Opinion Magazine
Number of visits: 9681149
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વાલ્ડેમર હાફકિન : હિંદુસ્તાનને બે મહામારીથી બચવાનાર

કિરણ કાપૂરે|Opinion - Opinion|7 June 2020

માનવજાતને મહામારીથી સુરક્ષા બક્ષનાર અને આજે ભૂલાઈ જનારમાં વાલ્ડેમર હાફકિનનું નામ મોખરે લઈ શકાય. આઝાદી પૂર્વે ભારતને બે મહામારીમાં લાખોનાં જાન બચાવનાર વાલ્ડેમર હાફકિનનું નામ ભાગ્યે જ ક્યાંક દેખા દે છે. વાલ્ડેમરનું આ યોગદાન અપૂર્વ હતું અને તેમની સ્મૃતિરૂપે આજે પણ મુંબઈમાં હાફકિન ઇન્સ્ટિટ્યૂટ ઊભું છે. અંગ્રેજોની ગુલામી કાળ દરમિયાન કેટલીક જે મહામૂલી વ્યક્તિઓ હિંદુસ્તાનના સંપર્કમાં આવી તેમાં એક વાલ્ડેમર હતા. વાલ્ડેમરનું ભારત આવવું એક માત્ર સંયોગ હતો અને પછી તેઓ બે દાયકા સુધી અહીં રહ્યા. અહીંયા તેમણે કોલેરા અને પ્લેગની મહામારીમાં વેક્સિન શોધીને લાખોનાં જીવનને સુરક્ષિત બનાવ્યા.

વાલ્ડેમરના કહાનીની શરૂઆત ઓડેસ્સા (યુક્રેન) નામના રશિયાના શહેરથી થઈ હતી. 1860માં ઓડેસ્સામાં એક યહૂદી વેપારી પરિવારમાં તેમનો જન્મ થયો. યુક્રેનમાં જ તેમનું શિક્ષણ આરંભાયું. મેલોરોસિસ્કી યુનિવર્સિટીમાં નેચરલ સાયન્સમાં તેમનો પ્રવેશ થયો અને તેઓ અહીંયા ભવિષ્યમાં નોબેલ પારિતોષિકથી સન્માનિત થનારા એલી મેચનીકોવ[Ilya Mechnikov]ના સંપર્કમાં આવ્યા. અહીંયા તેમણે ડૉક્ટરનો અભ્યાસ પૂર્ણ કર્યો પરંતુ રશિયાની તત્કાલીન ઝારશાસનમાં યહૂદીને ઉચ્ચ ડિગ્રી મળતી નહીં, તેથી તેઓ ડૉક્ટરેટની ડિગ્રીથી વંચિત રહ્યા. આનું એક કારણ તેઓ યુવાન વયે ક્રાંતિકારી યહૂદી જૂથો સાથે સંપર્ક ધરાવતા હતા તે પણ હતું. રશિયામાં ક્રાંતિ કરવાના તેમના સપનાં હતા સાથે કારકિર્દીમાં આગળ વધવાનું ઝનૂનેય હતું; તેથી તેઓ 1888માં સ્વિત્ઝર્લેન્ડની ‘યુનિવર્સિટી ઓફ જિનિવા’ પહોંચ્યા. અહીંયા તેમનો ભેટો વેક્સિન સંશોધનમાં પાયારૂપ કાર્ય કરનારા લુઈ પાશ્ચર સાથે થયો. હાફકિન અહીં લાઇબ્રેરિયન તરીકે જોડાયા હતા, પરંતુ સાથે-સાથે તેઓ બેક્ટેરિયા પર સંશોધનનું કાર્ય પણ કરતા.

તે કાળે કોલેરા મહામારી ખૂબ પ્રસરેલી તેથી વાલ્ડેમરના પ્રયોગ કોલેરાની રસી બનાવવાનો હતો. 1892 આવતા સુધીમાં તેઓ કોલેરાની વેક્સિન બનાવવાના પ્રાથમિક સ્ટેજમાં પહોંચી ચૂક્યા હતા. પેરિસની ‘સોસાયટી ઓફ બાયોલોજી’માં તેમણે તેમના પ્રાથમિક સંશોધનનાં પરિણામ રજૂ કર્યા. અને પછીથી પોતાની જાત પર જ આ વેક્સિનના પ્રયોગ આદર્યા. આ ગાળામાં તેમની મુલાકાત અર્નેસ્ટ હેનકીન સાથે થઈ, જેઓ ભારતમાં મલેરિયા, કોલેરા અને અન્ય મહામારી પર સંશોધન કરી રહ્યા હતા. તેમણે વાલ્ડેમર હાફકિનને પ્રયોગ માટે ભારત આવવા જણાવ્યું. બંગાળમાં તે વખતે ખૂબ મોટા પાયે કોલેરા પ્રસર્યો હતો. 1893માં વાલ્ડેમર ભારત પહોંચ્યા અને તેમને અંગ્રેજ સરકારે વેક્સિનના પ્રયોગ માટે તત્કાલ મંજૂરી પણ આપી દીધી. અહીં તેઓ પ્રેસિડન્સી હોસ્પિટલમાં બેક્ટેરોલોજિસ્ટ તરીકે જોડાયા. બસ, અહીંયાથી ભારત સાથેનો તેમનો શરૂ થયેલો નાતો બે દાયકા સુધી ચાલ્યો. હાફકિનને જે પદ મળ્યું હતું તેમાં અંગ્રેજ સરકારની માગણી મુજબ ઝડપથી રસી શોધવાની હતી. રસી શોધવાનો પડકાર તેમની સામે હતો તેમ અહીંના અંગ્રેજ પદાધિકારીઓ અને હિંદુસ્તાનમાં તેના પ્રયોગ કરવાનાં પણ પડકાર હતા. પરંતુ મહિનાઓમાં જ રસી શોધીને બે વર્ષમાં અંગ્રેજ સૈન્ય, નાગરિકો અને સ્થાનિકો સહિત વાલ્ડેમરના દેખરેખ હેઠળ 42,000 કોલેરાની રસી આપી.

આ રસીનાં પરિણામ તત્કાલિન સરકારને સારાં દેખાયા. હજુ તો કોલેરાની રસી આપીને તે બીમારી પર કાબૂ મેળવ્યો હતો ત્યાં તો વળી મુંબઈમાં ઑક્ટોબર 1896માં મોટા પાયે બ્યુબોનિક પ્લેગ પ્રસર્યો. આ પ્લેગમાં મૃત્યુઆંક ખૂબ હતો, તેથી ઝડપથી રસી શોધવાની જવાબદારી ફરી હાફકિન પર આવી પડી. ચાર મહિનામાં ગાળામાં તેઓ ફરી પ્લેગની રસી શોધી શક્યા અને તેનો પ્રયોગ પણ પહેલાં જાત પર જ કર્યો. ત્યાર બાદ તે પ્રયોગ ભાયખલા જેલના કેદીઓ પર થયો. તે વખતે કેદીઓ પર રસીના પ્રયોગ થવા તે વાત સામાન્ય હતી. 154 કેદીઓ પર થયેલા પ્રયોગમાંથી ત્રણના મૃત્યુ થયા, પરંતુ ત્યાર બાદ તે રસીનાં પરિણામ સારાં મળ્યા. બસ, પછીના ત્રણ મહિનામાં 11,000 રસી પ્લેગગ્રસ્ત ક્ષેત્રમાં આપવામાં આવી. 1898માં બરોડા રાજ્યમાં પણ પ્લેગ પ્રસર્યો હતો અને ત્યાં ઉંધેરા ગામમાં હાફકિને આયોજનબદ્ધ વેક્સિનેશન કાર્યક્રમ કર્યો. અને તેના પરિણામ પણ સારાં મળ્યા, તેથી પછી મોટી સંખ્યામાં રસીનું ઉત્પાદન થયું અને અસરગ્રસ્ત ક્ષેત્રોમાં રસીકરણ કરવામાં આવ્યું.

પ્લેગ સામે જે રક્ષણ હાફકિને આપ્યું તેનાથી તેઓની ખ્યાતિ ઇંગ્લંડ સુધી પહોંચી. જો કે આ વચ્ચે એક ધર્મે યહૂદી અને મૂળે રશિયન હોવાના નાતે તેમના પર અનેક આરોપ પણ લાગ્યા. ઘણી વાર અંગ્રેજ અધિકારીઓના શંકાના દાયરામાં આવતા રહ્યા. જો કે હાફકિન આ બધાથી ચલિત થયા વિના પોતાના કામમાં મથતાં રહ્યા અને બીમારીઓ સામે લોકોને રક્ષણ આપતા રહ્યા. થોડાં વર્ષો પછીથી તેમના દ્વારા શોધાયેલી પ્લેગની રસી પચાસ ટકા જ કારગર હતી એવું પુરવાર થયું. જો કે પ્લેગની મહામારીની અસરને તેઓ આ રસી દ્વારા પચાસ ટકા ઘટાડી શક્યા હતા.

1902માં એક એવી ઘટના બની તેનાથી હાફકિનની તમામ ખ્યાતિ પર પાણી ફરી વળ્યું. બન્યું હતું એમ કે પંજાબના મુલ્કોવલ ગામમાં પ્લેગ પ્રસર્યો હતો. આ ગામમાં હાફકિનના દેખરેખ હેઠળ 107 લોકોને રસી આપવામાં આવી. આ રસી આપ્યા બાદ અહીંયા લોકો મૃત્યુ પામવા લાગ્યા અને પછી તેના આરોપ હાફકિન પર લાગ્યો. હાફકિન પર તપાસ બેસાડવામાં આવી અને તેઓ પોતાનો પક્ષ રજૂ કરતા રહ્યા. અંતે તપાસમાં એ નિષ્કર્ષ આવ્યું કે રસી આપવામાં થયેલી ગેરરીતિનાં કારણે લોકોના મૃત્યુ થયા, તેમાં હાફકિનની કોઈ ભૂલ નહોતી.

હાફકિનનો ભારત સાથેનો નાતો 1915 સુધી રહ્યો, પછી તેઓ કાયમ માટે યુરોપમાં રહ્યા. 1918માં ભારતમાં સ્પેનિશ ફ્લૂ પ્રસર્યો ત્યારે તેમને યાદ કરવામાં આવ્યા. પરંતુ હાફકિનના જીવનમાં વિજ્ઞાન સાથે હવે યહૂદી ધર્મ પ્રત્યે અપાર આસ્થા પ્રગટી હતી. તેમનું પાછલું જીવન મહદંશે ધાર્મિક રહ્યું. 1925માં તેમની સ્મૃતિમાં મુંબઈમાં તેમના નામે ‘વાલ્ડેમર હાફકિન ઇન્સ્ટિટ્યુટ’ નિર્માણ પામી. ભારત સરકારે તેમના સન્માન અર્થે 1960માં પોસ્ટલ સ્ટેમ્પ પણ પ્રકાશિત કરી.

વાલ્ડેમરનાં જીવન બહુરંગી છે અને તેમના અનુભવ પણ વ્યાપક હતો. અહીંયા માત્ર તેમના વિજ્ઞાન શાખાની ચર્ચા છે, બાકી તેમના ધર્મ પ્રત્યેના વલણનો પણ વિસ્તૃત અભ્યાસ થઈ શકે એમ છે. તેમના જીવનને આલેખતું 'મહાત્મા : ધ સેવિઅર મેનકાઇન્ડ નેવર ન્યૂ' નામનું પુસ્તક પણ પ્રકાશિત થઈ ચૂક્યું છે.

Loading

મુશ્કેલ સમયમાં (21)

સુમન શાહ|Opinion - Opinion|7 June 2020

= = = = સાર્ત્ર માનતા કે હ્યુસેર્લ વગેરે ફિલસૂફોને વિશેની પોતાની સમજ કરતાં સિમૉંની સમજ વધારે સારી છે. સાર્ત્ર અને સિમૉં લગ્ન કર્યા વિના પ્રગાઢ જીવનસાથી બનીને જીવેલાં = = = =

= = = = જિવાતા જીવનનો આ કોરોનાકાળથી વધારે વિષમ અને મોટો કયો અનુભવ હોઈ શકે? એની જેટલી વાતો સાહિત્ય વડે થાય એટલી સહજ લાગશે, સ્વીકાર્ય બનશે, પ્રેરક અને માર્ગદર્શક નીવડશે. એ વાતોમાં જરાક ફિલસૂફી ભળે તો કશું બગડી નથી જતું બલકે એ તો સોની જેમ સોનાનો દાગીનો ઘડતી વખતે માફકસરની બીજી ધાતુ ભેળવે છે એના જેવું જરૂરી બની રહે છે, કરણીય લાગે છે. = = = =

‘આ મુશ્કેલ સમયમાં’ શ્રેણીના ( 20 )-મા અંશમાં મે લખ્યું કે ‘જાત-અલગાવ’ સ્વીકારીને તેમ જ ‘સામાજિક અન્તર’ જાળવીને કોરોના અને કોવિડ-૧૯ને ડામી શકાય છે, પણ એ કામ સમગ્ર સમાજ કે સૌ પ્રજાજનો નથી કરી શકતાં. એમ કહીને મેં લખ્યું કે સામાન્યજનો જાત-અલગાવ અને સામાજિક અન્તર બાબતે પાછાં પડે છે, એમનાથી એ બધું નથી થતું, કહો કે, નથી થઈ શકતું. એઓ એવી કશી ગુંજાઈશ વગરનાં લાચાર હોય છે. ખાસ તો, એમનાથી રોજિન્દી જીવનશૈલી નથી છૂટતી. એમ પણ ઉમેર્યું કે આ મુશ્કેલ સમયમાં ઊભી થયેલી હાડમારીઓથી આમ પ્રજા, જનસમાજ, તો ઘાંઘાં થઈ ગયાં હોય છે. કારીગરો કે દ્હાડિયા મજૂરો કે રોજંદારો જાત-અલગાવ કરે તો એમનું શું થાય? નોકરીધંધાના ને ખાવા-પીવાના જ સાંસા પડ્યા હોય છે. રોજિન્દું જીવન વેરવિખેર થઈ ગયું હોય છે અને કશી જ સમજ નથી પડતી કે ગાડી પાછી ક્યારે પાટે ચડશે.

મેં આમ, વિશિષ્ટ વ્યક્તિઓની વર્તણૂકની સામે સામાન્યજનોના પક્ષે વાત મૂકી ને તેમની પ્રત્યે સહાનુભૂતિ દાખવવા કહ્યું તે અનેક મિત્રોને ખૂબ ગમ્યું. ઘણાઓએ વખાણ્યું. એક-બે જણને હું એ કારણે મારા આશ્ચર્ય વચ્ચે ‘સર્જક’ પણ લાગ્યો ! કોઈ કોઈએ એમ પણ કહ્યું કે મારી આ શ્રેણીના અગાઉના અંશો એમને ‘અઘરા’ લાગ્યા છે.

હવે આવી વાતો તો દરેક વાચકની દૃષ્ટિમતિનો વિષય ગણાય. એની નુક્તેચિની થઈ શકે, પણ શું કરવા કરવી? પરન્તુ એક મિત્રે ફોન કરી કહ્યું તે મને ચૉંકાવી ગયું. એણે કહ્યું કે – કોરોના સંદર્ભે તમે હમેશાં સાહિત્યના સહારે વાત કરો છો ને કંઇક ફિલસૂફીના સહારે. મને એણે સીધું પૂછ્યું કે – તમે બેમાંથી કોને વધારે શ્રદ્ધેય ગણો છો – સાહિત્યને કે ફિલસૂફીને?

મિત્રના પ્રશ્નને કારણે મને સિમૉં દ બુવા યાદ આવી ગયાં. આજે ફંટાઈને જરા એમની વાતો કરું :

ફ્રૅન્ચમાં લખાયેલા સિમૉંના Adieux : A Farewell to Sartre ગ્રન્થનો અંગ્રેજી અનુવાદ 1974 -માં Conversation with Jean-Paul Sartre શીર્ષકથી પ્રકાશિત થયેલો. એમાં સિમૉંએ સાર્ત્રને પૂછ્યું છે : તમને શું ગમે – તમને સાહિત્યકાર તરીકે યાદ કરવામાં આવે એ, કે ફિલસૂફ તરીકે? સાર્ત્રે જવાબ આપ્યો છે કે literature is essentially above philosophy – સાહિત્ય તત્ત્વત: ફિલસૂફીથી ચડિયાતું છે. કેમ કે, ફિલસૂફી હંમેશાં કશાક ને કશાક ઐતિહાસિક સમયસંદર્ભમાં જન્મે છે. જ્યારે સાહિત્ય એક અર્થમાં સમયસંદર્ભથી મુક્ત ચીજ છે – સાર્ત્રે વાપરેલો શબ્દ છે, timeless. સિમૉં સાર્ત્રની આ વાત સાથે સમ્મત થાય છે અને જણાવે છે કે સાહિત્યનું જ પરમ નિરપેક્ષ સ્વ-રૂપ હોય છે, નહીં કે ફિલસૂફીનું.

વળી, કદાચ એ કારણે એમ પણ બને છે કે અગાઉના ફિલસૂફે સંપડાવેલું સત્ય હંમેશાં ભાવિ ફિલસૂફો માટે સામગ્રી બની જાય છે. તેઓ એ પર કામ કરે છે અને ‘નવાં’ સત્યો રજૂ કરે છે. આ ક્ષણે, 'બ્રહ્મ સત્ય, જગત્ મિથ્યા' અને તે સત્ય-સંલગ્ન ષડ્દર્શનોવાળું ભારતીય પરમ્પરાનું આપણે ત્યાંનું દૃષ્ટાન્ત મને સહેજેય યાદ આવી જાય છે.

સિમૉં ૧૫ વર્ષનાં હતાં ત્યારથી જ ફિલસૂફીને બદલે સાહિત્યને ચાહવા લાગેલાં. એટલું જ નહીં, એમનામાં સાહિત્યકાર થવાની મનીષા જાગેલી. એમની આ પસંદગી બાબતે પિતા સહાયક નીવડેલા, કેમ કે પિતા માનતા હતા કે સાહિત્યકારો હંમેશાં ફિલસૂફો કે વિદ્વાનો કે શિક્ષણકારો કરતાં ચડિયાતા હોય છે.

The Prime of Life આત્મકથામાં સિમૉંએ સાર્ત્ર અંગેની એક સરસ વાત મૂકી છે. સાર્ત્ર માનતા કે હ્યુસેર્લ વગેરે ફિલસૂફોને વિશેની પોતાની સમજ કરતાં સિમૉંની સમજ વધારે સારી છે. સાંભળીને સિમૉંને સારું લાગેલું. સાર્ત્ર અને સિમૉં લગ્ન કર્યા વિના પ્રગાઢ જીવનસાથી બનીને જીવેલાં. સાર્ત્રને મળતાં પહેલાં સિમૉંએ ફિલસૂફીનું અધઝાઝેરું અધ્યયન કરેલું. ફિલસૂફી અને સાહિત્યના સમ્બન્ધનું ખાસ્સું વિશ્લેષણ પણ કરેલું. પણ પછી સિમૉંએ તારવ્યું હતું કે પૂર્વકાલીન ફિલસૂફોને ન સમજીને જ સારા ફિલસૂફ થઈ શકાય છે ! જો કે, સરવાળે, સિમૉં ફિલસૂફ ન જ થયાં.

સિમૉંની ઝંખના રહી કે પોતાનાં લેખનો demanding અને sophisticated હોય અને તે એવાં હોવાં જોઈએ કે તેમાં અનેક લોકો ભાવભાવનાની રીતેભાતે પ્રવેશીને જોડાઈ શકે -જેમ તેઓ જાઝ-સંગીતમાં જોડાય છે.

એમણે કથાસાહિત્ય, સંગીત, ફિલ્મ, ટી.વી. માટે પણ સતત અપીલ કર્યે રાખી કેમ કે એમાં જિવાતા જીવનની અનુભૂતિઓ આકારાઈ હોય છે. એથી નારીવાદી વિચારકોને ફિલસૂફોની જેમ મતમતાન્તરોની રીતે નહીં પણ સંવાદની રીતે વાત કરવાની જગ્યા મળે છે. એથી કથાસાહિત્યની બહુ-સાંસ્કૃતિક કથનપ્રણાલીઓને ઓળખીને આવકારી શકાય છે. એથી ગ્રીક ફિલસૂફોની અમૂર્ત વાતોમાં બંધ વસ્તુઓને સહજપણે ખોલીને સુખે પામી શકાય છે.

જિવાતા જીવનનો આ કોરોનાકાળથી વધારે વિષમ અને મોટો કયો અનુભવ હોઈ શકે? એની જેટલી વાતો સાહિત્ય વડે થાય એટલી સહજ લાગશે, સ્વીકાર્ય બનશે, પ્રેરક અને માર્ગદર્શક નીવડશે. એ વાતોમાં જરાક ફિલસૂફી ભળે તો કશું બગડી નથી જતું બલકે એ તો સોની જેમ સોનાનો દાગીનો ઘડતી વખતે માફકસરની બીજી ધાતુ ભેળવે છે એના જેવું જરૂરી બની રહે છે, કરણીય લાગે છે.

= = =

(June 7, 2020: Ahmedabad)

Loading

ચલ મન મુંબઈ નગરી—47

દીપક મહેતા|Opinion - Opinion|6 June 2020

એક વખતનો ચર્ની રોડ, આજનો રાજા રામ મોહન રોય રોડ

તેના પર ચર્ચની નજીક પ્રાર્થના સમાજ

એ જોતાં સવાલ થાય : ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?

લક્ષ્મીબાગ હોલ છોડીને આગળ વધીએ એ પહેલાં એક ખુશ ખબર. કોરોનાને કારણે આઈ.સી.યુ.માં હોય તેવો દરદી સાજો સારો થઈને પહેલાંની જેમ ચાલતો ઘરે આવે તો કેટલો આનંદ થાય? વચમાં ઘણાં વર્ષો વહી ગયાં, પણ પછી લક્ષ્મીબાગ હોલના ટ્રસ્ટીઓ – જે દાભોલકર કુટુંબના છે  –  તેમણે આ હોલની મૂળ હેરિટેજ ખાસિયતો જળવાઈ રહે એવી રીતે તેનું નવીનીકરણ કર્યું છે. મૂળ વાસ્તુને નડતરરૂપ ન બને એ રીતે એરકંડિશનિંગ ઉમેર્યું છે, એટલું જ નહિ, ત્યાં શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો પણ ફરી શરૂ કર્યા છે. આ સપરમા સમાચાર આપવા માટે મિત્ર, ખ્યાતનામ સંતુરવાદક, સંગીતજ્ઞ અને વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સ્નેહલ મઝુમદારનો આભાર.

રાજા રામ મોહન રોય

લક્ષ્મીબાગ હોલ પાસે ઊભા રહીને આસપાસમાં કોઈને પૂછીએ કે સેન્ટ ટેરેસા ચર્ચ ક્યાં આવ્યું, તો મોટે ભાગે ‘ખબર નથી’ એવો જવાબ મળશે. પણ જો પૂછીએ કે પોર્ટુગીઝ ચર્ચ ક્યાં આવ્યું તો તરત કહેશે કે જુઓ ને, પેલી નાકા ઉપરની લાલ ઈમારત. એ જ છે પોર્ટુગીઝ ચર્ચ. આપણે ત્યાં સુધી જઈને પછી ડાબે હાથે વળશું. આપણે ઊભા છીએ રાજા રામમોહન રોય રોડ પર. આ તો આજનું નામ. આ રોડનો એક છેડો ચર્ની રોડ સ્ટેશન સુધી પહોંચતો એટલે પહેલાં તે ચર્ની રોડ તરીકે ઓળખાતો. આજનું ચર્ચગેટ સ્ટેશન બંધાયું તે વખતે અગાઉનાં મરીન લાઈન્સ અને ચર્ની રોડ સ્ટેશનને તેના મૂળ સ્થાન કરતાં થોડા દક્ષિણ તરફ, એટલે કે ચર્ચગેટ તરફ, ખસેડાયાં હતાં. એટલે હવે આ રોડનો ચર્ની રોડ સ્ટેશન સાથે પણ બહુ સંબંધ રહ્યો નથી. હવે આ રોડને જેમનું નામ મળ્યું છે તે રાજા રામ મોહન રોયનો જન્મ ૧૭૭૨ના મે મહિનાની ૨૨મી તારીખે, અવસાન ૧૮૩૩ના સપ્ટેમ્બરની ૨૭મી તારીખે. માત્ર બંગાળના જ નહિ, આખા દેશના એમના જમાનાના અગ્રણી સમાજ સુધારક. રાજકારણ, શિક્ષણ, ધર્મ, એમ અનેક ક્ષેત્રોમાં ઊંડો રસ. સતીની પ્રથા અને બાળલગ્નોની કુરૂઢિ સામેની ચળવળના અગ્રણી.

ગિરગામ પોર્ટુગીઝ ચર્ચ

આ રસ્તા ઉપર આગળ વધીએ એટલે વિસ્તાર ‘પ્રાર્થના સમાજ’ તરીકે ઓળખાવા લાગે. ૧૯મી સદીમાં આપણા દેશના દરેકે દરેક ક્ષેત્રમાં ‘સુધારા’નો પવન ફૂંકાવા લાગ્યો હતો. હિંદુ ધર્મની સમૃદ્ધ પરંપરાનો ગર્વ હોવા છતાં કેટલાક અગ્રણીઓ માનતા હતા કે હિંદુ ધર્મમાં અનેક દેવ-દેવી અને ક્રિયાકાંડ, હોમહવન, પૂજાપાઠ, બાધાઆખડી વગેરેનાં જાળાં જામી ગયાં છે તેને દૂર કરવાની જરૂર છે. આ ચળવળની શરૂઆત બ્રહ્મોસમાજ દ્વારા બંગાળમાં થઈ. પછી ૧૮૪૦માં મુંબઈમાં શરૂ થઈ પરમહંસ મંડળી. જ્ઞાતિપ્રથાનો વિરોધ અને જ્ઞાતિનાં બંધનોનો ભંગ એ તેનો મુખ્ય આશય અને કાર્યક્રમ હતો. પણ આવાં કામ જાહેરમાં કરવાની અશક્તિને લીધે તેની બેઠકો ગુપ્તપણે મળતી જેમાં જૂદી જૂદી જ્ઞાતિના લોકો સાથે મળીને ભોજન કરતા. આ ઉપરાંત વિધવાવિવાહનો વિરોધ અને કન્યા કેળવણીની તરફેણ પણ આ મંડળી કરતી હતી. પણ આ મંડળીનું આયુષ્ય બહુ લાંબુ ન નીવડ્યું.

૧૮૬૭માં બ્રહ્મોસમાજી કેશવ ચંદ્ર સેન મુંબઈ આવ્યા. આપણા જ્ઞાની કવિ અખાએ સદીઓ પહેલાં પૂછ્યું હતું : ‘ઘણા પરમેશ્વર એ કયાંની વાત?’ કેશવ ચંદ્ર સેન પણ એક નિરાકાર ઈશ્વરની ઉપાસનાનો પુરસ્કાર કરવા આવ્યા હતા. તેમના ગયા પછી બીજા કેટલાક અગ્રણીઓ સાથે મળીને ૧૮૬૭ના માર્ચની ૩૧મી તારીખે  આત્મારામ પાંડુરંગ તર્ખડકર, તેમના મોટા ભાઈ દાદોબા પાંડુરંગ તર્ખડકર, રામકૃષ્ણ ભાંડારકર વગેરેએ મુંબઈમાં પ્રાર્થના સમાજની સ્થાપના કરી. મહાદેવ ગોવિંદ રાનડે જોડાયા પછી પ્રાર્થના સમાજનો પ્રભાવ અને પ્રચાર ઘણો વધ્યો. પૂણે, અમદાવાદ, અને દક્ષિણ ભારતમાં પણ તેની શાખાઓ શરૂ થઈ. પ્રાર્થના સમાજના અનુયાયીઓ એક અને નિરાકાર, નિર્ગુણ ઈશ્વરની ઉપાસનામાં માનતા, બીજા કોઈ ક્રિયાકાંડમાં નહિ. ધાર્મિક ઉપરાંત સામાજિક ક્ષેત્રે પણ ‘સુધારા’નો પુરસ્કાર પ્રાર્થના સમાજના અનુયાયીઓ કરતા.

પ્રાર્થના સમાજનું મકાન, ૧૯૨૨માં  આવું દેખાતું હતું

પ્રાર્થના સમાજની સ્થાપના થઈ ત્યારે તેની પોતાની કહી શકાય એવી કોઈ જગ્યા નહોતી. એટલે શરૂઆતમાં તેની અઠવાડિક સભાઓ પ્રાર્થના સમાજના પહેલા પ્રમુખ આત્મારામ પાંડુરંગના કાંદાવાડીમાં આવેલા ઘરે થતી. ચર્ની રોડ પર, પોર્ટુગીઝ ચર્ચથી થોડે દૂર એક બરફનું કારખાનું હતું. એ જગ્યા બેંક ઓફ વેસ્ટર્ન ઇન્ડિયાની માલિકીની હતી. પણ અગાઉ આપણે જેની વિગતે વાત કરી છે તે અમેરિકન આંતરવિગ્રહ પૂરો થયા પછી ૧૮૬૫માં શેર બજાર ઊંધે માથે પછડાયું અને અનેક બેન્કો રાતોરાત ભાંગી એમાં આ બેન્કનો પણ સમાવેશ થતો હતો. બેન્કના લિક્વિડેટરો વિનાયકરાવ જગન્નાથ શંકરશેટ, શેઠ લીમજીભાઈ જમશેદજી બાટલીભાઈ, અને મિસ્ટર જોન રોબિન્સન એ ત્રણેએ આ જગ્યાનો કબજો લીધો. તેમણે એક પાઈ પણ લીધા વગર એ જગ્યા પ્રાર્થના સમાજને વાપરવા માટે આપી, અને તેનું કામકાજ એ જગ્યાએ શરૂ થયું. ૧૮૭૨ સુધી તો કામ એ રીતે ચાલ્યું, પણ પછી એ જગ્યા વેચી નાખવાનું નક્કી થયું. હવે? આ જગ્યાની સામે જ ડો. માણેકજી આદરજીની જગ્યા આવેલી હતી. તે ભાડે લઈને પ્રાર્થના સમાજની પ્રવૃત્તિ ત્યાં ખસેડાઈ. એ વખતે જુદાં જુદાં ભાષા, ધર્મ, જાત-પાતના લોકો હળીમળીને અનેક સામાજિક કામ કરતા. પોતાના ધર્મની નહિ એવી પ્રવૃત્તિ માટે અગાઉ લીમજીભાઈ અને રોબિન્સને જગ્યા આપેલી તેમ ડો માણેકજીએ પોતાની જગ્યા ભાડે આપી એટલું જ નહિ, છેલ્લા વરસનું ભાડું પણ પ્રાર્થના સમાજ પાસેથી લીધું નહિ.

પ્રાર્થના સમાજના સ્થાપક સભ્યો

બીજી બાજુ વધુ પ્રવૃતિઓ કરી શકાય તે માટે પ્રાર્થના સમાજનું પોતાનું મકાન હોવું જોઈએ એમ તેના સભ્યોને લાગતું હતું અને તે માટે જગ્યા ખરીદવા માટે ફંડ પણ ઊભું કર્યું હતું. પણ સાતેક હજારની એ રકમ પૂરતી નહોતી. ત્યારે કચ્છના મહારાવે ૧૭૫૦ રૂપિયા ભેટરૂપે મોકલ્યા! એક બાજુ પારસી ડોક્ટર ભાડું જતું કરે છે તો બીજી બાજુ છેક કચ્છથી મહારાવ ભેટ મોકલે છે! એટલે પછી બરફના કારખાનાવાળી એ જગ્યા જ પ્રાર્થના સમાજે ખરીદી લીધી. ૧૮૭૨ના ડિસેમ્બરની ૨૯મી તારીખે મકાનનો પાયો નખાયો. પાયામાં એક કુંભ મૂકવામાં આવ્યો જેમાં તે વખતનાં ઇન્દુપ્રકાશ, નેટિવ ઓપિનિયન અને બીજાં છાપાંની નકલો અને મહાદેવ ગોવિંદ રાનડેનું એક અંગ્રેજી પુસ્તક મૂકવામાં આવ્યું. પાયાના પથ્થર પર શિલાન્યાસનાં તારીખ-વાર પછી જે શબ્દો કોતર્યા હતા તે છે: सत्यमेव जयते અને एकमेवाद्वितीयम्. આઝાદ ભારતે જે શબ્દોને પોતાના મુદ્રાલેખ તરીકે અપનાવ્યા તે પ્રાર્થના સમાજે છેક ૧૮૭૨માં અપનાવ્યા હતા! મકાનનું બાંધકામ ૧૮૭૪ના એપ્રિલમાં પૂરું થયું. હરિશ્ચન્દ્ર સદાશિવ નામના એન્જિનિયરે મકાન અંગેનું બધું જ કામ એક પાઈ પણ લીધા વગર કર્યું એટલું જ નહિ, સામેથી પચાસ રૂપિયા દાનમાં આપ્યા! તો જમીન ખરીદતી વખતે કાનૂની સલાહ આપીને બધી વિધિ પાર પાડવાનું કામ સોલિસિટર કમરૂદ્દીન તૈયબજીએ એકે દમડી લીધા વગર કરી આપ્યું. આ હતી ૧૯મી સદીના મુંબઈની તાસીર.

સંસ્કૃતના પ્રકાંડ પંડિત રામકૃષ્ણ ભાન્ડારકર

આ નવા પ્રાર્થના સમાજ મંદિરમાં પ્રવેશ કરવાનો સમારંભ ૧૮૭૪ના એપ્રિલની ૨૬મી તારીખે સવારે થયો. ડો. માણેકજીવાળી જૂની જગ્યામાંથી સરઘસાકારે નીકળીને સભ્યોએ સવારે સાડા સાત વાગ્યે નવા મકાનમાં પ્રવેશ કર્યો. એ વખતે રામચંદ્ર વિષ્ણુ માડગાંવકરે આ પ્રસંગ માટે ખાસ રચેલું પદ ‘પ્રભુ તેજોમયા, પુણ્યરૂપા દયા’ સૌએ સાથે મળીને ગાયું. પહેલવહેલું ઉપદેશ-પ્રવચન સંસ્કૃતના પ્રકાંડ પંડિત રામકૃષ્ણ ભાંડારકરે આપ્યું હતું. ૧૮૫૭માં સ્થાપાયેલી યુનિવર્સિટી ઓફ બોમ્બેએ ૧૮૬૨માં પહેલી વાર બી.એ. ડિગ્રી માટેની પરીક્ષા લીધી તેમાં માત્ર ચાર વિદ્યાર્થી જ પાસ થયા હતા. તેમાંના બેએ ફર્સ્ટ ક્લાસ મેળવ્યો. તેમાંના એક હતા રામકૃષ્ણ ભાંડારકર અને બીજા હતા મહાદેવ ગોવિંદ રાનડે. વખત જતાં આ મકાનમાં સ્ત્રીઓ, વિદ્યાર્થીઓ, યુવાનો માટે પ્રાર્થના સમાજની બીજી અનેક પ્રવૃત્તિ શરૂ થઈ. શેઠ દામોરદાસ ગોવર્ધનદાસ પરદેશ ગયા ત્યારે તેમણે કેટલાંક પ્રતિષ્ઠિત જાહેર પુસ્તકાલયોની મુલાકાત લીધી હતી. સ્વદેશ પાછા આવ્યા પછી આપણે ત્યાં પણ એવાં જાહેર પુસ્તકાલયો હોવાં જોઈએ એમ લાગતાં તેમણે પહેલાં ધોબી તળાવ પાસે પીપલ્સ ફ્રી રીડિંગ રૂમની સ્થાપના કરી. પછી દાતા તરીકે પોતાનું નામ જાહેર ન કરવાની શરતે પુસ્તાકાલય શરૂ કરવા પ્રાર્થના સમાજને ૨,૧૦૦ રૂપિયાનું દાન આપ્યું અને એ પુસ્તકાલય સાથે પોતાના ગુરુ રામચંદ્ર ભાંડારકરનું નામ જોડવા સૂચવ્યું. ૧૮૯૭ના ડિસેમ્બર મહિનામાં ડો. ભાંડારકર ફ્રી લાયબ્રેરી એન્ડ રીડિંગ રૂમનું ડો. આત્મારામ પાંડુરંગ તર્ખડકરને હાથે ઉદ્ઘાટન થયું.

તર્ખડકર ભાઈઓમાંના સૌથી મોટા દાદોબા પાંડુરંગ (૧૮૧૪-૧૮૮૨) ‘મરાઠી ભાષાના પાણિની’ તરીકે ઓળખાય છે. (સેંકડો વર્ષ પહેલાં પાણિનીએ રચેલું સંસ્કૃત વ્યાકરણ આજે પણ સૌથી વધુ પ્રમાણભૂત મનાય છે.) તેમનું રચેલું વ્યાકરણ દસકાઓ સુધી મહારાષ્ટ્રની સ્કૂલોમાં ભણાવાતું. વ્યવસાયે શિક્ષક દાદોબા પરમહંસ મંડળી સાથે પણ સંકળાયેલા હતા. કેટલોક વખત તેમની બદલી સુરત થઈ હતી ત્યારે તેમણે અને દુર્ગારામ મહેતાજીએ ત્યાં ‘માનવધર્મ સભા’ શરૂ કરી હતી.

ડો. આત્મારામ પાંડુરંગ તર્ખડકર

તેમના નાના ભાઈ ડો. આત્મારામ પાંડુરંગ તર્ખડકરનો જન્મ ૧૮૨૩ના ડિસેમ્બરની ૨૩મી તારીખે. અવસાન ૧૮૯૮ના એપ્રિલની ૨૬મી તારીખે. પ્રાર્થના સમાજની સ્થાપનામાં તેમનો ઘણો મોટો ફાળો. વ્યવસાયે હતા ડોક્ટર. ૧૮૪૫માં મુંબઈમાં ગ્રાન્ટ મેડિકલ કોલેજ શરૂ થઈ. માત્ર મુંબઈ ઈલાકાની જ નહિ, આખા દેશની એ પહેલવહેલી મેડિકલ કોલેજ. આ નવી કોલેજમાં આત્મારામ વિદ્યાર્થી તરીકે દાખલ થયા. તે વખતે હજી યુનિવર્સિટી ઓફ બોમ્બે સ્થપાઈ નહોતી. એટલે ગ્રાન્ટ મેડિકલ કોલેજ પોતે જ પરીક્ષા લેતી અને પોતે જ ડિગ્રી આપતી. એ રીતે પહેલી પરીક્ષા પાસ કરીને જે ચાર વિદ્યાર્થીઓ ડોક્ટર બન્યા તેમાંના એક તે આત્મારામ પાંડુરંગ. તેઓ ડોક્ટર બન્યા ત્યારે શીતળાની રસી મૂકવાની શરૂઆત થઈ હતી. ધર્મનું ઓઠું આગળ કરીને સનાતનીઓ તેનો વિરોધ કરી રહ્યા હતા. ત્યારે તે વખતે પછાત વિસ્તાર ગણાતા થાણેમાં રહીને આત્મારામે સંખ્યાબંધ લોકોને આ રસી મૂકવાનું કામ સફળતાથી કર્યું. વખત જતાં યુનિવર્સિટી ઓફ બોમ્બેના ફેલો બન્યા, મુંબઈના શેરીફ બન્યા, બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટી(આજની એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈ)ના ઉપપ્રમુખ બન્યા.

આ ઉપરાંત સ્કૂલના શિક્ષણ દરમ્યાન જ તેમને ધર્મસુધારણામાં રસ જાગ્યો હતો. વખત જતાં આ રસને કારણે જ તેમણે પ્રાર્થના સમાજની સ્થાપનામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો અને તેના પહેલા અધ્યક્ષ બન્યા. આત્મારામ શિક્ષણનું મહત્ત્વ બરાબર સમજ્યા હતા. તેમનાં બાળકોને ભણાવવા માટે અંગ્રેજ શિક્ષિકા ઘરે આવતાં. કેટલાંક સગાંઓએ અને બીજા લોકોએ તેનો વિરોધ કર્યો પણ આત્મારામ મક્કમ રહ્યા. દીકરાઓને તો ખરા જ, પોતાની ત્રણે દીકરીઓને પણ તેમણે ભણવા માટે વિલાયત મોકલેલી. એ જમાનાના ઘણા સમૃદ્ધ અને ‘સુધારાવાદી’ કુટુંબોની જેમ રહેણીકરણી ધીમે ધીમે અંગ્રેજો જેવી થતી ગયેલી. પ્રાર્થના સમાજમાંના તેમના આગળ પડતા સ્થાનને લીધે હિન્દુસ્તાનના બીજા ભાગોના – ખાસ કરીને બંગાળના – સુધારાવાદીઓ સાથે નિકટના સંબંધો બંધાયેલા. કેટલાક સાથે તો કૌટુંબિક સંબંધ પણ બંધાયેલો. તેમાંના એક હતા રવીન્દ્રનાથ ટાગોરના ભાઈ સત્યેન્દ્રનાથ ટાગોર. પણ હવે આજે મુંબઈથી તરત કલકત્તા જઈ શકાય તેમ નથી. આજનો આપણો ઘણો વખત ધર્મકથામાં ગયો. પણ હવે આવતે શનિવારે વાત માંડશું એક અજબગજબ પ્રેમકથાની. એક મરાઠી મુલગી અને એક બંગાળી બાબુ વચ્ચેની પ્રેમકથાની વાત.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 06 જૂન 2020

Loading

...102030...2,3502,3512,3522,353...2,3602,3702,380...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved