Opinion Magazine
Number of visits: 9574842
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણને એક મોતની પીડા થાય છે, પણ એક કરોડ મોતની કેમ થતી નથી?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|17 July 2020

લંડનથી પ્રગટ થતા પ્રતિષ્ઠિત ‘ધ ઇકોનોમિસ્ટ’ સામયિકના તાજા અંકમાં ડરામણી ભવિષ્યવાણી છે, “દુનિયામાં કોરોના વાઈરસની બીજી લહેર તો આવી જ નથી, કારણ કે હજુ પહેલી પૂરી નથી થઇ. અંદાજે એક કરોડ લોકો સંક્રમિત થઇ ગયા છે, અને તમે હવે મહામારીમાંથી રસ ગુમાવી દીધો છે, પણ યાદ રાખજો, કોરોનાએ તમારામાંથી રસ નથી ગુમાવ્યો.” છ મહિનામાં આપણે કોરોનાના કેદખાનાથી એટલા ત્રસ્ત થઇ ગયા છીએ કે હવે ‘નોર્મલ’ થવા લાગ્યા છીએ. ક્યાં સુધી ખોફમાં, તનાવમાં, ચિંતામાં, ડરમાં રહેવું? એની પણ એક સીમા હોય છે. માણસનું મગજ નિરંતર ખોફમાં રહેવા સર્જાયું નથી. તેણે ખોફ સાથે નોર્મલ થવું જ પડે.

તમને યાદ છે જ્યારે ભારતમાં કોરોનાના કારણે પહેલું મોત થયું હતું, પછી બીજું મોત થયું હતું અને પછી ત્રીજા-ચોથા-પાંચમાં મોતના સમાચાર આવ્યા હતા, ત્યારે તમારી પ્રતિક્રિયા કેવી હતી? તમને અરેરાટી થઇ હતી, દુઃખ થયું હતું, તમે ચિંતામાં એની વાતો કરતા હતા, સાવધ થવા મહામારીની વિગતો વાંચતા હતા, અને આજે, જુલાઈ મહિનામાં ભારતમાં ૨૦,૦૦૦ લોકોના મોત થઇ ચૂક્યાં છે, અને આપણે હવે એની વાત કરવાનું બંધ કરી દીધું છે. પૂરી દુનિયામાં ૫,૫૦,૦૦૦ લોકોનાં મોત થયાં છે. અત્યારની કે પાછળની એક પણ પેઢીએ છ મહિનામાં આટલા બધા લોકોના મૃત્યુ જોયાં નથી, અને છતાં હવે આપણે દિન-પ્રતિદિન ‘નોર્મલ’ થતા જઈએ છીએ.

આમાં માનવીય માનસિકતાની એક અજીબો-ગરીબ સચ્ચાઈ છે : એક વ્યક્તિના મોતનો આપણી લાગણીઓ પર તગડો પ્રભાવ પડે છે, પણ જેમ જેમ મોતની સંખ્યા વધતી જાય છે, તેમ તેમ આપણી દરકાર ઘટતી જાય છે. જે લોકોને પંજાબમાં ત્રાસવાદ જ્યારે ચરમસીમાએ હતો, ત્યારનો સમય જો યાદ હોય, તો સમાચારપત્રોમાં રોજ તેના રાઉન્ડ-અપ રિપોર્ટ આવતા હતા : “છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના અલગ-અલગ ક્ષેત્રોમાં ત્રાસવાદી હુમલાની બનેલી છૂટક ઘટનાઓમાં ૨૫ લોકો માર્યા ગયા હતા અને ૧૦૦થી વધુ ઘાયલ થયા હતા.” આ એટલું રૂટીન થઇ ગયું કે સમાચારપત્રોમાં એક નાનકડી જગ્યામાં ૨૫ લોકોનાં મોતના સમાચારની નોંધ લેવાતી હતી. આવું કેમ થતું હશે?

રશિયન સરમુખત્યાર જોસેફ સ્ટાલિન જ્યારે કમિસાર ઓફ મ્યુનિશન્સ (શસ્ત્રસરંજામનો કમિશનર) હતો, ત્યારે યુક્રેનમાં પડેલા દુષ્કાળની ચર્ચા કરવા માટે તેણે ઉચ્ચ અધિકારીઓની એક બેઠક બોલાવી હતી. તેમાં એક અધિકારીએ ઊભા થઈને યુક્રેનમાં માણસોની કેવી દયનીય સ્થિતિ છે અને લાખો લોકો ભૂખથી કેવી રીતે મરી રહ્યા છે, તેનું ભાષણ આપ્યું. તેણે ભાષણની શરૂઆત મોતના આંકડાથી કરી, પણ સ્ટાલિને તેને વચ્ચે જ અટકાવીને કહ્યું, “ભૂખથી એક માણસ મરે તો ટ્રેજેડી કહેવાય, પણ લાખો મરે તો સ્ટેટિસ્ટિક્સ કહેવાય.”

એ એક માનવીય વિચિત્રતા જ છે કે આપણે એક મોતની જેટલી તીવ્ર પીડા અનુભવીએ છીએ, એટલી વિશાળ સંખ્યામાં નથી અનુભવતા. પછી તે આપણા માટે સંખ્યા જ બની જાય છે. મનોવૈજ્ઞાનિક તેને સાઇકિક નમ્બિંગ કહે છે, સાઇકિક એટલે માનસિક અને નમ્બિંગ એટલે સુન્નતા અથવા ક્ષુબ્ધતા. આપણે તેને શાહમૃગ વૃત્તિ કહી શકીએ. તબાહી એટલી વિશાળ હોય કે મન સુન્ન થઇ જાય, જડ થઇ જાય અને અહેસાસ ગુમાવી દે. સાઇકિક નમ્બિંગ માણસની હમદર્દીની સીમા નક્કી કરે છે. દુનિયામાં કોરોનાના ૧૧,૭૬૯,૩૧૯ કેસ છે અને મોત ૫,૫૦,૦૦૦ છે. આપણે આપણા પડોશમાં કે ઘરમાં સંક્રમણનો એક કેસ જોઈએ, તો તેમાં આશા જોઈ શકીએ અને પીડા અનુભવી શકીએ, પણ ૧ કરોડ જીવનો સવાલ હોય તો? અસંભવ છે. આપણું મન આટલી બધી જિંદગીઓ અંગે વિચારી શકતું નથી, એટલે એ ખાલી સ્ટેટિસ્ટિક્સ બની જાય છે.

અમેરિકાની યુનિવર્સિટી ઓફ ઓરેગોનમાં મનોવૈજ્ઞાનિક પોલ સ્લાવિકે આ સાઇકિક નમ્બિંગ અંગે ઘણું કામ કર્યું છે. તેમને હંમેશાં એ સવાલ થતો રહ્યો છે કે દુનિયા કેમ સામૂહિક અત્યાચારો અને વિશાળ પ્રમાણમાં લોકોના કષ્ટ પ્રત્યે બેપરવા થઇ જાય છે? સ્લાવિકે તેના એક દાયકાના અભ્યાસમાં તારણ કાઢ્યું હતું કે મનુષ્યનું મન લાખો કે કરોડોની સંખ્યામાં લોકો વિશે વિચાર કરવામાં કે હમદર્દી અનુભવવામાં સક્ષમ નથી. એટલા માટે દિલ્હીના તોફાનોમાં માર્યા ગયેલા લોકો વિશે કે દિલ્હીમાંથી પગપાળા પલાયન થયેલા શ્રમિકો વિશે મોટા ભાગના લોકો એક હદ પછી હમદર્દી અનુભવતા બંધ થઇ ગયા હતા. દુનિયામાં રાજકારણીઓ કોઈ એક વર્ગ પર અત્યાચાર સામે આંખ આડા કાન કરી શકે છે, તેનું કારણ આ જ છે.

આમાં એક આર્થિક થિયરી કામ કરે છે, જેને વેલ્યુ ફંક્શન કહે છે. એમાં જેમ જેમ પૈસાની રકમ વધતી જાય, તેમ તેમ તેમ તેની વેલ્યુ બદલાતી જાય. દાખલા તરીકે મારી પાસે એક પણ રૂપિયો ના હોય અને ૧૦૦ રૂપિયા મળે અને મારી પાસે ૧૦૦ રૂપિયા હોય અને ૨૦૦ રૂપિયા મળે, તો હું બંનેની વેલ્યુ જુદી મહેસૂસ કરીશ. નાના સ્તરે નાનકડો ફેરફાર પણ મોટો પ્રભાવ ઊભો કરે, પણ મોટા સ્તરે પ્રભાવ ઊભો કરવા માટે મોટા ફેરફારની જરૂર પડે. આ જ થિયરી માણસોની જિંદગીઓને પણ લાગુ પડે છે. સીરિયામાં ૨૦૧૧થી ગૃહયુદ્ધ ચાલે છે અને એમાં જાનહાનિનો આંકડો સતત વધતો હતો. એ એટલું ‘નોર્મલ’ થઇ ગયું હતું કે દુનિયાને નોંધ લેવાનું બંધ કરી દીધું હતું, પરંતુ ૨૦૧૫માં, અલન કુર્દી નામના ત્રણ વર્ષના સીરિયન છોકરાનો મૃતદેહ ભૂમધ્ય મહાસાગરમાંથી તણાઈને બીચ પર આવ્યો, ત્યારે આખી દુનિયામાં સીરિયાના નિરાશ્રિતોની કટોકટી પર ધ્યાન ખેંચાયું.

આપણે જો એમ માનતા હોઈએ કે દરેક મનુષ્યનાં જીવનનું મૂલ્ય એકસમાન છે, તો પછી જેમ જેમ મનુષ્યોનું જીવન ખતરામાં પડે, તેમ તેમ તે જીવનને બચાવવાનું મૂલ્ય પણ સીધી લીટીમાં વધવું જોઈએ. સરવાળાનું આ સાદું ગણિત છે. કોરોના મહામારી જેવી સામૂહિક આપદાઓમાં માણસો જેમ જેમ મરવા લાગે, તેમ તેમ હયાત જીવનને બચાવવાની આપણી ભાવના સીધી લીટીમાં ઉપર જવી જોઈએ. પણ થાય છે ઊંધું; શરૂઆતના પ્રથમ ૧૦૦ લોકોના મૃત્યુ વખતે આપણી જે ચિંતા અને દરકાર હતી, તે જુલાઈ મહિનામાં ૨૦,૦૦૦ લોકોના મોત પર આવીને ગાયબ થઇ ગઈ છે. સરકારે કહ્યું હતું કે આપણે કોરોના સાથે જીવવાનું શીખવું પડશે. આપણે રોજના સરેરાશ ૪૫૦ લોકોના મોત સાથે જીવવાનું શીખી ગયા છીએ!

આપણી નૈતિકતાનું વર્તુળ ઘણું નાનું હોય છે. અમુક વર્ગો માણસોની રક્ષા કરે, પણ પ્રાણીઓની નથી કરતા. એક ધર્મના લોકો બીજા ધર્મના લોકોનો સંહાર કરતાં અચકાતા નથી. આતંકવાદીઓ મોટી કત્લેઆમથી ‘ખુશ’ થાય છે. મનોરોગી માણસ સમાજના લોકોને રહેંસી નાખીને પણ કશું મહેસૂસ ના કરે. માનવ ઇતિહાસમાં મોટા પ્રમાણમાં યુદ્ધો, અત્યાચારો અને કત્લેઆમ થઇ છે, તેનું કારણ આ સીમિત વર્તુળ છે.

આપણે નિષ્ઠુર છીએ એવું નથી, પણ આપણે આટલા મોટા પ્રમાણમાં જીવનની તબાહીને લાગણીના સ્તરે પ્રોસેસ કરી નથી શકતા. એ જ કારણે ૧૦ લાખથી વધુ યહૂદીઓને મારી નાખનાર હિટલર અને તેના નાઝી અધિકારીઓ જર્મન પ્રજામાં ‘લોકપ્રિય’ હતા. આપણે જેમ ૩૦ મીણબત્તીઓ અને ૩૧ મીણબત્તીઓ વચ્ચેનો ફર્ક સમજી શકતા નથી, તેવી રીતે આપણી લાગણી ૩૦ મોત અને ૩૧ મોત વચ્ચેનો ફર્ક જોતી નથી.

એટલા માટે જ આપણે ઇતિહાસને સતત ભણતા રહેવું જોઈએ. ઇતિહાસ આપણને સતત એ યાદ કરાવતો રહે છે કે સમાજને બહેતર બનાવવો હોય, તો દરેક વ્યક્તિએ તેની આસપાસની દરેક વ્યક્તિની દરકાર કરતાં રહેવું પડશે અને તો જ મોટી સંખ્યામાં લોકોની દરકાર લેવાશે. મધર ટેરેસાએ એટલા માટે જ કહ્યું હતું કે, “હું જો ટોળાં તરફ જોઉં, તો કશું કરી જ ના શકું, પણ એક માણસ તરફ જોઉં, તો કરુણા કરી શકું.”

સૌજન્ય : લેખકની ફેઇસબૂક દિવાલેથી સાભાર −

https://www.facebook.com/permalink.php?story_fbid=2640315252963184&id=1379939932334062&__tn__=K-R

Loading

એવા મુંબઈમાં ચાલ જઈએ

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|16 July 2020

હૈયાને દરબાર

એક હતું ઘોડાગાડી અને ટ્રામવાળું તેજોમય મુંબઈ, બીજું લોકલ ટ્રેન, ડબલડેકર બસ અને અત્યાધુનિક સુવિધાઓથી ભરપૂર મોડર્ન, ગ્લેમરસ, ગોર્જિયસ અને ધમધમતું મુંબઈ અને ત્રીજું, લોક્ડ ઍન્ડ ડાઉન વિથ ઈટ્સ ઓન ગ્રેટ સ્પિરિટ … એવું ઢીલુંઢાલું મુંબઈ! ત્રણ ફેઝના સખત લૉકડાઉન બાદ, આઠમી જૂન પછી કેટલાક દરવાજા ખૂલ્યા છે, પણ મનનાં અને ઘરનાં બારણાં હજુ લોક્ડ છે. થોડી ઘણી પ્રવૃત્તિઓ શરૂ થઈ છે, પરંતુ મુંબઈનું જનજીવન તથા પૂરપાટ વેગે દોડતી ગાડી પાટે ચડતાં નથી. હૈયાનો દરબાર જે ઠાઠથી રંગીન મિજાજ સાથે દર ગુરુવારે આ પાને ભરાતો હતો એ રજવાડી ઠાઠ ચિત્તની શાંતિ તથા પરિસ્થિતિ સમગ્રપણે થાળે નહીં પડે ત્યાં સુધી ઊમળકાભેર ભરાશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. કંઈક ખટકે છે, કંઈક અટકે છે. ગતિશીલ મુંબઈ શાંત થઈ ગયું છે. એટલે જ પાછાં એવા મુંબઈમાં જવું છે જ્યાં બારે મહિના અને બત્રીસે ઘડી રફતાર થંભતી નહોતી, જેનો જુસ્સો અને દબદબો સદા જુવાન હતો, જેની આન, બાન, શાન શાનદાર હતી, સિતારાઓની મહેફિલ વચ્ચે મુંબઈ નગરીનો સિતારો ધ્રુવતારકની જેમ ચમકતો હતો એવા મુંબઈમાં પાછાં જવું છે, જ્યાં વ્હાલનો જ વહેવાર અને વહાલની જ ભાષા હતી. માણસને જોઈને માણસ રસ્તો નહોતો બદલી દેતો. અસ્પૃશ્યતા હવે નવા સ્વરૂપે આવી છે. મસ્તીમાં મહાલતું આ શહેર અચાનક જાણે મરીઝ થઈ ગયું છે. સૂર ના સજે, ક્યા ગાઉં મૈં … જેવી મનોસ્થિતિ છે. સિનેમાઘર, સૂરમંદિર, નાટ્યગૃહો સૂનાં છે. ફિર ભી, શો મસ્ટ ગો ઓન.

અત્યારે ઓનલાઈન પ્રોગ્રામો દ્વારા કલાકારો જ આપણને મનોરંજન પિરસી રહ્યા છે. ઘરમાં બેસીને ટેલીવિઝન પર અઢળક ફિલ્મો, વેબસિરીઝ, મ્યુઝિકલ શોઝ આપણું માઈન્ડ ફ્રેશ કરી રહ્યા છે. હેમુ ગઢવી જેવા કલાકારો ઓનલાઈન માધ્યમથી સજીવન થઈ રહ્યા છે અને જૂની રંગભૂમિ ડિજિટલ માધ્યમથી જીવિત થઈ રહી છે. આ કલાનગરીની ગુજરાતી રંગભૂમિ વિશે વિચારતાં અત્યારે મન જઈ પહોંચ્યું છે જૂની ભાંગવાડી પાસે.

એ વખતના મુંબઈની શકલ પણ નોખી જ હતી. સાઉથ મુંબઈમાં કલગીરૂપ વિક્ટોરિયા ટર્મિનસ, ટ્રાફિક વિનાના ચોખ્ખાચણાક રસ્તા, ગોથિક સ્થાપત્ય ધરાવતાં ઓર્નામેન્ટલ મકાનો, ફાઉન્ટન સર્કલ પર જાણે ચોગાનની વચ્ચે ઊભેલા હેન્ડસમ છડીદાર જેવો રાજવી ફુવારો અને ચર્ની રોડના ઓપેરા હાઉસ પાસે જૂની રંગભૂમિની પાઠશાળા સમી ભાંગવાડી.

જૂની અને નવી બંને રંગભૂમિમાં કસબ દેખાડનાર કલાકારોમાં મહેશ્વરી, પદ્મારાણી, જયંત વ્યાસ, ઘનશ્યામ નાયક, વનલતા મહેતા, લીલા જરીવાલા, સરિતા જોશી, પ્રતાપ ઓઝા, હની છાયાનાં નામો યાદ કરવા જ પડે. એમાં ય ગુજરાતી થિયેટરના પૃથ્વીરાજ કપૂર કહી શકાય એવા પ્રતાપ ઓઝા આજે વિશેષ યાદ આવે છે. હયાત હોત તો આ વીસમી જુલાઈએ શતાયુના થયા હોત. ૯૨ વર્ષનું સભર આયુષ્ય ભોગવનાર પ્રતાપ ઓઝાનું આ શતાબ્દી વર્ષ છે. રંગભૂમિની વાત હોય અને જેમનું જન્મ શતાબ્દી વર્ષ ચાર દિવસ પછી પૂરું થતું હોય એવા ધૂરંધર કલાકાર પ્રતાપ ઓઝાને પણ આ નિમિત્તે સ્મરણાંજલિ આપવી છે! વટવૃક્ષની જેમ પાંગરેલી આજની રંગભૂમિના એ પાયાના પત્થર સમાન હતા.

૨૦-૭-૧૯૨૦માં પ્રતાપભાઈનો અમદાવાદમાં જન્મ. ૧૯૨૭માં અમદાવાદથી મુંબઈ આવી ગયા ત્યાર બાદ મુંબઈ જ એમની કર્મભૂમિ રહી.

બુલંદ અવાજ, સશક્ત અભિનય અને સદાબહાર જુસ્સો. સંવાદ બોલે તો વનરાજ ગર્જના કરતા હોય એવું લાગે. એમણે ગુજરાતી સિવાય હિન્દી અને ઉર્દૂમાં પણ નાટકો કરેલાં. ૧૯૪૩માં ‘ઈપ્ટા’(ઇન્ડિયન પ્રોગ્રેસિવ થિયેટર એસોસિયેશન)ની સ્થાપના થઈ ત્યારે એમાં અનેક નામી કલાકારોની સાથે એ પણ જોડાયા હતા. ૧૯૪૯માં ઈપ્ટામાંથી છૂટા પડીને એમણે ‘રંગભૂમિ’ સંસ્થાની સ્થાપના કરી અંગ્રેજી ભાષા સહિત હિન્દી-ગુજરાતીમાં ઉત્તમ નાટ્યકૃતિઓની ભજવણી કરી હતી. ‘મૃચ્છકટિકમ્’ હિન્દી અને ગુજરાતીમાં ભજવાયું ત્યારે પ્રતાપભાઈએ સાવ અનોખા પાત્ર શકારની ભૂમિકા ભજવીને અપાર લોકચાહના મેળવી હતી. જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા પ્રતાપ ઓઝા નવી રંગભૂમિના પ્રણેતાઓમાંના એક. સંગીતમાં ઊંડો રસ ધરાવે અને સાયગલનાં ગીતો સરસ ગાઈ શકે. મિત્રોની મહેફિલમાં તો એમની પાસે સાયગલનાં ગીતો ખાસ ગવડાવવામાં આવે. સ્વાતંત્ર્ય સંગ્રામની પૃષ્ઠભૂમિ પર આધારિત ગુણવંતરાય આચાર્ય લિખિત એમના ‘અલ્લાબેલી’ નાટકે જબરજસ્ત નામના મેળવી હતી. પ્રતાપ ઓઝા અને લીલા જરીવાલાના લીડ રોલમાં લોકચાહના પામેલું આ નાટક રિવાઈવ કરવાની પ્રતાપભાઈની ઘણી ઈચ્છા હતી જે સંજોગવશાત્ પૂરી થઈ શકી નહોતી. નાટકના વિષય, પાત્રની ગુણવત્તા વિશે હંમેશાં સભાન રહેતા પ્રતાપભાઈએ એમની સાથેની અંગત મુલાકાતમાં એક વાર બહુ સચોટ વાત કરી હતી કે મનોરંજન સસ્તી લોકપ્રિયતાના ઘોડાપૂરમાં તણાય ત્યારે વિસર્જનની ઘડીઓ ગણાવા લાગે. સવેતન રંગભૂમિ શરૂ કરવામાં પ્રતાપ ઓઝાનું યોગદાન મોટું હતું.

એ જમાનામાં નાટ્યકલાકારે માત્ર અભિનય જ નહીં, સંગીત અને સામાન્ય નૃત્યની તાલીમ પણ લેવી પડતી હતી. અદાકારને ગાતાં તો આવડવું જ જોઈએ, અને એ માટે ખાસ સંગીતકાર રોકી કલાકારના સૂર પ્રમાણે ગાયન શીખવાડવામાં આવતું હતું. નાટકની પ્રથમ રાત્રિએ તખ્તાને સમુદ્રના પાણીથી સાફ કરવામાં આવતો. તખ્તા પર કંતાનની નવી જાજમ બિછાવાતી. નાટકની પ્રથમ રાત્રી તો એક ઉત્સવ બની જતી એ વાત પ્રાગજી ડોસાએ તેમના એક પુસ્તકમાં વર્ણવી છે. શનિ રવિના પ્રયોગોના એક મહિનાના પ્લાન તો એડ્વાન્સમાં જ બુક થઈ જતા. નાટકની ટિકિટનો ભાવ આમ પાંચ રૂપિયા, પરંતુ શોની પ્રથમ રાત્રિએ ટિકિટોની એટલી પડાપડી થતી કે અમુક નાટકના કાળા બજારમાં રૂપિયા ૧૦૦ના ભાવ પણ બોલાતા હતા. ઉચ્ચ વર્ગની મહિલાઓ ભારે સાડી-સેલાં પહેરીને નાટકમાં મહાલવા જતી. નાટકોનો ભારે દબદબો હતો.

મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા જેવું અપ્રતિમ લોકચાહના પામેલું ગીત જે નાટકમાં હતું એ ‘વડીલોના વાંકે’ની સૌ પ્રથમ અભિનેત્રી મોતીબાઈ હતાં અને છેલ્લાં અભિનેત્રી મહેશ્વરી. આ નાટક એટલું બધું શુકનિયાળ ગણાતું કે દર બેસતા વર્ષે બપોરે એનો શો હોય જ. દેશી નાટક સમાજની શતાબ્દી ઉજવાઈ ત્યારે ‘વડીલોના વાંકે’ નાટકમાં મોતીબાઈ અને કાસમભાઈ સાથે પ્રતાપ ઓઝા, મધુકર રાંદેરિયા, લીલા જરીવાલા અને વનલતા મહેતાએ ભૂમિકાઓ ભજવી હતી.

જેમનું શતાબ્દિ વર્ષ ચાલી રહ્યું છે એ નાટ્ય કલાકાર પ્રતાપ ઓઝા 'અલ્લાબેલી' નાટકના એક દ્રશ્યમાં; સાથે છે વનલતા મહેતા

૧૯૭૯માં ભાંગવાડી બંધ થયા પછી ૧૯૮૧માં વિનયકાન્ત દ્વિવેદીએ ‘સંભારણાં’ને નામે એને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ‘વડીલોના વાંકે’ નવા સ્વરૂપે ભજવાયું હતું જેમાં મોતીબાઈના સ્થાને ચોથી પેઢીનાં મહેશ્વરીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

સવેતન રંગભૂમિના નાટ્ય કલાકારો પગારદાર રહેતા અને સારામાં સારા કલાકારને મહિને રૂપિયા આઠસો-હજારથી વધારે મળતા નહીં. નાટકની ટિકિટના દર આગળની બેઠકોના રૂપિયા ૨૦ અને પિટ ક્લાસ એટલે કે બાલ્કનીના આઠ આના! સાહ્યબો મારો ગુલાબનો છોડ, ધનવાન જીવન માણે છે, નાગરવેલીઓ રોપાવ, બાળપણનાં સંભારણાં જેવાં ગીતો ગુજરાતી રંગભૂમિની શાન હતાં. એ સમયે મહિલા કલાકારોમાં મોતીબાઈ, કમલાબાઈ કર્ણાટકી, કુસુમ ઠાકર, મનોરમા, વત્સલા દેશમુખ, હંસા, રૂપકમલ, શાલિની ઈત્યાદિ નામો બહુ પ્રચલિત હતાં. મોતીબાઈ, કમળાબાઈ એ જમાનાની જાજરમાન અભિનેત્રીઓ ગણાતી. જૂની રંગભૂમિમાં ગીતો એ સૌથી અગત્યનું પાસું હતું. ભાંગવાડીની બાલ્કનીના પગથિયે બેસીને જેમણે માલવપતિ મુંજ, વડીલોના વાંકે, મંગળ ફેરા જેવાં નાટકો જેમણે જોયાં છે એમને ખબર હશે કે નાટકોનો નશો કેવો હોય!

નવી રંગભૂમિનાં મંડાણ થતાં નાટ્ય ભજવણીનું સ્વરૂપ બદલાયું. ટેકનોલોજીનો વ્યાપ વધ્યો એ સાથે નાટકોનું સ્વરૂપ, મંચસજ્જા તથા વિષયો બદલાયા, પરંતુ, નવી રંગભૂમિમાં સંગીતનું મહત્ત્વ જરા ય ઓછું નથી થયું. શૈલી બદલાઈ છે. કલાકારો સ્ટેજ પર ગાતા નથી. પ્રસંગો પ્રમાણે બેક ગ્રાઉન્ડ મ્યુઝિક આવે. નાટકના ટાઈટલ સોંગની પ્રથા નવી રંગભૂમિનું અગત્યનું પાસું બની રહ્યું છે. જૂની-નવી બન્ને રંગભૂમિના સાક્ષી સમાન સંગીતકારોમાં અજિત મર્ચન્ટ તથા પુરુષોત્તમ ઉપાધ્યાય મુખ્ય ગણી શકાય. નવી રંગભૂમિ શરૂ થઈ ત્યાર પછી સંગીત આપનાર સંગીતકારોમાં રજત ધોળકિયા, ઉત્તંક વોરા, પીયૂષ કનોજિયા, સચિન સંઘવી, ઈકબાલ દરબાર, આશિત દેસાઈ, કિરણ સંપટ, ઉદય મઝુમદાર, સુરેશ જોશી, રાજેશ મહેતા ઈત્યાદિએ આરંભમાં ઘણું કામ કર્યું. હવે સંગીતકારોની નવી પેઢી નાટકોમાં સક્રિય છે.

યુવાપેઢીને આકર્ષે એવાં અદ્ભુત મ્યુઝિકલ નાટકોમાં ‘ખેલૈયા’ તથા ‘એવા મુંબઈમાં ચાલ જઈએ’ અગ્રક્રમે મૂકવાં જ પડે. ફિરોઝ અબ્બાસ ખાનના નિર્માણ-દિગ્દર્શનમાં રજૂ થયેલા ’વેસ્ટ સાઈડ સ્ટોરી’ પર આધારિત ’એવા મુંબઈમાં ચાલ જઈએ’ નાટક ૧૯૯૨માં રજૂ થયું હતું. નાટકમાં રેણુકા શહાણે અને કેદાર ભગતે મુખ્ય ભૂમિકા ભજવી હતી. અમેરિકા સ્થિત કવિ ચંદ્રકાન્ત શાહનાં અનોખાં ગીતો અને સ્ક્રીન પ્લેમાં પીયૂષ કનોજિયાએ લાજવાબ સંગીત આપ્યું હતું. એ નાટકનાં ભીંજવી નાખતાં સંસ્મરણો તાજાં કરતાં પીયૂષ કનોજિયા કહે છે, "સંગીતમય નાટક હોવાથી એવા કલાકારોની જરૂર હતી જે સારું ગાઈ શકે તથા અભિનય અને નૃત્ય પણ જાણતા હોય. લગભગ દોઢસો-બસો ઓડિશન પછી માંડ થોડા કલાકારો મળ્યા હતા. આખું નાટક ભવ્ય રીતે રજૂ થયું જેમાં ૧૦થી ૧૨ ગાયનો હતાં. ટાઈટલ સોંગ એવા મુંબઈમાં ચાલ જઈએ … સિવાય પણ એક ગીત મને ખૂબ ગમતું હતું; અનુરાધા આમ એક શબ્દ છે, આમ એક નામ છે અને મારો એ વેદ છે …! ભારતીય અને પાશ્ચાત્ય મેલડીનો ઉપયોગ કરીને આ સરસ ગીત બન્યું હતું. નીરજ વોરા-ઉત્તંક વોરાના સંગીત નિર્દેશનમાં રજૂ થયેલું ‘તાથૈયા’ પણ સુંદર સંગીતમય નાટક હતું.

મ્યુઝિકલ નાટકોની મજા અલગ જ હોય છે. જો કે, પ્રોડ્ક્શન કોસ્ટ ખૂબ વધી જતી હોવાથી સંગીતનાટકો હવે ઓછાં ભજવાય છે. નાટકોના બદલાતા પરિપ્રેક્ષ્યમાં સંગીતનું મહત્ત્વ છે જ, પરંતુ જૂની રંગભૂમિ અને ભાંગવાડીનાં નાટકો જેમણે જોયાં છે એ જ આ બદલાયેલા સ્વરૂપનો તફાવત પારખી શકે. જૂની રંગભૂમિના મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા જેવા સદાબહાર ગીત વિશે આપણે અગાઉ જાણી ચૂક્યા છીએ.

રંગભૂમિની ધરોહર એવા પ્રતાપ ઓઝાની જન્મ શતાબ્દિએ એમનું સ્મરણ તાજું કરીને નવી રંગભૂમિ તરફ મીટ માંડતાં આરંભ કાળનું ગીત એવા મુંબઈમાં ચાલ જઈએ … જુદા પરિપ્રેક્ષ્યમાં યાદ આવી રહ્યું છે. જે મુંબઈમાં જવાની કલ્પના કવિએ કરી છે એવું જ શાંત મુંબઈ અત્યારે ભાસે છે, પરંતુ … મનની શાંતિ હણાઈ હોય ત્યારે નગરની આ નીરવતા, આ શાંતિ અશાંત કરી દે છે, નહીં? હવે એવા મુંબઈમાં ફરી પાછાં જવું છે જ્યાં કોરોનામુક્ત મસ્તીનો માહોલ હોય! જીવતું, જાગતું, ભાગતું અને મહાલતું આપણું મુંબઈ ફરી ક્યારે મૂળ રફતારમાં આવશે? મુમ્બા આઈ, કૃપા કરો!

—————————

એકબીજા આપણે બે
એવા મુંબઈમાં – કોઈ એવા મુંબઈમાં – એવા મુંબઈમાં ચાલ જઈએ
ખોવાઈ ચાલ જઈએ
એકબીજા આપણે બે …

એવા મુંબઈમાં પછી – આપણે અમસ્તાં, હોય નહીં રસ્તા
એકે ન ગલ્લી, એ મુંબઈ ભલ્લી

નહીં લોકોની વચ્ચે ભીંસાવું, ન રોજ અહીં પીસાવું
રોજ નહીં ભંગાવું – રોજ નહીં સંધાવું –
એવા મુંબઈમાં ચાલ જઈએ – ખોવાઈ ચાલ જઈએ –

એવા મુંબઈમાં પછી
તું મારો ઓળખીતો, હું તારી સગી,
કાયમ હું રહીશ તારી, રહીશ હાથવગ્ગી
વ્હાલનો વહેવાર અને વહાલની જ ભાષા
આપણે બે એકલાં ને લોકોના સાંસા
એવા મુંબઈમાં ચાલ જઈએ – ખોવાઈ ચાલ જઈએ –

એવા મુંબઈમાં પછી –
હોય ના મકાનો હોય ના દુકાનો
આપણો જ મૂડ હોય મસ્તી મજાનો

એવા મુંબઈમાં પછી
પુઠ્ઠાનો ચાંદો – ને – ચિતરેલા સૂરજ
ટહુકાઓ મૂગાં ને મૂગાં અવાજો
આમ સાવ એકલાં ને આમ બેનું ટોળું
હું કરીશ વહાલ તને રોજ થોડું થોડું
એવા મુંબઈમાં ચાલ જઈએ – મુંબઈની વારતાઓ કહીએ –
ખોવાઈ ચાલ જઈએ ….!

કવિ : ચંદ્રકાન્ત શાહ    સંગીત : પીયૂષ કનોજિયા    નાટક : એવા મુંબઈમાં ચાલ જઈએ

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 16 જુલાઈ 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=632074 

Loading

ઢાઈ અખ્ખર પ્રેમકા પઢે સો પંડિત હોય : બાબુભાઈ પટેલને ભાવાંજલિ

આરાધના ભટ્ટ|Diaspora - Features|16 July 2020

એમની ઉપસ્થિતિમાં વટવૃક્ષની છાંય તળે હોવાનો એહસાસ થાય એવું શાંત, શીતળ, સૌમ્ય અને સરળ એમનું વ્યક્તિત્વ! મૃદુભાષી અને મિતભાષી, એમની આંખમાંથી સ્નેહ સતત ઝરે. જેને જુવે એને પોતાના કરી લે. કોઈ વ્યક્તિ સાથે એ અજાણ્યા તરીકે ન વર્તે, સૌ એમને માટે ચિરપરિચિત અને સૌ માટે સરખો સ્નેહ. ન કોઈ ગુરુ, ન કોઈ અધ્યાત્મની ભારેખમ વાતો, ન કોઈ વાંચન-મનનનો ભાર, છતાં એમને જીવનનો સાર સહજપણે સમજાઈ ગયો છે એવી પ્રતીતિ એમને મળનારને તરત જ થાય. બાબુભાઇ પટેલ – એ નામના વ્યક્તિઓ તો દુનિયામાં હજારો હશે, પણ એ હજારોમાં એક હતા. ૧૦મી જુલાઈ, ૨૦૨૦ની સવારે, ૮૯ વર્ષની વયે લંડનના એમના નિવાસસ્થાને એમની આંખો સદા માટે મીંચાઈ તે પૂર્વે એ લાંબી માંદગીમાંથી પસાર થયા. મૃત્યુ સન્મુખ હતું એવા સમયમાં પણ કેમ જીવવું એ એમને જોઈને શીખવા મળે, એવું એ જીવ્યા. કહે છે કે જેને મૃત્યુ સમજાઈ ગયું હોય છે એણે જીવનનો મર્મ પામી લીધો છે. એ વાતની પ્રતીતિ બાબુભાઈને એમની બિમારી દરમ્યાન મળનાર સૌ કોઈને થઇ જ હશે.

જન્મ મોમ્બાસામાં અને પછી ઉછેર ગુજરાતના નવસારી તાલુકાના દાંડી પંથકમાં.  ત્યાંથી ફરી ૧૮ વર્ષની વયે કેન્યાના નૈરોબી જઈને સ્થાયી થયા પછી પારિવારિક જીવન શરૂ કર્યું. 'ગવર્નર્સ કેમ્પ' માં મેનેજર તરીકેનો કાર્યકાળ એ એમના જીવનનો સુવર્ણકાળ રહ્યો. ભર્યોભર્યો પરિવાર અને વિસ્તૃત કુટુંબીઓ-મિત્રો સાથેનું એમનું ત્યાં એમનું જીવન ભરપૂર આનંદ અને સંતોષમય રહ્યું. બે દીકરીઓ (સ્મિતા અને અનિતા) અને એક પુત્ર(ચેતન)ને યુનાઇટેડ કિંગ્ડમમાં અભ્યાસ માટે મોકલી ઉચ્ચ ડિગ્રીઓ મેળવી સક્ષમ અને સંવેદનશીલ નાગરિકો તરીકે ઉછેરવામાં બાબુભાઈનાં પત્ની સરસ્વતિબહેનનો ખૂબ મોટો ફાળો. હંમેશાં સહજ બનીને સૌને હસ્તે મોઢે આવકાર આપવો, જેને માટે જે શક્ય હોય એ કરી છૂટવું એટલું જ નહીં, કોઈને માટે કશું કર્યું એવો ભાર ન તો પોતે રાખવો અને સામેની વ્યક્તિને એનો ભાર લાગવા ન દેવો! આ દરિયાદિલી બાબુભાઇ-સરસ્વતિબહેને એમનાં સંતાનોમાં પણ સિંચી છે. સરસ્વતિબહેનની વિદાય બાબુભાઈ માટે મોટો આઘાત હતો. એમના અવસાનના દસેક વર્ષ પછી યુનાઇટેડ કિંગ્ડમમાં સ્થિર થયેલાં સંતાનો એમને આગ્રહપૂર્વક કેન્યાથી લંડન લઇ આવ્યા, જ્યા બાબુભાઇએ છેલ્લાં લગભગ ૧૫ વર્ષ પ્રવૃત્તિમય બનીને ગાળ્યાં.

સામાજિક પ્રવૃત્તિઓ કે એના દેખાડાથી દૂર, છતાં માણસોથી એ ક્યારે ય વિખૂટા નહોતા રહ્યા, માનવતાના ગ્રાસ-રૂટ્સમાં જીવતું જીવન એ જીવ્યા. નૈરોબીમાં કામ કરતા ત્યારે પણ જીવન સુખી હતું, છતાં માલદાર કહેવાય એવી આર્થિક સ્થતિ નહોતી. તે દરમ્યાન એમને ઘેર જઈને રોકાવાનું થયું. પહેલા દિવસે ગજવામાં શિલિંગ નહોતા, પૈસા વટાવવા ટ્રાવેલર્સ ચેક લઈને ક્યાં જવું એવું એમને પૂછ્યું. એ પ્રશ્નના જવાબમાં કબાટમાંથી કાઢીને શિલિંગની નોટોની થોકડી, ગણ્યા વિના, એમણે ધરી દીધી હતી! ગવર્નર્સ કેમ્પમાં એમની કર્તવ્ય પરાયણતાથી એમની સારી વગ, જેનો લાભ એમના મહેમાનને મળતો, એ નાતે ત્યાં વાઈલ્ડલાઈફ જોવા જનારની પણ વી.આઈ.પી. જેવી તહેનાત થતી.

કેન્યા-પ્રવાસની યાદગાર છબિ. ડાબેથી, બાબુભાઈ પટેલ, પુત્ર ચેતનભાઈ, પુત્રી સ્મિતાબહેન અને અનિતાબહેન તેમ જ પત્ની સરસ્વતિબહેન.

એ લંડન નિવાસી થયા તે ગાળો એવો હતો જ્યારે થોડાં વર્ષ અમારો એમની સાથેનો સંપર્કનો તંતુ તૂટ્યો. પણ વાત થાય કે મળવાનું થાય તો જ મિત્રતા ટકે એવા મિત્ર એ નહોતા. વર્ષો પછી જ્યારે ફરી એ તંતુ સજીવન થયો ત્યારે જાણે ગઈકાલે જ મળ્યાં હોઈએ એવી હૂંફ અને નિકટતાથી અમે એમની સાથે ફરીથી સંકળાઈ ગયાં.

અમે સિડની સ્થાઈ થયાં પછી બે વખત બાબુભાઈએ સિડનીની મુલાકાત પણ લીધી, ત્યારે એમની સાથે ફરીથી થોડા દિવસ ગાળવાની તક મળી. સિડનીની એમની પહેલી મુલાકાત દરમ્યાન અમે એમને લઈને અહીંની રાજધાની કેનબેરા ફરવા ગયેલાં. કારમાં લગભગ ૩૦૦ કિલોમીટરનું અંતર કાપી અમે ત્યાં પહોંચીને હોટેલમાં ચેક-ઇન કર્યું. લાંબી ડ્રાઈવ પછી અમે સૌ થોડો સમય આરામ કરવાના મૂડમાં હતાં એટલે અમે હોટેલની રૂમમાં લંબાવ્યું. બાબુભાઈની નજર હોટેલના તરણકુંડ પર હતી. મુસાફરી પછી આરામ કરવાને બદલે સિત્તેર વર્ષના આ યુવાન સીધા ઉપડ્યા તરવા! અને એક કલાક તરીને સાંજના ફરવા જવા માટે એટલી જ સ્ફૂર્તિથી પાછા એ તૈયાર પણ થઇ ગયા!  એમનો ટેનિસ પ્રેમ પણ એટલો જ જાણીતો. એમની બિમારી છતાં એ સ્કોટિશ હાઈલેન્ડ જઈને ત્યાં હાઈકિંગ પણ કરતા. વ્યાયામ અને સ્વાસ્થ્ય વિશેની એમની સજાગતા, રમતગમત માટેનો એમનો પ્રેમ એમણે છેક છેલ્લે સુધી જાળવી રાખ્યો. લંડનમાં એમના ટેનિસ ખેલાડી વર્તુળમાં ૮૭ વર્ષે તેઓ સૌથી યુવાન ખેલાડી હતા. મારો દીકરો લંડન અભ્યાસાર્થે ગયો, ત્યારે એમના ટેનિસ પ્રેમે એ બંનેની મૈત્રી વધુ સઘન કરી આપી. ‘ચાલ આપણે આ વર્ષે વિમ્બલડન જોવા જઈએ’ એવો પ્રસ્તાવ ‘નાનાજી’ એને કરતા. (બાબુભાઈનાં પૌત્ર-પૌત્રી સાથે મારો દીકરો વિવેક પણ એમને નાનાજી કહેતો થયો.)

માણસ માત્રમાં બાબુભાઈને રસ, બધાને યાદ રાખે. મારા માતા-પિતાને નહોતા મળ્યા. પણ મારે ઘેર સિડની આવીને મારા મોઢે મારા પરિવારની વાતો સાંભળી, પછીના વર્ષે એમને થોડા દિવસ માટે નવસારી જવાનું થયું ત્યારે સમય કાઢીને એ મારા નવસારી સ્થિત પરિવારને મળી આવ્યા અને લંડન પહોંચીને ફોન કરી મને મારાં માતા-પિતાના ખબર આપ્યા! એમનો વતનપ્રેમ છેક સુધી એમને ત્યાં ખેંચતો રહ્યો. મારી એમની સાથેની છેલ્લી મુલાકાત ૨૦૧૭માં નવસારી ખાતે થયેલી. અનાયાસ હું અને બાબુભાઈ એક જ સમયે ત્યાં હતાં. એ સીધા મને મળવા દોડી આવ્યા. એમની શારીરિક તકલીફો છતાં દર વર્ષે ગામમાં એમણે વસાવેલું ઘર ખોલીને રહેવાની એમની ઈચ્છા પૂરી કરવા એમનાં સંતાનો પૈકી કોઈક એમની સાથે ભારત જતું.

લંડનમાં એમના નિવાસે મળવાનું પણ બન્યું. અને અવારનવાર ફોન સંપર્ક થતો. એમની બિમારી સામે લડવાને બદલે એનો સહજ સ્વીકાર, શક્ય ત્યાં સુધી કોઈને પોતે તકલીફ ન આપવી કે ભારરૂપ ન થવું એની કાળજી, અને સૌ માટેનો નિર્વ્યાજ પ્રેમ એમની વાતોમાં સાંભળવા મળતો એનાથી ક્યારેક આંખો ભીંજાઈ જતી.

ઇંગ્લૅન્ડના પ્રવાસે લેખિકા હતાં તે વેળા બાબુભાઈ જોડેની છબિ. ડાબેથી, બાબુભાઈ પટેલ, દીકરી સ્મિતાબહેન, વિપુલ કલ્યાણી તેમ જ આરાધનાબહેન ભટ્ટ

દાયકાઓ પહેલાં દેશ છોડીને સમુદ્રપાર વસનાર એન.આર.આઈ. વિશે ઘણીવાર કહેવાય છે કે જે જમાનામાં આપણે દેશ છોડ્યો હશે તે જમાનાની રીતભાત-રહેણીકરણી અને વિચારોમાં આપણે થીજી જઈએ છીએ, ક્યારેક આપણને ‘જૂનવાણી’નું તહોમત પણ લગાવાય છે. આવેલાને આવકાર આપવો, ઉદારચિત્તે સૌને સ્નેહ કરવો, પોતાનાં મૂળને ન ભૂલવાં, માતૃભાષાને પ્રેમ કરવો, કુટુંબભાવના હોવી, વ્યસનમુક્ત સાદગીભર્યું જીવન જીવવું – આ બધું જો જૂનવાણી હોય તો બાબુભાઈ સાવ ‘જૂનવાણી’ હતા. પણ એમણે અન્ય ધર્મો, જાતિ અને જ્ઞાતિના સભ્યોને પોતાના પરિવારમાં ખુલ્લા દિલે આવકાર્યા અને એમની સાથે સુમેળભર્યું જીવન જીવ્યા એટલા એ ઉદારમતના અને ‘આધુનિક’ પણ ખરા.

આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યારે સોશિયલ મિડિયા અને અન્ય પરિબળોએ મૈત્રીને કેટલાક બાહ્ય આચારોને આધીન અને સાવ તકલાદી બનાવી દીધી છે. આવા સમયમાં પૃથ્વીના બીજા છેડે વસતા કોઈક સંબંધનું ચાર દાયકા જેટલું સાતત્ય અને ઘનિષ્ટતા એમના અપેક્ષારહિત અને વ્યવહારિકતાથી પર એવા સ્નેહનું પરિણામ છે એમ સમજુ છું. એમનો પ્રથમ પરિચય સાવ અનાયાસ થયેલો, વલસાડમાં વસતા એમના કોઈક સગાં મારફત, અને પછી એ સંબંધ ચાળીસ વર્ષને પાર કરી ગયો. દાંડીના દરિયાની નજીક વસેલી જાતિઓ વિશે કહેવાય છે કે એમણે દરિયાની દરિયાદિલી આત્મસાત કરી છે, એ વાત બાબુભાઈ અને એમનો પરિવાર જોતાં યથાર્થ લાગે. જયારે જ્યારે એમને મળવાનું બને ત્યારે કબીરસાહેબનો દોહો ‘પોથી પઢ પઢ જગ મુવા, હુવા ન પંડિત કોય, ઢાઈ અખ્ખર પ્રેમકા પઢે સો પંડિત હોય’ જીવાતો જોવા મળ્યો એવું લાગે! બાબુભાઈને આપણા સૌના આખરી સલામ !

e.mail : aradhanabhatt@yahoo.com.au

Loading

...102030...2,2632,2642,2652,266...2,2702,2802,290...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved