Opinion Magazine
Number of visits: 9574790
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વાંક

રવીન્દ્ર પારેખ|Opinion - Short Stories|14 July 2020

‘સારું છે. ચિંતા કરવા જેવું નથી.’ સુમિતાએ કહ્યું. ’કાલ સુધી તો મને પણ એમ હતું કે -‘

ચારુ એને જોઈ જ રહી હોત, પણ –

*

– પણ સુમિતાએ ચમત્કાર કર્યો હતો.

*

ચારુને થયું પણ ખરું કે તેણે અમસ્તી જ સુમિતા પર પસ્તાળ પાડી હતી –

’હું જોઈ રહી છું કે તમે ડેલિબરેટલી આમ -‘

‘લૂક, મિસિસ બક્ષી, તમે નકામી ચિંતા કરી રહ્યા છો. નિલયની કાળજી રખાય જ છે.’

‘મારા દીકરાને કંઈ થયુંને તો -‘

‘કંઈ નહીં થાય. વિશ્વાસ રાખો.’

‘વિશ્વાસ ક્યાંથી રાખું, ડોક્ટર મહેતા? નિલય મારો નાનો દીકરો છે. મોટા દીકરાને હું આજ હોસ્પિટલમાં -‘

રડી પડી હતી, ચારુ. સુમિતાએ ઊભા થઈને એને ખભે હાથ મૂક્યો હતો, પણ ચારુને એથી આશ્વાસન મળ્યું ન હતું. તેણે હાથ ઝટકી નાખતાં કહ્યું હતું, ‘તમે બરાબર જાણો છો કે હોસ્પિટલની શાખ બહાર કેવી છે? એ તો પ્રાઈવેટમાં આનો ટેસ્ટ થતો નથી એટલે અહીં આવવું પડ્યું, બાકી -‘

બહુ જ તુચ્છતાથી તેણે સુમિતા તરફ જોયું હતું. સુમિતાએ તેને બહુ કેઝ્યુઅલી લીધું હતું, ’મિસિસ બક્ષી, હોસ્પિટલ ગમે એટલી ખરાબ હોય તો પણ ટેસ્ટ અહીં જ થાય છે ને ટ્રીટમેન્ટ પણ …’

‘એટલે જ સ્તો! બાકી અહીં પગ કોણ મૂકે?’

‘મિસિસ બક્ષી, તમારે અહીં પગ મૂકવાનો જ ન હોય. ખબર નહીં, ક્યાં જોરે તમે અહીં છો, પણ પેશન્ટ સિવાય કોઈ સંબંધી અહીં એલાઉ નથી.’

‘તો પણ હું અહીં છું. એના પરથી પણ તમને મારાં સ્ટેટસનો ખ્યાલ …’

‘આપણે આ જ ચર્ચા કરવાની હોય તો નિલયની ટ્રીટમેન્ટ લંબાશે. એ ન થવા દેવું હોય તો તમે પ્લીઝ …’

– ને ચારુ ઝડપથી બહાર નીકળી ગઈ હતી. સુમિતા, નિલય તરફ વળી હતી. ચૌદનો મસ્ત છોકરો હતો. વાળ થોડા વધારે હતા ને ચહેરો એકદમ રૂપાળો –

પણ, એ ખાંસ્યો ત્યારે સમજાઈ ગયું કે તકલીફ ખાસી છે. તેની પાસે નેપ્કિન હતો તેનાથી તે નાક લૂંછયા કરતો હતો. નાકનું ટીચકું લાલ થઈ ગયું હતું. જોતાં જ ગમી જાય તેવો સોહામણો છોકરો હતો. સુમિતાએ ગમ્મતમાં તેના વાળ ખોરવી નાખ્યા, સિલ્કી હતા એટલે રહી રહીને ચહેરે સરકી આવતા હતા ને એ તેને એક તરફ માથું ઝટકીને પાછળ ધકેલ્યા કરતો હતો. તેના માથામાં સુમિતાએ વહાલથી હાથ ફેરવ્યો. તેનું કપાળ ગરમ હતું. સુમિતાએ નર્સને કહ્યું, ’ટેમ્પરેચર છે.’

‘એકસો એક.’નર્સે કહ્યું.

સુમિતાએ નિલયને પૂછ્યું, ‘બીક લાગે છે?’

‘મને તો નહીં,પણ મારી મોમને લાગે છે.’

એ હસ્યો.

‘એને બીવા દે, આપણે બીવાનું નથી. બરાબર?’

નિલયે હકારમાં ડોકું ધૂણાવ્યું, ‘જો દીકરા, હું એક ટેસ્ટ કરું છું. આ એક વાયર તારા નાકમાં ઉતારીશ. આઠેક દસ સેન્ટિમીટર અંદર. એને નાકમાં ગોળ ફેરવીશ. એવું જ બીજા નસકોરામાં કરીશ. જરા અનઇઝી લાગશે, એટલું જ! બીજું કંઈ નહીં થાય. આર યુ, રેડી?’

‘મેડમ, આ ટેસ્ટનું નામ …’

‘સ્વેબ ટેસ્ટ.’

ને ટેસ્ટ પોઝિટીવ આવ્યો.

એ દિવસથી સુમિતાની નોકરી જ જાણે નિલય થઈ બેઠો હતો. આમ તો તે એક પેશન્ટ માત્ર હતો, પણ સમય જાય છે તેમ તેમ કોઈ પણ પેશન્ટ નજીક લાગવા માંડે છે. એના તરફ ડોક્ટરનું ધ્યાન વધતું જતું હોય છે ને આ તો આવ્યો ત્યારથી જ નજીક થઈ ગયો હતો, તો અંતર રાખી રાખીને કેટલુંક રખાય! એને એકલો મૂકાય એવું હતું જ નહીં. એ બહુ બોલતો ન હતો. કદાચ, થોડો ડરી ગયો હતો, પણ કો-ઓપરેટ કરતો હતો.

પેરાસિટામોલની ખાસ અસર જ ન હોય તેમ તાવ ઉતરતો ન હતો ને ઉપરથી મિસિસ બક્ષીનો ટકટકારો ચાલુ જ હતો. જો કે એમાં એનો વાંક ન હતો. મોટા દીકરાને એ આ જ હોસ્પિટલમાં ગુમાવી ચૂકી હતી ને નિલયને તે ખોવા તૈયાર ન હતી. કઈ મા ખોવા તૈયાર હોય? મા તો એ પણ હતી જ ને! મા જ કેમ, બાપ પણ તો એ જ …

ત્યાં નિલયનો કણસાટ સંભળાયો ને તે દોડી હતી. કિટ સાથે દોડવાનું ફાવતું ન હતું, પણ પી.પી.ઈ. કિટ કમ્પલસરી હતી એટલે … બીજો કોઈ ઈલાજ ન હતો.

નિલયને શ્વાસ લેવામાં ખાસી તકલીફ પડી રહી હતી. તેણે માસ્ક પણ કાઢીને ફગાવી દીધું હતું. સુમિતાએ તેને પૂછ્યું, ’શું થાય છે, દીકરા?’

એ કંઈ બોલવા ગયો, પણ શબ્દો બહાર ન પડ્યા. સિસ્ટર જ્યોતિ આવી ચડી. તેણે બેડ પર ભેરવેલો ચાર્ટ  બતાવ્યો. એઝિથ્રોમાયસિનની એક ટેબ્લેટ આપવાનું મેં જ્યોતિને કહ્યું. તેણે નિલયને બેડ પર બેઠો કર્યો. એ તંદ્રામાં જ હતો. રહી રહીને તેની ડોકી ઢળી જતી હતી ને ઝબકીને જાગી જતો તો આમતેમ જોઇને વળી ઘેનમાં …

જો કે તે દવા ગળી ગયો હતો. થોડો હાંફતો પણ હતો. તેને જ્યોતિએ લીંબુપાણી આપવા કર્યું, પણ ન પીવાયુ.નીકળી ગયું. જ્યોતિએ નેપ્કિનથી તેનું ગળું સાફ કર્યું. જ્યોતિએ હાઈડ્રોક્સિક્લોરોક્વીન કાઢી ને નિલયને આપવા કરી, પણ સુમિતાએ તેને ઈશારો કરીને ના પાડી. ‘નિલય, કંઈ થાય છે?’ પણ તે જાણે તેનામાં જ ક્યાંક ઊંડે ઊતરી ગયો હોય તેમ સવાલ તેને પહોંચ્યો જ નહીં. સુમિતાએ તેને હલાવ્યો. પણ તે એમ જ પડી રહ્યો. તેના ગાલ થપથપાવ્યા. જરા હચમચાવ્યો, પણ તે રિસ્પોન્ડ કરતો ન હતો. સુમિતાએ જ્યોતિને કહ્યું, ‘ઉપર વેન્ટિલેટર ખાલી હશેને?’ જ્યોતિએ હકાર ભણ્યો,’ આને શિફ્ટ કરવો પડશે. ક્વિક!’

થોડી જ વારમાં બે વોર્ડ બોય સ્ટ્રેચર સાથે આવ્યા. નિલયને એ બંનેએ સ્ટ્રેચર પર લીધો ને ઉતાવળે લિફ્ટ તરફ વળ્યા. ડોક્ટર તે તરફ જતી જ હતી ત્યાં રમ્યા દોડતી આવી. તેની પાછળ સિસ્ટર સોલંકી પણ દોડતી પ્રવેશી. સુમિતાને ‘મમ્મી’ કહીને તે જોરથી વળગી જ પડી. સુમિતાએ તેને બાથમાં લેતાં કહ્યું, ‘કેમ આવી? તારી તબિયત સારી નથી. તારે બેડ પરથી ઉતરવાનું જ નથી ને તું-‘

સોલંકી બોલી, ‘મેમ, મેં બહુ સમજાવી એને, પણ માની નહીં.’

‘રમ્યા, ધીસ ઇસ નોટ ગૂડ.’

‘મોમ, હું પાછી નથી જવાની. તું બધાની ટ્રીટમેન્ટ કરે છે ને મારી જ -‘

‘એવું નથી, દીકરા. તું જુએ છેને! આ છોકરો ક્રિટિકલ થતો જાય છે. એને છોડીને તારી પાસે આવું તો સારું લાગે? મારું માન, હમણાં તારા વોર્ડમાં જા, પ્લીઝ! આને જરા સારું થશે કે હું તરત જ તારી પાસે આવી જઈશ.’

‘પ્રોમિસ?’

‘ગોડ પ્રોમિસ!’ સુમિતાએ ગળું પકડયું ને રમ્યાને માથે હાથ ફેરવ્યો. જરાકમાં તો રમ્યા, મનોરમ્યા બની ગઈ ને આગળ થઈ. સુમિતાએ સોલંકીને કહ્યું, ‘આને સાચવીને લઈ જા! હું થોડી જ વારમાં-‘

‘પ્લીઝ, આવજો, જરૂર. છોકરી હિજરાય છે.’

‘જરૂર આવીશ.’

પણ એ ન જઈ શકી.

એ આખી રાત નિલયને એટેન્ડ કર્યા સિવાય છૂટકો જ ન હતો. બાકી હતું તે ચારુ બક્ષીએ પૂરું કર્યું. એક તરફ નિલયની કથળતી જતી હાલત અને બીજી તરફ ચારુનો કાળો કકળાટ!

’ડોક્ટર, નિલયને કંઈ થયુંને તો હું આખી હોસ્પિટલને સુપ્રીમમાં ખેંચીશ. આવી ભંગાર હોસ્પિટલમાં ઈલાજ થાય જ કેવી રીતે તે જ નથી સમજાતું. આખો વોર્ડ કોઈ ટોઇલેટથી ય જાય તેવો છે ને અહીં ઈલાજ થાય છે, હં!’ ચારુએ ખભા ઉલાળતાં કહ્યું, ’અહીં એક દીકરો ખોયો છે, પણ બીજો…’

ચારુએ આંખો લૂંછી.

સુમિતાએ તેને ખભે હાથ મૂકતાં કહ્યું હતું, ’મિસિસ બક્ષી, તમારે જે કોર્ટમાં મને લઈ જવી હોય ત્યાં જરૂર લઈ જજો, હું ખુશીથી આવીશ, પણ અત્યારે તો કોઈ કોર્ટ ખુલ્લી નહીં હોયને! અત્યારે હોસ્પિટલ જ ખુલ્લી છે ને એમાં નિલયને બચાવવાની કોશિશ કરી રહી છું, તો મને કો-ઓપરેટ કરો, પ્લીઝ!’

એ વાતે ચારુ થોડી ઢીલી પડી હતી ને પછી તો કોઈ ભડકો જ્યોત બને એવું થયું હતું. ચારુ બહુ જ સૌમ્ય દેખાતી હતી. ગુસ્સો તેના દેખાવ સાથે જતો જ ન હતો, પણ સંપત્તિ જ કદાચ ક્રોધનું કામ કરી રહી  હતી. એવું જ નિલયનું હતું. એ એટલો ઋજુ અને શાંત હતો કે –

ઓક્સિજન પહોંચવામાં હજી તેને કોઈ મુશ્કેલી પડી રહી હોય એવું લાગતું હતું. એક ટ્યૂબ નિલયના ગળામાં ઉતારેલી હતી ને તેનો બીજો છેડો વેન્ટિલેટર સાથે જોડાયેલો હતો. સુમિતાએ ઓક્સિજન ટ્યૂબ ફરી ચેક કરી જોઈ. કાર્ડિયોગ્રામનું મોનિટરિંગ થતું હતું. પલ્સ ક્યારેક જતી રહેતી હતી. ક્યારેક તો એવું લાગતું હતું કે એની પોતાની પલ્સ રહી રહીને રમ્યા પાસે –

આખી રાત સુમિતાએ નિલયના બેડ પાસે જ કાઢી હતી. એકેય મટકું માર્યું ન હતું. ચારુ એ પણ આખી રાત લોબીમાં આંટા માર્યાં કર્યાં હતાં. ઘડીક બહારના બાંકડે બેસતી ને એકાદ ઝોકું આવી ચડતું તો તેમાં દૂરથી રડવાનો અવાજ નજીક આવતો ને એકદમ મોટો થઈ ઊઠતો હતો. તે ઝબકી પડતી હતી ને વળી આંટા મારવા લાગતી હતી. એકદમ જ ઉચાટ ઉભરાઈ પડતો હતો. રહી રહીને તેને ફાળ પડતી હતી કે –

વહેલી સવારે સિસ્ટર જ્યોતિ આઈ.સી.યુ.માંથી બહાર નીકળી ત્યારે ચારુએ દોડીને તેના હાથ પકડી લેતાં પૂછ્યું ,’સિસ, કેમ છે, નિલયને?’

એ એક સવાલના જવાબ ઉપર ચારુની આખી દુનિયા તોળાઈ રહી હતી. જ્યોતિએ ઉજાગરાવાળા ભારે અવાજે કહ્યું હતું,’ આમ તો સારું છે, છતાં ડોક્ટર જ વધારે કહી શકે.’

‘થેન્કયુ, સિસ!’

‘થેન્કયુ, મને નહીં, ડોક્ટર સુમિતા મહેતાને કહો. એ ન હોય તો તમારો દીકરો બચે નહીં. એમણે જીવ રેડી દીધો છે, તમારા દીકરામાં -’

‘યેસ, આઈ મસ્ટ થેન્ક હર! મારે એમને ‘સોરી’ પણ કહેવાનું છે.’

‘તમારે ‘સોરી’ કહેવું જ જોઈએ. કંઈ પણ જાણ્યા વગર તમે જે બોલ્યાં હતાં તે ઠીક નો’તું.’

‘યા ,યુ અર રાઈટ! આયેમ રિયલી વેરી સોરી.જો કે મારી કમેન્ટ હોસ્પિટલ માટે …’

‘તમને ખબર છે,ડોક્ટરની પોતાની ડોટર આ જ હોસ્પિટલમાં બીમાર છે અને એણે એને ટ્રીટ ન કરતાં નિલયને …'

‘વોટ?’

ચારુ ચમકી. તે સીધી બારણું ખોલીને અંદર જ ધસી ગઈ. સામે જ સુમિતા દેખાઈ. ચારુએ તેના હાથ પકડી લેતાં પૂછ્યું, ’કેમ છે, નિલયને?’

‘સારું છે. ચિંતા કરવા જેવું નથી.’ સુમિતાએ કહ્યું ,’કાલ સુધી તો મને પણ એમ હતું કે -‘

ચારુ એને જોઈ જ રહી હોત, પણ સિસ્ટર સોલંકી દોડતી આવી, ’ડોક્ટર,રમ્યા … ઈઝ … નો મોર …’

‘વોટ?’

ચારુ રડી પડી!

૦૦

પ્રગટ : “જલારામદીપ”, જુલાઈ 2020ના વાર્તા વિશેષમાં પ્રકાશિત વાર્તા

e.mail : ravindra21111946@gmail.com

Loading

સંઘવીસાહેબને છેલ્લી સલામ…

દિવ્યાશા દોશી|Opinion - Opinion|13 July 2020

૧૦૦ વર્ષની ઉંમરે પણ તેઓ ટટ્ટાર ચાલતા, કમ્પ્યુટર વાપરતા અને આજની દુનિયા સાથે અનુસંધાન સાધી શકતા. રવિવારે સુરતમાં તેમણે અંતિમ શ્વાસ લીધા ત્યાં સુધી તેઓ કાર્યરત હતા.

તડફડ કરનારા સંઘવીસાહેબ કહો કે નગીનબાપા કહો, તેઓ હવે આ દુનિયામાં નથી એ સાંભળવું તેમને મળનાર દરેકને માટે અઘરું લાગે. ૧૦૦ વર્ષની ઉંમરે પણ તેઓ ટટ્ટાર ચાલતા, કમ્પ્યુટર વાપરતા અને આજની દુનિયા સાથે અનુસંધાન સાધી શકતા. રવિવારે [12 જુલાઈ 2020] સુરતમાં તેમણે અંતિમ શ્વાસ લીધા ત્યાં સુધી તેઓ કાર્યરત હતા. તેમના પૌત્ર સૌમિલ સાથે તેમણે વાત કરી હતી એને યાદ કરતાં સૌમિલ જણાવે છે કે ‘તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોવાથી ડૉક્ટર પાસે લઈ ગયા હતા અને છાતીમાં પાણી ભરાયું હોવાથી હૉસ્પિટલમાં ઍડ્મિટ થયા અને ત્યાં જ છેલ્લા શ્વાસ લીધા.’

નગીનદાસ સંઘવીને મળનાર કે શ્રોતા તરીકે સાંભળનાર વ્યક્તિ તેમના ખડખડાટ હાસ્યને વીસરી ન શકે. કટારલેખક અને વિશ્લેષક તરીકે જાણીતા નગીનદાસ સંઘવીએ કૉલમ લખવાની શરૂઆત સુરતના ‘ગુજરાતમિત્ર’થી કરી હતી અને યોગાનુયોગ તેમણે અંતિમ શ્વાસ પણ સુરતમાં લીધા. મૂળ સૌરાષ્ટ્રના, પણ કર્મભૂમિ મુંબઈ જે તેમને ખૂબ પ્રિય હતું. તેમના જીવનનો મોટો કાળ મુંબઈમાં વીત્યો. છેલ્લે તેમને મળવાનું સુરતમાં બન્યું ત્યારે મુંબઈ જેવી મજા ગુજરાતમાં નથી આવતી એવી આછી ફરિયાદ તેમણે કરી હતી. મુંબઈનું ધમાલિયું જીવન તેમને યાદ આવતું હતું. જો કે જીવનના દરેક પડાવને તેમણે સ્વીકાર્યા છે એ જ રીતે આ પડાવને પણ સહજતાથી સ્વીકારી લીધો હતો.

નગીનદાસભાઈ હંમેશાં સફેદ લેંઘો-ઝભ્ભો પહેરતા. લગભગ ૬ ફૂટની શારીરિક ઊંચાઈ. છેલ્લાં વર્ષોમાં તેમણે જીવનમાં અંગત રીતે અનેક ચડાવ-ઉતાર જોયા હતા. મૂળ ભાવનગરના, પણ તેમનો જન્મ બ્રહ્મદેશના અક્યાબ[Akyab]માં ૧૯૧૯ની ૨૧ એપ્રિલે. પ્રાથમિક શિક્ષણ ભાવનગર રાજ્યના ભૂંભલી ગામમાં લીધું હતું, તો ભાવનગર શહેરમાંથી બીએ પાસ કરીને મુંબઈ આવ્યા હતા. અહીં તેમણે માસ્ટર્સ કર્યું અને ત્રણેક વર્ષ ઇન્શ્યૉરન્સ કંપનીમાં નોકરી પણ કરી હતી. ત્યાર બાદ ત્રણ કૉલેજમાં ૩૨ વર્ષ પ્રોફેસર તરીકે નોકરી કરી. સૌ પ્રથમ ભવન્સ કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા હતા. પૉલિટિકલ સાયન્સ અને ઇતિહાસ તેમના મુખ્ય વિષય રહ્યા હતા. છેલ્લે મીઠીબાઈ કૉલેજમાંથી નિવૃત્ત થયા હતા. ૧૯૬૫ની સાલથી તેમણે કૉલમ લખવાનું શરૂ કર્યું હતું. અધ્યાપક તરીકે નિવૃત્ત થયા બાદ તેમનો એકનો એક દીકરો જયંત ઍક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો, એટલે ઘરની દરેક જવાબદારી પાછી તેમના શિરે આવી હતી. પત્નીના મૃત્યુ બાદ મોટી ઉંમરે એટલે કે ૯૭ વર્ષની ઉંમરે એકલા રહેવાનું અઘરું પડતાં મોટી દીકરી હર્ષા સાથે સુરત રહેવા ગયા હતા. તેમને બે દીકરીઓ હર્ષા અને ઉષા છે. ૨૦૧૮ની સાલમાં તેમને પદ્‍મશ્રીનો ખિતાબ મળ્યો હતો.

મુંબઈ સ્થાયી થવાની વાત કરતાં નગીનદાસભાઈએ કહેલું કે ‘એ દિવસોમાં સૌરાષ્ટ્રથી લોકો રોજગારની શોધમાં મુંબઈ જ આવતા, કારણ કે ત્યારે ગુજરાતનાં શહેરો એટલાં વિકસ્યાં નહોતાં એટલે બીજો કશો જ વિચાર કર્યા વિના મુંબઈ આવવાનું જ હોય અને એ પણ વાયા વિરમગામ. મને કૉલેજમાં ભણાવવાની ઇચ્છા તો હતી, પણ અંધેરીની ભવન્સ કૉલેજમાં એ સમયે ભણાવવા જવાની હિંમત કોઈ નહોતું કરતું. આપણે તો ત્યારથી જ બિન્દાસ હતા. ડરવાનું તો હું શીખ્યો જ નહોતો એટલે સૌ પ્રથમ ભવન્સ કૉલેજમાં અધ્યાપક તરીકે સારા પગાર સાથે જોડાયો. અંધેરીમાં એ સમયે આટલી વસ્તી નહોતી. ત્યાર બાદ રૂપારેલ કૉલેજમાં દસેક વર્ષ ભણાવ્યું. એ સમયગાળા દરમ્યાન મેં ખૂબ વાંચ્યું અને વિચારોને યોગ્ય રીતે રજૂ કરતાં શીખ્યો. રૂપારેલ કૉલેજમાં આવતા વિદ્યાર્થીઓ ખૂબ સજ્જ હોવાને કારણે મારું પણ ઘડતર થયું એવું કહી શકાય. એ સમયે મહારાષ્ટ્ર અને ગુજરાત છૂટાં પડ્યાં એટલે ગુજરાતી વિરુદ્ધની ઝુંબશનો સામનો મારે ય કરવો પડ્યો હતો, કારણ કે એ વિસ્તાર મહારાષ્ટ્રિયન. બીજા બધા પ્રોફેસર મહારાષ્ટ્રિયન અને હું એકલો જ ગુજરાતી. બંદા ત્યારે ય ડર્યા વિના, ધમકીઓની પરવા કર્યા વિના લેક્ચર લેવા જતા.’

આમ નગીનદાસ સંઘવી નીડર વ્યક્તિત્વના સ્વામી હોવાને કારણે જ રાજકારણ અને રાજકારણીઓ વિશે કે ધર્મ વિશે સંશોધન કરીને સત્ય બિન્દાસ કહી શકતા. અભ્યાસ કર્યા સિવાય કશું જ લખવું કે બોલવું નહીં એ તેમનો સિદ્ધાંત. તેમણે ૧૯૮૫માં ‘રામાયણની રામાયણ’ નામે કૉલમ ‘સમકાલીન’માં લખી હતી. આ કૉલમ લખવાનો હેતુ મૂળ કથાની સાચી અને સાધાર તેમ જ સચોટ રજૂઆત કરવી. ધર્મના નામે જે બાબાઓ-સંતો વાતો કરતા હતા તેમની સામે સંશોધનપૂર્ણ વાત કરવાનો તેમનો મૂળ હેતુ હતો. જો કે એમાં કેટલીક એવી બાબતો હતી જે રૂઢિગત માન્યતાઓને ગળે ઊતરે એવી નહોતી એથી એ સમયે તેમનો ખાસ્સો વિરોધ થયો હતો. તેમના પર અનેક આક્ષેપ થયા અને કૉલમ બંધ કરવી પડી. તેમણે બીજા જ વર્ષે ‘રામાયણની અંતરયાત્રા’ નામે પુસ્તક જાતે જ પ્રકાશિત કર્યું. જેમને રામાયણ વિશે સંશોધનાત્મક વાંચવું હોય તેમણે આ પુસ્તક વાંચવું જ રહ્યું.

નગીનદાસ સંઘવીએ સ્વતંત્ર ભારતના દરેક વડા પ્રધાનનો કાર્યકાળ જોયો છે. દરેક રાજકીય નેતા અને પક્ષ વિશે અભ્યાસપૂર્ણ અને વિશ્લેષણાત્મક લેખો પણ તેમણે હજી આ અઠવાડિયા સુધી લખ્યા હતા. રાજકારણ વિશેનો તેમનો અભ્યાસ અને સ્પષ્ટ અભિગમ હોવા છતાં તેમને કોઈ રાજકીય પક્ષોએ ટ્રોલ નહોતા કર્યા. લોકોને ગમે એવું લખવાનો પ્રયત્ન તેમણે ક્યારે ય નહોતો કર્યો, પણ પોતે સંશોધન અને અભ્યાસ કર્યા બાદ જે માને એ સ્પષ્ટ રીતે કહેવામાં તેઓ કોઈની શેહશરમ રાખતા નહીં. રાજકારણનો તેમનો અભ્યાસ અને સમજ જોઈને રાજકારણમાં કેમ સક્રિય નહોતા થયા એવા સવાલ તેમને વારંવાર પુછાતા ત્યારે નગીનદાસ બ્રૅન્ડ આંખોમાં ચમક સાથે જવાબ આપતા, ‘રાજકારણમાં જોડાવા માટે ત્રણ લાયકાત હોવી જરૂરી છે. એક, એ માણસ સંત જેવો હોવો જોઈએ કે પછી શ્રીમંત હોવો જોઈએ અને કાં તો શઠ હોવો જોઈએ. મારામાં આ ત્રણેય લક્ષણ ન હોવાને કારણે રાજકારણમાં ન ગયો.’ આવું કહીને તેઓ ખુલ્લા મોઢે ખડખડાટ હસતા.

જો કે તેઓ શરૂઆતમાં મુંબઈ આવ્યા ત્યારે કાંદિવલીમાં રહેતા એ સમયે રાજકીય પાર્ટી સાથે સક્રિય કામ પણ કર્યું છે એ ઓછા લોકો જાણે છે. લગભગ ૧૯૫૬ની સાલમાં તેઓ કૉન્ગ્રેસમાં સક્રિય હતા. મિત્રો માટે ચૂંટણીસભાઓમાં ભાષણો પણ આપ્યાં છે. ગાંધીજી વિશે તેઓ કહેતા કે આપણા દરેક રાજકારણીઓએ ગાંધીજીને અનુસરવા જેવું છે. ખાસ કરીને જ્યારે કોઈ સમાજસેવાની વાત કરતું હોય ત્યારે ગાંધીજીનું જીવન સમજવું જરૂરી છે. પોતે ગાંધીજી જેવા સંત નથી એટલે પણ રાજકારણમાં ન ચાલી શકે એવું કહીને તેઓ પોતાના પર હસી શકતા.

ચિંતક-ફિલોસૉફર પ્લેટોને તેઓ અવારનવાર ટાંકતા. પ્લેટોએ કહ્યું હતું કે તમારે કોઈ માણસને સુધારવો હોય તો હરામખોર માણસને સુધારો, કારણ કે તેનામાં શક્તિ છે, હિંમત છે અને કામ કરવાની આવડત પણ છે. સામાન્ય માણસ નકામો છે એ આમે ય નકામો અને તેમે ય નકામો. હું સામાન્ય માણસ છું એટલે રાજકારણમાં ન જઈ શકું, પણ પ્લેટોએ કહ્યું છે કે જો તમે સરકારની ગતિવિધિમાં રસ ન લેતા હો તો મૂરખ વ્યક્તિના શાસન તળે જીવવા નિર્માયા છો.

નગીનદાસભાઈએ મુંબઈમાં જીવનનિર્વાહ માટે અનેક સંઘર્ષ છેલ્લે સુધી કર્યા છે. મુંબઈમાં સ્થાયી થયા ત્યારે વગડા જેવા કાંદિવલી વિસ્તારમાં રહેતા. લગ્ન કર્યાં એટલે બે છેડા ભેગા કરવા તેમણે અનુવાદનું કામ પણ પુષ્કળ પ્રમાણમાં કર્યું હતું. પછી તો અધ્યાપક થયા અને કૉલમ લખવાનું પણ શરૂ કર્યું એટલે જાણીતા થયા છતાં હજી આજે પણ લેખ લખતાં પહેલાં તેઓ એ સંદર્ભે અભ્યાસ કરવાનું ચૂકે નહીં. પત્રકારત્વ વિશે તેમની સ્પષ્ટ સમજ હતી. તેમનો આગ્રહ રહેતો કે પત્રકારત્વમાં વાંચન અને અભ્યાસ ખૂબ જરૂરી છે. તેમને અફસોસ પણ હતો કે આજે મોટા ભાગના પત્રકારો વાંચતા નથી કે પોતાનું હોમવર્ક કરતા નથી. રાજકારણી વિશે તેઓ કહેતા કે પહેલાં લોકો સમાજસેવા માટે રાજકારણમાં આવતા, જ્યારે આજે લોકો પોતાની ‘સેવા’ માટે એટલે કે ‘લેવા’ માટે રાજકારણમાં આવે છે. પહેલાંના રાજકારણીઓ વિદ્વાન હતા. તેઓ ખૂબ વાંચતા અને અભ્યાસુ હોવાને કારણે તેમની સાથે મુદ્દાસર વાત થઈ શકતી. સ્પષ્ટવક્તા હોવાની છાપ ધરાવતા નગીનદાસ સંઘવીની સ્પષ્ટતા હવે મળવી મુશ્કેલ છે. તડ ને ફડ વાત કહેનાર નગીનદાસભાઈ અંગત રીતે ખૂબ હળવા અને રમૂજવૃત્તિ ધરાવનાર વ્યક્તિ હતા. છેલ્લાં કેટલાંક વર્ષોથી મોરારિબાપુની રામકથાનો વિદેશના શ્રોતાઓ માટે અંગ્રેજીમાં અનુવાદ કરતા. બાપુની અનેક પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય રહેતા એ બદલ ક્યારેક તેમની ટીકા પણ થતી. તેમને અંગત રીતે જાણનાર વ્યક્તિઓ એની પાછળના દૃષ્ટિકોણને સમજી શકતા. ભારતીય પ્રાચીન પરંપરા અને આધુનિક સમાજ બન્નેનું તેમનું અધ્યયન અસાધારણ હતું.

તેમની વિદ્વત્તાનો ભાર સામી વ્યક્તિને ન લાગે એની દરકાર પણ તેઓ રાખતા. દરેક વસ્તુ અને બાબતને ઝીણવટથી તલસ્પર્શી રીતે સમજવાનો તેઓ પ્રયત્ન કરતા. તેઓ પોતે પણ વિદ્વત્તાના ભાર સાથે ન જીવતા એટલે જ તેઓ સ્વસ્થતાથી અને સહજતાથી ૧૦૦ વર્ષ જીવી શક્યા. તેમની ટીકા કરનાર વ્યક્તિ પણ તેમને મળ્યા બાદ તેમની હળવાશના પ્રભાવમાં આવ્યા વિના ન રહેતી.

ગુજરાતી પત્રકારત્વમાં આટલી ધારદાર, સત્યનિષ્ઠ અને લાંબી ઇનિંગ્સવાળી કલમ આજે વિરામ પામી છે. આવી કલમ માટે ગુજરાતી પ્રજા તેમની સદા ઋણી રહેશે.

***

તેમને શ્વાસની તકલીફ થતા હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા

મુંબઈ : (મિડ-ડે પ્રતિનિધિ) જાણીતા કટારલેખક અને પદ્‍મશ્રીનું સન્માન મેળવનાર નગીનદાસ સંઘવીનું ગઈ કાલે ૧૦૦ વર્ષની ઉંમરે સુરતમાં અવસાન થયું હતું. શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને સુરતના મહિધરપુરામાં આવેલી બુરહાની હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. બપોરે સાડાત્રણ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું હોવાની સાથે આ વર્ષે જ તેમને પદ્‍મશ્રીથી સન્માનિત કરાયા હતા. ૧૦ માર્ચે નગીનદાસભાઈએ ૧૦૦મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો.

કટારલેખક નગીનદાસભાઈનો જન્મ ૧૯૨૦ની ૧૦ માર્ચે ભાવનગરમાં થયો હતો. અહીંની જાણીતી શામળદાસ કૉલેજમાંથી તેમણે બી.એ. કર્યું હતું. ૧૯૫૧થી ૧૯૮૦ દરમ્યાન મુંબઈની ત્રણ કૉલેજમાં તેઓ પ્રાધ્યાપક રહ્યા હતા.

મોરારિબાપુની શ્રદ્ધાંજલિ

હું જ્યારે તેમને પહેલી વખત મળ્યો ત્યારથી ‘બાપા’ કહીને જ સંબોધતો રહ્યો છું. અચાનક બાપાએ તેમની શતાયુ યાત્રા પૂરી કરી લીધી છે. તેઓ ‘તડ અને ફડ’ લખતા રહ્યા અને જીવન સાથે પણ થોડા જ કલાકોમાં તેમણે તડફડ કરી લીધું.

તેમને હું શ્રદ્ધાંજલિ તો શું આપું? મને આ વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને અનુભવવૃદ્ધ વડીલનો સત્સંગ સતત મળતો રહ્યો. એક સાચા શબ્દસેવી એવા પૂજ્ય બાપાના નિર્વાણને હું મોરારિબાપુ હૃદયથી પ્રણામ સહ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમના પરિવારજનોને પણ મારા પ્રણામ. જેમનું સમગ્ર જીવન શ્લોકમય હોય તેમની વિદાયનો શો શોક કરવો? તેમની ચેતનાને પુનઃ પ્રણામ કરું છું.

નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

શ્રી નગીનદાસ સંઘવી પ્રબુદ્ધ લેખક અને વિચારક હતા. તેમના લેખો અને પુસ્તકોમાં ઇતિહાસ અને તત્ત્વજ્ઞાનની સમજ અને રાજકીય ઘટનાઓનું પૃથક્કરણ કરવાની અસાધારણ શક્તિનો પરિચય થાય છે. તેમના અવસાનથી દુ:ખની લાગણી અનુભવું છું. શોકગ્રસ્ત પરિવાર અને તેમના વિશાળ વાચકવર્ગને સાંત્વના …

સૌજન્ય : “ગુજરાતી મિડ-ડે”, 13 જુલાઈ 2020

https://www.gujaratimidday.com/news/articles/in-memory-of-gujarati-columnist-nagindas-sanghvi-divyasha-doshi-writes-about-the-sharp-columnist-121627

Loading

અલવિદા નગીનબાપા

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|13 July 2020

શતાયુ નગીનદાસ સંઘવીનું, મોરારિબાપુના સેવ્યા નગીનબાપાનું જવું – અને તે બિલકુલ કલમકર્મે જોતરાયેલ જેવા અગર તો બુટ સોતા સોલ્જર પેઠે જવું – એ ખરું જોતાં જીવનનો ઉત્સવ છે. એમના વર્ગશિક્ષણ વિશે તો કોઈ છાત્ર કહેશે ત્યારે જાણીશું. પણ આ અધ્યાપકે વિશેષરૂપે નિવૃત્તિ પછી કલમ ઝાલી એ મુદ્દત આખી આપણે એમની તડફડાટીથી જાણીએ છીએ. આ પ્રક્રિયામાં હવાઇ આડી ફાટી શકે પણ સામાન્યપણે સેનિબિટી (વયપ્રાપ્ત આડાઅવળી) શોધી ન જડે.

મળવાનું તો મોડેથી થયું, નવનિર્માણ આસપાસના ગાળામાં એકાદ રાતે અમારે ધાબે પણ રોકાયા હશે, પણ એમની કીર્તિ એ પૂર્વે ભોગીભાઈ પાસે ખાસી સાંભળી હતી. જ્ઞાનગંગોત્રી ગ્રંથ શ્રેણીમાં એ ‘સ્વરાજ દર્શન’ સાથે લેખક તરીકે જોડાયેલા હતા અને સંપાદક ભોગીલાલ ગાંધી ને લેખક સંઘવી પળ પળ માથાઝીકના પાછળથી સંભારવા ગમે એવા દોરમાંથી પસાર થયા હતા. કેટલીક વાર સિનિક જેવા વરતાતા નગીનદાસે, પાછળથી એક વાર મને કહેલું કે ભોગીભાઈનિમંત્ર્યા ઢેબરભાઈએ ‘સ્વરાજદર્શન’ની પ્રસ્તાવના લખવાનું સ્વીકાર્યું ત્યારે સાદ્યંત વાંચી જવાના એમના આગ્રહે અમારે ચર્ચામાં ઊતરવાનું આવ્યું અને એમણે ઝીણી ઝીણી વિગતોમાં સ્વાનુભવને ધોરણે ઊંડા જવું પસંદ કર્યું એ જુદો જ અનુભવ હતો. ઢેબરભાઈની આ ગુણસંપદાથી સામા નહીં તો પણ અલગ છેડાનો એમનો અનુભવ રતુભાઈ અદાણી સાથેનો હતો. એમની મુલાકાત લેવા ગયેલા નગીનદાસ પ્રશ્નને બદલે પ્રવચનની લંબાઈમાં સરી જતા જણાયા ત્યારે રતુભાઈએ એમને આંતર્યાઃ માસ્તર, તમે ઈન્ટરવ્યુ લો છો કે હું. (નરભેરામ સદાવ્રતી એ વખતે હાજર હતા અને એમણે મને આ કહ્યું હતું.)

ગમે તેમ પણ, ઢેબરભાઈ – રતુભાઈના (અને એવા બીજા પણ અનેક) દાખલા પરથી સમજાતું વાનું એ છે કે નગીનદાસ લખવા પાછળ ઉદ્યમ ખાસો કરતા. એક છેડેથી બીજે છેડે ફરી વળતા. વાંચવામાં આળસ નહીં ને મુલાકાતમાં વાર નહીં. જેવા માથાના, એવા પગના પણ આખા.

હમણાં રતુભાઈને યાદ કર્યા. હું ધારું છું ત્યાં સુધી કેન્દ્રમાં મોરારજી દેસાઈની સરકાર ગઈ અને ગુજરાતમાં બાબુભાઈની સરકારની મુદ્દત પૂરી થવામાં હતી એના વચગાળાની એ વાત હશે. નગીનદાસે ત્યારે ગુજરાતનું હવેનું ચૂંટણીચિત્ર શું હશે એને અનુલક્ષીને ‘જન્મભૂમિ’ના તે વખતના તંત્રી જયન્તી શુક્લના સૂચનથી લેખમાળા કરી હતી. (અને પછીથી તે પુસ્તિકારૂપે બહાર પણ પડી હતી.)

તડફડ, અભ્યાસમંડિત અને મુલાકાતખચીત તડફડ, એ જરૂર હતી. પણ ગુજરાતચૂંટણીની પિછવાઈ એમણે પકડી હશે કે કેમ તે બાબત હું ચોક્કસ નથી. નવનિર્માણના દિવસોમાં અને જેપી આંદોલનના વચગાળાના દિવસોમાં અમારે એક વાર જે ચર્ચા થયેલી તે હું સંભારું. નગીનદાસે કહ્યું કે તમે ગુજરાતના લોકો રાજ્યશાસ્ત્ર, રાજવટ અને રાજકારણનો પાયાનો સિદ્ધાંત સમજતા નથી. ગૃહમાં પક્ષનો નેતા (અને તેથી મુખ્યમંત્રી) કોણ બને, ન બને એ ચૂંટાયેલ ધારાસભ્યોએ નક્કી કરવાનું છે. એમાં લોકોએ આંદોલન કરવાનું ક્યાં આવ્યું. મને એમનું દૃષ્ટિબિંદુ નકરું ટેક્‌નિકલ બલકે ક્લિનિકલ લાગ્યું હતું. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્રમાં લોકશાહીની ઇતિ નથી. લોકપહેલ, લોકહસ્તક્ષેપ, લોકસહભાગિતા વિના લોકશાહી સજીવ-સપ્રાણ બની શકતી નથી. લોકઆંદોલન એ રાજકીય સાર્વભૌમ (જનતા) તરફથી કાનૂની સાર્વભૌમ (સરકાર / રાજકીય શાસકીય અગ્રવર્ગ) જોગ અપીલ છે એવું વ્યાકરણ એમને કાવ્યની પેઠે પારલૌકિક લાગતું હશે ? વસ્તુઃ આપણી રાજવટ લોકશાહી હશે, પણ સમાજ લોકશાહી નથી એવી એક પાયાની પ્રતીતિ જેમણે એકથી વધુ વાર બોલી બતાવી છે તે નગીનદાસને તો આ પકડાવું જોઈતું હતું.

હમણાં જે તડફડાટીની જિકર કરી તે ક્યારેક કેવી ભળતી ધાર પર લાવી મૂકે એનો એક દાખલો આપું. થોડા મહિના પર એમણે એક સુરેખ અને સ્વાધ્યાયમંડિત કૉલમ નેહરુની ભૂમિકા અને યોગદાન વિશે કરી હતી. વૉટ્‌સઍપ યુનિવર્સિટીના સ્નાતકોના જવાહરલાલ એ સ્વાભાવિક જ નહોતા, એમને સારુ નેત્રદીપક હોઈ શકતા એ નિઃશંક હતા. પણ આખા લેખમાં એક લીટી બાપાએ એમ જ ફટકારી’તી કે નેહરુ શરાબ અને સુંદરીના શોખીન હતા. (સામાન્યપણે  સરદારસ્તુતિમાં સામેલ થતે છતે નગીનદાસને એમ કહેતા સાંભળ્યાનું યાદ છે કે જવાહરલાલે એડવિનાપ્રેર્યા ભાગલા સ્વીકાર્યા એમ કહેવામાં માલ નથી. સરદારને ભાગલા અનિવાર્ય જણાયા હતા, વ.) નેહરુના જીવનનું એક હેડોનિસ્ટિક પાસું જરૂર હશે, પણ તે એમનાં ત્યાગ અર્પણ અને યોગદાન પરનું ગ્રહણ નથી. કૉલમમાં એમણે એક લીટી અમથી જ તડફડ કરી નાખી અને વૉટ્‌સઍપ યુનિવર્સિટીના અદકપાંસળા ચાન્સેલરોને અણચિંતવ્યા ન્યાલ કરી દીધા, બીજું શું.

એમની કોલમકારી કેવળ ચાલુ રાજકીય બાબતોમાં સીમિત નહોતી એ એક વિશેષ પણ અહીં આદર સાથે સંભારવો જોઈએ. ‘દિવ્ય ભાસ્કર’ની એમની છેલ્લી કોલમ ‘ચાતુર્માસ : ધર્માચરણ અને ધર્મસાધનાનો અવસર’ એ શીર્ષકે છે. અને એમણે કે સંપાદકે વિન્ડોમાં કાઢેલી બે પંક્તિ પણ મજબૂત છે કે ‘ધર્મ બેધારી તલવાર છે.’ અને કૉલમની છેલ્લી પંક્તિઓ તો વાંચો : ‘માણસ મરી જાય પણ તેનાં હાડપિંજરો સદીઓ સુધી ટકે છે. પયગંબરોએ સર્જેલા ધર્મોને આપણે હાડપિંજર બનાવી દીધાં છે.’

આ લખી રહ્યો છું ત્યારે સાંભરે છે કે દસેક વરસ પર સુરતના સાહિત્યસંગમે નાનુબાપાની પહેલથી અને જનક નાયકના સંયોજનમાં ગ્રંથયાત્રા શ્રેણીનું આયોજન કર્યું ત્યારે નગીનબાપાએ એને સારુ તારવી આપેલા લેખો ‘ધર્મ અને સમાજ’ નામે ગ્રંથસ્થ થયા હતા. અધ્યાત્મને નામે ચાલતી બુવાબાજીથી ઉફરાટે સીધા સમાજસંદર્ભમાં ધર્મ પ્રવાહોની ચર્ચા એમાં જોવા મળે છે.

નગીનદાસનું આ વિશેષ પાસું લક્ષમાં આવે છે અને એ કદર તેમ જ કૃતજ્ઞતાપૂર્વક સંભારવાનું બને છે ત્યારે લવર્સ ક્વૉરલ જેવો એક મુદ્દો ચર્ચામાં સાથેલગો મૂકવા ચહું છું. આપણે ત્યાં સાંપ્રદાયિકતા અને બિનસાંપ્રદાયિકતાની જે ચગડોળે ચડેલ ચર્ચા છે એમાં મોટાભાગના લોકો અને લેખકો હિંદુધર્મ અને હિંદુત્વ વચ્ચે વિવેક કર્યા વગર કૂદી પડેલા ને ભટકતા માલૂમ પડે છે. એથી ઊલટું, કોઈ બાબતમાં નગીનદાસ કૉંગ્રેસના ટીકાકાર અને ભા.જ.પ. સરકારના પ્રશંસક માલૂમ પડે ત્યારે પણ સામાન્યપણે તે આ વિવેક કરતા. તો, શી વાતે છે, મારી ફરિયાદ ? ભલા ભાઈ, જેમ હિંદુધર્મ અને હિંદુત્વ વચ્ચે વિવેકનો કોઠો ભેદવાનો રહે છે તેમ ધર્મ અને હિંદુધર્મ વચ્ચે પણ વિવેક કરવો રહે છે.

આપણી પરંપરામાં ધર્મનો જે વ્યાપક (કહો કે રૂઢાર્થમાં ‘ધર્મ’મુક્ત) અર્થ છે, ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં જેની કંઈક ઝાંખી વિવેકાનંદમાં તો વીસમી સદીના પૂર્વાર્ધમાં ગાંધીમાં જોવા મળે છે, એના સગડ આપણા કૉલમિસ્ટે કાઢવા જોઈતા હતા. એમના તડફડ રનવે પરથી એ એક નવો જ ટેક ઑફ હોઈ શકત. મોરારિબાપુએ ધર્મ ધર્મ વચ્ચે સંવાદનો જે ઉપક્રમ હાથ ધર્યો હતો એમાં સંકળાયેલા ને સંડોવાયેલા, કંઈક અંશે આ પ્રક્રિયામાં ફ્રૅન્ડ, ફિલોસોફર ને ગાઈડ જેવા, નગીનદાસે આ અવસર તેમ જ સંભાવના કેમ અણકાલવી જવા દીધી હશે ? રામાયણની અંતર્યાત્રાના લેખક અને એક રામાયણી વચ્ચે ઊઘડતી ક્ષિતિજોના નવસંચારની શક્યતા પણ એમાં હશે સ્તો.

કેમ કે આ એક ભરપેટ, ભરપુર ઇનિંઝ સબબ ‘જીવનના ઉત્સવ’ની વિદાયનોંધ છે, એક સૂચન નકરી કૉલમજીવી વિચારપેઢી સંદર્ભે કરું ? છેલ્લા ત્રણચાર દાયકાને લક્ષમાં રાખી જે તે પ્રસંગે, વહેણવળાંકવમળે, નગીનદાસ સંઘવીએ અને બીજા કૉલમલેખકોએ કરેલ ટીકાટિપ્પણ સાથે મૂકીને જોવાંતપાસવાં જોઈએ. નિરામય પથશોધનની રીતે એક વણથક જિંદગીને વૃત્તગુજરાતની એ અનોખી અંજલિ હશે.

જુલાઈ ૧૨, ૨૦૨૦

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2020; પૃ. 01-02

નગીનદાસ સંઘવીના કૅરિકેચર માટે અશોકભાઈ અદેપાળનું સહૃદય સૌજન્ય

Loading

...102030...2,2702,2712,2722,273...2,2802,2902,300...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved