Opinion Magazine
Number of visits: 9680884
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સૌથી વધારે અરાજકતા અત્યારે શિક્ષણનાં ક્ષેત્રમાં છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|14 August 2020

કોઈ જીવલેણ રોગ જેવું ભયંકર અત્યારે ગુજરાતનું શિક્ષણ છે. કેવળ અરાજકતા એટલે શિક્ષણ એવી નવી વ્યાખ્યા કોરોનાએ ગુજરાતને આપી છે. પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, કોલેજ એમ તમામ શિક્ષણમાં માર્ચથી જે દશા બેઠી છે એનો છેડો જણાતો નથી. શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ જતા નથી, પણ તેમની પરીક્ષાઓ ને પ્રવેશની પ્રક્રિયાઓ કોઈક સ્તરે ચાલે છે. કોણ જાણે કેમ પણ પરીક્ષાઓ લેવાનું ઝનૂન ઓછું થતું નથી. ઓનલાઈન કે ઓફલાઈન પરીક્ષાઓનો વાવર ચાલ્યા કરે છે. પરીક્ષાઓ લેવાય છે તે નક્કી છે. તે કેવી લેવાય છે ને કોણ આપે છે ને તેનું શું પરિણામ આવે છે તે અંગે કોઈ સ્પષ્ટ ચિત્ર હાથ લાગતું નથી. શિક્ષણ વિભાગ નવરો પડી ગયો હોય તેમ રોજ નવા નવા પરિપત્રો બહાર પાડ્યે જ જાય છે ને બધા શિક્ષણાધિકારીઓને તેનો અમલ કરવાના હુકમો છોડ્યે જ જાય છે ને આજ્ઞાંકિત અધિકારીઓ કશા વિરોધ કે કશી સંમતિ વગર નિર્જીવની જેમ વર્ત્યે જાય છે. કોરોનાનું જોખમ વિદ્યાર્થીઓને જ હોય ને શિક્ષકો ને અન્ય સ્ટાફને તે થવાનો જ ન હોય તેમ, વિદ્યાર્થીઓને ઘરે રાખીને ભણાવવાના ને પરીક્ષાના પેંતરા ચાલ્યા કરે છે. આખા શિક્ષણ વિભાગને, શિક્ષણમંત્રી સહિત, સારવારની જરૂર છે. એ સ્વસ્થ થશે તો બાકીનાનું કાઉન્સેલિંગ નહીં કરવું પડે એમ લાગે છે.

ઓનલાઈન શિક્ષણનું ભૂત ધૂણે છે. થોડા દિવસ પર આદિવાસી વિસ્તારોમાં બસ વ્યવસ્થા નથી, શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી, શિક્ષક ન હોવાને કારણે બે વર્ગના વિદ્યાર્થીઓને એક જ વર્ગમાં ઠાંસીને ભણાવાય છે ને એમાં કૈં ગડ ન બેસતા વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો વધતો આવે છે – એ મતલબના સમાચારો હતા. જ્યાં બસનાં ઠેકાણાં નથી, ત્યાં મોબાઈલ કે નેટની શી સ્થિતિ હશે તે સમજી શકાય એવું છે. આવામાં ઓનલાઈન શિક્ષણનું કીર્તન કરતી સરકાર, એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે કે પછી એમને ભણાવવાનું સરકારના કાર્યક્ષેત્રમાં જ નથી આવતું તે નથી સમજાતું.

એક, બીજી ખબર જોઈએ. સંયુક્ત નિયામકની સહી સાથે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરે ૧૧ ઓગસ્ટ,૨૦૨૦ને રોજ એક પરિપત્ર તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને મોકલ્યો છે તેમાં જણાવાયું છે કે સી.બી.એસ.ઈ.માંથી ધોરણ ૧૦માંથી મેથેમેટિક્સ બેઝિક સાથે અભ્યાસ કરેલ વિદ્યાર્થીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળામાં ધોરણ ૧૧(વિ.પ્ર)માં પ્રવેશ ન આપવો. આવો ઠરાવ ૭ ઓગસ્ટે કરવામાં આવ્યો છે.

આ ગુજરાત શિક્ષણ વિભાગની નકરી સંકુચિતતાનું પરિણામ છે. કેન્દ્રીય શિક્ષણ બોર્ડમાંથી ગણિત સાથે ૧૦મું પાસ કરનારનો ગુજરાત શિક્ષણ બોર્ડ પ્રવેશ નકારે તે યોગ્ય નથી. આ વખતની બોર્ડની પરીક્ષાઓ પતી ગઈ પછી કોરોનાને કારણે શિક્ષણ બંધ થયું. એ પછી ૧૦માંનું પરિણામ જાહેર થયું. એમાં ગુજરાતીમાં લાખથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા. એમાં જે પાસ થયા તે ગ્રેસિંગથી થયા હોય તો તે જીવદયા ગણવાની. ગણિતમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થયા હોત, પણ બોર્ડે એમાં પણ જીવદયા દાખવી. ગ્રેસિંગ એમાં પણ અપાયું. કેટલું અપાયું તે જાણવું છે? ૮૦ માર્કમાંથી પાસ થવા ૨૬ માર્ક લાવવાના રહે. હવે જો ૫ માર્ક આવ્યા હોય તો તે આઉટ એન્ડ આઉટ નાપાસ જ થાય, પણ વિદ્યાર્થી પાસ થયો. તેને એક બે નહીં, ૨૧ માર્કનું ગ્રેસિંગ અપાયું. આ કોઈ એકાદ વિદ્યાર્થીનો સ્પેશિયલ કેસ છે એવું નથી. એવું ઘણા કિસ્સાઓમાં થયું છે. એવું ન કરે તો બોર્ડનું રિઝલ્ટ ૬૦ ટકા આવે નહીં. હવે પેલો ૫ માર્ક્સ પર ૨૧ માર્ક્સ ગ્રેસિંગના મેળવીને પાસ થયેલો વિદ્યાર્થી ગુજરાત શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થી હોવા માત્રથી ૧૧માં વિ.પ્ર.માં પ્રવેશ મેળવી શકે, પણ પેલો સી.બી.એસ.ઈ.નો વિદ્યાર્થી ૧૦માંમાં ૬૦ ટકા લાવ્યો હોય તેને પ્રવેશ ન આપવાનો પરિપત્ર વિભાગ બહાર પાડે તેને શું કહીશું? આ કયા પ્રકારની નીતિ છે તે નથી સમજાતું.

શિક્ષણ વિભાગ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સંકલનનો ભારે અભાવ છે. ભારત સરકારના ગૃહ મંત્રાલયે ૩૧ જુલાઈએ કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાની જાહેરાત કરી. તેની ખબર શિક્ષણ વિભાગને ૭ ઓગસ્ટની આસપાસ પડી ને તેણે યુનિવર્સિટીઓને ૩૧ ઓગસ્ટ સુધી વિદ્યાર્થીઓ માટે બંધ રાખવાનું ફરમાન બહાર પાડ્યું. યુનિવર્સિટીઓએ તેમ કર્યું, પણ બિચારી ભોળી એટલી કે ઓફલાઈન પરીક્ષાઓ લેવાની છે તે તેને ભાન જ ના પડ્યું, એટલે પરીક્ષાઓ ન લેવાઈ. શિક્ષણ વિભાગ તો આગબબૂલા હો ગયા ને ફતવો બહાર પાડ્યો કે આમ પરીક્ષાઓ ન લીધી તે ઠીક ન થયું. પણ તેનો અર્થ શો, કારણ પરીક્ષાઓ તો મોકૂફ થઈ ચૂકી હતી. જો કે યુનિવર્સિટીઓ હજી એ સમજી નથી શકતી કે કોલેજો વિદ્યાર્થીઓ માટે બંધ રાખીને ઓફલાઈન પરીક્ષા લેવાય કઈ રીતે? કારણ ઓફલાઈન પરીક્ષાઓ લેવી હોય તો કોલેજો ખોલવી પડે, સ્ટાફ, વિદ્યાર્થીઓ, પટાવાળાઓ બધાંને બોલાવવા પડે. હવે બધાને બોલાવો તો કોલેજ બંધ કઈ રીતે કહેવાય? કોરોનાની રસી કદાચ મળી જાય,પણ બંધ કોલેજે ઓફલાઈન પરીક્ષા કઈ રીતે લેવાય તેનો ઉકેલ મળવો મુશ્કેલ છે.

બીજો ચમત્કાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ કર્યો છે. તેણે એમ.ફિલ., પીએચ.ડી.ની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આપણું શિક્ષણ ખરેખર ખાડે ગયું છે એટલે છેલ્લી પરીક્ષામાં જે તે યુનિવર્સિટીનો જ વિદ્યાર્થી ગમે તેટલા ટકે જ પાસ કેમ ન થયો હોય તેનો ભરોસો ન કરવાનો ને તેણે એન્ટ્રન્સ એક્ઝામ તો આપવાની જ, આવી પ્રથા છે. એન્ટ્રન્સ એકઝામમાં તો છબરડાં ના જ થાય એવો સૌને વિશ્વાસ છે. હવે ગમ્મત એ છે કે પી.જી.ની પરીક્ષાઓ લેવાના કોઈ ઠેકાણાં નથી ને પીએચ.ડી.ની નોંધણી ૩૧ ઓગસ્ટ સુધીમાં કરાવી દેવાની છે. સવાલ એ છે કે એન્ટ્રન્સ ટેસ્ટની નોંધણી કેવી રીતે કરાવવાની જો પી.જી.નું જ કોઈ ઠેકાણું ન હોય? એટલે પહેલાં તો યુનિવર્સિટીએ પી.જી.ની પરીક્ષા લેવી પડે. તેનું રિઝલ્ટ આપવું પડે ને તે બધું ૩૧ ઓગસ્ટ પહેલાં આટોપવું પડે, કારણ ૩૧મી ઓગસ્ટ નોંધણીની છેલ્લી તારીખ છે. પી.જી.ની પરીક્ષા પતે કે તરત પીએચ.ડી.ની એન્ટ્રન્સ એક્ઝામ માટે તૈયાર રહેવાનું. પરીક્ષા પર પરીક્ષા. બધાં જ સ્તરે પરીક્ષાની લ્હાય ઊઠી છે. ભણવાનું થાય કે ન થાય, પરીક્ષા આપતા રહો. છે ને કમાલ! પહેલાં પીએચ.ડી., બાદમેં પી.જી.! આ લોકોનું ચાલે તો પહેલાં બી.એ. કરાવે ને પછી એસ.એસ.સી.! કોઈ પણ તઘલખ ને શેખચલ્લી પાણી ભરે એવી ભવ્ય બૌદ્ધિકતા આપણી યુનિવર્સિટીઓ, શિક્ષણ વિભાગ ધરાવે છે. ખરેખર તો પી.જી.નું રિઝલ્ટ ન આવે ત્યાં સુધી, એમ.ફિલ., પીએચ.ડી.નું રજિસ્ટ્રેશન કરવું જ ન જોઈએ. એમાં એ તો જણાવવાનું હશે જ ને કે પી.જી.નું રિઝલ્ટ શું છે? કે એ રિઝલ્ટ વગર પણ રજિસ્ટ્રેશન શક્ય છે? નથી ખબર !

પરીક્ષા લેવાનો આગ્રહ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને પણ રાખ્યો છે. કોઈ પણ વિદ્યાર્થીને પરીક્ષા વગર ડિગ્રી નહીં મળે એવી જાહેરાત યુ.જી.સી.એ કરી છે. મામલો કોર્ટમાં છે, છતાં યુ.જી.સી.એ સ્પષ્ટ કર્યું છે કે પરીક્ષા લેવાશે જ ને તે વગર ડિગ્રી નહીં મળે. વિદ્યાર્થીઓની માંગ એવી છે કે છેલ્લા રિપોર્ટને આધારે પરિણામ જાહેર કરવામાં આવે, પણ યુ.જી.સી.એ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં પરીક્ષાનું આયોજન કરવાની સૂચના આપી છે ને ઓનલાઈન તેમ જ ઓફલાઈન પરીક્ષાઓના વિકલ્પો પણ ખુલ્લા રાખ્યા છે.

એ વાત સ્વીકાર્ય કે ગ્રેજ્યુએશન કે પોસ્ટગ્રેજ્યુએશન લેવલની પરીક્ષાઓ લેવાવી જોઈએ ને તેને આધારે જ ડિગ્રી આપવી જોઈએ, પણ જે પ્રકારની સ્થિતિ મહામારીએ કરી છે એમાં પરીક્ષા લેનાર કે આપનારની મનોદશા એવી નથી કે સ્વસ્થ ચિત્તે પરીક્ષા લઈ કે આપી શકાય. માર્ચ મહિનાથી જે વાતાવરણ બન્યું છે એમાં પૂરું ભણાયું નથી કે નથી પૂરું ભણાવાયું. પરીક્ષા થશે કે નહીં એની અનિશ્ચિતતાએ, વારંવાર પરીક્ષાની તારીખો બદલાયા કરવાથી વિદ્યાર્થીઓ સતત દ્વિધામાં, મૂંઝવણમાં રહ્યા છે ને એ સ્થિતિમાં ક્યારે ફેર પડશે એની આગાહી થઈ શકે એમ નથી. એમાં શિક્ષણ વિભાગની અસ્વસ્થતાથી મુશ્કેલીઓ જ વધી છે. સૌથી મોટી મુશ્કેલી સંકલનની, કોમ્યુનિકેશનની છે. સ્કૂલો જોડે, કોલેજો જોડે શિક્ષણ વિભાગ સ્વસ્થતાથી વર્તી શકતો નથી ને તુક્કાઓ પર આખો કારભાર ચાલે છે. બેઠકો, ઠરાવો થાય છે પણ તેમાં લાંબુ વિચારીને યોગ્ય નિર્ણયો લેવાતા નથી. ઉદાહરણ તરીકે જો ઓફલાઈન પરીક્ષા લેવાની હોય તો કોલેજ ખોલવી પડે ને આદેશ કોલેજો બંધ રાખવાનો શિક્ષણ વિભાગે જ આપ્યો હોય તો કોલેજ બંધ પણ રહે ને ખુલ્લી પણ રહે એવું એક સાથે કઈ રીતે બને તે વિભાગે સમજાવવું જોઈએ. એ અત્યંત દુ:ખદ છે કે કોઈ, કોઈને વિશ્વાસમાં લેતું જ નથી ને સૌ મનસ્વી રીતે વર્તે છે ને એમાં પોતાનું ભલું તો કદાચને થતું હશે, પણ શિક્ષણનું દળદર એથી ફીટતું નથી.

૦

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ’આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 ઑગસ્ટ 2020

Loading

આ મુશ્કેલ સમયમાં (34)

સુમન શાહ|Opinion - Opinion|14 August 2020

કોરોના-વિભીષિકા પ્રચણ્ડ વેગે પ્રસરી રહી છે. તેથી એક સાર્વત્રિક ચિન્તા પણ પ્રસરી રહી છે. ખાસ ચિન્તા તો એ છે કે શિક્ષણનું અને કેળવણીનું શું થશે – યુવા પેઢીને શી રીતે શું આપી શકાય એમ છે? સર્જકો, કેળવણીકારો, બુદ્ધિમાનો અને ભાવનાશીલ વ્યક્તિવિશેષો એ દિશામાં પોતાથી થાય એ બધા જ પ્રયાસો કરી રહ્યા છે …

એ જોઈને મને થાય છે કે માનવ્ય એના મૂળ સૂરમાં ગુંજી રહ્યું છે …

આવી જ કશી માનસિકતા વચ્ચે મેં ગઈ કાલે ભાવનગર યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના પીએચ.ડી. સ્ટુડન્ટ્સના ઑનલાઇન ક્લાસમાં સંશોધનપરક એક વ્યાખ્યાન આપ્યું.

અહીં એનું લેખ-સ્વરૂપ સાહિત્યના સૌ અધ્યાપકો અને વિદ્યાર્થીઓને સમર્પિત કરું છું :

•••

મારા સંશોધનકાર્ય વિશેના મારા અનુભવો / સુમન શાહ

વિભાગના અધ્યક્ષ પ્રિય મહેન્દ્રસિંહ અને સૌ વિદ્યાર્થીમિત્રો :

નમસ્કાર.

સંશોધન વિશે બોલવું અને સંશોધન કરવું – એ બે વાતોમાં, બોલવું સહેલું છે. સંશોધન કરવું જ મુશ્કેલ છે. તમે બધાં એ મુશ્કેલ કાર્યમાં લાગી ગયાં છો એ સારી વાત છે, એમાં સફળતા માટે તમને સૌને આગોતરી શુભેચ્છાઓ પાઠવું છું.

મારે તમને એ જણાવવું છે કે મુશ્કેલ સંશોધન સમ્પન્ન થાય છે ત્યારે જગ જીત્યાનો સંતોષ થાય છે. એ સંતોષ બેજોડ હોય છે.

મારે તમને એ પણ જણાવવું છે કે સાહિત્યિક સંશોધનની સફળતાના મૂળ આધાર શું છે.

પીએચ.ડી. પદવી માટેના મારા સંશોધનનો વિષય હતો : ‘સુરેશ જોષી, તેમનું સાહિત્ય અને તેનો આધુનિક ગુજરાતી સાહિત્ય પરનો પ્રભાવ – એક અધ્યયન’ : ૧૯૭૮માં એનું ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’ ગ્રન્થ રૂપે પ્રકાશન થયું છે. ૨૦૦૦માં એની બીજી આવૃત્તિ થઈ છે.

તમે જાણો છો કે મેં ‘સાહિત્યિક સંશોધન’ પુસ્તિકા પણ લખી છે. પણ નૉંધો કે તે પહેલાં મેં આ સંશોધનકાર્ય કર્યું છે – પહેલાં અનુભવ અને પછી શાસ્ત્ર.

મારા આ વ્યાખ્યાનનું આજે એ મધ્યબિન્દુ છે – પહેલાં અનુભવ, પછી શાસ્ત્ર.

મને ચાર વર્ષ લાગેલાં – ૧૯૭૩થી ૧૯૭૭. ત્યારે હું બોડેલી કૉલેજમાં પ્રિન્સિપાલ હતો. મારી ઉમ્મર ૩૪-૩૫ હતી.

રોજ રાતના ૮થી ૨ લગી બધો ઉદ્યમ ૬ કલાક લગી ચાલતો. જમ્યા પછી પાણી વધારે પી લેતો જેથી એ ૬ કલાક દરમ્યાન બ્રેક લેવાનું અનિવાર્ય થઈ પડે. મારા જિગરી દોસ્ત રાધેશ્યામ શર્માએ મને એક ટૅબ્લેટ બતાવેલી – નામ ભૂલી ગયો છું – એ લેવાથી ઉજાગરાને સુખદ રાખી શકાતો’તો, ઊંઘ ન્હૉતી આવતી. જમીને તરત લઈ લેતો.

જુઓ, સંશોધનનું લેખનકાર્ય પૂરું થાય તે દિવસે બહુ જ સારું લાગે. એ પછી ટાઇપ કરાવવાનું – આવડતું હોય તો જાતે કરવાનું. મારા ટાઇપિસ્ટને મેં પૂછેલું – બે લાઇન વચ્ચે આટલી મોટી સ્પેસની શી જરૂર છે? તો કહે – સાહેબ, થીસિસમાં એટલી તો જોઈએ જ. એણે બારસોથી વધારે પેજ કરેલાં. એની પાંચ નકલો બાઇન્ડ થઈને આવી ત્યારે એ મહા ગ્રન્થના વજનનો અંદાજ આવ્યો. દરેક નકલ ઓછામાં ઓછા ત્રણ કિલોની હશે. પણ એને યુનિવર્સિટીમાં સબ્મીટ કરીને ઘેર પાછો ફર્યો ત્યારે જે હાશ થઈ, એ અવર્ણનીય છે.

એ સમયગાળા દરમ્યાન નવનિર્માણ આંદોલન શરૂ થયેલું. ત્યારે બન્ને દીકરાઓને સારી શાળામાં ભણવા મળે એ હેતુથી વડોદરામાં ઘર શરૂ કરેલું. હું બોડેલીથી વડોદરા શનિ-રવિ જ જઈ શકતો. સ્વજનોથી વિયોગ સ્વીકારી લીધેલો.

સંશોધન પ્રકાશિત થાય છે, પુસ્તક રૂપે, ત્યારે સંતોષ એ ગ્રન્થના અર્પણમાં ઠરતો હોય છે – જાણે, માતાના ખૉળામાં નવજાત બાળક ! હું હંમેશાં મારાં પુસ્તકોનાં અર્પણ લખતી વખતે પ્રસન્ન હોઉં છું. જો કે જેને અર્પણ કર્યું હોય એ ભાઈ કે બે’ન મને ભાગ્યે જ કશો પ્રતિભાવ પાઠવે છે. પુસ્તક ભેટ આપું ત્યારે ય મને શંકા બલકે ખાતરી હોય કે નહીં વાંચે, વાંચશે તો કશું પણ કહેશે નહીં. મારા લેખોનાં ‘બહુ સરસ છે’, ‘ખૂબ જ મજા આવી’ જેવાં મૌખિક વખાણ બહુ જ સાંભળવા મળે છે, કેટલાં તો મને ‘લાઇક્સ’ મળે છે, પણ મને ખબર હોય છે કે વાતમાં કેટલો માલ છે. પણ તમને કહું? કશું જ ન બોલતા પેલા અઠંગ દમ્ભી મુનિઓ કરતાં આ બધાં વખાણકારો ને ‘લાઇક’વાળાં ઘણાં સારાં – ટહુકો કરી હાજરી તો પુરાવે છે …

એટલે પહેલી આવૃત્તિના અર્પણમાં લખ્યું છે : સ્વજનો : રશ્મીતા, પૂર્વરાગ, મદીરને – જેમણે એ કાળા દિવસો અને સફેદ રાતો દરમ્યાન ઊછળતા-ઊછરતા વિયોગ-અશ્વને ઝાલ્યો, પડકાર્યો : સાહિત્યજન યશવન્ત શુક્લને અર્પણ કરતાં લખ્યું છે – જેમણે મારામાંના ‘વિદ્વાન’ને એની નાની વયે જ જાણ્યો અને જણાવ્યો : ૧૯૬૧માં હું જુનિયર બી.એ.માં હતો ત્યારે યશવન્તભાઈએ પ્રિન્સિપાલ ભાઈલાલભાઈ કોઠારીને કહેલું કે તમારે ત્યાં એક વિદ્વાન ઊછરી રહ્યો છે, એનું ધ્યાન રાખજો.

બીજી આવૃત્તિનું અર્પણ મેં મારાં સૌ વિદ્યાર્થીઓને કર્યું છે. લખ્યું છે : જેમણે મને વર્ગમાં સાંભળ્યો અને વર્ગચૈતન્યના મારા મૉંઘા અનુભવને નિરન્તર સમૃદ્ધ કર્યો : મેં તપાસ નથી કરી પણ લોકો એમ કહે છે કે છેલ્લા પાંચ-છ દાયકામાં પીએચ.ડી.ના કોઈ સંશોધન-ગ્રન્થની બીજી આવૃ્ત્તિ થઈ હોય તો તે ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’-ની …

આમ, મુશ્કેલ સંશોધનને અન્તે સંતોષનું આવું અનેરું સુખ સાંપડે છે. આ હકીકતને દરેક સંશોધકે મનમાં રાખવી અને ખૂબ જ શ્રમ લઈને સંશોધનકાર્યમાં મચ્યા રહેવું. એથી જીવન એટલો સમય તો ખૂબ જ અર્થપૂર્ણ લાગશે.

જુઓ, સંશોધનની સર્વસામાન્ય મૅથડોલૉજીનું મહત્ત્વ જરૂર છે. એને આપણે સાયન્ટિફિક મૅથડ ઑફ ઇન્ક્વાયરી કહીએ છીએ.

પરન્તુ આ વાત બરાબર સમજી લેવી જોઈશે કે દરેક સંશોધનકારે પોતાના વિષયને ન્યાય મળે એવી આગવી પદ્ધતિ જાતે ઉપજાવવી પડે છે. એ તૈયાર નથી મળતી. એ મળે છે વિષય સાથેના પ્રગાઢ સમ્બન્ધ અને અનુબન્ધથી.

મારી પદ્ધતિની થોડીક વાત કરું : હું સુરેશ જોષીને એક પણ શબ્દ ચૂક્યા વિના ક્લોઝલિ વાંચી જતો. એમના દરેક મન્તવ્યને પૂરા ધ્યાનથી સમજતો. એમની દરેક સર્જનાત્મક વસ્તુને મન-હૃદયમાં એવી તો ઠરવા દેતો જેથી મને રસાનુભવ થાય. એ પ્રકારના અભિગમનું પરિણામ એ આવેલું કે એમની સૃષ્ટિ વિશે મારો પોતાનો આગવો સ્વકીય પ્રતિભાવ બંધાવા લાગેલો. અને એટલે, સ્વાભાવિકપણે, સુરેશ જોષી વિશેના અન્યોના પ્રતિભાવો પણ મને ફટાફટ દેખાવા લાગેલા. એક જાતના સરવાળા-બાદબાકી ચાલેલાં.

આ મુદ્દા માટે મારે એમ કહેવું છે કે આ પ્રકારના સ્વકીય તેમ જ અન્યોના પ્રતિભાવોનું સંશોધનમાં પાયાનું મહત્ત્વ છે.

તમે સાંભળ્યું જ હશે કે કોઈ પણ સંશોધકે સૌ પહેલાં સામગ્રીચયન કરવાનું હોય છે – ડેટા કલેક્શન. એ સામગ્રી પર કામ કરવાનું અને તો જ એ પર સંશોધનની ઇમારત ચણી શકાય.

જુઓ, શુદ્ધ વિજ્ઞાનોની – પ્યૉર સાયન્સિસની અને પ્રાકૃતિક વિજ્ઞાનોની – નેચરલ સાયન્સિસની સામગ્રી પ્રકૃતિ કે ભૌતિક પદાર્થો છે, વિચારસંરચનાઓ કે આંકડાઓ પાછળના નિયમો છે. એ સામગ્રી નકરા રૂપે મળે છે ને તે પર સીધું જ કામ શરૂ કરી દેવાય છે. પણ સમાજવિજ્ઞાનોની સામગ્રી જુદી છે. મોટો ફર્ક એ છે કે સમાજવિજ્ઞાનોમાં તેમ જ માનવવિદ્યાઓમાં, અને તેમાંયે સાહિત્યકલામાં, બધું માનવ સાથે જોડાયેલું હોય છે. સાહિત્યનો સર્જક માનવ, ભાવક માનવ, સમીક્ષક માનવ અને સંશોધક પણ માનવ.

એ મુખ્ય કારણે, સામગ્રી મેળવવાનું સરળ નથી હોતું. કેમ કે બધું મનુષ્યના ચિત્ત અને હૃદય સાથે ગૂંથાયેલું બલકે ગૂંચવાયેલું હોય છે. જુઓ ને, ગણિતવિષયક સંશોધન સીધેસીધું પોતાના લક્ષ્ય પ્રતિ આગળ ધપતું હોય છે પણ સાહિત્યવિષયક સંશોધન અટકતું ને ક્યારેક તો ખોડંગાતું ચાલતું હોય છે. સાહિત્યિક સંશોધનની આ સામગ્રીપરક વિલક્ષણતા ઘણી નિર્ણાયક વસ્તુ છે. એને નજરઅંદાજ કરીએ તો પરિણામો સારાં ન આવે બલકે સંશોધક વિપથગામી બની ગયો હોય, અવળા માર્ગે ચડી ગયો હોય, છતાં એને તો એમ જ લાગે કે પોતે ઉચિત માર્ગે જઈ રહ્યો છે.

મોટો સવાલ એ છે કે સાહિત્યિક સંશોધનમાં સામગ્રીચયન શી રીતે થાય છે. સામગ્રી શું છે ને તેને ક્યાં શોધવી?

ધારો કે આપણે મુનશીની નવલકથાઓ વિશે સંશોધન હાથ ધર્યું છે, તો શું એમની ‘ગુજરાતનો નાથ’ વગેરે તમામ નવલકથાઓના ઢગલાને સામગ્રી ગણવી? ‘અડધે રસ્તે’, ‘સીધાં ચઢાણ’ અને ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’ એમ ત્રણ ત્રણ પુસ્તકમાં એમણે આપેલી એમના જીવનની ઝીણીમોટી વીગતોને સામગ્રી ગણવી? અને એ બધી નવલકથાઓના ટૂંકસારને સામગ્રી ગણવી? આપણે ત્યાં સામાન્ય સંશોધકો એમ જ કરતા હોય છે. એક ભાગમાં ‘જીવન’ ને બીજામાં ‘કવન’. એક જમાનામાં એવાં બે અડધિયાંથી બંધાયેલા પુસ્તકને સંશોધન ક્હૅવાતું'તું !

એવો સંશોધક મુનશીએ સરજેલી શબ્દસૃષ્ટિને પોતાની રીતેભાતે કાપીકૂપીને નવેસરથી રજૂ કરતો હોય – એટલે કે, સુગરીના માળાના તન્તુ તન્તુને, તરણાં તરણાંને, આવડે એવી રીતે છૂટાં પાડતો હોય, ને પછી, આવડે એવી રીતે જોડી દેતો હોય. એ પ્રકારે મૂળનું માત્ર રીનોવેશન કે રીફર્બિશમૅન્ટ કરી નાખવું તે સંશોધન નથી, ડિગ્રી મેળવી લેવાનો સસ્તો કીમિયો છે.

એમાં, આપણે એવું કશું જ ભાળી શકતા નથી જેને શોધન કે સંશોધન કહી શકાય. એટલું જ નહીં, એ જેવી કંઈ પદ્ધતિ પર ઊભું હોય છે – જો એને પદ્ધતિ કહી શકાતી હોય તો – તેને કદી આપણે રીસર્ચ મૅથડોલૉજી નથી કહી શકતા. એ સાન્ટિફિક મૅથડ ઑફ ઇન્કવાયરી નથી હોતી.

એનું મુખ્ય કારણ એ કે એના પાયામાં ડેટા નથી હોતો. ડેટાના મૂળમાં રહેલી રસાનુભૂતિ હોતી નથી. રસાનુભૂતિના મૂળમાં રહેલું ભાવન નથી હોતું. ભાવનના મૂળમાં રહેલું સઘન વાચન નથી હોતું. જો વાચન, ભાવન અને રસાનુભૂતિ નહીં હશે તો પ્રતિભાવ બંધાશે નહીં. અને પ્રતિભાવ બંધાશે નહીં તો જેના પર કામ કરી શકાય એ ડેટા કે એ સામગ્રી હાથ આવશે નહીં.

વિષય સાથેના સમ્બન્ધ અને અનુબન્ધનું ફળ તે આ રીતેભાતે મેળવાયેલી સામગ્રી. એને હું સાહિત્યિક સંશોધનનો મૂળાધાર ગણું છું, એથી સંશોધનનો શુભારમ્ભ થાય છે.

અને એવા શુભારમ્ભ પછી હું સુરેશ જોષી પરના મારા શોધકાર્યમાં આગળ ધપતો હતો. મારી એ આગળની પદ્ધતિ કેવી હતી તેની પણ થોડી વાત કરું :

જુઓ, સાયન્ટિફિક મૅથડ ઑફ ઇન્ક્વાયરીને આપણે જ્ઞાન-સમ્પાદનની વિવિધ પદ્ધતિઓમાં શ્રેષ્ઠ ગણીએ છીએ. કેમ કે સાયન્ટિફિક મૅથડ સંશોધકને મનઘડંત તરીકાઓથી છૂટો કરે છે ને એને તર્કપૂત શોધમાં દોરી જાય છે. એટલે એથી મળેલા જ્ઞાનને સામો માણસ પોતાની તર્કબુદ્ધિથી ચકાસી શકે છે ને તેથી કરીને તેનો સ્વીકાર કરી શકે છે.

બાકી, વ્યક્તિને રીવિલેશનથી પણ જ્ઞાન તો થાય જ છે – એકાએક જાદુ જેવું થાય ને પ્રકાશ થાય ને જ્ઞાન પ્રગટે કે વસ્તુ આમ છે. બાબા વાક્યમ્ પ્રમાણમ્-ની રીતે પણ જ્ઞાન મેળવાય જ છે. જેમ કે, ગુરુ અને વડીલો પાસેથી એટલે કે આપ્તજનો પાસેથી વ્યક્તિ જ્ઞાન મેળવી શકે છે. વ્યક્તિને સહજસ્ફુરણા પણ થતી હોય છે – ઇન્ટ્યુઇશન, હૈયાસૂઝ, એથી પણ જ્ઞાન થાય. એ કહે કે સાંજ સુધીમાં પોતાને તાવ આવશે ને તાવ આવે ! માણસ કૉમન સૅન્સથી પણ ઘણું શીખતો હોય છે. બારીએથી એ ભૂસકો નથી મારતો. અંગારાની મૂઠી નથી ભરતો. કેમ કે એ તો કૉમન સૅન્સની વાત હોય છે. એટલી અક્કલ તો સામાન્ય છે. એ માટે એણે જ્ઞાની બનવું જરૂરી નથી.

પરન્તુ, આમાંની એક પણ રીત સંશોધનમાં ન ચાલે. દાખલા તરીકે, કૉમન સૅન્સ ખરી પણ એનો માલિક કોણ તે નથી જાણી શકાતું. તમે કોની કૉમન સૅન્સમાં વિશ્વાસ કરો? જ્ઞાન-સમ્પાદનની એ દરેક રીતમાં મારે માની લેવું પડે છે કે જે સમજાય છે એ બરાબર છે. એ એકેયમાં દલીલ તેમ જ તર્કથી કરી શકાતી ચકાસણીને સ્થાન જ નથી બલકે એટલે લગી પ્હૉંચવું જ અશક્ય હોય છે. પાણી પર ફૂંક મારીને રોગ મટાડવાનો દાવો કરતા પાખણ્ડી બાબાને પ્હૉંચી વળવાનું અશક્ય જ છે.

સાહિત્યિક સંશોધનોએ સંપડાવેલાં સત્યોને ૧+૧=૨ એમ પુરવાર નથી કરી શકાતાં એ ખરું પણ વિજ્ઞાનીય પદ્ધતિ-મતિએ સત્યોને અનેક લોકો સ્વીકારી શકે એવી બહુસમ્મતિ લગી વિકસાવવાનું હંમેશાં શક્ય હોય છે.

હું પ્રતિભાવો પર કામ કરતો હતો ત્યારે, મને જે અને જેવું સૂઝે તેને ખરું જ ગણીને ન્હૉતો ચાલતો. કોઈ મોટા વિવેચકે સુરેશભાઈની પ્રશંસા કે ટીકા કરી હોય તેના પર હું આંધળો વિશ્વાસ ન્હૉતો જ મૂકતો. સુરેશભાઈની કોઇપણ સર્જનાત્મક ગુણવત્તા બાબતે હું સહજસ્ફુરણાથી ન્હૉતો જ દોરવાતો. વાચન દરમ્યાન, સાથે સાથે, હું નિરીક્ષણપૂર્વક કાળજીભરી નૉંધો કરતો’તો. ધીમે ધીમે સરખે સરખા મુદ્દા ધરાવતી નૉંધોનાં હું વર્ગીકરણ કરવા લાગેલો. પછી એ પર વિચાર-મનન ચાલે, વિભાવનાઓ બંધાય, અર્થઘટન શરૂ થાય. અને છેવટે મને સારરૂપ કશોક સર્વસામાન્ય વિશેષ જડી આવે.

સુરેશ જોષીરચિત ટૂંકીવાર્તામાં ‘સન્નિધીકરણ’-નો વિશેષ મને એ રીતે જ જડી આવેલો. સુરશ જોષી ‘કલ્પનનિષ્ઠ’ સાહિત્યકાર છે એ સાર પર પણ હું એ રીતે જ પ્હૉંચેલો. આ બન્ને શોધ-વસ્તુઓ પર મારો વાચક તર્કપુર:સર વિચારે તો એમાં એને કશું ન સ્વીકારવા જેવું નહીં લાગે, બલકે એ એને વધાવી લેશે, ને એ પ્રકારે સુરેશ જોષીની સર્જકતાને વિશેનું એ જ્ઞાન પ્રસરશે. હા, ત્યારે એ ભાઈ મારું નામ ન લે અને બધું પોતે શોધી કાઢ્યું છે એમ ઠઠાડે, તો એમ થવાનો પૂરો સંભવ છે. રાજકોટની એક સભામાં એમ બનેલું. સુરેશ જોષી વિશે એ વક્તાશ્રી મારું જ બધું, લગભગ મારા જ શબ્દોમાં, બોલ્યે જતા’તા, એમને ખબર ન્હૉતી કે સભામાં હું હાજર હતો.

પણ આજે હું ખુશીથી એમ ઉમેરું છું કે જ્ઞાન તો પોતાના સતને પ્રતાપે પ્રસર્યા જ કરે છે, ભલે ને ચોરો એને ચોરી જતા …

મારે તમને એ જણાવવું છે કે આટલું અંકે કરીએ : રસાનુભૂતિ લગી લઈ જાય એવું સઘન વાચન કરીએ : પ્રતિભાવસ્વરૂપ સામગ્રી પર કામ કરવા તર્કપૂત શોધમાં દોરી જનારી સાયન્ટિફિક મૅથડને અપનાવીએ કેમ કે એનું પણ પાયાનું મહત્ત્વ છે, એ પણ મૂળાધાર છે.

પેલા સંતોષ સાથે જોડાયેલા બે પ્રસંગો કહું :

આપણે થીસિસ યુનિવર્સિટીમાં સબ્મીટ કરી દઈએ પછી ચિન્તા રહે કે તપાસવા માટે કયા પરીક્ષકને મોકલશે. વાયવા લેવા કોણ આવશે. આજકાલ એ ચિન્તાસંભવ ટળ્યો હશે કેમ કે કહે છે કે પરીક્ષકો જાતે જ પોતાનું નામ ફોડી દેતા હોય છે. મારા ગામમાં એક સી.આઈ.ડી. હતો, એ સૌને કહેતો ફરે કે – જોજો હાં, હું સી.આઈ.ડી. છું …

બનેલું એવું કે મારા આ સંશોધનકાર્યના પરીક્ષણ માટે કોઈ વિદ્વાન મળતો ન્હૉતો. એક પ્રથિતયશ વિવેચકે કહેલું કે એમની આંખો નબળી પડી છે, પાણી પડે છે. એ પછી બીજા બેત્રણ જણે સુરેશભાઈનું નામ જોઈને જ ના પાડેલી. ચં.ચી. મહેતા મારા વાઇવામાં આવેલા. એમણે થીસિસ વાંચ્યો જ હોય પણ મને કહે : અમે તો સુરેશને એવો કંઈ મોટો નથી માનતા : મારે શું કહેવું? પળભર મૂંઝાયેલો, પણ તરત કહેલું : મોટા-નાનાનો સવાલ અસ્થાને છે, એઓ જે અને જેવા છે તે મેં બરાબર દર્શાવ્યા છે. તો કહે – ઠીક; પણ આ ભદ્ર બુટાલા ક્યાંનો લેખક છે જેનું નામ તમે ટાંક્યું છે? મેં કહ્યું એ લેખક નથી પણ સુરેશભાઈનાં પુસ્તકોનો પ્રકાશક છે; એનું નામ મારા થિસિસના ઔપચારિક નિવેદન-માં છે, નહીં કે થીસિસની મેઇન ટૅક્સ્ટમાં. તો કહે – ઠીક … હું તો સુરેશભાઇવિષયક વિચારોથી ધમધમતો હતો, પણ મારો વાઇવા, આમ, એમના ઠીક ઠીકથી પતેલો … જો કે મને સંતોષ અને આનન્દ એ વાતનો હતો કે મારા સમુચિત ઉત્તરોને પ્રતાપે એમને ઠીક ઠીક સિવાયનું કશું જ સૂઝ્યું ન્હૉતું …

હું ૧૯૭૭માં ભાષાભવનમાં જોડાયો. એના ઇન્ટર્વ્યૂ વખતે થીસિસ પ્રકાશિત નહીં થયેલો. ઇન્ટરવ્યૂ-કમિટિમાં બેઠેલા એક વિદ્વાન મને કહે – ભાઈ, તમારો થીસિસ પ્રકાશિત નથી અમારે શું માનવું? મેં કહેલું : તમે મને પ્રશ્ન પૂછી શકો છો, કોઈપણ પ્રશ્ન : એમના ચિત્તમાં પ્રશ્ન જન્મે એ પહેલાં જ વાઇસ ચાન્સેલર ઈશ્વરભાઇ પટેલે એમને એ સંકટમાંથી બચાવી લીધેલા; કહેલું : એનો થીસિસ પ્રગટ છે એમ માનીને તમે એને બીજું જે પૂછવું હોય એ પૂછો : મને સંતોષ અને આનન્દ એ વાતે થયેલો કે હું ભાષાભવનમાં નિમાયેલો અને તે કારણે ત્યાં મારી કારકિર્દીનાં સર્વાધિક વર્ષો સુખે વીતેલાં – પૂરાં ૨૭.

આ સંતોષ અને આનન્દના વિકાસ માટે છેલ્લી વાત કરું : દરેક સંશોધકે પોતાના સંશોધનના વિષયક્ષેત્રમાં કારકિર્દી દરમ્યાન એ જ દિશામાં પણ કામ કર્યા કરવું જોઈએ. એથી સંતોષનો વિકાસ થશે, સંતોષમાં વૃદ્ધિ થશે. એટલું જ નહીં, એ વિષય પર એ સંશોધકની માસ્ટરી આવશે, એના નામનો એક હોલમાર્ક અથવા સ્ટામ્પ ઊભો થશે. વ્યક્તિ ‘પ્રૉફેસર ઑફ ગુજરાતી’ નહીં પણ ‘પ્રૉફેસર ઑફ ધ સુરેશ જોષી’સ જનાન્તિકે’ કહેવાશે. એને હું સંશોધનની ચરમ સિદ્ધિ ગણું છું.

સૌનો આભાર and please take care …

= = =

(August 14, 2020: Ahmedabad)

Loading

અન્નકૂટ

મનહર જે. વૈષ્ણવ|Opinion - Short Stories|14 August 2020

ડોરબેલ વાગ્યો એટલે રમાબહેન વાંચતાં હતાં તે ચોપડી બાજુમાં મૂકી, બારણું ખોલવા ગયાં.

‘ઓ…હો… પધારો, પધારો, મુખ્યાજી, આજ તો અમારી ઝૂંપડી પાવન કરી.’

હવેલીના મુખ્યાજીને નમસ્તે કર્યાં. રમાબહેને વંદન કરી અંદર આવવા કહ્યું. ‘બિરાજો.’ મુખ્યાજીને સોફામાં બેસાડી, પોતે સામેના સોફામાં બેઠાં.

‘અરે! રમાબહેન, આને તમે ઝૂંપડી કહેતા હો, તો આખા અમદાવાદમાં બધાને આવી ઝૂંપડી મળો.’ હસતાં હસતાં મુખ્યાજી બોલ્યા, ‘રમણભાઈની વિદાય પછી, તમે મા–દીકરાએ હજુ ‘હવેલી’ની માયા એવી ને એવી જ જાળવી છે તે પ્રભુકૃપા છે.’

‘કમળાબહેન’, રમાબહેને બૂમ પાડી. રસોડામાંથી કમળાબહેનને બોલાવી મુખ્યાજીને પાણી આપવા કહ્યું અને પછી કેસર–મસાલાયુક્ત ગરમ દૂધ તૈયાર કરવા જણાવ્યું.

‘અરે રમાબહેન, એવી કશી જરૂર નથી. આ તો ખાસ યાદ અપાવવા આવ્યો કે, આવતે અઠવાડિયે ઠાકોરજીનો પાટોત્સવ છે, તો અન્નકૂટના દર્શન કરવા જરૂર આવજો.’

‘એ તો મને યાદ છે. ઠાકોરજીનો પાટોત્સવ તો તેઓ હયાત હતા, ત્યારનો ઉજવાય છે. રાહુલ નાનો હતો ત્યારથી અમે તેને લઈને આવતાં; પણ અમારી પ્રસાદી તો લેવી જ પડશે.’

કમળાબહેન કેસરયુક્ત ગરમ દૂધ ટ્રેમાં લઈને આવ્યાં. મુખ્યાજીએ નમન કરી, દૂધ ગ્રહણ કર્યું. પછી કહ્યું, ‘રમાબહેન, દર્શને આવો ત્યારે રાહુલ, શૈલી અને નાના સ્વયમ્‌ને પણ લાવજો.’

‘ચોક્કસ .. પણ આજકાલની જનરેશનને આવી બાબતમાં આસ્થા ઓછી હોય; પણ રાહુલ ક્હ્યાગરો છે. એટલે ચોક્કસ લઈ આવીશ.’

મુખ્યાજી રવાના થયા. રમાબહેન ડ્રોઈંગરૂમમાં સિલ્વર ફ્રેમમાં લગાવેલી રમણભાઈની તસ્વીરને નમન કરી, રાહુલના આગમનની રાહ જોતાં વાચનમાં બેઠાં.

સાંજે રાહુલ અને શૈલી નાના સ્વયમ્‌ને લઈને બહારથી પરત આવ્યાં.

‘બા, કોઈ આવ્યું હતું?’ રાહુલે બાજુની ટીપોય પર પડેલાં ટ્રે અને કપ–રકાબી જોઈને પૂછ્યું.

‘અરે હા, હવેલીના મુખ્યાજી આવ્યા હતા. આવતે અઠવાડિયે ઠાકોરજીનો પાટોત્સવ છે. તો દર્શન કરવા આગ્રહ કરતા ગયા છે. તને અને શૈલીને પણ આવવા ખાસ કહ્યું છે.’

‘માત્ર દર્શન કરવા કે કંઈક વિશેષ!’ રાહુલે હસતાં હસતાં પૂછ્યું.

‘શું તુંયે, રાહુલ! એમ કંઈ ખાલી હાથે જવાય? તમે લગ્નના રિસેપ્શનમાં વગર કવરે જાઓ છો?’ સ્મિત સાથે રમાબહેને કહ્યું.

‘કાલે તું ઓફિસે જાય ત્યારે પાંચ હજાર ડ્રો કરી મુખ્યાજીને પાટોત્સવ નિમિત્તે આપતો આવજે.’

‘શું બા તમે ય?’ રાહુલે કહ્યું. ‘આ બધા પાટોત્સવની અઢળક મીઠાઈ, ફરસાણ, બધાંનાં પેકેટ શ્રીમંત અને ડૉનરોને ત્યાં જતાં હોય છે. તેમાંથી ભૂખ્યા લોકોને બટકું ય મળતું નથી. તો આવા ડોનેશનની જરૂર શી? માત્ર મોટાઈનું પ્રદર્શન કે બીજું કંઈક?’

‘જો રાહુલ, આપણે તો તારા પપ્પાની પરંપરા જળવાય અને ઠાકોરજીનું આપણી આવકમાંથી કંઈક ઋણ ચુકવાય એ શ્રદ્ધાથી આપીએ છીએ.’ રમાબહેને સ્પષ્ટતા કરી.

‘સારું બા, હું આપતો આવીશ.’ રાહુલે કહ્યું. સાંજે રાહુલ આવ્યો એટલે રમાબહેને પૂછ્યું, ‘રાહુલ, મુખ્યાજીને ડોનેશન પહોંચાડી દીધું ને?’

‘હા, હા …, બા, પહોંચાડી દીધું. નતમસ્તકે રાહુલે કહ્યું; પણ રાહુલના મનમાં ગડમથલ થવા લાગી. ‘બાને મેં જૂઠું કહ્યું, ખરેખર તો હું જનરલ હૉસ્પિટલના જનરલ વૉર્ડના જરૂરિયાતમંદ દરદીઓમાં દરેકને રૂપિયા 500 રોકડા વહેંચી આવ્યો હતો.’ પછી વિચાર્યું, ‘મેં ક્યાં કોઈ ખોટું કામ કર્યું છે. ખરેખર, આ જ સાચું ડોનેશન છે ને?

અઠવાડિયા પછી અન્નકૂટના દર્શને જવાનું હતું ત્યારે રમાબહેન તૈયાર થઈ ગયાં અને રાહુલને કહ્યું, ‘ગાડી કાઢ. આપણે અન્નકૂટનાં દર્શને જઈ આવીએ.’

રાહુલે નતમસ્તકે ગાડી કાઢી; પણ મનમાં મૂંઝવણ! મુખ્યાજી પૂછશે તો શો જવાબ દેવો તે વિચારવા લાગ્યો.

મા–દીકરો હવેલી પહોંચ્યાં. દર્શનાર્થીઓની ભીડ હતી. પરંતુ ડોનરો માટે ખાસ બીજા દરવાજેથી એન્ટ્રીની વ્યવસ્થા હતી. રમાબહેન સીધા તે દરવાજે અધિકારની રૂએ પહોંચી ગયાં. મુખ્યાજી ત્યાં ઉપસ્થિત હતા. રમાબહેન તરફ ધ્યાન હતું; બહુ ઉત્સાહ ન બતાવ્યો. પણ રમાબહેને કહ્યું, ‘નમસ્તે મુખ્યાજી, ક્યારે પડદો ખૂલશે દર્શનનો?’ પડદો ખૂલતાં બધા દર્શનાર્થીઓ  ધક્કાધક્કી સાથે પ્રવેશ્યા. મુખ્યાજીએ રમાબહેન તરફ ધ્યાન જ ન આપ્યું. રમાબહેનને આશ્ચર્ય થયું! આમ કેમ? દર વખતે તો મુખ્યાજી હસતાં હસતાં અંદર પ્રવેશ કરાવતા, જ્યારે આજે તો ધ્યાન પણ ન આપ્યું! છતાં ગમે તેમ દર્શન કરી, નીકળી ગયાં. રાહુલ મૂંઝાયો છતાં સ્વસ્થતાથી કહ્યું, ‘બા, દર્શન તો થઈ ગયાં ને પછી મુખ્યાજીના વર્તનને શા માટે વિચારવું?’

‘એમ નહીં રાહુલ; પણ આમ કેમ બને? તેં સમયસર ડોનેશન તો મંદિરમાં પહોંચાડયું ને?’ રમાબહેને થોડી આશંકા સાથે પૂછ્યું.

‘હા, હા, બા …., પહોંચાડ્યું ને! ચાલ, તને એનાં પણ દર્શન કરાવી દઉં.’

રમાબહેન પ્રશ્નભરી નજરે જોવા લાગ્યાં. મા–દીકરો ગાડીમાં બેઠાં. રાહુલે જનરલ હૉસ્પિટલ તરફ ગાડી લીધી. ત્યાં પહોંચ્યાં એટલે રમાબહેને કહ્યું, ‘આ તું ક્યાં લઈ આવ્યો? આ તો હૉસ્પિટલ છે!’

‘હા, હા, બા …, આ હૉસ્પિટલ જ જીવંત મંદિર છે, જ્યાં દુ:ખી દરદીઓની સેવા થાય છે અને જે ઠાકોરજીની સર્વશ્રેષ્ઠ ભક્તિ પૈકીની એક છે.’ અંદર જનરલ વૉર્ડમાં પડેલા દરદીઓના પલંગ બતાવી રાહુલે કહ્યું, ‘બા, જુઓ, આ બધાને અન્નકૂટનો પ્રસાદ નથી મળતો. તેઓને જરૂર છે, સારવાર માટેની આર્થિક મદદની. તેમને આપેલું નાનું ડોનેશન પણ ઠાકોરજી માટે મોટી ઋણમુક્તિ બની રહેશે.’

‘કેટલા આપ્યા બધાને?’ રમાબહેને સ્મિત સાથે પૂછ્યું.

‘દરેકને 500 રૂપિયા. તેં પાંચ હજાર કહ્યા હતા, તે દસ જણાને આપી દીધા.’ રાહુલે કહ્યું.

‘કંજૂસ કંઈનો!’ રમાબહેને હસતાં હસતાં કહ્યું.

‘બીજા દરદીઓનું શું? આજે જ અન્નકૂટના દિવસે આ બધાને પણ રૂપિયા 500નો પ્રસાદ આપી દેજે.’

મુખ્યાજીના સ્વાર્થી વ્યવહારે રમાબહેનને વાસ્તવિકતાનું ભાન કરાવ્યું અને પોતાના પુત્ર માટે તેમને માન થયું.

ડિસેમ્બર, 2019ના ‘અખંડ આનન્દ’નાં પાન : 27-28 ઉપરથી લેખકની અનુમતિથી સાભાર ..

સર્જકસમ્પર્ક : મનન ઈન્કમટૅક્સ સોસાયટી, એરોડ્રામ પાસે, રાજકોટ-360 007 eMail : manhar.vaishnav@gmail.com

♦●♦

સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ સોળમું – અંકઃ 459 –August 16, 2020

Loading

...102030...2,2632,2642,2652,266...2,2702,2802,290...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved