Opinion Magazine
Number of visits: 9574623
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કવિની ‘શોક’સભા

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|29 July 2020

એક કવિ ગુજરી ગયા
આમ તો એમની કવિતાથી
ઘણા ગુજરી ગયેલા
પણ લોકલાજે વિબિનાર ગોઠવ્યો
બહુ દિવસથી મને કોઈએ જોયો નો'તો
તો એ બહાને લોકોને 'જોવા'નું થાય
આમે ય શોકસભા કે લોકસભા
જોવા માટે જ તો હોય છે
મને તો હતું કે ઘણાં જોડાશે
પણ કલાક સુધી તો કોઈ દેખાયું નહીં!
પછી એક જણ ઉત્સાહથી બોલ્યો :
'બહુ ખોટું થયું.'
'હા,ખોટું તો થયું.’ મેં કહ્યું.
'મારે કવિ પાસેથી પાંચ લાખ લેવાના હતા.'
'પણ કવિ જ ઊઠી ગયા છે ત્યાં -'
'પાંચ લાખનું ઉઠમણું થયું, બીજું શું?''
'કવિ છે એ જાણવા છતાં પાંચ લાખ આપ્યા?'
'હવે તો કવિઓને ઘરનું ઘર પણ હોય છે.'
'આમનું ઘર તો  કવિતામાં વેચાઈ ગયેલું.'
'હવે પાંચ લાખ લેવા ક્યાં જાઉં?'
'તે લેવા જ હોય તો તમારી શોકસભા કરવી પડે.'
'જવા દો. હું પાંચ લાખ જતા કરું છું.'
બીજો એક કવિ બોલ્યો :
'મરનાર મારા દૂરના મામા થાય.'
'આમ તો એમણે ઘણાને 'મામા' બનાવેલા.'
'દૂરના મામા હતા એટલે નજીક નો'તા.'
'નસીબદાર છો.'
'તમે તો એમને જાણતા હશો.'
‘હા. છાપામાં આવ્યું એટલું જાણું.'
'એમની કવિતાઓ બહુ સરસ હતી.'
'તમે વાંચેલી?'
'વાંચી હોત તો બેસણું અત્યારે મારું હોત.'
ત્રીજો સ્ક્રીન પર બોલ્યો :
'મારે કવિતા વાંચવી છે.'
'બીજું કોઈ કામ નથી?'
‘છે ને! પણ કવિને અંજલિ આપવા કવિતા -'
'કવિની કવિતા હોય તો વાંચો.'
'એમની નથી, મારી છે.'
'એટલે તમારી કવિતા ખપાવવા તમે -'
'તે તમે બધા શું કવિ માટે ભેગા થયા છો?'
‘ના રે! આ તો એમને નામે થોડું ચરી ખાઈએ,'
'બાકી આપણી તો ફૂટી કોડી ય આવે એમ -'
'પણ મને કવિતા સમજાતી નથી.'
‘મને ય ક્યાં સમજાય છે?'
'ન સમજાય તે કવિતા જ હોય!'
‘ના, કવિને ય ન સમજાય તે કવિતા!'
'તો, કવિતા વાંચવાનું રહેવા દોને!'
'કવિની શોકસભા ને કવિતા જ નહીં?'
'કવિ જ નથી, તો કવિતા હોય તો ય શું?'
ચોથી કવયિત્રી બોલી, 'રડવું આવે છે.'
હવે તો મગરને ય મગરનાં આંસુ નથી આવતા.'
‘નહીં, રડું, બસ! બાકી, કવિ મારા સગા થાય.'
‘તો, તો એમને વિશે થોડું કહો.'
'એ નાનેથી મોટા થયેલા.'
તે તમે મોટેથી નાના થયેલાં?'
'એમને કવિતાનું વ્યસન હતું.'
'એ છોડાવવા જેવું હતું.'
'તમને હું વ્યસન મુક્તિ કેન્દ્ર લાગું છું?'
‘હેલો, હેલો. અવાજ સંભળાતો નથી. હેલો  -'
ટેકનિકલ ખામી સર્જાતાં વેબિનાર અવગતે …

૦

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘કાવ્યકૂકીઝ’ નામક લેખકની કટાર, ‘અર્ધ સાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 29 જુલાઈ 2020

Loading

અમેરિકામાં ટોચની આઇ.ટી. કંપની ‘સિસ્કો’ સામે જ્ઞાતિઆધારિત ભેદભાવનો કેસ

સુજાત|Opinion - Opinion|29 July 2020

અમેરિકામાં રંગભેદના વિરોધમાં બ્લેક લાઇવ્સ મેટર / Black Lives Matterના દેખાવો ચાલતા હતા, ત્યારે તેમાં આફ્રિકનો ઉપરાંત ભારતીયો સહિતના વિવિધ સમુદાયોએ ઉત્સાહથી ભાગ લીધો અને ચળવળને સમર્થન જાહેર કર્યું. તેની સમાંતરે બલકે તેની પશ્ચાદભૂમાં એક વિલક્ષણ કિસ્સો સમાચારમાં આવ્યો, જેણે ભેદભાવના રંગભેદ જેવા કે તેનાથી પણ વરવા પાસાને ઉજાગર કર્યું. કિસ્સો અમેરિકાનો, પણ ભેદભાવ એકદમ ‘સ્વદેશી’ હતો.

વાતની શરૂઆત વીસેક વર્ષ પહેલાં થઈ. ત્યારે આઇ.આઇ.ટી., બૉમ્બેમાં ભણતા સુંદર ઐયરને તેમના એક સહાધ્યાયીની જ્ઞાતિ વિશે ખબર પડી. મૅરિટ લિસ્ટમાં તેમનું નામ ન જોવા મળતાં, તેમને જાણ થઈ કે એ ભાઈ દલિત છે અને અનામત બેઠક પર તેમણે આઇ.આઇ.ટી.માં પ્રવેશ મેળવ્યો છે. ત્યાંથી ભણી લીધાનાં વર્ષો પછી, અમેરિકાની વિખ્યાત આઇ.ટી. કંપની ‘સિસ્કો’/CISCOમાં વળી પાછું તે બંનેને સાથે કામ કરવાનું થયું. ત્યારે સુંદર ઐયરે બીજા ભારતીય સાથી કર્મચારીઓ સમક્ષ પોતાના જૂના સહાધ્યાયી-હાલના સહકર્મીની જ્ઞાતિ જણાવવાનું શરૂ કર્યું. ભારતીય ગમે ત્યાં હોય, પણ મોટે ભાગે તો તે જ્ઞાતિવાદનાં પોટલાં સાથે ઊંચકીને જ ગયા હોય. આઇ.આઇ.ટી.માં ભણ્યા પછી ને  ‘સિસ્કો’ જેવી કંપનીમાં જોડાયા પછી પણ એ લક્ષણ જાય? સુંદર ઐયરના આવા જ્ઞાતિવાદી પ્રચારને કારણે તેમના દલિત સહકર્મી સાથે કંપનીમાં ભેદભાવભર્યું વર્તન થવા લાગ્યું.

દલિત કર્મચારીએ સુંદર ઐયર વિરુદ્ધ આંતરિક ફરિયાદ કરી. તે તપાસમાં જાતિના આધારે થતા ભેદભાવ સામે તો આવ્યા, પણ ‘અમેરિકામાં જ્ઞાતિઆધારિત ભેદભાવો (વ્યાખ્યાયિત નહીં હોવાને કારણે) ગેરકાનૂની નથી’ તેમ કહીને તપાસ બંધ કરી દેવાઈ. સુંદર ઐયર કંપનીમાં મેનેજરના પદે હતા, જ્યારે દલિત કર્મચારી મુખ્ય એન્જિનિયર. સુંદર ઐયરે હોદ્દાનો ગેરલાભ ઉઠાવીને દલિત એન્જિનિયરને ટીમમાંથી કાઢી મૂક્યા અને તેમની બઢતી અટકાવી દીધી. ભેદભાવનો ભોગ બનેલા દલિત કર્મચારીએ કંપનીના માનવ સંસાધન વિભાગમાં લેખિત ફરિયાદ કરી. ફરી તપાસ થઈ ત્યારે કેટલાંક સહકર્મચારીઓ તરફથી જુબાની પણ મળી કે સુંદર ઐયર દલિત કર્મચારી સાથે ભેદભાવ આચરતા હતા, અને કામ માટે લાયક હોવા છતાં તેમને કંપનીમાંથી હાંકી કાઢવાની ફિરાકમાં હતા. તેમ છતાં ‘જાતિના આધારે ભેદભાવના કોઇ પુરાવા મળતા નથી’ તેમ કહીને તપાસ બંધ કરી દેવાઈ. ખરેખર તો ભેદભાવો પહેલી વારની તપાસમાં જ સામે આવી ચૂક્યા હતા.

થોડા વખત પછી સુંદરના સ્થાને નવા મેનેજર તરીકે રમણ કમ્પેલા / Ramana Kompella મેનેજર બન્યા ત્યારે પણ ભેદભાવો ચાલુ રહ્યા. હવે આ મામલે કૅલિફોર્નિયા રાજ્યની સરકારે સુંદર ઐયર, રમણ કમ્પેલા અને ‘સિસ્કો’ સામે કેસ કર્યો છે. અમેરિકામાં ‘બ્લેક લાઇવ્ઝ મૅટર’ની ચળવળ ચાલી રહી હોય, ત્યારે ‘સિસ્કો’ જેવી કંપની સામે જ્ઞાતિવાદ આધારિત ભેદભાવનો કેસ રાજ્ય સરકારે દાખલ કરવો પડે તે એક વિલક્ષણ હકીકત છે. વિરોધાભાસ એ વાતનો પણ ખરો કે જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા ઘણા ભારતીયો વંશવાદનો વિરોધ કરતી ‘બ્લેક લાઇવ્ઝ મેટર’ ચળવળના ટેકેદાર છે. બીજો વિરોધાભાસ એ છે કે ‘સિસ્કો’ હોય કે અમેરિકામાં ચાલતી ભારતીય આઇ.ટી. કંપનીઓ, તેના કરારપત્રમાં ધર્મ કે વંશ(રેસ)ના આધારે કોઈ ભેદભાવ નહીં રાખવામાં આવે, એવી બાંહેધરી હોય છે, પણ તેમાં જ્ઞાતિનો સમાવેશ થતો નથી.

દલિત કર્મચારીએ આ બાબતે ‘સિસ્કો’ના માનવ સંસાધન વિભાગનું ધ્યાન દોર્યું ત્યારે તેમને કહેવામાં આવ્યું કે વંશવાદ વિશ્વવ્યાપી છે, જ્યારે જ્ઞાતિવાદ વિશ્વવ્યાપી નથી. માટે, બહુરાષ્ટ્રીય કંપનીઓના સર્વસામાન્ય કરારમાં જ્ઞાતિનો સમાવેશ કરી શકાય નહીં. ત્રીજો વિરોધાભાસઃ ‘ફોર્ચ્યુન’ના વર્ષ 2019ના સર્વેક્ષણમાં આદર્શ કાર્યસ્થળ ધરાવતી સો કંપનીઓની યાદીમાં ‘સિસ્કો’નો નંબર બીજો હતો અને ત્યાં આવી પરિસ્થિતિ છે.

અમેરિકામાં કાર્યરત અનેક દલિત સંગઠનોએ ‘સિસ્કો’ના દલિત કર્મચારીને ટેકો જાહેર કર્યો છે. જો કે ઘણા મૂળ ભારતના અને અમેરિકામાં કામ કરતા દલિતોને લાગે છે કે ‘સિસ્કો’ના કેસથી અમેરિકામાં જ્ઞાતિઆધારિત ભેદભાવનો સત્તાવાર સ્વીકાર થશે એટલું જ. બાકી, અમેરિકામાં પણ જ્ઞાતિવાદનાં મૂળિયાં ઘણાં ઊંડાં છે.

વર્ષ 1965માં ‘ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ’ હેઠળ દરેક વંશ અને વર્ણના લોકો માટે અમેરિકન નાગરિકતા ખુલ્લી મુકાઇ. ત્યાર પહેલાં માત્ર ગોરા લોકો અમેરિકાના નાગરિક થઈ શકતા હતા. જો કે તે અગાઉ એક વિશિષ્ટ કિસ્સો વર્ષ 1913માં બન્યો હતો. મૂળ બંગાળના, પણ વૉશિંગ્ટનમાં સ્થાયી થયેલા એ.કે. મઝુમદારે અમેરિકાની નાગરિકતા માટે કરેલી અરજીમાં જણાવ્યું હતું કે તે ઊંચી જાતના આર્ય હોવાને કારણે વંશની રીતે ગોરાઓને સમકક્ષ અને અમેરિકાની નાગરિકતા માટે લાયક ગણાય. અમેરિકાની અદાલતે તેમની આવી રજૂઆત માન્ય રાખી અને તેમને નાગરિકતા મળી પણ ખરી. તેનાં દસ વરસ પછી એક શીખ ભગતસિંહ થિંડેએ પોતાની ઊંચી જાતના ધોરણે નાગરિકતા માટે અરજી કરી ત્યારે અદાલતે ઠરાવ્યું કે ફક્ત સમકક્ષતા નાગરિકતા માટેની લાયકાત નથી અને અરજદારે ગોરા હોવું જરૂરી છે. અદાલતે ભગતસિંહની નાગરિકતાની રજૂઆત ફગાવી દીધી. એટલું જ નહીં, દસ વર્ષ પહેલાં મઝુમદારને અપાયેલી નાગરિકતા પણ રદ કરવામાં આવી.

ત્યાર પછી તો કાળા લોકોએ ઉપાડેલી નાગરિક અધિકારની-સિવિલ રાઇટ્સની ચળવળને કારણે અમેરિકામાં સ્થિતિ બદલાઈ અને દાયકાઓ પછી એક કાળો માણસ વ્હાઇટ હાઉસમાં બબ્બે મુદત સુધી બિરાજમાન હોય એવું શક્ય બન્યું. ‘સિસ્કો’ સામેના કેસમાં પણ કેલિફોર્નિયાની સરકારે સિવિલ રાઇટ્સ એક્ટનો જ આશરો લીધો છે. કેમ કે, અમેરિકામાં જ્ઞાતિ આધારિત ભેદભાવો વિરુદ્ધ કોઈ કાયદો નથી. અલબત્ત, સિવિલ રાઇટ્સ એક્ટના ટાઇટલ ૭ અંતર્ગત કોઈ પણ વ્યક્તિ સાથે ધર્મ, વારસાઈ, રાષ્ટ્રીયતા/સાંસ્કૃતિકતા અને વંશ કે વર્ણના આધારે ભેદભાવ રાખવો ગેરકાનૂની છે. ઉપરાંત, ‘સિસ્કો’ સામેના કેસમાં ફેર એમ્પ્લૉયમૅન્ટ એન્ડ હાઉસિંગ એક્ટ પણ લગાડવામાં આવ્યો છે.

કેલિફોર્નિયા સરકારે ‘સિસ્કો’ સામે દાખલ કરેલા કેસમાં જણાવાયું છે કે ભારતથી અમેરિકા આવતા આશરે ૯૦ ટકા લોકો ઉપલી જ્ઞાતિના હોય છે અને ‘સિસ્કો’માં ફરિયાદી એકમાત્ર દલિત કર્મચારી હતા. (અમેરિકામાં કોર્ટ કેસમાં પુરુષ ફરિયાદીનું નામ જાહેર કરવાનું ન હોય ત્યારે તે ‘જોન ડો’ એવા સામાન્ય નામથી ઓળખાય છે) ઘણાં બિનનિવાસી ભારતીય દલિતોએ પોતાની સાથે વિદેશોમાં થતા ભેદભાવોની વાત કરી છે. તેમની રજૂઆતો મુજબ, કહેવાતી ઊંચી જાતના લોકો પોતે ‘શુદ્ધ’ શાકાહારી હોવાના મિથ્યાભિમાનમાં માંસાહાર કરતા દલિતોને હડધૂત કરે છે. ત્યાં મિત્રો વચ્ચે થતી ચર્ચાઓમાં આજે પણ મોટી સંખ્યામાં જ્ઞાતિવાદનો બચાવ કરનારા છે. એક મહિલાએ જણાવ્યું કે પોતે વાલ્મીકિ સમાજમાંથી આવતાં હોવાનું જાહેર થઈ જતાં સહકર્મચારી ભારતીયો ‘સફાઇ કર્મચારી’ તરીકે તેમની હાંસી ઉડાવતા અને ટીમની મિટિંગ પછી તેમને સફાઈકામ સોંપતા.

અનેક દલિતોએ જણાવ્યું છે કે જ્ઞાતિએ અમેરિકામાં પણ તેમનો પીછો નથી છોડ્યો. ભારતમાં થાય છે એવી જ રીતે અમેરિકામાં તેમને સામાજિક અને ધાર્મિક પ્રસંગોમાંથી બાકાત રાખવામાં આવે છે. અમેરિકામાં માનસિક ટેકારૂપ પરિવાર કે સમાજના અભાવે દલિતો વધારે મુંઝવણ અનુભવે છે. તે ત્યાં કોઈ પણ ભોગે પોતાની જાતિ છૂપાવવા મજબૂર છે. ‘ઇક્વાલિટી લેબ્સ’ના સર્વેક્ષણ મુજબ, સિલિકોન વૅલીમાં કાર્યરત 66% દલિતો કામના સ્થળે ભેદભાવોથી પીડિત છે. તેમાંથી બૌદ્ધ કે અન્ય ધર્મી ભારતીયો પણ બાકાત નથી રહી શકતા. તેમની સાથે પણ ‘ધર્મપરિવર્તન પહેલાંના દલિતો’ તરીકેનું જ વર્તન કરવામાં આવે છે. જાતિગત ભેદભાવો એટલા ક્રૂર હોય છે કે દલિતો ‘પોતાના’ ભારતીયો કરતાં સ્થાનિક સહકર્મચારી સાથે કામ કરવું વધુ પસંદ કરે છે.

સિલિકોન વૅલીમાં નોકરીની ઘણીખરી જગ્યાઓ ભલામણને આધારે ભરાતી હોય છે. દલિતો તેમાં પણ ભેદભાવનો ભોગ બને છે. કારણ કે ત્યાં કાર્યરત ઉપલી જ્ઞાતિના લોકો પોતાની જ્ઞાતિના અન્ય ઉમેદવારોની જ ભલામણ કરે છે. ‘ધ અધર વન પર્સન્ટ: ઇન્ડિયન્સ ઇન અમેરિકા’ એ સર્વેક્ષણાંમાં પુરવાર થયું છે તેમ સિલિકોન વૅલીમાં કામ કરતા 90 ટકા ભારતીયો ઉપલી જાતિના છે. અમેરિકન મતદારોમાં ઉપલી જ્ઞાતિના હિન્દુઓ નોંધપાત્ર સંખ્યામાં છે. આથી તેમનું રાજકીય કદ પણ ઉત્તરોત્તર વધતું રહ્યું છે અને જરૂર પડ્યે સરકાર પર દબાણ લાવવા પણ તે સક્ષમ થયા છે. થોડા વરસ પહેલાં કેલિફોર્નિયાની શાળાઓના અભ્યાસક્રમમાં ભારતમાં દલિતો વિરુદ્ધ થતા ભેદભાવોનો અછડતો ઉલ્લેખ આવ્યો હતો. ત્યારે રૂઢિચુસ્ત હિન્દુઓએ વાંધો ઉઠાવીને તે વાક્ય પણ પુસ્તકોમાંથી કાઢી નખાવ્યું હતું.

જ્ઞાતિગત ભેદભાવો સ્વાભાવિક રીતે અમેરિકા પૂરતા સીમિત નથી. ભારતીયો જ્યાં જઈને વસ્યા છે ત્યાં બધે જ તે ફેલાયા છે. બ્રિટનમાં સરકારે આવા ભેદભાવો વિરુદ્ધ કાયદો ઘડવાનો વાયદો કર્યો હતો, પણ જમણેરી હિન્દુઓએ પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને સરકારને પીછેહઠ કરવા ફરજ પાડી હતી. તત્કાલીન વડાપ્રધાન થેરેસા મેએ બચાવમાં કહ્યું હતું કે બ્રિટનમાં જાતિના આધારે ભેદભાવ ખૂબ ઓછા છે. જો કે 2010માં સરકારે પોતે નીમેલા કમિશને મોટા પ્રમાણમાં જ્ઞાતિ આધારિત ભેદભાવો ચલણમાં હોવાની વાત સ્વીકારી હતી. કમિશનનું સૂચન હતું કે કાયદો ઘડવામાં આવે તો મજબૂરીના માર્યા પણ ભેદભાવો ઓછા થશે.

‘સિસ્કો’ કેસમાં શું થાય છે તેના પર ‘સિસ્કો’ ઉપરાંત અનેક કંપનીઓની નજર રહેશે, કારણ કે જો આરોપ સાબિત થશે તો તેની અસર અમેરિકાની અને ત્યાં કાર્યરત-ભારતીય કર્મચારીઓ ધરાવતી તમામ બહુરાષ્ટ્રીય કંપનીઓ પર પડશે.

‘ધ વાયર’ના મુખ્ય અહેવાલ અને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના લેખ પરથી સંકલનઃ સુજાત

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 27 જુલાઈ 2020; પૃ. 09-11

 

Loading

વૈશ્વિક મહામારીના સમયમાં શિક્ષણ : ડિગ્રી મહત્ત્વની કે જીવન?

રિમ્મી વાઘેલા|Opinion - Opinion|29 July 2020

કોરોના મહામારીના સમયમાં શાળાકૉલેજો ખોલવી જોઈએ કે કેમ તે બાબતે અનેક પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે. અનેક ખાનગી શાળાઓ ઑનલાઇન શિક્ષણનાં નામે નિયમિત હોય તેના કરતાં પણ વધુ ફી વિદ્યાર્થીઓ-વાલીઓ પાસેથી ઉઘરાવી રહી છે. તો બીજી બાજુ UGCની નવી ગાઇડલાઇન પણ સપ્ટેમ્બર સુધીમાં અંતિમ વર્ષના તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ કરવાનો આદેશ આપે છે. જો કે જ્યારે પરીક્ષા લેવાનો આદેશ અપાઈ રહ્યો છે ત્યારે ભારતમાં કોરોનાના કેસ 11 લાખ સુધી પહોંચવાની તૈયારીમાં છે. તો મૃત્યુનો આંકડો 26 હજાર કરતાં પણ વધુ છે. દેશમાં રોજ સરેરાશ 35 હજાર સંક્રમણના કેસ અને 500 મૃત્યુ નોંધાઈ રહ્યા છે. અમેરિકામાં પણ આ જ પરિસ્થિતિ છે. ટ્રમ્પ સરકારે તો ત્યાં સુધી કહ્યું છે કે જે શાળાઓ શરૂ કરવામાં નહીં આવે તેમની ગ્રાન્ટ કાપી લેવામાં આવશે. (એ જુદી વાત છે કે તેમનો પુત્ર જે શાળામાં ભણે છે ત્યાંના સંચાલકોએ જ શાળા શરૂ કરવાની ના પાડી દીધી છે.)

આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીના અતિ વિકાસની વચ્ચે જીવી રહ્યા છે. તેમ છતાં અનેક વાર માનવસભ્યતા સામે અનેક પડકારો આવતા રહે છે. હાલમાં જ્યારે આપણે કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છે, ત્યારે વિશ્વએ અગાઉ મહામારી અને અન્ય કટોકટીનો સામનો કેવી રીતે કર્યો હતો, તે પણ જાણવું જોઇએ.

વિશ્વની મહાસત્તા ગણાતો દેશ અમેરિકા આજે કોરોના સંક્રમણ અને કોરોનાથી મૃત્યુમાં સમગ્ર વિશ્વમાં પ્રથમ સ્થાને છે. 2009માં જ્યારે A/h1n1નું સંક્રમણ અમેરિકામાં ફેલાયું હતું, ત્યારે એ સમયે પણ અમેરિકામાં શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. આ વાઇરસની મહત્તમ અસર હતી ત્યારે મે, 2009માં અમેરિકાની 726 જેટલી શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી, જેથી આ સંક્રમણ વધુ ફેલાય નહીં.

સ્પેનિશ ફ્લૂનો આતંક

1918 અને 1919 દરમિયાન સમગ્ર વિશ્વ સ્પેનિશ ફ્લૂનું સાક્ષી બન્યું હતું. એ સમયે સમગ્ર વિશ્વમાં 5 કરોડ જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. અમેરિકામાં એ સમયે આશરે 6 લાખ 75 હજાર લોકો મૃત્યુ પામ્યા હતા. એક તરફ પ્રથમ વિશ્વયુદ્ધની તારાજી અને બીજી તરફ આ મહામારીનો ભરડો. એ સમયે પણ અમેરિકામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ સરેરાશ લગભગ છ મહિના સુધી બંધ રાખવામાં આવી હતી. નવેમ્બર 1918ના મધ્યમાં ઉતાવળે શાળાઓ ખોલવામા આવી અને વિદ્યાર્થીઓ શાળામાં પરત ફર્યા ત્યારે એ જ મહિનાના અંતમાં સ્પેનિશ ફ્લૂનું સંક્રમણ વધી જતા ફરીથી શાળાઓ બંધ કરવી પડી હતી.

પ્રથમ વિશ્વયુદ્ધમાં રોકાયેલા સૈનિકો થકી સ્પેનિશ ફ્લૂનું સંક્રમણ સમગ્ર વિશ્વમાં ફેલાયું હતું. ભારતમાં પણ મે, 1918માં સૈનિકોને લઈને  ઇરાનથી એક જહાજ મુંબઈ આવ્યું, ત્યારે આપણા દેશમાં પણ સ્પેનિશ ફ્લૂનો ફેલાવો શરૂ થયો. જૂન મહિના સુધીમાં તો તેનું સંક્રમણ દિલ્હી, મેરઠ અને સિમલા સુધી પહોંચી ગયું હતું. એ સમયે જ્યાં પણ સ્પેનિશ ફ્લૂના સંક્રમણના કેસો મળી આવ્યા ત્યાં અને ખાસ કરીને મુંબઈમાં શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી હતી.

અન્ય આફતો

1957માં એશિયન ફ્લૂથી ઓળખાતા h2n2 વાઇરસનું સંક્રમણ અને તેનાથી સર્જાયેલી તારાજી વિશ્વએ જોઈ હતી. સંક્રમણને અટકાવવા ત્યારે પણ આપણા દેશ સહિત અનેક દેશોમાં શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી હતી.

પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહી હતી. સતત બૉમ્બમારાના કારણે આ યુદ્ધ દરમિયાન અનેક શાળાઓ કોલેજો પણ પડી ભાંગી હતી. સમગ્ર વિશ્વની મહત્તમ ભાષામાં જેનો અનુવાદ થયો છે તે 'તોત્તો ચાન'માં આવતી જાપાનની શાળા પણ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકન બૉમ્બમારાથી નાશ પામી હતી. માત્ર વિશ્વયુદ્ધ નહીં, 1929ની મહામંદી દરમિયાન પણ શાળાઓ બંધ રહી હતી. અમેરિકામાં આ મહામંદી દરમિયાન લગભગ 10 મિલિયન બાળકોને ભણાવતી 20,000 જેટલી શાળાઓ એ સમયે બંધ રાખવામાં આવી હતી.

કોરોના વાઈરસના ઉદ્ભવસ્થાન તરીકે આપણે ચીનના વુહાન શહેરને ગણી રહ્યા છીએ. આજે સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના સંક્રમણના કેસો રોજે રોજ લાખોની સંખ્યામાં વધી રહ્યા છે, ત્યારે ચીન કોરોનાના સંક્રમણ પર નિયંત્રણ મેળવી ચૂક્યું છે. કોરોના વાઇરસ સામેની લડાઈના અગત્યના પગલારૂપે ચીને પણ વુહાનમાં સૌથી પહેલાં શાળાઓ બંધ કરી હતી.

ભૂતકાળના અનુભવો અને વર્તમાનમાં પણ થઈ રહેલા અનુભવોથી વિપરીત આપણે શા માટે પરીક્ષા લેવા માટે ઉતાવળા છીએ? ફ્રાન્સ, ચીન, ઈટાલી, યુનાઇટેડ કિંગ્ડમ, સહિત અનેક દેશોએ કોરોના સંક્રમણની વચ્ચે જ શાળાઓ ખોલવાની ઉતાવળ કરી. પરંતુ સંક્રમણ વધતાં ફરીથી શાળાઓ બંધ કરી દેવી પડી હતી. આપણા દેશમાં આ અનુભવોમાંથી શીખ લેવાના બદલે સપ્ટેમ્બર સુધીમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ કરવાનો આદેશ અપાયો છે. અલબત્ત, યુ.જી.સી.એ કહ્યું છે કે સંપૂર્ણ કાળજી અને તકેદારી સાથે પરીક્ષા લેવામાં આવશે. જો કે આપણી પાસે એ પ્રમાણેની માળખાકીય સુવિધાઓ જ નથી કે શારીરિક અંતરનું વર્ગખંડમાં પાલન થઈ શકે. ઉપરાંત અનેક હૉસ્ટેલમાં કોવિડ કેર સેન્ટર ચાલી રહ્યા છે, અનેક હૉસ્ટેલ બંધ છે. ત્યારે અન્ય વિસ્તારોમાંથી ભણવા આવતા વિદ્યાર્થીઓની પરીક્ષા દરમિયાન રહેવાની વ્યવસ્થા ક્યાં કરવામાં આવશે? જે વિદ્યાર્થીના કુટુંબમાં કોઈ કોરોનાથી સંક્રમિત થયું છે અથવા તો કોરોના સંક્રમણથી મૃત્યુ પામેલાં હોય, તે વિદ્યાર્થીની માનસિક સ્થિતિ શું પરીક્ષા આપવા માટે સ્વસ્થ હોઈ શકે ખરી? આવા પ્રશ્નોના જવાબ પરીક્ષા લેવા માટે ઉતાવળા તંત્ર પાસે નથી.

e.mail : vaghelarimmi@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 27 જુલાઈ 2020; પૃ. 11-12

Loading

...102030...2,2482,2492,2502,251...2,2602,2702,280...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved