રાજકીય પડદા પર ભારત
ભારતનું રાજકારણ કરવટ બદલી ચૂક્યું છે અને તેનો પાયો ૧૯૯૨, ૬ ડિસેમ્બરે બાબરી મસ્જિદ ધ્વંસથી નંખાયો છે. હિન્દુ એક્ટીવિસ્ટો દ્વારા બાબરી મસ્જિદનો ૧૯૯૨માં ધ્વંસથી ભારતમાં સાંપ્રદાયીક ભાવનાનો તનાવ વધતો ગયો છે અને આપણા બંધારણના મુખ્ય ઉદ્દેશ્ય સમા સર્વધર્મ સમભાવના બિનસાંપ્રદાયિક ભાવના સાથેના આદર્શથી રચાયેલા ભારતની લોકશાહી સમાજ વ્યવસ્થામાં એક કાળું ટપકું તે સમયે જોવા મળેલું, જે આજે દેશભરમાં ચુસ્ત હિન્દુઇઝમના, જયશ્રી રામના નારા સાથે અનેક કટ્ટરવાદીઓ દ્વારા કરાતા ખુલ્લેઆમ માનવહત્યા કાંડ દ્વારા ગૌરી લંકેશથી માંડીને પરવેજ અન્સારીના મોબ લિંચીંગ સુધી પહોંચતા ભારતની સ્વસ્થ લોકશાહી ભારતની સ્વસ્થ લોકશાહીની ધર્મનિરપેક્ષતાની સમભાવ સદ્દભાવ પરના ખ્યાલ પર ઊભેલી ઇમારત આજે ડગુમગુ થતી હોવાનું આ કોલમ લેખકને સ્પષ્ટ લાગે છે.
ગુજરાતના ગોધરા અનુગોધરાના ૨૦૦૨ના કોઇ એક ધર્મના અસંખ્ય માનવ હત્યાકાંડની સાક્ષીએ હીરોઇઝમના નવા પ્રવેશ સાથે નરેન્દ્ર મોદીનો સત્તાકારણમાં પ્રવેશથી માંડીને ૨૦૧૯ સુધીનો સમયગાળો, જ્યાં પાર્લામેન્ટ જેવી પવિત્ર જગ્યા પર એક બાજુ જયશ્રી રામના નારા સાથે તો બીજી બાજુ આજ પાર્લામેન્ટમાં અલ્લાહો અકબરના નારાથી ગુંજતું વાતાવરણ કોઇ પણ સંવેદનશીલ નાગરિકના દિલોદિમાગને હચમચાવી નાખે છે અને આપણી લોકશાહીની ઇમારત સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી પહેલા વડા પ્રધાન નહેરુના યુગથી ૨૦૧૪ સુધીના ગાળા સુધી ધર્મનિરપેક્ષતા, સદ્દભાવ, સમભાવ અને બિનસાંપ્રદાયિક આદર્શ વિચાર સાથે અકબંધ ઊભી છે. તે ઇમારતને આજે ૨૦૧૯માં જડ હિન્દુવાદ, રાષ્ટ્રવાદના સાંપ્રદાયિક તનાવ સાથે, ડગુમગુ થતી જોવા મળતા વિચારશીલ નાગરિકો, બૌદ્ધિકો, રેશનાલિસ્ટો માટે એક ચિંતાનો વિષય બનતા આ દેશની લોકશાહી આમ જનતાની નજરમાં ખરડાયેલી જોવા મળતાં, આવનારી ઘટનાઓ સમય ક્યાં જઇને અટકશે ને ગંભીર ચિંતાનો વિષય બની ચૂક્યો છે.
દુનિયાની નજરે, ભારતની લોકશાહી જીવંત લોકશાહી છે. ડૉ. આંબેડકરે અનેક દેશોનાં બંધારણના અભ્યાસ કરી, આપણું બંધારણ ઘડ્યું છે અને આજ સુધી આપણું આ બંધારણ સર્વગ્રાહી નિવડી ચૂક્યું છે. અને નહેરુના સમય ગાળાથી શરૂ કરેલા પંચશીલ આદર્શો વરેલો આ ભારત દેશ શરૂઆતથી, આજ સુધી દુનિયાની નજરે સ્વસ્થ સમાજ વ્યવસ્થા, રાજવ્યવસ્થાના પ્રમાણમાં અદ્દભુત રીતે અનેરું સ્થાન પામી ચૂક્યો છે. તે દેશની પરિસ્થિતિ આજે બેહાલ, ભયજનક, આર્થિક તનાવ, સાંપ્રદાયિક તનાવ અને સરમુખત્યારશાહીના રસ્તે જઇ રહ્યો હોય, તેવું કોઇપણ સંવેદનશીલ નાગરિકને લાગ્યા વિના રહેતું નથી. ત્યારે આપણા સૌએ આપણી અંદરના માંહ્યલાને જગાડીને પૂછવું જોઈએ કે આવી પરિસ્થિતિના નિર્માણ માટેના જવાબદાર પરિબળો ક્યા હોઈ શકે. આ જવાબ તમને મળી જાય તો તરત જ આ પરિસ્થિતિના નિર્માણમાં કોણ કેટલું દોષી છે તેનો ખ્યાલ આવી જશે.
આ કોલમ લેખકે ૧૯૭૨થી ૨૦૦૨ સુધીના ગુજરાત તેમ જ ભારતના રાજકારણને બહુ જ નજીકથી જોયું છે. એક તટસ્થ લેખક પત્રકાર તરીકે તેમ જ કંઇક અંશે પરફેક્ટ એક્ટીવિસ્ટ તરીકે જાહેર જીવનમાં ભાગ ભજવ્યો છે. એટલે સંપૂર્ણ સ્વસ્થ રીતે રાજકારણની ચર્ચા કરતાં કહીશ કે આ દેશની પ્રગતિને રોકનારા કોઇ પરિબળો હોય તો બે મોટા પરિબળો છે જે હું આ પ્રમાણે કહી શકું :
(૧) ભ્રષ્ટાચારનો ભોરીંગ આપણી લોકશાહીને કીડાની જેમ ખાઇ જાય છે.
(૨) વારસાગત રાજકારણ : ખાસ કરીને ઇંદિરા યુગથી મોદી યુગ સુધી
આ બે મહારોગ છે. આ દેશની પ્રગતિને રૂંધતા પરિબળો જ્યાં સુધી આ બન્નેનો આપણે ખાત્મો નહીં બોલાવીએ તેમ જ યુવાનોમાં જાગૃતિ નહીં આવે, ત્યાં સુધી તેમ જ સૌથી મહત્ત્વની વાત ધર્મને નામે, ઊભી થતી મતબેંક અને મહાત્મા ગાંધીએ નક્કી કરેલા આદર્શ યુક્ત ભારતને તિલાંજલી. ભારતમાં વસતા ધર્મને નામે, જ્ઞાતિના નામે, અસંખ્ય માનવ ટુકડાઓમાં વહેંચી નેતાગીરીને સત્તાનશીન થતી હું જોઉં છું, ત્યારે આપણે આ દેશને ક્યાં લઇ જઇએ છીએ તેની ચિંતામાં સરી પડું છું. જો કે વારસાગત રાજકારણ અને ભ્રષ્ટાચાર બન્નેમાંથી જો કોઇ પોલિટિકલ પાર્ટી આ દેશમાં બાકાત હોય તો તે બન્ને ભારતીય સામ્યવાદી પક્ષ અને આમ આદમી પાર્ટી કેજરીવાલની નેતાગીરીની પાર્ટી આ બન્ને રાજકીય પક્ષો નહેરુયુગથી મોદીયુગ સુધી બાકાત છે. જો કે આમ આદમી પાર્ટીનો જન્મ હમણાં જ થયો, પણ હું સામ્યવાદી પાર્ટીને આ વારસાગત રાજકારણ અને ભ્રષ્ટાચારના ભોરીં ગ મુક્ત રાજકીય પક્ષ તરીકે સલામ કરી શકું.
૨૦૧૪ સુધી કૉન્ગ્રેસની સરકારના આર્થિક સુધારાએ ભારતના અર્થતંત્રને ચેતનવંતુ બનાવ્યું મનમોહનસિંહે લાયસન્સપ્રથા કાઢી નાખી ફ્રી ઇકોનોમીથી જી.ડી.પી. પણ સારો રહ્યો, પણ કોલસા કૌભાંડના ભ્રષ્ટાચારના અસંખ્ય બનાવો સાથે કૉન્ગ્રેસની સરકાર ૨૦૧૪માં ભૂંડે હાલ હારી.
નવી દિશા ઊગશે એ આશાએ ગુજરાત મોડેલ(જે લગભગભ ફેઇલ ગયું છે)ના સહારે સહારે, વિકાસની કૂચ તરફ આગળ વધશે તેવી આશા સાથે, ગુજરાતના ૨૦૦૧થી ૨૦૧૪ સુધી સતત મુખ્ય પ્રધાન તરીકે સત્તાનશીન નરેન્દ્ર મોદીના હવાલે ૨૦૧૪માં સત્તા સોંપી અને ભારતીય જનતા પાર્ટીએ દેશમાં, સારું કાઠું કાઢી સરકારમાં, બહુમતી મેળવી. પણ ૨૦૧૪થી ૨૦૧૯ સુધીના તેમના શાસન તરફ નજર નાખીએ તો અનેક અસંખ્ય યુવાનોને નોકરી નહીં આપી શકવાની અણઆવડત, આર્થિક બેહાલી, અર્થતંત્ર એકાદ હતાશા તરફ, નોટબંધી અને જી.એસ.ટી.ના અણધડ પગલાં, ખેડૂતોની આત્મહત્યાના બનાવો, સ્ત્રીઓ ઉપરના વધતા સેક્સ સ્કેન્ડલના કિસ્સા, વધતી જતી મોંઘવારી વગેરેથી એક નિષ્ફળ વડાપ્રધાનની યાદીમાં આવી ગયા પછી પણ ૨૦૧૯ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવી ૩૦૦ જેટલી માતબર સીટ્સ મેળવી એન.ડી.એ. સરકારનું સંચાલન કરવા તરફ પ્રયાણ કરતાં, દેશનો દરેક સામાન્ય માણસ, કર્મશીલ, બૌદ્ધિક, વિચારશીલ માણસ વિચારે ચડી ગયો કે આટલા નિષ્ફળ વડાપ્રધાન તરીકેની કારકિર્દી હોવા છતાં ૨૦૧૯માં બી.જે.પી.ને, નરેન્દ્ર મોદીની પાર્ટીને આવો જવલંત વિજય કેમ મળ્યો ? મારા મતે બે કારણો હોઇ શકે
(૧) હિન્દુ મતોનું ધ્રુવીકરણ
(૨) રાજકીય શૂન્યાવકાશ
સાંપ્રદાયિક ભાવનાના તનાવ સાથે, નરેન્દ્ર મોદીએ છેલ્લાં પાંચ સાલમાં કરેલાં કોઇ કામ વિશેની ગુડ ગવર્નન્સની વાત કર્યા વિના માત્ર લોકોને દેશભક્તિ, રાષ્ટ્રવાદ અને જડ ચુસ્ત હિન્દુવાદના માર્ગે ચડાવી, અકલ્પનીય વિજય મેળવ્યો અને બાલાકોટથી શરૂ કરી સર્જીકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇકના આપણા લશ્કરના અભૂતપૂર્વ કામગીરીને પોતાના નામે ચડાવી લોકોને ગુમરાહ કર્યા. દેશભક્તિ, રાષ્ટ્રવાદ અને લોકોનું ધ્યાન પાકિસ્તાન સામેની દુશ્મનીને આગળ કરી ખૂબ જ ચાલાકીપૂર્વક કુનેહયુક્ત તેમ અસંખ્ય બનાવોમાં જૂઠનો આશરો લઇ લોકોને આર્થિક બેહાલ પરિસ્થિતિ વધતી મોંઘવારી વગેરેમાંથી ગુમરાહ કરી માત્ર હિન્દુઇઝમ, દેશ ભક્તિ, રાષ્ટ્રવાદ અને પાકિસ્તાન સામેની વેરવૃત્તિને આગળ કરી તેનો આશરો લઇ પોતે જ એક સક્ષમ નેતા છે જે પાકિસ્તાન સામે લડી શકે તેમ છે. એમ કરી વિરોધપક્ષની બિલકુલ મહત્ત્વ વગરની ભૂમિકા સ્થાપી જ્વલંત વિજય મેળવી શક્યા. જે આપણે આજે જયશ્રી રામના નારાથી શરૂ કરી મોબ લિંચીંગ અને સેક્સ સ્કેન્ડલના અસંખ્ય બનાવો સાથે આપણી લોકશાહી ખોડંગાતી જોઇ શકીએ છીએ. અને આ પરિસ્થિતિ સાથે આ દેશ ક્યાં જઇને અટકશે તે વાત કોઇપણ વિચારશીલ સંવેદનશીલ નાગરિકને વિચારતા કરી મૂકે એવી છે.
e.mail : koza7024@gmail.com