Opinion Magazine
Number of visits: 9680808
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘કેગ’ની સ્વતંત્રતા અબાધિત રહી શકશે?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|26 August 2020

ભારતના ચૌદમા કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) તરીકે ગિરીશ ચન્દ્ર મૂર્મુની નિમણૂકને કારણે ‘કેગ’ની કામગીરી અંગે ચર્ચા ઊઠી છે. ૧૯૮૫ની બેચના ગુજરાત કેડરના આઈ.એ.એસ. અધિકારી (હવે નિવૃત્ત) મૂર્મુ વડા પ્રધાન અને ગૃહ પ્રધાનના માનીતા અધિકારી હોઈ તેમની ‘કેગ’તરીકે નિમણૂકથી આ બંધારણીય સંસ્થાની તટસ્થતાને ઘસરકો લાગવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. વળી મૂર્મુની નિમણૂક વરિષ્ઠતા અને યોગ્યતાને તડકે મૂકીને થઈ હોવાની પણ દલીલો થાય છે. ઈન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ સર્વિસના સાત અધિકારીઓની વરિષ્ઠતાને બાજુમાં રાખીને હાલની વરણી થયાનું કહેવાય છે. દિલ્હીમાં ગાંધીજી અને ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની માન-વંદના કરી નવી જવાબદારી સંભાળનાર મૂર્મુ ઓડિશાના સંથાલ આદિવાસી પરિવારનું સંતાન છે. ૨૧મી નવેમ્બર ૧૯૫૯ના રોજ તેમનો જન્મ થયો હતો. ઓડિશાની પ્રતિષ્ઠિત ઉત્કલ યુનિવર્સિંટીમાંથી તેમણે રાજ્યશાસ્ત્રમાં એમ.એ. કર્યું છે અને યુનાઇટેડ કિંગ્ડમની બર્મિંઘમ યુનિવર્સિંટીના એમ.બી.એ. છે. ૧૯૮૫થી ગુજરાતમાં આઈ.એ.એસ. અધિકારી તરીકે કાર્યરત મૂર્મુએ કેગ બનતાં પૂર્વે ગુજરાતના મુખ્ય મંત્રી કાર્યાલયમાં સચિવ, ભારત સરકારના નાણાં મંત્રાલયમાં સચિવ અને જમ્મુ કશ્મીરના પ્રથમ ઉપરાજ્યપાલ તરીકે કામ કર્યું છે. ઉચ્ચ શૈક્ષણિક યોગ્યતા અને દીર્ઘ વહીવટી અનુભવ ધરાવતા મૂર્મુની સત્તાપક્ષ તરફની નિકટતા ‘કેગ’ની કામગીરી દરમિયાન સરાણે ચઢવાની છે.

સરકારી નાણાંનું અન્વેષણ (ઑડિટ) કરનારી બંધારણીય સંસ્થા ‘કેગ’ સરકારી પૈસાનો પાઈ પાઈનો હિસાબ રાખે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો, જાહેર સાહસો અને અન્ય સરકારી સંસ્થાઓની નાણાંકીય બાબતોની દેખરેખ, નિરીક્ષણ અને અન્વેષણની મહત્ત્વપૂર્ણ જવાબદારી તે નિભાવે છે. સમગ્ર દેશમાં ૧૩૩ પ્રાદેશિક કચેરીઓ સાથે તે ૫૮,૦૦૦ અધિકારીઓ-કર્મચારીઓ ધરાવે છે. છેક અંગ્રેજોના જમાનામાં ‘કેગ’ની રચના થઈ હતી. ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કે બળવા પછીના વરસે ઈસ્ટ ઈન્ડિયા કંપની પાસેથી અંગ્રેજ સરકારે ભારતનો વહીવટ સંભાળ્યો ત્યારથી જ હાલના ‘કેગ’ જેવી સરકારી નાણાંના ઓડિટની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. ૧૯૧૯માં કાયદા દ્વારા ઓડિટરના આ પદને સરકારી નિયંત્રણથી મુક્ત કરી વૈધાનિક દરજ્જો અપાયો હતો. ૧૯૩૫ના ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એકટમાં તેને વધુ શક્તિશાળી બનાવવામાં આવ્યું હતું. આઝાદી પછી ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૮થી ૧૫૧માં ‘કેગ’ સંબંધી જોગવાઈઓ કરવામાં આવી છે. ૧૯૭૧માં નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (ફરજો, સત્તાઓ અને સેવાની શરતો) અધિનિયમ ઘડાયો છે. તે મુજબ ‘કેગ’ની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ કરે છે. તેની મુદ્દત છ વરસ કે ૬૫ વરસની વય એ બેમાંથી જે વહેલું હોય તે નિર્ધારિત કરી છે. ‘કેગ’ને તેમના પદ પરથી  ન્યાયાધીશોની જેમ સંસદ ઈમ્પીચમેન્ટથી દૂર કરી શકે છે. અને તેઓ નિવૃત્તિ કે રાજીનામા પછી કોઈ સરકારી વહીવટી પદ સ્વીકારી શકતા નથી. આ બધી જોગવાઈઓ કેગના પદ અને કામગીરીને સ્વતંત્ર, સ્વાયત્ત અને તટસ્થ બનાવવા માટે કરી છે..

નિયંત્રક અને મહાલેખા પરીક્ષક કચેરીની કામગીરી નાણાકીય વરસ પૂરું થતાં શરૂ થાય છે. તેના કાર્યક્ષેત્ર હેઠળની કચેરી-સંસ્થાઓમાં તે જે ઓડિટ કરે છે, તેમાં વિધાનગૃહોએ અંદાજપત્રમાં મંજૂર કરેલ રકમનો, વધારે કે ઓછો, સંબંધિત બજેટ હેઠળ જ ખર્ચ થયો છે કે નહીં વળી યોજનાનો હેતુ આ ખર્ચથી કેટલો બર આવ્યો છે તેની ચકાસણી કરી ઓડિટ અહેવાલ આપે છે. સંસદ કે વિધાનસભાના સત્ર શરૂ થાય તે પહેલાં જ ‘કેગ’ તેનો ઓડિટ રિપોર્ટ આપી દે છે પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરાકારો તે સમયસર રજૂ કરતાં નથી, સત્રના અંતિમ દિને રજૂ કરે છે અને તેના પર ચર્ચા થવા દેતા નથી. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વર્તમાન મોદી સરકારના કાર્યકાળમાં એટલે ૨૦૧૪થી ૨૦૧૯ સુધીમાં કેગના ઘણાં રિપોર્ટ લોકસભામાં વિલંબથી રજૂ થયા છે. ૨૦૧૪માં ૩૨માંથી ૮, ૨૦૧૫માં ૩૧માંથી ૬, ૨૦૧૬માં ૪૭માંથી ૨,૨ ૦૧૭માં ૩૮માંથી ૧૦, ૨૦૧૮માં ૧૭માંથી ૮ અને ૨૦૧૯માં ૨૧માંથી ૭ કેગ રિપોર્ટ સરેરાશ ૯૦ દિવસના વિલંબથી લોકસભામાં રજૂ થયા હતા. કેગ વિપક્ષી નેતાના અધ્યક્ષપદ હેઠળની જાહેર હિસાબ સમિતિના મિત્ર અને માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે પરંતુ વિધાનગૃહોમાં રજૂ થયા પછી જ જાહેર હિસાબ સમિતિ અને જાહેર સાહસોની સમિતિ તેના પર ચર્ચા કરી શકે છે. પરંતુ સરકાર વિલંબ કરીને ચર્ચાને આંતરે છે.

જાહેર નાણાંનો દૂરુપયોગ અને ભ્રષ્ટાચાર ’કેગ’ના રિપોર્ટથી ઉજાગર થાય છે. છેલ્લા પાંચ વરસોમાં ન.મો. સરકારની યોજનાઓની ઘણી સારી-નરસી બાબતો ‘કેગ’ના રિપોર્ટને કારણે જાહેર થઈ શકી છે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેઠળની કેન્દ્ર અનુદાનિત અનૂસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપનું  ૨૦૧૨થી ૨૦૧૭ સુધીના પાંચ વરસોનું કેગે ઓડિટ કર્યું હતું. કર્ણાટક, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, પંજાબ અને તમિલનાડુ –  એ પાંચ રાજ્યોના આ યોજનાના ઓડિટમાં એવી ચોંકાવનારી વિગત જાણવા મળી કે દલિત બાળકોની સ્કોલરશીપના ૭૧ ટકા નાણાં વણવપરાયેલા રહ્યા હતા !. મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં આ પાંચ વરસોમાં મંજૂર થયેલી સ્કોલરશીપના રૂ. ૩૭૫.૩૦ કરોડ ચુકવાયા જ નહોતા. ૨૦૧૩-૧૪માં આવક મર્યાદા વધારીને રૂ.૨.૫ લાખ કરી હોવા છતાં મોટા ભાગના રાજ્યોએ વધેલી આવક મર્યાદા મુજબના વધુ વિધાર્થીઓને તેનો લાભ આપ્યો નહોતો. ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮ના વરસના ઉજ્જ્વલા ગેસ યોજનાનું ઓડિટ જણાવે છે કે સરકારનો ૮ કરોડ લાભાર્થીના લક્ષ્ય સામે ૭.૧૯ કરોડ ગેસ કનેકશન અપાયાનો દાવો હતો. પરંતુ યોજનામાં ઘણી ખામીઓ ‘કેગ’ના રિપોર્ટમાં દર્શાવાઈ હતી. આ યોજનાનો ભળતા જ લોકો લાભ લેતા હતા. જેમાં પુરુષ, સગીર કે એક જ પરિવારની અનેક વ્યક્તિઓના નામે, ભળતા નામે અને બી.પી.એલ. ન હોય તેવી વ્યક્તિઓના નામે કનેકશન હતા. એક મહિનામાં ૪૧ ગેસ સિલિન્ડર રિફિલ થયાનું તો આ વરસોમાં બિનઉજ્જવલા યોજનામાં સરેરાશ ૭.૫થી ૬.૭૩ અને ઉજ્જવલામાં ૩.૨૯થી ૨.૯૮ જેટલા ઓછા ગેસ સિલિન્ડર રિફિલ થયાનું નોંધાયું હતું.

કેગના રિપોર્ટનો રાજકીય ઉપયોગ પણ થાય છે. યુ.પી.એ.-૨ના ગાળાનો બહુ ગાજેલો ટુજી સ્પેક્ટ્રમ ગોટાળો અને કોલસા કૌભાંડ કેગના રિપોર્ટ થકી જાહેરમાં આવ્યાં હતાં. પરંતુ તત્કાલીન સંચારમંત્રી અને અધિકારીઓ કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરાયા ત્યારે સમજાયું કે કેગે જે નુકસાનીના આંકડા આપ્યા હતા તે વાસ્તવિક નહીં અંદાજિત હતા. તો હાલની સરકારના રાફેલ ગોટાળાને કેગે જ  ક્લીન ચીટ આપી હતી. આ બંને બાબતો રાજનીતિપ્રેરિત મનાય છે. એટલે ‘કેગ’ની નિમણૂકની વર્તમાન પદ્ધતિ બદલીને વધુ તટસ્થ અને સર્વસંમત પદ્ધતિ અપનાવવી જોઈએ, જેથી’ કેગ’ જેવી બંધારણીય સંસ્થાઓની સ્વતંત્રતા અબાધિત રહે. વર્તમાન ‘કેગ’ની નિમણૂકને રાજનીતિપ્રેરિત ગણનારા ટીકાકારો અને વિપક્ષો આવાં પદો પરની નિયુક્તિની પદ્ધતિ બદલીને તેને તટસ્થ કે સર્વસંમત પદ્ધતિ બનાવવા વિચારશે નહીં, ત્યાં સુધી તેમની સ્વતંત્રતા અને સ્વાયત્તતા સામે ખતરો રહેવાનો.

(તા.૨૬-૦૮-૨૦૨૦)

e.mail : maheriyachandu@gmail.com

Loading

ઈનહેલર

આશા વીરેન્દ્ર|Opinion - Short Stories|26 August 2020

એકની એક દીકરી અનુને જ્યારે ડોક્ટરે ઈનહેલર વાપરવાની સલાહ આપી ત્યારે રાખાલબાબુ ચિંતામાં પડી ગયેલા. ડોક્ટર મિત્રએ હસતાં હસતાં કહેલું, ‘રાખાલ, દીકરી ત્રીસ વરસની થવા આવી. પરણી ગઈ હોત તો તું નાનો પણ બની ગયો હોત. હવે તો એની ફિકર કરવાનું ઓછું કર! શહેરના પોલ્યુશનને કારણે કેટલા ય દરદીઓને પંપ લેવો પડે છે ને એનાથી કંઈ નુકસાન નથી થતું.’ અનુ કલકત્તામાં જ જન્મી, ઊછરી, ભણી અને હવે નોકરીએ પણ અહીં જ લાગી. ઉંમરલાયક દીકરીને મા-બાપ મુરતિયા બતાવી બતાવીને થાક્યાં પણ અનુનું મન હજી સુધી એક્કેમાં માન્યું નહોતું.

રાખાલબાબુએ એક દિવસ એને બાજુમાં બેસાડીને કહ્યું, ‘જો બેટા, હવે અમારી ઉંમર પણ વધતી જાય છે અને ચિંતા પણ વધતી જાય છે કે કાલ સવારે અમે નહીં હોઈએ ત્યારે …’ ‘પપ્પા, મને ઈમોશનલી બ્લેકમેલ કરવાનું છોડીને મૂળ મુદ્દાની વાત કરો.’

‘સારું ચાલ, સીધી જ વાત કરું તો મારી ઑફિસમાં સુકેતુ કરીને છોકરો કામ કરે છે. મારી નજરમાં એ તારે માટે વસી ગયો છે. અત્યારે ભલે એના ઘરની પરિસ્થિતિ સાધારણ છે પણ એ એટલો મહેનતુ છે કે, મને એના ઉજ્જવળ ભવિષ્યની ખાતરી છે.’

‘ક્યાં રહે છે?’

‘એનું કુટુંબ તો દુર્ગાપુર રહે છે એટલે એ અહીં પેઈંગગેસ્ટ તરીકે રહે છે.’

‘બાપ રે દુર્ગાપુર ! ના બાબા ના, મને કલકત્તા છોડીને એવા ગામડામાં ન ફાવે.’

‘પણ તારે ક્યાં ત્યાં કાયમ રહેવાનું છે? નોકરી અહીં કરે છે એટલે એ તો અહીં જ સેટલ થવાનો. એક વાર એને મળ તો ખરી! પ્લીઝ, મારે ખાતર.’ રાખાલબાબુની ઇચ્છા સામે એમની લાડકીને ભલે ઝૂકવું પડ્યું પણ મુલાકાતને અંતે પોતાનો ફેંસલો સંભળાવતાં એણે કહ્યું, ‘ઠીક છે, છોકરો સારો છે પણ પાપા, એ શહેરમાં રહેતા છોકરાઓ જેવો સ્માર્ટ નથી લાગતો.’

શનિવારે સાંજે હિંચકે બેસીને બાપ-દીકરી વચ્ચે આ સંવાદ થયો અને રવિવારે સાંજે તો રાખાલબાબુ અનંતની સફરે ઊપડી ગયા. હત્પ્રભ થઈ ગયેલાં મા અને દીકરીને સંભાળી લેવામાં સુકેતુ સૌથી પહેલો હતો. ડેથ સર્ટિફિકેટ લેવું, એમ્બ્યુલંસ માટે તજવીજ કરવી, સગાં વ્હાલાઓને ફોન કરવા, એવાં બધાં કામ એણે સહજતાથી ઉપાડી લીધેલાં. રાખાલબાબુની ઓચિંતી વિદાયને કારણે મૂઢ થઈ ગયેલી અનુને વારંવાર ઈનહેલરની જરૂર પડવા માંડેલી. સુકેતુએ મનોમન એની નોંધ લીધી હતી. એક દિવસ એણે ધીર ગંભીર અવાજે અનુને કહેલું, ‘જુઓ, મને તમારા પપ્પા માટે ખૂબ પ્રેમ અને આદર હતા. મારે માટે સાવ અજાણ્યા આ શહેરમાં શરૂઆતમાં તેઓ જ મારો આધાર બન્યા હતા. એમની ગેરહાજરીમાં તમારી સંભાળ લેવાની ફરજ સમજીને કહું તો ખરાબ ન લગાડશો કે હવે તમારે તમારાં મમ્મીને પણ સંભાળવાનાં છે. કંઈ નહીં તો એમને ખાતર પણ તમારે તબિયતનું ધ્યાન રાખવું  પડશે.’

તે દિવસે અનુએ વિચાર્યું કે પપ્પાએ બહુ વિચારપૂર્વક મારે માટે સુકેતુની પસંદગી કરી હશે. એની પરિપક્વતા જોઈને લાગે છે કે એનાથી વધુ યોગ્ય પાત્ર મને નહીં મળે. એની સંમતિ જાણીને માને પણ હાશકારો થયો. ઉતાવળે અને સાવ સાદાઈથી લેવાયેલાં લગ્ન સમયે સુકેતુના ઘરેથી કોઈ હાજર ન રહી શક્યું પણ માને પગે લાગવા વરઘોડિયાં તરત જ દુર્ગાપુર પહોંચ્યાં. ગામડાના નાનકડા ઘરમાં આટલાં બધાં લોકોને એક સાથે રહેતાં જોઈને અનુ તો ડઘાઈ જ ગઈ. એને થયું, થોડા દિવસ પણ અહીં શી રીતે રહેવાશે?

માને પગે લાગી ત્યારે એમણે સ્નેહથી એને ગળે વળગાડી અને જૂની ફેશનનો એક હાર એના હાથમાં મૂકતાં બોલ્યાં, ‘બેટા, હું જાણું છું કે, તારી પાસે તો કેટલા ય દાગીના હશે. મારો આ જૂના ઘાટનો હાર કદાચ તું પહેરીશ પણ નહીં પણ સુકેતુના બાબુજીની યાદગીરી તરીકે તને આપું છું.’ એમની આંખોમાં બોલતાં બોલતાં આવેલાં ઝળઝળિયાં જોઈ અનુથી અનાયાસે બોલાઈ ગયું, ‘ના મા, મને હાર બહુ ગમ્યો. આવો ઘાટ તો હવે જોવા પણ નથી મળતો. હું જરૂર પહેરીશ.’

નાનકડી નણદી સ્મૃતિએ શરમાતાં, સંકોચાતાં અનુને કહ્યું, ‘ભાભી, તમે તો શહેરમાં રહેવાવાળા લોકો. તમારી પસંદગી ઘણી ઊંચી હોય. મને કંઈ એવું સરસ ખરીદતાં આવડે નહીં પણ મને થયું કે, ભાભી પહેલી વાર ઘરમાં આવે છે ત્યારે મારે કંઈક આપવું જોઈએ. મારા પોકેટ મનીમાંથી ખાસ તમારા માટે આ સલવાર-સૂટ લાવી છું. તમને કેવો લાગ્યો, કહેજો.’ અનુના હાથમાં ગીફ્ટ પેકેટ મૂકીને એ ભાગી ગઈ. ભાઈ-ભાંડુઓનો પ્રેમ કેવો હોય એ અનુને ખબર જ નહોતી. આજના આ પહેલવહેલા અનુભવે એની આંખો ભીની કરી નાખી.

રાત્રે ભાભી એનો હાથ પકડીને સુંદર સજાવેલા રૂમમાં લઈ ગયાં. એમણે કહ્યું, ‘તને અહીં રહેવામાં અગવડ તો ઘણી લાગશે પણ આનાથી વધુ વ્યવસ્થા કરવાનું અમારું ગજું નથી. તમે અહીં છો એટલા દિવસ…’ ‘ના ભાભી, આ તો તમારો રૂમ છે. અહીં નહીં. હું સ્મૃતિ સાથે સૂઈ જઈશ અને સુકેતુ મા સાથે…’ ‘બસ બસ, મારી વ્હાલી દેરાણી, મને ખબર છે કે, તને મનમાં ભાવે છે ને મૂંડી હલાવે છે.’ શરમથી અનુની પાંપણો ઝૂકી ગઈ. રાત્રે રૂમમાં આવતાંની સાથે સુકેતુને યાદ આવ્યું, ‘અરે અનુ, તેં તારા સામાનમાં ઈનહેલર મૂક્યું છે કે નહીં? તને જરૂર પડશે તો?’

સુકેતુની આંખમાં આંખ પરોવતાં અનુએ કહ્યું,‘ના, એની જરૂર નહીં પડે કેમ કે, અહીં પોલ્યુશન નથી અને હા, બીજી એક વાત, તમે કહેતા હતાને કે, આપણે અહીંથી સીધાં હનીમૂન માટે જઈશું. મને થાય છે કે ફક્ત આપણે બે જ જઈએ એના કરતાં મા, ભાઈ-ભાભી, મુન્ની, સ્મૃતિ – બધાં સાથે ક્યાંક ફરવા જઈએ તો? એવો મોકો ફરી ક્યાં મળશે?’

અનુના પ્રફુલ્લિત ચહેરામાં સુકેતુ એક નવી જ અનુને જોઈ રહ્યો.

(અર્પા ઘોષની અંગ્રેજી વાર્તાને આધારે)       

સૌજન્ય : ભૂદાનમૂલક ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિનું પાક્ષિક મુખપત્ર “ભૂમિપુત્ર”, 16 ઑગસ્ટ 2020

Loading

આપણી ખોડંગાતી લોકશાહી

કમલેશ ઓઝા|Opinion - Opinion|26 August 2020

રાજકીય પડદા પર ભારત

ભારતનું રાજકારણ કરવટ બદલી ચૂક્યું છે અને તેનો પાયો ૧૯૯૨, ૬ ડિસેમ્બરે બાબરી મસ્જિદ ધ્વંસથી નંખાયો છે. હિન્દુ એક્ટીવિસ્ટો દ્વારા બાબરી મસ્જિદનો ૧૯૯૨માં ધ્વંસથી ભારતમાં સાંપ્રદાયીક ભાવનાનો તનાવ વધતો ગયો છે અને આપણા બંધારણના મુખ્ય ઉદ્દેશ્ય સમા સર્વધર્મ સમભાવના બિનસાંપ્રદાયિક ભાવના સાથેના આદર્શથી રચાયેલા ભારતની લોકશાહી સમાજ વ્યવસ્થામાં એક કાળું ટપકું તે સમયે જોવા મળેલું, જે આજે દેશભરમાં ચુસ્ત હિન્દુઇઝમના, જયશ્રી રામના નારા સાથે અનેક કટ્ટરવાદીઓ દ્વારા કરાતા ખુલ્લેઆમ માનવહત્યા કાંડ દ્વારા ગૌરી લંકેશથી માંડીને પરવેજ અન્સારીના મોબ લિંચીંગ સુધી પહોંચતા ભારતની સ્વસ્થ લોકશાહી ભારતની સ્વસ્થ લોકશાહીની ધર્મનિરપેક્ષતાની સમભાવ સદ્દભાવ પરના ખ્યાલ પર ઊભેલી ઇમારત આજે ડગુમગુ થતી હોવાનું આ કોલમ લેખકને સ્પષ્ટ લાગે છે.

ગુજરાતના ગોધરા અનુગોધરાના ૨૦૦૨ના કોઇ એક ધર્મના અસંખ્ય માનવ હત્યાકાંડની સાક્ષીએ હીરોઇઝમના નવા પ્રવેશ સાથે નરેન્દ્ર મોદીનો સત્તાકારણમાં પ્રવેશથી માંડીને ૨૦૧૯ સુધીનો સમયગાળો, જ્યાં પાર્લામેન્ટ જેવી પવિત્ર જગ્યા પર એક બાજુ જયશ્રી રામના નારા સાથે તો બીજી બાજુ આજ પાર્લામેન્ટમાં અલ્લાહો અકબરના નારાથી ગુંજતું વાતાવરણ કોઇ પણ સંવેદનશીલ નાગરિકના દિલોદિમાગને હચમચાવી નાખે છે અને આપણી લોકશાહીની ઇમારત સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી પહેલા વડા પ્રધાન નહેરુના યુગથી ૨૦૧૪ સુધીના ગાળા સુધી ધર્મનિરપેક્ષતા, સદ્દભાવ, સમભાવ અને બિનસાંપ્રદાયિક આદર્શ વિચાર સાથે અકબંધ ઊભી છે. તે ઇમારતને આજે ૨૦૧૯માં જડ હિન્દુવાદ, રાષ્ટ્રવાદના સાંપ્રદાયિક તનાવ સાથે, ડગુમગુ થતી જોવા મળતા વિચારશીલ નાગરિકો, બૌદ્ધિકો, રેશનાલિસ્ટો માટે એક ચિંતાનો વિષય બનતા આ દેશની લોકશાહી આમ જનતાની નજરમાં ખરડાયેલી જોવા મળતાં, આવનારી ઘટનાઓ સમય ક્યાં જઇને અટકશે ને ગંભીર ચિંતાનો વિષય બની ચૂક્યો છે.

દુનિયાની નજરે, ભારતની લોકશાહી જીવંત લોકશાહી છે. ડૉ. આંબેડકરે અનેક દેશોનાં બંધારણના અભ્યાસ કરી, આપણું બંધારણ ઘડ્યું છે અને આજ સુધી આપણું આ બંધારણ સર્વગ્રાહી નિવડી ચૂક્યું છે. અને નહેરુના સમય ગાળાથી શરૂ કરેલા પંચશીલ આદર્શો વરેલો આ ભારત દેશ શરૂઆતથી, આજ સુધી દુનિયાની નજરે સ્વસ્થ સમાજ વ્યવસ્થા, રાજવ્યવસ્થાના પ્રમાણમાં અદ્દભુત રીતે અનેરું સ્થાન પામી ચૂક્યો છે. તે દેશની પરિસ્થિતિ આજે બેહાલ, ભયજનક, આર્થિક તનાવ, સાંપ્રદાયિક તનાવ અને સરમુખત્યારશાહીના રસ્તે જઇ રહ્યો હોય, તેવું કોઇપણ સંવેદનશીલ નાગરિકને લાગ્યા વિના રહેતું નથી. ત્યારે આપણા સૌએ આપણી અંદરના માંહ્યલાને જગાડીને પૂછવું જોઈએ કે આવી પરિસ્થિતિના નિર્માણ માટેના જવાબદાર પરિબળો ક્યા હોઈ શકે. આ જવાબ તમને મળી જાય તો તરત જ આ પરિસ્થિતિના નિર્માણમાં કોણ કેટલું દોષી છે તેનો ખ્યાલ આવી જશે.

આ કોલમ લેખકે ૧૯૭૨થી ૨૦૦૨ સુધીના ગુજરાત તેમ જ ભારતના રાજકારણને બહુ જ નજીકથી જોયું છે. એક તટસ્થ લેખક પત્રકાર તરીકે તેમ જ કંઇક અંશે પરફેક્ટ એક્ટીવિસ્ટ તરીકે જાહેર જીવનમાં ભાગ ભજવ્યો છે. એટલે સંપૂર્ણ સ્વસ્થ રીતે રાજકારણની ચર્ચા કરતાં કહીશ કે આ દેશની પ્રગતિને રોકનારા કોઇ પરિબળો હોય તો બે મોટા પરિબળો છે જે હું આ પ્રમાણે કહી શકું :

(૧)  ભ્રષ્ટાચારનો ભોરીંગ આપણી લોકશાહીને કીડાની જેમ ખાઇ જાય છે.

(૨)  વારસાગત રાજકારણ : ખાસ કરીને ઇંદિરા યુગથી મોદી યુગ સુધી

આ બે મહારોગ છે. આ દેશની પ્રગતિને રૂંધતા પરિબળો જ્યાં સુધી આ બન્નેનો આપણે ખાત્મો નહીં બોલાવીએ તેમ જ યુવાનોમાં જાગૃતિ નહીં આવે, ત્યાં સુધી તેમ જ સૌથી મહત્ત્વની વાત ધર્મને નામે, ઊભી થતી મતબેંક અને મહાત્મા ગાંધીએ નક્કી કરેલા આદર્શ યુક્ત ભારતને તિલાંજલી. ભારતમાં વસતા ધર્મને નામે, જ્ઞાતિના નામે, અસંખ્ય માનવ ટુકડાઓમાં વહેંચી નેતાગીરીને સત્તાનશીન થતી હું જોઉં છું, ત્યારે આપણે આ દેશને ક્યાં લઇ જઇએ છીએ તેની ચિંતામાં સરી પડું છું. જો કે વારસાગત રાજકારણ અને ભ્રષ્ટાચાર બન્નેમાંથી જો કોઇ પોલિટિકલ પાર્ટી આ દેશમાં બાકાત હોય તો તે બન્ને ભારતીય સામ્યવાદી પક્ષ અને આમ આદમી પાર્ટી કેજરીવાલની નેતાગીરીની પાર્ટી આ બન્ને રાજકીય પક્ષો નહેરુયુગથી મોદીયુગ સુધી બાકાત છે. જો કે આમ આદમી પાર્ટીનો જન્મ હમણાં જ થયો, પણ હું સામ્યવાદી પાર્ટીને આ વારસાગત રાજકારણ અને ભ્રષ્ટાચારના ભોરીં ગ મુક્ત રાજકીય પક્ષ તરીકે સલામ કરી શકું.

૨૦૧૪ સુધી કૉન્ગ્રેસની સરકારના આર્થિક સુધારાએ ભારતના અર્થતંત્રને ચેતનવંતુ બનાવ્યું મનમોહનસિંહે લાયસન્સપ્રથા કાઢી નાખી ફ્રી ઇકોનોમીથી જી.ડી.પી. પણ સારો રહ્યો, પણ કોલસા કૌભાંડના ભ્રષ્ટાચારના અસંખ્ય બનાવો સાથે કૉન્ગ્રેસની સરકાર ૨૦૧૪માં ભૂંડે હાલ હારી.

નવી દિશા ઊગશે એ આશાએ ગુજરાત મોડેલ(જે લગભગભ ફેઇલ ગયું છે)ના સહારે સહારે, વિકાસની કૂચ તરફ આગળ વધશે તેવી આશા સાથે, ગુજરાતના ૨૦૦૧થી ૨૦૧૪ સુધી સતત મુખ્ય પ્રધાન તરીકે સત્તાનશીન નરેન્દ્ર મોદીના હવાલે ૨૦૧૪માં સત્તા સોંપી અને ભારતીય જનતા પાર્ટીએ દેશમાં, સારું કાઠું કાઢી સરકારમાં, બહુમતી મેળવી. પણ ૨૦૧૪થી ૨૦૧૯ સુધીના તેમના શાસન તરફ નજર નાખીએ તો અનેક અસંખ્ય યુવાનોને નોકરી નહીં આપી શકવાની અણઆવડત, આર્થિક બેહાલી, અર્થતંત્ર એકાદ હતાશા તરફ, નોટબંધી અને જી.એસ.ટી.ના અણધડ પગલાં, ખેડૂતોની આત્મહત્યાના બનાવો, સ્ત્રીઓ ઉપરના વધતા સેક્સ સ્કેન્ડલના કિસ્સા, વધતી જતી મોંઘવારી વગેરેથી એક નિષ્ફળ વડાપ્રધાનની યાદીમાં આવી ગયા પછી પણ ૨૦૧૯ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવી ૩૦૦ જેટલી માતબર સીટ્સ મેળવી એન.ડી.એ. સરકારનું સંચાલન કરવા તરફ પ્રયાણ કરતાં, દેશનો દરેક સામાન્ય માણસ, કર્મશીલ, બૌદ્ધિક, વિચારશીલ માણસ વિચારે ચડી ગયો કે આટલા નિષ્ફળ વડાપ્રધાન તરીકેની કારકિર્દી હોવા છતાં ૨૦૧૯માં બી.જે.પી.ને, નરેન્દ્ર મોદીની પાર્ટીને આવો જવલંત વિજય કેમ મળ્યો ? મારા મતે બે કારણો હોઇ શકે

(૧) હિન્દુ મતોનું ધ્રુવીકરણ

(૨) રાજકીય શૂન્યાવકાશ

સાંપ્રદાયિક ભાવનાના તનાવ સાથે, નરેન્દ્ર મોદીએ છેલ્લાં પાંચ સાલમાં કરેલાં કોઇ કામ વિશેની ગુડ ગવર્નન્સની વાત કર્યા વિના માત્ર લોકોને દેશભક્તિ, રાષ્ટ્રવાદ અને જડ ચુસ્ત હિન્દુવાદના માર્ગે ચડાવી, અકલ્પનીય વિજય મેળવ્યો અને બાલાકોટથી શરૂ કરી સર્જીકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇકના આપણા લશ્કરના અભૂતપૂર્વ કામગીરીને પોતાના નામે ચડાવી લોકોને ગુમરાહ કર્યા. દેશભક્તિ, રાષ્ટ્રવાદ અને લોકોનું ધ્યાન પાકિસ્તાન સામેની દુશ્મનીને આગળ કરી ખૂબ જ ચાલાકીપૂર્વક કુનેહયુક્ત તેમ અસંખ્ય બનાવોમાં જૂઠનો આશરો લઇ લોકોને આર્થિક બેહાલ પરિસ્થિતિ વધતી મોંઘવારી વગેરેમાંથી ગુમરાહ કરી માત્ર હિન્દુઇઝમ, દેશ ભક્તિ, રાષ્ટ્રવાદ અને પાકિસ્તાન સામેની વેરવૃત્તિને આગળ કરી તેનો આશરો લઇ પોતે જ એક સક્ષમ નેતા છે જે પાકિસ્તાન સામે લડી શકે તેમ છે. એમ કરી વિરોધપક્ષની બિલકુલ મહત્ત્વ વગરની ભૂમિકા સ્થાપી જ્વલંત વિજય મેળવી શક્યા. જે આપણે આજે જયશ્રી રામના નારાથી શરૂ કરી મોબ લિંચીંગ અને સેક્સ સ્કેન્ડલના અસંખ્ય બનાવો સાથે આપણી લોકશાહી ખોડંગાતી જોઇ શકીએ છીએ. અને આ પરિસ્થિતિ સાથે આ દેશ ક્યાં જઇને અટકશે તે વાત કોઇપણ વિચારશીલ સંવેદનશીલ નાગરિકને વિચારતા કરી મૂકે એવી છે.

e.mail : koza7024@gmail.com

Loading

...102030...2,2432,2442,2452,246...2,2502,2602,270...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved