વિડંબના એવી છે કે રાષ્ટ્રવાદના મૂળભૂત કે અંગભૂત પદાર્થો (જેવા કે બહુમતી પ્રજાનો ધર્મ, બહુમતી પ્રજાની ભાષા, બહુમતી પ્રજાની સંસ્કૃતિ, સામાજિક રીતિરિવાજ, શરીરિક દેખાવ, રૂપરંગ વગેરે) તળ ભૂમિમાં તેની સોળે કળાએ ખીલેલા જોવા મળે છે, પરંતુ જેમ જેમ તળ ભૂમિથી દૂર જાવ એમ એમ એ પાતળા પડવા માંડે અને ઓઝલ થવા માંડે. સરહદનો હિંદુ કે ભારતીય તમને તમારા જેવો હિંદુ કે ભારતીય નથી લાગતો. એટલે તો આપણે ઇશાન ભારતના ભારતીયને ચીના કે જપાની માની બેસીએ છીએ અને પેલાએ કહેવું પડે છે કે, ‘ભાઈ હું પણ ભારતીય છું.’ આ દુનિયા આખીની સરહદ પરની વાસ્તવિકતા છે.
સરહદ એ સાંસ્કૃતિક સંગમનો પ્રદેશ છે. જ્યાં સુધી બહુમતી પ્રજાની સંસ્કૃતિ (મુખ્યત્વે ધર્મ અને ભાષા) આધારિત સીમાબદ્ધ રાષ્ટ્રવાદ અસ્તિત્વમાં નહોતો ત્યાં સુધી આ કોઈ સમસ્યા જ નહોતી, પરંતુ જ્યારથી રાજ્યના સીમાડાઓ જે તે પ્રજાના સાંસ્કૃતિક માપદંડોના આધારે નક્કી થવા લાગ્યા ત્યારથી સરહદે સીમા નક્કી કરવાની મોકાણ પેદા થઈ છે. માત્ર ભારત અને ચીન વચ્ચે નહીં, લગભગ જગત આખામાં.
તો પછી શું કરવું? ગયા અઠવાડિયે લેખ પૂરો કરતાં પહેલાં મેં આપની સમક્ષ પાંચ સવાલો વિચારવા માટે રાખ્યા હતા. વિવેકી ડાહ્યા શાસકો શું કરે? ખૂબ દૂર સુધી જોઈ શકનારા વ્યવહારવાદી શાસકો શું કરે? ધૂર્ત ચાલાક શાસકો શું કરે? માથાભારે શાસકો શું કરે? અને આપણે શું કરવું જોઈએ? મને આશા છે કે તમે આ વિશે વિચાર કર્યો હશે.
સરહદ પરનો ભારતીય તમારા જેવો ભારતીય નથી એ એક હકીકત છે. ઈશ્વરદત્ત વાસ્તવિકતા છે એટલે એમાં તમે કાંઈ ન કરી શકો. હિમાલયમાં પીપળો અને વડલો ન ઊગે ત્યાં તમે શું કરી શકવાના? ત્યાં ચિનાર અને દેવદાર ઊગે છે. બીજી બાજુ તમે તમારા રાજ્યને ત્યાં સુધી વિસ્તારવા કે લંબાવવા માગો છો જ્યાં સુધી ભારતીય સંસ્કૃતિનાં સગડ મળતા હોય. ગયા અઠવાડિયે મેં છાંટ શબ્દ વાપર્યો હતો. જેટલે દૂર સુધી આપણી સંસ્કૃતિનાં છાટણાં મળતાં હોય ત્યાં સુધી દાવો કરવાનો. આ મોહ આજના રાષ્ટ્રવાદી યુગની રાજકીય વાસ્તવિકતા છે.
આ સ્થિતિમાં વિવેકી અને ડાહ્યા શાસકો શું કરે? હજુ વધારે યોગ્ય રીતે કહીએ તો વિવેકી અને ડાહી પ્રજા શું કરે? આ પહેલો પ્રશ્ન.
વિવેકી અને ડાહ્યા શાસકો સરહદ પરની આ વાસ્તવિકતાનો સ્વીકાર કરે. રાષ્ટ્રવાદ નામના ભૂતને દારૂ ન પાય, કારણ કે એમાં ખૂવારી થવાનો ભય છે. પાડોશી દેશ વાંધો ઉઠાવે, ઝઘડા થાય અને વખતે યુદ્ધ પણ થાય. પાછું સરહદ પરનો ભારતીય તમારી જેમ અને તમારા જેવો હજુ પૂરો ભારતીય થવાનો બાકી છે. તો વિવેકી અને ડાહ્યા શાસકો અને એવી પ્રજા સરહદનો પ્રશ્ન આપસમાં આપ-લેની સમજૂતી કરીને ઉકેલે. લડાખે કાશ્મીર ઉપર શાસન કર્યું હોય કે કાશ્મીરે લડાખ ઉપર શાસન કર્યું હોય, અથવા સમયના કોઈ મુકામે કાશ્મીરે તિબેટ ઉપર શાસન કર્યું હોય કે પછી તિબેટે કાશ્મીર ઉપર શાસન કર્યું હોય એવું બન્યું છે. તિબેટે ચીન ઉપર પણ શાસન કર્યું છે એ આજે માનવામાં મુશ્કેલી પડશે, પણ ઇતિહાસની એ વાસ્તવિકતા છે. આમ સરહદનો પ્રદેશ આમતેમ જાય એ સરહદની પ્રજા માટે કોઈ નવી વાત નથી. તમે હિંદુ ચશ્માંથી લડાખીઓને જુઓ છો, પણ તેઓ તો પોતાનાં ચશ્માંથી પોતાને જુએ છે અને એ તમારાંથી જુદાં છે.
તો વિવેકી અને ડાહ્યા શાસકો અને એવી પ્રજા પહેલું કામ પાડોશી દાવેદારો સાથે સમજૂતી કરવાનો પ્રયાસ કરે કે જેથી સરહદ નિશ્ચિત થઈ જાય, નિશ્ચિત થઈ જાય એટલે સુરક્ષિત થઈ જાય અને સરહદે શાંતિ હોય તો દેશના વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકાય. વિવેકી અને ડાહ્યા શાસકો અને એવી પ્રજા બીજું કામ સરહદની પ્રજાનો પ્રેમ અને વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરે. એ પ્રજાને સમજે, એ પ્રજાની સંસ્કૃતિને સમજે, વૈવિધ્યની કદર કરે, એના પ્રશ્નોને સમજવાનો પ્રયાસ કરે, તેમની ફરિયાદોને સાંભળે અને તેને ઉકેલે, તેમને પોતાને ત્યાં બોલાવે અને પોતે ત્યાં જાય.
શાસકોની વાત જવા દો, તમે એક ડાહ્યા દેશપ્રેમી તરીકે આવો કોઈ પ્રયાસ કર્યો છે? તમને ખબર છે કે ઇશાન ભારતમાં કેટલાં રાજ્યો આવેલાં છે? ત્યાં જવાની વાત તો દૂર રહી. ગૂગલની સહાય વિના માત્ર ગણી આપો. મૂછે તાવ દેવાથી કે સાથળ થપથપાવવાથી રાષ્ટ્રો નથી બનતાં, એવા ઘેલા તો સરહદની પેલે પાર પણ મોટી સંખ્યામાં છે. જ્યાં રાષ્ટ્રનાં ઘટકતત્ત્વો પાતળાં છે, જ્યાં રાષ્ટ્રની વિભાવના પહોંચી નથી, જ્યાં તમારું રાષ્ટ્ર નાજુક અવસ્થામાં છે એ પ્રદેશને જો ભારતીય રાષ્ટ્રનો હિસ્સો બનાવી રાખવા માગતા હો તો બે જરૂરિયાત છે એ નોંધી લો. પહેલી જરૂરિયાત છે, એ પ્રજાને અને તેના પ્રદેશને આપણી સાથે ટકાવી રાખવાની અને બીજી જરૂરિયાત છે વિસ્તારવાદી પાડોશીથી તેને બચાવવાની. પહેલી ફરજ પ્રજાની અને શાસકોની છે અને બીજી ફરજ લશ્કરની છે. ટકાવી રાખવાનો ધર્મ આપણો છે, બચાવી રાખવાનો ધર્મ લશ્કરનો છે.
તમે ક્યારે ય વિચાર્યું છે કે આપણે લશ્કરી જવાનોને આટલો બધો પ્રેમ અને આદર શા માટે આપીએ છીએ? જવાનો દેશની રક્ષા કરે છે માટે એવો તમે જવાબ આપશો જે સાચો જવાબ નથી. આપણે લશ્કરી જવાનોના ઓવારણા એટલા માટે લઈએ છીએ કે સરહદની પ્રજાને અને ત્યાંના પ્રદેશને આપણી સાથે ટકાવી રાખવાની જે નાગરિક ફરજ છે તેનાથી ભાગવાના પાપને છૂપાવવા માટે. હું ટકાવી રાખવા માટે કાંઈ જ નહીં કરું, મને તો એ પણ ખબર નથી કે ઇશાન ભારતમાં કેટલાં રાજ્યો છે; પણ તું તો જવાંમર્દ છે, તું અમારો હીરો છે એટલે બચાવ એ પ્રદેશને.
તમે શું એમ માનો છો કે તમારી નકલી લાગણી લશ્કરી જવાનો નથી જાણતા? નિવૃત્ત લશ્કરી અધિકારીઓએ સેંકડોની સંખ્યામાં પુસ્તકો લખ્યાં છે અને અખબારો-સામયિકોમાં તેઓ લખે છે એના પર નજર કરશો તો આની ખાતરી થઈ જશે. શાસકો અને પ્રજા ટકાવી રાખવાની ફરજ નિભાવે અને રચનાત્મક પ્રયાસ કરે તો બચાવી રાખવાનું લશ્કરનું કામ આસાન થઈ જાય એમ તેઓ વારંવાર કહે છે. બને છે એનાથી ઊલટું. મધ્ય પ્રદેશમાં ચૂંટણી જીતવી હોય તો કાશ્મીરમાં ઊંબાડિયું કરવાનું અને પછી લશ્કરનાં ગુણગાન ગાઈને કહેવાનું કે ભૂમિને બચાવવાની જવાબદારી તારી.
આ સારા વિવેકી શાસકો અને પ્રજાનાં લક્ષણો નથી. રહી વાત ધૂર્ત અને માથાભારે શાસકોની તો એમાં નૈતિકતાની વાત જવા દો તો પણ વ્યવહારની વાત તો છે જ. ધૂર્તતા અને માથાભારેપણું પરવડે એવું છે કે નહીં એનું તો ધ્યાન રાખવું જોઈએ. નહીં તો લેને કે દેને પડ જાય એવું બને. ચીનનો ધૂર્તતા અને માથાભરેલો વ્યવહાર કેટલો વ્યવહારુ છે અને કેટલો પરવડે એવો છે એની વાત આવતા અઠવાડિયે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 24 સપ્ટેમ્બર 2020
![]()


મહાત્મા ગાંધીએ, સન 1948માં, કરેલી કદાચ છેલ્લી નોંધમાંની એકનો ઉલ્લેખ, 1958માં પ્રકાશિત, પ્યારેલાલકૃત ‘લાસ્ટ ફેઇઝ’ના બીજા ગ્રંથમાંના 56મા પાન પર થયો છે. ‘ગાંધીજીનું તાવીજ’ તરીકે તે જાણીતો બન્યો છે. ગાંધીજીની આ નોંધ આમ છે :
‘આત્મકથા’માં ગાંધીજીએ ‘રાયચંદભાઈ’ પ્રકરણના અંતે લખ્યું જ છે : ‘… મારા જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક મનુષ્યો ત્રણ છે : રાયચંદભાઈએ તેમના જીવનસંસર્ગથી, ટૉલ્સ્ટૉયે તેમના ‘વૈકુંઠ તારા હૃદયમાં છે’ નામના પુસ્તકથી, ને રસ્કિને ‘અનટુ ધિસ લાસ્ટ’ – સર્વોદય નામના પુસ્તકથી મને ચકિત કર્યો.’
કાન્તિભાઈ કહે છે તેમ, ‘વીસમી સદી ઘણી ઊથલપાથલની, ઘણા ચઢાવ-ઉતારની, માણસની જ્વલંત સિદ્ધિઓની અને સાથોસાથ માણસનાં નપાવટ કુકર્મોની સદી રહી. આ સદીમાં માણસને આપણે એવરેસ્ટ-ઊંચી છલાંગ મારતોયે જોયો અને અતલ ઊંડી ગર્તામાં ગબડી પડતોયે જોયો. સૃષ્ટિનાં અવનવાં રહસ્યો છતાં કરતી, માણસને માટે અનેકાનેક શક્તિઓ ને કુશળતાઓ હાથવગી કરતી અને આપણી પૃથ્વીની જ નહીં, આકાશગંગાનીયે પેલે પારનાં વિશ્વોમાં ડોકિયું કરાવતી વિજ્ઞાનની અભૂતપૂર્વ શોધો આ સદીમાં થઈ, તો તેની સાથોસાથ બબ્બે મોટાં યુદ્ધો તેમ જ બીજાં તો અનેકાનેક યુદ્ધો આજ સુધી લડાતાં રહ્યાં છે અને માણસની બર્બરતાની અને અક્કલહીનતાની ચાડી ખાતાં રહ્યાં છે. અગાઉ ક્યારે ય કલ્પનાયે ન કરી હોય એટલી સાધન સમૃદ્ધિ અને વૈભવ માણસને આ સદીમાં ઉપલબ્ધ થયાં છે, અને છતાં લાખો માણસો માનવસર્જિત દુકાળમાં ભૂખમરાથી આ સદીમાં મર્યા છે. …’ 
અને આનો ઉકેલ ‘હિંદ સ્વરાજ’ તેમ જ ‘સર્વોદય’માં પડેલો છે. ગાંધીએ આપણને 1909માં ચેતવેલા. જ્યારે ગાંધી પહેલાં, ટૉલ્સ્ટોય અને રસ્કિને આપણને વારવાનો મજબૂત પ્રયાસ કરેલો. ‘અન્ટુ ધિસ લાસ્ટ’ના ગુજરાતી અનુવાદને આવકારતાં મનુભાઈ પંચોળી ‘દર્શક’ લખે જ છે ને, ‘પુસ્તકો લખ્યે કે વાંચ્યે શું વળે ? દુિનયા તો કાં બળથી ચાલે, કાં છળથી ચાલે અને કાં ધનથી. ચોપડીથી ? જવા દો એ વાત !’ એમ કહેનારા હતા અને છે. પણ ચોપડીએ ચોપડીએ ફેર છે, એક લાખ દેતાં યે ન મળે ને બીજી ત્રાંબીઆના તેર લેખે મળે. જે લાખ દેતાં ન મળે તેવાં પુસ્તકોમાં ‘અન્ટુ ધિસ લાસ્ટ’ અક્ષયપાત્ર છે.’
મુરિયલ લેસ્ટરનાં સંસ્મરણોને આલેખતું પુસ્તક છે : Ambasssador of Reconciliation. તેમાં With Gandhi in India and at Kingsley Hall નામક રોચક પ્રકરણ છે. વિલાયતના લેન્કેશર પરગણામાં વિદેશી માલના બહિષ્કારને કારણે ઊભી થયેલી હાલાકીથી બેકારોની સંખ્યા વધી હતી. કલકારખાનાં ઠપ્પ થઈ ગયેલાં. આ વિસ્તારના આવા એક બેકાર પરંતુ સમજુ આદમીએ ઊભી થયેલી હાલાકી જોઈ જવા ગાંધીને આમંત્ર્યા. ગાંધીને જોઈતું હતું તે મળ્યું. હિંદની પરિસ્થિતિનો ચીતાર એમણે લેન્કેશરની પ્રજાને આપ્યો અને બહોળા પ્રમાણમાં તે લોકોનાં દિલ જીતીને પરત થયેલા.
ચંદુ મહેરિયાએ નોંધ્યું છે તેમ, ગાંધીજીએ અંગ્રેજોની બેરહમ હિંસા સામે ઉંહકારો પણ કર્યા સિવાય, કશા જ પ્રતિકાર વિના, માત્ર ને માત્ર અહિંસા દ્વારા જ સમગ્ર આઝાદીની લડત ચલાવી. બબ્બે વિશ્વયુદ્ધો કે લાંબા ગાળાનાં ઠંડા યુદ્ધો, પરમાણુ-અણુબૉમ્બથી માંડીને અત્યાધનિુક શસ્ત્રોથી દેશ અને દુનિયા સજ્જ હોય, સર્વત્ર હિંસા અને યુદ્ધની જ બોલબાલા હોય ત્યારે ગાંધીજીના અહિંસાના પ્રયોગો દુનિયામાં આજે પણ ક્યાંક ને ક્યાંક અજમાવાય છે અને તે સફળ પણ થતા રહ્યા છે. દેશના જુદા જુદા ખૂણે મહિલાઓના દારૂબંધી આંદોલન હોય કે સુંદરલાલ બહુગુણાનું ચીપકો આંદોલન, પૂર્વોત્તર હોય કે પશ્ચિમના દેશો આજે પણ એવા ઘણાં જૂથો દુનિયામાં કાર્યરત છે; જે માત્ર ને માત્ર અહિંસક માર્ગે જ પોતાના કાર્યક્રમો યોજે છે અને સફળ પણ થાય છે. માર્ટિન લ્યૂથર કિંગ, નેલ્સન મંડેલા કે આંગ સાન સૂકીની લડતમાં ગાંધીજીની ‘અહિંસા’ના વિચારનો સિંહફાળો હતો, તે તો હવે દુનિયા સ્વી કારે જ છે. ગાંધીજી માટે અહિંસા એ કોઈ આંદોલન પૂરતો મુદ્દો નહોતો એટલે જ એ કહેતા કે, “માણસ બીજાઓ સાથેના પોતાના વ્યવહારમાં અહિંસાનું આચરણ નહીં અને મોટી બાબતોમાં એનો પ્રયોગ કરવાની આશા રાખે તો તે ભીંત ભૂલે છે. માણસ પોતાના જ મંડળમાં અહિંસક રહે ને બહાર હિંસક રહે એ ન બની શકે. વ્યક્તિ ને અહિંસાની તાલીમ લેવાની જરૂર હોય, તો રાષ્ટ્રને તો એવી તાલીમ લેવાની જરૂર એથી પણ વધારે રહે છે.”
કિશોરલાલભાઈએ આપેલા ‘ગાધી-વિચાર-દોહન’ મુજબ, ‘દરેક યુગમાં અને દરેક પ્રજામાં સત્યના તીવ્ર શોધકો અને જનકલ્યાણ માટે અત્યંત ધગશ ધરાવનારા વિભૂતિમાન પુરુષો અને સંતો પેદા થાય છે. તે યુગના અને તે પ્રજાના બીજા માણસો કરતાં તેમણે સત્યનું કાંઈક વધારે દર્શન કરેલું હોય છે. એમનું કેટલુંક દર્શન સનાતન સિદ્ધાંતોનું હોય છે, અને કેટલુંક પોતાના જમાનાની પરિસ્થિતિમાંથી ઉદ્દભવેલું હોય છે. વળી, કેટલાક સિદ્ધાંતો તેના સનાતન સ્વરૂપમાં તેમને સમજાયા હોય, છતાં તેનો વ્યાવહારિક અમલ કરવા જતાં તે યુગ અને પ્રજાની પરિસ્થિતિ બંધબેસતી આવે એની મર્યાદામાં જ તેની પદ્ધતિ તેમને સૂઝે એમ બને છે. આ બધામાંથી જગતના જુદા જુદા ધર્મો ઉદ્દભવ્યા છે.’
‘ગાંધી, મહાપદના યાત્રી’ પુસ્તકના કર્તા જયન્ત મ. પંડ્યા ‘પ્રેમપંથ પાવકની જ્વાળા’ પ્રકરણમાં કહે છે, તે પ્રસંગ અહી ખૂબ પ્રસ્તુત છે:
