Opinion Magazine
Number of visits: 9574610
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતના ૭૪મા આઝાદી દિનની પૂર્વસંધ્યાએ ‘સત્યમેવ જયતે’ની હત્યા થઈ

માર્ટિન મેકવાન|Opinion - Opinion|25 August 2020

ભગવાન બુદ્ધનો અને તેમનો ધર્મ ફેલાવનાર સમ્રાટ અશોકનો સંદેશ વર્ષો બાદ (લોકો તેમને અછૂત-અપવિત્ર ગણે તો પણ) દલિતોના દિલોદિમાગમાં સચવાઈ રહ્યો હશે, એવું એટલા માટે જણાય છે કે ઉત્તર પ્રદેશના સારનાથથી આશરે ૭૧ કિલોમીટરના અંતરે આવેલા બાંસગાંવનાં એક દલિત દંપતીએ ૪૨ વર્ષ પૂર્વે પોતાની કૂખે અવતરેલા બાળકનું નામ પાડ્યુ ‘સત્યમેવ જયતે’. જવલ્લે જ જોવા-જાણવા મળે તેવું નામ. આજે પણ ૩૦ વ્યક્તિનું આ કુટુંબ એક ચૂલે જમે છે. એ કુટુંબના અન્ય એક 32 વર્ષીય અને કલકત્તાની 'આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા'માં નોકરી કરતા પિતરાઈનું નામ અમેરિકાના સ્વાતંત્ર્ય જનકના નામ પરથી 'લિંકન' રાખવામાં આવ્યું હતું.

'સત્યમેવ જયતે'નો ઉલ્લેખ અથર્વવેદ સાથે સંકળાયેલા 'મુંડક ઉપનિષદ'ના ત્રીજા મુંડકના પ્રથમ ખંડના છઠ્ઠા શ્લોકમાં જોઈ શકાય છેઃ સત્યમેવ જયતે નાનૃતમ્. હંમેશાં 'સત્ય'નો વિજય થાય છે, અસત્યનો નહીં. નાત-જાતના વાડાઓમાં વહેંચાયેલા ભારતની સમાજ-ધર્મ-રાજ-શિક્ષણ નીતિ ગૌતમ બુદ્ધના અઢી હજારથી વધુ વર્ષના ભવ્ય જ્ઞાનપ્રબોધનના ઐતિહાસિક વારસા બાદ પણ 'સત્ય' કોને કહેવાય તેનો તથા સર્વને ન્યાય-શાંતિનો અનુભવ આપી શકે તેવો, અર્થ શોધી શકી નથી.

બાંસગાંવના સત્યમેવ જયતે ઉર્ફે પપ્પુરામ (પિતા રામસુખરામ) ૪૨ વર્ષની ઉંમરે પોતાની પત્ની મુન્નીદેવી અને ચાર બાળકો સાથે સહિયારા કુટુંબમાં રહેતા હતા. સૌથી મોટું બાળક ૧૨ વર્ષનું. કુટુંબ સહિયારી માલિકીની ૧૫ વીઘા ખેતીની જમીન ધરાવે છે. સત્યમેવ જયતે પ્રથમ વાર બાંસગાંવના સરપંચ તરીકે ચૂંટાયા. વાંસ અને હરિયાળીની ઝલકથી ગામનું નામ બાંસગાંવ. તાલુકો-પ્રખંડ તરવા અને જિલ્લો આઝમગઢ. ગામની વસતિ ૨,૪૧૩ અને તેમાં દલિત વસતિ ૧,૧૬૯, એટલે કે ૪૮.૭ ટકા. ઠાકુર-બ્રાહ્મણનાં ૩૦ ખોરડાં. તાલુકામથક તરવાથી ગામનું અંતર ૧૯ કિ.મી., જિલ્લા મથક આઝમગઢથી ૩૨ કિ.મી. અને પાટનગર લખનૌથી ૩૦૨ કિ.મી. આ ગામ મેહનગર વિધાનસભા ક્ષેત્ર હેઠળ આવે છે, જે અનુસૂચિત જાતિ માટે આરક્ષિત છે અને હાલ તે બેઠક સમાજવાદી પક્ષને ફાળે છે. લોકસભા મતવિસ્તાર આઝમગઢનું પ્રતિનિધિત્વ પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવ કરે છે.

સરપંચ સત્યમેવ જયતેની હત્યા પછી

૧૪મી ઓગસ્ટ ૨૦૨૦ના રોજ દેશ ૭૪માં આઝાદીના રાષ્ટ્રીય પર્વની ઉજવણીની તૈયારી કરતો હતો ત્યારે સાંજના પાંચેક વાગ્યે સરપંચ સત્યમેવ જયતેનું ખૂન થયું. છેલ્લા ૨૪ કલાકમાં આઝમગઢ જિલ્લામાં ૩ ખૂન થયાં તેમાંનું આ એક હતું તેમ ‘નવભારત ટાઇમ્સ’ જણાવે છે. પોતાના ઘરથી થોડે દૂર ખાનગી કોલેજ(શ્રીકૃષ્ણ પી.પી. કોલેજ)ની પાછળ સત્યમેવને આરોપી બોલાવી ગયા અને તેને છ ગોળી મારી. માથામાં મારેલી ગોળી ઘાતક હતી. તેમને મોટરસાઇકલ પર આવી બોલાવી જનાર વિવેકસિંહ ઉર્ફે ભોલુ, સૂર્યવંશ દુબે, બ્રિજેન્દ્રસિંહ ઉર્ફે ગપ્પુ અને વસીમ હતા. હત્યા બાદ આરોપીઓ સત્યમેવના ઘરે આવીને, તેની માને ગાળો ભાંડીને કહેતા ગયા કે સત્યમેવની લાશ જોઈ લો.

ઘટનાના ૭૨ કલાક બાદ આરોપી લાપતા છે. પોલીસે દરેક આરોપીની ભાળ મેળવવા રૂ. ૨૫,૦૦૦નું ઇનામ જાહેર કર્યું છે અને આરોપીનાં સગાંને અટકાયતમાં લીધાં છે. છેલ્લા સમાચાર મુજબ એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને બે આરોપી પોલીસની પકડમાંથી ભાગી ગયા. પકડાયેલ વિવેકસિંહે ધરપકડ અગાઉ પોલીસ પર ગોળી ચલાવી, પણ પોલીસ એન્કાઉન્ટરમાં તે મર્યો નથી. તેની પાસેથી તમંચો અને કારતૂસ મળ્યા છે.

ખૂન થયા પાછળનું કારણ જાણવા મળ્યા મુજબ, 'મનરેગા'ના કામ અંગે ઠાકુરો સરપંચ સત્યમેવ જયતેની કાગળોમાં સહી કરાવવા મથતા હતા અને ગેરકાયદેસર કામ ન કરવા માંગતા સત્યમેવે તેમ કરવા ઇન્કાર કર્યો. એક દલિત ઠાકુરને’ ના પાડે તે તેમના માટે અસહ્ય હતું. અગાઉ હત્યાના આરોપી ગપ્પુએ સરકારી રસ્તો પોતાની સંપત્તિવાળા તળાવમાં વાળી લીધો હતો. તેનું સમાધાન થવા છતાં દબાણવાળી જમીન ખાલી કરી ન હતી.

યોગ્ય કલમ હેઠળ ફરિયાદ

બાંસગાંવ પોલીસ કુમકથી દૂર નથી. બોનગરિયા બઝાર પોલીસચોકી ગામથી ૧.૮ કિ.મી., રાસેપુર પોલીસચોકી ૨.૯ કિ.મી. અને તરવા પોલીસમથક ૧૪.૪ કિ.મી. દૂર છે. ગુસ્સે ભરાયેલા દલિતોનું ટોળું બોનગરિયા બઝાર પોલીસચોકી ગયું અને તોડફોડ કરી. અંધાધૂંધીના માહોલમાં પોલીસની ગાડી નીચે ૮ વર્ષનો દલિત બાળક સૂરજ પ્રજાપતિ કચડાઈને મરણ પામ્યો. પરિસ્થિતિ કાબૂ બહાર જતાં ઉચ્ચ પોલીસ અધિકારી દોડી આવ્યા. રાત્રે પોણા બારે સરકારી જાહેરાત થઇ. અત્યાચાર ધારાની કલમ ઉપરાંત ગુંડા ધારાની અને રાષ્ટ્રીય સુરક્ષા ધારાની કલમ પણ ગુનામાં ઉમેરાઈ. અત્યાચાર ધારા હેઠળ મળવા પાત્ર સહાય ઉપરાંત મુખ્યમંત્રી ભંડોળમાંથી બંને મૃતકને રૂ. પાંચ લાખ સહાય જાહેર થઈ. આરોપીની સંપત્તિ જપ્ત કરવાનો હુકમ થયો. તરવા પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર અને રાસેપુર પોલીચોકીના થાણેદાર બરતરફ થયા. અગાઉ અને હાલ પણ દલિત સંઘર્ષ ફરિયાદ યોગ્ય કલમ હેઠળ નોંધાય તે માટેનો રહ્યો છે ત્યારે સામેથી 'ગુંડા ધારા' અને 'રાષ્ટ્રીય સુરક્ષા ધારા' હેઠળ ફરિયાદ નોંધાય તેનું આશ્ચર્ય થાય.

ગુંડા ધારાનો ઉપયોગ-દુરુપયોગ

૧૯૮૬માં વીરબહાદુર સિંહ મુખ્યમંત્રી હતા ત્યારની ઉત્તર પ્રદેશની કૉન્ગ્રેસ સરકારે 'ધી યુ પી ગેંગસ્ટર્સ એન્ડ એન્ટીસોશ્યલ એલિમેન્ટ્સ એક્ટ’ – ટૂંકમાં 'ગુંડા ધારો' પસાર કર્યો હતો. સરકારી ચોપડે બોલતાં ૨,૫૦૦ જેટલાં જાહેર ગુંડાતત્ત્વોને જેર કરવા માટે આ કાયદો લાવવામાં આવ્યો હતો. કાયદાની કલમ ૨ અને ૩ જે અનુક્રમે ગુનાની વ્યાખ્યા અને સજા સંબંધે છે, તેના કારણે કાયદો કાનૂની ગૂંચમાં ફસાયો. ૧૫ જાન્યુઆરી, ૧૯૮૬માં અમલી બનેલ આ કાયદા હેઠળ સપ્ટેમ્બર ૧૯૮૬ સુધીના નવ મહિનામાં ૭૭૧ સામે ગુનો નોંધાયો, પરંતુ તેમાંથી ૪૭૫ જામીન મેળવવામાં સફળ થયા. એક સમયે કાયદો ઘડવામાં કાનૂની સચિવ તરીકે જેમનું પ્રદાન રહ્યું હતું તે હવે ઉત્તર પ્રદેશની વડી અદાલતના ન્યાયમૂર્તિ બન્યા હતા અને તેમની બૅન્ચ દ્વારા અન્ય ન્યાયાધીશને આ કાયદા હેઠળના આરોપીને જામીન આપવા સંદર્ભે કાયદાની કલમ ૨ અને ૩ ધ્યાને ન લેવા જણાવ્યું. આ કાનૂની મામલો સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો.

ખેર, હવે અત્યારે ઉત્તર પ્રદેશમાં યોગીશાસન હેઠળ આ કાયદા હેઠળ વ્યાપક ધરપકડો થઈ રહી છે, જેમાં નાગરિકતા કાયદાનો વિરોધ કરવાવાળા ૨૭ કર્મશીલોનો પણ સમાવેશ થાય છે.

કિશોરીઓ સાથે દુર્વ્યવહારની દાસ્તાન

આ જ દિવસે ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌથી ૧૩૦ કિ.મી. દૂર ખેરી જિલ્લા અને લખીમપુર તાલુકાના પકરિયા ગામે ૧૩-૧૪ વર્ષની દલિત છોકરીની ચૂંથાયેલી લાશ મળી. આ ગામ નેપાળની સરહદથી ૫૦ કિ.મી. દૂર આવેલું છે. છોકરીના ગળે દુપટ્ટો કસેલો હતો અને તેનાથી જ તેને શેરડીના ખેતરમાં ઢસડી લઇ ગયેલાનું જણાય છે. ગામ ઈસાનગર પોલીસમથકના તાબા હેઠળ આવે છે.

બપોરના એક વાગે કુદરતી હાજત માટે ગયેલી છોકરી ઘણો સમય વીતવા છતાં પછી ન આવતા મા-બાપે પોલીસને જાણ કરી. પોલીસ અને ગામલોકોની સહિયારી શોધમાં છોકરીની લાશ મળી. પોલીસની માહિતી મુજબ તેની આંખ ફૂટેલી હતી અને જીભ કપાયેલી હતી. પોસ્ટમોર્ટમ અહેવાલમાં બળાત્કારની પુષ્ટિ થઇ છે. શેરડીના ખેતરનો માલિક બેમાંથી એક આરોપી છે અને તેણે હત્યા કર્યાનું કબુલ્યું છે. સંતોષ યાદવ અને સંજય ગૌતમની પોલીસે ધરપકડ કરી છે. આ ઘૃણાસ્પદ ઘટનામાં એકાદ દલિત યુવાનની સામેલગીરીના અહેવાલો પણ બહાર આવી રહ્યા છે. ફરિયાદમાં બળાત્કાર ઉપરાંત ‘પોક્સો’ અને રાષ્ટ્રીય સુરક્ષા ધારાની કલમ પણ લાગી છે.

કિશોરી સાથે જાતીય દુર્વ્યવહાર ઉત્તર પ્રદેશની સંસ્કૃતિનો જાણે ભાગ બની ગયો છે. ૧૮ વર્ષથી નીચેની છોકરીઓ સાથે જાતીય દુર્વ્યવહારની ઘટના ૨૦૧૭માં ૧૩૯ નોંધાઈ હતી, તે વધીને ૨૦૧૮માં ૧૪૪ થઈ છે. આ આંકડા માત્ર પોલીસ ચોપડે નોંધાયેલી ઘટનાઓના જ છે. ભારતનો આ પ્રદેશ નેપાળના આવા જ ગરીબી અને અવિકાસથી સબડતા પ્રદેશ સાથે ભૌગોલિક રીતે જોડાયેલો છે.

ભેદભાવનો જાતઅનુભવ, વિકાસની વાસ્તવિકતા

થોડાં વર્ષો પહેલાં પકરિયા ગામથી માત્ર ૭૫ કિ.મી. દૂર નેપાળના ધનઘડી જિલ્લાના કૈલાલી મુકામે એક અઠવાડિયું રહેવાનું થયેલું. દલિત આગેવાનો સાથે ત્યાંની પરિસ્થિતિ જાણવાનો આ પ્રસંગ હતો. ઘણા લોકો મને મળવા આવ્યા હતા, તે કલાકો સુધી ડુંગરા ખૂંદતા પગપાળા આવ્યા હતા, કારણ તે દુર્ગમ વિસ્તારનાં ગામોમાં વાહનની વ્યવસ્થા ન હતી. આ ગામોમાં મેં પ્રથમ વાર સ્ત્રી માસિકમાં હોય ત્યારે ઘરથી દૂર બિસ્માર ઝૂંપડીમાં રહેવાની પ્રથા જોઈ. નેપાળમાં પીપળના વૃક્ષની પૂજા થાય છે પણ મેં એક પીપળનું તોતિંગ વૃક્ષ જોયું જેની પૂજા થતી ન હતી કારણ તે દલિતે વાવેલું હતું. શાળામાં દલિત બાળકો પ્રાર્થના ગાઈ ન શકે તેવો પ્રતિબંધ-ચાલ પણ અહીં ભુલકાંઓના મોઢેથી સાંભળ્યો.

વિકાસ ભારતનો આધુનિક મંત્ર છે. પરંતુ વિકાસની વ્યાખ્યા લોકશાહીમાં લોકો વધુ સારી રીતે કરી શકે છે. ૧૯૮૬માં ધંધુકા તાલુકાના રાણપુરથી ગુજરાતમાં 'માથે મેલું' ઊંચકવાની પ્રથા સામે આંદોલન મંડાયું હતું જે વીસેક વર્ષમાં આખા દેશમાં ફરી વળ્યું. એ આંદોલનમાં પ્રાણ પૂરનાર મહાન નેતા ન હતા પણ સાવ ઓછું અક્ષરજ્ઞાન પામેલા, તાલીમબદ્ધ-કોઠાસૂઝવાળા પાયાના કાર્યકર હતા. આ વાત એટલા માટે અહીં પ્રસ્તુત છે કારણ પકરિયામાં જાતીય હિંસાના ભોગ બનવા સાથે જીવ ગુમાવનાર દલિત કિશોરી તે પ્રથમ ઘટના નથી. ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારોમાં આવી ઘટના ઢગલાબંધ જોવા મળે છે અને તેનો ઉલ્લેખ 'ભેદભારત'માં છે. માથે મેલું નાબૂદીના ભાગરૂપે સરકારે 'સ્વચ્છતા મિશન' શરૂ કર્યું અને તેના ભાગરૂપે શૌચાલય બનાવવાનું અભિયાન.

વળતે દિવસે સવારે ૯ વાગે ઉત્તર પ્રદેશ વિધાનસભા પરિસરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી મુખ્યમંત્રી યોગીએ પોતાના ભાષણમાં ન તો સત્યમેવ જયતેનો ઉલ્લેખ કર્યો કે ન પકરિયાનો. તેમણે દાવો કર્યો કે તેમની સરકારે દેશમાં ૨ કરોડ શૌચાલય બાંધ્યાં છે. પકરિયાની દલિત કિશોરી પાસે શૌચાલય પહોંચ્યું ન હતું. ગુજરાત જેવા ગતિશીલ રાજ્યમાં આ અભિયાન હેઠળ જે શૌચાલય બન્યાં છે તે કેવાં બન્યા છે તેના તસવીરી પુરાવા નવસર્જન પાસે ભારે મહેનત બાદ એકત્રિત કરેલા અને અપ્રકાશિત પુસ્તક સ્વરૂપે પડેલા છે. વિકાસના ભાગરૂપે મનરેગા હોય કે શૌચાલય નિર્માણનો કાર્યક્રમ, ભ્રષ્ટાચારનો ભોરિંગ 'સત્યમેવ જયતે'નો કાંટો કાઢી નાંખે છે.

મુખ્યમંત્રીએ 'સત્યમેવ જયતે'ના આત્માની શાંતિ માટે કામના કરી. જીવતા નાગરિકો કરતાં, ઘૃણિત હત્યાનો ભોગ બનેલા વધારે ભાગ્યશાળી હોય છે, કારણ કમ સે કમ, તેમના કોઈએ ન જોયેલા-અનુભવેલા-પુરાવાવિહીન અસ્તિત્વવાળા આત્માની ગણના થાય છે.

વિવિધ રાજકીય પક્ષો વચ્ચે શો ફરક?

ઉત્તર પ્રદેશના પૂર્વ અને પ્રથમ દલિત મુખ્યમંત્રીએ સવાલ પૂછ્યો છે: ભા.જ.પ. અને સમાજવાદી પક્ષ વચ્ચે ફરક શું? યોગ્ય સવાલ એ છે કે જ્યાં સુધી આ દેશના બહુમતી ગરીબ-વંચિત-દલિત-લઘુમતીના અધિકારોને લાગેવળગે છે ત્યાં સુધી ભારતના તમામ પક્ષો વચ્ચે શું ફરક છે?

ડૉ. આંબેડકરના રાજકીય વિચારોને રાજકીય સત્તામાં પરિવર્તિત કરનાર કાંશીરામે દલિતો માટે દેશમાં ભારે આશા જગવી હતી. પંજાબ-ઉત્તર પ્રદેશમાં એ કરી શક્યા તેની પાછળ એમના ભારે શ્રમ ઉપરાંત પંજાબમાં આદિ-ધર્મ-ચળવળના સ્થાપક મંગુરામ અને ઉત્તર પ્રદેશમાં સ્વામી અછુતાનંદનું પ્રદાન ભારે હતું. ફુલનદેવીના વિસ્તારમાં ગામડાંમાં મુલાકાત વેળા એવા વૃદ્ધોને મળવાનું થયું જે રાત-દિવસ સાઇકલના સહારે કાંશીરામ સાથે ગામડાં ખૂંદતા હતા. નાની વસતિઓમાં સભા, સાંસ્કૃતિક કાર્યક્રમોથી સૌથી બ્રાહ્મણ-પ્રભાવશાળી અને સમગ્ર ભારતની સંસદની પાંચમા ભાગની બેઠકો પર પ્રભુત્વ જમાવનાર ઉત્તર પ્રદેશમાં વૈકલ્પિક અને સફળ રાજનીતિ ઊભી કરી. પરંતુ વર્ષ ૨૦૦૭માં ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ૪૦૬માંથી ૨૦૩ બેઠક મેળવનાર બહુજન સમાજ પક્ષ ૨૦૧૭માં માત્ર ૧૯ બેઠક જીતી શક્યો. પણ, ઉત્તર પ્રદેશમાં ૮૫ વિધાનસભાની બેઠકો દલિત-અનામત છે. તેમાંથી ભા.જ.પ. અને સાથી પક્ષોને ૭૫, સ.પા.ને ૭, એક અપક્ષ અને બી.એસ.પી.ને ફાળે માત્ર ૨.

દલિતો પાસે સંખ્યાબળ અને આક્રોશ છે પણ સામાજિક ન્યાયની દિશા સ્પષ્ટ નથી. સમાજમાંથી જે રાજકીય નેતાગીરી ઉભરી તે સ્વ-કેન્દ્રિત વધુ છે. નવી યુવા નેતાગીરીને રાજકીય ખુરશીમાં સત્તા દેખાય છે. તે માને છે કે સત્તા મેળવવા કંઈ પણ કરવું જોઈએ. દેશની લઘુમતી પાંચથી સાત ટકા બ્રાહ્મણ વસતિને રીઝવવા હવે પરશુરામની પ્રતિમા તે નવો રાજકીય કાર્યક્રમ છે.

તારણ એ છે કે સરકાર કોઈ પણ પક્ષ બનાવે, દલિતો પર અત્યાચાર વધે છે, કારણ જ્ઞાતિ વ્યવસ્થાનિર્મૂલન ભારતના કોઈપણ રાજકીય પક્ષનો એજેન્ડા નથી. ઉત્તર પ્રદેશમાં દલિતો લઘુમતી નથી, ૨૦.૭ ટકા (૨૦૧૧) વસતિ છે. છતાં દેશમાં સૌથી વધુ અત્યાચાર દલિતો પર ઉત્તર પ્રદેશમાં થાય છે. રાજકીય અનામત ન હોત તો દલિતો વધુ સંગઠિત હોત અને અત્યાચારો ઓછા થાત તેવું ઘણી વાર લાગે છે.

e.mail : martin.macwan@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 24 ઑગસ્ટ 2020; પૃ. 07-10

Loading

બિનકુ – કિરણ – જય

સૂચી વ્યાસ|Opinion - Opinion|25 August 2020

“એ ય …. સાબદા રહેજો …. એ ય … સાબદા રહેજો! ઓલા ભાણા પટેલની ભાણી આવે." − આવો ગરબો કાઠિયાવાડમાં બહુ સાંભળવા મળતો. તો આજે એવાં ભાણીબાની કથા કરવાની છે. ભાણીબાનું હુલામણું નામ બિનકુ છે અને પાસપોર્ટમાં લખાય તેવું નામ અમી છે, પણ આ નામથી આમ જનતા અજાણ છે.

બિનકુ તો ભાઈસા’બ, નાનપણથી બહુ મોઢે ચડાવેલી. (સાત ખોટના ખોડીદાસ જેવી) મારાં બહેન-બનેવીને ત્યાં માંડ માંડ પારણું બંધાયેલું. તેથી ભારે લાડકોડમાં આ માથાભારે કન્યાને ઉછેરવામાં આવેલી. આ કલાવતી કન્યા રાતે ન વધે એટલી દી’યે વધે. એમ જોતજોતામાં જુવાન થઈ ગઈ. દેખાવમાં સોળ વરસની સુંદરી આળસ મરડીને ઊભી થાય તો, એકાદ ક્ષણ અમિતાભ બચ્ચન પણ છક્કડ ખાઈ જાય કે … "અરે રેખા! આટલી નાની ૨૫ વરસની કન્યા બની ગઈ!" ટૂંકમાં ફિલ્મી પડદાની બહાર રેખા! ઘરમાં રમતી-ગાતી-નાચતી બિનકુને જોઈ શેર લોહી ચડે. ભણવામાં અને કામે કાજે ભારે જબરી! જબરી શબ્દ ઓછો પડે એવી જબરી!

એક આડવાત : એક વખત બિનકુનાં સાસુ અમેરિકા ફરવા આવેલાં. તો આ લોકો એમને લાંબા પ્રવાસે ફ્લોરિડા લઈ ગયેલાં. પ્રવાસ બાદ ઘરે આવ્યાં. સાસુમા ઉપર હાથ-પગ ધોઈ, કપડાં બદલી નીચે આવ્યાં ત્યાં સુધીમાં, એટલે કે ૧૫- ૨૦ મિનિટમાં જમવાનું તૈયાર કરી, ડાઇનિંગ ટેબલ ઉપર થાળી પીરસાઈ ગઈ હતી. મને લાગે છે કે બિનકુનાં સાસુને હજુ મનમાં શંકા છે કે મારા દીકરાની વહુ કાંઈ માનવ સ્વરૂપમાં નથી! ભૂત છે કે શું? સાસુ બોલેલાં : "કાય જેવણ ઝાલા?" (જમવાનું થઈ ગયું?)

કૉલેજમાં ભણતાં ભણતાં શિવાજી પાર્ક ઉપર ક્રિકેટ રમતો એક ફૂટડો છોકરો. પાંચ હાથ પૂરો, દરિયા જેવી લીલી-બ્લ્યૂ આંખોવાળો. પહેલી નજરે ગમી જાય એવા યુવાનના પ્રેમમાં પડેલી. નામ : કિરણ જોગલેકર. ફટાફટ ભણી-ગણીને બહેનબા કોકણસ્થ મરાઠી બ્રાહ્મણનાં પત્ની બની ગયાં. બિનકુ અમારાં જેવા ગાંધી વિચારધારાવાળાં કુટુંબમાં ઉછરેલી હોવા છતાં એકદમ ચુસ્તપણે ‘ગર્વ સે કહો, હમ હિંદુ હૈ.’ જેવી દ્રઢ માન્યતામાં જીવે. એમાં મરાઠી બ્રાહ્મણને પરણી. જેથી હિંદુત્વની આગમાં મરાઠી ઘી હોમાયું. ‘જય ભગવાન!’

બિનકુનાં લગ્ન એટલે બહેનનાં ઘરે તો ‘શુંયે વાત!’ એવો માહોલ હતો. જલસા જ જલસા! ખાણી-પીણી, ગાણી-બજાણી ને ધમાલ, બાપુ! ઘરે સવાર-સાંજ ૫૦-૬૦ માણસનું જમવાનું થાય ને એમાં … પૂછો મા વાત! એટલીવાર ચા મુકાય. આવા દે-દે દેકારામાં બિનકુ રાડ પાડે : "મારી ચા ક્યાં છે, મા?" બિનકુનો પ્રભાવ જ એવો પડે કે આજુબાજુનાં લોકો કારણ વગર બસ, એનાથી ડરી જાય, બી જાય. બાપલડીનો બાર ખાંડી મિજાજ. આમ સ્વભાવ બાર ખાંડી, પ્રભાવ બે મણનો. તેથી એની આસપાસ કોઈ જાતનો અભાવ જ ન રહે તેવું વાતાવરણ સહજતાથી સર્જાઈ જાય.

આવી ધાડ ધાડ બિનકુને લગ્ન બાદ મનમાં થાય છે કે ‘સૂચી આન્ટી પાસે અમેરિકા જઈ સેટલ થાઉં તો કેવું?’ હવે સમજાયું ને કે મને પેલો ગરબો કેમ યાદ આવ્યો? સાબદા રહેજો. ભાણા પટેલની નહીં, પણ સૂચી વ્યાસની ભાણી આવે છે. સાબદા રહેજો.

૧૯૮૮ની સાલમાં બિનકુને વિઝિટર વિઝા ઉપર સ્પોન્સર કરી ધામેધૂમે મરાઠી-બ્રાહ્મણ યુવાન પતિ જોડે અમેરિકા બોલાવી તો લીધી, ત્યારે બિનકુ ફક્ત ૨૧ વર્ષની અને કિરણ ૨૪ વર્ષનો હતો. પહેલે દિવસે ફિલાડેલ્ફિયા ઍરપૉર્ટ ઉપરથી ઘરમાં પ્રવેશ કરતાં ભાણીબા અને જમાઈરાજાનું ભવ્ય-દિવ્ય સ્વાગત કર્યું. મગ – લાપસી જમાડ્યાં. પહેલી વાર દીકરી-જમાઈ ઘરે આવ્યાં એનો આનંદ-ઉમંગ કાંઈ ઓર જ હતો. બંને લોકો ઊછળતાં, દેખાવડાં, ભણેલાં-ગણેલાં, સફળતા પામવા માટે બેગ ભરીને સ્વપ્નાંઓ લઈને આવેલાં. પહેલા અઠવાડિયે તો ક્રિસમસનું વેકેશન હતું. પાર્ટીઓમાં પસાર થઈ ગયું. બીજી કે ત્રીજી જાન્યુઆરી પછી બિનકુની રેઝ્યુમી  તૈયાર કરવામાં આવેલી. બિનકુ દેશમાંથી ઑક્યુપેશનલ થૅરપિસ્ટ થઈને આવેલી. એ જમાનામાં જોઈએ એટલી નોકરીના ઢગલા હતા. રિહેબની દુનિયામાં થૅરપિસ્ટના સાંસા પડતા હતા.

આમ, એક જાન્યુઆરીની ૧૦મીએ ફાધર માર્ટિન લ્યૂથર કિંગ ડેની રાબેતા મુજબની રજા હતી. અમે પ્લાન કર્યો કે આજે બે જગ્યાએ ઇન્ટરવ્યૂ ગોઠવવો. જેથી આજની રજા કામ આવી જાય. એક સાઉથ જર્સીમાં અને એક રેડિંગ પેન્સિલવેનિયામાં બે ઇન્ટરવ્યૂ ગોઠવી દીધા.

બિનકુને સરસ બ્લ્યૂ સૂટ, વ્હાઇટ શર્ટ, પગમાં પહેરવાનાં બ્લ્યૂ પમપમ ને ગળામાં મોતીની માળા અને લાઇટ મેઇક-અપ કરી, મઢમ બનાવી અને અમે તો મારી મૂકી ગાડી.

મને વડીલ થતાં નથી આવડતું. પણ … નાનું ભાષણ, નાટકીય અદાથી આપતાં તો આપી દીધું. “Charlie, Party is over. Now let us go to work. Charlie, don’t walk, now you got to run.” આજે ૨૫ વર્ષ પછી સમજાય છે કે મારો બિનકો, મારો ચાર્લી … તે દી’થી એવો હડી મેલીને દોડ્યો છે કે પાછું વાળીને જોયું નથી. અધૂરામાં પૂરું ‘Forest gum’ નામની મૂવી બિનકુને અતિશય ગમતી-આદર્શ મૂવી છે. પછી તો દોડે, દોડે ને દોડે! હડી મેલીને દોડે છે અલાસ્કામાં.

એક કૂતરાની જાત છે : જેની ડોકનો પટ્ટો સહેજ ખેંચો, એટલે માંડે દોડવા. આ દોડતું કૂતરું ૨૨ માઇલ દોડ્યા પછી જ ઊભું રહે. અમારી બિનકુને આ વાત ખબર નથી.

અમે બે જગ્યાએ ઇન્ટરવ્યૂ આપ્યો. બંને જગ્યાએ નોકરી તો મળી ગઈ. પણ રેડિંગ રિહેબવાળા લોકોએ બેનિફિટ વધારે આકર્ષક આપ્યા. રહેવા માટે ઍપાર્ટમૅન્ટ અને ગ્રીનકાર્ડની સુવિધાઓનો લાભ આપતી નોકરી સ્વીકારી.

૨૧ વર્ષની કુમળી કળી જેવી બિનકુને કિરણ સાથે રેડિંગ પેન્સિલવેનિયા મૂકી તો આવ્યાં, પણ આખી રાત ઊંઘ ન આવી. જંગલમાં સાવ સૂનકાર રસ્તા ઉપર આવડું મોટું કેમ્પસ. સમ ખાવા કોઈ લાઇટ દેખાય કે કોઈ વાહન આવતું-જતું દેખાય. નાની બાળ બિનકુ, ને નાનો એવો કિરણ. રામ-સીતા અરણ્યમાં હરણાં વચ્ચે પર્ણકુટિરમાં બેસી ગયાં! ભલે ને ભડભાદર, ઊંચી, પહોળી, દેખાવડી, છરાદાર, માભાદાર, જોરદાર. પણ બાપડી અંદરથી સાવ ઢીલી. વાતે વાતે આંખોમાં આંસુ આવી જાય એવી ગરીબડી પણ ખરી, હોં! સોમથી શુક્ર નોકરી કરવાની અને શુક્રવારે ધમધોકાર ભાગી ભાગીને બિનકુ-કિરણને પાછા લઈ આવીએ. ચિ. ભાઈ કિરણ વનો-ઉપવનો, અરણ્ય, હરણાંઓ, સસલાંઓમાં ત્રાસ-ત્રાસ પામી જતા. ક્યાં મુંબઈનો શિવાજી પાર્કનો એનો રોલો, એનો માભો અને ક્યાં આ પેન્સિલવેનિયાનું જંગલ! મુંબઈ પાછા ભાગી છૂટવાના કજિયા પણ કરે. ધીમે ધીમે બિનકુના રિહેબમાં વૉલન્ટિયર સર્વિસમાં લાગી ગયો. કૉલેજમાં ભણવા પણ બેસી ગયો.

બિનકુ ચોક્કસ ગતિએ પોતાનાં ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કર​વા લાગી અને સમાજમાં પોતાનું બાહોશ સ્ત્રી તરીકે નામ કમાવા લાગી. બિનકુનું સન્માન કરવું પડે, હોં! સન્માન એટલે કે સ્વને નહીં, પણ સર્વને સ્પર્શે છે. કિરણ જેવા કિરણનું માનસ, માનસિકતા બદલી શકી. છેલ્લા ૨૫ વર્ષથી ઇજ્જતથી અને લિજ્જતથી જીવી જાય છે. ખાવા-પીવામાં વધુ વાયડી છે. (પહેરવા-ઓઢવામાં એથી પણ વધુ વાયડી છે.) પણ અમે સૌ એને સમજદારી અને સંવેદનાથી એવી છલોછલ ભરી દઈએ છીએ કે બિનકુ અમારાં વચ્ચે મઘમઘે છે અને ખીલી ઊઠે છે. (પોતે પણ બધાં સાથે ગધેડાં જેટલું કામ કરે છે.) ઘરમાં પાર્ટી હોય અને બિનકુ કામ કરવા વહેલી આવે ત્યારે અચૂક હું બોલું છું : "યા અલ્લી, મદદ આલી."

બિનકુને મારી અને પોતાની નાની બહેનની જ્યાં ત્યાં લાઇનું મારવાની કે ફ્લર્ટ કરતાં નથી આવડતું. પારકા ભાયડાઓ ભાઈ સમાન. અંગત વાત જાહેર કરવી છે. અમારી એક દીકરીના સસરા છે. અતિશય ભલા અને સંસ્કારી માણસ. કોણ જાણે કેમ બિનકુને ‘પપ્પા’ ઉપર આમ પ્રેમભાવ જેવું છે. કે લાઇન ન મારતી. બિનકુ પપ્પાને મળવા જતાં પહેલાં ટપાટપ લિપસ્ટિક લગાવે અને બોલે પણ ખરી કે : "પપ્પા મને બહુ ગમે છે. અમારી મશ્કરીનો માર સહન કરે છે."

બિનકુનાં જમા પાસાનો સરવાળો કરું તો મોટો હિસાબનો ચોપડો ઉખેળવો પડે. એટલે ટૂંકમાં જ કહું તો, અમેરિકા આવી, પતિને ભણાવી-ગણાવી નોકરીને અર્પણ કર્યો. નાની બહેન જયદેવીને સાથે રાખી. ભણાવી-ગણાવી ને છેક લગ્ન કરાવી આપ્યાં, ત્યાં સુધી સાથ આપ્યો.

આ બધા ઉપરાંત બિનકુ એક આદર્શ મા છે. પોતાના એકના એક વહાલસોયા દીકરાને એકલા હાથે મોટો કર્યો. ભણાવ્યો-ગણાવ્યો અને તૈયાર કર્યો. આજે અંગ્રેજી સાહિત્ય માટે વિવેચન કરતી મોટી કંપનીમાં યોગદાન આપી નામના કમાય છે. બિનકુએ બીજા બધાં મા-બાપની જેમ હજારો ને લાખો વાર મોટર હંકારી હંકારી ઇતર પ્રવૃત્તિઓ માટે હડિયાપટ્ટી કરી હશે. પોતાના બાળકનાં તમામ નાટકોમાં સૌ માટે પૈસા ખર્ચી ખર્ચી ટિકિટો ખરીદી હશે. ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં ઍડમિશન મેળવતાં પહેલાં બીજી અનેક જગ્યાએ ઍડમિશનની ધમાલ ભોગવી હશે. નાના હતાં ત્યારે એક ફિલ્મ જોયેલી. જેનું નામ હતું – સ્વયં સિદ્ધા. અમારી બિનકુને આ નામ હું જાહેરમાં અર્પણ કરું છું. જ્યારે એનો વહાલસોયો પુત્ર ધામેધૂમે કૉલેજનું ભણી રહ્યો, ત્યારે મારા મનમાં અસંખ્ય ભાવો જાગેલા. હજુ રોજ મારા ભાવજગતમાં લાગણીઓ ગરબા રમે છે. (સોહમ એટલે કે બિનકુનો પુત્ર)

સોહમની મા એટલે સહજતા.
સોહમની મા એટલે સૌજન્ય.
સોહમની મા એટલે સાત્ત્વિકતા.
સોહમની મા એટલે સભ્યતા.

આ આખો ય નિબંધ બિનકુ-જય-કિરણ એમ ત્રણ જુદા રેખાચિત્ર કરવાનો હતો. પણ બિનકુ વિષય એટલો અઘરો છે કે બાકીનાં બે પાત્રોનું ચિત્ર અશક્ય બની જતાં નાની શી નોંધ જ લીધી છે.

e.mail : girishsuchi@comcast.net

પ્રગટ : “ગુર્જરી ડાયજેસ્ટ”, ઍપ્રિલ 2020; પૃ. 16-18

Loading

ઉમદા પરસ્પર વ્યહવાર

હેમંત નાણાવટી, હેમંત નાણાવટી|Opinion - Opinion|25 August 2020

રાજકારણનું સ્તર કેવું હોય? રાજનીતિ અને રાજકારણમાં શું ફરક? રાજધર્મ એટલે શું? લોકશાહીમાં સરકાર એટલે શું? સરકારની ભૂમિકા શું? બહુ સાચું કહું તો પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં જે રીતનું વર્તન, વાણી વ્યહવાર કે વિચાર જે રીતે વ્યક્ત થાય છે તે સાંભળી પારાવાર દુઃખ થાય છે. સત્તા પ્રત્યેનું આંધળું આકર્ષણ અને એ મેળવીને ધનપતિ થવાના કોડ દેખાય છે અને કહેવાતું નેતૃત્વ યુવાનીને બહેકાવી ગુમરાહ કરવાનું ઘોર દુષ્કૃત્ય કરી રહ્યા છે તેવું ભાસે છે, ત્યારે આ મૂર્ખ મનને ભૂતકાળનો એક કિસ્સો યાદ આવે છે અને એ કહેવાની લાલચ રોકી શકતો નથી.

વાત જાણે એમ છે કે પંડિત જવાહરલાલ નહેરુની સરકાર કેન્દ્રમાં હતી, ત્યારે એ કૉન્ગ્રેસની સરકારમાં જયસુખલાલ હાથી કેબિનેટમાં પ્રધાન હતા. સુરેન્દ્રનગરમાં જન્મેલા જયસુખલાલ હાથી રાષ્ટ્રીય રાજકારણમાં એ વખતે અદનું સ્થાન ધરાવતા હતા અને તે સમયમાં જનસંઘના મુખપત્ર "સાધના"માં તેમની સામે ગંભીર આક્ષેપો કરતો લેખ પ્રસિદ્ધ થયો અને એ વાંચી જયસુખલાલ વ્યથિત તો થયા, પરંતુ તેઓ પોતાનું રાજીનામુ લઈને વડાપ્રધાન પાસે ગયા ત્યારે નહેરુએ એમને ઉતાવળ ન કરવા કહ્યું અને પછી નહેરુએ જનસંઘના સાંસદ એવમ નેતા અટલ બિહારી બાજપાઈને આ વાતથી વાકેફ કર્યા  અને બાજપાઈએ નહેરુને તપાસ કરીને પ્રતિક્રિયા આપવાનું વચન આપ્યું અને બીજે દિવસે પાર્લામેન્ટમાં ફ્લોર પર બાજપાઈજીએ જયસુખલાલ હાથી સામેના આક્ષેપો ખોટા છે એની જાહેરાત કરી, એ લેખ "સાધના"માંથી પરત ખેંચી ખુલાસો પ્રગટ કરવાની બાંહેધરી આપી એમની માફી માંગી અને કોઈપણ સંજોગોમાં રાજીનામુ ન આપવા વિનંતી કરી. 

આ મૂલ્યો હતાં, આવી નીતિમત્તા હતી અને આવો ઉમદા પરસ્પર વ્યહવાર હતો !!

અત્યારના ગલીચ રાજકારણ અને બેજવાબદાર વર્તન, વાણી વિલાસ અને આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં ગૂંચવાયેલી રાજનીતિના માહોલમાં આવા પ્રસંગો તમને શાતા આપશે, મને તો આપે જ છે.

Loading

...102030...2,2072,2082,2092,210...2,2202,2302,240...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved