ભારતના ચૌદમા કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) તરીકે ગિરીશ ચન્દ્ર મૂર્મુની નિમણૂકને કારણે ‘કેગ’ની કામગીરી અંગે ચર્ચા ઊઠી છે. ૧૯૮૫ની બેચના ગુજરાત કેડરના આઈ.એ.એસ. અધિકારી (હવે નિવૃત્ત) મૂર્મુ વડા પ્રધાન અને ગૃહ પ્રધાનના માનીતા અધિકારી હોઈ તેમની ‘કેગ’તરીકે નિમણૂકથી આ બંધારણીય સંસ્થાની તટસ્થતાને ઘસરકો લાગવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. વળી મૂર્મુની નિમણૂક વરિષ્ઠતા અને યોગ્યતાને તડકે મૂકીને થઈ હોવાની પણ દલીલો થાય છે. ઈન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ સર્વિસના સાત અધિકારીઓની વરિષ્ઠતાને બાજુમાં રાખીને હાલની વરણી થયાનું કહેવાય છે. દિલ્હીમાં ગાંધીજી અને ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની માન-વંદના કરી નવી જવાબદારી સંભાળનાર મૂર્મુ ઓડિશાના સંથાલ આદિવાસી પરિવારનું સંતાન છે. ૨૧મી નવેમ્બર ૧૯૫૯ના રોજ તેમનો જન્મ થયો હતો. ઓડિશાની પ્રતિષ્ઠિત ઉત્કલ યુનિવર્સિંટીમાંથી તેમણે રાજ્યશાસ્ત્રમાં એમ.એ. કર્યું છે અને યુનાઇટેડ કિંગ્ડમની બર્મિંઘમ યુનિવર્સિંટીના એમ.બી.એ. છે. ૧૯૮૫થી ગુજરાતમાં આઈ.એ.એસ. અધિકારી તરીકે કાર્યરત મૂર્મુએ કેગ બનતાં પૂર્વે ગુજરાતના મુખ્ય મંત્રી કાર્યાલયમાં સચિવ, ભારત સરકારના નાણાં મંત્રાલયમાં સચિવ અને જમ્મુ કશ્મીરના પ્રથમ ઉપરાજ્યપાલ તરીકે કામ કર્યું છે. ઉચ્ચ શૈક્ષણિક યોગ્યતા અને દીર્ઘ વહીવટી અનુભવ ધરાવતા મૂર્મુની સત્તાપક્ષ તરફની નિકટતા ‘કેગ’ની કામગીરી દરમિયાન સરાણે ચઢવાની છે.
સરકારી નાણાંનું અન્વેષણ (ઑડિટ) કરનારી બંધારણીય સંસ્થા ‘કેગ’ સરકારી પૈસાનો પાઈ પાઈનો હિસાબ રાખે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો, જાહેર સાહસો અને અન્ય સરકારી સંસ્થાઓની નાણાંકીય બાબતોની દેખરેખ, નિરીક્ષણ અને અન્વેષણની મહત્ત્વપૂર્ણ જવાબદારી તે નિભાવે છે. સમગ્ર દેશમાં ૧૩૩ પ્રાદેશિક કચેરીઓ સાથે તે ૫૮,૦૦૦ અધિકારીઓ-કર્મચારીઓ ધરાવે છે. છેક અંગ્રેજોના જમાનામાં ‘કેગ’ની રચના થઈ હતી. ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કે બળવા પછીના વરસે ઈસ્ટ ઈન્ડિયા કંપની પાસેથી અંગ્રેજ સરકારે ભારતનો વહીવટ સંભાળ્યો ત્યારથી જ હાલના ‘કેગ’ જેવી સરકારી નાણાંના ઓડિટની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. ૧૯૧૯માં કાયદા દ્વારા ઓડિટરના આ પદને સરકારી નિયંત્રણથી મુક્ત કરી વૈધાનિક દરજ્જો અપાયો હતો. ૧૯૩૫ના ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એકટમાં તેને વધુ શક્તિશાળી બનાવવામાં આવ્યું હતું. આઝાદી પછી ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૮થી ૧૫૧માં ‘કેગ’ સંબંધી જોગવાઈઓ કરવામાં આવી છે. ૧૯૭૧માં નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (ફરજો, સત્તાઓ અને સેવાની શરતો) અધિનિયમ ઘડાયો છે. તે મુજબ ‘કેગ’ની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ કરે છે. તેની મુદ્દત છ વરસ કે ૬૫ વરસની વય એ બેમાંથી જે વહેલું હોય તે નિર્ધારિત કરી છે. ‘કેગ’ને તેમના પદ પરથી ન્યાયાધીશોની જેમ સંસદ ઈમ્પીચમેન્ટથી દૂર કરી શકે છે. અને તેઓ નિવૃત્તિ કે રાજીનામા પછી કોઈ સરકારી વહીવટી પદ સ્વીકારી શકતા નથી. આ બધી જોગવાઈઓ કેગના પદ અને કામગીરીને સ્વતંત્ર, સ્વાયત્ત અને તટસ્થ બનાવવા માટે કરી છે..
નિયંત્રક અને મહાલેખા પરીક્ષક કચેરીની કામગીરી નાણાકીય વરસ પૂરું થતાં શરૂ થાય છે. તેના કાર્યક્ષેત્ર હેઠળની કચેરી-સંસ્થાઓમાં તે જે ઓડિટ કરે છે, તેમાં વિધાનગૃહોએ અંદાજપત્રમાં મંજૂર કરેલ રકમનો, વધારે કે ઓછો, સંબંધિત બજેટ હેઠળ જ ખર્ચ થયો છે કે નહીં વળી યોજનાનો હેતુ આ ખર્ચથી કેટલો બર આવ્યો છે તેની ચકાસણી કરી ઓડિટ અહેવાલ આપે છે. સંસદ કે વિધાનસભાના સત્ર શરૂ થાય તે પહેલાં જ ‘કેગ’ તેનો ઓડિટ રિપોર્ટ આપી દે છે પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરાકારો તે સમયસર રજૂ કરતાં નથી, સત્રના અંતિમ દિને રજૂ કરે છે અને તેના પર ચર્ચા થવા દેતા નથી. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વર્તમાન મોદી સરકારના કાર્યકાળમાં એટલે ૨૦૧૪થી ૨૦૧૯ સુધીમાં કેગના ઘણાં રિપોર્ટ લોકસભામાં વિલંબથી રજૂ થયા છે. ૨૦૧૪માં ૩૨માંથી ૮, ૨૦૧૫માં ૩૧માંથી ૬, ૨૦૧૬માં ૪૭માંથી ૨,૨ ૦૧૭માં ૩૮માંથી ૧૦, ૨૦૧૮માં ૧૭માંથી ૮ અને ૨૦૧૯માં ૨૧માંથી ૭ કેગ રિપોર્ટ સરેરાશ ૯૦ દિવસના વિલંબથી લોકસભામાં રજૂ થયા હતા. કેગ વિપક્ષી નેતાના અધ્યક્ષપદ હેઠળની જાહેર હિસાબ સમિતિના મિત્ર અને માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે પરંતુ વિધાનગૃહોમાં રજૂ થયા પછી જ જાહેર હિસાબ સમિતિ અને જાહેર સાહસોની સમિતિ તેના પર ચર્ચા કરી શકે છે. પરંતુ સરકાર વિલંબ કરીને ચર્ચાને આંતરે છે.
જાહેર નાણાંનો દૂરુપયોગ અને ભ્રષ્ટાચાર ’કેગ’ના રિપોર્ટથી ઉજાગર થાય છે. છેલ્લા પાંચ વરસોમાં ન.મો. સરકારની યોજનાઓની ઘણી સારી-નરસી બાબતો ‘કેગ’ના રિપોર્ટને કારણે જાહેર થઈ શકી છે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેઠળની કેન્દ્ર અનુદાનિત અનૂસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપનું ૨૦૧૨થી ૨૦૧૭ સુધીના પાંચ વરસોનું કેગે ઓડિટ કર્યું હતું. કર્ણાટક, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, પંજાબ અને તમિલનાડુ – એ પાંચ રાજ્યોના આ યોજનાના ઓડિટમાં એવી ચોંકાવનારી વિગત જાણવા મળી કે દલિત બાળકોની સ્કોલરશીપના ૭૧ ટકા નાણાં વણવપરાયેલા રહ્યા હતા !. મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં આ પાંચ વરસોમાં મંજૂર થયેલી સ્કોલરશીપના રૂ. ૩૭૫.૩૦ કરોડ ચુકવાયા જ નહોતા. ૨૦૧૩-૧૪માં આવક મર્યાદા વધારીને રૂ.૨.૫ લાખ કરી હોવા છતાં મોટા ભાગના રાજ્યોએ વધેલી આવક મર્યાદા મુજબના વધુ વિધાર્થીઓને તેનો લાભ આપ્યો નહોતો. ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮ના વરસના ઉજ્જ્વલા ગેસ યોજનાનું ઓડિટ જણાવે છે કે સરકારનો ૮ કરોડ લાભાર્થીના લક્ષ્ય સામે ૭.૧૯ કરોડ ગેસ કનેકશન અપાયાનો દાવો હતો. પરંતુ યોજનામાં ઘણી ખામીઓ ‘કેગ’ના રિપોર્ટમાં દર્શાવાઈ હતી. આ યોજનાનો ભળતા જ લોકો લાભ લેતા હતા. જેમાં પુરુષ, સગીર કે એક જ પરિવારની અનેક વ્યક્તિઓના નામે, ભળતા નામે અને બી.પી.એલ. ન હોય તેવી વ્યક્તિઓના નામે કનેકશન હતા. એક મહિનામાં ૪૧ ગેસ સિલિન્ડર રિફિલ થયાનું તો આ વરસોમાં બિનઉજ્જવલા યોજનામાં સરેરાશ ૭.૫થી ૬.૭૩ અને ઉજ્જવલામાં ૩.૨૯થી ૨.૯૮ જેટલા ઓછા ગેસ સિલિન્ડર રિફિલ થયાનું નોંધાયું હતું.
કેગના રિપોર્ટનો રાજકીય ઉપયોગ પણ થાય છે. યુ.પી.એ.-૨ના ગાળાનો બહુ ગાજેલો ટુજી સ્પેક્ટ્રમ ગોટાળો અને કોલસા કૌભાંડ કેગના રિપોર્ટ થકી જાહેરમાં આવ્યાં હતાં. પરંતુ તત્કાલીન સંચારમંત્રી અને અધિકારીઓ કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરાયા ત્યારે સમજાયું કે કેગે જે નુકસાનીના આંકડા આપ્યા હતા તે વાસ્તવિક નહીં અંદાજિત હતા. તો હાલની સરકારના રાફેલ ગોટાળાને કેગે જ ક્લીન ચીટ આપી હતી. આ બંને બાબતો રાજનીતિપ્રેરિત મનાય છે. એટલે ‘કેગ’ની નિમણૂકની વર્તમાન પદ્ધતિ બદલીને વધુ તટસ્થ અને સર્વસંમત પદ્ધતિ અપનાવવી જોઈએ, જેથી’ કેગ’ જેવી બંધારણીય સંસ્થાઓની સ્વતંત્રતા અબાધિત રહે. વર્તમાન ‘કેગ’ની નિમણૂકને રાજનીતિપ્રેરિત ગણનારા ટીકાકારો અને વિપક્ષો આવાં પદો પરની નિયુક્તિની પદ્ધતિ બદલીને તેને તટસ્થ કે સર્વસંમત પદ્ધતિ બનાવવા વિચારશે નહીં, ત્યાં સુધી તેમની સ્વતંત્રતા અને સ્વાયત્તતા સામે ખતરો રહેવાનો.
(તા.૨૬-૦૮-૨૦૨૦)
e.mail : maheriyachandu@gmail.com