વર્તમાન કેન્દ્ર સરકારની ધરાર પ્રશંસા કરવી પડે એવા અવસર આપણા અત્યારના શાસકોએ બહુ ઓછા આપ્યા છે, એમાં એક અવસર ઈરાન સાથેની છાબહાર બંદરની સમજૂતીનો હતો. ૨૦૧૬ના મે મહિનામાં ભારત અને ઈરાને ઈરાનના હોરમઝની સામુદ્રધુની અર્થાત્ ઈરાનના અખાતના મુખ પર આવેલા છાબહાર નામના બંદરને ભાગીદારીમાં વિકસાવવાનો કરાર કર્યો હતો. એના દ્વારા ઈરાનને દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોમાં વ્યાપાર કરવાની અનુકૂળતા મળતી હતી અને ભારતને પશ્ચિમના અને મુખ્યત્વે મધ્ય એશિયાના દેશો સાથે. એ સમજૂતીની આ લખનારે ભરપૂર પ્રશંસા કરી હતી. કરવી જ પડે એમ હતી. જો કે આવી જ એક સમજૂતી ૨૦૦૩માં અટલ બિહારી વાજપેયીની સરકારે ઈરાનના શહીદ બેહેશ્તી નામના બંદરને ભાગીદારીમાં વિકસાવવાની કરી હતી, પરંતુ ઈરાન સામેની નાકાબંધીને કારણે એ લાગુ થઈ શકી નહોતી.
પણ જે પ્રશંસા કરવામાં આવી હતી એનું મુખ્ય કારણ વ્યાપાર નહોતું. એનું મુખ્ય કારણ હતું રાષ્ટ્રીય સંરક્ષણ. ચીનની વન બેલ્ટ યોજના હવે તો જાણીતી છે એટલે તેની વિગતો આપવાની અહીં જરૂર નથી. ચીને જે કેટલાક બેલ્ટ રચ્યા છે અથવા વિશ્વની ભૂમિ પર રચવા માગે છે એમાં એક બેલ્ટ છે; બીજિંગથી પાકિસ્તાનના ઈરાનના અખાતના મોઢા પર આવેલા ગ્વાડર બંદર સુધીનો મહામાર્ગ જેમાં બીઝનેસ કૉરીડોરનો પણ સમાવેશ થાય છે. બીજો બેલ્ટ જૂના સિલ્ક રૂટનો છે જે પાકિસ્તાનના કબજા હેઠળના ઉત્તર કાશ્મીરની નજીકથી અને ક્યાંક કાશ્મીરમાંથી પસાર થાય છે અને છેક યુરોપ સુધી જાય છે. દેખીતી રીતે આમાં ભારતને અસલામતી નજરે પડી હતી. આનું મુખ્ય કારણ એ હતું કે પાકિસ્તાન કોઈ જવાબદાર દેશ નથી અને ભારતદ્વેષ તેના ટકી રહેવા માટેનું મુખ્ય પરિબળ છે. તે હવે અમેરિકાને છોડીને ચીનના ખોળામાં બેસી ગયું છે. આવો ભારતદ્વેષી થનગનભૂષણ દેશ ચીનના ખોળામાં બેસી જાય અને ચીનની શરતે પોતાની ભૂમિ અને પોતાનાં બંદરો ચીનને હવાલે કરી દે તો એમાં ભારત માટે મોટું સલામતીનું જોખમ પેદા થાય.
આ બાજુ ઈરાનને પણ ચીનનો અને ચીન દ્વારા સશક્ત બની રહેલા પાકિસ્તાનનો ડર હતો. ઈરાન શિયા બહુમતી દેશ છે અને પાકિસ્તાન સુન્ની. મુસ્લિમ દેશોમાં શિયા-સુન્ની દ્વેષ, વિભાજન અને આતંક સૌથી વધુ પાકિસ્તાનમાં છે. પાકિસ્તાની સરકાર પણ મૂળભૂતવાદીઓના દબાવ હેઠળ શિયાવિરોધી ભૂમિકા લે છે. આમ એક તો પાકિસ્તાન શિયાવિરોધનું કેન્દ્ર હોય અને ઉપરથી તેને ચીનની મદદ મળે તો ઈરાનનું કોઈક દા’ડો આવી બને. આ ઉપરાંત ઈરાનને ચીનનો પણ ડર હતો. ચીન કેટલાંક વર્ષોથી વિસ્તારવાદી અભિગમ અપનાવી રહ્યું છે અને ઉપરથી તે પાકિસ્તાન દ્વારા ઈરાનના અખાત સુધી પહોંચવાનું છે, એટલું જ નહીં ઈરાનની ઉપરથી પસાર થનારો સિલ્ક રૉડ અને તેની બંને બાજુએ રચાનારો બીઝનેસ કૉરીડોર તો ખરો જ. આમ ચીન-પાકિસ્તાન ભાગીદારીની ચિંતા ઈરાનને પણ હતી.
આગળ વધતાં પહેલાં એક નજર ચીનના અભિગમ વિષે. ચીને વન બેલ્ટ વન કોરીડૉરની મહત્ત્વાકાંક્ષી યોજના બનાવી એ પછી ચીનના શાસકોએ જગતના મહત્ત્વના દેશોના શાસકોને મળીને તે યોજના સમજાવી હતી અને તે કઈ રીતે જગતને નજીક લાવનારી છે, વિકાસલક્ષી છે, સંબંધીત દેશને કઈ રીતે ફાયદાકારક નીવડવાની છે, સંરક્ષણ વિષયક ચિંતા કરવાની શા માટે જરૂર નથી વગેરે સમજાવ્યું હતું. આ ક્રમમાં ચીનના શાસકોએ ભારતને પણ આ યોજના સમજાવી હતી અને ભારતને સધિયારો આપ્યો હતો કે ભારતે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. ખુદ ચીનના પ્રમુખ શી ઝિંગપીંગ ભારત આવ્યા હતા અને ચીનની બેલ્ટ યોજના સમજાવી હતી.

Chinese President Xi Jinping (L) talks with Indian Prime Minister Narendra Modi as they visit a riverside park development project in Gujarat, India, Sept 17, 2014. Xi Jinping visited the state of Gujarat on Wednesday. [Photo/Xinhua]
યોગાનુયોગ એવું બન્યું કે જ્યારે ચીને બેલ્ટયોજના તરતી મૂકી ત્યારે ૨૦૧૪માં નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા. શીતયુદ્ધ પછી વિશ્વનું રાજકારણ એક નિર્ણાયક વળાંક પર હતું ત્યારે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા. અમેરિકાની આણ ખતમ થઈ રહી હતી અને ચીન એક મહાસત્તા (આર્થિક અને લશ્કરી એમ બંને અર્થમાં) તરીકે સ્થાપિત થઈ રહ્યું હતું. થઈ રહ્યું હતું શું, થઈ ચૂક્યું હતું. ચીન માટે ભારત નજીકનું પ્રતિસ્પર્ધી ખરું, પણ ઘણા અંતરે. એક જમાનામાં અમિતાભ બચ્ચન જેમ એકથી દસ નબંર સુધી એકલા હતા અને નબર ટુ તરીકે બીજો કોઈ અભિનેતા અગિયારમાં ક્રમે હતો એમ. ભલે છેટે, પણ નજીકમાં નજીકનું પ્રતિસ્પર્ધી ભારત હતું અને એની ચીનને જાણ હતી.
આ સ્થિતિમાં કલ્પના કરો કે ચીને ભારતના વલણ વિષે શું વિચાર્યું હશે? ચીને વિચાર્યું કે ભારત કદાચ અમેરિકા, જપાન અને બીજા ચીનવિરોધી દેશો સાથે હાથ મિલાવી શકે છે અને એવા દેશોની ધરી રચાઈ શકે છે. આ દેશો ચીની સમુદ્રમાં બેડાં લાવી શકે. જો આમ બને અને તિરાડ પહોળી થતી જાય તો ત્રીજા વિશ્વયુદ્ધ સુધી પણ પરિસ્થિતિ વણસી શકે છે. પહેલાં બે વિશ્વયુદ્ધો યુરોપમાં લડાયાં હતાં તો ત્રીજું એશિયામાં લડાશે. ભારત ચીનવિરોધી દેશોની ધરીમાં સામેલ થાય એવી પૂરી શક્યતા છે. ચીને વિચાર્યું હશે કે ભારત આર્થિક વિકાસમાં તો ચીન પછી બહુ દૂર નહીં એમ બીજા ક્રમે છે. જગતના ચીનવિરોધી દેશો ભારતની વિશાળ બજારની અને ઝડપથી વિકસી રહેલા અર્થતંત્રની ઉપેક્ષા ન કરી શકે. આનો અર્થ એ થયો કે ભારત પોતાનું બજાર ખુલ્લું મૂકીને ચીનવિરોધી શક્તિઓનો લાભ લઈને પોતાને મજબૂત કરી શકે. ચીને એમ પણ વિચાર્યું હશે કે જો ભારતનો વિશ્વાસ સંપાદિત કરી શકાય અને ભાગીદાર કરી શકાય તો તો પછી પૂછવું જ શું? દુનિયામાં કોઈની તાકાત નહીં હોય કે એશિયા ખંડ તરફ નજર કરે. પણ ભારતનો વિશ્વાસ સંપાદિત કરવો એ આસાન કામ નહોતું. સીમાવિવાદ ઊભો છે, એક યુદ્ધ થઈ ચૂક્યું છે અને ભારતીયો ચીનાઓ ઉપર સૌથી ઓછો વિશ્વાસ કરે છે.
એક બાજુ નરેન્દ્ર મોદીનું ભારતમાં સત્તામાં આવવું અને બીજી બાજુ ચીને અપનાવેલો નવો રાહ. નરેન્દ્ર મોદીનું આગમન સૂચક હતું. ભારતમાં પહેલીવાર કહેવાતા મધ્યમમાર્ગી સેક્યુલર પક્ષોની કાખઘોડી વિનાની હિંદુ રાષ્ટ્રવાદી સરકાર સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં આવી હતી. નવા વડા પ્રધાન આત્મવિશ્વાસથી છલકતા હતા. આગળ કહ્યું એમ ચીનને પહેલો અંદેશો એ હતો કે ભારતના હિંદુ રાષ્ટ્રવાદી શાસકો ચીનવિરોધી ધરી રચવામાં સક્રિય બનશે, એટલે ચીને તેની સામેની તૈયારીઓ શરૂ કરી દીધી.
પ્રારંભમાં બન્યું પણ એવું જ. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન બન્યા પછી પહેલી મુલાકાત ૧૫મી જૂને ભૂતાનની લીધી અને એ પછી ઓગસ્ટ મહિનામાં નેપાળની. આ બન્ને દેશો ચીન સાથે સરહદ શેર કરે છે. એ પછી ત્રીજી સપ્ટેમ્બરે તેમણે જપાનની મુલાકાત લીધી હતી અને જપાનની ભૂમિ ઉપરથી ચીનનું નામ લીધા વિના ચીનને તેમણે વિસ્તારવાદી તરીકે ઓળખાવ્યું હતું. આ સિવાય નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં પોતાની વડા પ્રધાન તરીકેની સોગંદવિધિ વખતે ભારતના પાડોશી દેશોના વડાઓને ખાસ દિલ્હી બોલાવ્યા હતા. ચીનને લગભગ ખાતરી થઈ ગઈ હતી કે ભારત સક્રિયપણે ચીનવિરોધી વિદેશનીતિ અપનાવી રહ્યું છે અને ભારત માટે મહત્ત્વના દેશોને પોતાના તરફ કરી રહ્યું છે.
આશ્ચર્ય એ વાતનું હતું કે ભૂતાન, નેપાળ અને જપાનની મુલાકાત લીધા પછી તરત જ અને ખાસ કરીને જપાનમાં ચીનને વિસ્તારવાદી તરીકે ઓળખાવ્યા પછી પંદર જ દિવસમાં ચીનના સર્વોચ્ચ નેતા શી ઝિંગપીંગ ભારત આવ્યા હતા. ૧૭મી સપ્ટેમ્બરે શી ઝિંગપીંગ અમદાવાદ આવ્યા હતા અને સાબરમતી નદીના કાંઠે હીંચકે ઝૂલીને ઢોકળા ખાધાં હતાં. પણ એ પહેલાં ચીની સૈનિકોએ લડાખમાં ભારતના કબજા હેઠળના પ્રદેશમાં કબજો જમાવ્યો હતો. જી હાં, ચીનના પ્રમુખ જ્યારે અમદાવાદમાં હીંચકે ઝૂલતા હતા ત્યારે એ જ સમયે ચીની સૈનિકો લદાખમાં કબજો જમાવીને બેઠા હતા.
સાધારણપણે કોઈ દેશ આવું કરે નહીં. સરહદે તંગદિલી હોય તો પણ યજમાન દેશની મુલાકાત વખતે તંગદિલી હળવી કરવામાં આવે કે જેથી સદ્ભાવ વધે. અહીં તો ચીને ઊલટો રસ્તો અપનાવ્યો હતો. આમ જાણીબૂજીને કરવામાં આવ્યું હતું. ચીને ભારતને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો ભારત ચીનને ઘેરવાની અને ચીન સામે ધરી રચવાનો પ્રયત્ન કરશે તો ચીન સરહદ ખોલી શકે એમ છે. ‘તમારે લડાખમાંથી તમારા સૈનિકોને પાછા લેવા જોઈએ.’ એવી વિનંતી શી ઝિંગપીંગે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે કરાવડાવી હતી. ચાહી કરીને આવો તખતો રચવામાં આવ્યો હતો.
આ બાજુ ચીને બેલ્ટ યોજનામાં ભારતનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ પણ કર્યો હતો. શી જિંગપીંગે ભારત આવીને બેલ્ટ યોજના સમજાવી હતી. એમાં ભારતને થનારા લાભ સમજાવ્યા હતા. ૨૦૧૭ના મે મહિનામાં ચીને બેલ્ટ કોન્ફરન્સ બોલાવી હતી જેમાં જગતના ૧૩૦ દેશોએ હાજરી આપી હતી. ભારતને પણ તેમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ ભારતે અમેરિકાના સૂચનને સ્વીકારીને તેનો બહિષ્કાર કર્યો હતો. પણ તમને ખબર છે કોન્ફરન્સના દિવસે શું થયું? અમેરિકાએ ભારતને જાણ પણ કર્યા વિના બેલ્ટ કોન્ફરન્સમાં હાજરી આપી. જેને નમસ્તે કરવા માટે અમદાવાદમાં તાયફો યોજવામાં આવ્યો હતો એ ટ્રમ્પનું આ ચારિત્ર્ય છે. આમ છતાં ચીને ભારતને બેલ્ટ યોજનામાં સાથે લેવાની કોશિશ કરી હતી. બેલ્ટ યોજનામાં વિઘ્ન ન આવે એ માટે જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન ભારતને અનુકૂળ આવે એ રીતે ઉકેલાય એમાં પણ ચીને રસ લીધો હતો.
આમ ચીન માટે પ્રાથમિકતા બેલ્ટ યોજનાની છે. ચીનની દૃષ્ટિએ બેલ્ટ યોજના ૨૧મી સદીની મહાસત્તા માટેની ભૌગોલિક, રાજકીય અને આર્થિક જરૂરિયાત છે. એમાં ભારત ખૂબ મહત્ત્વનો ભાગીદાર દેશ બની શકે એમ છે એ ચીન જાણે છે અને ચીન એવો પ્રયાસ કરી પણ રહ્યું છે. ચીનને એની પણ જાણ છે કે ભારત બહુ આસાનીથી ચીનનો ભરોસો કરવાનું નથી. માટે ચીન ભારત ફરતે દીવાલો રચી રહ્યું છે. બેલ્ટ યોજનામાં જો ભાગીદાર બને તો ઉત્તમ અને ન બને તો પૂર્વ કે પશ્ચિમ તરફ નજર નાખવા માટે જગ્યા ન બચવી જોઈએ. અમેરિકા અને જપાન તો ઘણા દૂર છે એટલે તેની ખાસ ચિંતા નથી. વળી હવે અમેરિકા ખોખરું થઈ ગયું છે અને જપાનનો યુગ ૨૦મી સદીમાં પૂરો થઈ ગયો છે.
ચીનની નીતિ તો બહુ સ્પષ્ટ હતી અને છે, પણ ભારતની? આની વધુ ચર્ચા હવે પછી.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 23 જુલાઈ 2020
![]()



આ ગઝલના સંગીતકાર આશિત દેસાઈ કહે છે, ‘અંધાર નાબૂદીનો દસ્તાવેજ…માં ગઝલિયત સાંગોપાંગ બહાર આવે છે. મને અને હેમાને અત્યંત પ્રિય એવી આ ગઝલ છે. સિત્તેરના દાયકામાં શોભિત અમારે ઘરે ઘણી વાર આવતો. પછી તો શેર-ઓ-શાયરીનો જે દૌર ચાલે. સાચું પૂછો તો ગુજરાતી ગઝલ વિશ્વનો અમને પરિચય કરાવનાર શોભિત જ. એને બેફામ, મરીઝ, શૂન્ય, ગની દહીવાલા, અમૃત ઘાયલ એ બધાની ગઝલો કંઠસ્થ હોય. એ વખતે તો એ પચીસેક વર્ષનો હશે પણ એની ગઝલો ખાસ્સી પરિપક્વ હતી. એના શેરમાં તિખારો જોવા મળતો. ‘અરે’ શબ્દ એવી રીતે ઉચ્ચારે કે સંગીતમાં પણ તમારે ‘અરે’ શબ્દ એ જ રીતે વ્યક્ત કરવો પડે. એ લાઈવ એન્સાઈક્લોપીડિયા છે. એના પઠન સાથે મારામાં કમ્પોઝિશનની પ્રવૃત્તિ શરૂ થઈ જતી. દસ્તાવેજ જેવા નોન મ્યુઝિકલ શબ્દ ગઝલમાં લઈ આવીને શબ્દરમત ખેલવામાં એ માહેર છે. એમની ગઝલોમાં શબ્દોનો આડંબર નહીં પણ ઊંડાણ છે. અમે બન્ને ઋણી છીએ કે શોભિતે અમારી સમક્ષ ઉચ્ચ ગુજરાતી ગઝલો ઉઘાડી આપી. રાગના માળખાને ધ્યાનમાં રાખીને હું ક્યારે ય ગીત કમ્પોઝ નથી કરતો પણ સ્વરબદ્ધ કરતી વખતે આપોઆપ રાગ નીખરી ઊઠે ત્યારે મજા આવે.’
‘કૈલાસ એક વાર મને પંકજ અને મનહર ઉધાસ પાસે લઈ ગયો અને આ બે સરસ મિત્રોની ઓળખાણ થઈ. મનહરભાઇએ પણ મારી ગઝલો સુંદર કમ્પોઝ કરી છે, પરંતુ રૂપ કૈફી હતું ગઝલ જુદી જ રીતે રચાઈ હતી. પંકજ ઉધાસની ઉર્દૂ-હિન્દી ગઝલો એ વખતે એટલી લોકપ્રિય હતી કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સંગીતને એમણે બાનમાં લઈ લીધું હતું. પંકજજીના મ્યુઝિક રૂમમાં અમે બેઠા હતા. એમણે કહ્યું કે મને રોમેન્ટિક ગઝલ જોઈએ છે, લખી આપ. પહેલો શેર મેં તરત આપી દીધો; રૂપ કૈફી હતું આંખ ઘેલી હતી, ને હથેળીમાં એની હથેળી હતી …! એમણે તરત જ પહાડી ધૂન વગાડી અને પહેલો શેર કમ્પોઝ કરી દીધો. આગળ કંઈ સૂઝે નહીં તો બંગલા બહાર જઈને હું લટાર મારું ને આવીને બીજો શેર આપી દઉં. કૈલાસ પણ વચ્ચે ટાપસી પુરાવતો જાય. કદર કરવામાં અને દાદ આપવામાં હું દાતાર છું એટલે આ ગઝલને હું અમારા ત્રણેયનું સહિયારું સર્જન ગણું છું.’ શોભિતભાઈ કહે છે.
2013ની સાલમાં બાંગલાદેશના રાણા પ્લાઝામાં આવેલ કપડાં બનવાતી ફેકટરીમાં સલામતીના અભાવે આગ લાગી, જેમાં લગભગ 1,138 કારીગરો મોતને ભેટ્યાં. એ સમાચાર જેમણે સાંભળ્યા હશે તેમના મનમાં હજુ તાજા હશે. ઘણી મોટી સંખ્યામાં લોકોને એ ઘટનાની બૂરી અસર થયેલી અને સંખ્યાબંધ લોકોનાં જીવન બરબાદ થયેલ. આ દુર્ઘટનાએ મોટી સંખ્યામાં ગ્રાહકો અને ફેશન ડિઝાઈનરોને વિચારતા કરી મુક્યા. કારી સોમર્સ અને ઓરસોલ ડી કાસ્ટ્રો – બે આગળ પડતા ફેશન ડિઝાઇનર્સે ‘ફેશન રે’વલૂશન’ સંગઠન શરૂ કર્યું અને કાપડ ઉદ્યોગમાં કામ કરતા કારીગરો માટે ન્યાય પૂરો પાડવાની અને કપડાં વેંચનારી કંપનીઓ પાસે પારદર્શિકતાની માગણી કરવી શરૂ કરી. તેમણે ગ્રાહકોને ‘મારાં કપડાં કોણે બનાવ્યા?’ એવા સવાલો પૂછવા પ્રોત્સાહિત કરવા માંડ્યા.
ફેશન જગતમાં ક્રાંતિ લાવવી હોય તો આપણા પોષાકમાં કયા પ્રકારના રેસાઓ, કાપડ, રંગ અને તે બનાવવા માટે કેવાં સાધનોનો ઉપયોગ થયો છે, એ જાણવું જરૂરી ગણાય. એ માટે વડોદરા સ્થિત ‘જતન’ ટ્રસ્ટના સૂત્રધાર કપિલભાઈ શાહ અને તેમની પુત્રી મેધા શાહે કહ્યું કે સહુથી વધુ કપાસ પેદા કરવામાં ભારત આગળ પડતો ભાગ ભજવે છે. અને આનંદની વાત એ છે કે સજીવ કપાસની ખેતીનું પ્રમાણ વધ્યું છે કેમ કે એ આપણી જમીન, ખેડૂત અને ગ્રાહકો માટે લાભદાયી છે. 1985ની સાલથી ટકાઉ ખેતી પદ્ધતિ અંતર્ગત અનાજ, શેરડી, સિરિયલ, રોકડિયા પાક અને કપાસમાં સજીવ ખેતીને જતન ટ્રસ્ટ પ્રોત્સાહન આપતું રહ્યું છે. જિનેટિકલી મોડીફાઇડ કોટન પ્રચારમાં આવ્યું જેની પરાગ રજથી અન્ય પાકને નુકસાન થાય છે એ સમજાવવું અઘરું હતું કેમ કે ખેડૂતો પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. જો જી.એમ. કપાસ ન ઊગાડે તો તેમનો માલ ન વેંચાય. આજે ભારતમાં 95% કપાસ જી.એમ. છે. દાળ, કઠોળ અને અનાજ ઊગાડે તો ઓછું વળતર મળે એટલે ખેડૂતો ન છૂટકે કપાસ ઊગાડે. જી.એમ. કપાસમાં ખૂબ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો પડતો હોવાથી ખેડૂતોને દેવું થાય અને એ વાળી ન શકે એટલે આત્મહત્યા કરે એવી હાલત છે. સજીવ કપાસની ખેતીમાં ખાતર અને જંતુનાશક દવાઓનો ઓછો ઉપયોગ કરવો પડે છે એ વાત ગળે ઉતરાવતાં ઘણાં વર્ષો અને મહેનત માંગી લે છે.
કાપડ ઉદ્યોગને નીતિમય માર્ગે દોરવાની વાત હોય ત્યાં ખાદીનો પ્રવેશ ન થાય તે સંભવ નથી. ખાદી લંડનના સૂત્રધાર કિશોરભાઈ શાહે ખાદી એટલે શું? એ વિષે સંક્ષિપ્તમાં વાત કરી. હાથે કાંતેલ-વણેલ કાપડ તે ખાદી. સમય જતાં સાધનો બદલાયા. ત્રાકથી માંડીને બાર-સોળ ત્રાકના અને હાથથી કે સૂર્ય ઉર્જાથી ચાલતા અંબર ચરખા આવ્યા. પહેલાં જ્યાં કપાસ ઊગતો ત્યાં જ કાપડ અને કપડાં તૈયાર થતાં. ઔદ્યોગિકરણને કારણે નાના પાયા પરના ઉદ્યોગો પડી ભાંગ્યા. ગ્રામીણ અર્થવ્યવસ્થા તૂટી અને સામૂહિક સ્થળાંતર અનિવાર્ય બન્યું. કાપડ ઉદ્યોગ સાથે બીજા અનેક ઉદ્યોગ-ધંધા જોડાયેલા છે, આથી જ તો ભારતને આર્થિક રીતે બેઠો કરવા અને તેની અસ્મિતા પાછી લાવવા ગાંધીજી ચરખાને મુખ્ય તખ્તા પર લાવ્યા. ખાદી લંડનનો હેતુ ટકાઉ વિકાસની તારાહને બઢાવો આપવાનો છે. ખાદીને વિશ્વ તખ્તા પર લઇ જવી છે, પણ તે માટે મજબૂત પાયો જોઈશે. વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાને પોષવા, પ્રદૂષણ અને શોષણમુક્ત સમાજ રચવા ઇંગ્લેન્ડ સ્થિત એથિકલ ડિઝાઈનર્સને ખાદી પૂરી પાડે છે. તાજેતરમાં યુ.સી.એલ. અને ચેલ્સી કોલેજના ટેક્સટાઇલ અને ડિઝાઇન શાખાના વિદ્યાર્થીઓને આ કામમાં શામેલ કર્યા છે. આશા છે, નવી પેઢી ખાદીના ફાયદા અને આજના સમયમાં તેની પ્રસ્તુતતા સમજીને તેનો પ્રચાર કરશે.