Opinion Magazine
Number of visits: 9680808
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મતદારો જોગ

હરિકૃષ્ણ પાઠક|Opinion - Opinion|14 September 2020

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદની ઉમેદવારી સંદર્ભે મારે જે કહેવું, અનિવાર્ય ગણાય તે ટૂંકમાં કહું છું.

પરિષદના દ્વારકા ખાતેના જ્ઞાનસત્રમાં ૧૯૬૬માં ભાગ લીધો, ત્યારથી પરિષદ સાથે સતત સંકળાયેલો રહ્યો છું અને ૧૯૯૪થી ૨૦૧૭ સુધી સુધી કારોબારીમાં સક્રિય રહ્યા સાથે અનુક્રમે પ્રસારમંત્રી, વહીવટીમંત્રી અને ઉપપ્રમુખ તરીકે યોગદાન કર્યું છે પૂરી સક્રિયતા સાથે, જેથી કેટલુંક કામ જે કરવા જેવું હતું તે થયું. પરિષદના પ્રમુખપદ માટે મારું નામ સૂચવાયું તે તબક્કે એક આપદ્‌ ધર્મ તરીકે મેં સંમતિ આપી છે.

જે મિત્રોએ સામે ચાલીને મને સહકારનું વચન આપ્યું છે અને જેઓએ મારી સાથે જ હોવાનો અહેસાસ અને વિશ્વાસ કરાવ્યો છે, તે સહુનો હું આભારી છું. મિત્રો પોતાની રીતે સહકાર આપી શકે, પરંતુ ઉમેદવાર હું છું તેથી મતદાતાઓને અપીલ પણ મારે જ કરવી ઘટે તેવી સમજ અને વિવેકથી મને મત આપવા આપને અપીલ કરું છું. પરિષદે આજ સુધી ગુજરાત સાહિત્ય અકાદમીને પુનઃ પૂર્વવત્‌ સ્વાયત્ત બનાવવા જે ઉપક્રમ રચ્યો છે, તે બરકરાર રહે અને સંવાદથી આગળ વધે, તે માટે પ્રયત્નો થશે ને થતા રહેશે. શબ્દસેવીઓનો ઉત્તમ સહકાર મળતો રહેશે તેવો વિશ્વાસ છે. અલબત્ત, આ કારણે પરિષદે કરવાં ઘટે તેવાં કામોમાં ઓટ કે મંદતા ન આવે તે પણ જોવું રહ્યું. વળી, સ્વાયત્તતાનો પ્રશ્ન માત્ર પરિષદનો જ નથી, સમગ્ર સાહિત્યજગતનો છે, એને રાજકીય રૂપે જોવાનુંયે ઇષ્ટ નથી.

પરિષદ લોકશાહી ઢબે પ્રવર્તી રહેલી, શતાધિક વર્ષોની ઊજળી પરંપરા ધરાવતી પ્રજાકીય સંસ્થા છે. તેનાં ગૌરવ અને ગરિમા જળવાઈ રહે તે માટે, તેને આત્મનિર્ભર બનાવવા જરૂર પડે, તો લોકમોજાર જવાનું હું પસંદ કરું. આ સંસ્થાના પાયામાં આપણા જે આદરણીય મહાનુભાવો, સર્જકો, સમાજનિષ્ઠો અને પ્રજાપુરુષોનું તપ પડ્યું છે, તેનું પુણ્ય હજી તપે છે.

જે પ્રશ્ન છે તે પરિષદે જ કરવી પડે તેવી પ્રવૃત્તિઓનું સાતત્ય જળવાઈ રહે તે માટે ચુસ્ત-દુરસ્ત, પારદર્શી સહયોગધર્મી અને કરકસરભર્યા વહીવટનો છે. આ જવાબદારી સ્વીકારવા હું રાજી થયો છું તેના પાયામાં સચિવાલયમાં નાયબસચિવ સુધીના પદની કામગીરીના અનુભવની મૂડી પડેલી છે અને તેનો લાભ પરિષદને અગાઉ પણ મળ્યો છે.

સ્વસ્થ લોકશાહીમાં ગુપ્ત-મુક્ત મતદાન એ મતદાતાનો આગવો અધિકાર છે અને તેનો સ્વવિકાનુસાર ઉપયોગ થઈ શકે છે, થવો જોઈએ. સર્વ મતદારોના વિવેકમાં પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા સાથે મારે કહેવાનું તો એટલું જ છે કે – Now or Never – આજે અથવા ક્યારે ય નહીં.

તા.ક. મારો પરિચય ડીસાના અખબાર ‘રખેવાળ’માંથી થોડા સંક્ષેપરૂપે આ સાથે સાભાર ઉદ્ધૃત કરુ છું.

°°°°°°°°°

સર્જક-પરિચય / શિલ્પી બુરેઠા

‘અખંડ આનંદ’ના વિભાગ કાવ્યકુંજમાં પોતાની રચનાઓ મોકલતા, સાહિત્યસર્જકોને રચના ના સ્વીકાર કે અસ્વીકારની જાણ તરત અને સરસ રીતે કરતા રહ્યા છે, એવા સંપાદક તરીકેનો અનુભવ તો કવિઓને થયો જ હશે.

હરિકૃષ્ણ પાઠકનો જન્મ તા. ૫/૮/૧૯૩૮ના રોજ થયો હતો. ૧૯૬૩થી ગુજરાત સરકારના સચિવાલયમાં જોડાયા. ૧૯૯૬માં સરકારી સેવામાંથી નાયબસચિવ(કૅબિનેટ)ના પદ પરથી નિવૃત્ત થયા. હાલ તેઓ ગાંધીનગરમાં જ રહીને અનેક રીતે પ્રવૃત્ત જીવન ગાળી રહ્યા છે. જો કે તેઓ સરકારી સેવામાં હતા, ત્યારે પણ નવોદિતો માટે શિબિરોનું સંચાલન કરીને સતત પ્રવૃત્તિશીલ રહેતા. ‘ગાંધીનગર સાહિત્યસભા’ના સ્થાપક પ્રમુખ અને ‘બુધ કવિતાસભા’ દ્વારા સતત કાર્યરત રહ્યા. તો, આ સિવાય ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ સાથે સંકળાયેલા રહ્યા. કવિતા ઉપરાંત સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં લેખન, સર્જન કર્યું. લેખકનાં પુસ્તકો નીચે મુજબ છે.

સર્જન-વિવેચન : (૧) સૂરજ કદાચ ઊગે (કાવ્યસંગ્રહ) ૧૯૭૪, (૨) ગુલાબી આરસની લગ્ગી (કિશોરકથા) ૧૯૭૯, (૩) કોઈનું કંઈ ખોવાય છે (બાળકાવ્યો) ૧૯૮૧, (૪) અડવાપચ્ચીસી (કટાક્ષકાવ્યો) ૧૯૮૪, (૫) મોરબંગલો (વાર્તાસંગ્રહ) ૧૯૮૮ (૬) દોસ્તારીની વાતો (બાળકો સાથે ગોષ્ઠિ) ૧૯૯૩, (૭) ગલીને નાકેથી (વિવેચન) ૧૯૯૩, (૮) જળના પડઘા (કાવ્યસંગ્રહ) ૧૯૯૫, (૯) હલ્લો-ફલ્લો (બાળકાવ્યો) ૨૦૦૪, (૧૦) રાઈનાં ફૂલ (હાસ્યકટાક્ષ પ્રતિભાવનાં કાવ્યો, ૨૦૦૫, (૧૧) હળવી હવાની પાંખે (પ્રવાસકથા) ૨૦૦૫, (૧૨) મનુભાઈ ત્રિવેદી ‘સરોદ, ગાફિલ’ (પરિચયરેખા) (૧૩) નટુભાઈને તો જલસા છે (વાર્તાસંગ્રહ) ૨૦૦૮, (૧૪) અંગત અને સંગત (નિબંધસંગ્રહ) ૨૦૦૯, (૧૫) ઘટનામાટે (કાવ્યસંગ્રહ) ૨૦૦૯, (૧૬) સાક્ષર બોતેરી (કડીબદ્ધ લઘુચરિત્રકાવ્યો) ૨૦૧૧, (૧૭) સ્વૈરકથા (હાસ્યકથા) ૨૦૧૮, (૧૮) જળમાં લખવાં નામ (સમગ્ર કવિતા) ૨૦૧૧.

સંપાદન : (૧) નગર વસે છે (ગાંધીનગરના કવિઓનાં કાવ્યોનો સંગ્રહ) ૧૯૭૮, (૨) કવિતાચયન (૧૯૯૪નાં કાવ્યો) ૧૯૯૬, (૩) ગૂર્જર અદ્યતન નવલિકા (રઘુવીર ચૌધરી સાથે) ૧૯૯૮, (૪) ગૂર્જર નવલિકાસંચય (રઘુવીર ચૌધરી સાથે) ૧૯૯૮, (૫) કલાપીનાં કાવ્યો – આપની યાદી ૧૯૯૯, (૬) સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગીતસંચય ચંદ્રકાન્ત શેઠ સાથે, ૨૦૦૨, (૭) મુકુન્દરાય પારાશર્ય સ્મૃતિગ્રંથશ્રેણી (સંપાદન : કનુભાઈ જાની તથા દિલાવરસિંહ જાડેજા સાથે) ૧. સ્મૃતિદર્શન (૨૦૧૦), ૨. છીપે પાક્યાં મોતી (૨૦૧૦), ૩. પારાશર્યનું ભાવવિશ્વ (૨૦૧૦), (૮) બાલમુકુન્દ દવેનું સમગ્ર સાહિત્ય, ૧. બૃહદ્દ પરિક્રમા – (સમગ્ર કવિતા) ૨૦૧૦, (૨) અલ્લક-દલ્લક (સમગ્ર બાલગીતો-કાવ્યો) ૨૦૧૧, (૩) પ્યાસ અને પરબ (કાવ્ય-આસ્વાદ તથા સાહિત્યિક લેખો) ૨૦૧૧, (૪) ઘટઘટમાં ગંગા (પ્રૌઢ નવશિક્ષિતો માટેના ચરિત્રાત્મક આલેખો) ૨૦૧૧.

ઍવૉડ્‌ર્સ/પારિતોષિક : (૧) ‘કુમારચન્દ્રક’ (૧૯૬૭ના વર્ષનાં કાવ્યો માટે, (૨) ગુજરાત સરકાર તથા ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રસ્તુત પાંચ પુસ્તકો (૧) સૂરજ કદાચ ઊગે, (૨) ગુલાબી આરસની લગ્ગી, (૩) કોઈનું કંઈ ખોવાય છે, (૪) દોસ્તારીની વાતો, (૫) ગલીના નાકેથી, (૩) નર્મદચન્દ્રક – શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ, જળના પડઘા માટે (૧૯૯૩થી ૧૯૯૭ના સમયનો), (૪) જયંત પાઠક કવિતા-પુરસ્કાર (‘જળના પડઘા’ માટે) ૧૯૯૫, (૫) ધનજી કાનજી ગાંધી સુવર્ણચન્દ્રક – (ગુજરાતી સાહિત્યસભા તરફથી) ૨૦૧૦. (૬) ક્રિટિક્સ ઍવૉર્ડ (છાંદસ કાવ્ય ‘ટાપુ’ માટે) ૧૯૮૪, (૭) ચન્દ્રશેખર ઠક્કર પારિતોષિક (‘વડ, લીમડા ને આમલી’-૧૯૭૨), અને ‘મારે તો’ – ૧૯૭૭ માટે, (૮) કવિશ્રી દલપતરામ ઍવૉર્ડ (વર્ધમાન વિકાસ ટ્રસ્ટ, વઢવાણ દ્વારા) ૨૦૧૧, (૯) નરસિંહ મહેતા ઍવૉર્ડ (સીતારામટ્રસ્ટ, જૂનાગઢ દ્વારા) ૨૦૧૩.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2020; પૃ. 08-09

Loading

‘કામઢા’નાં ડાબલાંમાં જાદુ

જગત જતનકર|Opinion - Opinion|13 September 2020

તેલઘાણી એટલે ઘાલમેલનો ધંધો; પણ મહંમદના કામમાં લગીરે ય ગરબડ નહીં. તેલનું ટીપું ય આઘુંપાછું થાય નહીં. ખોળ પણ વાળી-ઝૂડીને ઘરાકને આપી દે. આસપાસનાં પાંચ-સાત ગામમાં મહંમદની ઘાણીની શાખ. તેની પત્ની મુમતાઝ આખાબોલી; પણ મનમાં જરીકે ય મેલ નહીં. પડોશમાં જ સમજુભા રહે, સમજણપૂર્વક અપરિણીત રહેલા. એમનું વતન તો ખાસ્સું આઘું; પણ પાંત્રીસ વરસથી ગામમાં શિક્ષક તરીકે કામ કરે, એટલે આ વિચારપુર ગામ જ એમનો પરિવાર થઈ ગયેલું. મુમતાઝ એમની જમવાની કાળજી કરી લે.

ઘરને આંગણે રોજ રાતે ડાયરો જામે. દેશ-દુનિયાના સમાચાર અને ગામમાં બનતી ઘટનાને આધારે અલકમલકની વાતો થાય. માત્ર નિશાળિયા જ નહિ; વડેરાં ય આવીને સમજુભાની વાતો સાંભળવા બેસે. આ ડાયરો એટલે ગામના સમજણ અને સંપમાં વધારો કરનારો સહજતાથી ચાલતો વર્ગ! વેકેશનમાં સમજુભા પ્રવાસે કે શિબિરમાં જાય તો આખા ય ગામને ખોટ વર્તાય. બધા એમના આવવાની વાટ જુએ. સમજુભા આવીને પ્રવાસના અનુભવોની વાતો કરે. સમજુભા અને મહંમદને લીધે વિચારપુર ગામ પંકાય.

મહંમદની ઘાણી બળદથી ચાલે. કદાવર, સફેદ, કાંકરેજી બળદ. રોજ ઘરનો ખોળ મળે એટલે શરીરે અલમસ્ત. ઉંમરે બાર વર્ષનો. મહંમદે તેને ખરીદ્યો ત્યારે તે નવ માસનો વાછરડો હતો. તેને બીજે જ અઠવાડિયે મુમતાઝે ઈસ્માઈલને જન્મ આપેલો. બે ય સાથે જ મોટા થયા. પતિ-પત્નીને બે ય વહાલા. બળદનું નામ પાડ્યું ‘કામઢો’. નામ એવા ગુણ. કામઢો રોજ આઠ-દસ કલાક ઘાણી ફેરવે એટલે કસાયેલું શરીર. ચામડી ચમકે, માખી બેસે તો ય ચામડી થથરાવે તેવો સ્ફૂર્તિલો. તેને કોઈ દિવસ કામની આળસ નહીં. ઘરનાં બારણાંનાં મીજાગરાં સવારે ખૂલે ત્યારે કિચૂડ કિચૂડ બોલે તે કામઢાનું એલાર્મ.

ઊઠતાંવેંત કામે ચઢવા તૈયાર. ગામ આખામાં કામઢો સૌથી પહેલો કામે ચઢે. થાકે એટલે ઘડીક ઊભો રહે. સરખી જ ઉંમરનો ઈસ્માઈલ સમજી જાય. પાણીની ડોલ મોઢા આગળ મૂકે. ડોલ ખસવાનો અવાજ આવે એટલે વળી પાછો વગર ડચકારે કામઢે ચાલવા માંડે. ચાલવામાં તેજ, બીજા બળદ કરતાં તેની ચાલ સવાઈ. આગળના પગની છાપની આગળ પાછલો પગ પડે. કેટલાક ઘરાક ખાસ ચાલ જોવા ઊભા રહે. કોઈ વળી જતાં જતાં કામઢા માટે એકાદ બે કિલો ખોળ મૂકતાં ય જાય.

સૌ કામઢાના કામનાં વખાણ કરે, ‘આપણો બળદ જો કામઢા જેવો હોય તો કેટલું સારું!’ મુમતાઝ એ સાંભળી જાય તો રોકડું જ પરખાવે, ‘દીકરાની જેમ સાચવો તો તમારા બળદ પણ કામઢા જેવું કામ કરે.’ આવે વખતે પરગજુ મહંમદ મુમતાઝને વારે; પછી વખાણ કરનાર તરફ હાથ જોડીને કહે, ‘પરવરદિગારની કૃપા કે અમારી પર ગામ આખાનો દયાભાવ છે. બધાને ઘાણીકઢું તેલ ખવરાવવાનું અમને જ નહિ; આ કામઢાને ય ગમે છે!’ આ સંવાદ સાંભળી કામઢો તો ભારે પોરસાય.

કામઢાની એક જ મર્યાદા. એને ગોળ-ગોળ ફરતા જ આવડે! મહંમદે તેને ઘાણી માટે જ પલોટેલો તે ! ઘાણીએ જોતરીને પહેલું કામ કાળાં ડાબલાં પહેરાવવાનું. ગામનાં છોકરાંને નવાઈ લાગે, ‘બીજા બળદ ડાબલાં પહેર્યા વિના જ ચાલે છે તો કામઢાને ડાબલાં કેમ?’ સવારથી સાંજ એક જ કામ; ગોળ-ગોળ ફરવાનું. દિવસો વીત્યા, મહિના વીત્યા, દાયકો વીત્યો. કોઈ દિવસ નહિ વેકેશન; નહિ રજા. રજાનો વિચાર કરવાની ફુરસદ ન’તી મહંમદને કે ન’તી કામઢાને. જેમ અર્જુનને માછલીની આંખ સિવાય કાંઈ ન દેખાય તેમ આ બંનેને ઘાણી સિવાય કાંઈ ન દેખાય.

એક વાર ઉનાળાનો સમય. વેકેશનમાં સમજુભા ધ્યાન શિબિરમાં ગયેલા. બરાબર તે જ વખતે અલ્લાનું કરવું ને કામઢાને કાંધ આવી. ધ્યાન ન રહે તો કાંધ પાકે અને લાંબું થાય. મુમતાઝે તો મહંમદનો ઊધડો લીધો, ‘આટલું ય ધ્યાન નથી રાખતા!’ મહંમદે ચાલુ ઘાણ પૂરો કરી કામ કર્યું બંધ. ઘરાક ભલે ધક્કા ખાય. કામઢો પહેલો; ઘરાક પછી. ઈસ્માઈલ દા’ડામાં બે-ત્રણ વાર કાંધ પર ઘરનું તાજું દિવેલ લગાવી આપે. ઈસ્માઈલનો ફોરો હાથ કામઢાને ખાસ શાતા આપે.

મુમતાઝ રોજ ઊઠતાંની સાથે જ તેને પસવારતાં કહે, ‘ઘણું ય કામ કર્યું છે. પૂરતો આરામ કરી લે. આવી તક મળતી નથી’. આટલું સાંભળી મિજાગરાના અવાજ સાથે ઊભો થયેલો કામઢો પાછો બેસી જાય. કામ વિનાના કામઢાને ચેન પડે નહીં. જિંદગીમાં પહેલી વાર કામઢાને ડાબલાં વગર દિવસો કાઢવાના આવ્યા. સવારથી સાંજ સુધી ગામમાં થતી આવન-જાવન પર તેની નજર રહે. એણે જોયું કે રોજ સવારે એનાં બીજાં ભાઈ-ભાંડુઓ અલગ અલગ સાંતી લઈને સીમ તરફ જાય છે. કોઈ ઓરણી, કોઈ કરબ, તો વળી કોઈ હળ લઈને જાય છે. કોઈ વળી ગાડું ખેંચી જાય છે. કોઈને તો કાંઈ જ જોતર્યું નથી. સાંજે પાછો વળતો ક્રમ. કેટલાં બધાં ઘાટનાં સાંતી, જુદા જુદા રંગ-કદના બળદ, બધાની ચાલે ય અલગ!

શરૂઆતના ત્રણ દિવસ તો આ જોવામાં કામઢાને ભારે રસ પડ્યો. ચોથે દિવસે કામઢાને અચાનક ઝબકારો થયો : ‘આ શું? તેના આ ભાઈ-ભાંડુઓમાંથી એકે ય એનાં જેવાં ડાબલાં તો પહેરતા જ નથી ! બધા ખુલ્લી આંખે અને સીધી દિશામાં ચાલે છે. એકે ય એની જેમ એકલા તો છે જ નહિ ! બધા કોઈ ને કોઈ સાથીદારની સાથે જ ચાલે છે!’ હવે એનું મગજ ચકરાવે ચડ્યું, ગડમથલ થવા માંડી કે, ‘રોજ સાંજે પાછું જ આવવાનું હોય તો બધાં એની જેમ ગોળ ફરીને કામ જલદી પતાવતા કેમ નથી? ઝડપ આટલી ધીમી કેમ? બધા જાય છે ક્યાં અને આવે છે ક્યાંથી? ત્યાં શું કામ કરતા હશે? ભાર વગર ચલાતું કેમ હશે? બધાની ઘાણી કેવીક હશે? આટલા બધા ઘાટના સાંતીની અને તેને વળી બદલતાં રહેવાની જરૂર શી?’ વિચારોના ઘમસાણથી એનું માથું દુખવા લાગ્યું અને એ ઝોકે ચડી ગયો. બીજા બે દિવસ ગયા. રોજ આ જ મથામણ ચાલે અને ઝોકાં આવે પછી એનું માથું ઊતરે.

તેવામાં એક દિવસ તેણે સાંભળ્યું, ‘ચાલો ચાલો, આપણે આજે તો ઓરવાનું છે, મોડા પડે નહીં ચાલે. આ કામઢાની જેમ બેસી રહેવું આપણને ના પાલવે.’ પોતાનું નામ સાંભળી કામઢાના કાન સરવા થયા. તેણે જોયું તો એક વાંકાબોલો ખેડૂત તેના બળદોને પરોણો મારતો હતો. કામઢાને વાત સમજાઈ ગઈ. એની તો ઊંઘ ઊડી ગઈ. તેનું મન વ્યાકુળ થઈ ગયું. દસ વરસની એકધારી અને એકચિત્ત મહેનત પછી ગામમાં આવી વાતો થાય કેમ? તેની કામ પ્રત્યેની લગનને કોઈ પડકારી કેમ શકે? તે રાત્રે કામઢો સૂઈ ન શક્યો. આખી રાત તેણે ઊઠબેસ જ કરી. એને એમ થાય કે પોહ ફાટે ક્યારે અને ઘાણીએ વળગું ક્યારે? તેના માંહ્યલાના અવાજ સામે કાંધની પીડા તો ક્યાં ય ભુલાઈ ગઈ.

ઈસ્માઈલ ઘાણીએ બેસીને મોટેથી એક વારતા વાંચતો તે તેને યાદ આવી ગઈ. તેમાં બંને પગ વગરની એક છોકરી ગિરનાર ચડી ગઈ હતી. શારીરિક તકલીફો તો નબળા મનવાળાને નડે. એને તો ધૂન સવાર થઈ કે, ‘મારે કામ કરવું જોઈએ. ધૂંસરું નાંખી ગોળ-ગોળ ફરવું એ મારો સ્વધર્મ છે, એ જ મારી ફરજ છે અને એ જ મારો સેવાધર્મ છે. મને ઈશ્વરે તેને માટે તો મોકલ્યો છે. આવી રીતે કોઈ નવરું બેસે જ નહિ. કામ વિના જીવનનો સંતોષ મળે જ કેમ? કામ ન કરીએ તો જીવતર એળે જાય. હું બેઠો હોઉં ને ગામ ભેળસેળવાળું તેલ ખાય? અને પછી કામ કેટલું ચડી જાય? ઘાણી પડી પડી બગડી તો નહિ જાય ને?’ તેમાં વળી ઘણા વખતથી બાકી રહેલાં કામો પતાવવા મહંમદ બહારગામ જઈ આવ્યાની વાત જાણી. કામઢાને તો એમે ય વિચાર આવી ગયો કે, ‘આ મહંમદ, કોઈ બીજો ધંધો તો શોધી નહિ કાઢે ને! તે તેનો સ્વધર્મ તો ભૂલી નહિ જાય ને!’ તે રાતે કામઢાએ કશીક ગાંઠ વાળી લીધી.

સવાર પડી; પણ બારણું ખૂલવાનો અવાજ આજે આવ્યો કેમ નહિ? તાવલા ઈસ્માઈલને પોતાં મૂકવા મા-બાપે મોડી રાત સુધી ઉજાગરો કરેલો. બહારના શોરબકોરથી જાગીને મહંમદ જુએ છે તો આખું ફળિયું કામઢાની ફરતે ભેગું થઈ ગયેલું. ટોળાની વચમાં ખીલા ફરતે કામઢો ગોળ-ગોળ ફરે છે. જેમ ઘાણીની પડાળમાં લાટ ફરે તેમ હાલી ગયેલો ખીલો ય ગોળ-ગોળ ફરે છે. અને લોકો આ નવતર જોવાની મઝા માણે છે. કોઈ બોલ્યું, ‘કામઢો ગાંડો થયો લાગે છે.’ કોઈ કહે, ‘હવે આફરો ચડશે.’ કોઈને થયું, ‘બેઠા-બેઠ ખાધું તેની આળસ ઉતારે છે.’ કોઈ શું બોલે છે તેની કામઢાને પડી નથી. એ તો એના તાનમાં ફર્યે જ જાય છે.

આ તમાશો જોઈને મહંમદને ભારે અચરજ થયું. ઘડીક તો તેને કશી ગતાગમ પડી નહિ. કામઢાનું આવું વર્તન ક્યારે ય જોયું નહોતું. ન તો કોઈ દિ’ આવી બીમારી વિશે સાંભળેલું. આની દવા શી? આનો દાક્તર કોણ? આ તો દરદ જ નવું! આંખ ચોળતી મુમતાઝ બોલી, ‘ખીલો બદલી જુઓ.’ મહંમદ તરત કામઢા પાસે ગયો, પૂચકાર્યો. પણ કામઢો ગાંઠે શેનો? મુમતાઝે પાણી પાયું એટલે ઘડીક શાંત થયો.  દરમ્યાન મહંમદે એને ખીલેથી છોડી લીધો. તે જેવો નવા ખીલા તરફ દોરી જાય છે તેવો કામઢો માથું નીચું કરી મહંમદ પાસે ઊભો રહ્યો. કામઢાને એમ કે હવે ધૂંસરી મુકાય એટલે ઘાણી શરૂ. ‘પણ હજી તો કાંધ મટી ક્યાં છે?’ મુમતાઝ ઊંચા અવાજે બોલી. ‘કામઢાને કામે ન ચડાવાય.’ કામઢાને શંકા થઈ કે પેલી ગિરનાર ચડવાવાળી વારતા મુમતાઝે સાંભળી નહિ હોય?

તેણે તો નવા ખીલે ફરી ગોળ-ગોળ ફરવાનું શરૂ કર્યું. પડોશમાં સમજુભા સવારથી બધો તાલ જોયા કરે. આગલી રાતે જ શિબિરમાંથી પાછા આવેલા. તે તો જીવનના મર્મજ્ઞ હતા, બધું પામી ગયા. કહે, ‘ખીલો બદલ્યે નહિ ચાલે, કાંધ મટે નહીં ત્યાં સુધી ડાબલાં પહેરાવેલાં રાખો.’ મહંમદે જેમતેમ કરી કામઢાને ડાબલાં ચડાવી દીધાં. અને ઉપાય તો ભારે કારગર નીવડ્યો! ઘડીકમાં કામઢો શાંત થઈ બેસી ગયો. ડાબલાં જ તેને ગોઠ્યાં. હવે તેની નજર બીજે ફરતી બંધ થઈ. તેનું મન ચકરાવે ચડતું નહોતું અને સદ્ભાગ્યે કોઈ વાંકાબોલો નજીક ફરકતો નો’તો.

એકાદ અઠવાડિયું ગયું. કાંધ સાજી થઈ ગઈ, ઘાણી ચાલુ થઈ ગઈ. હવે બધાં ય રાજી છે, ઘરાક રાજી, મહંમદ રાજી અને કામઢો ય રાજી! પણ રોજ ભરાતા ડાયરામાં ગામનાં વડેરાં પૂછ્યે રાખે છે, ‘હેં સમજુભા, ડાબલાંમાં એવું તો શું છે કે કામઢો શાંત થઈ ગયો?’ સમજુભા મૂછમાં હસે ને એટલું જ બોલે, ‘ડાબલાંમાં જાદુ છે!’ પછી કરુણાભાવથી કામઢા તરફ જોયા કરે.

પણ એટલેથી અટકે તો સમજુભા શેના? આવો મોકો એ જવા દે? એક માર્મિક ગમ્મત કરવાનું તેમને સૂઝ્યું. ઓસરીમાં એક મોટો અરીસો લટકાવ્યો. પછી તેના ઉપરના ભાગે એક આકર્ષક ચબરખી ચોંટાડી, તેમાં કંઈક લખ્યું. ડાયરામાં આવતા લોકોને આજે આ નવું લાગ્યું. અરીસા પર કોઈ ચબરખી થોડી ચોંટાડે? વિચારપુરનાં લોકો આ કૌતુક જોવા જાય છે અને તેમાં પોતાનો ચહેરો દેખાય ત્યારે ચબરખી કપાળે આવે છે. ચબરખી વાંચી સૌ વિચારતાં થઈ જાય છે!

મહંમદે પણ અરીસામાં જોયું ને બોચી ખંજવાળી. કપાળ ઉપર દેખાતી ચબરખીમાં લખ્યું હતું, ‘કામઢો’! તેણે મલકાતાં મલકાતાં સમજુભાને પૂછ્યું, ‘આ અરીસો કામઢાની સામે ધરું?’ મુમતાઝ બોલી, ‘કામઢાને ચાલતાં આવડે છે; વાંચતાં નહિ.’ સમજુભા કહે, ‘અરે, વાંચતાં ન આવડે તો ય ચાલે, અરીસામાં જોતાં આવડે તો ભયો ભયો!’

(સમજુભાના અરીસામાં જોતાં જોતાં સૂઝેલી વાર્તા)  

સૌજન્ય : ભૂદાનમૂલક ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિનું પાક્ષિક મુખપત્ર “ભૂમિપુત્ર”, 16 ઑગસ્ટ 2020

Loading

ન્યાયતંત્ર નહીં ઊગરે તો દેશ અરાજકતા તરફ ધકેલાઈ જશે

રમેશ ઓઝા|Opinion - Opinion|13 September 2020

સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિને સર્વોચ્ચ અદાલતના નહીં, દેશના મુખ્ય ન્યાયમૂર્તિ અર્થાત્ ચીફ જસ્ટીસ ઑફ ઇન્ડિયા તરીકે ઓળખાવવામાં આવે છે, એના પરથી ખ્યાલ આવશે એ હોદ્દો કેટલો મોટો છે અને એનાથી પણ વધુ એનું ગૌરવ કેટલું મોટું છે. પ્રોટોકોલની યાદીમાં મુખ્ય ન્યાયમૂર્તિ અનુક્રમે રાષ્ટ્રપતિ, ઉપ-રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ (જો હયાત હોય તો) પછી પાંચમાં ક્રમે આવે છે. આમાં નિવૃત્ત રાષ્ટ્રપતિને અપાયેલો ચોથો ક્રમ એક આદર માત્ર છે એટલે સત્તા ધરાવનારાઓમાં દેશના મુખ્ય ન્યાયમૂર્તિ વડા પ્રધાન પછી તરત જ ચોથા ક્રમે આવે છે.

તમને યાદ હશે કે ૨૫મી એપ્રિલ ૨૦૧૬ના રોજ દેશના ચોથા ક્રમના હોદ્દેદાર, મુખ્ય ન્યાયમૂર્તિ ટી.એસ. ઠાકુર દેશના ત્રીજા ક્રમના હોદ્દેદાર વડા પ્રધાન નામે નરેન્દ્ર દામોદાર મોદીની હાજરીમાં જાહેરમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. તેઓ રીત સર હીબકા ભરતા ભરતા વડા પ્રધાનને કહી રહ્યા હતા કે હવે દેશનું ન્યાયતંત્ર પડી ભાંગ્યું છે. એને બચાવો. સરકાર જ એને બચાવી શકે એમ છે. પ્લીઝ ન્યાયતંત્રને ચુસ્ત-દુરુસ્ત કરો. ન્યાયતંત્ર નહીં બચે તો દેશમાં કાયદાનું રાજ્ય પડી ભાંગશે.

કાયદાનું રાજ્ય. સામાન્ય જનોનું કાયદાના રાજ્યમાં કેટલું હિત જળવાયેલું છે એનું લોકોને અને ખાસ કરીને ભક્તોને ભાન નથી. ધોળે દિવસે દીકરીનું અપહરણ થશે ત્યારે રડતાં માં-બાપને ક્યાંયથી ન્યાય મળવાનો નથી. જે ન્યાય આપનાર છે એ જ શાસક પાસે કરગરે છે કે પ્લીઝ ન્યાયતંત્રને બચાવો.

તમને કદાચ જાણ નહીં હોય કે ૧૮૧૮માં પેશ્વાઓના રાજનો અંત આવ્યો અને તેની જગ્યાએ અંગ્રેજોનું રાજ આવ્યું ત્યારે પેશ્વાઓની રૈયતે ઘરને ટોડલે દીવાઓ પ્રગટાવીને દિવાળી ઉજવી હતી. શા માટે? કારણ કે કાયદાનું રાજ નહોતું. ઘાસીરામ કોટવાલો પેશ્વાઓના શ્રીમંત સરદારો માટે કે તેના લંપટ સગાંઓ માટે ગમે તેની મા-બહેનોને ઉઠાવી જતા હતા. ફરિયાદ ક્યાં કરો અને કોને કરો? વિજય તેંડુલકરે ‘ઘાસીરામ કોટવાલ’ નાટક લખ્યું અને ભજવાયું ત્યારે મહારાષ્ટ્રના દેશપ્રેમી સંસ્કૃતિ-રક્ષક બ્રાહ્મણોને મરચાં લાગ્યાં હતાં અને નાટક ન ભજવાય એ માટે ધમપછાડા કર્યા હતા. ખેર, એ વાત જવા દઈએ. પેશ્વાઓની રૈયતે દીવા કરીને દીવાળી ઉજવી હતી એ વાત તમને ગળે ન ઉતરે એવું બને.

મને ખાતરી છે કે તમે આપણા કવિ દલપતરામની પેલી જાણીતી કવિતા ‘હરખ હવે તું હિન્દુસ્તાન’! તો સાંભળી જ હશે. હરખ કઈ વાતનો હતો એ તો મનહર છંદમાં લખાયેલી કવિતા વાંચશો એટલે ખબર પડી જશે. કવિતા આ મુજબ છે :

ઝેર ગયાં ને વેર ગયાં, વળી કાળા કેર ગયા કરનાર,
પર નાતીલા જાતીલાથી સંપ કરી ચાલે સંસાર;
દેખ બિચારી બકરીનો પણ કોઈ ન જાતાં પકડે કાન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન.

કવિતા ઘણી લાંબી છે એટલે આખી ઉતારતો નથી (આખી કવિતા ઈંટરનેટ પર ઉપલબ્ધ છે), પણ હજુ વચ્ચેથી બે પંક્તિ ટાંકુ છું :

ઈગ્લીશ નેજા નીચે તારાં તનુજ કરે ગુલતાન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન.

આ કવિતા પરથી ખ્યાલ આવશે કે કાયદાના રાજ માટે પ્રજા કેટલી વલખાં મારતી હતી. દલપતરામ તો શિક્ષિત બ્રાહ્મણ હતા અને છતાં અંગ્રેજોના રાજનું સ્વાગત કરતા હતા તો કલ્પના કરો કે દેશી રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની હાલત કેવી હશે! લગભગ દરેક રાજ્યમાં ઘાસીરામ કોટવાલો જ રાજ કરતા હતા. દલપતરામની કવિતા વાંચીને કદાચ તમને ખાતરી થશે કે મહારાષ્ટ્રમાં પ્રજાએ પેશ્વાઓના રાજના અંતનો અને અંગ્રેજોના રાજના આરંભનો કેવો ઉત્સવ મનાવ્યો હશે.

હિંદુરાષ્ટ્ર અને દેશપ્રેમના નામે દરેક કુકર્મોનો બચાવ કરનારાઓને એક સવાલ પૂછવાનું મન થાય છે. દલપતરામ ડાહ્યાભાઈ આપણી ભાષાના આધુનિક યુગના આદ્યકવિ છે. નર્મદ કરતાં ઉંમરમાં મોટા હતા અને નર્મદ જેટલા જ આધુનિક હતા એટલે હું તેમને આધુનિક યુગના આદ્યકવિ કહું છું. વળી નર્મદ તો પાછલાં વર્ષોમાં બદલાયો હતો, જ્યારે દલપતરામ જેટલા આધુનિક હતા એટલા જીવનભર રહ્યા હતા. એક છેડેથી બીજે છેડે નહોતા ગયા. આ દલપતરામ ૧૯મી સદીમાં ભારતીય શાસકોને અને તેમના આંગળિયાતોને કાળા કેર કરનારાઓ તરીકે ઓળખાવે છે. બકરી અહીં દીકરી-વહુ તેમ જ ગરીબ લાચાર પ્રજાના પ્રતિકરૂપે છે. પાછું દેશીરાજ્યોથી મુક્તિને તેઓ આવકારે છે અને અંગ્રેજ રાજ્યનું સ્વાગત કરીને પ્રજાને હરખાવાની સલાહ આપે છે.

તમને નથી લાગતું કે કવિ દલપતરામ આધુનિક ગુજરાતના આદ્યકવિ ભલે હોય, સૌ પહેલા તો તેઓ આધુનિક ગુજરાતના આદ્યદેશદ્રોહી હતા? આવું કહેવાતું હશે, હરખ હવે તું હિન્દુસ્તાન! આ લખનાર જેવા તો દલપતરામના દેશદ્રોહી નાનાં છોરું કહેવાય. મહારાષ્ટ્રમાં આપણા પોતાના, પાછા હિંદુ અને હિન્દુમાં પણ સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ એવા પેશ્વાઓનું રાજ જાય તો હરખાવાનું હોય! કોઈ દેશપ્રેમ અને હિંદુગૌરવ જેવી ચીજ ખરી કે નહીં? ૧૮૧૮માં જે જે ઘરોમાં ટોડલે દીવા પ્રગટ્યા હતા એને પાછલી મુદ્દતથી દેશદ્રોહી જાહેર કરવા જોઈએ.

હિંદુરાષ્ટ્ર અને દેશપ્રેમના નામે કુકર્મોનો બચાવ કરનારાઓને એ પણ જણાવી દઉં કે અફઘાન પ્રજાને જ્યારે તાલેબાનોથી મુક્તિ મળી ત્યારે ત્યાં પણ પ્રજાએ હરખ મનાવ્યો હતો અને ત્યાં પણ કોઈ દલપતરામે હરખ હવે તું અફઘાનિસ્તાન કવિતા લખી હશે. તમને ખબર નથી કે કાયદો અને વ્યવસ્થા શું ચીજ છે. હિંસા તમારે ઉંબરે આવશે, બહેન-દીકરીને સાંજ પડ્યા પછી ઘરની બહાર નીકળતા ડર લાગશે અને ગાયબ થઈ ગયેલો દીકરો ક્યારે ય ઘરે પાછો નહીં ફરે કે નહીં તેની લાશ મળે ત્યારે ભાન થશે કે કાયદો અને વ્યવસ્થા શું ચીજ છે. છેલ્લાં સો વરસમાં આ ધરતી ઉપર સોએક જેટલા દેશોએ કમકમાં આવે એવી અરાજકતા વેઠી છે. એને જઈને પૂછો કે ધર્મ, વંશ અને ભાષાની અસ્મિતાઓ કરતાં કાયદો કેટલો મહાન છે અને કેટલો જીવનાવશ્યક છે. જીવનાવશ્યક દવા તો માત્ર આપણી જિંદગી બચાવે છે; જ્યારે કાયદો અને કાયદા આધારિત રાજ્ય તમારી, તમારા પરિવારની અને તમારા વહાલાં સંતાનોની જિંદગી બચાવે છે. એના થકી તમે રાતના ઊંઘી શકો છો.

માટે ૨૦૧૬માં દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ટી.એસ. ઠાકુરનાં જાહેરમાં, કેમેરાની સામે બધાં બંધનો તૂટી પડ્યા હતાં અને હીબકા ભરતાં ભરતાં દેશના વડા પ્રધાનને કહ્યું હતું કે ન્યાયતંત્રને ઉગારો. તેનો નાભીશ્વાસ ચાલી રહ્યો છે. ન્યાયતંત્ર નહીં ઊગરે તો દેશ અરાજકતા તરફ ધકેલાઈ જશે. જગતનો ઇતિહાસ આની સાક્ષી પૂરે છે. આ વાતને ચાર વર્ષ થઈ ગયાં છે. આ ઘટના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં બની હતી. તેમણે ન્યાયતંત્રને ઉગારવા શું કર્યું? કાંઈ જ નહીં. ઊલટું, એક ધક્કા ઔર દોની નીતિ અપનાવી છે.

પણ એ પહેલાં દેશના ન્યાયતંત્રની આવી અવસ્થા થઈ શેના કારણે એનું વિવેચન કરીશું.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 સપ્ટેમ્બર 2020

Loading

...102030...2,2142,2152,2162,217...2,2202,2302,240...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved