Opinion Magazine
Number of visits: 9574329
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉત્કૃષ્ટ પીડા

કિરણ પીયૂષ શાહ "કાજલ"|Opinion - Opinion|15 September 2020

આહ!
એક ચિત્કાર સાથે …
એ નીચે બેસી પડી …
બે હાથોમાં માથું પકડી ..
આંખોમાં ઝળહળિયાં ..
હોઠ ભીડી ..
દર્દને સહેવાની કોશિશ વચ્ચે …
હ્રદય પર સહ્ય બોજ સહેતી
પ્રસ્વેદથી તરબતર …
એ દર્દ ને પીડાની પરાકાષ્ઠાએ
આસપાસ નજર ફેંકી
પણ ..
ત્યાં તો હતું ..
તમાશબીન ટોળું
માણસાઈના મૃત્યુની વાત કહેતું .. 
જુગુપ્સા આશ્ચ ર્ય.. કે સવાલો લઈ આવેલું ..
હમદર્દી ઈન્સાનિયત
 કે અનુકંપા દયા કરુણા ભૂલાવી
ભૂખ્યા વરુઓની લાલસા લઈ
જીભ લબલબાવતું …
નહોર કાઢી ફાડી ખાવા તૈયાર …

નિસહાય લાચાર એ કળસતી રહી ..
શ્વાસના સંબંધ સુધી …
આંખોમાં આજીજી 
મદદની અપેક્ષા એ 
મોઢે ફીણ વળ્યાં.

અને
દમ તોડ્યો …
એ તમાશબીન સામે …
કદાચ ઉત્કૃષ્ટ દર્દ પીડાને નામે
તાળીઓ મળી જાય ….

**

e.mail : kiranpiyushshah@gmail.com

Loading

ગુજરાતી સાહિત્ય અકાદમી યુ.કે.નો “ભાષાસંસ્કાર વૈભવ”

સતીન દેસાઈ − ‘પરવેઝ’; ‘દીપ્તિ “ગુરુ|Diaspora - Features|15 September 2020

જે દેશની આબોહવામાં ભાષાલક્ષી આવો મંત્ર ગુંજતો હોય "ગુજરાતી સાંભળીએ, ગુજરાતી બોલીએ, ગુજરાતી વાંચીએ, ગુજરાતી લખીએ ને ગુજરાતી જીવીએ." અર્થાત્‌ જેની સર્વ પ્રજ્ઞાઓથી માંડી, શ્વાસ-પ્રાણ ગુજરાતી ભાષા પ્રદાન કરતી સરસ્વતીને સમર્પિત હોય, એવા યુનાઇટેડ કિંગ્ડમના જાગૃત  ભાષાસંવર્ધકોને વંદન કરતા પૂર્વે, ગઝલ ગુરુવર રાજેન્દ્ર શુક્લના શિષ્ય હોવાના નાતે, હું સ-વંદન એમનો ભાષાલક્ષી મત્લાનો આ એક શેર ટાંકી, આ આલેખનને શણગારીશ.

"તતત તોતડાતાં ભરે ડગ આ ભાષા,
અરવ આગવું વ્યાકરણ ક્યાં રચ્યું છે?
ગઝલ તો હજી આવવાની હવે છે,
હજી પૂરું, વાતાવરણ ક્યાં રચ્યું છે!”

                                         − રાજેન્દ્ર શુકલ

[ગુરુવરની ‘ગઝલસંહિતા’નું ‘સભર સુરાહી’ પુસ્તક; પૃ.105]

મંડળની ગઝલનો આ પ્રશ્નાર્થ એના યથાર્થ સાથે ખરેખર જ ગુજરાતમાં આજના ગુજરાતી ભાષાસાહિત્યનાં વાતાવરણને લાગુ પડે છે, કે જ્યાં ઝવેરચંદ મેઘાણી, રાજેન્દ્ર શાહ, બ.ક. ઠાકોરથી માંડી ઉમાશંકર જોષી જેવા અણિશુદ્ધ ભાષા આરાધકોના અભાવે આજે રાજેન્દ્રભાઈના ઉપરોક્ત કથનની વેદનાઓને પડઘાતી કરી દીધી છે. ત્યારે યુનાઇટેડ કિંગ્ડમનાં એ પરભાષીય વાતાવરણમાં ય  નિજ ભાષાકીય નાભિનાદ ગુંજને પ્રત્યેક ગુજરાતીમાં મંત્રસ્થ કરવાને પ્રતિજ્ઞારત એવા સમાધિસાધકો છેલ્લા પાંચ દાયકાઓથી અવિરત અથાક યજ્ઞ કરી રહ્યા છે. જેનો સારગર્ભ એમના જ સેવી પંચમ શુક્લના આ શેરમંત્રમાં આપણે પામી શકીશું.

"મિલન પળ અધૂરી કદી આવજો ના.
કશી બેસબૂરી કદી આવજો ના."

                                      − પંચમ શુક્લ

સાક્ષાત્‌ બ્રહ્મ-દર્શનની ઘડીઓને આનંદ ઉલ્લાસે ઉઘાડતો આ પંચમભાઈનો શેર જ એ અકાદમીના પૂર્ણ ધ્યેય-٘મિલન અને એની કબીરી સબૂરીની પ્રતીતિ કરાવે છે.

સગર્વ પંચમભાઈને એ સંકલ્પનો અધિકાર પણ છે જ, કે તેઓ છેલ્લાં પાંચ વરસથી અકાદમીના મૂર્ધન્ય સ્થાપક, સંવાહક અને માર્ગદર્શક એવા ગાંધીવાદી વિચારશૈલી ધરાવતા મૂલ્યનિષ્ઠ, નિર્ભીક પત્રકાર, કટાર તથા નિબંધ લેખક વિપુલ કલ્યાણીના શિષ્યપદે અકાદમીના દેશ વિદેશના પ્રચાર-પ્રસાર કાજે વેબસાઈટ અને ડિજીટલ માધ્યમનો સ-કુનેહ ઉપયોગ કરે છે. કારણ કે એ સ્વયં ઈલેક્ટ્રોનિક એન્જિનિયરીંગમાં ડોક્ટરેટ હોઈ, ત્યાં એન્જિનિયરીંગ અધ્યાપક તરીકે મેટ્રોપોલિટન યુનિવર્સિટી સંલગ્ન સેવાકર્મ સાધે છે.

જ્યારે આપણું ગુજરાત આ ભાષા સમૃદ્ધિ જાળવવા અનેકાનેક સરકારી બિન સરકારી માધ્યમોથી ભેખ ધરી રહ્યું છે, ત્યારે યુનાઇટેડ કિંગ્ડમમાં માતૃભાષાના એ પ્રથમ ઉદ્દગારની જ અમૃત વાણીલીલાના પર્વ પળેપળ ઉજવવાની અમીટ તરસ સીંચનાર કેટલાક જાગ્રત વીરોએ મુશાયરા પ્રવૃત્તિઓ દ્વારા વિલાયતના લેન્કેશર પરગણામાં ઓઞણીસો પંચોતેરના ગાળામાં ‘ગુજરાતી રાઈટર્સ ગિલ્ડ’ની સ્થાપના કરી, પ્રવૃત્તિઓને યુરોપ સુધી વેગ આપ્યો. પછી લંડન ખાતે ‘ગુજરાતી સાહિત્ય સંઘ’નું નિર્માણ થયું. જે સમય જતાં ‘ગુજરાતી સાહિત્ય મંડળ’માં રૂપાંતરિત થયું. આ ચૈતન્ય પૂર્વે ઓગણીસસો ચોસેઠમાં ત્રણ ગુજરાતી શાળાઓએ અસંખ્ય શિક્ષકો તૈયાર કર્યા.

માતૃભાષા લેખનીની અનન્ય પિપાસાએ અનેક જાગ્રત લહિયાને લંડનના સામાયિક ‘ગુજરાત સમાચાર’, ‘ગરવી ગુજરાત’ અને 'નવ બ્રિટન’ વગેરેમાં દીપાવી ઝળહળતાં કર્યાં. પણ એમનાં ચૈતન્યને ભાષાના મોરપીંછ શણગાર ને મેઘધનુના સપ્તરંગી ઝબકારમાં સજાવવા કાજે કવિસંમેલનના પ્રણેતાઓએ ઓગણીસો સત્યોતેરમાં સૂર્યકાંત દવેના નિવાસ સ્થાને, કવિ ડાહ્યાભાઈ પટેલ, વિપુલ કલ્યાણી સહિત અનેક ભાષાભક્તોના કપાળે ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની સ્થાપનાનું ચંદન તીલક કર્યુ. જે હજી આજે સાડા ચાર દાયકાના ગાળામાં યે એઓની ભાષા સંસ્કૃતિ સાધનાભક્તિની દીવાનગીના કારણે એવું જ ઝળહળ મહેકે છે.

સંસ્થાકીય ઉપક્રમોને આગળ વધારતા પહેલાં, હું એ ભાષાઋણત્વની એક ઝલક જે મેં અનુભૂત કરી છે, એ વિશે સહેજ ફોડ પાડું કે જ્યારે તમે માતૃભાષા જ શ્વસતા હોય, ત્યારે એ સમાન જીવો વચ્ચે અપિરિચિતતાનો કે અંતરનો કોઇ અવકાશ ક્યાં ય રહેતો જ નથી. ડાહ્યાભાઈ પટેલને સદેહે હું સન્મુખ નથી થઈ શક્યો. પણ એમની કવિતાના આસ્વાદ ગ્રંથમાં મારો આસ્વાદ આલેખિત છે. તો એઓએ રચિત સત્યેશ્વર ગાંધીજી ફાઉન્ડેશનમાં પ્રતાપ પંડ્યા અને મોહનભાઈ બારોટની કૃપાઓથી અનેક વાર મેં મંચ શોભાવી શબ્દ પુષ્પો અર્પણ કર્યા છે. વિપુલભાઈને તો "નિરીક્ષક" સામાયિકમાં તથા અનેક અખબાર પત્રોમાં વાંચી ધન્યતા અનુભવી જ છે. જ્યારે પંચમભાઈ મારા વતન દાહોદના જ ગુરુવર રાજેન્દ્ર શુક્લના ઋષિવંશને શોભાવવા જ મિત્ર દિલીપભાઈ તથા રાજેશ્વરીબહેનનાં કૂળચરિત્રને અધ્યાત્મવાદથી શોભાવવા અવતર્યા હોવાથી જ, એમનું સાન્નિધ્ય અનેક અવસરે એમના આ શેર જેમ જ માણ્યું છે.

"શિખર પર ગોઠવી શૈયા ઉદિતની રાહ જોઉં છું.
ઘટાટોપે છો ઘેરાઉં તડિતની રાહ જોઉં છું. 

પ્રતિ ક્ષણ પુષ્પ જેવી પલ્લવિત આશા નિરાશાઓ,
સતત સમભાવ રાખી સંભવિતની રાહ જોઉં છું.”

                                                         − પંચમ શુક્લ

જનમજાત જ અધ્યાત્મના શિખરે ઉદિતની રાહ જોતાં, હરેક સહ સમભાવ દાખવનાર પંચમભાઈએ એમનું સાહિત્યસર્જન કર્મ તથા સેવાકર્મ સંભવિત શૈલીમાં નહીં, પણ સંકલ્પની શ્રદ્ધેય શૈલીમાં જ સિદ્ધ કર્યું છે. એથી જ એઓ યુનાઇટેડ કિંગ્ડમનિવાસી હોવા છતાં, ‘નવનીત સમર્પણ’, ‘શબ્દ સૃષ્ટિ’, ‘કવિલોક’, ‘કવિતા’ એવા” અગણિત સુપ્રસિદ્ધ ગણનાપાત્ર ગુજરાતી સામાયિકોમાં યુનાઇટેડ કિંગ્ડમની અકાદમીને ઝળહળાવી રહ્યાં છે.

અકાદમીના ભેખધારીઓ રાજકીય લક્ષણા દાખવ્યા વિના, એકત્વના જ એકલક્ષી તારે વણાઈ, વિપુલભાઈના નેજા હેઠળ સાહિત્ય સંસ્કૃતિ તથા કલા ઉન્નતિના જે સંયોજનો કરે છે, એ અકલ્પનીય છે. કવિ સંમેલન, સાહિત્યિક સેમિનાર, લિટરેરી ફેસ્ટીવલ, પુસ્તકમેળા, બહુવિધ વ્યાખ્યાન આયોજન, ચર્ચાઓ, નૃત્ય સંગીત તથા ચિત્રકામને ય પ્રાધાન્ય આપવામાં એ ગૌરવ અનુભવે છે. વિપુલભાઈની વિલક્ષણ ચૈતન્ય દ્રષ્ટિને કારણે, એમણે 1995થી સ્થાપેલ “ઓપિનિયન" મેગેઝીનને કારણે અનેકવિધ દેશોના બુદ્ધિજીવી સર્જકોના સર્જનાત્મક વિચારોની આપ-લે એ ક્રાંતિ જગાવી છે. વાણી વિચારની અવકાશી મોકળાશને જગવનાર આ સર્જકના ઐતિહાસિક કતૃત્વે ગુજરાતી લેક્સિકોનની સામગ્રીના પ્રચાર અને પ્રસારને જે વેગ દીધો છે, એ અતૂલ્ય છે. તો એમની વિચાર પ્રધાન લેખનીઓ પણ ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યમાં સુવર્ણ અક્ષરે અંકિત જ છે.

અંતે, આ સાહિત્ય અકાદમીને મારી સલામી દેતા એ જ કહીશ કે પંચમ શુક્લના આ શેરની જેમ મા સરસ્વતીનાં શરણમાં સર્વ સમર્પિત કબૂલાત સાથે નિસ્વાર્થ નિજાનંદી ભાષાઅર્ચન કરતા આ ભક્તોને  ઈશ્વર જોરે કલમ ઔર જ્યિયાદા દે. 

"તમે સનાતન લીલાં ભગવન.
અમે વિનાશી ટીલાં ભગવન.
તમે અગોચર પાવડી,
અમે રગશિયા ચીલા ભગવન."

પંચમભાઈ, આપની આ ઈશ્વરીય વંદના શીશે ચડાવતા એટલું જરૂર કહીશ કે તમે સૌએ ભાલે જે ભાષાભક્તિ-તિલક કર્યાં છે, એ અવિનાશી છે જ અને અવિરત અવિનાશી રહેશે જ. કારણ કે તમે જે સરસ્વતીને સાધો છો, એની પાસે તમારા શેર જેમ જ ક્યાં કૈં  બિન જરૂરી માગો છો?

"અમર્યાદ દૂરી કે બેહદ નિકટતા,
કશું બિન જરૂરી કદી આવજો ના."

એ/3 અભિલાષા ફ્લેટ, પારિજાત સોસાયટી પાસે, ફતેહપુરા, પાલડી અમદાવાદ.  380 007

સૌજન્ય : “તોફાની તાંડવ” દૈનિક, અમદાવાદ : તંત્રી – જિગર ઠકકર; 10 સપ્ટેમ્બર 2020

Loading

અક્ષર બિરાદરી જોગ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 September 2020

ગુજરાતી સાહિત્ય પરિષદ સાથેનું મારું ભાવાત્મક સંધાન સંભારું છું ત્યારે માનસપટ પર ઊભરતી પહેલી છબી ૧૯૫૫માં ગોવર્ધનરામના શતાબ્દીવર્ષે નડિયાદમાં મળેલી પરિષદના અહેવાલોએ ઝિલાયેલી છે. કાલિદાસની સર્ગશક્તિ હોય મારી કને તો સિંહના દાંત ગણવા કરતા શિશુ ભરત શું નાટ્યચિત્ર આલેખું, પણ હમણાં તો એટલું જ કહું કે કનૈયાલાલ મુનશીની એકચક્રી પકડ સામે સંસ્થામાં લોકશાહી ખુલ્લાશ વાસ્તે પડકાર – મુદ્રામાં ઉમાશંકર જાણે કે અવિધિસરના મેન ઑફ ધ મૅચ રૂપે સૌ સમક્ષ આવ્યા હતા.

અલબત્ત, પરિષદ સાથેનું પહેલું પ્રત્યક્ષ સંધાન તો તે પછી નવા બંધારણને ધોરણે અમદાવાદમાં કાકા કાલેલકરની અધ્યક્ષતામાં મળેલા યશસ્વી અધિવેશન વેળાનું. તે પછી નાનાવિધ સત્ર ને સભામાં સામેલ થવાનું કદાપિ છૂટ્યું નથી – ને છેલ્લા ત્રણ દાયકાથી તો મધ્યસ્થ સમિતિ, કારોબારી, પ્રકાશનમંત્રી, મહામંત્રી (વહીવટી મંત્રી), ઉપપ્રમુખ સહિતને હોદ્દે જવાબદારી સંભાળવાનું બન્યું છે, તો વિભાગીય અધ્યક્ષ તરીકે નિર્વહણ કરવાનું પણ બન્યું છે. ઉશનસ્‌, જયન્ત પાઠક, રઘુવીર ચૌધરી, બકુલ ત્રિપાઠી, નિરંજન ભગત, ધીરુબહેન પટેલ, ધીરુ પરીખ, ચંદ્રકાન્ત ટોપીવાળા, સિતાંશુ યશશ્ચંદ્ર આદિ પ્રમુખોના કાળમાં યથાસંભવ સહભાગી થવાનું સહજ ક્રમે થતું રહ્યું છે. આમાં જે સીમાચિહ્નો બની આવ્યાં તેમાં જો હું યશભાગી હોઉં તો સહિયારી જવાબદારીને ધોરણે મારે હિસ્સે મર્યાદાઓ પણ બેલાશક હોય જ. છેલ્લાં દસપંદર વરસમાંથી નમૂના દાખલ બે ઉલ્લેખો કરું તો નારાયણ દેસાઈના પરિષદપ્રવેશમાં અને સ્વાયત્તતાને મુદ્દે સ્ટૅન્ડ બાબતે મેં કંઈક ઠીક ભૂમિકા ભજવી છે.

રણજિતરામનું અસ્મિતાસ્વપ્ન, નટરાજની પેઠે અંગાંગ ઉત્સ્ફૂર્ત ચૈતન્યે પલટાતા સમયમાં ઉત્તરોત્તર શોધનવર્ધનપૂર્વક ચરિતાર્થ થતું રહે એ માટે કોઈ પણ સહૃદય અક્ષરકર્મીને સહજ એમ મારી રીતેભાતે મથતો રહ્યો છું. આજની તારીખે ગુજરાતના અક્ષરજીવન અને જાહેરજીવનના સાર્થક પારસ્પર્યની સંગમભૂમિએ ઊભી જે સમજવાનું છે તે એ કે સાહિત્ય પરિષદ કોઈ હી ઑલ્સો રેન જેવી ઇત્યાદિ પ્રકારની સંસ્થા નથી, પણ નીરક્ષરવિવેકપૂર્વક નરવાનક્કુર અવાજ અને નીરમ ને નેજાશી એની કાર્યભૂમિકા છે.

પરિષદનું આ પ્રજાસૂય, રિપીટ, પ્રજાસૂય દાયિત્વ, આંતરબાહ્ય સ્વાયત્તતા અને શુચિતાની આ જે જદ્દોજહદ, એમાં કંઈક અગ્રભાગી-કંઈક સહભાગી થવાની આ દાયકાઓમાં મારી કોશિશ રહી છે અને એના અનુસંધાનમાં મારી ઉમેદવારી છે, એમ હું સમજું છું.

૧૯૬૮-૬૯માં ‘વિશ્વમાનવ’ની સંપાદકીય જવાબદારી સ્વીકારી, ૧૯૭૧માં ‘જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણી’ સાથે સંકળાયો તે પછી વિધિવત્‌ અધ્યાપન સહજ ક્રમે છૂટતું ગયું અને જાહેરજીવનલક્ષી લોકશિક્ષણને અગ્રતા મળતી ગઈ. કટોકટીના કારાવાસ પછી બહાર આવી સહજક્રમે એના જ અગ્રસંધાન રૂપે ‘જનસત્તા-લોકસત્તા’ અખબારોમાં વરિષ્ઠ તંત્રી તરેહની ભૂમિકા સંભાળવાનું બન્યું, તો ‘દિવ્ય ભાસ્કર’ના આરંભકાળે સંપાદકીય સલાહકાર પણ રહ્યો. ‘અખંડ આનંદ’ના દ્વિજ અવતારમાં નિમિત્ત બન્યો તો એપ્રિલ ૧૯૯૨થી ‘નિરીક્ષક’નું દાયિત્વ પણ (હવે તો રજતવર્ષો વટીને) સંભાળું છું.

સંપાદકીય કામગીરી દરમિયાન લખવાનું અને ગ્રંથસ્થ કરવાનું પરસ્પર વ્યસ્ત સંબંધમાં રહ્યું છે. પાંત્રીસેક વરસ પર દિલીપ ચંદુલાલ, ડંકેશ ઓઝા અને ચંદુ મહેરિયાએ ત્યાં સુધી લખાયેલા લેખોમાંથી સ્થાયી મૂલ્યવત્તા ધરાવતા ‘વ્યક્તિ અને વિચાર’ તરીકેના ત્રણેક ગ્રંથોની સામગ્રી તારવી આપી હતી. હમણાં પાંચ-સાત વરસ પર ઉર્વીર્શી કોઠારી ને ચંદુ મહેરિયાએ તે પછીના વિપુલ લેખરાશિમાં સહેજે ત્રણ ગ્રંથો જેટલી પસંદગીલાયક સામગ્રી જોઈ હતી. દસ વરસમાં જે કેટલીક વ્યાખ્યાનમાળાઓ થઈ, જેમ કે ‘ટૉલ્સ્ટોયથી ગાંધી’, ‘સ્વતંત્ર પ્રકૃતિ તમામ-એક માનવી જ કાં ગુલામ’, ‘ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો’, ‘સ્વર્ગમાં બાકી કશી યારો જો નવજવાં’, ‘ભારતવર્ષની સ્વરાજસાધના’, એ પ્રત્યેક સ્વતંત્ર પુસ્તક પેઠે સામગ્રીસમ્પન્ન છે. આ એક નાનીશી તપસીલ.

તેમ છતાં, આજની તારીખે મારું કથયિત્વ બલકે પ્રતિપાદન એ છે કે પ્રજાકીય સંસ્થારૂપે પરિષદની એક ચોક્કસ કાર્યભૂમિકા છે અને એને અંગે ન તો મેદાન છોડી શકાય, ન તો હાથ ઊંચા કરી દઈ શકાય. અને વાતનો બંધ વાળું તે પૂર્વે રવીન્દ્રનાથના ‘પ્રાંતિક’ના વાર્તિક રૂપે ઉમાશંકરનું એ ટિપ્પણ સંભારું કે શ્વાસ છે ત્યાં સુધી હિસાબ આપવો રહે છે … ગોવર્ધનરામના સાક્ષરજીવનની નવ્ય આવૃત્તિ જાણે !

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2020; પૃ. 09

Loading

...102030...2,1752,1762,1772,178...2,1902,2002,210...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved