Opinion Magazine
Number of visits: 9574793
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચીન બાબતે મોદી સરકારની નીતિઓ અસ્પષ્ટ

રમેશ ઓઝા|Opinion - Opinion|23 July 2020

વર્તમાન કેન્દ્ર સરકારની ધરાર પ્રશંસા કરવી પડે એવા અવસર આપણા અત્યારના શાસકોએ બહુ ઓછા આપ્યા છે, એમાં એક અવસર ઈરાન સાથેની છાબહાર બંદરની સમજૂતીનો હતો. ૨૦૧૬ના મે મહિનામાં ભારત અને ઈરાને ઈરાનના હોરમઝની સામુદ્રધુની અર્થાત્ ઈરાનના અખાતના મુખ પર આવેલા છાબહાર નામના બંદરને ભાગીદારીમાં વિકસાવવાનો કરાર કર્યો હતો. એના દ્વારા ઈરાનને દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોમાં વ્યાપાર કરવાની અનુકૂળતા મળતી હતી અને ભારતને પશ્ચિમના અને મુખ્યત્વે મધ્ય એશિયાના દેશો સાથે. એ સમજૂતીની આ લખનારે ભરપૂર પ્રશંસા કરી હતી. કરવી જ પડે એમ હતી. જો કે આવી જ એક સમજૂતી ૨૦૦૩માં અટલ બિહારી વાજપેયીની સરકારે ઈરાનના શહીદ બેહેશ્તી નામના બંદરને ભાગીદારીમાં વિકસાવવાની કરી હતી, પરંતુ ઈરાન સામેની નાકાબંધીને કારણે એ લાગુ થઈ શકી નહોતી.

પણ જે પ્રશંસા કરવામાં આવી હતી એનું મુખ્ય કારણ વ્યાપાર નહોતું. એનું મુખ્ય કારણ હતું રાષ્ટ્રીય સંરક્ષણ. ચીનની વન બેલ્ટ યોજના હવે તો જાણીતી છે એટલે તેની વિગતો આપવાની અહીં જરૂર નથી. ચીને જે કેટલાક બેલ્ટ રચ્યા છે અથવા વિશ્વની ભૂમિ પર રચવા માગે છે એમાં એક બેલ્ટ છે; બીજિંગથી પાકિસ્તાનના ઈરાનના અખાતના મોઢા પર આવેલા ગ્વાડર બંદર સુધીનો મહામાર્ગ જેમાં બીઝનેસ કૉરીડોરનો પણ સમાવેશ થાય છે. બીજો બેલ્ટ જૂના સિલ્ક રૂટનો છે જે પાકિસ્તાનના કબજા હેઠળના ઉત્તર કાશ્મીરની નજીકથી અને ક્યાંક કાશ્મીરમાંથી પસાર થાય છે અને છેક યુરોપ સુધી જાય છે. દેખીતી રીતે આમાં ભારતને અસલામતી નજરે પડી હતી. આનું મુખ્ય કારણ એ હતું કે પાકિસ્તાન કોઈ જવાબદાર દેશ નથી અને ભારતદ્વેષ તેના ટકી રહેવા માટેનું મુખ્ય પરિબળ છે. તે હવે અમેરિકાને છોડીને ચીનના ખોળામાં બેસી ગયું છે. આવો ભારતદ્વેષી થનગનભૂષણ દેશ ચીનના ખોળામાં બેસી જાય અને ચીનની શરતે પોતાની ભૂમિ અને પોતાનાં બંદરો ચીનને હવાલે કરી દે તો એમાં ભારત માટે મોટું સલામતીનું જોખમ પેદા થાય.

આ બાજુ ઈરાનને પણ ચીનનો અને ચીન દ્વારા સશક્ત બની રહેલા પાકિસ્તાનનો ડર હતો. ઈરાન શિયા બહુમતી દેશ છે અને પાકિસ્તાન સુન્ની. મુસ્લિમ દેશોમાં શિયા-સુન્ની દ્વેષ, વિભાજન અને આતંક સૌથી વધુ પાકિસ્તાનમાં છે. પાકિસ્તાની સરકાર પણ મૂળભૂતવાદીઓના દબાવ હેઠળ શિયાવિરોધી ભૂમિકા લે છે. આમ એક તો પાકિસ્તાન શિયાવિરોધનું કેન્દ્ર હોય અને ઉપરથી તેને ચીનની મદદ મળે તો ઈરાનનું કોઈક દા’ડો આવી બને. આ ઉપરાંત ઈરાનને ચીનનો પણ ડર હતો. ચીન કેટલાંક વર્ષોથી વિસ્તારવાદી અભિગમ અપનાવી રહ્યું છે અને ઉપરથી તે પાકિસ્તાન દ્વારા ઈરાનના અખાત સુધી પહોંચવાનું છે, એટલું જ નહીં ઈરાનની ઉપરથી પસાર થનારો સિલ્ક રૉડ અને તેની બંને બાજુએ રચાનારો બીઝનેસ કૉરીડોર તો ખરો જ. આમ ચીન-પાકિસ્તાન ભાગીદારીની ચિંતા ઈરાનને પણ હતી.

આગળ વધતાં પહેલાં એક નજર ચીનના અભિગમ વિષે. ચીને વન બેલ્ટ વન કોરીડૉરની મહત્ત્વાકાંક્ષી યોજના બનાવી એ પછી ચીનના શાસકોએ જગતના મહત્ત્વના દેશોના શાસકોને મળીને તે યોજના સમજાવી હતી અને તે કઈ રીતે જગતને નજીક લાવનારી છે, વિકાસલક્ષી છે, સંબંધીત દેશને કઈ રીતે ફાયદાકારક નીવડવાની છે, સંરક્ષણ વિષયક ચિંતા કરવાની શા માટે જરૂર નથી વગેરે સમજાવ્યું હતું. આ ક્રમમાં ચીનના શાસકોએ ભારતને પણ આ યોજના સમજાવી હતી અને ભારતને સધિયારો આપ્યો હતો કે ભારતે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. ખુદ ચીનના પ્રમુખ શી ઝિંગપીંગ ભારત આવ્યા હતા અને ચીનની બેલ્ટ યોજના સમજાવી હતી.

Chinese President Xi Jinping (L) talks with Indian Prime Minister Narendra Modi as they visit a riverside park development project in Gujarat, India, Sept 17, 2014. Xi Jinping visited the state of Gujarat on Wednesday. [Photo/Xinhua]

યોગાનુયોગ એવું બન્યું કે જ્યારે ચીને બેલ્ટયોજના તરતી મૂકી ત્યારે ૨૦૧૪માં નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા. શીતયુદ્ધ પછી વિશ્વનું રાજકારણ એક નિર્ણાયક વળાંક પર હતું ત્યારે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા. અમેરિકાની આણ ખતમ થઈ રહી હતી અને ચીન એક મહાસત્તા (આર્થિક અને લશ્કરી એમ બંને અર્થમાં) તરીકે સ્થાપિત થઈ રહ્યું હતું. થઈ રહ્યું હતું શું, થઈ ચૂક્યું હતું. ચીન માટે ભારત નજીકનું પ્રતિસ્પર્ધી ખરું, પણ ઘણા અંતરે. એક જમાનામાં અમિતાભ બચ્ચન જેમ એકથી દસ નબંર સુધી એકલા હતા અને નબર ટુ તરીકે બીજો કોઈ અભિનેતા અગિયારમાં ક્રમે હતો એમ. ભલે છેટે, પણ નજીકમાં નજીકનું પ્રતિસ્પર્ધી ભારત હતું અને એની ચીનને જાણ હતી. 

આ સ્થિતિમાં કલ્પના કરો કે ચીને ભારતના વલણ વિષે શું વિચાર્યું હશે? ચીને વિચાર્યું કે ભારત કદાચ અમેરિકા, જપાન અને બીજા ચીનવિરોધી દેશો સાથે હાથ મિલાવી શકે છે અને એવા દેશોની ધરી રચાઈ શકે છે. આ દેશો ચીની સમુદ્રમાં બેડાં લાવી શકે. જો આમ બને અને તિરાડ પહોળી થતી જાય તો ત્રીજા વિશ્વયુદ્ધ સુધી પણ પરિસ્થિતિ વણસી શકે છે. પહેલાં બે વિશ્વયુદ્ધો યુરોપમાં લડાયાં હતાં તો ત્રીજું એશિયામાં લડાશે. ભારત ચીનવિરોધી દેશોની ધરીમાં સામેલ થાય એવી પૂરી શક્યતા છે. ચીને વિચાર્યું હશે કે ભારત આર્થિક વિકાસમાં તો ચીન પછી બહુ દૂર નહીં એમ બીજા ક્રમે છે. જગતના ચીનવિરોધી દેશો ભારતની વિશાળ બજારની અને ઝડપથી વિકસી રહેલા અર્થતંત્રની ઉપેક્ષા ન કરી શકે. આનો અર્થ એ થયો કે ભારત પોતાનું બજાર ખુલ્લું મૂકીને ચીનવિરોધી શક્તિઓનો લાભ લઈને પોતાને મજબૂત કરી શકે. ચીને એમ પણ વિચાર્યું હશે કે જો ભારતનો વિશ્વાસ સંપાદિત કરી શકાય અને ભાગીદાર કરી શકાય તો તો પછી પૂછવું જ શું? દુનિયામાં કોઈની તાકાત નહીં હોય કે એશિયા ખંડ તરફ નજર કરે. પણ ભારતનો વિશ્વાસ સંપાદિત કરવો એ આસાન કામ નહોતું. સીમાવિવાદ ઊભો છે, એક યુદ્ધ થઈ ચૂક્યું છે અને ભારતીયો ચીનાઓ ઉપર સૌથી ઓછો વિશ્વાસ કરે છે.

એક બાજુ નરેન્દ્ર મોદીનું ભારતમાં સત્તામાં આવવું અને બીજી બાજુ ચીને અપનાવેલો નવો રાહ. નરેન્દ્ર મોદીનું આગમન સૂચક હતું. ભારતમાં પહેલીવાર કહેવાતા મધ્યમમાર્ગી સેક્યુલર પક્ષોની કાખઘોડી વિનાની હિંદુ રાષ્ટ્રવાદી સરકાર સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં આવી હતી. નવા વડા પ્રધાન આત્મવિશ્વાસથી છલકતા હતા. આગળ કહ્યું એમ ચીનને પહેલો અંદેશો એ હતો કે ભારતના હિંદુ રાષ્ટ્રવાદી શાસકો ચીનવિરોધી ધરી રચવામાં સક્રિય બનશે, એટલે ચીને તેની સામેની તૈયારીઓ શરૂ કરી દીધી.

પ્રારંભમાં બન્યું પણ એવું જ. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન બન્યા પછી પહેલી મુલાકાત ૧૫મી જૂને ભૂતાનની લીધી અને એ પછી ઓગસ્ટ મહિનામાં નેપાળની. આ બન્ને દેશો ચીન સાથે સરહદ શેર કરે છે. એ પછી ત્રીજી સપ્ટેમ્બરે તેમણે જપાનની મુલાકાત લીધી હતી અને જપાનની ભૂમિ ઉપરથી ચીનનું નામ લીધા વિના ચીનને તેમણે વિસ્તારવાદી તરીકે ઓળખાવ્યું હતું. આ સિવાય નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં પોતાની વડા પ્રધાન તરીકેની સોગંદવિધિ વખતે ભારતના પાડોશી દેશોના વડાઓને ખાસ દિલ્હી બોલાવ્યા હતા. ચીનને લગભગ ખાતરી થઈ ગઈ હતી કે ભારત સક્રિયપણે ચીનવિરોધી વિદેશનીતિ અપનાવી રહ્યું છે અને ભારત માટે મહત્ત્વના દેશોને પોતાના તરફ કરી રહ્યું છે.

આશ્ચર્ય એ વાતનું હતું કે ભૂતાન, નેપાળ અને જપાનની મુલાકાત લીધા પછી તરત જ અને ખાસ કરીને જપાનમાં ચીનને વિસ્તારવાદી તરીકે ઓળખાવ્યા પછી પંદર જ દિવસમાં ચીનના સર્વોચ્ચ નેતા શી ઝિંગપીંગ ભારત આવ્યા હતા. ૧૭મી સપ્ટેમ્બરે શી ઝિંગપીંગ અમદાવાદ આવ્યા હતા અને સાબરમતી નદીના કાંઠે હીંચકે ઝૂલીને ઢોકળા ખાધાં હતાં. પણ એ પહેલાં ચીની સૈનિકોએ લડાખમાં ભારતના કબજા હેઠળના પ્રદેશમાં કબજો જમાવ્યો હતો. જી હાં, ચીનના પ્રમુખ જ્યારે અમદાવાદમાં હીંચકે ઝૂલતા હતા ત્યારે એ જ સમયે ચીની સૈનિકો લદાખમાં કબજો જમાવીને બેઠા હતા.

સાધારણપણે કોઈ દેશ આવું કરે નહીં. સરહદે તંગદિલી હોય તો પણ યજમાન દેશની મુલાકાત વખતે તંગદિલી હળવી કરવામાં આવે કે જેથી સદ્ભાવ વધે. અહીં તો ચીને ઊલટો રસ્તો અપનાવ્યો હતો. આમ જાણીબૂજીને કરવામાં આવ્યું હતું. ચીને ભારતને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો ભારત ચીનને ઘેરવાની અને ચીન સામે ધરી રચવાનો પ્રયત્ન કરશે તો ચીન સરહદ ખોલી શકે એમ છે. ‘તમારે લડાખમાંથી તમારા સૈનિકોને પાછા લેવા જોઈએ.’ એવી વિનંતી શી ઝિંગપીંગે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે કરાવડાવી હતી. ચાહી કરીને આવો તખતો રચવામાં આવ્યો હતો.

આ બાજુ ચીને બેલ્ટ યોજનામાં ભારતનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ પણ કર્યો હતો. શી જિંગપીંગે ભારત આવીને બેલ્ટ યોજના સમજાવી હતી. એમાં ભારતને થનારા લાભ સમજાવ્યા હતા. ૨૦૧૭ના મે મહિનામાં ચીને બેલ્ટ કોન્ફરન્સ બોલાવી હતી જેમાં જગતના ૧૩૦ દેશોએ હાજરી આપી હતી. ભારતને પણ તેમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ ભારતે અમેરિકાના સૂચનને સ્વીકારીને તેનો બહિષ્કાર કર્યો હતો. પણ તમને ખબર છે કોન્ફરન્સના દિવસે શું થયું? અમેરિકાએ ભારતને જાણ પણ કર્યા વિના બેલ્ટ કોન્ફરન્સમાં હાજરી આપી. જેને નમસ્તે કરવા માટે અમદાવાદમાં તાયફો યોજવામાં આવ્યો હતો એ ટ્રમ્પનું આ ચારિત્ર્ય છે. આમ છતાં ચીને ભારતને બેલ્ટ યોજનામાં સાથે લેવાની કોશિશ કરી હતી. બેલ્ટ યોજનામાં વિઘ્ન ન આવે એ માટે જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન ભારતને અનુકૂળ આવે એ રીતે ઉકેલાય એમાં પણ ચીને રસ લીધો હતો.

આમ ચીન માટે પ્રાથમિકતા બેલ્ટ યોજનાની છે. ચીનની દૃષ્ટિએ બેલ્ટ યોજના ૨૧મી સદીની મહાસત્તા માટેની ભૌગોલિક, રાજકીય અને આર્થિક જરૂરિયાત છે. એમાં ભારત ખૂબ મહત્ત્વનો ભાગીદાર દેશ બની શકે એમ છે એ ચીન જાણે છે અને ચીન એવો પ્રયાસ કરી પણ રહ્યું છે. ચીનને એની પણ જાણ છે કે ભારત બહુ આસાનીથી ચીનનો ભરોસો કરવાનું નથી. માટે ચીન ભારત ફરતે દીવાલો રચી રહ્યું છે. બેલ્ટ યોજનામાં જો ભાગીદાર બને તો ઉત્તમ અને ન બને તો પૂર્વ કે પશ્ચિમ તરફ નજર નાખવા માટે જગ્યા ન બચવી જોઈએ. અમેરિકા અને જપાન તો ઘણા દૂર છે એટલે તેની ખાસ ચિંતા નથી. વળી હવે અમેરિકા ખોખરું થઈ ગયું છે અને જપાનનો યુગ ૨૦મી સદીમાં પૂરો થઈ ગયો છે.

ચીનની નીતિ તો બહુ સ્પષ્ટ હતી અને છે, પણ ભારતની? આની વધુ ચર્ચા હવે પછી. 

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 23  જુલાઈ 2020

Loading

જરા અંધાર નાબૂદીનો, દસ્તાવેજ લઇ આવ્યો અરે! લો આગિયો, સૂરજથી થોડું તેજ લઇ આવ્યો

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|23 July 2020

મૂડ આજકાલ ગઝલનો જામ્યો છે. ગુજરાતી, હિન્દી, ઉર્દૂ ગઝલોએ શ્રાવણની વરસાદી રાતોએ મન પર પકડ જમાવી છે. પરિશુદ્ધ પ્રેમથી છલોછલ પ્રિયતમને મળવા માટે આતુર અભિસારિકા એ ગઝલ છે. પ્રણય ત્રિકોણનું ત્રીજું પાત્ર પણ કદાચ ગઝલ છે. ખાલીપો, વિરહ, આંસુ અને પ્રેમની નજાકત એ ગઝલનાં મૂળ તત્ત્વ અને સત્ત્વ છે. ગઝલ એ સાહિત્યનો રોમાંચક અને જાદુઈ પ્રકાર છે. ગઝલ સ્વરૂપમાં ત્રણ રંગનો પ્રભાવ છે. પ્રણયનો ગુલાબી રંગ, વિરહનો શ્વેત અને વૈરાગ્યનો ભગવો રંગ. ગઝલનું અનુભૂતિવિશ્વ મહદંશે પ્રેમ અને ફિલસૂફીના બે કાંઠા વચ્ચે વહે છે. શૂન્ય પાલનપુરીની ગઝલ બે અઠવાડિયા પહેલાં જ આપણે માણી. આજે શોભિત દેસાઈની ગઝલો મનમાં રમ્યા કરે છે. મુશાયરાઓની શાન ગણાય એવા શાયર શોભિત દેસાઈના એક ગુણથી કોઈએ પણ પ્રભાવિત થવું પડે, એ ગુણ છે આસમાનને આંબે એવી ગઝલ પ્રીતિ અને એ ગઝલપ્રેમને કારણે યાદ રહી જતા હજ્જારો શેર-ઓ-શાયરી. ઉર્દૂના ગાલિબથી માંડીને ગુજરાતીના ‘ગની’ સહિતના અનેક શાયરોને એમણે કંઠસ્થ અને મંચસ્થ કર્યા છે. રંગમંચ પર ખીલતાં જેમણે આ રંગ નગરના રસિયા નાગરને જોયા છે એ સૌ મારી આ વાતના સાક્ષી છે.

પરંતુ એમની સક્ષમ ગઝલો પ્રમાણમાં ઓછી ગવાઈ છે. તેથી ‘પ્રચલિત’ અર્થમાં ‘લોકભોગ્ય’ પણ ઓછી. યાદ કરવું પડે કે શોભિત દેસાઈની ગેય ગઝલ કઈ છે! જો કે, મને તો યાદ આવી ત્યારે બે-ત્રણ એવી અદ્ભુત ગઝલો યાદ આવી કે કઈ ગઝલ વિશે લખવું એ મૂંઝવણ થઈ. શોભિતભાઈને ફોન કરીને પહેલાં તો એ જ સવાલ પૂછ્યો કે છેલ્લાં કેટલાંક વર્ષોથી તમારી ઉત્તમ ગઝલો ગવાતી સંભળાઈ નથી એનું કારણ શું? એમણે જે જવાબ આપ્યો એ આપણને સૌને વિચારતા કરી મૂકે એવો છે. સવાલના જવાબરૂપે એમણે મરીઝનો એક શેર કહ્યો :

શાયર છું મારી રીતથી બોલીશ હું ગઝલ,
બુલબુલ તો હું નથી કે ફક્ત કંઠ દાદ લે.

‘હું કોઈના કંઠનો મોહતાજ નથી. ગાવા જેવી ગઝલ હું તરન્નુમમાં ગાઈ શકું છું. ગાયક કલાકારો કવિઓનાં ગીત-ગઝલ ગાઈને મહેફિલો ગજવે અને કવિ ઘેર બેસી મંજીરાં વગાડે. કવિઓને કોઈ રોયલ્ટી મળતી નથી. કોન્સર્ટમાં મળેલી રકમના માત્ર દસ ટકા પણ કાર્યક્રમમાં ગવાયેલાં ગીતોના કવિઓમાં વહેંચવામાં આવે તો કંઈક તો કદર થઈ કહેવાય, પરંતુ કોઈ કશું આપતું નથી. દરેક કવિની આ વ્યથા છે. એટલે મનદુ:ખ કરવા કે સંગીતબદ્ધ થાય એવી ઇચ્છા રાખવાને બદલે માત્ર લખીને જ જલસા કરવા એવો અભિગમ કેળવ્યો છે. અલબત્ત, જે સંગીતકારોએ મારી ગઝલોને સુંદર શણગારી છે એ ઋણસ્વીકાર તો કરું જ છું.’

વાત સમજવા જેવી તો છે જ. આ શાસ્ત્રીય સંગીત નથી જેમાં કલાકારને માત્ર સૂર-તાલ-રાગ ગાવાનું મૂલ્ય ચૂકવાય. કાવ્યસંગીતમાં કવિનો શબ્દ સર્વોપરી ગણાય. આયોજકોએ સમજી વિચારીને કવિને આપવાની રકમ ઉમેરીને પેમેન્ટ કરવું જોઈએ. પરંતુ ખાટલે માટી ખોટ એ છે કે માતૃભાષા પ્રત્યેના પ્રેમ કે સંવર્ધન માટે થઈને કે ફક્ત મનોરંજન માટે ય ગુજરાતી ગીતોના કાર્યક્રમો મોટાભાગના આયોજકોને કરવા નથી. જે કરે એમાં કલાકારોને પીનટ્સ જેવું પેમેન્ટ મળે, એવામાં કવિને કોણ યાદ કરે! દુષ્ચક્ર છે! બહાર આવવું પડે.

અલબત્ત, શોભિતભાઈના ગઝલ લેખનના આરંભકાળમાં સંગીતકારોએ એમની કેટલીક ગઝલો સ્વરબદ્ધ કરી છે જે આજે ય લોકપ્રિય છે. એમની બે ઉત્તમ ગઝલ વિશે વાત કરવી છે.

શોભિત દેસાઈ કવિ, લેખક, અભિનેતા અને સારા ગાયક. શાસ્ત્રીય સંગીતમાં તથા વક્તૃત્વ સ્પર્ધાઓમાં સ્કૂલ-કોલેજમાં અનેક ઈનામો જીતી લાવતા. તોફાની પણ એટલા જ. હજુ ય. મંચ ઉપર જોયા છેને? પરંતુ કંઈક અનોખું પુરવાર કરવાનો જોશ નાનપણથી જ હતો.

‘૧૯૭૩ની આસપાસના સમયગાળામાં મારા જીવનમાં મહત્ત્વની ઘટના બની. સંગીતકાર દિલીપ ધોળકિયાનો પુત્ર કંદર્પ મારો મિત્ર. એક વાર દિલીપકાકાને ત્યાં ગયો ત્યાં મેં બરકત વીરાણી ‘બેફામ’નો ગઝલસંગ્રહ જોયો. એમાં મેં બે-ત્રણ ગઝલો વાંચી તો હું ચકિત થઈ ગયો.

જીવનમાં રસ નથી એની જ મસ્તી બતાવું છું.
છે એનો કૈફ કે હું ખાલી પ્યાલી ગટગટાવું છું

બધા માને છે સાગરનો કિનારો મેળવ્યો છે મેં
ને હું છું જીવન નાવ રેતીમાં ચલાવું છું …!

આ ગઝલ વાંચીને ગઝલમાં જે જબરજસ્ત તાકાત છે એનો પરચો થયો. સ્વનું દુ:ખ, સ્વની સમસ્યા, સ્વના આનંદને સર્વના બનાવી શકાય એ પાવર ગઝલમાં છે એ પ્રતીતિ થઇ. ગાયન, અભિનય, બોલવાનું અને ભણવાનું ય બંધ કરીને ગઝલમાં જ જિંદગી ખપાવી દેવાનો નિર્ધાર કર્યો. અનેક કલા-કૌશલ્ય હોવા છતાં માત્ર શાયર બન્યો એનો ભરપૂર આનંદ છે. જીવનમાં જે કંઈ મળ્યું એ મારા શાયર તરીકેના અસ્તિત્વને લીધે જ મળ્યું એમ હું ગર્વપૂર્વક કહી શકું,’ કહે છે શોભિત દેસાઈ.

અંધાર નાબૂદીનો દસ્તાવેજ ગઝલ વિશે વાત કરતાં એ કહે છે, ‘૧૯૭૯માં હું યુનિયન બેંકમાં નોકરી કરતો હતો. એ વખતે એક મુશાયરાનું આયોજન કરવાનું મારે ભાગે આવ્યું. ૧૪ ઓગસ્ટ ૧૯૭૯ના ‘એક વરસાદી સાંજ’ નામના મુશાયરામાં મેં એ વખતના નવા-જૂના કવિઓને ભેગા કરીને એવો યાદગાર મુશાયરો કર્યો કે ઉદયન ઠક્કર, હેમેન શાહ, પ્રફુલ પંડ્યા અને દર્શન જરીવાલા, જે આમ તો અભિનેતા પણ કવિતા સરસ લખે, એ બધા જ કવિ તરીકે ઈન્ટ્રોડ્યુસ થઈ રાતોરાત લાઈમલાઈટમાં આવી ગયા. અમેરિકા સ્થિત કવિ ચંદુ (ચંદ્રકાન્ત) શાહનું પહેલવહેલું મોટામાં મોટું પબ્લિક એક્સ્પોઝર એ દિવસે. સાથે મરીઝ, સૈફ પાલનપુરી, મેહુલ, કૈલાસ પંડિત, દેવદાસ શાહ, મહેશ શાહ, દિગંત પરીખ જેવા પ્રસ્થાપિત કવિઓ તો ખરા જ. ‘ના માગ એની પાસે ગજાથી વધુ જીવન, એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે …’ જેવા એકમેવ શેર દ્વારા મરીઝને પણ એ મુશાયરામાં જબરજસ્ત અપલિફ્ટમેન્ટ મળ્યું હતું. શોભિત દેસાઈનું નામ પણ કવિની નામાવલીમાં બ્રાન્ડેડ કવિ તરીકે રજિસ્ટર થઈ ગયું હતું. સંચાલક હતા શબ્દોના સ્વામી સુરેશ દલાલ. એ વખતે કોઈ એક કવિની ગઝલના રદીફ પરથી બીજા કવિઓ કવિતા રચે એવો ટ્રેન્ડ હતો. અદમની ગઝલોના રદીફ પરથી મનોજ ખંડેરિયા, શ્યામ સાધુ વગેરે ગઝલો લખતા. હરીન્દ્ર દવેની ઓફિસમાં એક વાર હું ને ઉદયન ગયા ત્યારે એમણે અદમનો એક શેર સંભળાવ્યો; ‘જો કતરા થા વો હસ્તી બેચ કર દરિયા ઊઠા લાયા, જો ઝર્રા થા વો મૌકા ઢૂંઢકર સહરા ઊઠા લાયા..!’ એ ઊઠા લાયા રદીફ પરથી મને ગુજરાતી ગઝલ સૂઝી, જરા અંધારનો દસ્તાવેજ લઈ આવ્યો. અનાયાસે ઉત્તમ ગઝલનું સર્જન થયું. લખાયાનાં ૩૫ વર્ષ પછી ૨૦૧૨માં મેં એક શેર; બીજું તો શું કહું … એમાં ઉમેર્યો હતો. ગઝલ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. એ એક જ એવું સ્વરૂપ છે જેમાં ૭૦ વર્ષ પછી પણ ઉમેરો શક્ય છે. ગીતની જેમ એ બંધાયલી નથી, એટલે જ મને આ સ્વરૂપ વિશેષ આકર્ષે છે. આશિત-હેમા સાથે મેં ઘણા કાર્યક્રમો કર્યા છે. સંગીતના સ્વરોથી ગઝલને એવી સજાવે કે સાંભળીને કલેજું ચિરાઈ જાય. શુષ્ક થઈને એમને ચૂમો અરે, લાગણીનો આવો તરજૂમો અરે … તથા અંધાર નાબૂદીનો દસ્તાવેજ એ બન્ને મારી લાજવાબ કમ્પોઝ થયેલી ગઝલો છે.’

રાગ ચંદ્રકૌંસ-જોગનો મુલાયમ સ્પર્શ ધરાવતી અંધાર નાબૂદીનો દસ્તાવેજ ગઝલમાં કેવી અદ્ભુત કલ્પના છે! આગિયો અંધાર નાબૂદીનું એગ્રીમેન્ટ લઈ આવે અને એ માટે સૂરજ પાસેથી થોડું તેજ લાવે એ વાત જ રોચક છે! એમાં ય મોરપીંછની હળવાશ જેવા ચંદ્રકૌંસના સ્વરો રૂંવાડાં ખડાં કરી દે છે. આગિયાનું તેજ અંધકાર દૂર કરવા પૂરતું હોય છે. આવા જ કોઈક તેજની ઝંખનામાં શાયર આગળના શેરોમાં અજવાળું પૂરતા જાય છે.

આ ગઝલના સંગીતકાર આશિત દેસાઈ કહે છે, ‘અંધાર નાબૂદીનો દસ્તાવેજ…માં ગઝલિયત સાંગોપાંગ બહાર આવે છે. મને અને હેમાને અત્યંત પ્રિય એવી આ ગઝલ છે. સિત્તેરના દાયકામાં શોભિત અમારે ઘરે ઘણી વાર આવતો. પછી તો શેર-ઓ-શાયરીનો જે દૌર ચાલે. સાચું પૂછો તો ગુજરાતી ગઝલ વિશ્વનો અમને પરિચય કરાવનાર શોભિત જ. એને બેફામ, મરીઝ, શૂન્ય, ગની દહીવાલા, અમૃત ઘાયલ એ બધાની ગઝલો કંઠસ્થ હોય. એ વખતે તો એ પચીસેક વર્ષનો હશે પણ એની ગઝલો ખાસ્સી પરિપક્વ હતી. એના શેરમાં તિખારો જોવા મળતો. ‘અરે’ શબ્દ એવી રીતે ઉચ્ચારે કે સંગીતમાં પણ તમારે ‘અરે’ શબ્દ એ જ રીતે વ્યક્ત કરવો પડે. એ લાઈવ એન્સાઈક્લોપીડિયા છે. એના પઠન સાથે મારામાં કમ્પોઝિશનની પ્રવૃત્તિ શરૂ થઈ જતી. દસ્તાવેજ જેવા નોન મ્યુઝિકલ શબ્દ ગઝલમાં લઈ આવીને શબ્દરમત ખેલવામાં એ માહેર છે. એમની ગઝલોમાં શબ્દોનો આડંબર નહીં પણ ઊંડાણ છે. અમે બન્ને ઋણી છીએ કે શોભિતે અમારી સમક્ષ ઉચ્ચ ગુજરાતી ગઝલો ઉઘાડી આપી. રાગના માળખાને ધ્યાનમાં રાખીને હું ક્યારે ય ગીત કમ્પોઝ નથી કરતો પણ સ્વરબદ્ધ કરતી વખતે આપોઆપ રાગ નીખરી ઊઠે ત્યારે મજા આવે.’

શોભિત દેસાઈની બીજી ગઝલ રૂપ કૈફી હતું વિશે હવે વાત કરીએ. કોઈને પહેલી વખત જુઓ અને એ વ્યક્તિની એક ઝલક તમને દુનિયા ભુલાવી દે એને કહેવાય પહેલી નજરનો પ્રેમ. પહેલી જ નજરમાં આખા જીવનનું પ્લાનિંગ દિમાગમાં આવી જાય એ પ્રક્રિયા ધરાવતી ગઝલ છે, રૂપ કૈફી હતું આંખ ઘેલી હતી. પહેલી મુલાકાતમાં આકર્ષણ, ઉચાટ, મૌન, રોમાંચ, રીસામણાં, ઉદ્વેગ, સ્પર્શ જેવી એક પછી એક ઘટના બનતી જાય એ ગઝલના શેર રૂપે એમાં અવતરી છે.

‘કૈલાસ એક વાર મને પંકજ અને મનહર ઉધાસ પાસે લઈ ગયો અને આ બે સરસ મિત્રોની ઓળખાણ થઈ. મનહરભાઇએ પણ મારી ગઝલો સુંદર કમ્પોઝ કરી છે, પરંતુ રૂપ કૈફી હતું ગઝલ જુદી જ રીતે રચાઈ હતી. પંકજ ઉધાસની ઉર્દૂ-હિન્દી ગઝલો એ વખતે એટલી લોકપ્રિય હતી કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સંગીતને એમણે બાનમાં લઈ લીધું હતું. પંકજજીના મ્યુઝિક રૂમમાં અમે બેઠા હતા. એમણે કહ્યું કે મને રોમેન્ટિક ગઝલ જોઈએ છે, લખી આપ. પહેલો શેર મેં તરત આપી દીધો; રૂપ કૈફી હતું આંખ ઘેલી હતી, ને હથેળીમાં એની હથેળી હતી …! એમણે તરત જ પહાડી ધૂન વગાડી અને પહેલો શેર કમ્પોઝ કરી દીધો. આગળ કંઈ સૂઝે નહીં તો બંગલા બહાર જઈને હું લટાર મારું ને આવીને બીજો શેર આપી દઉં. કૈલાસ પણ વચ્ચે ટાપસી પુરાવતો જાય. કદર કરવામાં અને દાદ આપવામાં હું દાતાર છું એટલે આ ગઝલને હું અમારા ત્રણેયનું સહિયારું સર્જન ગણું છું.’ શોભિતભાઈ કહે છે.

સ્હેજ ફોક ટ્યુન ધરાવતી આ ગીતનુમા ગઝલના ગાયક પદ્મશ્રી પંકજ ઉધાસ કહે છે, ‘મારી વ્યસ્તતાના દિવસોમાં મેં એક માત્ર ગુજરાતી આલબમ ‘રજૂઆત’ બહાર પાડ્યું હતું. શોભિત દેસાઈ અને કૈલાસ પંડિત પ્રેરિત એ આલબમમાં મરીઝની એક વિવાદાસ્પદ નઝમ સહિત અન્ય શાયરોની ગઝલો પણ મેં ગાઈ હતી. રૂપ કૈફી હતું…ના શબ્દો સરળ અને રોમેન્ટિક હોવાથી મેં એને જાણીજોઈને ગીતની જેમ જ કમ્પોઝ કરી. શબ્દોની બ્યુટી જાળવી રાખીને કમ્પોઝ કરેલી ગઝલનું આ નવું સ્વરૂપ શ્રોતાઓને ખૂબ પસંદ આવ્યું હતું.’

પંકજ ઉધાસે શોભિત દેસાઈની છૂક છૂક છોકરી ગઝલને ચાંદી જૈસા રંગ હૈ તેરા જેટલી જ પોપ્યુલર કરી છે. એમાં સ્ટીમ એંજિનના અવાજો ઉમેરીને વધુ સહજ બનાવી છે. ‘હવા પર લખી શકાય’, ‘અંધારની બારાખડી’ ‘અરે!’ તેમ જ ‘અહમ્ ઓગાળવા આવ્યા’ નામના ગઝલ સંગ્રહ શોભિત દેસાઈએ આપ્યા છે, પરંતુ ગઝલ પરની એમની જબ્બર હથોટી જાણવી હોય અને આ બન્ને ગઝલો માણવી હોય તો ઈન્ટરનેટ પર શોધીને સાંભળી શકાશે. ગો ફોર ઈટ!

—-

જરા અંધાર નાબૂદીનો, દસ્તાવેજ લઇ આવ્યો;
અરે! લો આગિયો, સૂરજથી થોડું તેજ લઇ આવ્યો.

‘તમે છો’ એવો ભ્રમ, ફિક્કો ન લાગે એટલા માટે,
તમારી શક્યતામાં, બસ હું થોડો ભેજ લઇ આવ્યો.

હતો મર્મર છતાં પર્ણો, અનુભવતાં’તાં એકલતા,
પવન જઇ રાતરાણીથી, મહેકની સેજ લઇ આવ્યો.

પ્રથમ ટપકું શું છાતીમાં, પછી તો મેઘધનુષ આખું,
તમે જે રંગ પૂર્યા લોહીમાં, હું એ જ લઇ આવ્યો.

બીજું તો શું કહું તમને હું, માયાવી હતો સંબંધ એ
એનો અંત પણ શરૂઆતની સાથે જ લઈ આવ્યો

•   શાયર : શોભિત દેસાઇ   •   ગાયક-સંગીતકાર : આશિત દેસાઈ

સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 23 જુલાઈ 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=632531

Loading

ફેશન રે’વલૂશન વેબિનાર

આશા બૂચ|Opinion - Opinion|23 July 2020

2013ની સાલમાં બાંગલાદેશના રાણા પ્લાઝામાં આવેલ કપડાં બનવાતી ફેકટરીમાં સલામતીના અભાવે આગ લાગી, જેમાં લગભગ 1,138 કારીગરો મોતને ભેટ્યાં. એ સમાચાર જેમણે સાંભળ્યા હશે તેમના મનમાં હજુ તાજા હશે. ઘણી મોટી સંખ્યામાં લોકોને એ ઘટનાની બૂરી અસર થયેલી અને સંખ્યાબંધ લોકોનાં જીવન બરબાદ થયેલ. આ દુર્ઘટનાએ મોટી સંખ્યામાં ગ્રાહકો અને ફેશન ડિઝાઈનરોને વિચારતા કરી મુક્યા. કારી સોમર્સ અને ઓરસોલ ડી કાસ્ટ્રો – બે આગળ પડતા ફેશન ડિઝાઇનર્સે ‘ફેશન રે’વલૂશન’ સંગઠન શરૂ કર્યું અને કાપડ ઉદ્યોગમાં કામ કરતા કારીગરો માટે ન્યાય પૂરો પાડવાની અને કપડાં વેંચનારી કંપનીઓ પાસે પારદર્શિકતાની માગણી કરવી શરૂ કરી. તેમણે ગ્રાહકોને ‘મારાં કપડાં કોણે બનાવ્યા?’ એવા સવાલો પૂછવા પ્રોત્સાહિત કરવા માંડ્યા.

ત્યાર બાદ, વર્ષો વર્ષ આ ઝુંબેશ જોર પકડતી જાય છે. નવ એથિકલ બ્રાન્ડ્સથી શરૂ કરેલ ફેશન રે’વલૂશન આજે 30 એથિકલ બ્રાન્ડ્સની સાથે કામ કરતું થયું છે. ઘણી કંપનીઓ આ ચળવળ માટે ખૂબ ધગશથી કામ કરવા માગે છે અને પોતાના માલ બનાવનારની કામ કરવાની પરિસ્થિતિની અને કપડાં બનાવવાની પ્રક્રિયા  વિષે વાત ગ્રાહકોને કહેવા માગે છે. આ ઝુંબેશમાં 2017થી વ્હેર ડઝ ઈટ કમ ફ્રોમ (Where Does It Come From?) સંગઠન અને બીજી પારદર્શિકતાને અનુસરનારી એથિકલ બ્રાન્ડ્સ પણ જોડાઈ એવી અપેક્ષા સાથે કે ગ્રાહકો ‘મારા કપડાં કોણે બનાવ્યા?’ એવા સવાલો પૂછતા રહેશે તો વેંચાણ કરતી કંપનીઓને પણ પોતાના માલ વિષે સાચી હકીકતો પૂરી પાડવાની ફરજ પડશે. એક સામાન્ય ખ્યાલ છે કે સસ્તા કપડાં, જેવાં કે એક પાઉન્ડનું શર્ટ એ માત્ર મશીનથી બનતાં હશે. જયારે સાચી હકીકત જાણવા મળે ત્યારે જ એ વાતનું ભાન થાય કે એ બનાવનાર કારીગરોને કઈ સ્થિતિમાં કામ કરવું પડે છે અને તેમને કેટલું ઓછું વળતર મળે છે. ઘણા લોકોને ખબર નથી હોતી કે સસ્તાં કપડાં બનાવનાર મશીનો આખર માણસો જ ચલાવે છે અને ઓછી કિંમતના માલની એ કારીગરો પર કેવી અવળી અસર થતી હોય છે. 

આયોજિત સંમેલનોમાં પ્રત્યક્ષ હાજર રહેવાનું હાલના સંયોગોમાં અસંભવ હોવાને કારણે એપ્રિલ માસમાં ફેશન રે'વલૂશનનો એક સપ્તાહનો કાર્યક્રમ, ઝૂમ દ્વારા, યોજાઈ ગયો. તેમાં ફેશન રે’વલૂશન એ શું છે અને તે શા માટે કરવું? આપણે ફેશન રે’વલૂશન મારફત શી સિદ્ધિ હાંસલ કરવા માંગીએ છીએ? વગેરે જેવા મુદ્દાઓને ધ્યાનમાં લઈને યુનાઇટેડ કિંગ્ડમ અને ભારતમાં આ ક્ષેત્રમાં કામ કરતાં લગભગ તેરથી પંદર જેટલા સંગઠનો અને વિશેષજ્ઞો વચ્ચે વાર્તાલાપ ગોઠવાયેલ જેમાંના કેટલાકની તસ્વીર અહીં શામેલ છે :

ફેશન રે’વલૂશન અને લઘુ નાણાકીય વ્યવસ્થા વચ્ચે સહકાર સાધવાના પ્રયાસો વિષે ચર્ચા થઇ જેનાથી જાણવા મળ્યું કે 2004-05ની આસપાસ સ્ટુઅર્ટ રધરફર્ડ ઓછી આવક ધરાવતા લોકોના જીવન વિષે જાણકારી મેળવવા કટિબદ્ધ થયા. તેમણે C@A ફાઉન્ડેશન દ્વારા ભારત, બાંગ્લાદેશ અને કંબોડિયામાં એક શોધ અભ્યાસ આદર્યો. લગભગ 1,300 જેટલા બાંગ્લા કાપડ ઉદ્યોગમાં કામ કરતા કારીગરો સાથે યુનિવર્સિટીના 40 વિદ્યાર્થીઓએ કામ કર્યું અને એ કારીગરો કેટલું કમાય છે, તેમની કેટલી જાવક છે, તેઓ કેટલી બચત કરે છે, કેટલી રકમ ખોરાક અને શિક્ષણ તથા દવા-દારૂ પાછળ ખર્ચે છે, કેટલું ધિરાણ કરે છે, તેમના કામના સરેરાશ કલાકો કેટલા હોય છે, ઓવર ટાઈમ કેટલો કરે અને તેનું શું મહેનતાણું મળે અને કામના સ્થળની સ્થિતિ કેવી હોય છે એ તમામ માહિતી એક્ઠી કરી. એ બધી માહિતી ફાઇનાન્સિયલ ડિટેલના એપ્લિકેશન(આપ)માં મૂકી. લગભગ ત્રીસેક જેટલા દેશોમાં થયેલ અભ્યાસ પરથી આવી 17 ડાયરીઓ તૈયાર થઇ જેમાં તેઓ કેવા આવાસોમાં રહે છે અને કેવી સ્થિતિમાં કામ કરે છે તેના ફોટાઓ અને વીડિયો પણ શામેલ હોવાથી ગ્રાહકો અને લોન આપનારાઓને નિર્ણય લેવામાં મદદ થાય. સહુથી વધુ ફાયદો તો એ કારીગરોને પોતાની આવક-જાવક-ઓવરટાઈમ અને લોનના વ્યાજ વિશેની માહિતી મળવાથી ઓછું વેતન અને લોનનું વધુ વ્યાજ લઈને પોતાનું શોષણ થતું અટકાવવામાં મદદ મળી. 

અમદાવાદ સ્થિત Moral Fibres સંગઠન મારફત શાઇલિનીબહેન ભારતમાં અને વિદેશોમાં નૈતિક મૂલ્યો સાચવીને પેદા કરેલ કાપડ દેશ-વિદેશના ડિઝાઈનર્સને પૂરા પાડવાનું અને ભારતમાં એ ક્ષેત્રમાં પડેલ કારીગરોને પૂરતી રોજગારી પૂરી પાડવાનું કામ કરી રહ્યાં છે. તેમણે સહુને વિચારતા કરી મૂકે તેવા કેટલાક સવાલો મુક્યાં; આ કોરોના વાયરસના ફેલાવા જેવી વૈશ્વિક કટોકટીનો સામનો કર્યા બાદ પણ શું આપણા ગ્રાહક તરીકે ખોરાક, કપડાં અને ઘર વપરાશની વસ્તુઓ અંગેનાં વલણો બદલશે? અત્યારે માલ પૂરો પાડનારાઓની સાંકળ બદલાઈ રહી છે, તો શું નાના ઉદ્યોગો અને ધંધાઓ કરનારાઓની સ્થિતિ સુધરશે? આપણી જીવન જરૂરિયાતો પૂરી પાડનારા કારીગરો, તેમના કામનાં મહત્ત્વનું મૂલ્ય અને તેની પાછળની નૈતિકતા ખૂબ મહત્ત્વના છે એ સમજાશે ખરું? હવે આપણે જે કઇં વાપરીએ, ખરીદીએ તે બનાવનાર માણસોનો વિચાર કરવો પડશે. માત્ર માનવ જાત નહીં, બીજા જીવ-જંતુઓને પણ ગણનામાં લેવાં પડશે. હાલના સંયોગોમાં માણસોની બજારો પાછળની દોટ ઓછી થઇ તો પર્યાવરણ સુધર્યું એ શું સૂચવે છે? આથી જ તો એથિકલ ક્લોધિંગ, એટલે કે કાપડ બનાવવા પાછળ નૈતિક સિદ્ધાંતો જળવાતાં હોય તેવાં કાપડનાં ઉત્પાદન, વેંચાણ અને વપરાશની વધુ જરૂર છે. જો કે શાઇલિનીબહેને ચેતવ્યાં કે હાલની પરિસ્થિતિમાં સુધાર આવતાં જ બજારો ખૂલશે અને સેલના પાટિયાં અને એક ખરીદો તો બીજું મફત મળશેની જાહેરાતમાં આપણા જેવા વિચરનારાઓનો અવાજ ડૂબી જશે. ગ્રાહકોને ગ્રામ્ય વિસ્તારના કારીગરોની આજીવિકાને ટકાવી રાખે તેવાં કપડાં વાપરવાં અને સસ્તાં નહીં પણ એથિકલ ખરીદીની ટેવ પાડવા પ્રોત્સાહિત કરવા સમય પાક્યો છે.

વિદેશોમાં હસ્ત કલાકારીગરીની વસ્તુઓ પૂરી પાડનારી ઘણી સંસ્થાઓ છે. તેમાંના એક રાજસ્થાનમાં ગ્રામ્ય વિસ્તારમાં અડ્ડો જમાવી બેઠેલા મધુ વૈષ્નવ આ વેબિનારમાં જોડાયાં. તેમણે ‘સહેલી’ નામની સંસ્થા સ્થાપી જે ગ્રામ્ય વિસ્તારની મહિલા કામદારોને શોષણવિહીન રોજગારી મળી રહે તે માટે પ્રયત્નશીલ રહે છે. તેઓ અર્ધ શિક્ષિત મહિલાઓ સાથે કામ કરવા લાગ્યામ ત્યારે જાણ્યું કે તેમના મરદોને રોજગારી નથી, એટલે જો એમને પૈસા મળે તો માલ પેદા કરવાની તક મળે. પણ તેમનો માલ હાથ બનવાટનો. મશીન બનાવટનો માલ વાપરવા ટેવાયેલ પ્રજા એમનો માલ શા માટે ખરીદે? વિદેશોમાં આ મહિલાઓનો માલ વેંચાય તો વધુ વળતર મળે, પરંતુ એ માટે ભાગીદાર અને બજાર જોઈએ એ સમસ્યા હતી. છેવટ પારંપરિક કલાના નમૂનાઓ ખરીદનાર મળ્યા. એમાંથી જે આવક થઇ તેમાંથી સીવવાના જૂના સંચા એ મહિલાઓને અપાવ્યા. ભરતકામ કરતી મહિલાઓને સિલાઈ આવડે નહીં. તેઓ નકામાં કપડાંમાંથી સીવતા શીખ્યા. ચાર વર્ષથી આ બહેનો સિલાઈ કામ કરીને જીવન નિર્વાહ કરી રહ્યાં છે જેને કારણે તેમની જિંદગી બદલી. પાયાનાં કાર્યો કરવા માટે ખૂણાના વિસ્તારોમાં જઈને દટાઈ જવું પડે. જાતે ભૂલો કરવાની તક સાથે એ બહેનોને સોઈ-દોરા આપ્યાં તો આર્થિક રીતે પગભર થયાં. આથી માત્ર એક વ્યક્તિ નહીં, આખું કુટુંબ અને ગામ બદલાઈ શકે. સ્ત્રીઓના કુટુંબ અને સમાજમાંના સ્થાનમાં સુધારો જણાયો, પગભર થવા અને કમાણીનું સાધન ઊભું કરવા અંગે બધા તેમની સલાહ માંગે, તેમનો અભિપ્રાય સાંભળે એવી પરિસ્થિતિ ઊભી થઇ અને એ રીતે તેઓનું સશક્તિકરણ થયું. આજે તો હવે તેમનો તૈયાર થયેલ માલ યુનાઇટેડ કિંગ્ડમ, ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં વેંચાય છે. જો કે મહિલાઓના અધિકારો માટે તેમની સાથે સંકળાઈને પાયાનું કામ કરીને ‘સહેલી’ સંસ્થા તેમના અધિકારોના સમર્થક થઈ એ તેમનું જમા પાસું છે, પણ ભારતમાં હજુ સારું બજાર નથી મળતું અને ભાગીદારોના નફામાં એ મહિલાઓને સમાન હિસ્સો નથી મળતો એ તેમની નબળું પાસું છે. એ મહિલાઓ પોતાના કામ સાથે ઊંડી લાગણીથી જોડાઈ ગયાં છે, પરંતુ આંતરરાષ્ટ્રીય ધોરણો સતત જાળવવા મુશ્કેલ પણ છે. હવે આ મહિલાઓ ઇંગ્લિશ ન જાણતા હોવા છતાં આંતરરાષ્ટ્રીય તખ્તા પર આવીને પોતાનો અવાજ સંભળાય તે માટે પ્રયત્નશીલ બન્યાં છે. એથિકલ ક્લોધિંગના પ્રચાર પ્રસાર સાથે તેમને ફાયદો થાય તેમ ઇચ્છીએ.

ફેશન જગતમાં ક્રાંતિ લાવવી હોય તો આપણા પોષાકમાં કયા પ્રકારના રેસાઓ, કાપડ, રંગ અને તે બનાવવા માટે કેવાં સાધનોનો ઉપયોગ થયો છે, એ જાણવું જરૂરી ગણાય. એ માટે વડોદરા સ્થિત ‘જતન’ ટ્રસ્ટના સૂત્રધાર કપિલભાઈ શાહ અને તેમની પુત્રી મેધા શાહે કહ્યું કે સહુથી વધુ કપાસ પેદા કરવામાં ભારત આગળ પડતો ભાગ ભજવે છે. અને આનંદની વાત એ છે કે સજીવ કપાસની ખેતીનું પ્રમાણ વધ્યું છે કેમ કે એ આપણી જમીન, ખેડૂત અને ગ્રાહકો માટે લાભદાયી છે. 1985ની સાલથી ટકાઉ ખેતી પદ્ધતિ અંતર્ગત અનાજ, શેરડી, સિરિયલ, રોકડિયા પાક અને કપાસમાં સજીવ ખેતીને જતન ટ્રસ્ટ પ્રોત્સાહન આપતું રહ્યું છે. જિનેટિકલી મોડીફાઇડ કોટન પ્રચારમાં આવ્યું જેની પરાગ રજથી અન્ય પાકને નુકસાન થાય છે એ સમજાવવું અઘરું હતું કેમ કે ખેડૂતો પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. જો જી.એમ. કપાસ ન ઊગાડે તો તેમનો માલ ન વેંચાય. આજે ભારતમાં 95% કપાસ જી.એમ. છે. દાળ, કઠોળ અને અનાજ ઊગાડે તો ઓછું વળતર મળે એટલે ખેડૂતો ન છૂટકે કપાસ ઊગાડે. જી.એમ. કપાસમાં ખૂબ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો પડતો હોવાથી ખેડૂતોને દેવું થાય અને એ વાળી ન શકે એટલે આત્મહત્યા કરે એવી હાલત છે. સજીવ કપાસની ખેતીમાં ખાતર અને જંતુનાશક દવાઓનો ઓછો ઉપયોગ કરવો પડે છે એ વાત ગળે ઉતરાવતાં ઘણાં વર્ષો અને મહેનત માંગી લે છે.

અલબત્ત સજીવ કપાસ અને ખાદીનું ઉત્પાદન રસાયણોથી સાવ મુક્ત નથી એ ખરું, પણ સજીવ કપાસ અન્ય કપાસની તુલનામાં વધુ લાભદાયી ખરું જ. ઝડપથી બદલાતી ફેશનના પાગલપનથી નહીં પણ ધીમી ગતિએ બદલાતી ફેશન અપનાવવાની સાથે જ સજીવ ખેતી નભે. પર્યાવરણમાં આવતા બદલાવ અને આજના વિકાસની તરાહ ટકાઉ નથી એ સમજીને કાપડ પેદા કરતી ‘buy more, more’ના નારા લગાવતી મોટી મોટી કંપનીઓ દ્વારા દોરવાઈને નહીં પણ કપાસથી માંડીને કાપડ પેદા કરતા લોકોથી દોરવાઈને આપણી જરૂરિયાતોને અંકુશમાં રાખવી જોઈશે. જરૂરતને આધારે ખરીદવું, ઈચ્છાથી લોભાઈને નહીં એ મંત્ર બધાએ જપવો જોઈશે. 

કપિલભાઈએ ભારે હૃદયથી કબૂલ કર્યું કે કોરોના વાયરસના ફેલાવાને કારણે ખેડૂતોએ પાક લણ્યો છે એની 20% ઓછી કિંમત મળે છે, એ પાક નાકમો નહીં જાય, પણ વચેટિયા ભાવ વધારીને શોષણ કરે તેવી સંભાવના ખરી.

મેધા શાહ કાપડ ડિઝાઈનર છે જે વીવર બર્ડ નામના સંગઠન દ્વારા સજીવ કપાસ પેદા કરનારા ખેડૂતો સાથે મળીને કપડાંની અદ્યતન ડિઝાઇન કરે છે. એક ખેડૂતે કહ્યું, “મારો કપાસ નથી વેંચાતો.” મેધાએ ખાદી યુનિટને એ કાંતીને વણવા આપ્યું, એમ સાત વર્ષ પહેલાં માત્ર સજીવ કપાસથી બનતી ખાદીની ડિઝાઇન કરવાનો યજ્ઞ તેણે માંડ્યો. ફાસ્ટ ફેશન અનુસરવી એટલે વિચાર્યા વિના જરૂર ન હોય તો પણ કપડાંની ખરીદી કરવી અને થોડા વખતમાં જૂની ફેશન લાગે એટલે ફેંકી દઈએ; આવો ઘમંડી વ્યવહાર બંધ કરવો જોઈશે એમ તેને લાગે છે. પર્યાવરણ અને ગ્રાહક બંને માટે સારું. ગ્રાહકને ખેતર સુધી લઇ જઈ, કપાસ ઊગાડવાની બધી પ્રક્રિયાઓ બતાવીએ અને કાપડ તેમ જ કપડાં પેદા કરનારાઓ સાથે જોડાણ કરાવી આપીએ તો ગ્રાહકો સમગ્ર ઉદ્યોગ પ્રત્યે જાગૃત અને તેમાં જરૂર પડતી મહેનત માટે સંવેદનશીલ બનશે. મેધાને અપેક્ષા છે કે કોરોના વાયરસને કારણે લોકોને આવા મુદ્દાઓ વિષે વિચારવાનો સમય મળ્યો, તો માલ પૂરો પાડનાર સાંકળ પર અસર થઇ અને હવે આગળ ઉપર શું કરવું તે સમજીને પોતાની જીવન પદ્ધતિ બદલવાનો નિર્ણય કરશે. રાણા પ્લાઝા જેવી ઘટના ફરી ક્યારે ય ન બને તે જોવું રહ્યું. સજીવ કપાસમાંથી હાથે કાંતેલા સૂતર, હાથે વણેલ અને કુદરતી રંગોથી રંગેલ કાપડ, હાથે સીવેલાં જથ્થાબંધ માત્રામાં નહીં તેવાં કપડાં ઉત્તમ વિકલ્પ છે કેમ કે એ કુદરતી રીતે વિઘટિત થનારા અને પરસ્પરાધારિત સમાજ રચનાને પોષનારા છે, એવું મેધાને અનુભવે સમજાયું છે.  

આ વેબિનારમાં ભાગ લેનારા સહુ પાસેથી તેમનાં કાર્યનો પરિચય થયો. એથિકલ ફેશન ફોરમ એન્ડ કોમન ઓબ્જેક્ટિવની પ્રતિનિધિ જિઓવાના (www.commonobjective.co) આ વિષય પર સુંદર વાત પીરસી ગઈ. આફ્રિકામાં ઉછરેલી, મૂળ વ્યવસાય સ્થપતિનો. બીજા દેશોની લોકકલા અને ભરતકામથી મોહિત થયેલી. લંડનમાં એવા પોષાક પહેરાતા નથી તે સમજી. પણ યુનાઇટેડ કિંગ્ડમના લોકોમાં પણ આવી કુશળતા ભરી પડેલી છે એમ લાગ્યું. ફેર ટ્રેડ અને એથિકલ બાયિંગ જેવા વિચારોથી આકર્ષાઈને એ વ્યવસાય કરવા ધાર્યું. પણ એ માટે માલ પૂરો પાડનાર ક્યાં શોધવા? બહેન પહોંચી બાંગ્લાદેશ. એ તો કાપડ ઉદ્યોગનું થાણું. ત્યાં ખાદી મળી. સફળ વેપાર માટે ગ્રાહકોની જરૂરતો અને પસંદગી જાણવી અને તેમની સાથે વાત કરતા રહેવી એ શીખી લીધું. ત્યાર બાદ તો ઘાનાના કારીગરો સાથે કામ શરૂ કર્યું. ત્યાંની સ્ત્રીઓ પોતાને માટે અને બાળકો માટે બાટિક છાપનાં કપડાં બનાવે. જિઓવાનાના સાથથી એ લોકોનો વેપાર દસ ગણો વધ્યો. એ કારીગરોની કુશળતા અને વિશેષ જ્ઞાન કેવી રીતે ટકાવી રાખવા અને તેનો કાપડ ઉદ્યોગમાં કેવી રીતે ઉપયોગ કરવો એ જાણી લીધું. આજે તો યુ.એન. પણ એ લોકોને ફન્ડ આપે છે. 130 દેશોમાં તેમનું કામ પથરાયેલું છે.

જિઓવાનાએ મુદ્દાની વાત કરી. એથિકલ કપડાં મોંઘા કેમ બને છે એ વિચારીએ. કારીગરોને પૂરતી મજૂરી આપીએ તો આ કપડાં મોંઘા થાય એ વાત ગ્રાહકોને કેમ સમજાવવી? ફેકટરીમાં બનતા પુષ્કળ માલને કારણે વેપારીઓ ખૂબ વેંચવાની મથામણ કરે, માલ સસ્તો હોય એટલે લોકો ખૂબ ખરીદે. ખરીદી એક વ્યસન બની ગઈ. પેદા થયેલ માલનું મૂલ્ય ગ્રાહકો નથી સમજતા. ખરીદી સારી વસ્તુની કરો, સસ્તી વસ્તુની નહીં એ કોણ સમજે? તેને એ વાત પર ભરોસો છે કે લોકોનાં વલણો બદલશે અને વસ્તુઓની કિંમત, તેની સમાજ અને પર્યાવરણ પર થતી અસર એવો ત્રિપરિમાણીય વેપારનો ઢાંચો હવે આવશે. કાપડની ગુણવત્તા સારી હોવી અને પેદાશોનું પ્રમાણ એટલું અને એવું હોવું જોઈએ કે ટકાઉ હોય અને કાપડ ઉદ્યોગ તેની સાથે જોડાયેલા કારીગરોને લાંબા સમય સુધી રોજી આપનાર હોય એ વાતનો ખ્યાલ કરવો જોઈશે. ઓછું ખરીદો અને સારા માલ માટે વધુ કિંમત ચૂકવો, જીવન જરૂર પૂરતું જ એટલે કે ઓછું પેદા કરો; અને તો જ બીજાની જિંદગી સુધરશે. એ માટે કપડાં પૂરા પાડનારા તે બનાવરનારાઓ સાથે મળે તો થાય. નીતિમત્તાને એક બાજુ રાખીને થતા વેપારો પગદંડો જમાવી બેઠા છે, પણ હવે કાપડ ઉદ્યોગની રૂખ બદલતી જોવા મળે છે. સાચી દિશામાં ડગ માંડીએ છીએ તેમ લાગે છે. 

એથિકલ ફેશન એક્ટિવિઝમ અને માર્કેટિંગ સ્ટ્રેટેજી માટે કામ કરતાં Sian Conwayની વાત પણ સમજવા યોગ્ય ખરી. કપડાં વેંચતી મોટી કંપનીઓ અને નાના વેપારીઓ માટે જાહેરાતો આપવી, વેંચાણ વધારવું અને માલ પૂરો પાડનાર સાંકળના તમામ મણકાઓ સાથે સંપર્ક રાખવો અતિ અનિવાર્ય બને. વ્યાપાર માટે ગ્રાહકોનું મનોવિજ્ઞાન જાણવું પડે. કંપનીઓને ગ્રાહકોની ઉંમર, તેઓનું રહેઠાણ, આવક અને અભ્યાસ તથા કામના પ્રકાર વિષે માહિતી હોવી જરૂરી. હવે પ્રજાને એ રીતે કેળવવાની જરૂર છે કે તેઓ પોતાની જરૂરિયાત પ્રમાણે ખરીદી કરે, તો બિનજરૂરી વસ્તુઓ નહીં ખરીદે અને બગાડ થતો અટકશે. સામાન્ય લોકો એમ માને છે કે તેમનાં કપડાં રોબોટ બનાવે છે. એમને કારીગરોના અધિકારોથી વાકેફ કરવા જોઈશે. ગ્રાહકો કંપનીઓને માંગણી કરે કે તેમનાં કપડાં કોણ બનવે છે, તેઓ કઈ હાલતમાં જીવે છે, શું ખાય છે, કેવું સ્વાસ્થ્ય ભોગવે છે વગેરે માહિતી પૂરી પાડે. જો આ બધી હકીકતો ઉપલબ્ધ થશે તો ગ્રાહકો કદાચ પોતાના ભોગવિલાસ માટે શરમ અને ગુનો કર્યાની લાગણી અનુભવશે. જેનાથી દુઃખ કે શરમ અનુભવાય તેવા પ્રશ્નોના જવાબ ન આપવા એ કંપનીઓ અને વેપારીઓની નીતિ હોય છે. આથી જ બાળ મજૂરી અને શોષણ થતું હોય તેવા માલ વિષે કશી માહિતી અપાતી નથી. એક એવું વેન્ડીંગ મશીન શોધાયું છે જેમાં એક ટી શર્ટનો ઓર્ડર આપો, તો તેની સામે આ તમામ માહિતી પ્રામાણિક પણે આપી છે, અને ગ્રાહકને એ ખરીદવા કે કરીગરોની હાલત સુધારવા એટલી કિંમત દાન કરવા વિકલ્પ આપ્યો છે.

કાપડ ઉદ્યોગને વધુ નીતિમાન બનાવવાના વિવિધ પ્રયાસો થઇ રહ્યા છે અને રસપ્રદ વિચારો વહેતા થયા છે. હવે તૈયાર કપડાં નાનાં કે મોટાં આવે તો તેને સુધારીને પહેરો, ફાટે તો સાંધીને પહેરો, ટૂંકા પડે તો બીજાને આપો એવી સલાહ અપાવા લાગી છે. રિસાઇકલની માફક હવે ‘અપસાઇકલ’ કરવાની હિલચાલ શરૂ થઇ છે. જૂની દેખાતી વસ્તુઓને નવો ઓપ આપીને તેનું આયુષ્ય વધારવા પ્રોત્સાહિત કરવા ઘણા લોકો આગળ આવ્યા છે. નકામી અને ફેંકી દીધેલ વસ્તુઓમાંથી કપડાં અને બીજી વપરાશની વસ્તુઓ બનવા લાગી છે. ઓછું ખરીદો, કબાટમાં કપડાંની સિલક જોઈને જરૂર હોય તો જ દુકાનોમાં જાઓ તેવું યુવા પેઢીને કહેવામાં આવે છે. આ બધું સૂચવે છે કે હવેની પેઢીને તેમના વડદાદાઓના સમયમાં હતી તેવી જીવનપદ્ધતિ અપનાવવામાં જ તેમની ભલાઈ થશે તેનું ભાન થયું છે. આજે હવે એ પણ સ્પષ્ટ થતું જાય છે કે ટકાઉ વિકાસને નૈતિક ઉત્પાદન અને વપરાશ સાથે અજોડ સંબંધ છે. એ બંને આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. સાંધેલું પહેરો, ખરીદી કરતા પહેલાં વિચાર કરો એ બધાં નાનાં પગલાં છે, પણ તેનું પરિણામ મોટું આવશે એ આમ પ્રજા ક્યારે સમજશે? એ માટે પૂરા સમાજે આંકડા ભીડવા જોઈશે, દરેક વ્યક્તિનો નિર્ણય અને એ દિશામાં ઉઠાવેલ કદમ આપણા જીવન પર સારી કે માઠી અસર કરનાર છે. 

બીજો એક નવો વિચાર વહેતો થયો: છ જોડી કપડાં પસંદ કરો અને એ છ અઠવાડિયા પહેરો. એક વર્ષ સુધી નવાં કપડાં ન ખરીદવાનું વ્રત લો.

આ વેબિનારમાં stitch and bitchની બેઠક પણ હતી! જાણીને નવાઈ ઉપજે, પરંતુ હા, પાંચ મહિલાઓ કંઈને કઇં સાંધવાનું, ભરત ભરવાનું અને સીવવાનું કામ લઈને અનૌપચારિક રીતે વાતો કરતાં કરતાં ફેશનમાં નૈતિકતાની જાળવણી કેવી રીતે કરવી એવા બહુ મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા કરતાં હતાં. ઘડીભર તો મારી નાની-દાદી કે મા-માસીના સમયમાં હું હોઉં તેવું લાગ્યું. આ બેઠકમાં ભાગ લેનારા સહુ કોઈને કોઈ સંગઠન ચલાવે છે અને પોતપોતાનાં ક્ષેત્રમાં નિષ્ણાત છે. તેમની વાતોનો સાર આ પ્રમાણે : નવયુવાનોને હવે સેકન્ડહેન્ડ કપડાં પહેરતાં શરમ અનુભવવાની જરૂર નથી તેમ કહેવું, ફાટે તો સાંધો અને ટૂંકા પડે તો બીજાને આપો એ પણ ટેવ પાડવાનું સમજાવવું રહ્યું. ફેશનને નામે ચળકાટ વાળી પ્લાસ્ટિકની વસ્તુઓ પહેરવી એ પર્યાવરણ માટે હાનિકર્તા છે તે વિષે વધુ માહિતી આપવી રહી. જથ્થાબંધ તૈયાર થતાં કપડાં બનાવનાર કારીગરોને કેવી હાલતમાં કામ કરવું પડે છે, અને કેટલી મજૂરી મળે છે એ માટેના વીડિયો બતાવીને ખ્યાલ આપવો વધુ અસરકારક થશે. એ વાત સ્વીકારીએ કે યુનાઇટેડ કિંગ્ડમ જેવા દેશમાં દરેક ઋતુમાં અલગ અલગ પ્રકારના કપડાં હોવા જરૂરી છે, પરંતુ એ દર વર્ષે જે તે ઋતુમાં કામ આવે, દર વર્ષે ફેંકી દેવાની જરૂર ખરી? અમે માન્ચેસ્ટરમાં 10 કિલોમીટર દોડમાં ભાગ લઈએ ત્યારે ગરમી થાય એટલે લોકોને પોતાના સ્વેટર રસ્તા પર ફેંકી દેતાં જોયાં છે. મનમાં હશે કે ‘પ્રાઈમાર્ક’માં માત્ર £3નું મળે છે, એક કોફી કપના ભાવે, તો એમાં શું? આ બહેનોએ એ વાત પર ભાર મુક્યો કે કપડાં ખરીદતી વખતે આટલી વાત ધ્યાનમાં રાખીએ, મારે તેની જરૂર છે? મને એ ગમે છે, મારા શરીર પર શોભે છે? કપડાં ટકાઉ હોવા જોઈએ અને બીજાને આપી શકાય તેવાં હોવાં જોઈએ. મારા કપડાં પર લાગેલા લેબલ પાછળ કેટલી મજૂરી લાગે છે તે જાણવું અનિવાર્ય છે, જો આપણે આ ઉદ્યોગને નૈતિક બનાવવા માંગતા હોઈએ. સાંપ્રત સમસ્યા કોરોના વાયરસની છે. આજે જાત જાતના સ્પ્રે, સેનિટાઇઝર્સ, હાથના મોજાં, માસ્ક્સ, ગાઉન અને વાઇઝર્સ એ તમામ સાધનો આપણને રોગમૂક્ત રાખવા જરૂરી મનાય છે, પરંતુ આજથી પાંચ-સાત દાયકાઓ બાદ અચાનક ખ્યાલ આવશે કે આટલો બધો પ્લાસ્ટિકનો કચરો શું કોરોના કાળ દરમ્યાન થયો? શું એ લોકો પાસે પ્લાસ્ટિક સિવાય બીજો કશો વિકલ્પ નહીં હોય? આજે fast ફેશનની જરૂર છે કે fix it ફેશનની? એવી ફેશન જે કપડાં સાંધીને પહેરતાં ગૌરવ અનુભવતાં શીખવે અને એ રીતે પર્યાવરણને પણ સાંધી આપે? પરિવર્તન રાતોરાત ન આવે. નાના પગલાંના મોટાં પરિણામ આવે. વૈશ્વિક સમસ્યા માટે સામૂહિક જવાબદારી સ્વીકારીએ અને બીજાને સાથે લઈને ગણતરીપૂર્વકના પગલાં લઈએ તો જરૂર સામૂહિક સર્વનાશમાંથી બચી જઈશું. 

બીજી એક વાત, up cycling એટલે એક વસ્તુમાંથી બીજી બનાવવી. જેમ કે એક જંપર ફાટે તો તેના પર સુંદર ભરત ભરીને સાંધી દેવાય. એક બ્લાઉઝ ઘણો વખત પહેર્યું, કંટાળી જવાય તેટલો વખત. તેને જુદા રંગની નવા પ્રકારની બાંય સીવીને રસપ્રદ બનાવ્યું. જૂના ડ્રેસમાંથી સ્કર્ટ કે બ્લાઉઝ બનાવે. શું ખોટું છે તેમાં? take it up, wear it out જેવાં સૂત્રો યુવાનોને મોહક લાગે. પણ તે દ્વારા તેમને બિનજરૂરી ખરીદી કરીને કપડાં ફેંકી દેવા પાછળ કારીગરોને ભાગે આવતા કામના લાંબા કલાકો, કામ પર સહેવો પડતો ત્રાસ અને જોહુકમી એ બધું આધુનિક ગુલામીનું જ સ્વરૂપ છે એ સમજાઈ જશે.

એવી જ રીતે મારાં કપડાં કોણે બનાવ્યાં? એ જાણવાની ઝુંબેશ ચાલી છે. કંપનીઓ અને તેમને માલ પૂરો પાડનારાઓ સાથે સંવાદ થતો રહે તે જરૂરી. લેબલ પરથી મારાં ખરીદેલ કપડાં ક્યાંથી આવ્યાં તે જાણી શકું. પણ એ કેવી રીતે બન્યાં, કેવા વાતાવરણમાં બન્યાં અને કારીગરોને કેટલી નજૂરી મળી તે કેમ કરીને જાણવું? આ Who made my clothes સંગઠનને પોતાના ગ્રાહકો કોણ હશે તે ખબર નહોતી. વ્યાપ વધતો ગયો પોતાના કામનો, આજે 85% માલ વિદેશોથી આવે છે અને 28 જેટલા દેશોમાં પહોંચાડાય છે. આશરે 2,500 જેટલા કારીગરોને સહાય મળી રહે છે. લઘુ ઉદ્યોગોને વધુ લાભ થાય. સૂતર કાંતવાથી માંડીને કપડાં સીવવાં સુધીના ઉદ્યોગ દ્વારા તેમનું સશક્તિકરણ થયું. કોરોના વાયરસની મહામારીને કારણે ખેતરોમાં પાક લણવાનું બંધ છે તેથી ઘણાં સિલાઈકામ કરીને પેટિયું રળે છે. રોજમદારી પર જીવતા લોકોને રાશન મળે, પણ પૂરતું નથી હોતું. તેમાં ય રંગારા અને છાપનારાને વધુ તકલીફ. દરજીઓને માસ્ક બનાવવા કાપડ નથી મોકલી શકાતું. આવા સમયે કયા વ્યવસાયો કરનારા અને કઈ કઈ સેવાનું વધુ મહત્ત્વ છે એ સમજાય. 

સરકારોનો ફેશન રે’વલૂશનમાં શો ફાળો? એ વિષય પર પણ ચર્ચા થયેલ. જેના માતા-પિતા હેર ડ્રેસિંગ સલોનનાં માલિક હતાં તેવી ટમારા UCLમાં ભણી અને હાલમાં ફેશન ટકાઉ કેમ બનાવવી અને નહિ નફો નહિ નુકસાનના પાયા પર વેપાર કેમ વધારવો એ માટે નીતિ ઘડીને વ્હાઇટ હોલ સુધી પહોંચાડવાનું કામ કરે છે.

કાપડ ઉદ્યોગના બધા ક્ષેત્રો સાથે મળીને ફેશન જગતમાં ક્રાંતિ લાવે તો જ બદલાવ આવે. આપણે શું કરી શકીએ તે વિચારીએ, નહીં કે શું શું નથી થઇ શકે તેનું રટણ કરીએ. કપડાં સુંદર, આકર્ષક લાગે તે સહુને ગમે, પણ વધુ પડતા ખર્ચાળ હોવા જરૂરી નહીં. મોટી મોટી કંપનીઓને જથ્થાબંધ માલ પૂરો પાડવો મુશ્કેલ હોય છે. આજકાલ રિસાઇકલ કરવાનું મહત્ત્વ સમજાયું છે, પરંતુ એ માટેનો માલ કોણ એકઠો કરી, છુટ્ટો પાડીને કાપડ પેદા કરનારને મોકલી આપે? આ સમસ્યાઓના હલ પરસ્પરના સહકારથી જ થશે.

આપણે જાણીએ છી કે પોલિયેસ્ટર દુનિયાના ⅓ પ્રદૂષણ માટે જવબદાર છે. કપડાં બનાવતી કોર્પોરેટ કંપનીઓ આ વિષે વિચારે, પર્યાવરણ બચાવવા માટેની નીતિ ઘડવામાં સહભાગી થાય તો માનવ અને અન્ય સૃષ્ટિનો બચાવ થાય. આપણે કદાચ એ પણ નહીં જાણતા હોઈએ કે લાકડાના માવામાં રસાયણો ભેળવીને વિસ્કસ બને છે. વિચાર કરીએ, કેટલા જંગલોનો નાશ થતો હશે? એટલું તો નક્કી, કાપડ ઉદ્યોગે પોતાના ધંધાનો ઢાંચો બદલવો પડશે. સ્વાસ્થ્ય અને શક્તિવર્ધક અને નવજીવન બક્ષનારો વ્યાપાર ખપશે. આપણી જીવનપદ્ધતિ ભૂતકાળ તરફ નહીં લઇ જવાય, પરંતુ ઊભા રહીને વિચારીએ અને થોડો પણ બદલાવ લાવીએ તો ય પૃથ્વી બચશે. ફેશન ડિઝાઇન કરવી જરૂર, પણ જવાબદારીપૂર્વક. સવાલ એ છે કે ફેશનમાં અને કાપડ ઉદ્યોગમાં પરિવર્તન કોણ લાવે? બધા એકબીજા સામે આંગળી ન ચીંધીએ તો જ ઉકેલ મળે. ગ્રાહકોને પોતાનાં કપડાં વિષે પૂરતી માહિતી મળે, તેઓ કંપનીઓને સવાલો પૂછે અને ઉત્પાદકો, કારીગરો અને ગ્રાહકો સહુ પોતાના કર્મોના પરિણામો વિષે વિચારે અને સુધારો લાવે તો ફાયદો થાય.  

ફેશનમાં પ્લાસ્ટિકનો વપરાશ એ વિષય પર ગ્રીન પાર્ટીનાં ભૂતપૂર્વ નેતા નાટલી બેનેટે એ કહીકત પર ધ્યાન દોર્યું કે વપરાશ પૂરો થાય બાદ પ્લાસ્ટિક ક્યાં જાય છે અને માઈક્રો પ્લાસ્ટિક વાતાવરણમાં ભળે છે એ આપણે ગ્રાહક તરીકે જાણીએ છીએ? કપડાં એક બેગમાં મૂકીને વોશિંગ મશીનમાં ધોવાથી અને ફિલ્ટર મુકવાથી એ કચરો નિકાલ થયેલ પાણી વાટે નદી-સરોવરો ને દરિયામાં જતો અટકાવી શકાય. યુરોપ કરતાં યુનાઇટેડ કિંગ્ડમમાં કાપડમાં પ્લાસ્ટિકનો ઉપયોગ બે ગણો વધુ થાય છે. એ જાણીને આંચકો લાગશે, પરંતુ ફેશન ઉદ્યોગ એવિયેશન અને શિપિંગ જેટલા જ હાનિકારક તત્ત્વો હવા અને પાણી જેવાં માણસ માટે મૂળભૂત જરૂરી સ્રોતોમાં નિકાલ કરે છે. એમનું માનવું છે કે ઓછાં કપડાં વાપરવાની ટેવ પાડવી પડશે. આજથી સો વર્ષ પહેલાં ઘણાં વર્ષોની કમાણી બાદ થયેલ બચતમાંથી એકાદ સૂટ કરાવતો ઘરનો વડીલ જોવા મળતો. આજે નાના બાળકથી માંડીને તમામ ઉંમરના સ્ત્રી-પુરુષો માટે બનાવટી કાપડના બનેલ સૂટ એકાદ-બે વાર પહેરીને ફેંકી દેવા લાગ્યા છે. પર્યાવરણ જ નહીં, માનવના સ્વાસ્થ્યને બચાવવા કુદરતી રેસાઓમાંથી બનેલ ઓછી સંખ્યામાં ખરીદેલ કપડાં પહેરવાં આપણે માટે હિતાવહ છે.

આપણાં કપડાંની બનાવટમાં કયા રસાયણો વપરાય છે તે વિષે પીટર ગોર્સ હાલ સંશોધન કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે કાપડ બનાવવાની તમામ પ્રક્રિયા રાસાયણિક છે. કપાસમાંના રેસાઓ અને લાકડાના માવાને પાતળા રેસા બનાવવા પણ રસાયણો વપરાય છે, પરંતુ તેઓ પર્યાવરણને હાનિકર્તા ન હોય તેવા રાસાયણિક દ્રવ્યો શોધી રહ્યા છે. ખાદીમાં પણ બ્લીચ અને રંગ કરવા પણ રસાયણો વપરાય છે એટલું જ નહીં, કપડાં ધોતાં સતત રસાયણો નીકળે છે. આથી કપડાં કેવાં લાગે, શરીરને કેટલું સુખ આપે તેના કરતાં તેમાંથી કેવા રસાયણો નીકળે છે તેના પર ધ્યાન આપવું રહ્યું. માઈક્રો ફાઈબર પાણીમાં જાય, જેના પર શુદ્ધ કરવાની પ્રક્રિયા થયા બાદ આપણે પીએ અને ખાઈએ છતાં તેમાં એ પ્રવેશે છે. ફેશનમાં ક્રાંતિ લાવવી એ જીવનપદ્ધતિને બદલવાનો મુદ્દો છે. વોટર પ્રૂફ કપડાં બનાવવા ઘણા પ્રમાણમાં રસાયણો વપરાય છે જે માણસ અને પ્રાણીઓ માટે ખૂબ હાનિકારક છે. ⅔ કપડાં માત્ર રસાયણ જ છે. મુશ્કેલી એ છે કે કાપડ બનાવનારી કંપનીઓ તો આ હકીકત જાણે છે, પણ ખાનગી રાખે છે. કેમ કે વિકલ્પ છે મોંઘા રસાયણો વાપરવાનો, જે આટલી મોટી સંખ્યામાં કાપડ અને કપડાં બનાવવા માટે પોસાય નહીં એથી સસ્તો, પણ હાનિકારક માર્ગ લેવાય છે. આજકાલ ગ્રીન વોશિંગ અને ગ્રીન ક્લોધિંગ એ પ્રચલિત શબ્દ સાંભળવા મળે. પ્લાસ્ટિક બોટ્લ્સને હાનિકારક રસાયણો નાખી રિસાઇકલ કરે ત્યારે તેમાંથી એક શર્ટ બને, શું એ રસાયણોનો ઉપયોગ સાર્થક છે? ફેશન ઉદ્યોગમાં જોડાયેલા તમામ સંકુલોએ ગ્રાહકોને વધુ માહિતી આપવી જોઈશે. કાપડમાં કયા રેસાઓ, રસાયણો વગેરે છે, તેને કેમ ધોવા વગેરે માહિતી આપવાથી થોડો ફર્ક પડે.

કપાસ અને શણ વિઘટિત થઇ શકે તેવા જૈવિક રેસાઓ છે, જ્યારે પોલિયેસ્ટર નથી. આમ તો તદ્દન હાનિકારક એવા રેસાઓ બહુ ઓછા મળશે, પરંતુ ઓછામાં ઓછી હાનિ પહોંચાડે તેવાનો વપરાશ વધારવો હિતાવહ. આપણે આશા રાખીએ કે ગ્રાહકોને તમામ માહિતી આપી શકીએ તો તેઓ નૈતિક રીતે બનેલા કાપડ જ ખરીદશે. પણ સાથે સાથે પ્રામાણિકતા અને પારદર્શિકતા શોધવી મુશ્કેલ છે. માનવો અને બીજા જીવો માટે સલામત હોય તેવા રસાયણો બને છે. યુ.એન. સસ્ટેનેબલ પ્રોજેક્ટ માટે નિયમો લાવવા કોશિશ કરે છે. વનસ્પતિ આધારિત કાપડ અને જીવવિજ્ઞાન આધારિત કપડાં એ જ નવો માર્ગ છે. અત્યારે તો ખૂબ કપડાં પેદા થાય છે, તે ઓછાં કરવાં પડશે, લોકોને સીવતાં અને સાંધતાં શીખવું પડશે.   

કાપડ ઉદ્યોગને નીતિમય માર્ગે દોરવાની વાત હોય ત્યાં ખાદીનો પ્રવેશ ન થાય તે સંભવ નથી. ખાદી લંડનના સૂત્રધાર કિશોરભાઈ શાહે ખાદી એટલે શું? એ વિષે સંક્ષિપ્તમાં વાત કરી. હાથે કાંતેલ-વણેલ કાપડ તે ખાદી. સમય જતાં સાધનો બદલાયા. ત્રાકથી માંડીને બાર-સોળ ત્રાકના અને હાથથી કે સૂર્ય ઉર્જાથી ચાલતા અંબર ચરખા આવ્યા. પહેલાં જ્યાં કપાસ ઊગતો ત્યાં જ કાપડ અને કપડાં તૈયાર થતાં. ઔદ્યોગિકરણને કારણે નાના પાયા પરના ઉદ્યોગો પડી ભાંગ્યા. ગ્રામીણ અર્થવ્યવસ્થા તૂટી અને સામૂહિક સ્થળાંતર અનિવાર્ય બન્યું. કાપડ ઉદ્યોગ સાથે બીજા અનેક ઉદ્યોગ-ધંધા જોડાયેલા છે, આથી જ તો ભારતને આર્થિક રીતે બેઠો કરવા અને તેની અસ્મિતા પાછી લાવવા ગાંધીજી ચરખાને મુખ્ય તખ્તા પર લાવ્યા. ખાદી લંડનનો હેતુ ટકાઉ વિકાસની તારાહને બઢાવો આપવાનો છે. ખાદીને વિશ્વ તખ્તા પર લઇ જવી છે, પણ તે માટે મજબૂત પાયો જોઈશે. વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાને પોષવા, પ્રદૂષણ અને શોષણમુક્ત સમાજ રચવા ઇંગ્લેન્ડ સ્થિત એથિકલ ડિઝાઈનર્સને ખાદી પૂરી પાડે છે. તાજેતરમાં યુ.સી.એલ. અને ચેલ્સી કોલેજના ટેક્સટાઇલ અને ડિઝાઇન શાખાના વિદ્યાર્થીઓને આ કામમાં શામેલ કર્યા છે. આશા છે, નવી પેઢી ખાદીના ફાયદા અને આજના સમયમાં તેની પ્રસ્તુતતા સમજીને તેનો પ્રચાર કરશે. 

ફેશન જગતમાં હવે ‘કેટ વોક’ એ સહુને જાણીતો શબ્દ છે. કેટ વોકથી માંડીને એ કપડાંની બનાવટ સુધીની કથા જાણવા યોગ્ય હોય છે. (The Catwalk2Creation) Charney પાસેથી કેટલીક રસપ્રદ વાતો જાણવા મળી. દુનિયામાં લગભગ 1,50,000 વૃક્ષો કપાય છે અને 150 બિલિયન કપડાં (ગારમેન્ટ) બને છે. હવે આ સ્થિતિમાં પ્રદૂષણ કેવી રીતે રોકાય? પર્યાવરણ અને કુદરતી સ્રોતોને ટકાવી રાખે એવી પોષાકની શૈલી કરવી પણ શક્ય છે. બસ, એટલું વિચારવાની જરૂર છે કે સુંદર ભાતવાળાં વસ્ત્રો એ જ્યાં સુધી ટકી શકે તેટલી મુદ્દત માટે હોય છે, નહીં કે માત્ર એક ઋતુ માટે. સામાન્ય સૂઝ સમજ અને આ વિચારથી જાગૃત વ્યક્તિ સારા ડિઝાઈનર બની શકે. ઓછા સંસાધનો વાપરીને ડિઝાઇન કરવાનો સંકલ્પ કરનારાઓ પર્યાવરણ અને ગ્રાહકો બંનેને ફાયદો કરે. પ્લાસ્ટિકની બનાવટોમાંથી બનેલ સિન્થેટિક રેસાઓની બનાવટવાળાં કપડાં પહેરવાની ઘેલછા છોડી હવે કુદરતી રેસાઓ વાપરવા તરફ વળવું હિતાવહ છે. સૂતરાઉ કપડાંનો રંગ કદાચ ઊતરે, પણ તેમાંથી હવા પસાર થાય અને તે વિઘટનક્ષમ હોય છે જયારે સિન્થેટિક રેસાઓ નથી હોતા એ નવી પેઢીને ખબર નથી. આ પૃથ્વી ટકશે તો આપણે જીવીશું. સવાલ માનવી અને તમામ પ્રકૃતિના અસ્તિત્વનો છે.

વિચાર કરો, સિન્થેટિક કપડાંમાંના માઈક્રો પ્લાસ્ટિક વોશિંગ મશીનમાં ધોવાયા બાદ તેના નિકાલ થયેલ પાણી મારફત દરિયામાં ઠલવાય. દરિયાઈ જીવોને હાનિ થાય અને અંતે માણસને હાનિ થવા લાગે. હા, કુદરતી રેસાઓના વપરાશમાં પણ કેટલાક પડકારો છે, જેમ કે સજીવ કપાસની ખેતીની ક્ષમતા, તેના રંગોનું ટકાઉપણું, રંગકામથી ફેલાતાં હાનિકારક રસાયણો અને બજારની માગને પહોંચી વળવાની તેની ક્ષમતા. આમ છતાં આ બંને પ્રકારના કાપડ શેમાંથી બને છે અને વપરાય પછી ક્યાં જાય છે એ વિચારવાથી સાચી પસંદગી કરવા બળ મળશે. અપસાઇકલ કરવાનું ઉદાહરણ ‘ગીતાંજલિ’ નામની સંસ્થાની મહિલાઓ પૂરું પાડે છે. ત્યાં નકામાં કપડાંને અલગ કરીને તેમાંથી ફરી કાપડ બનાવવાનું કામ થાય છે. ફેકટરીમાં દરેક કામદાર એક શર્ટ કે ડ્રેસનો છૂટ છૂટક ભાગ બનાવે, જ્યારે દરજી આખું શર્ટ/ડ્રેસ સીવી આપે. બંને પાસે નકામાં કાપડના ઢગલા અને તેના વપરાશના પ્રમાણમાં ફેર પડતો હોય છે. તૈયાર કપડાં વેંચતી કંપનીઓ ક્યાંથી અને કેવી રીતે બનાવાયેલ કપડાં વેંચે છે તેની સાચી માહિતી મેળવી ગ્રાહકોને આપવી અનિવાર્ય બન્યું છે. વિઘટન ન થાય એ કપડાં નુકસાનકારક છે એ લોકોને સમજાયું છે, તો હવે ડિઝાઈનરોએ આ સમસ્યાનો ઉકેલ આવે તેવાં કાપડનો ઉપયોગ કરવો જોઈશે, વધુ સમસ્યાઓ ખડી થાય એ નહીં પોસાય. કપડાંને જાળવીને વાપરવાં અને સાચવવાં જોઈશે. ખરેખર તો ગ્રાહકો પાસે કેવું કાપડ વાપરવું અને કેવી ડિઝાઈનનું પહેરવું એ માટેની સત્તા હોવી જોઈએ, તેને બદલે મોટી કંપનીના માલિકો પાસે સત્તા છે. એમાં બદલાવ લાવવા લોકોનાં વલણો બદલવા રહ્યા.  

એક સપ્તાહ દરમ્યાન સજીવ કપાસની પેદાશથી માંડીને ફેશન અને કપડાંના વેપારમાં નૈતિકતાનો સમાવેશ કરવાના મુદ્દાઓની ચર્ચા થઇ, હવે તે અમલમાં આવે તે માટે સહુ લગતા વળગતા લોકોએ જોવાનું રહેશે. 

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...2,2532,2542,2552,256...2,2602,2702,280...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved