Opinion Magazine
Number of visits: 9574610
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજીએ સૌથી ઓછો પ્રવાસ કાઠિયાવાડમાં કર્યો હતો

રમેશ ઓઝા|Opinion - Opinion|2 August 2020

ખટપટ, અતિશયોક્તિ, અરાજકતા અને પાખંડી પણ પૂજાય એવી ધાર્મિકતા કાઠિયાવાડના સ્વભાવ-લક્ષણો હતાં જેનો ગાંધીજીને બાળપણથી અનુભવ થવા લાગ્યો હતો. ખાસ કરીને રજવાડાઓનું કારભારું કરનારા દીવાન પરિવારમાં ગાંધીજીનો જન્મ થયો હતો એટલે તેમને આનો નજીકથી પરિચય હતો. ગાંધીજીની આત્મકથામાં અને અન્યત્ર આના ઉલ્લેખ મળે છે. ખાસ કરીને અતિશયોક્તિ, ખટપટ અને ગાંડી ધાર્મિકતાનાં કાઠિયાવાડી લક્ષણો માટે ગાંધીજીને તીવ્ર અણગમો હતો. કેટલીકવાર તો ગાંધીજીને ફરિયાદ પણ કરવામાં આવતી હતી કે તેઓ કાઠિયાવાડની બાબતમાં અનુદાર છે અને અન્યાય કરી રહ્યા છે. ગાંધીજીના અક્ષરદેહમાં આના સેંકડો ઉલ્લેખો મળે છે.

અહીં બે પ્રમાણ આપી શકાય. ભારત આવ્યા પછી ગાંધીજીએ જેટલું ભારતભ્રમણ કર્યું હતું એટલું ભારતના કોઈ બીજા નેતાએ નહોતું કર્યું. ગાંધીજીએ પોતે અનેક વખત આમ કહ્યું છે. પણ એમાં જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ કે ગાંધીજીએ સૌથી ઓછો પ્રવાસ કાઠિયાવાડમાં કર્યો હતો. બીજી એક વાત પણ નોંધવી જોઈએ. ગાંધીજીએ તેમના જીવનમાં જેટલી લડતો લડી એમાં તેમને સરિયામ નિષ્ફળતા મળી હોય એવી એક જ ઘટના છે અને એ ઘટના કાઠિયાવાડની છે. રાજકોટમાં ૧૯૩૮-૧૯૩૯માં દીવાન વીરાવાળા સામેનો ગાંધીજીનો સત્યાગ્રહ નિષ્ફળ નીવડ્યો હતો.

કોઈ માણસ ખટપટ કરીને સ્વજન સાથે દ્રોહ, અતિશયોક્તિ કરીને સત્ય સાથે દ્રોહ અને ધાર્મિકતામાં આંધળો બનીને ઈશ્વર સાથે દ્રોહ કેવી રીતે કરી શકે, એટલું જ નહીં, આખું આયખું કેવી રીતે વિતાવી શકે એ તેમને માટે કવરાવનારો સવાલ હતો. સત્ય, સ્વજન (કે પછી કોઈ પણ માણસ) અને ઈશ્વર સાથે દ્રોહ કરવામાં આવતો હોય અને તેને વ્યવહારબુદ્ધિ કે હોંશિયારી તરીકે ઉચિત ઠેરવવામાં આવે એ ગાંધીજીને ગળે ઉતરતું નહોતું. ગાંધીજીના જીવનમાં અતિશયોક્તિરહિત નક્કર સત્ય, સત્ય આધારિત પારદર્શક સામાજિક સંબંધો (જેમાંથી સત્યનિષ્ઠ રાજકારણ તેઓ વિકસાવે છે) અને કર્મકાંડમુક્ત અધ્યાત્મ આવી મળે છે એનું કારણ તેમનો કાઠિયાવાડમાં થયેલો જન્મ અને ઉછેર છે એમ હું માનું છું.

અને હજુ એક ચોથું લક્ષણ અ-રાજકતા. અ-રાજકતાનો અર્થ સારા અને નરસા એમ બન્ને અંતિમે કરવામાં આવે છે. જ્યાં કાયદો અને વ્યવસ્થા ન હોય, જ્યાં લાઠી એની ભેંસનો ન્યાય પ્રવર્તતો હોય, જ્યાં ટકે શેર ભાજી ટકે શેર ખાજાનો ન્યાય ચાલતો હોય એને અરાજકતા કહેવામાં આવે છે. જગતમાં અરાજકતાનો પ્રચલિત અર્થ આ છે. અ-રાજકતાનો એક ઉદાત્ત અર્થ પણ છે. જ્યાં પ્રજા રાજ્ય પર ઓછામાં ઓછી નિર્ભર હોય, રાજ્યનિરપેક્ષ હોય, રાજ્યનું પ્રજા ઉપર ઓછામાં ઓછું, લગભગ નહીંવત શાસન હોય એને પણ અ-રાજકતા કહેવામાં આવે છે. આનો અર્થ થયો પ્રજાકીય આત્મનિર્ભરતા, પ્રજાકીય સ્વાવલંબન, પ્રજાકીય સહયોગ અથવા ભાગીદારી અને પ્રજાકીય સ્વ-રાજ. આગળ જતા વ્યક્તિ ઉપરનું વ્યક્તિનું રાજ. સ્વાનુશાસન જેનો ગાંધીજીએ સ્વરાજ્ય તરીકે મહિમા કર્યો છે.

ગાંધીજીને તેમનાં બાળપણમાં આ બંને પ્રકારની અરાજકતાનો અનુભવ થયો હતો. કાયદો અને વ્યવસ્થા વિનાની અરાજકતાનો પણ ખરો અને બીજા પ્રકારની આત્મનિર્ભરતાવાળી અરાજકતાનો પણ ખરો. બીજા પ્રકારની અરાજકતા પહેલા પ્રકારની અરાજકતાનું પરિણામ હતી. લોકોએ પોતાના ભરોસે જીવવાનું હતું અને પોતાના ભરોસે બચવાનું હતું. સામાજિક પ્રશ્નો પણ પોતાના દ્વારા, પોતાના ભરોસે અને પોતાના સ્તરે ઉકેલવાના હતા. વિઘોટી ઉઘરાવવા સિવાય રાજ્ય ગામડાનાં લોકો સુધી પહોંચતું નહોતું એટલે ગામડાં તેની દરેક પ્રકારની વિકૃતિ પછી પણ સ્વાયત્ત હતાં.

જે વિકૃતિ હતી એ મધ્યકાલીન સામાજિક રીતીરિવાજની હતી. જ્ઞાતિનાં બંધનો સખત હતાં. બિહારને પણ પાછળ રાખી દે એવાં. ધાર્મિક અભિગમ પણ અંધશ્રદ્ધાયુક્ત સનાતની હતો. ગાંધીજીને અસ્પૃશ્યતાનિવારણના કાર્યમાં સૌથી વધુ જો વિરોધનો સામનો કરવો પડ્યો હોય તો એ સૌરાષ્ટ્રમાં. આમાંથી ગાંધીજીને એક વાત સમજાઈ હોવી જોઈએ કે પ્રજા રાજ્ય વિના અથવા ઓછામાં ઓછા રાજ્ય સાથે જીવી શકે છે. રાજ્યની વર્તાય અને વજન અનુભવાય એવી હાજરીની કોઈ જરૂર જ નથી. ઊલટું એ અવરોધરૂપ બની શકે એમ છે. ગામડાંઓમાં પ્રવર્તતા જૂનવાણી રીતિરિવાજ, સામાજિક અન્યાય, અંધશ્રદ્ધા જેવી બદીઓને જો દૂર કરવામાં આવે તો બીજી દરેક રીતે સ્વાયત્ત ગામડું એક આદર્શ ગામડું બની શકે. ગાંધીજીની ગ્રામ સ્વરાજની કલ્પના પણ આમાંથી વિકસી હોવી જોઈએ.

કાઠિયાવાડમાં જો કોઈ રાજ્યની હડફેટે આવી જતું તો તેને ન્યાય મળે એવી શક્યતા બહુ ઓછી રહેતી એટલે કાઠિયાવાડમાં ત્રાગાંની પરંપરા વિકસી હતી. ત્રાગું એ શાસકોને ઝૂકાવવા માટેનું એક સાધન હતું. જો મને ન્યાય નહીં મળે તો હું દરબાર ગઢની બહાર મારો જાન આપી દઈશ એવી કોઈ ધમકી આપે એને ત્રાગું કહેવાતું. અને ખરેખર જાન આપી દેવાની ઘટના બનતી પણ ખરી. જાન આપી દેવાનો એક ઉપાય આમરણાંત ઉપવાસ રહેતો. મોટા ભાગે તો શાસકો માની જતા. ગાંધીજીના સત્યાગ્રહનાં અને ઉપવાસનાં બીજ આમાં હોય એવી શક્યતા છે. જો કે ગાંધીજીએ આમ કહ્યું નથી એ જુદી વાત છે.

ગાંધીજીના અભ્યાસકોએ ગાંધીજીનાં ઘડતરમાં કાઠિયાવાડની ખાસ પ્રકારની સ્થિતિએ જે ભાગ ભજવ્યો છે તેની બહુ ઓછી વાત કરી છે, પણ એ સંબંધ જોડવા જેવો છે. જૂઠ કે અતિશયોક્તિ વિનાની સત્યનિષ્ઠા, દરેક પ્રકારના વ્યવહારમાં પારદર્શકતા તે ત્યાં સુધી કે રાજકારણમાં પણ સાધનશુદ્ધિની સ્વચ્છતા, આડંબર વિનાની ઈશ્વરાભિમુખ ધાર્મિકતા, આત્મનિર્ભરતા, ગ્રામીણ સ્વાવલંબન અને પોતાના ભરોસે અન્યાસ સામે લડવાની ક્ષમતા અર્થાત્ આત્મબળ અને આત્મભોગ વગેરે ગાંધીજીનાં જીવનમાં જે જોવાં મળે છે એ તમામ ૧૯મી સદીના કાઠિયાવાડની વાસ્તવિકતા હતાં અને એ સાથે ૧૯મી સદીના કાઠિયાવાડમાં ટકી રહેવા માટે પ્રજાની જરૂરિયાત હતાં.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 02 ઑગસ્ટ 2020

Loading

ચલ મન મુંબઈ નગરી—55

દીપક મહેતા|Opinion - Opinion|1 August 2020

આજથી બરાબર સો વરસ પહેલાંની એ રાતની વાત

લોકમાન્ય ટિળકની સ્મશાનયાત્રામાં ગાંધીજી ઉઘાડે પગે ચાલ્યા હતા

‘સ્વરાજ્ય નહિ મળે ત્યાં સુધી હિન્દુસ્તાન સુખી અને સમૃદ્ધ નહિ થાય’

સમય : આજથી બરાબર સો વરસ પહેલાંની રાત.

સ્થળ : મુંબઈના કર્ણાક બંદર રોડ પર આવેલું એક મકાન, નામે સરદાર ગૃહ.

૧૯૨૦ના જુલાઈ મહિનાનો છેલ્લો દિવસ વિદાય લેવાની તૈયારીમાં છે. સરદાર ગૃહ નામના મકાનના ગેસ્ટ હાઉસના એક રૂમની બહાર કેટલાક લોકો ઊભા છે. કોઈ કશું બોલતું નથી. દરેકની નજર નીચે ઢળેલી છે. મન ઉપરવાળાને પ્રાર્થના કરી રહ્યું છે. રાતના બાર વાગવાને હજી થોડી વાર છે. ત્યાં જ એ ઓરડાનાં બારણાં ખૂલે છે. ડો. આર.એચ. ભાંડારકર, ડો. જી.વી. દેશમુખ, ડો. ડી.ડી. સાઠે, અને ડો. સી.આર. આઠવલે ધીમે પગલે બહાર આવે છે. ત્યાં હાજર હતા એ સૌની નજર હવે તેમના તરફ મંડાયેલી છે. પણ ડોક્ટરોની નજર નીચી ઢળેલી છે. ધીમેથી, જાણે પોતાને જ કહેતા હોય તેમ એક ડોક્ટર બોલે છે : ‘અમારાથી બને તે બધું કરી છૂટ્યા છીએ. હવે એમને અમે બચાવી શકીએ તેમ નથી.’

લોકમાન્ય ટિળકનો પાર્થિવ દેહ

અને લોકમાન્ય બાળગંગાધર ટિળકને ખાટલામાંથી ઊંચકીને ભોંય પર સુવડાવવામાં આવે છે. પગે લોઢાની સાંકળ બાંધી હોય તેવી રીતે મિનિટો પસાર થાય છે, લગભગ એક કલાક સુધી. પહેલી ઓગસ્ટ, ૧૯૨૦ની વહેલી સવારે ૧૨:૫૦ વાગ્યે લોકમાન્ય છેવટની વિદાય લે છે. સરદાર ગૃહની લગભગ સામે જ મુંબઈના પોલિસ કમિશ્નરની ઓફિસ આવેલી છે. છેલ્લા થોડા દિવસથી તેમણે સરદાર ગૃહની આસપાસ ચોકી પહેરો તો વધારી દીધો છે અને પોતાના ખબરીઓને મુફતીમાં ગોઠવી દીધા છે. ટિળકના અવસાનના ખબર મળતાં જ પોલિસ કમિશ્નર પહેલું કામ કરે છે આ ખબર ગવર્નર સર જ્યોર્જ લોઈડને તારથી મોકલવાનું. એ વખતે ગવર્નર પૂનામાં હતા. તેમની ઓફિસને તાર મળતાં જ ભર રાતે ગવર્નર સાહેબને જગાડીને ખબર આપવામાં આવે છે. અને મુંબઈ-પૂના વચ્ચે સરકારી ટેલિફોનની ઘંટડીઓ રણકવા લાગે છે.

પૂના સુધી ખબર પહોંચી ગયા છે, પણ મુંબઈમાં ઘણાખરા લોકો હજી ગાઢ નિદ્રામાં છે. પણ જેમ જેમ રાત વીતતી જાય છે તેમ તેમ મોબાઈલ કે ઇન્ટરનેટ વગરના એ જમાનામાં પણ લોકોમાં ખબર ફેલાય છે : ‘લોકમાન્ય કૈલાસવાસી ઝાલે.’ અને સરદાર ગૃહની બહાર લોકો ભેગા થવા લાગ્યા. પહેલે માળે જઈને છેલ્લાં દર્શન કરવા લાગ્યા. પણ આઠ વાગ્યા સુધીમાં તો ભીડ એટલી વધી ગઈ કે કોઈને માટે ઉપર જવાનું શક્ય જ ન રહ્યું. એટલે ટિળકના પાર્થિવ દેહને મકાનની બાલ્કનીમાં એવી રીતે ગોઠવવામાં આવ્યો કે રસ્તા પરથી જ બધા લોકો દર્શન કરી શકે. બીજી બાજુ, અંતિમ યાત્રા અને અંતિમ સંસ્કાર અંગે વિચારવાનું શરૂ થયું. એ વખતના મુંબઈના બે આગેવાનો સર ઈબ્રાહિમ રહીમતુલ્લા અને રુસ્તમ પેસ્તનજી મસાણીને નામદાર ગવર્નર સાથે સારો સંબંધ. સવાર પડી એટલે બંનેએ વારા ફરતી ગવર્નરને ફોન જોડ્યા, ટિળકના અંતિમ સંસ્કાર ગિરગામ ચોપાટીની રેતભૂમિ પર કરવા માટે ખાસ મંજૂરી આપવા વિનંતી કરી. કારણ હજારો નહીં, પણ લાખો લોકો હાજર રહેશે, અને તેમને સોનાપુરની સ્મશાનભૂમિમાં તો કોઈ રીતે સમાવી નહિ શકાય. ગવર્નરે પોતાના સલાહકારો સાથે વાટાઘાટ કરી. પછી જણાવ્યું કે બે શરત માન્ય હોય તો મંજૂરી મળશે. પહેલી શરત એ કે એ ભૂમિ પર કાયમી સ્મારક રચવાની મંજૂરી આપવામાં નહીં આવે. અને ભવિષ્યમાં આ મંજૂરી દાખલા તરીકે ટાંકીને બીજી કોઈ વ્યક્તિ માટે આવી મંજૂરી માગવામાં નહિ આવે.

સરદાર ગૃહથી સ્મશાનયાત્રાની શરૂઆત (ચિત્ર)

પૂનાથી બે સ્પેશિયલ ટ્રેનમાં ટિળકના ચાહકો મુંબઈ આવી પહોંચ્યા. તેમણે માગણી કરી કે ટિળકના અંતિમ સંસ્કાર પૂનામાં કરવા જોઈએ, મુંબઈમાં નહિ. પણ થોડી દલીલબાજી પછી તેમને સમજાવી લેવામાં આવ્યા. બપોરે એક વાગ્યે સરદારગૃહથી સ્મશાનયાત્રા નીકળશે અને ગિરગામ ચોપાટી જશે એ ખબર મળતાં જ લોકો રસ્તાઓ પર ઉભરાવા લાગ્યા. રવિવાર હતો એટલે ઘણીખરી ઓફિસો તો બંધ હતી. પણ જે દુકાનો ખુલ્લી હતી તે પણ ટપોટપ બંધ થવા લાગી. જેને જે વાહન મળ્યું તે પકડ્યું. ન મળ્યું તેણે ચાલવા માંડ્યું. સરદાર ગૃહની બહાર એવી તો માનવ મેદની એકઠી થઈ હતી કે સ્મશાનયાત્રા બપોરે એકને બદલે બે વાગ્યે શરૂ થઈ. ઓછામાં ઓછા બે લાખ લોકો તેમાં જોડાયા હતા. યાદ રહે કે એ વખતે ગ્રેટર બોમ્બેની કુલ વસતી લગભગ સાડા બાર લાખની હતી. ટિળકના પાર્થિવ દેહને સ્મશાનયાત્રા માટે નીચે લાવવામાં આવ્યો ત્યારે કાંધ આપનારાઓમાં મહાત્મા ગાંધી અને મૌલાના શૌકત અલીનો સમાવેશ થતો હતો. ટિળકના દેહને એક પાલખીમાં પદ્માસન અવસ્થામાં બેસાડવામાં આવ્યો હતો અને તેમના હાથ પાસે તેમણે જ સ્થાપેલા ‘કેસરી’ અખબારના અંકો મૂકવામાં આવ્યા હતા. તે જ સ્થિતિમાં તેમના અંતિમ સંસ્કાર પણ થયા હતા.

સ્મશાનયાત્રાનો એક નાનકડો ભાગ

વરસતા વરસાદની પરવા કર્યા વગર લોકોનો પ્રવાહ અવિરત ચાલુ જ હતો. ક્રાફર્ડ માર્કેટથી ધોબી તળાવ સુધીના રસ્તા પર તો તસુભાર ખાલી જગ્યા રહી નહોતી. સરદાર ગૃહથી નીકળેળી સ્મશાનયાત્રા શેખ મેમણ સ્ટ્રીટ, ભૂલેશ્વર, સી.પી. ટેંક, ગિરગામ બેક રોડ, ધોબી તળાવ, પ્રિન્સેસ સ્ટ્રીટ, અને ગિરગામ રોડ થઈને ચોપાટી પહોંચી હતી. સરદાર ગૃહથી ચોપાટી સુધી ગાંધીજી ઉઘાડે પગે પાલખી સાથે સ્મશાનયાત્રામાં ચાલ્યા હતા. ધાર્યા કરતાં સ્મશાનયાત્રા ચોપાટી મોડી પહોંચી હતી કારણ રસ્તામાં ઠેર ઠેર લોકોએ પુષ્પાંજલિ આપવા માટે તેને રોકી હતી. ગિરગામ ચોપાટીને કિનારે જ્યાં ગણપતિ વિસર્જન થતું ત્યાં જ ચંદનની ચિતા રચવામાં આવી હતી. સુખડના પારસી વેપારીઓએ આ માટેનું સુખડ પૂરું પાડ્યું હતું. અગ્નિદાહ અપાતાં પહેલાં લાલા લજપતરાય આવ્યા અને તેમણે નમન કરીને અંતિમ વિદાય આપી હતી. સૂર્ય ધીમે ધીમે આથમી રહ્યો હતો. ચિતા પ્રગટી ત્યારે હજારો લોકોની આંખમાં આંસુ તરતાં હતાં. અંતિમ સંસ્કાર દરમ્યાન બે વખત વરસાદનાં જોરદાર ઝાપટાં આવ્યાં, પણ લોકો ત્યાંથી ખસ્યા નહોતા. અગ્નિદાહ દેવાયા પછી ટોળાંમાંથી એક મુસલમાન દોડતો આવ્યો હતો અને તેણે જલતી ચિતામાં ઝંપલાવ્યું હતું. મહામહેનતે તેને બચાવીને હોસ્પિટલમાં લઈ ગયા હતા, પણ ત્રણ દિવસ પછી તેનું મૃત્યુ થયું. તે દિવસે આથમતા સૂર્યની સાથે હિન્દુસ્તાનની આઝાદી માટેની લડતનો એક અગ્રણી, એક સક્રીય સમાજ સુધારક, એક અભ્યાસી વિદ્વાન, એવો તેજપુંજ પણ આથમી ગયો.

લોકમાન્યે શરૂ કરેલા ‘કેસરી’માં સમાચાર

લોકમાન્ય અને ગાંધીજી વચ્ચે મતભેદો હતા, પણ મનભેદ નહોતો. ટિળક ગાંધીજીનો આદર કરતા પણ આઝાદી માટેની લડતની ગાંધીજીની રીત અંગે કહેતા કે તમારા જેટલી ધીરજ મારામાં નથી. લોકમાન્યને અંજલિ આપતાં ‘યંગ ઇન્ડિયા’ સાપ્તાહિકમાં ગાંધીજીએ લખ્યું કે ‘લોકમાન્ય ટિળક જનતાનું અભિન્ન અંગ હતા. લોકો ઉપર તેમનો જેટલો પ્રભાવ હતો તેટલો પ્રભાવ આપણા યુગમાં બીજા કોઈનો નહોતો. લોકો માટે તેઓ આરાધ્ય દેવતા સમાન હતા. હજારો લોકો માટે તેમનો એક બોલ પણ કાયદા જેવો હતો. આપણી વચ્ચેથી એક મહામાનવે વિદાય લીધી છે. સિંહની ગર્જના હવે મૂંગી થઈ ગઈ છે.’ 

લોકમાન્યના અવસાન પછી ટિળક મેમોરિયલ ફંડ માટે નાણાં એકઠાં કરવા માટે ગાંધીજીએ દેશના ઘણા ભાગોની મુલાકાત લીધી હતી. ત્રણ મહિનાના ગાળામાં તેમણે ૯૯,૩૭,૧૪૫ રૂપિયા એકઠા કર્યા હતા. એ જમાના માટે આ ઘણી મોટી રકમ કહેવાય. એકલા મુંબઈ શહેરમાંથી ૩૭,૫૦,૦૦૦ રૂપિયા ભેગા થયા હતા. મહારાષ્ટ્રમાંથી ૪,૪૧,૪૭૫ અને ગુજરાતમાંથી ૧૫ લાખ રૂપિયા ભેગા થયા હતા. સૌથી ઓછી રકમ કેરળમાંથી મળી હતી, ૨૧,૦૩૮ રૂપિયા. આ ફંડ માટે સૌથી મોટું દાન એક પારસીએ આપ્યું હતું. ગોદરેજ બોઇસ મેન્યુફેક્ચરિંગ કંપનીના એ.બી. ગોદરેજે ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા.

સરકારે શરત કરી હતી છતાં થોડા વખતમાં જ ટિળકના માનમાં ચોપાટી પર પૂતળું ઊભું કરવાની માગણી શરૂ થઈ. શરૂઆતમાં તો સરકારે ના પડી, પણ વિઠ્ઠલભાઈ પટેલ (સરદાર વલ્લભભાઈ પટેલના ભાઈ) અને બેરિસ્ટર કે.એફ. (ખુરશેદ ફરામજી) નરીમાનની જહેમત અને સમજાવટ પછી મુંબઈની મ્યુનિસિપાલિટીએ ૧૯૨૫માં તે માટે મંજૂરી આપી. ૧૯૨૬માં ગવર્નરની મંજૂરી પણ મળી ગઈ. લોકમાન્યનું પૂતળું તૈયાર કરવાનું કામ જાણીતા શિલ્પકાર રઘુનાથ ફડકેને સોંપાયું. તેનું એક કારણ એ હતું કે તેમણે લોકમાન્યનાં બીજાં બે પૂતળાં તેમની હયાતીમાં બનાવેલાં અને તે માટે ટિળકના ઘણા બધા ફોટા પાડેલા અને શરીરનું માપ પણ લીધેલું. ૧૯૩૩ના ઓગસ્ટની પહેલી તારીખે તેમણે બનાવેલા પૂતળાની ચોપાટી ખાતે સ્થાપના કરવામાં આવી. તેના પાયામાં લોઢાની એક મોટી પેટીમાં લોકમાન્યનાં પાઘડી, કપડાં, પગરખાં, પુસ્તક ગીતારહસ્યની એક નકલ અને ન.ચિ. કેળકરે લખેલી તેમની જીવનકથાનું પુસ્તક વગેરે મૂકવામાં આવ્યાં અને એ પેટીને જમીનમાં ત્રીસ ફૂટ ઊંડે દાટવામાં આવી. જ્યાં સરદાર ગૃહ આવેલું છે એ રસ્તાને આઝાદી પછી લોકમાન્ય ટિળક માર્ગ એવું નામ અપાયું.

ગિરગાંવ ચોપાટી પરનું લોકમાન્યનું પૂતળું

ટિળકનું અવસાન આકસ્મિક નહોતું, પણ અણધાર્યું જરૂર હતું. ૧૨મી જુલાઈએ તો તેઓ મુંબઈ આવ્યા હતા અને હંમેશ મુજબ સરદાર ગૃહમાં ઉતર્યા હતા. એ વખતે તેમના પર વારંવાર મેલેરિયાના હુમલા થતા હતા. એવો એક હુમલો મુંબઈમાં આવ્યો, પણ થોડા વખતમાં તેઓ સાજા થઈ ગયા. જુલાઈની ૨૦મી તારીખે ટિળકના મિત્ર દિવાન ચમનલાલ મળવા આવ્યા. તેમણે હવાફેર માટે થોડા દિવસ કાશ્મીર જવાનું સૂચવ્યું, પણ ટિળકે ના પાડી. દિવાન ચમનલાલે કહ્યું કે કંઈ નહિ તો મારી સાથે મારી ગાડીમાં થોડું ફરવા તો ચાલો. ખુલ્લી હવામાં તમને સારું લાગશે. એટલે ટિળક તેમની સાથે ગયા. પણ ચોમાસાના ભેજ અને ઠંડકવાળા દિવસો. પાછા ફર્યા પછી ટિળકને તાવ આવ્યો. ૨૩મી જુલાઈએ તેમનો જન્મ દિવસ. અભિનંદનના પુષ્કળ તાર-કાગળ આવ્યા. એ બધા તેઓ જોઈ ગયા. પણ પછી તબિયત વધારે બગડી. ૨૬મીની રાતથી તાવ વધતો ગયો. તેમના ડાબાં ફેફસાંમાં તકલીફ હોવાનું ડોકટરોને જણાયું. એ માટે સારવાર શરૂ કરી. પણ પછી ન્યૂમોનિયા લાગુ પડ્યો. ૨૭મીનો આખો દિવસ ચિંતામાં પસાર થયો. સારે નસીબે તેમનું મગજ હજી બરાબર કામ કરાતું હતું અને તેઓ પૂરેપૂરા ભાનમાં હતા. ટિળકનાં સંતાનો બહારગામથી તેમની ખબર કાઢવા આવ્યાં ત્યારે ટિળક તેમના પર નારાજ થયા. કહે, જરીક તાવ આવ્યો એમાં આમ દોડીને શું કામ  આવ્યા? દીકરાએ પૂછ્યું: તમારે કંઈ કહેવું છે? ટિળકે કહ્યું: ‘હજી તો હું ઓછામાં ઓછાં બીજાં પાંચ વરસ જીવવાનો છું, એટલે ચિંતા ન કર.’ 

૨૮મીએ તાવ ઊતરી ગયો અને નાડીના ધબકારા પણ નિયમિત થયા. ડોકટરો અને બીજાઓને હાશકારો થયો. પણ એ તો બૂઝાતાં પહેલાંનો દીવાનો છેલ્લો ઝબકારો હતો. બપોરે ફરી તાવ ચડ્યો, હૃદયના ધબકારા અનિયમિત બન્યા. લગભગ બેભાન અવસ્થામાં ટિળક બબડાટ કરવા લાગ્યા. ૨૯મી તારીખે કશો સુધારો જણાયો નહિ. એટલું જ નહિ હોજરીમાં પણ તકલીફ જણાઈ. પણ સારવાર કરીને ડોકટરો તેમની તબિયતની કટોકટી પર કાબૂ મેળવી શક્યા. ૩૦મી તારીખે તેમના પર હાર્ટ એટેકનો હુમલો થયો પણ તાબડતોબ થયેલી સારવારથી ટિળક બચી ગયા. પણ તે પછી બીજા ત્રણ હાર્ટ એટેક આવ્યા જે પ્રમાણમાં હળવા હતા. ૩૦મીએ અને ૩૧મીએ તબિયતમાં ખાસ કશો ફેરફાર જણાયો નહિ. પણ પછી ૩૧મીની રાતે સાડા દસ વાગ્યે તેમનું હૃદય થાક્યું. શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. પહેલી ઓગસ્ટની સવારે ૧૨ ને ૫૦ મિનિટે લોકમાન્યે આ લોકમાંથી પરલોક તરફ પ્રયાણ કર્યું. ૨૯મી જુલાઈએ બપોરે બે વાગ્યે ટિળકે જે છેલ્લા શબ્દો સભાનપણે ઉચ્ચાર્યા તે આ હતા: ‘જ્યાં સુધી સ્વરાજ્ય નહિ મળે ત્યાં સુધી હિન્દુસ્તાન સુખી અને સમૃદ્ધ નહિ થાય. આપણા અસ્તિત્વ માટે સ્વરાજ્ય અનિવાર્ય છે.’

આ શબ્દો બોલાયા તેનાં સ્થળ અને સમય?

સ્થળ : મુંબઈના કર્ણાક બંદર રોડ પર આવેલું એક મકાન, નામે સરદાર ગૃહ.

સમય : આજથી બરાબર સો વરસ પહેલાંની રાત.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ :  “ગુજરાતી મિડ-ડે”, 01 ઑગસ્ટ 2020

Loading

સાત કાવ્યો

ઉદય ચંદ્રકાંત|Poetry|1 August 2020

1.

ક્યાંક વાગતો પાવો !

ભમ્મરિયાળા ભાગ મારા  ને
વળી જન્મોનો ચક્રાવો !
જંતર વાગે, ઝાલર વાગે, વળી
ક્યાંક વાગતો પાવો !

વાટ જોઈ ને વાટ ખૂટી છે
દીવાની વિસાત ખૂટી છે
ક્યારે આવી કરશો દૂર
આ અંતરનો અંધિયારો … ક્યાંક વાગતો પાવો !

હજી કેટલી આજીજી ને
કેટલું માંગશો માન
તમે ઈશ્વર છો એનું
કંઈક તો રાખો ભાન !
પાપ-પુણ્યનો હિસાબ પતાવી
સમય મળે તો આવો … ક્યાંક વાગતો પાવો !

આપી દીધો અંગૂઠો ને
આપી દીધું બાણ
હવે તમે જો આવો નહીં
તો ઉમાપતિની આણ
સુદામાના મિત્ર બનીને
ચપટીક તાંદુલ ખાઓ … ક્યાંક વાગતો પાવો !


2.

વરસાદના છાંટા

છાંટે છાંટે છૂટી જતાં
મનનાં સૌ વળગણ
છાંટે છાંટે જુવાન થતાં
વરસો જૂનાં ઘડપણ !
છાંટાની છાલકે થાતું
ચોખ્ખું મનનું દર્પણ !
છાંટે છાંટે છોળ ઉછાળે
માટીનાં આ કણ કણ !
છાંટે છાંટે છબછબિયાં ને
મનના ખૂણા ઝળહળ !
છાંટે છાંટે મ્હોરી ઊઠતાં
મનનાં શાંત સરવર !
છાંટે છાંટે દીપ જલે ને
છાંટે છાંટે દરશન !


3.

સપનાં થોડા ભીનાં થયાં, બીજું શું !
પાંપણે પલકાર સૂના થયાં, બીજું શું !

ઓળખ નહીં પુરાવો પણ જોઈશે હવે
એમને જોયે જમાના થયા, બીજું શું !

વાત જ્યાં નીકળી દુ:ખ ને વહેંચવાની
સમજદારો પણ દીવાના થયા, બીજું શું !

સચવાયા છે સૌ ચહેરાઓ અકબંધ
સમયે સંબંધો પુરાના થયા, બીજું શું !

ચાલો નિખાલસતાનું ઇનામ તો મળ્યું
વક્ત સાથે થોડા સયાના થયા, બીજું શું !


4.

મૌન બોલતું થાય, વાત વાતમાં !
પાંપણો ભીંજાતી જાય, વાત વાતમાં !

કોઈ એક વાત કહેતાં વર્ષો વીતી જાય
કદીક જીવતર ઉલેચાય, વાત વાતમાં !

ભલા કોણ કરે ભરોસો એ માણસનો
જે બોલી ને ફરી જાય, વાત વાતમાં !

વાત વંટોળે ચડે તો આકાશને આંબે
જે કદીક ધરબાઈ જાય, વાત વાતમાં !

એ મોટો માણસ છે, રખે કંઈ બોલતા
એને કંઈ કહેવાય ? વાત વાતમાં !

વાત જો રંગતે ચડે રાત ઓછી પડે
કદીક શબ્દ ન બોલાય, વાત વાતમાં!

કદીક બોલતાં બોલતાં અટકી જાવ
વણબોલ્યે બધું કળાય, વાત વાતમાં!

વાત જો વણસે તો ધિંગાણે લઈને જાય
બાત જો બને તો બની જાય, વાત વાતમાં !


5.

સમય પણ સમય માગી લે છે
ને કદીક બારીએથી ઝાંકી લે છે !

તમે લીલાશને પંપાળતા હો ઘાસમાં
ત્યારે કોઈક સૂકું-ભઠ્ઠ તમને તાકી લે છે!

ઊતારે હોંશભેર રણમેદાનમાં તમને
ને પછી તમારાં કવચ-કુંડળ માગી લે છે!

સુઝાડીને કેટલા ય રસ્તા ભાગી જવાના
તમારી હિમ્મતને એ રીતે માપી લે છે !

સરકી જાય રેતની જેમ મુઠ્ઠીમાંથી
પણ કોઈક ટકોરે ક્યાંક બાંધી દે છે !


6.

જેની ચર્ચા મુખે મુખે છે
એ શામળિયો તો વૈંકુઠે છે !

પાપ – પુણ્યની વાતો છોડો
જગત આખું ય અડસટ્ટે છે !

આ રખડુ રાતને કોણ સમજાવે?
મિલનની મજા તો મળસ્કે છે !

નીકળશે સૌ સંબંધોનું નિકંદન
આજે લાગણીઓ બધી જંગે છે!

આંખને થયા છે યુદ્ધના એંધાણ
સપનાંઓ બધાં બ્હારવટે છે !


7.

લીલુડી ધરતી

લીલુડી ધરતીનાં લીલાંછમ ઓરતાં
ઝરણાં બનીને આજ દોડતાં
ફૂલના ય અરમાનો આજ રંગો બનીને
પાંખડીએ પાંખડીએ મ્હોરતાં ….. લીલુડી ધરતી

ખાલીખમ નદીયુંનાં આજ સપનાં ફળ્યાં
તે ઠેઠ કાંઠે પૂગી ને હવે ડોલતાં
આભમાંથી વરસતી ભીની લીલાશ ને
પંખીઓ ચાંચ ભરી ચોરતાં …… લીલુડી ધરતી

મનનાં છબછબિયાં કંઈ છત્રીએ છુપાય?
તેથી આંખોથી આંખોને જોડતાં
ઝાલ્યો ઝલાય નહીં આ મનનો હિલ્લોળ
એટલે કાગળમાં હોડીઓ દોરતાં … લીલુડી ધરતી

e.mail : gor.uday.chandra@gmail.com

Loading

...102030...2,2412,2422,2432,244...2,2502,2602,270...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved