Opinion Magazine
Number of visits: 9574273
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અંતર

સાહિલ પરમાર|Opinion - Opinion|4 August 2020

મને ખળભળતા જીવનનાં ઝરણથી દૂર રાખ્યો છે
અને શાંતિથી સ્વાભાવિક મરણથી દૂર રાખ્યો છે

મેં વાવ્યાં છે, ઉછેર્યાં છે વજીફા વાડી ને વૃક્ષો
મને એના જ છાંયાથી ને ફળથી દૂર રાખ્યો છે

મંદિર ઘડી મૂર્તિ ગર્ભગૃહ મેં શિખર ગુંબજ
મને એનાં પગથિયાંના શરણથી દૂર રાખ્યો છે

ગટરનાં નીતર્યા પાણી મેં પીધાં છે, પચાવ્યાં છે
હવે જળના ઠરણથી ને ઝમણથી દૂર રાખ્યો છે

મળેલા જીવને નોખા જનમની છાપથી કીધા
છૂટા પાડી જીસમથી ને જિગરથી દૂર રાખ્યો છે.

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 03 ઑગસ્ટ 2020; પૃ. 14

Loading

આર.ઓ. ફિલ્ટર : નિશ્ચિંત થવાનું નહીં, ચિંતા કરવાનું કારણ

બીરેન કોઠારી|Opinion - Opinion|4 August 2020

“અમે પાણીનો જરા ય વેડફાટ કરતા નથી. તેને એકદમ જાળવીને, આર.ઓ. ફિલ્ટર વડે શુદ્ધ કરીને જ વાપરીએ છીએ.” આમ કહેનાર, માનનાર અને અમલ કરનાર વર્ગ મોટો હશે. દરેક જણ ઈચ્છે કે તેમને શુદ્ધ પાણી પીવા મળે. અલબત્ત, આપણા દેશમાં ઘણો મોટો વર્ગ એવો છે કે જેને પાણી મળે એ જ બહુ મોટી વાત લાગે છે. નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડવાની જવાબદારી સ્થાનિક સત્તાતંત્રની જવાબદારીમાં આવે છે. પણ સતત વિકસતી જતી આવાસયોજનાઓ અને તેની સાથે તાલ ન મિલાવી શકવાની તંત્રની મર્યાદાને કારણે પાણીની સુલભતા, શુદ્ધતા, દબાણ વગેરે સમસ્યાઓ સતત ચાલતી રહે છે. તંત્ર દ્વારા પૂરું પાડવામાં આવતું પાણી આપણા ઘરના નળ સુધી પહોંચે એ જ મોટું આશ્વાસન હોય ત્યાં પાણીની ગુણવત્તા વિશે વિચાર કરવાનો ક્યાંથી આવે!

આર.ઓ. ફિલ્ટરઃ શુદ્ધતા કે મોભો?

પામતા-પહોંચતા વર્ગમાં છેલ્લા બેએક દાયકાઓમાં ઘરમાં પાણીનું ફિલ્ટર મૂકાવવાનું ચલણ શરૂ થયું. કંપનીના સેલ્સમેન તેમને ફિલ્ટર મૂકાવવાના લાભ ગણાવી દે એ પૂરતું નથી. આસપાસના મોટા ભાગના રહીશોએ ફિલ્ટર મુકાવી દીધું છે અને પોતાનાં કુટુંબીજનોનાં સ્વાસ્થ્ય માટે બેદરકાર હોય તે જ ફિલ્ટર ન મૂકાવે – આવા લાગણીસભર દબાણને કારણે પણ લોકો ફિલ્ટર મુકાવવા માટે પ્રેરાતા હોય છે. ઘણા કિસ્સામાં પાણીનું ફિલ્ટર મૂકાવવા પાછળ સ્વાસ્થ્ય કરતાં વધુ મહત્ત્વનો મુદ્દો સ્ટેટસ – મોભાનો હોય છે. કેટલાક લોકો બહાર જાય ત્યારે પોતાના ઘરમાં લગાવેલા ફિલ્ટરના પાણીની શીશીઓ સાથે રાખતા જોવા મળે છે અને ‘સાદા’ પાણીને બદલે ‘પોતાનું’ પાણી જ પીવે છે. તેમની આ ચેષ્ટા જાગૃતિ બતાવે છે, સાવચેતી બતાવે છે કે ચડિયાતાપણાની ભાવના સૂચવે છે એ સમજવું ઘણી વાર મુશ્કેલ બની રહે છે.  

શુદ્ધતાનું વિજ્ઞાન

આવી સામાજિક પરિસ્થિતિમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એન.જી.ટી.) દ્વારા ગયા વરસના મે મહિનામાં પર્યાવરણ મંત્રાલયને સૂચના આપવામાં આવી હતી કે જે વિસ્તારોમાં પાણીના ટી.ડી.એસ.(ટોટલ ડિઝોલ્વ્ડ સોલિડ્સ-કુલ દ્રાવ્ય ઘનપદાર્થો)નું પ્રમાણ પ્રતિ લિટરે 500 મિ.ગ્રા. કરતાં ઓછું હોય ત્યાં આર.ઓ. પદ્ધતિવાળાં પાણીનાં ફિલ્ટરને પ્રતિબંધિત કરવાં.

આવી સૂચના માટેનાં નક્કર કારણો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા(ડબલ્યુ.એચ.ઓ.)ના એક અભ્યાસ અનુસાર પ્રતિ લિટરે 300 મિ.ગ્રા.થી ઓછા ટી.ડી.એસ. એકદમ યોગ્ય ગણાય, પ્રતિ લિટરે 900 મિ.ગ્રા. ટી.ડી.એસ. બરાબર ન કહેવાય, જ્યારે પ્રતિ લિટરે 1200 મિ.ગ્રા. ટી.ડી.એસ. અસ્વીકાર્ય ગણાય. આમ, જે વિસ્તારમાં પૂરા પાડવામાં આવતા પાણીમાં ટી.ડી.એસ. 500 મિ.ગ્રા. પ્રતિ લિટર કે તેથી ઓછા હોય ત્યાં આર.ઓ. ફિલ્ટર કામનાં નથી, એટલું જ નહીં, પાણીમાંના મહત્ત્વનાં ખનિજ દ્રવ્યોને તે ગાળીને દૂર કરી દે છે. આને કારણે વિવિધ પ્રકારની શારીરિક તકલીફો કે રોગો પેદા થઈ શકે છે, એ બાબત અનેક અભ્યાસ થકી પુરવાર થઈ ચૂકેલી છે. આટલું ઓછું હોય એમ, શુદ્ધ થતા પ્રતિ એક લિટર પાણીએ ત્રણ લિટર જેટલું પાણી તે વેડફી નાખે છે. પાણીની કાયમી અછત ધરાવતા આપણા દેશમાં એ શી રીતે પરવડે?

એન.જી.ટી.ની સૂચનાને પગલે ‘નેશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડ અને આઈ.આઈ.ટી. (દિલ્હી) દ્વારા તૈયાર કરાયેલા એક સંયુક્ત અહેવાલ અનુસાર આર.ઓ. ફિલ્ટરના ઉત્પાદકોએ વેચાણ માટે ખોટી માહિતી અને ખોટો હાઉ ઊભો કરેલો છે.

અહેવાલમાં જણાવ્યા મુજબ વિકસિત દેશોમાં આર.ઓ.નો ઉપયોગ વિલવણીકરણ (ડિસેલિનેશન) પૂરતો મર્યાદિત છે. ટી.ડી.એસ.નું અતિ ઉચ્ચ પ્રમાણ ધરાવતા ખારાશયુક્ત દરિયાઈ પાણીને પીવાલાયક બનાવવા માટે તે વપરાય છે. ભારતમાં આર.ઓ. ફિલ્ટરના ઉત્પાદકો ટી.ડી.એસ.ની સાથોસાથ બીજા અનેક પ્રદૂષકો પણ દૂર કરવાનો દાવો કરતા આવ્યા છે. આર.ઓ. ફિલ્ટરના ઉત્પાદકો ભારતમાં ઘણે ઠેકાણે પાણીમાં થતા આર્સેનિક અને ફ્લોરાઇડના મિશ્રણને લઈને આર.ઓ. ફિલ્ટરની હિમાયત કરી રહ્યા છે. આ બાબતને નકારતાં સમિતિએ સૂચવ્યું છે કે એવા કિસ્સામાં જે તે પ્રદૂષકને દૂર કરતી ખાસ ટેક્નોલોજી અજમાવવી જોઈએ, પણ આર.ઓ. તો નહીં જ.

બીક કે દેખાદેખીમાં આફતને નોતરું

દિલ્હીમાં પૂરા પાડવામાં આવતા પાણીના પુરવઠામાં ટી.ડી.એસ.નું પ્રમાણ 200 મિ.ગ્રા. પ્રતિ લિટરથી વધુ હોતું નથી. આથી દિલ્હીનાં ઘરોમાં આર.ઓ. ફિલ્ટરની આવશ્યકતા નથી. આવી સ્થિતિ અનેક શહેર, નગર કે ગામમાં હશે. પોતાના ઘરમાં આવતું નળનું પાણી કેટલા ટી.ડી.એસ. ધરાવે છે એ શી રીતે ખ્યાલ આવે? સમિતિ આનો ઉકેલ સૂચવતાં જણાવે છે કે પાણીનો પુરવઠો પૂરો પાડતી સ્થાનિક સંસ્થાએ સમયાંતરે ગ્રાહકોને મોકલાતા વપરાશના બિલમાં પાણીનો સ્રોત અને ટી.ડી.એસ. માત્રા સહિતની તેની ગુણવત્તા વિશે જણાવવું જોઈએ. દિલ્હીસ્થિત બિનસરકારી સંસ્થા ‘ફ્રેન્ડ્ઝર’ના જનરલ સેક્રેટરી શરદ તિવારી દ્વારા કરવામાં આવેલી અરજીને પગલે એન.જી.ટી.એ આગળ અભ્યાસ કરાવ્યો અને તેનાં પરિણામ પછી મંત્રાલયને આર.ઓ. ફિલ્ટરને પ્રતિબંધિત કરવા માટેનો આદેશ આપ્યો અને એ આદેશના અમલ માટે પૂરતી મુદ્દત આપી.

આનો અમલ થાય અને જે પગલાં લેવાય ત્યારે ખરાં, પણ સ્વાસ્થ્ય અંગેની ગેરસમજ કેવાં વિપરીત પરિણામ લાવી શકે તેનો આ નમૂનો છે. આ ગેરસમજમાં ભયને મિશ્રિત કરીને તેનું બજાર વિકસે, તે સામાજિક મોભાનું સાધન બને, સ્વાસ્થ્યસભાન વર્ગ તેને વસાવીને ગૌરવ અનુભવે અને હજી આર.ઓ. ફિલ્ટર પરના પ્રતિબંધનો વાસ્તવિક અમલ થાય ત્યાં સુધીમાં કેટલા ય પરિવારો આવું ‘શુદ્ધ’ પાણી પીતા રહેશે એ તો કોને ખબર! આવી બધી બાબતોમાં આમ પણ સરકાર અને મંત્રાલયોને ખાસ રસ પડતો નથી. આથી જ 2019ના મે મહિનામાં કરાયેલા આદેશને એક વરસ વીતવા છતાં હવે કોવિડ-19નું બહાનું કાઢીને પર્યાવરણ મંત્રાલયે 31 ડિસેમ્બર, 2020 સુધીની મુદ્દત માંગી છે અને ન્યાયમૂર્તિ આદર્શ કુમાર ગોયલના વડપણ હેઠળ નિમાયેલી બૅન્ચ દ્વારા તે મંજૂર કરવામાં આવી છે.

કોવિડ-19ના કપરા સમયમાં સરકારે એ સ્પષ્ટ સંદેશો નાગરિકોને પહોંચાડી દીધો છે કે પોતાના સ્વાસ્થ્યની સંભાળ પોતે જ રાખવાની છે. આ સંદેશા પરથી ધડો લઈને આર.ઓ. ફિલ્ટર પર સરકારી પ્રતિબંધ મૂકાય ત્યાં સુધી રાહ જોવી કે ‘જાગ્યા ત્યાંથી સવાર’ ગણીને યોગ્ય પગલાં લેવાં એ આપણે નક્કી કરવાનું છે.

e.mail : bakothari@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 03 ઑગસ્ટ 2020; પૃ. 13-14

Loading

સામાજિક અન્યાયનો સાત કોઠાળો ચક્રવ્યૂહ ક્યાં સુધી ભોગ લીધા કરશે?

માર્ટિન મેકવાન|Opinion - Opinion|4 August 2020

દરેક જ્ઞાતિના લોકોએ પોતાનાં બાળકોનાં નામ કેવાં રાખવાં કે જેથી સાંભળતાંવેંત વિશેષ ભાવ પેદા કરે, તેના નિયમ ‘મનુસ્મૃતિ’માં જોઈ શકાય છે. બ્રાહ્મણના નામથી 'શુભ; શુકન'; ક્ષત્રિયના નામથી  'તાકાત' ; વૈશ્યના નામથી  'સંપત્તિ'  અને શૂદ્રના નામથી 'નગુણાપણા' (जुगुप्सितम्)ના ભાવ પેદા થવા જોઈએ. (૨:૩૧) બ્રાહ્મણ નામ 'સુખ' સૂચક; ક્ષત્રિય નામ 'રક્ષણ' સૂચક; વૈશ્ય નામ 'સમૃદ્ધિ' સૂચક અને શૂદ્ર નામ 'ચાકરી' સૂચક હોવાં જોઈએ (૨:૩૨)

૧૯૭૭ની સાલમાં કૉલેજના અભ્યાસ દરમિયાન મારા અધ્યાપકોને સર્વેક્ષણમાં મદદ કરવા માટે ગુજરાતનાં ગામડાંમાં જતો ત્યારે સમજાતું ન હતું કે દલિતોનાં નામ 'પોચા', 'પુંજા', 'કચરા', મેલા', 'ગોબર', 'ગાંડા' કે 'ઘેલા' એમ શા માટે રાખતા હશે? જો કે, લોકો કહેતા પણ ખરા કે બાળકોનાં નામ 'આધુનિક' રાખીએ તો પણ નોંધણી કરતી વેળા તલાટી નામને તોડી-મરોડીને અપમાનજનક કરી નાખે છે. આજે પણ દેશમાં દલિત-આદિવાસી સ્ત્રીનાં નામ આ પ્રકારે જોવા મળે છે.

ચિતા પર પીછો ન છોડતો જ્ઞાતિનો ભેદભાવ

ખેર, મૂળ ગુજરાતના અને હાલ ઉત્તર પ્રદેશમાં સ્થાયી થયેલા નટ-બજાણિયા પરિવારનાં નામ મનુસ્મૃતિેને ધ્યાનમાં લીધા વિના રખાયાં હતાં. પત્નીનું નામ પૂજા, પતિનું નામ રાહુલ અને એમના ચાર વર્ષના દીકરાનું નામ રોહન. ભારતમાં આવાં નામ ધરાવતા અભિનેતાઓ છે, ઉદ્યોગપતિ છે અને રાજકીય નેતા પણ. પરંતુ વિચરતી જાતિમાં ગણાતા આ પરિવારને જે વેઠવું પડ્યું, તે અન્ય 'પૂજા-રાહુલ-રોહન'ને વેઠવાનો વારો નહીં આવે.

પૂજા-રાહુલ-રોહનનો પરિવાર ઉત્તર પ્રદેશમાં આવેલી દુનિયાની અજાયબી જેવા તાજમહાલથી માંડ વીસ કિ.મી. દૂર રેભા નામના ગામમાં રહે છે. તેની સાથે અન્ય ત્રણ ગામ સાથે મળી 'કાકરપુરા' નામની જૂથ પંચાયત બને છે અને તે અછનેર તાલુકામાં આવે છે. રેભામાં પરિવાર સાથે રહેતાં પૂજાને ગર્ભાશયમાં ચેપ લાગતાં, લાંબી બીમારીને અંતે ૨૫ વર્ષની કાચી વયે, ૧૯ જુલાઈ ૨૦૨૦ના રોજ તેમનું મૃત્યુ થયું. કાકરપુર ગ્રામ પંચાયતનાં ચાર ગામ વચ્ચે ૧૧ સ્મશાન સરકારી ચોપડે બોલે છે. નટ-બજાણિયા પરિવારોએ પણ સરકાર પાસે સ્મશાન માટે જમીન માગી હતી. સરકારે એમને જમીન ફાળવવાનું વચન પણ આપ્યું હતું. પરંતુ આજ દિન સુધી ઉત્તર પ્રદેશની કોઈ પણ સરકારે એમને એવું લખીને આપ્યું ન હતું કે સરકારી જમીન પર અને સરકારી નાણાંથી બનેલા સ્મશાન પર તમામ નાગરિકોનો વપરાશ-અધિકાર હોય છે. ગામમાં દલિતો માટે સ્મશાન છે, પણ અખબારી અહેવાલો દર્શાવે છે કે તે જમીન પર બ્રાહ્મણોનું દબાણ છે. સારું કહેવાય; કમ-સે-કમ બાપડી તે જમીન તો આભડછેટમાંથી મુક્ત થઈ છે.

નટ-બજાણિયા પરિવારો માટે અલગ સ્મશાન તો ન હતું, પણ ‘ભલે કોઈ દેવી-દેવતા મારી વ્હારે ન આવે, બંધારણ મારુ રક્ષણ કરશે’ એવો એને અંદર ભરોસો હશે. એટલે પોતાની વ્હાલી પત્નીને અંતિમ વિદાય આપવા માટે તેમણે લાકડાં અને છાણાં ગોઠવીને ગામના સામૂહિક સ્મશાનમાં ચિતા ખડકી. પરણીને, નવોઢાના રૂપમાં જે સાડી પહેરીને પૂજા સાસરે આવી હતી, તે જ સાડીમાં તેનો મૃતદેહ લપેટાયેલો હતો. ચાર વર્ષનો રોહન માને અગ્નિદાહ આપવાનો હતો. રોહનને કોઈ મોટેરા ચિતાની પ્રદક્ષિણા કરાવતા હતા, ત્યાં જ ધમાલ મચી ગઈ.

બસો જેટલા ઠાકુરોનું ટોળું ત્યાં પહોંચી ગયું ને તેમના દેકારે ગામ ગજવ્યું. ઠાકુરોના સ્મશાનમાં દલિતની ચિતા સળગે જ કેમ? પોલીસને બોલાવવામાં આવી. ક્ષેત્રિય પોલીસ અધિકારી અને પોલીસમથકના અધિકારી અન્ય સરકારી અધિકારી સાથે આવી પહોંચ્યા. પણ આ તમામ અફસરો બંધારણની આબરૂના ધજાગરા ઊડતા રોકી ન શક્યા. છ કલાકની રક્ઝક-કાકલૂદી બાદ હારી થાકીને રાહુલે જે હાથથી પોતાની પત્નીનો મૃતદેહ ચિતા પર ખડક્યો હતો, તે જ હાથેથી નીચે ઉતાર્યો. ચિતામાં ગોઠવેલાં અને કંકુથી રંગાયેલાં લાકડાં અને છાણાં પણ છૂટાં કર્યાં. ત્યાંથી ચાર કિલોમીટર દૂર આવેલ 'નગલા લાલ દાસ' ગામે દલિતો માટે 'અનામત' સ્મશાન હતું. ત્યાં પૂજાની અંતિમ વિધિ સંપન્ન થઈ. હજુ હમણાં જ જાહેર થયેલી ભારતની 'નવી શિક્ષણનીતિ' આવનાર ૨૦ વર્ષમાં રોહનને દેશ, રાષ્ટ્ર, કાયદો, બંધારણ, ધર્મ, મૂલ્ય, નૈતિકતા, મૂળભૂત અધિકાર, ન્યાયતંત્ર, વહીવટીતંત્ર વિશે જે નહીં શીખવી શકે, તેવા બોધપાઠ રોહનને ચાર વર્ષની ઉંમરે એ છ કલાક શીખવી ગયા.

ફરજચૂકની લાંબી યાદી

આ ઘટનાની પોલીસતપાસ નહીં થાય. કારણ કે રાહુલે ફરિયાદ જ નોંધાવી નથી. વાંક તો રાહુલનો જ કહેવાય કે એણે ફરિયાદ સુધ્ધાં ન નોંધાવી. રાહુલે એટલા માટે ફરિયાદ કરવાનું ટાળ્યું કે કમ સે કમ એનું બાકી રહેલું કુટુંબ 'શાંતિથી’ રહી શકે. નહેરુ-દલાઈ લામા-મધર ટેરેસા જેવા અનેક મહાનુભાવોના 'શાંતિ' સંદેશ જગતમાં મશહૂર થઈ ગયા છે. પરંતુ રાહુલનો આ 'શાંતિ-સંદેશ' પ્રચલિત નહિ બને; ભલે ને એની સાથે જે બન્યું તેની વીડિયો ક્લિપ બે લાખથી પણ વધુ લોકોએ જોઈ હોય. શું શાંતિના ઓઠા હેઠળ રાહુલ દલિતોને માર્મિક-ક્રાંતિકારી સંદેશો આપવા માગતો હતો કે 'દલિતોએ આ દેશમાં શાંતિથી જીવવું હોય તો બંધારણને ભૂલી જવું પડશે' ?

સાચી વાત તો એ છે કે રાહુલ જેને 'શાંતિ' કહે છે, તે હકીકતે 'સલામતી'. છે. ગામમાં એકેય નટ-બજાણિયા કુટુંબ પાસે સમ ખાવા પૂરતી જમીન પણ નથી. ઉત્તર પ્રદેશમાં, ક્યા પક્ષના અને કઈ જ્ઞાતિના મુખ્ય મંત્રીએ કઈ જ્ઞાતિની તરફેણમાં જમીન સુધારણા કાર્યક્રમનો કેટલો અમલ કર્યો, તે પૂછવાની હિમ્મત કદાચ રાહુલ પાસે હોય તો પણ એની વાત કોઈ સાંભળવાવાળું નહીં હોય. તેમનું જીવન મજૂરી પર નભે છે. તે પેલી જાતિના લોકો સામે અધિકાર માટે બાંય ચઢાવે, તો રોટલા વિના ટટળે. આ ગામમાં તો સાર્વજનિક હૅન્ડ પંપમાંથી માટલું પાણી ભરતાં દલિતોને કેટલા વાને સો કરવા પડે છે.

રાહુલને બીક લાગી તે સત્ય છે. કાયદા પ્રમાણે તો રાહુલ માટે ફરિયાદ જાતે નોંધાવવાનું જરૂરી જ ક્યાં હતું? ખુદ ક્ષેત્રિય પોલીસ અધિકારી અને પોલીસમથકના વડાની હાજરીમાં ગુનો બન્યો હતો. માટે, તે અધિકારી જાતે જ ફરિયાદી બની શકે. કાયદાના દાયરામાં પોતાના ભાગે આવતી ફરજને બાજુએ મૂકતાં, પોલીસ અધિકારી પણ તત્ત્વજ્ઞાનની વાતો કરવા માંડ્યા છેઃ "જાતિવાદ ઊંડે સુધી લોકોની રગેરગમાં ફેલાઈ ચુક્યો છે." રાહુલને સત્ય સમજાઈ ચૂક્યું હતું કે પોતાની જાહેરમાં થતી બેઇજ્જતીની વીડિયો જોનાર બે લાખ લોકો ભલે એને પડખે કદાચ હોય, પણ સત્તા અને ન્યાયતંત્ર એના પક્ષે નથી. એની સાથે થયેલી ઘટનામાં સર્વોચ્ચ અદાલતના કોઈ ન્યાયાધીશ 'બંધારણના તિરસ્કાર' સબબ 'સ્વપ્રેરિત' (સુઓમોટો) કાર્યવાહી નહીં કરે.

બ.સ.પા. સુપ્રીમો માયાવતી એકથી વધુ વાર રાજ્યનાં મુખ્ય મંત્રી રહી ચુક્યાં છે. તેમણે આ ઘટનામાં ઉચ્ચ સ્તરીય તપાસ માગી છે. ત્રણ હજાર વર્ષની વાત કોરાણે મૂકીએ, આઝાદીનાં ૭૩ વર્ષમાં દલિતો પર હિંસા સતત વધી રહી છે ત્યારે કેટલી અને ક્યાં સુધી તપાસ કરીશું? તપાસ પૂર્ણ થયા બાદ પચ્ચીસ-પચ્ચીસ વર્ષ સુધી ન્યાય ન મળ્યો હોય તેવા સેંકડો દાખલા મોજુદ છે. જેમ દેશના રાષ્ટ્ર પ્રમુખ દલિત હોવાથી દલિતોની જિંદગીમાં ફરક પડતો નથી; જેમ દલિત મુખ્ય મંત્રી હોવાથી ફરક પડતો નથી તેમ ભારતની સંસદનાં બંને ગૃહોમાં ૯૦થી વધુ દલિત સાંસદો હોવાથી પણ કોઈ ફરક પડતો નથી.

જાહેર સ્થળો પર સૌનો અધિકાર

ભારતની સાચી 'એકતા' અને 'અખંડિતતા'નાં દર્શન સ્મશાનભૂમિમાં જ થાય છે. 'હિંદુત્વ' કેટલું મજબૂત છે તેનાં દર્શન પણ આર.એસ.એસ.ને સ્મશાનભૂમિમાં જ થશે. જે સ્મશાનભૂમિને અલગ અલગ જાતિઓ પોતીકી દર્શાવે છે તે હકીકતે સરકારી છે. સરકારી સંસાધનો: તળાવ-કૂવા-સ્મશાન-બગીચા-સ્નાનઘાટ પર વપરાશનો બધા નાગરિકોનો સરખો અધિકાર છે. તે કાયદો આઝાદી પૂર્વે, બોમ્બે લૅજિસ્લેટિવ કાઉન્સિલમાં પસાર થયેલો અને તેના આધાર પર ડો. આંબેડકરે 'મહાડ સત્યાગ્રહ'નું આંદોલન ચલાવેલું. આઝાદી બાદ પ્રખ્યાત સામાજિક કાર્યકર ડો. બાબા આઢવે 'એક ગાંવ-એક પનઘટ' આંદોલન ચલાવેલું. આભડછેટ સામે જે પ્રચંડ આંદોલન આપણે ૧૯૨૦ અને ૧૯૩૦ના દાયકામાં જોયાં તે આઝાદી બાદ આપણે થંભાવી દીધા. કારણ કે બંધારણમાં અસ્પૃશ્યતાના પાલનને આપણે ગુનો ગણ્યો, અત્યાચાર- વિરોધી કાયદો લાવ્યા અને અનામત નીતિ બનાવી સંતોષ માની લીધો.

ફરિયાદ કેવી ને વાત કેવી?

થોડા વર્ષ અગાઉ ઉત્તર પ્રદેશના જૌનપુર વિસ્તારનાં કેટલાંક ગામડાંની મુલાકાત લીધી હતી. તેમાંનું એક ગામ અક્બરપુર. ત્યારે મુખ્ય મંત્રી દલિત હતાં. પાછલાં ઘણાં વર્ષોથી રાત-દિવસ દલિત અત્યાચારના મુદ્દે સંઘર્ષમાં કાર્યરત રહેનાર મિત્ર, 'ડાયનેમિક એક્શન ગ્રુપ'ના રામકુમાર મારી સાથે હતા. અમારી મુલાકાતના દોઢેક વર્ષ પહેલાં અકબરપુરમાં એક ઘટના બની હતી. સ્થળાંતર કરીને પેટિયું રળતા આઠ મુશહર પરિવારની ત્યાં વસ્તી હતી. છ મહિનાના સ્થાળાંતર બાદ, કાળી મજૂરીની કમાણી લઈને તે ગામ પરત આવ્યા હતા. તે રાત્રે બુકાનીધારીઓ બંદૂક સાથે ત્યાં તેમના ઘરે આવી પહોંચ્યા. દલિતો ડરેલા હતા. તેમણે તેમની સંપૂર્ણ કમાણી તેમના ચરણોમાં ધરી દીધી, એ આશા સાથે કે તેઓ સલામત રહેશે. બંદૂકધારી પૈસા તો લઇ ગયા પણ જતા પહેલા સ્ત્રી અને પુરુષોને અલગ-અલગ ઓરડામાં પૂરી બે નવજવાન સ્ત્રીઓ પર સામૂહિક બળાત્કાર કર્યો. આ ઘરમાં પરણીને આવેલી સ્ત્રીએ હજુ પંદર દિવસ પહેલાં જ બાળકને જન્મ આપ્યો હતો. બીજી સ્ત્રી આ કુટુંબની દીકરી હતી. તેનો પતિ બીજા રાજ્યમાં રળવા ગયો હોઈ તે પિયરમાં હતી.

હું ત્યાં ગયો ત્યારે પણ જુવાનજોધ પુરુષ પોતાના આંસુ ખાળી શકતો ન હતો અને આત્મહત્યા કરવાની વાત કરતો હતો. એનું મન પોતાની જાત પરના તિરસ્કારથી ભરાઈ ગયું હતું કે પોતે પોતાની પત્નીની ઈજ્જત ન બચાવી શક્યો. પૂછતાં ખબર પડી કે બળાત્કાર બાદ તેમને તબીબી સારવાર પણ મળી ન હતી. ઘટનાના દોઢ વર્ષ બાદ ફરિયાદ નોંધાઈ ન હતી. કારણ પોલીસ સમજાવતી હતી કે તપાસ પૂર્ણ થાય પછી ફરિયાદ નોંધાય.

રાહુલે ખોટું ન લગાડવું જોઈએ. અખબારી અહેવાલો પ્રમાણે આ ગામમાં મુસ્લિમો પાસે પણ સ્મશાનની જમીન ન હોવાથી તે મૃતકોની અંતિમ વિધિ ઘરમાં જ કરે છે. કાશ્મીરમાં આતંકવાદીઓની ગોળીએ વીંધાઈને શહીદ થયેલા દલિત સૈનિકનો રાષ્ટ્રધ્વજમાં લપેટાયેલો મૃતદેહ ઉત્તર પ્રદેશને ગામડે પહોંચ્યો ત્યારે કહેવાતી ઊંચી જાતવાળાઓએ તેની સ્મશાનવિધિ સામૂહિક સ્મશાનગૃહમાં રોકી હતી. તે અને તેવી ઘણી ઘટનાઓ 'ભેદભારત' પુસ્તકમાં નોંધાઈ છે.

મોંકાણ મસાણની

રાહુલે એટલા માટે પણ ખોટું ન લગાડવું જોઈએ, કારણ દલિતો પણ એ વાતે સહમત છે કે સ્મશાનભૂમિ જ્ઞાતિ અને પેટા-જ્ઞાતિ પ્રમાણે અલગ હોવી જોઈએ. ગુજરાતનાં ગામડાંમાં પણ આ જ ચાલે છે. દલિતોની સ્મશાનભૂમિમાં વાલ્મીકિની અંતિમ વિધિ અશક્ય છે. પેટાજ્ઞાતિની બહાર લગ્ન થઇ શકતાં નથી અને થાય તો હિંસામુક્ત રહેતા નથી. તેમ પેટાજ્ઞાતિની બહાર રહેવાનાં મકાન પણ ભાડે મળતાં નથી. ગામમાં અન્ય પેટાજ્ઞાતિની દલિત વસ્તી ખરી, પણ વાલ્મીકિ વસ્તી ન હોવાથી, તે ગામમાં શિક્ષક તરીકે નિમણૂક પામેલા અને ૧૫-૨૦ કિલોમીટર દૂરથી સાઇકલ પર આવ-જા કરતા વાલ્મીકિ શિક્ષકોની કથા ‘નવસર્જન’ના અહેવાલોમાં નોંધાઈ છે. ભારતનો 'રાષ્ટ્રવાદ' ડૉ આંબેડકરે ઘડેલા બંધારણ પર નહીં, પરંતુ જે વર્ણવ્યવસ્થાની નાબૂદી તે ઇચ્છતા હતા તેના પર ટકેલો છે. આમ જોવા જઈએ તો 'દલિત' ઓળખ એ માત્ર ભ્રમ છે. કારણ કે જ્ઞાતિ-પેટાજ્ઞાતિના સામ્રાજ્યમાં 'દલિત' ઓળખ નિર્મિત થઇ શકે તેમ છે જ નહીં.

આશા રાખીએ, ઘણા વર્ષોના સંઘર્ષ અને હિંસક રાજનીતિ બાદ અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ શરૂ થવા જઈ રહ્યું છે, તેનાથી દલિતોનો ‘હિન્દુ' ધર્મ વધારે સુરક્ષિત થાય.

e.mail : martin.macwan@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 03 ઑગસ્ટ 2020; પૃ. 10-12

Loading

...102030...2,2392,2402,2412,242...2,2502,2602,270...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved