Opinion Magazine
Number of visits: 9680860
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેશને વિનોબા જેવા જાગતલની જરૂર છે

રમેશ ઓઝા|Opinion - Opinion|2 August 2020

સર્વોદય આંદોલનના પ્રણેતા વિનોબા ભાવેની એક વાતે ટીકા કરવામાં આવે છે અને તે એક અર્થમાં ઉચિત પણ છે. વિનોબા ભાવેએ ભૂદાન આંદોલન અને ગ્રામદાન આંદોલન શરૂ કર્યું હતું. જેમની પાસે પરિવારના પોષણ માટે જરૂરી હોય એના કરતાં વધારે ભૂમિ હોય એ તેમની વધારાની જમીન ગામના જમીનવિહોણા ખેતમજૂરોને આપે. ગ્રામદાન દ્વારા ગામના લોકો જમીન પરનો માલિકી હક છોડે. તેમને સમૂહ ખેતી કરવી હોય તો સમૂહમાં કરે અને જો વ્યક્તિગત ખેતી કરવી હોય તો વ્યક્તિગત કરે, પણ જમીનની માલિકી એ વ્યક્તિની નહીં હોય. માલિકી ગામની હશે. આનાથી ફાયદો એ થશે કે જમીન ગામની બહારની કોઈ વ્યક્તિને વેચી ન શકાય. ગામની જમીનની માલિકી ગામની રહેશે. આગળ જતાં ગામનાં સંસાધનોની માલિકી ગામની રહેશે. શહેરી પૈસો ગામની ભૂમિ ઉપર કબજો નહીં જમાવે.

એ આ ધરતી ઉપર માનવજાત દ્વારા કરવામાં આવેલો એક અદ્ભુત પ્રયોગ હતો એની ના નહીં. વિનોબાને પણ એમ લાગતું હતું કે આ પ્રયોગ માલિકીભાવથી મુક્તિ આપે છે, સ્વાર્થભાવથી મુક્તિ આપે, છે, સંગ્રહ કરવાની મનોવૃત્તિથી મુક્તિ આપે છે, શહેરીકરણને રોકી શકે એમ છે, શહેરી પૈસાની વિકૃતિઓથી મુક્તિ આપે છે અને ગામડાંઓને તેનું સ્વરાજ આપી શકવાની ક્ષમતા રાખે છે. તેમની એ વાત પણ સાચી હતી. સમસ્યા પેદા થઈ વિનોબાજીના હજુ એક બીજા દૃષ્ટિકોણના કારણે અથવા વલણના કારણે. તેઓ એમ માનતા હતા કે સમાજમાં અને રાષ્ટ્રમાં જે ન બનવી જોઈએ એવી ઘટનાઓ બને છે, તેના તરફ ધ્યાન આપવાની બહુ જરૂર નથી. ભૂદાન અને ગ્રામદાન આદર્શ સમાજની રચના કરવાની સંભાવના રાખે છે અને પૂરી તાકાત લગાડીને સર્વોદય જમાતે એ કામ કરવું જોઈએ. આપણે બીમારીનાં કારણો દૂર કરવાના કામમાં લાગવાનું છે, બીમારીનાં લક્ષણોને નહીં. બીમારીનાં કારણો જશે તો બીમારી અને તેનાં લક્ષણો બન્ને જશે.

પહેલી નજરે આ દલીલ શીરાની જેમ ગળે ઉતરી જાય એવી હતી અને લોકોને ઉતરી પણ ગઈ હતી, પરંતુ સમસ્યા એ હતી કે ભવિષ્યમાં આકાર પામનારા આદર્શ મહેલના બાંધકામમાં એકેએક કાર્યકર્તા લાગી જાય અને જે મકાનમાં (સમાજમાં) અત્યારે રહેતા હોઈએ ત્યાંની ગંદકીને સાફ કરનાર કોઈ ન હોય તો શું થાય? આ લાખ રૂપિયાનો સવાલ છે. કચરો તો રોજેરોજ સાફ કરવો જોઈએ. મારું બાળપણ મારાં ગામમાં ગારમાટીના મકાનમાં વીત્યું છે અને મને યાદ છે કે મારાં બા દિવસમાં બે વાર ઝાડુ મારતાં.

કોમવાદીઓ, જ્ઞાતિવાદીઓ, પ્રદેશવાદીઓ, ભાષાવાદીઓ, વંશવાદીઓ અને બીજા અનેક પ્રકારના અસ્મિતાવાદીઓ પોતપોતાના ઠરાવેલા દુશ્મનોને રંજાડતા હતા. આ દરેક પ્રકારના વાદીઓને દુશ્મન હોય જ છે અને જો દુશ્મન ન હોય તો એ ટકી ન શકે. આ લોકો પોતાની વગ જમાવવા નઠારાપણાનો આશરો લેતા હતા. ભારતને આઝાદી મળી એ પછી સંસદીય રાજકારણ અસ્તિત્વમાં આવ્યું, લોકોને વોટ બેંકમાં ફેરવવાની જરૂરિયાત અનુભવાઈ, શિક્ષણનો વિસ્તાર થવા લાગ્યો અને લોકોને પોતાની ઓળખનું ભાન થવા લાગ્યું, લોકોને જે તે ઓળખના નામે સંગઠિત કરવાનું શરૂ થયું અને અન્ય લોકો ઉપર વગ જમાવવા સંગઠિત લોકોનું સંગઠિત નઠારાપણું અસ્તિત્વમાં આવ્યું. આ સિવાય પરંપરાગત માનસને પરિણામે બનતી શરમજનક ઘટનાઓ તો ખરી જ. માત્ર નઠારી પ્રવૃત્તિ કરીને સત્તા મેળવવા કેટલાક રાજકીય પક્ષો અસ્તિત્વમાં આવ્યા અને બીજા કેટલાક પક્ષોએ માફકસરનું નઠારાપણું રાજકારણના અનિવાર્ય અંગ તરીકે સ્વીકારી લીધું.

વિનોબાજીએ આવી જમીન ઉપરની નઠારી વાસ્તવિકતા તરફ જોઈએ એટલું ધ્યાન ન આપ્યું એવી તેમની આલોચના કરવામાં આવે છે. આમ છતાં આ દેશમાં અંતરાત્મા રખેવાળો જો કોઈએ સૌથી વધુ આપ્યા હોય તો એ ગાંધીવિચાર પરિવારે. ભારતમાં કોઈ પ્રદેશ એવો નથી અને એવો કોઈ દાયકો નથી કે નઠારાઓને ગાંધીજનોએ પડકાર્યા ન હોય. અનેક ગાંધીજનો વિનોબાજીને કહેતા હતા કે, બાબા દુર્જનોની દુર્જનતા સહન નથી થતી. આત્મા વલોવાય છે. તેમણે વિનોબાજીના દૃષ્ટિકોણથી અલગ પડીને દુર્જનોને પડકાર્યા હતા. આને કહેવાય મર્દાનગી. આને કહેવાય પ્રામાણિકતા. આને કહેવાય પારકી છઠ્ઠીના જાગતલ. ટોળે વળીને કોઈને મારવા એ કાયરતા છે અને અને મૂંગા રહેવું એ નીચતા છે.

હવે કલ્પના કરો કે વિનોબાજીએ તેમના નેતૃત્વમાં નઠારાપણા સામે અવાજ ઉઠાવીને હસ્તક્ષેપ કર્યો હોત તો? તો કદાચ દેશનો ઇતિહાસ જુદો હોત.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 ઑગસ્ટ 2020

Loading

આસામની તારાજી માટે કોણ જવાબદાર? : પાળા પોલિટિક્સમાં દાયકાઓથી ડૂબી રહેલું રાજ્ય

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|2 August 2020

પૂરના વિષચક્રમાંથી આસામના જનજીવનને છોડાવવું બહુ જ જરૂરી છે, રાજકારણ નહીં આકરી મજબૂત નીતિની જરૂર છે.

આ લખાઇને તમારા સુધી પહોંચશે ત્યાં સુધીમાં આસામના પૂરથી પ્રભાવિત થયેલા 26 લાખ લોકો હજી પણ તેનાથી પ્રભાવિત જ હશે. આપણે કોરોનાના આંકડા, અયોધ્યામાં બનતું રામમંદિર, સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ, હૉસ્પિટલ્સના તંત્ર, સેલફોન્સ, લૉકડાઉનનો ત્રાસ અને સોનુ સૂદ હવે નવું શું કરતો હશે એમાં જીવતા હોઇશું. ઉત્તર પૂર્વીય રાજ્યમાં પાણીથી તરબોળ થયેલી જિંદગીઓ પલળી ગયેલો કાગળ જેમ ફાટવા માંડે એવી જ સ્થિતિમાં હશે. આસામમાં કંઇ પહેલીવાર પૂર નથી આવ્યાં; આ તો કાયમનું છે અને કાયમની જેમ આ વર્ષે પણ આસામનાં પૂર હાંસિયામાં ધકેલાઇ ગયાં છે. અહીં રાજકીય સ્વાર્થની ગેરહાજરી અને નિરસતાની હાજરીની વાત કરવી તો જરૂરી છે જ પણ આસામનાં ભૂગોળને સમજવું પણ અનિવાર્ય છે.

આસામની વચ્ચોવચ વહેતી બ્રહ્મપુત્રા નદી એટલી વિશાળ છે કે તે સ્પેસમાંથી પણ દેખાય છે. અનેક પ્રવાહો ધરાવતી બ્રહ્મપુત્રા આસામ માટે શ્રાપ પણ છે અને આશિર્વાદ પણ છે. છેલ્લા છ દાયકામાં આસામમાં આવેલી વિવિધ સરકારોએ બ્રહ્મપુત્રા નદી ફરતે ઘણાં પાળા (Embankments) કર્યા. જેમ જેમ પાળા થતા જાય તેમ તેમ નદીનું સ્તર ઉપર આવે અને તેનું વહેણ ઝડપી બને અને પાળા હોય ત્યાંથી તો પાણી વહી જાય પણ જ્યાં તે પૂરા થતા હોય ત્યાં બમણા જોર અને પ્રમાણમાં પાણી ફરી વળે. હવે આમ જ થતું હોય તો પાળા શા માટે બંધાતા ગયા? આ પાળા બાંધવા પાછળ પણ રાજકારણની કોદાળી પાવડો જ કામ કરે છે. સમયાંતરે આ પાળાઓ ભેખડો ધસવાથી અને ભૂલ ભરેલી ગટર સિસ્ટમને કારણે નબળા પડતા ગયા છે. નદી કાંઠે લોકોનો વસ્તાર વધ્યો છે, પૂર્વીય હિમાલયનાં ગ્લેશિયર ક્લાઇમેટ ચેન્જને કારણે ઝડપથી પીગળે છે, જંગલો અને ડુંગરાઓનો સફાયો થાય છે અને પછી બાકીના પર પૂર પાણી ફેરવી દે છે જેના કારણે દર વર્ષે અંદાજે 8,000 ચોરસ કિલોમિટર જમીન ધોવાઇ જાય છે. આસામ તેના કાઝીરંગા નેશનલ પાર્ક માટે જાણીતું છે અને પહેલાં પ્રાણીઓ ઊંચાણવાળાં સ્થળે ખસી જતા તથા પૂરથી બચતા પણ હવે તો એ વિકલ્પ પણ નથી રહ્યો. નેશનલ પાર્કને માટે પૂર જરૂરી છે, એ હવે વાક્ય હવેનાં સંજોગોમાં લાગુ નથી પડતું કારણ કે ઊંચાણવાળાં સ્થળોએ પણ પાણી પહોંચી જાય છે અને પ્રાણીઓ પોતાની જાતને બચાવી નથી શકતાં. વિશ્વનાં બે તૃતિયાંશ ગેંડા કાઝીરંગામાં વસે છે પણ પૂરની તારાજીથી હવે આ ગર્વ આપણે કેટલો વખત લઇ શકીશું એ કહેવું મુશ્કેલ છે.

આ તો ભૌગોલિક સંજોગોની વાત થઇ જે આમ તો માનવ સર્જીત જ છે. પણ વિવેક બુદ્ધિ વાપરી આસામનાં આ ‘કાયમી’ પૂર અંગે વધુ જાગૃત થઇને નુકસાન ઓછું થાય તે દિશામાં તો કામ થઇ જ શકે છે. લાંબા વર્ષોની અવગણના આજની કથળેલી સ્થિતિ માટે જવાબદાર છે. બ્રહ્મપુત્રા નદી પર પાળા તો અંગ્રેજોના સમયથી બનાવાઇ રહ્યા છે કારણ કે આસામ અને બિહાર બંન્ને રાજ્યો રોકડિયા પાક માટે અંગ્રેજોનો સ્વાર્થ સાધવા જરૂરી હતા. સ્વતંત્રતા પછી તકલીફ એ થઇ કે અંગ્રેજોએ જે રસ્તો કાઢ્યો હતો એ સિવાય કોઇ બીજો વિકલ્પ હોઇ શકે કે હોવો જોઇએ એવું વિચારવાનું અત્યાર સુધીની એકેય સરકારને નથી સૂજ્યું. 30 હજાર કરોડને ખર્ચે અત્યાર સુધી માત્ર પાળા જ બંધાયા છે અને જે રીતે પૂરનો પ્રકોપ પ્રબળ બનતો જાય છે એ જોતાં એટલું તો સ્પષ્ટ છે જે કે પાળાઓથી કંઇ જ વળતું નથી. કમનસીબે સરકાર, વહીવટી તંત્ર બધું જ વાંક દેખાનું કામ કરે છે અને પ્રશ્નનો ઉકેલ લાવવામાં કોઇને રસ નથી. ઑલ આસામ સ્ટૂડન્ટ્સ યુનિયને વિરોધ નોંધાવી આ આપત્તિને રાષ્ટ્રીય આફત જાહેર કરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે વધુ ફંડની માગ કરી છે પણ સરકારને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરતાં ફ્લડ મેનેજમેન્ટ પ્રોગ્રામમાં ફંડ રિલીઝ કરવાનું વધુ માફક આવે છે. આ બધામાં એવું ય થઇ રહ્યું છે કે સત્તાવાળા યોજનાઓ બનાવે રાખે છે અને બીજી તરફ નાગરિકો પાળાનું સમારકામ જાતે કરવા માંડે છે. આસામમાં જે પણ બંધ છે તે માત્ર હાઇડ્રોપાવરના ફાયદા માટે છે અને તેમાં પાણીના સંગ્રહની જરૂરિયાત પર ધ્યાન નથી અપાતું કે ન તો પૂર નિયંત્રણની કામગીરી માટે તેનો ઉપયોગ થાય છે – જે આમ તો કોઇ પણ બંધ બાંધવા માટેનાં મૂળ કારણ હોવા જોઇએ. પૂરનું જોખમ ધરાવતા વિસ્તારોમાં પૂર અંગે વધુ જાગૃતિ અને આપત્તિ આવે તે પહેલાં, ત્યારે અને ત્યાર બાદની અસરોમાં ઝડપી કામગીરી કરવા માટે સ્થાનિક સત્તાધીશોની કાર્ય કુશળતા લેખે લાગે તે બહુ જરૂરી છે. આસામે, મેઘાલય જેવા પાડોશી રાજ્યો સાથે મળીને આ આફત સામે કામ કરવું પડશે કારણ કે ત્યાં પણ બ્રહ્મપુત્રા નદીનો તટ પ્રદેશ વિસ્તરેલો છે. પૂરના વિષચક્રમાંથી આસામનાં જનજીવનને છોડાવવું બહુ જ જરૂરી છે, રાજકારણ નહીં આકરી મજબૂત નીતિની જરૂર છે. દસકાઓથી માથે પડતી પૂરની પસ્તાળમાંથી આસામને મુક્ત કરાવવા માટે વિકાસશીલ સત્તાધીશો કેટલી રાહ જોશે? ભારત માત્ર પૈસા રળી આપતા મુખ્ય નગરોમાં નથી વસતું તે ગાદી પર બિરાજમાન નેતાઓને સમજાશે ખરું?

બાય ધી વેઃ

જળબંબાકાર આસામમાં લોકોને પીવા માટે પાણીનું ટીપું ય નથી હોતું. અહીં ચાંદીની ઇંટની નાટ્યાત્મક જાહેરાતોથી વાઇરસમાં મંદિર બનાવવાનો ઉત્સાહ ઉભરાઇ રહ્યો છે પણ દાયકાઓથી નિયમિતપણે પૂરમાં તારાજ થયેલી જિંદગીઓનું કઇ કરવું જોઇએ એ કોઇને ય નથી સૂજતું. આસામનાં લોકો આ અવગણનાથી ટેવાઇ ગયા છે, નસીબજોગે ત્યાં નવી પેઢી માગ કરતી તો થઇ છે પણ બહેરા સત્તાદીશો આ દિશામાં નજર કરે તો જ કંઇક બદલાઇ શકે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 ઑગસ્ટ 2020 

Photos courtesy : BBC

Loading

ગાંધીજીએ સૌથી ઓછો પ્રવાસ કાઠિયાવાડમાં કર્યો હતો

રમેશ ઓઝા|Opinion - Opinion|2 August 2020

ખટપટ, અતિશયોક્તિ, અરાજકતા અને પાખંડી પણ પૂજાય એવી ધાર્મિકતા કાઠિયાવાડના સ્વભાવ-લક્ષણો હતાં જેનો ગાંધીજીને બાળપણથી અનુભવ થવા લાગ્યો હતો. ખાસ કરીને રજવાડાઓનું કારભારું કરનારા દીવાન પરિવારમાં ગાંધીજીનો જન્મ થયો હતો એટલે તેમને આનો નજીકથી પરિચય હતો. ગાંધીજીની આત્મકથામાં અને અન્યત્ર આના ઉલ્લેખ મળે છે. ખાસ કરીને અતિશયોક્તિ, ખટપટ અને ગાંડી ધાર્મિકતાનાં કાઠિયાવાડી લક્ષણો માટે ગાંધીજીને તીવ્ર અણગમો હતો. કેટલીકવાર તો ગાંધીજીને ફરિયાદ પણ કરવામાં આવતી હતી કે તેઓ કાઠિયાવાડની બાબતમાં અનુદાર છે અને અન્યાય કરી રહ્યા છે. ગાંધીજીના અક્ષરદેહમાં આના સેંકડો ઉલ્લેખો મળે છે.

અહીં બે પ્રમાણ આપી શકાય. ભારત આવ્યા પછી ગાંધીજીએ જેટલું ભારતભ્રમણ કર્યું હતું એટલું ભારતના કોઈ બીજા નેતાએ નહોતું કર્યું. ગાંધીજીએ પોતે અનેક વખત આમ કહ્યું છે. પણ એમાં જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ કે ગાંધીજીએ સૌથી ઓછો પ્રવાસ કાઠિયાવાડમાં કર્યો હતો. બીજી એક વાત પણ નોંધવી જોઈએ. ગાંધીજીએ તેમના જીવનમાં જેટલી લડતો લડી એમાં તેમને સરિયામ નિષ્ફળતા મળી હોય એવી એક જ ઘટના છે અને એ ઘટના કાઠિયાવાડની છે. રાજકોટમાં ૧૯૩૮-૧૯૩૯માં દીવાન વીરાવાળા સામેનો ગાંધીજીનો સત્યાગ્રહ નિષ્ફળ નીવડ્યો હતો.

કોઈ માણસ ખટપટ કરીને સ્વજન સાથે દ્રોહ, અતિશયોક્તિ કરીને સત્ય સાથે દ્રોહ અને ધાર્મિકતામાં આંધળો બનીને ઈશ્વર સાથે દ્રોહ કેવી રીતે કરી શકે, એટલું જ નહીં, આખું આયખું કેવી રીતે વિતાવી શકે એ તેમને માટે કવરાવનારો સવાલ હતો. સત્ય, સ્વજન (કે પછી કોઈ પણ માણસ) અને ઈશ્વર સાથે દ્રોહ કરવામાં આવતો હોય અને તેને વ્યવહારબુદ્ધિ કે હોંશિયારી તરીકે ઉચિત ઠેરવવામાં આવે એ ગાંધીજીને ગળે ઉતરતું નહોતું. ગાંધીજીના જીવનમાં અતિશયોક્તિરહિત નક્કર સત્ય, સત્ય આધારિત પારદર્શક સામાજિક સંબંધો (જેમાંથી સત્યનિષ્ઠ રાજકારણ તેઓ વિકસાવે છે) અને કર્મકાંડમુક્ત અધ્યાત્મ આવી મળે છે એનું કારણ તેમનો કાઠિયાવાડમાં થયેલો જન્મ અને ઉછેર છે એમ હું માનું છું.

અને હજુ એક ચોથું લક્ષણ અ-રાજકતા. અ-રાજકતાનો અર્થ સારા અને નરસા એમ બન્ને અંતિમે કરવામાં આવે છે. જ્યાં કાયદો અને વ્યવસ્થા ન હોય, જ્યાં લાઠી એની ભેંસનો ન્યાય પ્રવર્તતો હોય, જ્યાં ટકે શેર ભાજી ટકે શેર ખાજાનો ન્યાય ચાલતો હોય એને અરાજકતા કહેવામાં આવે છે. જગતમાં અરાજકતાનો પ્રચલિત અર્થ આ છે. અ-રાજકતાનો એક ઉદાત્ત અર્થ પણ છે. જ્યાં પ્રજા રાજ્ય પર ઓછામાં ઓછી નિર્ભર હોય, રાજ્યનિરપેક્ષ હોય, રાજ્યનું પ્રજા ઉપર ઓછામાં ઓછું, લગભગ નહીંવત શાસન હોય એને પણ અ-રાજકતા કહેવામાં આવે છે. આનો અર્થ થયો પ્રજાકીય આત્મનિર્ભરતા, પ્રજાકીય સ્વાવલંબન, પ્રજાકીય સહયોગ અથવા ભાગીદારી અને પ્રજાકીય સ્વ-રાજ. આગળ જતા વ્યક્તિ ઉપરનું વ્યક્તિનું રાજ. સ્વાનુશાસન જેનો ગાંધીજીએ સ્વરાજ્ય તરીકે મહિમા કર્યો છે.

ગાંધીજીને તેમનાં બાળપણમાં આ બંને પ્રકારની અરાજકતાનો અનુભવ થયો હતો. કાયદો અને વ્યવસ્થા વિનાની અરાજકતાનો પણ ખરો અને બીજા પ્રકારની આત્મનિર્ભરતાવાળી અરાજકતાનો પણ ખરો. બીજા પ્રકારની અરાજકતા પહેલા પ્રકારની અરાજકતાનું પરિણામ હતી. લોકોએ પોતાના ભરોસે જીવવાનું હતું અને પોતાના ભરોસે બચવાનું હતું. સામાજિક પ્રશ્નો પણ પોતાના દ્વારા, પોતાના ભરોસે અને પોતાના સ્તરે ઉકેલવાના હતા. વિઘોટી ઉઘરાવવા સિવાય રાજ્ય ગામડાનાં લોકો સુધી પહોંચતું નહોતું એટલે ગામડાં તેની દરેક પ્રકારની વિકૃતિ પછી પણ સ્વાયત્ત હતાં.

જે વિકૃતિ હતી એ મધ્યકાલીન સામાજિક રીતીરિવાજની હતી. જ્ઞાતિનાં બંધનો સખત હતાં. બિહારને પણ પાછળ રાખી દે એવાં. ધાર્મિક અભિગમ પણ અંધશ્રદ્ધાયુક્ત સનાતની હતો. ગાંધીજીને અસ્પૃશ્યતાનિવારણના કાર્યમાં સૌથી વધુ જો વિરોધનો સામનો કરવો પડ્યો હોય તો એ સૌરાષ્ટ્રમાં. આમાંથી ગાંધીજીને એક વાત સમજાઈ હોવી જોઈએ કે પ્રજા રાજ્ય વિના અથવા ઓછામાં ઓછા રાજ્ય સાથે જીવી શકે છે. રાજ્યની વર્તાય અને વજન અનુભવાય એવી હાજરીની કોઈ જરૂર જ નથી. ઊલટું એ અવરોધરૂપ બની શકે એમ છે. ગામડાંઓમાં પ્રવર્તતા જૂનવાણી રીતિરિવાજ, સામાજિક અન્યાય, અંધશ્રદ્ધા જેવી બદીઓને જો દૂર કરવામાં આવે તો બીજી દરેક રીતે સ્વાયત્ત ગામડું એક આદર્શ ગામડું બની શકે. ગાંધીજીની ગ્રામ સ્વરાજની કલ્પના પણ આમાંથી વિકસી હોવી જોઈએ.

કાઠિયાવાડમાં જો કોઈ રાજ્યની હડફેટે આવી જતું તો તેને ન્યાય મળે એવી શક્યતા બહુ ઓછી રહેતી એટલે કાઠિયાવાડમાં ત્રાગાંની પરંપરા વિકસી હતી. ત્રાગું એ શાસકોને ઝૂકાવવા માટેનું એક સાધન હતું. જો મને ન્યાય નહીં મળે તો હું દરબાર ગઢની બહાર મારો જાન આપી દઈશ એવી કોઈ ધમકી આપે એને ત્રાગું કહેવાતું. અને ખરેખર જાન આપી દેવાની ઘટના બનતી પણ ખરી. જાન આપી દેવાનો એક ઉપાય આમરણાંત ઉપવાસ રહેતો. મોટા ભાગે તો શાસકો માની જતા. ગાંધીજીના સત્યાગ્રહનાં અને ઉપવાસનાં બીજ આમાં હોય એવી શક્યતા છે. જો કે ગાંધીજીએ આમ કહ્યું નથી એ જુદી વાત છે.

ગાંધીજીના અભ્યાસકોએ ગાંધીજીનાં ઘડતરમાં કાઠિયાવાડની ખાસ પ્રકારની સ્થિતિએ જે ભાગ ભજવ્યો છે તેની બહુ ઓછી વાત કરી છે, પણ એ સંબંધ જોડવા જેવો છે. જૂઠ કે અતિશયોક્તિ વિનાની સત્યનિષ્ઠા, દરેક પ્રકારના વ્યવહારમાં પારદર્શકતા તે ત્યાં સુધી કે રાજકારણમાં પણ સાધનશુદ્ધિની સ્વચ્છતા, આડંબર વિનાની ઈશ્વરાભિમુખ ધાર્મિકતા, આત્મનિર્ભરતા, ગ્રામીણ સ્વાવલંબન અને પોતાના ભરોસે અન્યાસ સામે લડવાની ક્ષમતા અર્થાત્ આત્મબળ અને આત્મભોગ વગેરે ગાંધીજીનાં જીવનમાં જે જોવાં મળે છે એ તમામ ૧૯મી સદીના કાઠિયાવાડની વાસ્તવિકતા હતાં અને એ સાથે ૧૯મી સદીના કાઠિયાવાડમાં ટકી રહેવા માટે પ્રજાની જરૂરિયાત હતાં.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 02 ઑગસ્ટ 2020

Loading

...102030...2,2782,2792,2802,281...2,2902,3002,310...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved