Opinion Magazine
Number of visits: 9574618
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નવી શિક્ષણનીતિ : અવતરણ માટેનું આયોજન ક્યાં?

રમેશ બી. શાહ|Opinion - Opinion|2 September 2020

દેશને ૩૪ વર્ષ પછી નવી શિક્ષણનીતિ પ્રાપ્ત થઈ છે. આ અગાઉ ૧૯૮૬માં રાજીવ ગાંધીના શાસનમાં દેશને નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ સાંપડી હતી. તેમં નરસિંહ રાવના શાસનમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા હતા, પણ ત્યાર પછી નરેન્દ્ર મોદીના શાસનમાં નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ દેશને મળી.

મોદી સરકારે છ વર્ષના ચિંતન પછી દેશને, તેમના એક પ્રધાને દાવો કર્યો તેમ ‘ભારતના શિક્ષણના ઇતિહાસમાં અપૂર્વ શિક્ષણનીતિ’ આપી છે. વડા પ્રધાને પોતે દાવો કર્યો છે તેમ આ નીતિ ‘ભારતને વિજ્ઞાનનું કેન્દ્ર બનાવીને દેશના કરોડો નાગરિકોની જિંદગી બદલી નાખશે.’ આમ દેશને હવે ક્રાંતિકારી શિક્ષણની નીતિની નવાજેશ મોદી સરકારે કરી છે. અલબત્ત, મોદી સરકાર આઝાદી પછીના સાત દાયકામાં ન થયા હોય એવા મોટા સુધારા જ કરતી આવી છે!

જે નવી શિક્ષણનીતિ સરકારે વિધિવત્‌ સ્વીકારી છે તે પૂર્વ પ્રાથમિકથી માંડીને પીએચ.ડી. સુધીના સર્વ સ્તરના શિક્ષણને આવરી લે છે. એ તમામ પાસાંની વિગતવાર ચર્ચા આ નોંધમાં થઈ શકે નહીં. તેથી એના કેટલાક મુદ્દાઓ ઉદાહરણરૂપે નોંધીએ.

***

• આજે શાલેય શિક્ષણમાં ૧૦ + ૨નું માળખું ચાલે છે. તેની જગાએ ૫ + ૩ + ૩ + ૪નું માળખું રચાશે. આમ શાલેય શિક્ષણમાં જે ત્રણ વર્ષનો વધારો થયો છે તે પૂર્વ પ્રાથમિકનાં ત્રણ વર્ષ ઉમેરી દેવાથી થયો છે. અત્યારે બાળક તેની ત્રણ વર્ષની વયથી છ વર્ષની વય સુધી જે શૈક્ષણિક પ્રવૃત્તિ કરે છે તેનો સમાવેશ દેશના ઔપચારિક શિક્ષણ માળખામાં થતો નથી. તે ત્રણ વર્ષને નવી નીતિમાં ઔપચારિક શિક્ષણના માળખામાં સમાવી લેવામાં આવશે. એમ કરીને સરકાર કઈ કેટલી જવાબદારી સ્વીકારશે તે અનુભવે જાણી શકાશે.

• આજે ભણાવવામાં આવતા વિષયોને વિવિધ શાખાઓમાં વહેંચી દેવામાં આવ્યા છે : આર્ટ્સ, વિજ્ઞાન, કૉમર્સ, વ્યાવસાયિક (વૉકેશન) વગેરે. આ પ્રથામાં જે વિદ્યાર્થી વિજ્ઞાનશાખા પસંદ કરે તે આર્ટ્સ કે કૉમર્સના કોઈ તેને ગમતા વિષયનો અભ્યાસ કરી શકતો નથી. તેમ આર્ટ્સ શાખા પસંદ કરતો વિદ્યાર્થી તેને પસંદ કૉમર્સનો વિષય રાખી શકતો નથી. સૂચિત નવી વ્યવસ્થામાં વિદ્યાર્થીઓને વિષયપસંદગીનું ભરપૂર સ્વાતંત્ર્ય રહેશે. વિષયોની શાખાઓ જ રદ્દ કરી નાખવામાં આવશે.

આ નીતિના સૂચિતાર્થને ધ્યાનમાં લેવા જેવો છે. આજે આપણી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ ઘણી ઓછી સંખ્યામાં છે. નવી નીતિનો અમલ કરવા દરેક શાળામાં વિજ્ઞાનના શિક્ષકો અને પ્રયોગશાળાઓ હોવાં જોઈએ. એ ઉપરાંત દરેક શાળામાં વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમનો પ્રબંધ હોવો જોઈએ. આ વૈભવ ભોગવી શકીએ તેવી આર્થિક ગુંજાશ આજે તો આપણે ધરાવતા નથી. એ ગુંજાશ આપણે ક્યારે ધરાવતા થઈશું તે આપણે જાણતા નથી.

• દસમા અને બારમા ધોરણના અંતે બોર્ડની પરીક્ષા ચાલુ રહેશે, પણ વિદ્યાર્થીઓ પરનો બોજ ઘટાડવા માટે વિદ્યાર્થીઓએ હાંસલ કરેલી હાર્દરૂપ ક્ષમતાઓ જ પરીક્ષામાં ચકાસવામાં આવશે. બારમાના બોર્ડની પરીક્ષાનું આજનું મહત્ત્વ ઘટાડી નાખવામાં આવશે. કૉલેજમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય ધોરણે પ્રવેશ-પરીક્ષા લેવામાં આવશે. આમ છતાં બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીને પોતાનો સ્કોર સુધારવા માટે બીજી વાર પરીક્ષા આપવાની છૂટ આપવામાં આવશે. આ છૂટનો લાભ લેનાર કેટલા વિદ્યાર્થીઓ નીકળશે? આજે બારમાની પરીક્ષામાં મેળવેલા માર્કનું કૉલેજ-પ્રવેશ માટે મહત્ત્વ હોવાથી વિદ્યાર્થીઓ તેમને મળેલા માર્કની બાબતમાં આગ્રહી હોય છે. એ મહત્ત્વ ન રહેવા છતાં કેવળ એકેડેમિક પ્રયોજનથી કેટલા વિદ્યાર્થીઓ બીજી વાર પરીક્ષા માટે મહેનત કરવાનું પસંદ કરે ?

• વિદ્યાર્થીઓને ઇચ્છે તેટલાં વર્ષ કૉલેજમાં ભણવાની તક નવી નીતિમાં આપવામાં આવશે. કોઈ વિદ્યાર્થી એક વર્ષ પછી કૉલેજ છોડી દે તો તેને સર્ટિફિકિટ આપવામાં આવશે. બે વર્ષ પૂરાં કરીને કૉલેજ પૂરી કરનારને ડિપ્લોમા આપવામાં આવશે અને ત્રણ વર્ષ પૂરાં કરનારને ડિગ્રી આપવામાં આવશે. આ વ્યવસ્થા વ્યવહારમાં કઈ રીતે કામ કરશે તે સ્પષ્ટ નથી. વિદ્યાર્થી પ્રથમથી એક કે બે વર્ષની કૉલેજ કરવાનું નક્કી કરીને એ પોતાના અભ્યાસક્રમ પસંદ કરશે કે ત્રણ વર્ષના ડિગ્રી અભ્યાસક્રમ માટે દાખલ થઈને પાછળથી એક-બે વર્ષની કૉલેજ કરીને સર્ટિફિકેટ કે ડિપ્લોમા લઈને કૉલેજ છોડી શકશે?

આ બીજો દાખલો નવી શિક્ષણનીતિમાં અભિપ્રેત છે. આ પ્રકારના દરેક વર્ષ માટે સ્વતંત્ર અને છતાં ત્રણ વર્ષના ડિગ્રી અભ્યાસક્રમના સંદર્ભમાં સુસંકલિત અભ્યાસક્રમનું આયોજન કેવી રીતે કરાશે તે સમજવું મુશ્કેલ છે.

• નવી શિક્ષણનીતિના ઘડવૈયાઓ બહુવિદ્યાશાખાકીય (multidisciplinary) અભિગમથી અત્યંત પ્રભાવિત થયેલા છે. તેથી ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે પણ વિષય પસંદગીનું ભરપૂર સ્વાતંત્ર્ય આપવા માટે તેમણે સંલગ્ન કૉલેજપ્રથા રદ્દ કરીને તેની જગાએ પોતાની ડિગ્રી આપતી સ્વાયત્ત કૉલેજોની સ્થાપના કરવાનું ઠરાવ્યું છે. આ સ્વાયત્ત કૉલેજોના કૅમ્પસ પર વિવિધ વિદ્યાશાખાઓનું શિક્ષણ આપતી સંસ્થાઓ હોવી જોઈએ. આ માટે આજની સંલગ્ન કૉલેજોને ૨૦ વર્ષ આપવામાં આવ્યાં છે. ૨૦૪૦ સુધીમાં તેમણે બહુ વિદ્યાશાખા ધરાવતા કૅમ્પ્સ સર્જવાનાં છે.

નવું સર્જન કરવું હોય તો જૂનાનો નાશ કરવો પડે. આ તર્ક પ્રમાણે યુ.જી.સી. અને ટૅક્નિકલ શિક્ષણ માટેની કાઉન્સિલને દૂર કરવામાં આવશે અને તેની જગાએ એક નવું માળખું રચવામાં આવશે. તેના ઉદાહરણરૂપે કેટલાંક નામો નોંધીએ : હાયર એજ્યુકેશન કમિશન, નેશનલ એક્રેડિટેશન કાઉન્સિલ, હાયર એજ્યુકેશન ગ્રાન્ટ કાઉન્સિલ, નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન વગેરે.

• ભાષાનો પ્રશ્ન આપણા દેશમાં શિક્ષણનીતિનો એક મહત્ત્વનો મુદ્દો હોય છે. નવી શિક્ષણનીતિમાં શાળાકક્ષાએ ત્રણ ભાષાના શિક્ષણને વળગી રહેવામાં આવ્યું છે. ત્રણમાંથી બે ભાષાઓ દેશની હોવી જોઈએ અને ત્રીજી ભાષા વિદેશી હોવી જોઈએ. ભાષાઓની પસંદગી રાજ્યો પર છોડવામાં આવી છે. નવી નીતિમાં પાંચ ધોરણ સુધી શિક્ષણનું માધ્યમ માતૃભાષા કે પ્રાદેશિક ભાષા હોવી જોઈએ એવો આદર્શ રજૂ કરવામાં આવ્યો છે, પણ તેનો અર્થ એવો નથી કે પહેલા ધોરણથી અંગ્રેજી માધ્યમમાં ભણાવતી શાળાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

• વિદ્યાર્થીઓ ટીકાત્મક રીતે વિચારતા થાય, તેમનામાં સર્જનાત્મકતા કેળવાય, તેઓમાં પ્રત્યાયનની કુશળતા કેળવાય એ બાબતો પર શિક્ષણનીતિમાં ભાર મૂકવામાં આવ્યો છે. તેની ઇચ્છનીયતા નિર્વિવાદ છે પણ આપણું શિક્ષણ ભણતરથી વિમુખ, પરીક્ષાલક્ષી થઈ ગયું છે. તેથી તેમાં વિદ્યાર્થીની કેવળ ગોખવાની શક્તિ કેળવાય છે. શિક્ષણપ્રથાના આરંભથી તેની આ ગંભીર મર્યાદાથી આપણે વાકેફ છીએ. પણ તેમાંથી બહાર આવીને તેને સાચા અર્થમાં શિક્ષણ બનાવવાની દિશામાં કંઈ કરી શક્યા નથી. આપણા આ અનુભવના સંદર્ભમાં નવી શિક્ષણનીતિની સમીક્ષા કરીએ, તે આદર્શ શિક્ષણપ્રથાનો નકશો રજૂ કરે છે, પણ એ પ્રથાના અવતરણ માટેનું કોઈ આયોજન તેમાં નથી. તેથી તેનો કેટલો અને કેવો અમલ થશે સમય જ કહેશે. અત્યારે તો આદર્શોના આધાર પર મોટા દાવા શાસકો કરી રહ્યા છે.

(સૌજન્યઃ ‘બુદ્ધિપ્રકાશ’)

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 31 ઑગસ્ટ 2020; પૃ. 02-03

Loading

લોકશાહી મૂલ્યોની પુનઃસ્થાપના કેવી રીતે થાય?

જસ્ટિસ એ.પી. શાહ (નિવૃત્ત), જસ્ટિસ એ.પી. શાહ (નિવૃત્ત)|Opinion - Opinion|2 September 2020

સંસદનું બજેટ સત્ર તા. ૩૧ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ શરૂ થયું હતું. વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ તેના આગલા દિવસે જ કોરોના મહામારી આંતરરાષ્ટ્રીય ચિંતાની બાબત હોવાની જાહેરાત કરી હતી. સંસદનું બજેટ સત્ર ૨ એપ્રિલ સુધી ચાલુ રહેવાનું હતું. પરંતુ માર્ચ ૨૩ના રોજ અનિશ્ચિતકાળ સુધી તે મોકૂફ રખાયું છે અને તેને જીવંત કરવાના કોઈ લક્ષણો દેખાતાં નથી.

મહામારીના આ કટોકટી સમયમાં અન્ય દેશોની સંસદોએ શું કર્યું તે જાણવા જેવું છે. બ્રિટન, કેનેડા, યુરોપિયન સંસદે પોતાની સંસદીય પ્રક્રિયામાં ફેરફાર કરી વર્ચ્યુઅલ સત્રો યોજવાનું ચાલુ રાખ્યું છે. કેટલાક સભ્યો ગૃહમાં હાજર રહે છે અને કેટલાક સભ્યો વીડિયો કોન્ફરન્સથી ભાગ લે છે. દૂર બેઠા મતદાન કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે કે જેથી વૈધાનિક કામકાજ કોઈ પણ જાતના અવરોધ વગર ચાલુ રહે. ફ્રાન્સ, ઇટલી, બ્રાઝિલ, ચીલી, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ અને સૌથી વધારે અસરગ્રસ્ત સ્પેનમાં પણ ધારાકીય કામકાજ ચાલુ રહ્યું છે. માલદીવમાં પણ આ જ રીતે સંસદની બેઠકો યોજાઈ હતી. માલદીવની સંસદ અધ્યક્ષ મહંમદ નશીદે કહ્યું, "લોકપ્રતિનિધિત્વ કરતી કોઈ સંસદ આ કટોકટી દરમિયાન પણ પોતાનું કામ રોકી શકે નહીં. લોકશાહી સંસ્થાઓએ પોતાનું કામકાજ ચાલુ રાખવું જોઈએ."

ભારતમાં આ વલણ વિશે કોઈ પ્રતિભાવ જોવા મળતો નથી. માર્ચ ૨૪થી સંસદગૃહ ભૂતિયા નગર જેવું ભાસે છે. સંસદસત્ર રદ્દ કરવાનો નિર્ણય ભારતની સંસદીય પ્રણાલિકાઓ વિરુદ્ધ છે. ૧૯૬૨માં ચીન સાથેના તેમ જ ૧૯૭૧ના પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન આપણી સંસદની બેઠકો યોજાઈ હતી. ૨૦૦૧માં સંસદ પર હુમલો થવાના બનાવના બીજા દિવસે પણ સંસદસત્ર ચાલુ રહ્યું હતું. ભારતમાં સંસદીય સમિતિઓની બેઠકો આ રીતે યોજાઈ રહી છે. દા.ત. પગાર અને ભથ્થાઓ પરની સંસદીય સમિતિની બેઠક તારીખ ૨ એપ્રિલ ૨૦૨૦ના રોજ યોજાઈ હતી અને સાંસદોને મતદાર ક્ષેત્ર તેમ જ કચેરી ભથ્થામાં ૩૦ ટકા ઘટાડાની ભલામણ કરી હતી. જો આ રીતે સંસદસભ્યો ઑનલાઇન બેઠક યોજી શકતા હોય તો ચુંટાયેલા પ્રતિનિધિઓએ ધારાકીય કામકાજ ચાલુ રાખવા શા માટે મળવું ન જોઈએ?

સંસદની ભૂમિકા

બંધારણસભાએ સંસદની ભૂમિકા વિશે બરાબર વિચાર કર્યો હતો. સંસદીય પ્રથામાં કારોબારી (પ્રધાનમંડળ) સંસદને જવાબદાર છે. દરરોજ અથવા સમયાંતરે કારોબારીના કાર્યોની ચકાસણી થઈ શકે છે. પ્રશ્નોતરી, ઠરાવો, અવિશ્વાસ પ્રસ્તાવ અને ચર્ચા તેના સાધનો છે, ઉપરાંત વિવિધ સંસદીય સમિતિઓ પણ કારોબારી કાર્યોની સમીક્ષા કરે છે. દર પાંચ વર્ષે યોજાતી સામાન્ય ચૂંટણી સમયે પણ લોકપ્રતિનિધિનાં કાર્યોની સમીક્ષા થાય છે. ૧૯૭૭માં જનતાએ ઇન્દિરા ગાંધીને ઘેર અને ૧૯૮૦માં પુન: સત્તા સ્થાને બેસાડ્યાં હતાં. રાજ્યસભાની ભૂમિકા બહુ સ્પષ્ટ છે. લોકસભા ઉતાવળથી કોઈ કાનૂન પસાર કરવા ઈચ્છતી હોય ત્યારે રાજ્યસભા તેના પર રોક લગાવે છે. લોકસભાની ભૂલો તરફ ધ્યાન દોરવાનું કામ તેનું છે. આમ સંસદનું કામ કારોબારીને નિયંત્રણમાં રાખવાનું છે. પોતાના મતદારો વતી સાંસદોએ આ કામગીરી બજાવવાની હોય છે. પરંતુ સંસદ જ કામ કરતાં અટકી જાય તો શું થાય? આ કટોકટીના સમયમાં કામગીરી પૂરી પાડવામાં નિષ્ફળ જવા ઉપરાંત, કારોબારીને મનફાવે તેમ કામ કરવાનો છૂટો દોર મળી જાય છે. કારોબારીની જવાબદારી જેવું કંઈ રહ્યું જ નહીં, કારણ કે કોઈ પ્રશ્ન પૂછનાર નથી, કોઈ ઠરાવ લાવનાર નથી કે કોઈ ચર્ચામાં ભાગ લેનાર નથી.

કારોબારોની જવાબદારી નક્કી કરવામાં બીજા અંગોની પણ સહભાગિતા છે. દા.ત. સ્વતંત્ર ન્યાયતંત્રના ચૂકાદો, કાયદાનું શાસન, ઑડિટર જનરલ, ચૂંટણી પંચ, માનવ અધિકાર પંચ, તકેદારી પંચ, લોકપાલ વગેરે પણ કારોબારીના કામોની સમીક્ષા કરે છે અને તેને જવાબદાર ઠરાવે છે. ઉપરાંત મીડિયા અને નાગરિક સમાજના બુદ્ધિજીવીઓ પણ સરકારી કામગીરી ઉપર દેખરેખ રાખે છે. કમનસીબે આજે આ સંસ્થાઓ ધીમે ધીમે નિષ્પ્રાણ થવા લાગી છે. ઇન્દિરા ગાંધીએ જે રીતે લોકશાહી સંસ્થાઓને ટુંપો આપવા પ્રયાસ કર્યો તે રીતે નહીં, પરંતુ ૨૦૧૪ બાદ ધીરે ધીરે અને વ્યવસ્થિત રીતે આ સંસ્થાઓનું હીર હણી લેવા પ્રયાસ થઈ રહ્યો છે. તેના કારણે મોટા ભાગની બાબતોમાં કારોબારીનું એકહથ્થુ શાસન થઈ રહ્યું છે. તેના કેટલાક ઉદાહરણો જોઈએ. દા.ત. વિરોધ પક્ષના નેતાને માન્યતા ન આપવી, કેટલાક ખરડાઓ 'નાણાં ખરડા' તરીકે રજૂ કરવા કે જેથી રાજ્યસભાની સંમતિની જરૂર ન રહે. સંસદને આ રીતે આંતરવાનો પ્રયાસ છતાં, અન્ય સંસ્થાઓ પાસેથી આપણે શું તેમની ઉત્તમ કામગીરીની અપેક્ષાઓ ન રાખી શકીએ?

આપણા ન્યાયતંત્ર માટે આપણને ગૌરવ છે. કટોકટી દરમિયાન કેટલાક વિવાદો જરૂર થયા હતા. તો પણ દેશના લોકોને ન્યાયતંત્રમાં પૂરી શ્રદ્ધા રહેલી છે. પરંતુ આજના સમયમાં ન્યાયતંત્ર અપેક્ષાએ નિષ્ફળ રહ્યું છે. આજે જ્યારે સંસદની કામગીરી સ્થગિત થઈ ગઈ છે ત્યારે કાશ્મીરનો દરજ્જો, નાગરિકત્વ કાનૂનમાં સુધારો, રાજદ્રોહ કલમનો દુરુપયોગ, ઇલેક્ટોરલ બોન્ડ જેવા મુદ્દાઓની કાયદેસરતા ચકાસવાનું શ્રેષ્ઠ માધ્યમ ન્યાયતંત્ર છે. પરંતુ આ તમામ મુદ્દાઓ અમુક કારણોસર સુનાવણી માટે હાથ ધરાતા નથી. કાશ્મીરમાં ઇન્ટરનેટ બંધ રહેવાના પ્રશ્ને સુપ્રીમ કોર્ટે નિર્ણય આપવાના બદલે કારોબારી સમિતિને સોંપ્યો છે. કારોબારીના નિર્ણય વિરુદ્ધ કારોબારી સમિતિ નિર્ણય કેવી રીતે લઈ શકે? આવા કોઈ પણ મુદ્દાની ચર્ચા થઇ રહી નથી.

જે અન્ય સંસ્થાઓ અસરકારક ભૂમિકા ભજવી શકે તે તમામ સંસ્થાઓ શાંત છે. લોકપાલની કામગીરી ક્યાં ય દેખાતી નથી. શ્રમિકોની દર્દનાક સ્થિતિમાં માનવ અધિકાર પંચ નિષ્ક્રિય રહ્યું છે. તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરાઈ રહ્યો છે. કર્ણાટકમાં સરકાર ગબડાવતી વખતે તત્કાલીન મુખ્ય પ્રધાનનાં સગાંઓને ત્યાં દરોડા પડાવ્યા. રાજસ્થાનમાં પણ મુખ્ય પ્રધાન ગેહલોતનાં સગાંઓને આ રીતે હેરાન કરાયાં. ચૂંટણી કમિશનર લવાસાએ નરેન્દ્ર મોદીએ ચૂંટણી આચારસંહિતાનો ભંગ કર્યો હોવાનો અભિપ્રાય આપતા તેમને, તેમની પત્ની અને પુત્રને આવકવેરા વિભાગની નોટિસો મળી. વિશ્વવિદ્યાલયોનું વાતાવરણ ડહોળાઈ રહ્યું છે. ક્યાંક વિદ્યાર્થીઓ તો ક્યાંક શિક્ષકોની વિરોધ કરવા બદલ આડેધડ ધરપકડ કરાઈ રહી છે. નાગરિક સમાજનો અવાજ દબાવવા વ્યવસ્થિત કોશિશ થઈ રહી છે. હાલ માત્ર સરકાર કામ કરી રહી છે. તેના પર નિયંત્રણ રાખનારી કે વિરોધ કરનાર તમામ સંસ્થાઓ કે નાગરિક સમાજનો અવાજ દબાઈ રહ્યો છે. આ સ્થિતિમાં આપણા માટે એક જ ઉપાય બચ્યો છે કે આપણા માટે અને ભાવિ પેઢી માટે બોલતા રહેવાનું છે. જો આપણે તેમાં નિષ્ફળ જઈશું તો અનિયંત્રિત કારોબારી આપણા પર હાવી થઈ જશે અને તેના અકલ્પનીય પરિણામો આવવાની સંભાવના છે. લોકશાહી મૂલ્યોની પુનઃસ્થાપના માટે આ જરૂરી છે.

ભાવાનુવાદઃ અશ્વિનકુમાર ન. કારીઆ, સૌજન્યઃ  સ્ક્રોલ.ઇન

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 31 ઑગસ્ટ 2020; પૃ. 04-05

Loading

વિવિધ અહેવાલોનું તારણ : ધિક્કાર ફેલાવવામાં ફેસબુક ભા.જ.પ.નું સહયોગી

સુજાત|Opinion - Opinion|2 September 2020

મારી પેઢી કિશોરાવસ્થામાં પ્રવેશી ત્યારે ફેસબુક પર એકાઉન્ટ બનાવવાનું યુવાનોમાં આકર્ષણ રહેતું. જો કે એવું નિર્દોષ માધ્યમ તો તે હવે ક્યારનું મટી ચૂક્યું છે અને એક પછી એક ગંભીર વિવાદોમાં સપડાતું આવ્યું છે. તાજો વિવાદ ભારતીય જનતા પક્ષ સાથે ફેસબુકના ‘મૈત્રીપૂર્ણ’ સંબંધોને લગતો છે.

શું છે ફેસબુક-ભા.જ.પ. વિવાદ?

ગત 14મી ઑગસ્ટે અમેરિકાના વિખ્યાત સમાચારપત્ર ‘વૉલ સ્ટ્રીટ જર્નલ’માં પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં આરોપ હતો કે ફેસબુક ભારતમાં પોતે બનાવેલા ‘હેટ સ્પીચ’ – ધિક્કારજનક લખાણો – સામગ્રીને લગતા નિયમોના અમલમાં પક્ષપાતી વલણ અપનાવે છે અને શાસક પક્ષ ભા.જ.પ.ની તરફેણ કરે છે.

અહેવાલ મુજબ, ભા.જ.પી. ધારાસભ્ય ટી. રાજાએ ફેસબુક પર મુસલમાનોને દેશના ગદ્દાર કહ્યા, રોહિંગ્યા મુસલમાનોને ભડાકે દેવાની વાત કરી તથા મસ્જિદો તોડી પાડવાની ધમકીઓ આપી. ફેસબુકના ધ્યાન પર આ વિધાનો આવ્યાં અને પ્રાથમિક તપાસમાં તે ફેસબુકની કમ્યુનિટી ગાઇડલાઇન્સનો ભંગ કરતા હોવાનું તારણ નીકળ્યું. આ પ્રકારના વિધાનો બદલ અમેરિકામાં ફેસબુક વપરાશકર્તાઓને કાયમી ધોરણે પ્રતિબંધિત કરવામાં આવે છે અને એ રીતે ધારાસભ્યને પણ ફેસબુક પરથી કાયમી ધોરણે પ્રતિબંધિત કરવાનું સૂચવાયું. પરંતુ, અહેવાલ પ્રમાણે ફેસબુકનાં ભારત એકમનાં હેડ અંખી દાસે તેમની ટીમને ટી. રાજા વિરુદ્ધ કોઈ પગલાં લેતાં રોક્યા. અંખી દાસની દલીલ હતી કે શાસક પક્ષને ઉશ્કેરવાથી ફેસબુકના ભારતમાં ધંધા પર નકારાત્મક અસર થશે. ઉલ્લેખનીય છે કે વસતિના કારણે ભારત ફેસબુક માટે ખૂબ મહત્ત્વનું બજાર ગણાય છે. ભારતમાં ઇન્ટરનેટ વાપરતા ૫૦.૮ કરોડ લોકોમાંથી આશરે ૩૨.૮ કરોડ લોકો ફેસબુકના વપરાશકર્તા છે અને આશરે ૪૦ કરોડ લોકો ફેસબુકની માલિકીના વોટ્સએપના વપરાશકર્તા છે. વળી, ફેસબુક માટે જાહેરાતો દ્વારા થતી કમાણીનો મોટો રાજકીય સ્રોત ભા.જ.પ. છે. 

‘વૉલ સ્ટ્રીટ જર્નલ’ના અહેવાલમાં અન્ય બે ભા.જ.પી. નેતાઓની પણ વાત છે, જેમની સામે ફેસબુક તરફથી કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવી. તેમાં ‘ગોલી મારો સાલોંકો’-ખ્યાત કપિલ મિશ્રા પણ સામેલ છે. ખુદ માર્ક ઝકરબર્ગે કપિલ મિશ્રાની એ વીડિયોને હેટ સ્પીચનું ઉદાહરણ ગણાવ્યું હતું. તે ઉપરાંત પણ હેટ સ્પીચ ગણી શકાય એવી ઘણી પોસ્ટ મિશ્રાએ મૂકી હતી. તેની પર કોઈ કાર્યવાહી થઈ નહોતી. જો કે ‘વૉલ સ્ટ્રીટ જર્નલે' એ બાબતે સવાલ ઉઠાવ્યા પછી ફેસબુકે તેમાંની થોડી પોસ્ટ હટાવી લીધી છે.

અહેવાલમાં ત્રીજું નામ અનંતકુમાર હેગડેનું છે, જેમણે મુસલમાનો કોરોના-જેહાદ કરે છે એ મતલબનાં કેટલાંક કાર્ટૂન મૂક્યાં હતાં. આ મામલે ફરિયાદ પછી ટ્વીટરે તેમનું એકાઉન્ટ બંધ કરી દીધું, પણ ફેસબૂકે કોઈ પગલાં લીધાં નહિ. ‘વૉલ સ્ટ્રીટ જર્નલ’ના અહેવાલના પગલે આખરે ફેસબુકે તેમની પણ કેટલીક પોસ્ટ હટાવી લીધી છે.

‘ટાઇમ’નો પૂરક અહેવાલ

‘વૉલ સ્ટ્રીટ જર્નલ'ના વિસ્તૃત અહેવાલો પછી ‘ટાઇમ’ સાપ્તાહિકમાં પણ ફેસબુક-ભા.જ.પ. સાંઠગાંઠ વિશે વિગતવાર અહેવાલ પ્રગટ થયો. તેમાં અગાઉ જણાવેલાં નામ ઉપરાંત આસામના ભા.જ.પ. નેતા શિલાદિત્ય દેવનો ઉલ્લેખ છે. તેમણે એક કિશોરીના મુસ્લિમ યુવક દ્વારા કથિત બળાત્કારના સમાચાર શૅર કરીને લખ્યું હતું કે બાંગલાદેશીઓ આ રીતે આપણા દેશમાં આપણા લોકોને નિશાન બનાવે છે. વર્ષ 2019ની આ પોસ્ટને ફેસબુકના ધ્યાને લાવવામાં આવી હતી, પરંતુ તેની પર એક વરસ સુધી કોઈ પગલાં લેવાયા નહોતાં. આખરે ‘ટાઇમ’ના સવાલો પછી ફેસબુકે ભૂલ સ્વીકારી અને એ પોસ્ટને હેટ સ્પીચ ફેલાવતી હોવાના કારણસર દૂર કરી.

ફેસબુકનો ગરબડિયો ભૂતકાળ

ફેસબુક પર ભા.જ.પ.ની તરફેણના આરોપો અગાઉ પણ લાગી ચૂક્યા છે. ગઈ લોકસભા ચૂંટણી વખતે ફેસબુકે જાહેર કર્યું હતું કે તેણે પાકિસ્તાની લશ્કર અને કૉંગ્રેસને લગતાં નકલી એકાઉન્ટ બંધ કર્યાં છે. ખરેખર આ સૂચિમાં અનેક ભા.જ.પી. એકાઉન્ટ પણ સામેલ હતાં. પરંતુ ફેસબુકની જાહેરાતથી એવી છાપ પડતી હતી કે જાણે માત્ર કૉંગ્રેસ જ તેમાં સામેલ હોય.

‘ધ રીયલ ફેસ ઓફ ફેસબુક ઇન ઇન્ડિયા’ના લેખક પરંજોય ગુહા ઠાકુરતાનો આરોપ છે કે ફેસબુક-ભા.જ.પ. વચ્ચેનું ગઠબંધન તો કાઁગ્રેસ સત્તામાં હતી ત્યારનું સ્થપાઈ ચૂક્યું હતું અને ફેસબુકનો ભા.જ.પ.તરફી ઝોક વર્ષ 2013થી જ જોવા મળે છે.

‘ટાઇમ’ના અહેવાલ મુજબ, ફેસબુકના પૂર્વ પબ્લિક પોલિસી ડિરેક્ટર શિવનાથ ઠુકરાલ 2014 લોકસભા ચૂંટણી દરમિયાન ભા.જ.પ. માટે કામ કરી ચૂક્યા હતા. તેમ છતાં 2019 લોકસભા ચૂંટણી દરમિયાન તેમને ફેસબુકમાં ડિરેક્ટરના પદે રાખવામાં આવેલ હતા. ડિરેક્ટર તરીકે તેમનું કામ હેટ સ્પીચના કિસ્સામાં પગલાં લેવાનું અને સાથોસાથ ધંધામાં પ્રગતિ માટે સરકાર સાથે વાટાઘાટો કરવાનું પણ હતું. આમ, તે દેખીતી રીતે જ હિતોના ટકરાવનો મામલો બનતો હતો. ત્યાર પછી ઠુકરાલ બઢતી મેળવીને હવે વોટ્સએપના ભારત એકમના ડિરેક્ટર બની ચૂક્યા છે.

કર્મચારીઓ દ્વારા જ કંપનીની ટીકા

તાજા વિવાદ પછી ફેસબુકના કેટલાક કર્મચારીઓએ કંપનીની નીતિની ટીકા કરી છે અને રાજકીય દબાણમાં આવ્યા વગર હેટ સ્પીચ સહિત તમામ કમ્યુનિટી ગાઇડલાઇન્સનો અમલ કરવાની માગ કરી છે. તેમની ફરિયાદ છે કે કંપનીમાં એક જ વ્યક્તિ ગાઇડલાઇન્સના અમલ તથા ધંધામાં પ્રગતિ માટે જવાબદાર હોવાને કારણે તટસ્થતાથી નિર્ણય લેવાય એ શક્ય નથી. ઉપરાંત, કમ્યુનિટી ગાઇડલાઇન્સ પર કામ કરતી ટીમમાં એક પણ મુસ્લિમ કર્મચારી નથી. શાસક પક્ષને ખુશ રાખવા કંપનીમાં નીચલા પદે પક્ષના કાર્યકરોની જ મોટા પાયે ભરતી કરવામાં આવે છે, એવો દાવો પણ એક નિવૃત્ત ઉચ્ચ પદાધિકારીએ કર્યો છે.

અંખી દાસઃ ચર્ચાસ્પદ પાત્ર

અંખી દાસ ફેસબુક-ભારત ખાતે પબ્લિક પૉલિસી ડિરેક્ટર છે. અગાઉ તેઓ માઇક્રોસોફ્ટના ભારત એકમમાં પણ આ જ પદે કામ કરી ચૂક્યાં છે. વખતોવખત તેમના લેખો પણ વિવિધ માધ્યમોમાં આવતા રહે છે.  વર્ષ 2014ના એક લેખમાં તેમણે પ્રચારમાં ચતુરાઈપૂર્વક ફેસબુકના ઉપયોગને મોદીના વિજય માટે જવાબદાર ગણાવ્યો હતો.

ભા.જ.પ.તરફી પક્ષપાત બાબતે તેમણે કોઈ પ્રતિભાવ આપ્યો નથી. આ દિવસો દરમિયાન તેમના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર તેમણે એટલું જ લખ્યું કે ‘તમે ભલે બીજાના વાંક કાઢો, પણ પોતાની સફળતા કે નિષ્ફળતા માટે તમે પોતે જવાબદાર છો. બીજાના વાંક જોવા બહુ સહેલા છે.’ ભૂતકાળમાં તેમણે મુસ્લિમો પ્રત્યે દ્વેષ ભરેલી કહી શકાય તેવી પોસ્ટ પણ શેર કરી હતી. તે ચર્ચામાં આવતા તેમણે કંપનીના મુસ્લિમ કર્મચારીઓની માફી માગીને તે પોસ્ટ હટાવી લીધી હતી.

વૉલ સ્ટ્રીટના અહેવાલ પછી ફેસબુક-ટ્વીટર પર અંખી દાસ વિશે ટીકા ઉપરાંત ભદ્દી ને ભડકાઉ ટિપ્પણીઓ પણ થઈ. તેની સામે અંખી દાસે ફરિયાદ નોંધાવી છે. સાથોસાથ, છત્તીસગઢમાંથી અંખી દાસ સામે વિસંવાદ ભડકાવવાના આરોપસર એક કેસ નોંધાયો છે.

વ્યાપક ટીકાઓના જવાબમાં ફેસબુકના ભારત એકમના વાઇસ-પ્રેસિડેન્ટ અજિત મોહને એક બ્લોગ-પોસ્ટમાં ફેસબુકનો બચાવ કર્યો છે. તેમનો દાવો છે કે કંપની પોતાની નીતિઓને નિષ્પક્ષ રહીને અમલ કરે છે. જો કે કોઈ ચોક્કસ સવાલના સ્પષ્ટ જવાબ વિના આ જવાબ તદ્દન પોલો લાગે છે. તેમણે લખ્યું છે કે ટી. રાજાનું એકાઉન્ટ બંધ નહીં કરવાનો નિર્ણય આખરી નથી.

સંસદીય તપાસ

અહેવાલ પછી સંસદની ઇન્ફર્મેશન ટૅક્નોલોજી કમિટીના અધ્યક્ષ શશિ થરૂરે ફેસબુકને બીજી સપ્ટેમ્બરે હાજર થવા જણાવ્યું છે. તૃણમૂલ કાઁગ્રેસના સાંસદ મહુઆ મિત્રાએ શશિ થરૂરના પગલાંને સમર્થન આપ્યું છે, તો ભા.જ.પ.ના નિશિકાંત દુબેએ સમિતિના સભ્યો સાથે ચર્ચા કર્યા વિના પગલું ભરવા બદલ શશિ થરૂરની ટીકા કરી છે અને એ બાબતે લોકસભા અધ્યક્ષને ફરિયાદ કરી છે.

જો કે સંસદીય સમિતિઓ પાસે શિક્ષાત્મક પગલાં ભરવાની સત્તા હોતી નથી. ઉપરાંત, સમિતિઓમાં એન.ડી.એ. બહુમતી ભોગવતી હોવાને કારણે તેના તરફથી સંસદમાં આખી ઘટના પર ઠેકાણાસરનો અહેવાલ સુદ્ધાં રજૂ થાય તેની શક્યતા નહીંવત્ છે. દેશના કેટલાંક નિવૃત્ત સનદી સેવા અધિકારીઓએ માર્ક ઝકરબર્ગને પણ આ અંગે ફરિયાદ કરીને ગાઇડલાઇન્સને લગતા નિર્ણયો પરથી અંખી દાસનો પ્રભાવ દૂર કરવા માગણી કરી છે. કાઁગ્રેસે પણ એ મતલબનો પત્ર લખીને યોગ્ય પગલાં ભરવા વિનંતી કરી હતી. સંસદીય સમિતિ ઉપરાંત દિલ્હી વિધાનસભાની ‘શાંતિ અને સૌહાર્દ સમિતિ’એ પણ ફેસબુક સત્તાધીશોને હાજર થવા ફરમાન કર્યું છે.

આ બધી તપાસો ઊહાપોહ શમાવવાની કવાયતો બને છે કે પછી તેમાંથી નિષ્ઠાપૂર્વક ઊંડા ઊતરીને ફેસબુક-ભા.જ.પ.ની સાંઠગાંઠના તળ સુધી જવાની કોશિશ થાય છે, તે જોવાનું રહે છે. પણ આવી તપાસોનો અત્યાર લગીનો ઇતિહાસ ખાસ આશા જન્માવે એવો નથી.

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 31 ઑગસ્ટ 2020; પૃ. 06-08

Loading

...102030...2,1952,1962,1972,198...2,2102,2202,230...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved