Opinion Magazine
Number of visits: 9456396
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આગ ન લાગે એવું કૈં સુરતમાં થાય છે ખરું?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|3 March 2025

રવીન્દ્ર પારેખ

એક કાળે સુરત આગ અને રેલથી બરબાદ થતું હતું. 2006માં સુરતે અભૂતપૂર્વ રેલ જોઈ, હવે અભૂતપૂર્વ આગ જુએ છે. બાઈકમાં, બસમાં, મકાનોમાં ભડકા ઊઠવાની નવાઈ નથી. વેસુ વિસ્તારમાં થોડા વખત પર ફાસ્ટફૂડ સેન્ટરમાં આગ ફાટી નીકળી હતી. થોડા મહિનાઓ પર અમરોલીમાં દોડતી બાઈકમાં આગ ભભૂકી ઊઠી હતી તો એ જ દિવસે ડિંડોલીમાં ચાર્જિંગમાં મૂકેલી બેટરીમાં આગે દેખા દીધી હતી. સુરતના વરાછા મીની બજાર પાસે શ્રી લક્ષ્મીબા સોસાયટીના એક મકાનમાં ત્રણેક અઠવાડિયા પર આગ લાગી હતી. સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી. 20 ફેબ્રુઆરીએ અશ્વનિકુમાર રોડ પરની એક શાળાની લાઇબ્રેરીમાં એ.સી. ચાલુ કરવા જતાં ધડાકા સાથે આગ લાગી હતી. 24 મે, 2019ને રોજ સુરતના તક્ષશિલા આર્કેડમાં એક સાથે 22 બાળકોને આગ એવી લપેટાઈ હતી કે અગ્નિસંસ્કારની ય ગરજ ન રહે. 

25 ફેબ્રુઆરી, 2025ની બપોરે સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ એવી ભડકી કે 38 કલાકમાં 80 લાખ લિટર પાણી પણ તેને પૂરી હોલવી ન શક્યું. આટલા સમયમાં આટલું પાણી કદાચ પહેલી વાર વપરાયું હશે. 25મીએ લાગેલી આગ હોલવાઈ તો ખરી, પણ 26મીની સવારે કોઈક કારણસર સવારે ફરી ભડકો થયો ને જોતજોતામાં એવી ફેલાઈ કે મ.ન.પા.ની 22 સ્ટેશનની 35 ગાડી, હજીરા સહિતની કંપનીની 7 ગાડી, 150થી વધુ ફાયર લાશ્કરો, 25 જેટલા ફાયર ઓફિસરોની ભારે જહેમત પછી માંડ પરિસ્થિતિ થાળે પડી. કેટલાક ફાયર જવાનો તો ઑક્સિજન માસ્ક લગાવીને જીવને જોખમે ફરજ બજાવતા હતા. તેમાં એક જવાનને તો હાથમાં ઇજા થતાં હોસ્પિટલે ખસેડવા પડ્યા. કેટલાકને તો ધુમાડાની અસર પણ થઈ. 

5 માળની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં 843 દુકાનો છે ને તેમાંથી 700 દુકાનો આગની લપેટમાં આવી છે, જેણે 850 કરોડનાં નુક્સાનનો આંકડો પાડ્યો છે. આ દુકાનોમાં સાડીઓ, કાપડ ને તેને લગતો માલસામાન હતો. તેને તો નુકસાન થયું જ છે, પણ આગની પ્રચંડ ગરમીને કારણે કૉલમ ફાટી ગયાં ને ચોથા, પાંચમાં માળના આર.સી.સી.ના સ્લેબના પોપડા પણ ખરી પડ્યા. આગ એ હદે ફેલાઈ કે ફાયર વિભાગના 25થી 30 લાખનાં સાધનો પણ એમાં ફૂંકાઈ ગયાં. કૂલિંગની કામગીરી પણ ચાલી, પણ પ્રશ્ન હવે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો છે, એટલે બિલ્ડિંગને સીલ કરી દેવાયું છે. એકવાર સ્ટ્રક્ચર સ્ટેબિલિટી કન્ફર્મ થાય પછી જ માર્કેટમાં પ્રવેશ અપાશે. 

આગ કયાં કારણે લાગી એનો જવાબ કોઇની પાસે નથી. તંત્રો તો પોલ ખૂલવા માટે જ હોય છે, તે અહીં પણ છે. રંગીન કાપડ રાખમાં ફેરવાયું છે, એટલું જ નહીં, એક વેપારીના રોકડા 20 કરોડની રાખ પડી ગઈ હોવાની દહેશત છે. એ રૂપિયા પાછા બીજા વેપારીઓના છે, એ કેવી બરબાદી નોતરશે તે તો એ જ જાણે ! માર્કેટના લગભગ તમામ વેપારીઓને માથે હાથ દેવાનો વારો આવ્યો છે. ફોસ્ટા-ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન-મદદમાં છે, પણ કેટલાક વેપારીઓને માલ તો ઠીક, પણ હિસાબકિતાબની વિગતો ને ચૂકવણી કે ઉઘરાણીના કોઈ પુરાવા પણ બચ્યા નથી. એથી માર્કેટમાં ફરતાં નાણાં પર પણ બ્રેક લાગી છે. સંજોગો એવા છે કે કોઈ આપી શકે એમ નથી ને કોઈ માંગી શકે એમ નથી. વેપારીઓ દુકાનોમાં જઈને માલસામાનની ને નુકસાનની વિગતો જાણવા ઈચ્છે છે, પણ પોલીસ અધિકારીઓ તેમને એ જોખમ ખેડવાની ના પાડે છે. વિચારવાનું તો એ પણ છે કે ઠરી ગયેલી આગ ફરી કેમ ભડકી?

થોડો વખત ફાયર એન.ઓ.સી.ના, ઇમ્પેક્ટ ફીના, ગેરકાયદે દુકાનોના એ જ ચવાયેલા, ચૂંથાયેલા પ્રશ્નો પુછાશે ને ફરી ભડકો ન થાય ત્યાં સુધી બધું અભરાઈએ ચડી જશે ને ફરી આગ લાગશે તો એ જ ચૂંથાચૂંથ ! ચામડી એટલી જાડી થઈ ગઈ છે કે ગેંડાની ચામડી પાતળી લાગે. શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની જ વાત કરીએ તો 2001માં ઇમ્પેક્ટ ફીના કાયદા હેઠળ 1.55 કરોડ રૂપિયા ભરીને ગેરકાયદે બાંધકામ કાયદેસર કરવામાં આવ્યું. માર્કેટના સંચાલકોએ કાયદાનો લાભ લઈને બેઝમેન્ટમાં એ.સી. પ્લાન્ટ અને ટેરેસ પર હૉલ મંજૂર કર્યા. એ પછી બેઝમેન્ટમાં 130 અને ટેરેસ પર 26 દુકાનો બની ગઈ. પાલિકાનું પણ કહેવું છે કે 1998થી 2001 વચ્ચે ગેરકાયદે બાંધકામ થયું હશે. એ સાચું હોય તો 2001થી 2025 સુધીમાં મ.ન.પા., સુરતને એ તરફ નીકળવાનું જ નહીં થયું હોય ને હમણાં જ આગનો સામનો કરવાનો આવ્યો હશે, એવું? 

ઘણીવાર ગેરકાયદે બાંધકામો ઘણી મુશ્કેલીઓ ઊભી કરે છે. શિવશક્તિ સુધી પહોંચવાનું ફાયર વેહિકલ્સને એવું મુશ્કેલ થયું કે બે જે.સી.બી.નો ઉપયોગ કરીને અવરોધો દૂર કરવા પડ્યા. માર્કેટમાં વેન્ટિલેશનની બારીઓ ઈંટથી કવર કરવામાં આવી હોય ને ત્યાં પણ કાપડ કે સાડીઓ ઠૂંસવામાં આવી હોય કે માર્કેટનું વાયરિંગ પણ પચીસથી વધુ વર્ષનું જૂનું હોય, તો નથી લાગતું કે જોખમો સામે ચાલીને ઊભાં કરવામાં આવ્યાં છે? સવાલ તો એવો પણ છે કે મંગળવારે પાવર બંધ કરાયો હતો તો બુધવારે શોર્ટ સર્કિટ થઈ કેવી રીતે? 

દુર્ઘટનાને ચોથે દિવસે FSL અને SVNITની ટીમ આગ લાગવાનું કારણ જાણવા સ્થળ પર પહોંચી એ દરમિયાન પોલીસ અને ટ્રાફિક રાબેતા મુજબ વર્તતાં જોવાં મળ્યાં. આગ લાગવાનું કારણ જાણવા નથી મળ્યું, પણ આગ લાગવાની દહેશત હજી હોય તેમ ફાયરની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વેપારીઓ એ આશામાં ભેગા થાય છે કે દુકાનમાં કેટલી નુકસાની થઈ તે જોવા પરનું પોલીસનું નિયંત્રણ દૂર થાય. વધારે નુકસાન એ કારણે પણ થયું છે કે રમજાન માસ સામે હતો, એટલે વેપારીઓએ સ્ટોક ફુલ કરી દીધો હતો. એક દુકાનમાં તો 20,000 સાડીઓ સ્ટોક કરી રાખી હતી. એ જ રીતે એક વેપારીની દુકાનમાં જુદા જુદા વેપારીઓના 20 કરોડ પડ્યા હતા તે લેવા જવા દેવાની વાત વેપારીએ તંત્રને એમ કહીને કરી કે રૂપિયાને કૈં થયું તો પોતે બરબાદ થઈ જશે, પણ તેવી છૂટ આપવામાં ન આવી. એક ધારાસભ્યે મુખ્ય મંત્રીને વેપારીઓને સહાય માટે પત્ર પણ લખ્યો છે. 

રાબેતા મુજબ મદદ તો મળશે, પણ સવાલ એ છે કે ગેરકાયદેસર બાંધકામને ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કોણ કરે છે? ને ઇમ્પેક્ટ ફી ભરવાથી ગેરકાયદેસર, કાયદેસર કેવી રીતે થઈ જાય છે? બેઝમેન્ટમાં ને ટેરેસ પર દુકાનો કયા જોર પર કમાણી કરવા લાગે છે? પતરાંના શેડમાં કઈ રીતે ને કોને જોખમે દુકાનો શરૂ થાય છે? સિન્થેટિક કાપડ પેટ્રોલની ગરજ સારે છે, છતાં જરૂર કરતાં સિન્થેટિક કાપડ ઠેર ઠેર ઠાંસવામાં આવે ને વેન્ટિલેશન જ વેન્ટિલેટર પર મુકાય એવી ગીચતા જોખમમાં કેવી રીતે ઉપકારક નીવડે તે નથી સમજાતું. ફાયર એન.ઓ.સી. તેની ગંભીરતા ગુમાવીને કમાણીનું સાધન બની ગયું છે. કમાણીની લહાયમાં જાત પરનું જોખમ વધે ને તેની ખબર જ ન પડે, એટલું ભોળપણ તો બાળકમાં ય નથી બચ્યું, તો, આ તો વેપારીઓ છે, તે આવું જોખમ અગાઉથી ઓળખી ન શકે એ શક્ય છે? 

કોઈ પણ કમાણી કરે ને વિકાસ કરે એનો તો આનંદ જ હોય, પણ સવાલોનો સવાલ એ છે કે અમર્યાદ કમાણીની લહાયમાં કમાણી જ રાખ થવા પર આવે તો તેટલું જોખમ ઉઠાવવા જેવું ખરું? રાખ થવા સુધી લોભ જ ન ઘટે એ હદે કમાણી કરવાનો કોઈ અર્થ ખરો? ઢગલો કમાયા પછી પણ રાખ જ હાથમાં આવે તો એવા રૂપિયાનો કોઈ મતલબ ખરો? આપણા લોભને તો થોભ જ નથી, એટલે આપણી જ બેવકૂફીનો ઉપયોગ કરીને કુદરત પાઠ ભણાવે છે, પણ આટલું વીતવા છતાં આપણે શીખતા નથી, નહિતર આટલી ઠોકર વાગ્યા પછી તો ફેર પડેને ! 

જોખમ વખતે જે બચાવી શકે એ ફાયરની ગાડીઓ આગ સુધી પહોંચી જ ન શકે, એટલા સાંકડા રસ્તાઓ ને આડેધડ પાર્ક કરેલાં વાહનો એ કુદરતે કરેલી વ્યવસ્થા છે? તો, આનો વર્ષો પછી પણ વેપારીઓને કે ફોસ્ટાને વિચાર જ ન આવે એ કેવું? ગેરકાયદે દુકાનો, જૂનું વાયરિંગ વગેરે વાતો ફોસ્ટાને ખબર જ નથી કે એ જોવાની તેની જવાબદારી જ નથી? 850 કરોડનું રાખોડી નુકસાન થયું હોય ત્યારે સૌ વેપારીઓ માટે સહાનુભૂતિ જ હોય ને એવે વખતે પડતાં પર પાટુ ન જ મરાય, પણ ધમધોકાર કમાણી વખતે આવી વાતોનો કોઈ વિચાર જ નથી કરતું એ પણ હકીકત છે. ફાયર એન.ઓ.સી. આપે કે ગેરકાયદેસરને કાયદેસર કરી આપે તે પછી ક્યારે ય એના પર નજર નાખવાની તંત્રોની ફરજ હોય છે કે ‘નજર બગાડવા’માં જ બધું પૂરું થઈ જાય છે? 

કોણ જાણે કેમ પણ, પ્રજા તરીકેની આપણી અપ્રમાણિકતા અને તંત્રોની ભ્રષ્ટતા ઉત્તરોત્તર વધતી જ આવે છે ને તંત્રો તો એનાથી તગડાં જ થાય છે, પણ પ્રજાના હાથમાં છેવટે તો રાખ જ આવતી હોય છે ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 માર્ચ 2025

Loading

કાલારામ મંદિર પ્રવેશ સત્યાગ્રહ : ઇતિહાસનું એક ભૂલાવી દેવાયેલું પૃષ્ઠ

વિરાગ સૂતરિયા|Opinion - Opinion|2 March 2025

વિરાગ સૂતરિયા

આપણી સ્વાતંત્ર્ય ચળવળમાં સત્યાગ્રહોનું વિશિષ્ટ સ્થાન છે. લોકજાગૃતિ માટે આ સત્યાગ્રહોએ ખૂબ મોટી ભૂમિકા ભજવી હતી. દાંડી, બારડોલી, ચંપારણ વગેરે સત્યાગ્રહોને અર્વાચીન ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ સ્થાન મળ્યું છે. લોકો પણ આ સત્યાગ્રહો વિશે સારા એવા માહિતગાર છે. આપણા દેશના અર્વાચીન ઇતિહાસના બે સત્યાગ્રહો એવા છે કે જે માનવઅધિકારો માટે લડાયેલા. પણ એ ઇતિહાસમાં કે લોકજીવનમાં એટલા યાદ કરાતા નથી. કે એના વિશે અભ્યાસક્રમોમાં પણ એટલું ભણાવાતું નથી. આ બંને સત્યાગ્રહોનું નેતૃત્વ બાબાસાહેબ આંબેડકરે કર્યું હતું. આ બંને સત્યાગ્રહો મહારાષ્ટ્રમાં થયા હતા. એમાંથી એક મહાડ – ચવદાર તળાવમાંથી દલિતોને પાણી પીવા માટેના અધિકાર માટે કરવામાં આવ્યો હતો. અને બીજો નાસિકના કાલારામ મંદિરમાં પ્રવેશ માટે.

1930માં બીજી માર્ચના દિવસે રાજનૈતિક આઝાદી મેળવવા સવિનય કાનૂનભંગની ચળવળ ચાલુ કરવા અંગે ગાંધીજીએ વાઇસરૉયને પત્ર લખીને દેશભરમાં આંદોલનનો પ્રારંભ કર્યો હતો. તે સમયે બાબાસાહેબ આંબેડકર અસ્પૃશ્યોને સામાજિક આઝાદી મળે એ માટે મથતા હતા.

2જી માર્ચ 1930ના દિવસે નાસિકમાં બાબાસાહેબના નેતૃત્ત્વમાં મોટી સભા થઇ. જેમાં નાસિકના કાલારામ મંદિરમાં પ્રવેશ મેળવવા માટે સત્યાગ્રહ કરવાનું નક્કી કરવામાં આવ્યું અને એ માટે ત્રીજી માર્ચનો દિવસ નક્કી થયો.

મંદિરના ટ્રસ્ટીઓ અને પૂજારીઓને પહેલાંથી જ સત્યાગ્રહની સૂચના આપી દેવાઇ હતી કે જેથી તેઓ નિર્ણય કરી શકે. ધર્મ સમાનતા શીખવતો હોય તો મંદિરમાં દરેકને પ્રવેશ હોય. અને જો ચોક્કસવર્ગને પ્રવેશ ન હોય તો એ કલંક ગણાવું જોઇએ. બાબાસાહેબના નેતૃત્વમાં અસ્પૃશ્યો પોતાના અધિકારની પ્રાપ્તિ માટે સજ્જ હતા. બાબાસાહેબ સનાતનીઓના હ્રદય પરિવર્તન દ્વારા મંદિર પ્રવેશ ઇચ્છતા હતા. આ અગાઉ 1929માં પુનાના પાર્વતી મંદિર અને મુંબઇના મુંબાદેવી મંદિર પ્રવેશના પ્રસંગો બાબાસાહેબના નેતૃત્વમાં સફળ રહ્યા હતા.

ત્રીજી માર્ચના રોજ બપોરે ત્રણ વાગે મંદિર પ્રવેશ માટે વિશાળ સરઘસ ચારચારની હરોળમાં ગોઠવાઇ ગયું. નાસિક ભાઉરાવ ગાયકવાડની કર્મભૂમિ હોઇ બાબાસાહેબના અનુયાયીઓ વિશેષ સંખ્યામાં હતા, એટલે 20-25 હજાર માણસો ભેગા થયા હતા. કાયદો વ્યવસ્થા જળવાય એટલા માટે સમગ્ર નાસિકમાં પોલીસ ખડકી દેવાઇ હતી. ડો. આંબેડકરની આગેવાનીમાં એક માઇલ લાંબું સરઘસ મંદિર પ્રવેશ માટે નિકળ્યું. સરઘસની મોખરે સૈનિક બેન્ડ ચાલતું હતું જ્યારે પાછળ સ્કાઉટ એન્ડ ગાઇડની ટૂકડી હતી. જેની પાછળ 500 સત્યાગ્રહીઓની ટૂકડી હતી. બધાના મનમાં હતું કે મંદિરના દરવાજા ખુલ્લા હશે, પૂજારીઓ સામેથી સ્વાગત કરશે. પણ સરઘસ જોઇને પૂજારીઓએ દરવાજા બંધ કરી દીધા. સંચાલકોના એવી ફિરાકમાં હતા કે મંદિરના દરવાજા બંધ જોઇને સરઘસમાં રહેલા માણસો હુમલો કરશે જેથી ધાંધલ-ધમાલ થશે અને વ્યવસ્થા જાળવવા પોલીસ બળપ્રયોગ કરશે. જેથી મંદિર પ્રવેશની જગ્યાએ અસ્પૃશ્યો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થશે. પણ  બાબાસાહેબના નેતૃત્વમાં રહેલા લોકો બિલકુલ શાંત અને અહિંસક રહ્યા. 

બાબાસાહેબ એમને ગોદાવરીના ઘાટ પર દોરી ગયા. ત્યાં સભા ભરાઇ અને નક્કી થયું કે જ્યાં સુધી મંદિરના દરવાજા ના ખૂલે ત્યાં સુધી મંદિરના દરેક દરવાજે બેસીને શાંત ધરણાં કરવાં. લોકોએ સત્યાગ્રહ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી. આ રીતે સત્યાગ્રહ ચાલુ રખાયો. 125 પુરુષો અને 25 સ્ત્રીઓ મંદિરના દરવાજે ઘેરો ઘાલીને બેઠાં હતાં. મંદિરની ચારેબાજુ પોલીસ ગોઠવી દેવાઇ હતી. સત્યાગ્રહીઓની એક ટૂકડી જાય એટલે બીજી ટૂકડી ધરણાં માટે આવતી. પણ મંદિરના દરવાજા ન ખૂલ્યા તે ન જ ખૂલ્યા. આમને આમ એક મહિનો વિત્યો. સમગ્ર દેશમાં મંદિર સત્યાગ્રહ ચર્ચામાં હતો. દેશભરમાંથી ઘણા લોકોએ બાબાસાહેબને સમર્થન આપ્યું. મંદિર બંધ હતું અને રામનવમી નજીક આવતી હતી. નગરયાત્રા કાઢવાનો સમય આવી ગયો હતો. એવામાં સત્યાગ્રહીઓએ સંચાલકોને વિનંતી કરી કે જે રીતે મંદિરનો રથ હિંદુ યુવાનો ખેંચે છે એવી રીતે જ રથ ખેંચવાની છૂટ અસ્પૃશ્યોને પણ આપવી જોઇએ. સીટી મેજિસ્ટ્રેટે બંને પક્ષોને સાથે રાખીને  એક બાજુ હિંદુ યુવાનો રથ ખેંચે અને એક બાજુ અસ્પૃશ્ય યુવાનો રથ ખેંચે એવું સમાધાન કરાવ્યું.

આ દરમિયાન બાબાસાહેબના કાર્યકર્તાઓને એવું જાણવા મળ્યું કે, ભીડમાં અંધાધૂંધીનો લાભ લઇને કેટલાક લોકો બાબાસાહેબની હત્યા કરવાનું આયોજન કરી રહ્યા છે. દાદાસાહેબ ગાયકવાડે આ વાત જણાવી બાબાસાહેબને કહ્યું કે, “ગાડી તૈયાર છે આપ નીકળી જાઓ”. ત્યારે બાબાસાહેબે કહ્યું કે, હું સૈનિકનો દીકરો છું એમ જીવ બચાવવા ભાગું નહીં. એના કરતાં તો મૃત્યુ સારુ.”

આ નગરયાત્રા જોવા માટે લગભગ એક લાખની મેદની એકઠી થઇ હતી. આ બાજુ હિંદુ યુવાનોએ સમાધાનનો ભંગ કરીને અસ્પૃશ્ય યુવાનો પર હુમલો કર્યો. જેના પરિણામે ધાંધલ- ધમાલ થઇ જેનો લાભ લઇ બીજા હિંદુઓ રથને લઇને દોડ્યા અને રથ એક સાંકડી ગલીમાં ઊભો કરી દીધો. જ્યાં સશસ્ત્ર પોલીસ તૈયાર હતી. અસ્પૃશ્ય યુવાનો રથ ખેંચવાની રસમ પૂરી કરવા માગતા હતા. પણ જેવા એ રથની નજીક જાય કે તરત તેમના પર હુમલો થતો. આમ, હુલ્લડની સ્થિતિ પેદા થઇ. 

બાબાસાહેબને આ ખબર પડતાં તેઓ ભીડમાંથી માર્ગ કરતા ઘટનાસ્થળે આવ્યા. એમને જોઇને તોફાનીઓએ પથ્થરમારો કર્યો. બાબાસાહેબ લોહીલુહાણ થઇ ગયા. અસ્પૃશ્ય યુવાનોએ બાબાસાહેબને ચારેબાજુથી ઘેરીને એમનું રક્ષણ કર્યું. બાબાસાહેબને હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. રામનવમી લોહિયાળ બની ગઇ. નાસિકમાં અસ્પૃશ્યો અને રૂઢિચુસ્ત હિંદુઓ વચ્ચે હુલ્લડ ફાટી નીકળ્યું. રામનવમી પૂરી થઇ, બીજે દિવસે પણ સત્યાગ્રહ ચાલુ થઇ ગયો. અસ્પૃશ્યો મંદિર પ્રવેશ માટે જ્યારે રૂઢિચુસ્તો મંદિરમાં અસ્પૃશ્યો ન પ્રવેશે તે માટે મક્કમ હતા. રોજે રોજ સત્યાગ્રહીઓની ટુકડીઓ મંદિરના બંધ દરવાજે આવી જતી. પોલીસ આવીને એમની ધરપકડ કરતી તો બીજી ટુકડી આવતી. સરકાર સજા કરતી એમ સત્યાગ્રહીઓ વધુ મજબૂત બનતા. આમને આમ એક વર્ષ સુધી મંદિરના દરવાજા બંધ રહ્યા. આખરે રથયાત્રાની પ્રથા જ બંધ કરી દેવામાં આવી કારણ કે બાબાસાહેબના અનુયાયીઓ સત્યાગ્રહની ઘોષણા કરી દેતા હતા. સમય વીતતો ગયો બાબાસાહેબ બીજાં કામોમાં વ્યસ્ત રહેતા હોવાથી નાસિક સત્યાગ્રહને પૂરતો સમય આપી શકતા નહોતા.

આખરે 1935ના ઑક્ટોબર માસમાં મંદિર પ્રવેશનો કાયદો બનતાં મંદિરના દરવાજા અસ્પૃશ્યો માટે ખૂલ્યા. બાબાસાહેબે હિંદુઓના હ્રદય પરિવર્તન દ્વારા મંદિર પ્રવેશ મેળવવા સત્યાગ્રહ આરંભેલો. હ્રદય પરિવર્તન તો ન થયું પણ કાયદો થયો એટલે દ્વાર ખૂલ્યાં. સત્યાગ્રહમાં હ્રદય પરિવર્તન મુખ્ય ગણાય પણ પોતાના જ દેશબાંધવો માટે અન્ય દેશબાંધવોનું હ્રદય પરિવર્તન ન થયું એ કેટલું દુઃખદ. 

૨૦૨૨ના ડિસેમ્બરમાં નાસિક જવાનું થયું હતું.  ત્રિરશ્મિ ગુફાઓ જોયા બાદ ખાસ કાલારામ મંદિરે ગયો હતો. મંદિરના પટાંગણની દીવાલ પર મંદિર અને તે ક્ષેત્રનું મહત્ત્વ દર્શાવતી વિગતો છે. પણ એમાં આ સત્યાગ્રહનો ઉલ્લેખ ન જ હોય ને !?!?! હા, મંદિરના પટાંગણની બહારની દીવાલ પર કર્મવીર દાદાસાહેબ ગાયકવાડની જન્મશતાબ્દી(2001-૦2)ના ઉપલક્ષ્યમાં ઇ.સ. 2008માં તત્કાલિન સરકાર દ્વારા એક શિલાલેખ કોતરાવવામાં આવ્યો છે. જેમાં સત્યાગ્રહ સમિતિના તમામ સભ્યોનાં નામ છે. કાલારામ મંદિર પ્રવેશ સત્યાગ્રહ અને મહાડ ચવદાર તળાવ સત્યાગ્રહ માનવ અધિકારો અને દેશના વંચિતોના ઇતિહાસનાં સુવર્ણપૃષ્ઠ તરીકે કાયમ યાદ રહેશે. 

e.mail : viragsutariya@gmail.com

Loading

બાંગ્લાદેશ અને પાકિસ્તાનઃ આંતરરાષ્ટ્રીય સંબંધોના તણાવની સીધી અસર ભારતના આંતરિક કોમી એખલાસ પર

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|2 March 2025

મુસલમાન બહુમતી ધરાવતા આ બન્ને રાષ્ટ્રોમાં જે પણ થઇ રહ્યું છે તેની અસર આપણા દેશમાં દેખાઈ આવે છે. આમે ય આપણે ત્યાં તો ઝનૂનનું રણશિંગુ વગાડવાનો શોખ ભલભલા લોકોને થઇ આવે છે, અને મોટે ભાગે એમાં તર્ક નથી હોતો.

ચિરંતના ભટ્ટ

તાજેતરમાં જ આપણે બધાંએ રસથી ICC ચેમ્પિયન્સ ટ્રોફીની એકથી વધુ મેચ જોઇ. આપણી ટીમની શરૂઆતી મેચ પહેલાં બાંગ્લાદેશ સાથે હતી અને પછી પાકિસ્તાન સાથે હતી. બન્ને દેશો સામેની મેચ પછી, તે દરમિયાન સોશ્યલ મીડિયા પર જાત-ભાતનું કોન્ટેન્ટ ફરતું થયું. આપણા દેશના સંબંધો બાંગ્લાદેશ અને પાકિસ્તાન બન્ને સાથે તંગ છે. પાકિસ્તાન સાથે તો સારા સંબંધ લાંબો સમય ક્યારે રહ્યા હતા તે વિચારવામાં સમય લાગે એમ છે. તો વળી બાંગ્લાદેશના પૂર્વ વડાં શેખ હસીના ત્યાંથી છટકીને આપણે ત્યાં શરણું લેવા આવ્યાં એ પછી જે રીતે બાંગ્લાદેશમાં અરાજકતા ફેલાઇ છે તે આગની ઝાળની ગરમી આપણને ભારતમાં બેઠા બેઠા દઝાડી જાય છે.

મુસલમાન બહુમતી ધરાવતા આ બન્ને રાષ્ટ્રોમાં જે પણ થઇ રહ્યું છે તેની અસર આપણા દેશમાં દેખાઈ આવે છે. આમે ય આપણે ત્યાં તો ઝનૂનનું રણશિંગુ વગાડવાનો શોખ ભલભલા લોકોને થઇ આવે છે, અને મોટે ભાગે એમાં તર્ક નથી હોતો. વળી આપણા દેશમાં ધ્રુવીકરણની છેડીએ ત્યાં ચાર ગણું ધ્રુવીકરણ થઇ જાય એવો નાજુક માહોલ થઇ ગયો છે. ફોનની સ્ક્રીનમાં જોતાં જોતાં આખી દુનિયા વિશે બધું જ ટૂંકમાં જાણી લેવાના આપણા મોહમાં આપણે ઘણું બધું ચૂકી જઇએ એમ બને એમાં આપણને કદાચ એ કળાય નહીં કે બાંગ્લાદેશ સાથે સાત આઠ મહિનાથી જે રીતે સંબંધો બગડ્યાં છે તેની અસર માત્ર અર્થતંત્ર પર નથી પડી પણ આપણા દેશના આંતરિક ઐક્ય પર પણ પડી છે.

શેખ હસીના જ્યારે બાંગ્લાદેશના વડાં હતાં ત્યારે તેમણે ભારત સાથે સંબંધો બહુ જ સારાં રાખ્યા હતાં. ભારતનો પણ તેમને ટેકો મળતો, ત્યાંની ચૂંટણી આપણે માટે પણ અગત્યની ગણાતી કારણ કે શેખ હસીના જીતે તો ભારત નિશ્ચિંત રહી શકે અને વ્યાપારી સંબંધો પર પણ કામગીરી થાય. વિદ્યાર્થી આંદોલને શેખ હસીનાની સરકાર ઉથલાવી દીધી અને વચગાળાની સરકારના વડા તરીકે નોબેલ લોરિયેટ મોહમંદ યુનૂસ બાંગ્લાદેશમાં નિમાયા. આ પરિવર્તન આપણી કેન્દ્ર સરકારને ગોઠ્યું નથી. તેમના મતે બાંગ્લાદેશ સાથેના આપણા વ્યૂહાત્મક સંબંધો પર આ પરિવર્તનની અસર પડી છે.  બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીઓ પર જુલમ થઇ રહ્યા હોવાના સમાચારો સતત ફેલાયા અને તેની અસર આપણે ઘર આંગણે પણ જોઇ. મોહંમદ યુનૂસે લોકોને વિનંતી કરી છે કે શાંતિ જાળવે અને તમામ કોમોની સલામતીને ગણતરીમાં લે. એક તરફ આ સ્થિતિ છે તો બીજી તરફ બાંગ્લાદેશથી ભારત શરણાગતિ લેનારા હિંદુઓનો પ્રશ્ન ખડો થયો તો માનવતાને નાતે કોઇપણ કોમના શરણાર્થીને રક્ષણ મળવું જોઇએ એ મુદ્દો પણ આગળ કરાયો. સ્વાભાવિક છે કે આપણા બિનસાંપ્રદાયિક બંધારણને એ જ છાજે.

અત્યાર સુધી પાકિસ્તાન સાથે તણાવ વધતો તો ઘર આંગણે હિંદુ મુસલમાનમાં તણાવ થતો હવે આ તંગ પરિસ્થિત ખડી કરવામાં બાંગ્લાદેશ પણ ઉમેરાયો છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશની મીલી ભગત ભારતને રાજકીય, આર્થિક અને સામાજિક તમામ રીતે ભારે પડે તે સ્વાભાવિક છે. આપણાં આર્મી ચિફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ એક ઇન્ટરવ્યૂમાં એમ કહ્યું છે કે પાકિસ્તાન આર્મી – આઇ.એસ.આઇ.ના એક પ્રતિનિધિ મંડળે તાજેતરમાં બાંગ્લાદેશના એ વિસ્તારની મુલાકાત લીધી હતી જે પશ્ચિમ બંગાળમાં સિલીગુરીની નજીક છે – અને આ બન્ને ભારત સામે લડવા માટે ભેગા થાય એ શક્યતા નકારી શકાય તેવી તો નથી જ અને ભારે ચિંતાજનક પણ છે.

બાંગ્લાદેશમાં હિંદુઓ સામે થતા અત્યાચારો અંગે સાચી ખોટી માહિતી ફેલાતી રહે છે અને તેમાં આપણે ત્યાં રાષ્ટ્રીય સેવક સંઘ બાંગ્લાદેશ વિરોધી દેખાવો કરી ચૂકયો છે.  પાકિસ્તાનમાં ગયા વર્ષે હિંદુઓ સાથે હિંસા થઇ હોવાના સોથી વધુ કેસ થયા છે. બાંગ્લાદેશ કરતાં આ આંકડો ઘણો ઓછો છે પણ છતાં પણ ધાર્મિક લઘુમતી સામે થતા ગુના ત્યાં પણ અટક્યા નથી તે સાબિત થાય છે. પાકિસ્તાને આ અટકાવવા પગલાં લેવા જોઇએની અપીલ આપણી સરકારે ભાર દઇને કરી છે. વળી પાકિસ્તાનમાં હિંદુ વિરોધી ઘટના ઘટે એટલે ઘર આંગણે વૈમનસ્યનો વાયરો ફુંકાય અને આપણે ત્યાં શાંતિ ડહોળાય.

આ ઉપરાંત, સરહદની આરપાર થતા આતંકી હુમલાઓ, ગેરકાયદે સ્થળાંતર અને ધાર્મિક સતામણીના મુદ્દા પાકિસ્તાન કે બાંગ્લાદેશ ક્યાં ય પણ થતા હોય તને રાજકીય રંગે રંગીને ભારતમાં ઉચાટ થાય, બે ધાર્મિક જૂથો વચ્ચેની ખાઈ વધે તેવી પ્રવૃત્તિઓ કરનારાઓની પણ ખોટ નથી. વળી સોશ્યલ મીડિયા હોય કે અમુક પ્રકાર અને સ્તરના ઇલેક્ટ્રોનિક મીડિયા તેમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં જે થતું હોય તે અંગે ઘોંઘાટ કરીને આપણા દેશમાં વસનારા મુસલમાનોને હેરાનગતિ થાય તો ચાલે પ્રકારનું નેરેટિવ ચલાવાય છે, આ તદ્દન શરમજનક છે પણ આપણા બિનસાંપ્રદાયિક દેશમાં છેલ્લી પાટલીએ બેસનારાઓને ગરિમા કે બંધારણની પડી નથી હોતી. વળી સોશ્યલ મીડિયા પર બેફામ ખોટી માહિતીઓ પ્રસરતી રહેતી હોય છે.  પાકિસ્તાન અને બાંગ્લાદેશની ખરાઈ કર્યા વિનાની અને વૈમનસ્ય ફેલાવે એવી માહિતી ફેક વાઇરલ વીડિયો, ફેક ન્યુઝ વગેરેના રૂપમાં લોકો સુધી પહોંચે છે. આ કારણે સ્થાનિક સંજોગો સંગીન ન હોય તો ય સંગીન બનવા માંડે છે.

ભારતમાં વસનારા મુસલમાનો માટે આવા સંજોગો બહુ વિકટ બની જાય છે. અન્ય દેશમાં તેમની કોમના લોકો ખોટું કરે અથવા તો એ પ્રકારના ખોટા સમચાર ફેલાય ત્યારે તો પાડાને વાંકે પખાલીને ડામ જેવો ઘાટ થાય છે અને વગર વાંકે તેઓ નિશાને લેવાય છે. તેમની સાથે અવારનવાર ભેદભાવ, શંકા અને તેઓમાં કંઇક ખોટું જ છે તેવું ધારીને દુર્વ્યવહાર કરાય છે.  વળી આમાં સરકારનો વાંક ન કાઢીએ પણ માળું ધર્મના ‘વાદ’ને ગળે વળગાડનારઓ ખુદને સરકારના ખાસ માનતા હોય છે, જે કદાચ સરકારને ય ન ખબર હોય. પોતે ભારતમાં રહે છે માટે ભારતીય છે અને દેશના શત્રુ નથી તે સાબિત કરવાનો વારો આવશે તો શું થશે તેની દહેશતમાં આપણા દેશના લોકોને જીવવું પડે તો બિનસાંપ્રદાયિક લોકશાહી રાષ્ટ્ર તરીકેની આપણી ઓળખ પર આપણે ગૌરવ કરવાનું ભૂલી જવું પડે.

બાંગ્લાદેશ, ઢાકામાં હિંદુ લઘુમતી પર થયેલા હુમલાઓને તેમના રાષ્ટ્રની આંતરિક બાબત ગણાવાઇ પણ શેખ હસીનાએ પોતે બહેતર શાસક હતાં તે સાબિત કરવા એમ ચલાવ્યું કે ત્યાં નરસંહાર થયો છે. આપણે ત્યાં કોઇપણ કોમ પર હુમલો થાય તો આપણા દેશના શાસક પણ અન્ય રાષ્ટ્રને તેનું લેબલિંગ ન કરવા દે, તેઓ પણ એમ જ કહે કે આ અમારા દેશનો મામલો છે અમને અમારી રીતે ઉકેલવા દો. પરંતુ આ મામલે તો દિલ્હીએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં સોગઠી નાખી કે આ તો હિંદુઓ સાથેનો ખોટો વ્યવહાર છે અને તેમની સલામતી માટે તાત્કાલિક પગલાં લેવાય તે અનિવાર્ય છે. ત્યાં જે થઇ રહ્યું છે તે ખોટું જ છે, પણ તેમાં માનવાધિકારના મુદ્દાને કેન્દ્રમાં રાખવો જોઇએ, ધર્મના નહીં.  વળી બાંગ્લાદેશથી ભાગેલાં શેખ હસીનાને બીજા કોઇ પશ્ચિમી દેશે શરણું ન આપ્યું પણ ભારતે આપ્યું તે પછી તો ભારત અને બાંગ્લાદેશના સંબંધો સતત બગડતા રહ્યા છે.

આ તરફ આંતરરાષ્ટ્રીય અભિગમની વાત કરીએ તો યુનાઇટેડ નેશન્સે તો શેખ હસીનાના શાસનને જ બાંગ્લાદેશમાં બગડેલા માહોલ માટે જવાબદાર ઠેરવ્યું છે. આવામાં શેખ હસીનાને ભારતે ક્યાં સુધી ટેકો આપવો જોઇએ એ પ્રશ્ન પણ ખડો થાય. પાકિસ્તાન સાથે આપણે સારાસારી નથી એવામાં બાંગ્લાદેશને નવા શત્રુ તરીકે ઊભા કરવાનું આપણને ન પોસાય. અધૂરામાં પૂરું ભારતમાં વસતા મુસલમાનોની વગર કારણની આડકતરી કે સીધી સતામણી અટકાવવી પણ અનિવાર્ય છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રત્યાર્પણ સંધિ હોવાથી બન્ને દેશોએ જો તેમની પાસે અન્ય દેશના ગુના પાત્ર, આરોપી કે વોન્ટેડ લોકો હોય તો તે બીજા દેશને સોંપી દેવાના હોય છે. એક અહેવાલ અનુસાર બન્ને રાષ્ટ્રો આ સંધિનો પોત-પોતાની રીતે અર્થ કાઢે છે. ભારત શેખ હસીનાને શરણું આપે ત્યાં સુધી ઠીક છે પણ તેને બેફામ વિધાનો કરતાં અટકાવવા પણ અનિવાર્ય છે, નહીંતર બાંગ્લાદેશ સાથે આપણા સંબંધો વધુ બગડશે. જો તેમના બોલવાથી ભારતને સ્થાનિક કે આંતરરાષ્ટ્રીય સ્તરે નુકસાન જ વહોરવાનું આવે તો આપણા આ શરણાર્થી મહેમાનને આપણે ચૂપ રહેવાનું કહી બાંગ્લાદેશ અને ભારત બન્ને દેશોના મુસલમાનોને માનસિક રાહત આપી શકીએ.

બાય ધી વેઃ

કોમી તણાવ ટાળીને આ જટિલ પ્રશ્નો ઉકેલવાની જવાબદારી આપણી છે. આ અગાઉ પણ જેમ કહ્યું હતું તેમ આપણે બાંગ્લાદેશ અને પાકિસ્તાન કરતાં સમજુ રાષ્ટ્ર છીએ. ધર્મની લડાઈઓમાં રચ્યા પચ્યા રહેવાની લાલચ આપણે ટાળવી જોઇએ. આપણા દેશની આંતરિક કોમી શાંતિ ડહોળી નાખનારા બાહ્ય તત્ત્વોને ચલાવી લેવાની ભૂલ આપણે ન કરવી જોઇએ. બિનસાંપ્રદાયિક લોકશાહી રાષ્ટ્રમાં નાગરિક હોવાને નાતે લઘુમતી ભયના ઓથાર નીચે જીવે એ ન ચાલે. કેન્દ્ર સરકારે રાજદ્વારી સ્તરે સંતુલિત અભિગમથી પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેના મુદ્દા ઉકેલવા જોઇએ. આંતરધર્મીય સંવાદ સાધીને લઘુમતીના અધિકારો પર ચર્ચા થાય, તેનું હકારાત્મક પરિણામ આવે અને સામાજિક સ્થિરતા અને શાંતિ જળવાય તે દિશામાં જ સમસ્યાનો ઉકેલ શોધવામાં ભારતનું શાણપણ સિદ્ધ થશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 માર્ચ 2025

Loading

...102030...231232233234...240250260...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved