધાં જ એમના ગુણગાાન ગાવા લાગ્યા છે. રાજવી ઠાઠ અને જાહોજલાલી હવે ભૂતકાળ બની ચુક્યા છે. વળી, ગુરુ-શિષ્ય પરંપરા એની આકર્ષકતા ગુમાવી રહી છે.

જો તમારા માન્યામાં ન આવતું હોય તો દિલ્હીની મુલાકાત લઈને સાક્ષાત જોઈ લો …. વળી, આ દિલ્હી પૂરતુ સીમિત નથી. લખનઉનો હાર્દ પણ લુપ્ત થઈ રહ્યો છે … ક્યાં ગઈ એ તહેઝીબ … એ સજ્જનો! હવે, કયાં ઇન્કલાબની ભવિષ્યવાણી કરો છો? મને જાણવા મળ્યું કે તમારા પત્રના મધ્યમાં તમે કાવ્યશૈલી બદલવાનું સૂચન કર્યું છે. તો તમને કહી દઉ કે કવિતા ઘડી શકાતી નથી, એ સહજ રીતે સ્ફૂરે છે. અને મારો કિસ્સો બહુ સ્પષ્ટ છે. જ્યારે વિચારો વહેતા આવે છે, તે કોઈ પણ સ્વરૂપમાં ભળી જાય છે, ગઝલ કે શાયરી.

હું માનું છું કે કાવ્યની દુનિયામાં ગાલિબની શૈલી અદ્વિતીય છે. એના જ લીધે રાજાઓ રહ્યા નથી. અને મારી સારસંભાળ લેતા નવાબો અને જજમાનોથી પણ મને વંચિત કરવા માગો છો …

એમની પ્રસંશામાં થોડી પંક્તિઓ કહી નાખું તો એમાં નુકશાન શું છે?

તત્ત્વદર્શન શું છે અને જીવન સાથે એનો શો સંબંધ છે એ મારાથી સારુ કોણ જાણતું હોય? મારા વહાલા, કયા આધુનિક વિચારની વાત કરો છો? જો તમને એમાં રસ હોય તો વેદાંત અને વાહદત-ઉલ-વજૂદ વાંચવા જોઈએ તમારે. અને વિચાર ઉપર વિચાર વ્યક્ત કરવાને બદલે એ દિશામાં કંઇ કાર્ય કરો તો સારું … તમે અંગ્રેજ છો, મારા પર આટલી કૃપા કરો. વાઇસરૉયને પત્ર લખીને મારું પેન્શન ફરી ચાલુ કરાવો … હવે હું ખૂબ થાકી ગયો છું. માટે, એનો અંત આણું છું,

વિનમ્રપણે તમારો,

ગાલિબ

* ૧૫ વર્ષની જહેમત બાદ આબિદા રિપલી ઇન્ડિયા ઑફિસ લાયબ્રેરી, લંડનમાંથી આ દુર્લભ પત્રો મેળવી શકેલાં. (માર્ક્સનો પત્ર અંગ્રેજીમાં. ગાલિબના ઉર્દૂ પત્રનો તારીક ઇક્બાલે કરેલો અંગ્રેજી અનુવાદ.)

સ્રોત :  marvisirmedblog.wordpress.com

Loading

મગજમેડ

વલ્લભ નાંઢા|Opinion - Short Stories|5 August 2020

પરાગજી પટેલ રોયલમેલમાં સોર્ટર તરીકે જોડાયા અને રમૂજવૃત્તિથી થોડા જ દિવસોમાં સ્ટાફના દિલમાં પોતાની ખાસ જગા બનાવી લીધી. ટી-બ્રેકમાં એના જૉક્સ સાંભળવા પાંચ-સાત જણ પરાગજીને વીંટળાયેલા હોય અને પરાગજી પોતાની આગવી અમદાવાદી લઢણમાં હાસ્યનાં એવાં એવાં ગતકડાં છોડે કે આસપાસ વીંટળાયેલા સૌ હસીહસીને ગોટમોટ થઈ જાય. પરાગજીએ પોતાની પસંદગીના થોડાક મિત્રો પણ બનાવી લીધેલા, જેમાં ગટુ ખાસમખાસ હતો!

ઑફિસનો મોટા ભાગનો સ્ટાફ કામ પર પહોંચવા પબ્લિક ટ્રાન્સપોર્ટ્નો ઉપયોગ કરતો. જ્યારે પરગજી તો પોતાની ફોર્ડ કોર્ટિનામાં વટથી આવતા.

અમૂક ખાસ મિત્રો સાથે દોસ્તી જામી ગયા પછી એક દિવસ પરાગજીએ ગટુને કહ્યું : "ગટુ, તું ડ્યુટી ભરવા ટ્રેનમાં રોજ એકલો આવે છે, મારી સાથે કારમાં આવવાનું રાખતો હોય તો? હું તારા ઘર પાસેથી તો નીકળું છું.''

"થેંક્સ, પરગાજી. આવું તો ખરો પણ તમે કાંઈ પૈસા લેવાનું સ્વીકારો તો!''

"ઈફ યુ ઇન્સિસ્ટ. તારા ઘર પાસે ગૌતમ રહે છે તેને પણ કહી દે'જે. એ પણ ભલે મારી ગાડીમાં આવતો. રસિક અને ચંદુને હું પૂછી લઈશ.''

"પણ પેટ્રોલના પૈસા આપણે શેર કરશું, ઑકે?'' ગટુએ કહ્યું.

ગટુ, ગૌતમ, રસિક અને ચંદુ પરાગજી સાથે કામે આવવા લાગ્યા. વીક પૂરું થાય એટલે ચારેય દોસ્તો પાંચ-પાંચ પાઉન્ડની રાણી છાપ નોટો પરાગજીના હાથમાં થમાવી દેતા. શરૂશરૂમાં પરાગજી આનાકાની કરતા પણ પછી સ્વીકારતા થયેલા.

પરાગજી ડ્રાઇવિંગ કરતા જાય ને રસ્તમાં જૉક્સ પણ કરતા જાય. જાતઅનુભવોની બે વાતોની સાથે આપવડાઇની કથની એ તો લટકામાં! ને સાંભળનારને લાગે કે, સાલો છે રાજા માણસા હોં કે! આ જણની દોસ્તી થઈ તેને જલસા જ જલાસા! કોઈ વાર પરાગજી દોસ્તોને બેકર સ્ટ્રીટ પર ભપકેદાર ‘વાઈસરોય’ રેસ્ટોરાંમાં ડિનર માટે લઈ જાય, નાઈટ શિફ્ટ હોય ત્યારે વેમ્બલીના ઈલિંગ રોડ તરફ ગાડી દોડાવી મિત્રોને નાસ્તા-પાણી કરાવી ખુશખુશાલ કરી દે. કોઈને ખિસ્સામાં હાથ નાખવા દે તો એ પરાગજી નહિ! મિત્રોને થાય પરાગજી એટલે દિલના રાજા!

એક વાર ગટુએ એમને પૂછ્યું, ‘પરાગજી, પૈસે ટકે તમે આટલા સધ્ધર છો તો કોઈ બિઝનેસમાં પડોને યાર!’

‘ગટુ, આ જોબ તો અમસ્તી ટાઇમ પાસ પૂરતી લીધી છે. મેં બે પ્રોપર્ટી ભાડે ચડાવેલ છે, એક બેટિંગ ઓફિસ લીઝ પર દીધી છે. પોસ્ટ ઓફિસની નોકરી છે પછી વધુ પૈસાનું શું કરવું છે?’ કહી પરાગજીએ ગટુના પેટમાં હળવો મુક્કો મારી દીધેલો.

એક સવારે ગટુ અને બીજા ભાઈબંધો કારમાં સોર્ટિંગ ઑફિસ તરફ જવા નીકળ્યા ત્યારે પરાગજીનો સદાબહાર ચહેરો થોડો ઉદાસ લાગ્યો. કાર ચલાવતી વખતે પણ એ ગુમસૂમ રહ્યા. સોર્ટિંગ-બૈ પર પણ કોઈની સાથે બોલ્યા નહોતા.

લંચ-બ્રેક્માં ગટુ એની પાસે ગયેલો.

‘પરાગજી, કશી ચિંતામાં લાગો છો.’ ગટુએ પૂછેલું.

‘ચાલ્યા કરે. માઈનર ફાઇનાન્સિયલ વરીઝ.’

‘હું તમને કંઈ મદદરૂપ થઈ શકું?'

‘યસ. તું જ એક એવો દોસ્ત છે જે મારી મદદ કરી શકે એમ છે.' પરાગજી રૂંધાતા સ્વરમાં બોલ્યા.

"બોલો, શું વાત છે?''

‘ગટુ, પેરિવેલમાં એક મકાન ખરીદવાનો સોદો કરી બેઠો છું. મોર્ગેજ પાસ થતાં થોડો સમય લાગશે અને સોલિસિટરને એડવાન્સના ત્રણ હજાર પાઉંડ તાત્કાલિક દેવાના છે. પૈસા બધા શેર્સ અને આઈસામાં રોકાયેલા છે. કાલ સાંજ સુધી સોલિસિટરને એડવાન્સની રકમ નહીં પહોંચાડું તો મકાન જશે. અને મારી હજાર પાઉંડની ડિપોઝીટ પણ જશે.'

ગટુએ ચારેક દિવસ પહેલાં નેટવેસ્ટ બેંકમાં દસ હજાર પાઉંડ જમા કરાવ્યા હતા, તેની વાત તેણે કારપુલના મિત્રોને કરી હતી. એ વાત સાંભળીને ગટુ પાસેથી મદદ મળશે એવી પરાગજીની ગણતરી હતી. અને તેણે આ મોકો ઝડપી લીધો ને ત્રણેક હજારની મદદ કરવા ગટુને વિનંતી કરી. ગટુએ ચારેક દિવસ પહેલાં નેટવેસ્ટ બેંકમાં જમા કરાવેલા દસ હજાર પાઉન્ડમાંથી ત્રણ હજાર પાઉન્ડ પરાગજીને ખાનગીમાં આપી દેવાનું વિચાર્યું; મિત્રોને પણ શા માટે જણાવવું? નાહક પરાગજીને જ નીચાજોણું થાયને?

એ સાંજે ગટુએ પરાગજીને ત્રણ હજાર પાઉન્ડનો ચેક આપી દીધો.

‘દોસ્ત, તારો ઉપકાર ક્યારે ય નહીં ભૂલું! આ પૈસા હું તને બે જ મહિનામાં પાછા ચૂકતે કરી દઈશ.’ કહેતાં એણે ગટુને બાથમાં લઈ લીધો.

પરાગજીને એકાદ મહિના પછી બુકરૂમમાં બઢતી મળી. બુકરૂમની ટ્રેનિંગ પૂરી કરી એ રિઝર્વ લિસ્ટ પર આવી ગયા. બુકરૂમનો સ્ટાફ રજા પર હોય ત્યારે પરાગજીને બુકરૂમની ડ્યૂટી મળતી.

બુકરૂમની ડ્યૂટી હોય ત્યારે પરાગજીના ચહેરાના તેવર બદલાઈ જાય, સ્ટાફ સામે ફૂંફાડા મારે. બુકરૂમના એ એકલા જ ઇન્ચાર્જ ! મોટા સાહેબ આડાઅવળા થયા હોય તો ટેબલ પર પગ ચડાવીને બેસે. એક વાર અચાનક મોટા સાહેબ આવી ચડેલા તો પરાગજી ભડકીને ઊભા થવા ગયા ને પડી ગયેલા તો મોટા સાહેબનું પાટલૂન પકડીને ઊભા થવાની કોશિશ કરી, ને મોટા સાહેબનું પાટલૂન નીચે સરકે તે પહેલાં મોટા સાહેબે પગ ખેંચી લીધેલો અને પરાગજીને તાબડતોબ કૅબિનમાં હાજર થવાનું ફરમાવી ફૂંફાડા મારતા પોતાની કૅબિનમાં ચાલ્યા ગયેલા. અડધા કલાક સુધી પરાગજી ને મોટા સાહેબ વચ્ચે તનતની ચાલી, પછી પરગાજી કૅબિનમાંથી બહાર આવ્યા ત્યારે એનું મોં પડેલું હતું.

બપોરે લંચ-બ્રેકમાં ચંદુએ ટેબલ પાસે આવી ગટુની બાજુની ખુરશી પર બેસતાં ચંદુએ પૂછ્યું: ‘કંઈ સાંભળ્યું?'

‘શું?’ ગટુ સામેથી પૂછયું.

‘પરાગજીને સસ્પેન્ડ કર્યા છે.'

‘હેં??? … પણ કેમ?'

‘ખબર નહીં પણ પણ કોઈ કહે છે પરાગજીએ કમલભાઈની પટ્ટી પાડી બે હજાર પડાવ્યા છે, કોઈ કહે છે બુકરૂમની તિજોરીમાંથી ચોરી કરી છે, અને કોઈ કહે છે મોટા સાહેબ સામે થઈ ગ્યા'તા.'

ગટુ ગંભીર થઈ ગયો. દિલ કહેવા લાગ્યું, ના, પરાગજી આવું કરે નહિ! એમને નાણાંની ક્યાં ખોટ છે? એ ચોરી શા માટે કરે? ને મોટા સાહેબ સામે ડોળા કાઢે?? કાંઈ દિમાગ ફરી ગયું છે?

બીજે દિવસે સાચી હકીકત બહાર આવી. શનિવારની રાતે બુકરૂમમાં પરાગજી સિવાય બીજું કોઇ ન હતું. પરાગજી સ્ટાફના રેકોર્ડનું ડ્રોઅર ખોલી કાર્ડઝ ઉથલાવતા હતા ત્યારે બુકરૂમનો ચપરાશી એને જોઈ ગયેલો. પરાગજીએ સરફરાઝ હુસેનનું એડ્રેસ એક ચબરખી પર લખી લીધેલું.

રાતે ડ્યુટી પૂરી કરીને પરાગજી સરફરાઝ હુસેનને ઘરે પહોંચી ગયેલા. ડોરબેલનું બટન દાબ્યું. થોડી વાર બહાર ઊભા રહ્યા ત્યાં ‘કૌન હૈ?’ કહેતા એક બુઝુર્ગ પોર્ચમાં આવ્યા. ‘કિસ સે મિલના હૈ, ભાઈ?'

‘મૈં પરાગજી. પરાગજી પટેલ. મેં ઔર સરફરાઝ માઉન્ટ પ્લેઝંટમેં ઇક સાથ કામ કરતે હૈં. સરફરાઝકો અચાનક પૈસેકી જરૂરત પડ ગઈ હૈ. પાંચસો પાઉન્ડ મંગવાયેં હૈ. લેનેકે લીએ ભેજા હૈ.'

‘ઈતને સારે પૈસે?’ સરફરાઝના વૃદ્ધ સસરાએ જવાબ આપ્યો, ‘ઠહેરીએ, મૈં મેરી બેટીસે પૂછ લેતા હૂં.’ કહેતા ડોસા અંદર ગયા અને થોડી વારે સરફરાઝની બીબી ઝરીબ સાથે બહાર આવ્યા.

‘આપ કૌન?'  સરફરાઝની બીબીએ પરગજીને પૂછ્યું.

’મેં સરફરાઝ કા દોસ્ત હૂં. સચમેં સરફરાઝને ઈસ કે બારેમેં આપકો કુછ નહીં બતાયા?'

‘નહીં.’ ઝરીને બારણું બંધ કરતાં કહ્યું, ‘ઐસા કરેં, આપ કલ સુબહ હી આઈયેગા. મેરે હસબંડ ભી ઘર પે હી હોંગે.' કહી ઝરીને દરવાજો વાસી દીધો.

બીજે દિવસે ઓફિસમાં ભડકો થયો. સરફરાઝે બુકરૂમ પી.ઈ.બી યાને મોટા સાહેબને ફરિયાદ કરી કે પરાગજી કાલે રાતે મારી ગેરહાજરીમાં મારે ઘેર આવી મારી બીબી પાસે પૈસા માગવા આવ્યા હતા. અને પૈસા આપવા માટે મારી બીબી પર દબાણ કરતા હતા.

મોટા સાહેબે પરાગજીને પોતાની કેબિનમાં બોલાવ્યા, ગુનાની ગંભીરતા જોતાં સાહેબે પરગાજીને સસ્પેન્ડ કર્યા.

જતાં જતાં પરાગજીએ પોતાના ટેબલ ઉપર પડેલી ફાઈલ ઉપાડી સીધી મોટા સાહેબ તરફ ઉછાળી. ફાઈલમાંના કાગળો પંખીનાં પીંછાંની જેમ આડા અવળા ઊડવા લાગ્યા.

ગટુની ઊંઘ હરામ થઈ ગઈ. સાળાનું ચસકી ગયું હશે? હવે ત્રણ હજાર પાઉંડનું નાહી જ નાખવાનું ને!

પરાગજીના ઓફિસના લેણદારો તો બિચારા મોં બંધ કરીને બેસી રહ્યા, બધા પાસેથી પરાગજીએ બસો પાંચસો કે હજાર બે હજાર ખાનગીમાં ઉધાર લીધેલા. બેન્કો તરફથી વકીલોની નોટિસો આવી રહી હતી. ઘર દીકરાના નામે હતું એટલે તે સલામત હતું પણ ક્રેડિટ કાર્ડનું દેવુંયે મસમોટું થઈ ગયેલું. કોઈકે કહેલું કે ટોટલ લાખેક પાઉંડની ઉધારી હતી. લેણદારો તરફથી ફોન પર ધમકીઓ પર ધમકીઓ આવી રહી હતી. પરાગજી લેણદારોને ફોનના જવાબમાં હિન્દી ફિલ્મોનાં ગીતો ગાતા. એમની પત્ની પાર્વતીબહેને ફોન કનેક્શન કટ કરાવી નાખ્યું. તો પરાગજી એકલા એકલા ફોનનું રિસીવર ઉપાડી પ્યાસા ફિલ્મનું ગીત ગાવા લાગતા, હટા દો .. હટા દો … હટા દો યે દુનિયા …

અચાનક એક રવિવારે પાર્વતીબહેન ગટુને ઘરે પહોંચી ગયેલાં. પાર્વતીબહેનનું મોં સૂઝી ગયેલું. આંખો લાલ લાલ થઈ ગયેલી. માથું લઘરવઘર અને બોલવા પ્રયત્ન કરે પણ જીભ થોથવાય. પાર્વતીબહેનને આવી હાલતમાં આવેલાં જોઈને ગટુ હેબતાઈ ગયેલો.

ગટુની પત્નીએ પાર્વતીબહેનને બેસાડીને પાણી આપ્યું. આખરે પાર્વતીબહેને તતપપ કરતાં કહ્યું, ‘તમારા ભાઈબંધ હવે ઝાલ્યા ઝલાતા નથી. ગમે તેમ ધમપછાડા કરે છે. ઘરમાં કપડાં ઉતારી બૂમો પાડે છે કે તું હલકટ છો, તું ઓલા કાળિયા સાથે ચાલુ થઈ ગઈ છો.’

‘કોણ કાળિયો?’ ગટુની પત્નીએ એક ડગલું પીછેહઠ કરીને પૂછ્યું. ગટુને ગમ્યું નહીં કે બ્લેક માણસ માટે પરાગજી આવો હલકો શબ્દ વાપરે. એ એકદમ ગમ્યું નહીં કે બ્લેક માણસ માટે પરાગજી આવો હલકો શબ્દ વાપરે. એ એકદમ ગૂંચવાઈ ગયો હતો.

પાર્વતીબહેન કહી રહ્યાં હતાં : ‘સવારના એક કાળો માણસ ઘરે આવેલો. તેને જોતાં હું તો રસોડામાં સંતાઈ ગઈ. પરાગજીની બોચી પકડીને ઈ કહેવા લાગ્યો કે આ બધા નખરા છોડ, કુત્તાના બચ્ચા, કાલ સવાર સુધીમાં મારા પૈસા નહીં મળે તો ટાંગ તોડી નાખીશ.’ પાર્વતીબહેને હિબકાં ખાતાં કહ્યું, ‘પછી જાતાં જાતાં એણે એક ખુરશી તોડી નાખી ને તમારા ભાઈનું માથું ભીંતે પછાડ્યું. મારા તો મોઢામાંથી અવાજ જ ન નીકળ્યો.'

‘અરેરે.’ ગટુએ કહ્યું.

‘ને હવે તમારા ભાઈબંધને પ્રેસર થૈ ગ્યું  છે કે કોણ જાણે સું છે, પણ કારપેટ ઉપર લોટે છે, ને છાતી ઉપર હાથ ચોળે છે. ડાક્ટરને બોલાવ ડાક્ટરને બોલાવ એવી રાડું નાખે છે.’ પાર્વતીબહેને ગટુની દિવાલે લાગેલા ફોન તરફ હાથ લંબાવ્યો. ‘અમે ફોન કટ કરાવી નાખ્યો છે. તમે મોબાઈલમાં જરાક -‘

ગટુએ ડો. સગલાણીને મોબાઈલ ફોન જોડ્યો. ડોક્ટરને વિગત જણાવી. પાર્વતીબહેન સાથે ગટુ એમના ઘરે પહોંચ્યો. વીસેક મિનિટ પછી ડો. સગલાણીએ હાંફળાફાંફળા પોતાની બેગ લઈને પરાગજીના થ્રી બેડ રૂમ હાઉસનો ડોરબેલ દબાવ્યો.

‘ક્યાં છે પેશન્ટ?' ડૉક્ટરે અંદર દાખલ થતાં પૂછ્યું.

‘બાજુના બેડરૂમમાં.'

બેડરૂમમાં વિન્ડો પાસે એક ડબલ બેડ ઉપર પરાગજી છાતી પર હાથ દાબીને સૂતા હતા. જાડા કાચ વાળાં ચશ્માંમાંથી એમણે જોયું કે ડો. સગલાણી તેના બેડ તરફ આવી રહ્યા છે, અને પરાગજીએ ત્રાડ પાડી બાજુના ટિપોય પરથી પિત્તળનું ફ્લાવર વાઝ ઉપાડી ડોક્ટર સગલાણી તરફ ઉછાળ્યું.

ડૉ. સગલાણી સમયસર ખસી ગયા ન હોત તો એ ઘા સીધો તેમની આંખ પર આવ્યો હોત.

પાર્વતીબહેન રડમસ અવાજે બોલ્યાં : ‘ડોકટર સાહેબ, ઘરમાં પણ એ બસ આવા જ અખાડા કરે છે.’

સાંભળીને પરાગજી વિફર્યા. સીધી જ ત્રાડ પાડી; ‘તું કોણ છે? કેમ ઘૂસી આવ્યો છે, હરામજાદા, મારા ઘરમાં?’ કહેતાં પરાગજી બેડમાં ઊભા થઈ ગયા અને ડૉકટર તરફ ધસ્યા. ગટુએ અને ડૉકટરે તેના હાથ પકડી રાખ્યા.

‘કોણ ગટુ?’ પરાગજીએ ગટુને પાસે ખેંચ્યો. ‘આવ. આવ! મને ખબર જ હતી, દીકરા, કે તું જરૂર મારા પૈસા દૂધે ધોઈને આપવા આવીશ.’ પરાગજીએ ગટુના ગાલે બચી કરી લીધી. પછી પાર્વતીબહેન તરફ જોઈ ગર્જ્યા, ‘એ ય કુલટા! હવે ડાક્ટર ભેગા તારે ઘર ઘર રમવું છે, એમ?’ બોલીને પત્ની તરફ હાથ ઉગામવા જતા હતા પણ તરત છાતી દબાવી પથારીમાં ઢળી પડ્યા.

‘ડોક્ટર સાહેબ, મને હવે અહીં બીક લાગે છે. કંઈક કરો. આ ઘેલા થઈને મારી ટોટી દબાવી દેશે તો? પાર્વતીબહેન ડૉકટરને વળગી રડવા લાગ્યાં.

‘બહેન, કોઈ ગંભીર માનસિક ચિંતાના કારણે તમારા હસબન્ડનું મગજ ચસકી ગયું છે. એક ઘેનનું ઇંજેક્શન આપું છું. સવાર સુધી એ ઘેનમાં રહેશે પણ સવારે એમને હોસ્પિટલમાં એડમિટ કરવા પડશે.'

‘મારા હસબન્ડ મગજમેડ થઈ ગ્યા છે?’

‘હોસ્પિટાલવાળા તપાસ કરશે ને જે હોય તેનો ઇલાજ કરશે. હમણાં તો કન્ટ્રોલની બહાર છે.' ડૉકટર સગલાણીએ  કહ્યું.

આટલું સાંભળીને પરાગજીએ ડૉક્ટરને લાફો મારી દીધો : ’સાલા ડામીચ !’

‘આ મૅન્ટલ કેસ છે. હી ઈઝ ટોટલી આઉટ ઓફ હિઝ માઈન્ડ!’ ડૉકટરે પોતાનાં ચશ્માં સંભાળી ગાલે હાથ ફેરવતાં કહ્યું. પછી પરાગજીના કુલ્લા ઉપર ઘેનનો સોયો ખોસી દીધો. પરાગજીએ જોરથી ત્રાડ પાડી પણ પછી શાંત થઈ પડખું ફેરવ્યું.

ગટુને લાગ્યું કે ડૉક્ટરે સોયો ધરાર ખૂંચાડ્યો છે.

બીજે દિવસે સવારે એમ્બ્યુલન્સ આવી અને પરાગજીને મેન્ટલ હોસ્પિટલમાં ભરતી કરવા લઈ ગઈ. હૉસ્પિટલના ડૉકટરે પ્રાગજીને ગાંડા તરીકે સર્ટિફાઈ કરી દીધા.

એ ઘટનાને આ જે વીસેક વરસ થયાં હશે. ગટુ પોતાના ફેમિલી સાથે ઇન્ડિયા ચાલ્યો ગયેલો. જામનગરમાં તેણે ઊડી વાત સાંભળેલી કે પરાગજી પાંચેક વરસ હોસ્પિટાલમાં ગાળી સાજા થયા, અને હવે પંદરેક વરસથી લંડનમાં કશેક સારી નોકરી કરે છે. પોતાની ન્યાતના સમૂહલગ્નોમાં છૂટા હાથે પૈસા વેરે છે અને વતનમાં લાખો રૂપિયાના દાન કરે છે. દાનવીર કર્ણ સાથે એની સરખામણી થાય છે.

ગટુએ પોતાના પૈસાનું તો નાહી નાખેલું. પણ પરાગજી હવે આવા દાતાર બની બેઠા છે તો એક વાર તેને જોવા જોઈએ.

અને અચાનક ગટુના સાળાની દીકરીનાં લગ્ન લેસ્ટરમાં લેવાયાં ને ગટુ તથા તેની પત્નીને લંડન જવાનું થયું. પોસ્ટ ઓફિસના કલીગો બધા રફે દફે થઈ ગયેલા અને પારગજીના જૂના ઘરે કોઈને જાણ નહોતી કે એ ક્યાં છે. લંડનથી પાછા ફરતાં હિથ્રો એરપોર્ટ ઉપર સિક્યુરિટી ચેકિંગ વખતે એકાએક એના ખભે કોઈએ હાથ મૂક્યો :

પરાગજી!

‘અરે!' ગટુ છળી ઊઠ્યો.

‘કેમ ગટુ, ઓલરાઈટ છો ને?’

બન્ને એક તરફ ઊભા રહી ખબરઅંતર પૂછવા લાગ્યા. ગટુના ગળા સુધી આવીને ૩,૦૦૦ પાઉંડની વાત અટકી ગઈ કેમ કે પરાગજી પોતાના અસલી રૂપમાં રાજા માણસની જેમ વાત કરતા હતા. ‘બ્રધર, બેચાર લાખ પાઉંડનું દેવું થઈ ગયેલું. ને પૈસાની માથાકૂટમાં મગજ ઉપર અસર થઈ ગયેલી. પાંચ વરસ હોસ્પિટાલમાં શો થેરેપી કરાવી. હવે ઓરરાઇટ છું.’ પરાગજીએ જણાવ્યું.

ગટુએ પરાગજીની સરખામણી વતનમાં કર્ણ સાથે થાય છે તેનો ઉલ્લેખ કર્યો. પરાગજીએ સ્મિત કર્યું. પછી ગટુએ હિંમત કરી મોં ખોલ્યું, ‘તો પેલા ત્રણ હજાર – ‘

‘આવ, આવ, દીકરા, ગટુ! મને ખબર હતી કે તું મારા પૈસા દૂધે ધોઈને પાછા આપવા આવીશ, હહાહાહાહા!’ કહીને પરાગજીએ અટહાસ્ય કર્યું, પછી ગટુના ગાલે બચી કરતાં કહ્યું: ‘અલ્યા ગાંડો થ્યો છે?'

સિક્યુરિટીની લાઇનમાં ભીડ થવા લાગેલી ને પરાગજીએ ગટુને લાઇનમાં ધકેલી દીધો. ગાલ પંપાળતાં ગટુ વિચારવા લાગ્યો કે પરાગજી પહેલાં ખરેખર ગાંડો હતો? કે હવે પોતે પૈસા માગ્યા તેથી ફરી ગાંડો થઈ ગયો છે? કે કદી ગાંડો નહોતો? ને સાચો મગજમેડ ગટુ હતો?

[સમાપ્ત]

324, Horn Lane, Acton, LONDON W3 6TH [U.K.]

પ્રગટ : “અખંડ આનંદ”; જૂન-જુલાઈ 2020; પૃ. 40-45

Loading

...102030...2,3522,3532,3542,355...2,3602,3702,380...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved