Opinion Magazine
Number of visits: 9680655
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કૌન સે બાપુ?

મેહુલ દેવકલા|Opinion - Opinion|2 November 2020

બીજી સપ્ટેમ્બરના રોજ કોલકાતા ઇન્ટરનેશનલ કલ્ટ ફિલ્મફેસ્ટિવલના આયોજકોને ઇમેલ આવે છે કે, તમારી ફિલ્મ ‘‘કૌન સે બાપુ?’ શૉર્ટફિલ્મ કૅટેગરીમાં ઑફિશિયલ સિલેક્ટ થઈ છે. અમેરિકા, યુરોપ, કોરિયા, જાપાન, તાઇવાન, આરબ અને આફ્રિકન દેશો એમ દુનિયાભરમાંથી આવેલી લગભગ પાંચસો ફિલ્મોમાંથી ચુનંદા ફિલ્મોનું ઑફિશિયલ સિલેક્શન થયું હતું. પહેલી જ ફિલ્મ અને આવા પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ફિલ્મફેસ્ટિવલમાં સિલેક્શન સુધી પહોંચે એ રોમાંચની હવા ઓસરે એ પહેલાં તો પાંચમી સપ્ટેમ્બરના રોજ ફિલ્મ ફાઇનલમાં પહોંચવાના સમાચાર આવે છે. બે દિવસ પછી સાતમી સપ્ટેમ્બરના રોજ વિવિધ વિભાગોમાં વિજેતાફિલ્મોની યાદી જાહેર કરવામાં આવે છે. ‘કૌન સે બાપુ?’-ને આઉટસ્ટૅન્ડિંગ એચિવમેન્ટ ઍવૉર્ડ જાહેર થાય છે.

બરાબર એક વર્ષ પહેલાંની વાત કહું તો સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયા સુધીમાં ફિલ્મની સમગ્ર રૂપરેખા મારા મનમાં તૈયાર હતી. ૧૫૦મી ગાંધી-જયંતીના અઠવાડિયામાં હું અને ફિલ્મના સિનેમેટોગ્રાફર જયેશ ડેલીવાલા અમદાવાદના વિવિધ વિસ્તારોમાં લોકેશન-સ્કાઉટિંગ કરી આવ્યા. ફિલ્મનો એક ખૂબ જ મહત્ત્વનો સીન સાબરમતી આશ્રમમાં ફિલ્માવવાનો હતો, એટલે આશ્રમપરિસરમાં વિવિધ લોકેશન્સ જોઈ લીધાં. કેટલા વાગે કયા લોકેશન પર કેવો પ્રકાશ હશે, એ મુજબ ચોક્કસ ફ્રેમનું આગોતરું આયોજન કરી લીધું હતું. બહોળા અનુભવને કારણે જયેશભાઈ એક જ મુલાકાતમાં ફિલ્મની જરૂરિયાત અને મિજાજ બરાબર સમજી લે છે. અમે લોકેશન- સ્કાઉટિંગ પૂરું કરીને સાબરમતી આશ્રમના મુખ્ય ગેટની બહાર નીકળીએ છીએ, ત્યાં જ અમને અમારી ફિલ્મનું એક મહત્ત્વનું પાત્ર મળી જાય છે. આ પાત્રની વાત તત્પૂરતી રહસ્ય રાખીને ગાંધીજી વિશેની ફિલ્મનો વિચાર કેવી રીતે સ્ફૂર્યો હતો, એની થોડી વાત કરી લઉં.

બાળપણમાં ‘સત્યના પ્રયોગો’ વાંચી એ સમયથી લઈને છેક કૉલેજકાળ સુધી વિવિધ તબક્કે ગાંધી વંચાતા ગયા તેમ જ એક વિચાર રૂપે સતત સાથે રહ્યા. મિત્રો જોડે જ્યારે પણ ગાંધીને અનુલક્ષીને સંવાદ થાય ત્યારે, ગાંધી વિરોધી મિત્રોને પહેલાં તો ‘સત્યના પ્રયોગો’ વાંચી જવા અને ત્યાર બાદ જ ડિબેટ કરવા સૂચવતો. એટનબરોની ગાંધી અસંખ્ય વાર જોઈ હશે. શ્યામ બેનેગલ નિર્મિત ‘મેકિંગ ઑફ મહાત્મા’ પણ અંદર સુધી સ્પર્શી ગઈ હતી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ એક પ્રોજેક્ટ માટે ગાંધી પર બનેલી ફિલ્મો અને લોકો પર એ ફિલ્મોની અસર વિશે મારો ઇન્ટરવ્યૂ કર્યો, ત્યારે નવેસરથી એ વિષય પર વિચારવાનું બન્યું. માર્ચ ૨૦૧૯માં પોરબંદર જવાનું બન્યું. કીર્તિમંદિર અને કસ્તૂરબાના નિવાસસ્થાનની મુલાકાતો લીધીઃ કીર્તિમંદિરમાં ગાંધીજી જે ઓરડામાં જન્મ્યા હતા એ જસ ને તસ સાચવેલો છે. દૂર કાઠિયાવાડના આ ડેલામાં જન્મેલો મોહન આગળ જઈને આવનારી આખી સદી માટે દુનિયાને કેવી બદલી નાખે છે, એ વિચારમાત્રથી રોમાંચિત થઈ જવાયું. દુનિયા આખીમાં અન્યાય સામે લડનારાઓને આજે પણ ગાંધીનું જીવન બળ પૂરું પાડે છે. ત્યારે એમના પોતાના દેશમાં એમને ચાર રસ્તે ઊભેલાં પૂતળાંઓ, દિવાલો પર ટીંગાયેલી તસવીરો અને ચલણી નોટોમાં કેદ કરી દેવામાં આવ્યા છે. એમના પોતાના દેશમાં ગાંધી ભુલાતાં જાય છે. સાથેસાથે એક વિચાર એ પણ આવ્યો કે ગાંધી વિશે કેટકેટલી ફિલ્મો બની ચૂકી છે અને અઢળક સાહિત્ય પણ રચાયું છે, પરંતુ હવે ગાંધી વિશે નવું શું કહી શકાય? અને ત્યાંથી આ ફિલ્મનું બીજ રોપાય છે. ગાંધીજી વિશે ક્યારે ય ના કહેવાયેલી વાત હળવી શૈલીમાં ફિલ્મમાં કહેવામાં આવી છે.

ફિલ્મની કલ્પના થઈ એ ક્ષણેથી જ મુખ્ય ભૂમિકામાં અભિનેતા અર્ચન ત્રિવેદીને કલ્પી લીધા હતા. અગાઉ પોરબંદરના જે પ્રવાસની વાત કરી, એમાં અર્ચનભાઈ પણ જોડાયા હતા. પહેલીવાર મળવાનું બન્યું અને મળતાવેંત મિત્ર બની ગયા. પોરબંદરમાં એમની સાથે સારો એવો સમય પસાર કરવાનું બન્યું. એમનાં નાટકનાં રિહર્સલ્સ જોયાં. ક્યારેક અર્ચનભાઈ જોડે કામ કરવું છે એમ મનોમન નક્કી કર્યું, પરંતુ એ આમ અચાનક અને એ પણ છ મહિનામાં જ શક્ય બનશે, એની એ સમયે કલ્પના નહોતી.

કટ ટુ અમદાવાદ. અર્ચનભાઈ અને જયેશભાઈની તારીખો મળ્યા બાદ ઑક્ટોબરમાં શૂટિંગ શરૂ થાય છે. પહેલા દિવસના શૂટિંગની એક રસપ્રદ વાત કરું. જૂના એલિસબ્રિજ ઉપર સૂર્યોદય પહેલાંનો એક શોટ લેવાનો હતો. કલાકારો અને બીજા ટેક્‌નિશિયન્સ સમયસર પહોંચી ગયા હતા, પરંતુ મારે વહેલીસવારે વડોદરાથી ડ્રાઇવ કરીને અમદાવાદ પહોંચવાનું હતું અને ધુમ્મસના કારણે મોડું થઈ ગયું. પહેલી ફિલ્મનો પહેલો શોટ ને હું મોડો પડ્યો હતો. હૃદયના ધબકારા વધી ગયા, પરંતુ જેવો લોકેશન પર પહોંચ્યો કે એમના ચિરપરિચિત ટીખળી અંદાજમાં અર્ચનભાઈ બોલી પડ્યા, ‘મેહુલ, હવે તો તું એક સફળ દિગ્દર્શક બનવાનો જ એ વાતમાં લગીરે શંકાને સ્થાન નથી. સફળ દિગ્દર્શકો કાયમ સેટ પર મોડા આવતા હોય છે.’ ખડખડાટ હાસ્ય સાથે ટીમમાં એક અનેરી ઊર્જાનો સંચાર થઈ જાય છે. એક સદી કરતાં પણ જૂના એલિસબ્રિજ પરનો એ શોટ ધાર્યા પ્રમાણે ઓકે થઈ જાય છે.

અમદાવાદના ઘણાં ઐતિહાસિક સ્થળો પર ફિલ્મ શૂટ થઈ છે. સાબરમતી આશ્રમના શૂટિંગની વાત કરું તો ચાલુ દિવસમાં શૂટિંગ હતું અને શાળાનાં બાળકો અને બીજા મુલાકાતીઓની સારી એવી ભીડ હતી. આશ્રમના કૉમ્યુનિકેટર પ્રતિમા વોરાએ રસ લઈને શૂટિંગ દરમિયાન ખૂબ મદદ કરી. અર્ચનભાઈને લગભગ પંદર મિનિટમાં તો ચરખો કાંતતા શિખવાડી દીધું.

સંગીત આ ફિલ્મનું એક ખાસ પાસું છે. મારે ‘વૈષ્ણવજન’નું વાંસળી પર વાદ્યગાન જોઈતું હતું અને એ પણ અમારી ફિલ્મ માટે ઓરિજિનલ રેકૉર્ડ કરેલું. બજેટ ઓછું હતું એટલે સ્ટુડિયો પોસાય એમ હતો નહિ. મિત્ર જગદીશ મહેતા વ્હારે આવ્યા. એમના મિત્રો વિવેક ઝાલા અને અન્ય વાદ્યકારોએ પોળના મકાનમાં જ વહેલી સવારે શાંત વાતાવરણમાં વૈષ્ણવજન રેકૉર્ડ કર્યું અને સાંભળતાંની સાથે જ લાગ્યું કે મારે જે જોઈતું હતું એ મળી ગયું છે. તમે તમારા ઘરમાં બેઠા હો અને પડોશમાં કોઈએ વાંસળી પર વૈષ્ણવજન છેડ્યું હોય અને એના સૂર તમારા કાન સુધી પહોંચે, ત્યારે જે અનુભૂતિ થાય એ તદ્દન ‘રૉ’ સ્વરૂપ મારે જોઈતું હતું, જે મળી ગયું.

અને હવે, શરૂઆતમાં જે પાત્ર અંગે રહસ્ય રાખ્યું હતું, એની વાત. એ કલાકાર કે જે અમને સાબરમતી આશ્રમના દરવાજે મળી ગયા હતા એમનું નામ છે સંજય રાજપૂત. તેઓ રિક્ષાચાલક છે. હું શરૂઆતથી જ ઇટાલિયન નિઑ-રિયાલિઝમ અને સત્યજીત રેની ફિલ્મોથી પ્રભાવિત થયો છું. મારી પહેલી ફિલ્મમાં ગાંધીજી અને સત્યજીત રે બંનેને ટ્રિબ્યૂટ રૂપે એક ‘સામાન્ય માણસ’ને અભિનય કરાવવો હતો. અને એ કૉમનમેન મને સંજય રાજપૂતમાં જડી ગયો. અર્ચનભાઈ જેવા ખમતીધર કલાકાર સામે ખૂબ જ ઓછા ટેકમાં એમણે સારું કામ કર્યું છે. ફિલ્મનું એડિટિંગ અને પોસ્ટ-પ્રોડક્શન જયેભાઈના ઘરે જ બનાવેલા સ્ટુડિયોમાં કરવામાં આવ્યું.

આ વર્ષે જાન્યુઆરીમાં કોલકાતા લિટરેચર ફેસ્ટિવલમાં કાવ્યપાઠ માટે જવાનું બન્યું હતું. સત્યજીત રેની લગભગ તમામ ફિલ્મોમાં નાયકની ભૂમિકા કરનાર વિશ્વવિખ્યાત બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટર્જી જોડે કોલકાતામાં ગોષ્ઠિ થઈ. એમને મારી ફિલ્મ બતાવી. એમણે વખાણના બે શબ્દો કહ્યા એટલે કંઈક સારું કામ થયાનો અંદરથી રણકો વાગ્યો. એમની સાથે સાબરમતી આશ્રમ, ગાંધી અને ટાગોર વિશે પણ ઘણી વાતો થઈ. એ બધું ફરી ક્યારેક.

‘કૌન સે બાપુ?’ ભલે શૉર્ટફિલ્મ રહી, પરંતુ એના અનુભવો લખવા બેસું તો પાનાં ઓછાં પડે. અર્ચનભાઈ અને જયેશભાઈ જોડે કામ કરતાં-કરતાં જ ફિલ્મમેકિંગની ઘણી બારીકીઓ સહજતાથી શીખવા મળી, જે કદાચ કોઈ ફિલ્મ સ્કૂલમાં શીખવા ન મળે. ફિલ્મનો બીજા આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલ્સમાં પ્રવાસ હજુ ચાલુ છે. એટલે ઑનલાઇન આવતાં થોડા મહિના નીકળી જશે. તો મળીએ છીએ નજીકના ભવિષ્યમાં નવા વિષય અને ફિલ્મ સાથે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2020; પૃ. 12

Loading

સેક્સવર્કરની સંગાથેઃ ૫

ગૌરાંગ જાની|Opinion - Opinion|2 November 2020

૨૭ : સેક્સવર્કરની વાત સેક્સવર્કરના મુખે (૧) : “મારે દીકરી અને દીકરો એમ બે બાળકો છે. દીકરી મોટી અને દીકરો નાનો. મારી દીકરીને ગાયક બનવું છે. તેને ડાન્સિંગ, સ્વિમિંગ અને સ્કેટિંગનો બહુ શોખ છે. તે મને રોજ કહે છે કે મમ્મી, મને આ કરવું છે, મારે તે કરવું છે, પણ હું ના પાડું છું. હું કહું છું કે સ્કૂલ અને બીજું બધું એક સાથે ન પહોંચી વળાય. વેકેશનમાં જે કરવું હોય એ કરજે. હવે ત્રિમાસિક પરીક્ષા પૂરી થઈ તો કહે, મમ્મી, ચાલ, હવે મારા માટે ક્લાસની તપાસ કર. મારે સંગીત શીખવું છે. મારી દીકરી બહુ ડાહી છે. એને જે શીખવું હશે એ શીખવા દઈશ. એને જ્યાં સુધી ભણવું હશે ત્યાં સુધી ભણાવીશ.

છોકરીને છોકરા કરતાં પણ વધુ સ્વતંત્રતા આપીશ. છોકરીને તો હું ‘હીરો’ બનાવીશ. મારી છોકરી જ્યારે સમજણી થશે, ત્યારે એને હું મારી વ્યાવસાયિક જિંદગી વિશે એક આખું પુસ્તક લખીને આપીશ. તેને પણ ખ્યાલ આવે કે મારી માએ કેમ આવું  કામ કર્યું? શું મજબૂરી હતી? એની માએ લોકોને સુખી કરવા અને તેમની ઇચ્છાઓ સંતોષવા પોતાની જાતની કુરબાની આપી દીધી, જિંદગી બરબાદ કરી.

સાથે-સાથે તેને બીજી પણ સમજ આપીશ કે તારે તારી જિંદગી બગાડવાની નથી. અત્યારના સમયમાં કોઈને પ્રેમ કરવો ખોટું નથી. કોઈની સાથે હરવુંફરવું એ પાપ નથી, પણ ક્યારે ય ખરાબ  કામ ના કરીશ અને તારી જિંદગી ના બગાડીશ. હું તેને સાચાખોટાની સમજ આપીશ. મારી છોકરીની જિંદગી એ મારું સપનું છે. એને લગ્ન કરવામાં પણ કોઈ મુશ્કેલી નહિ પડે. કારણકે હું તેને હીરો બનાવીશ અને તેને લઈ જનાર પાત્ર હીરાથી અંજાઈ જશે, જેથી મારા વ્યવસાયને કારણે એને લગ્ન કરવામાં મુશ્કેલી નહીં પડે. પણ એક બાજુ એમ પણ થાય છે કે કદાચ મારી છોકરીને ખબર પડે, કારણ કે હું જ્યાં રહું છું. ત્યાં મારા ફ્લૅટના બધા લોકોને ખબર છે કે હું આ કામ કરું છું. મારી છોકરી જ્યારે મોટી થશે, ત્યારે તેને જાતીય બાબતો વિશે સમજણ આપીશ. એને જેમ ખીલવું હશે, તેમ ખીલવા દઈશ.કોઈ બળજબરી નહિ કરું.

પણ મારો દીકરો બહુ જ જબરો અને હરામી છે. પાંચ વર્ષનો છે, પણ તમને એવું ના લાગે કે એનામાં આટલી બુદ્ધિ હશે.એ મને કાયમ કહે કે તું મને ફરવા જ નથી લઈ જતી. રોજ મોડી-મોડી આવે છે અને આખો દિવસ બહાર જ રહે છે. ટેણિયો બહુ ખતરનાક છે. એ કહે તું તો મારી બર્થડે-ના દિવસે પણ રજા નથી પાડતી. એ મારી મમ્મીને કહે કે મારી મમ્મી બિચારી આખો દિવસ કામ કરે છે, તો તમે બધું કામ કરોને!

ઘરમાં મારા કામ અંગેની બધાને ખબર છે. મારા હસબન્ડ, મારા મોટા ભાઈ ભાભી. મમ્મી, નાનો ભાઈ અને સાસરીમાં બધાંને ખબર છે. મારાં છોકરાંઓને ખબર નથી. બાળકોનાં જીવનવીમા અને મેડિકલેમ છે.

નવરાત્રી શરૂ થાય એટલે ફ્લૅટના બધા કહે છે કે બહેન તમે તો ફ્લૅટના મોભી છો. બધાંયને ખબર છે કે મારી પાસે આવવાથી બધું મળે એમ છે. એટલે એવું કહે છે. નવરાત્રીમાં સૌથી વધુ ફાળો હું આપું છું. એક વખત હું લિફ્ટમાં જતી હતી, ત્યારે મારા નીચેના માળે રહેતા ભાઈએ મને પૂછ્યું કે તારે તારો ધંધો છે ? કોઈ નાની છોકરી મળે ? પછી કહે કે તું આગળ ઊભી રહે, હું તને લેતો જાઉં છું, પણ મેં તો સાંભળ્યું જ નથી એમ કરીને રિક્ષામાં બેસીને જતી રહી. બધા પાડોશીને મારા કામ વિશે ખબર છે, પણ કોઈ કશું બોલતું નથી ઊલટાનું ઘણી વાર મને સમય ન મળે અને તેમને ના મળું તો બધા પાડોશીઓ પૂછે કે હમણાંથી કેમ દેખાતી નથી ? જેમજેમ બધાને ખબર પડતી જાય છે એમ ફ્લૅટવાળા જ હવે મને કસ્ટમર મોકલે છે

મારા કામને કારણે મારા નાના ભાઈનાં લગ્ન થતાં નથી. છોકરીવાળા અમારો રેફરન્સ પૂછે પછી ના પાડે છે. તેથી ક્યારેક તે ગુસ્સે પણ થઈ જાય છે. મેં કહ્યું કે એવું હોય તો તું જુદો રહે. આપણે અલગ મકાન રાખી લઈએ.”

૨૮ : દેહવ્યાપારપૂર્વે સેક્સવર્કરનો વ્યવસાય કયો હતો ? આ પ્રશ્ન સામાન્ય રીતે આપણે પૂછતાં નથી અને એવું જ માનીને ચાલીએ છીએ કે સેક્સવર્કર સીધેસીધી આ વ્યવસાયમાં જોડાય છે. પણ મારા દોઢ દાયકાના અનુભવે એ સમજાયું કે ચિત્ર ઘણું ભિન્ન છે. સેંકડો સેક્સવર્કર સાથેની મારી ચર્ચામાં અને તેઓની હોમવિઝિટ દરમિયાન સેક્સવર્કર વિશેનો ઉપર છલ્લો ખ્યાલ સદંતર દૂર થઈ ગયો.

ગુજરાત યુનિવર્સિટીમાં મારી વિદ્યાર્થિની અને જ્યોતિ સંઘના પ્રોજેક્ટમાં આઉટરિચ વર્કર તરીકે કામ કરનાર ડૉ. ભૂમિ દવેએ મારા માર્ગદર્શન હેઠળ અમદાવાદની સેક્સવર્કર બહેનો વિશે એમ.ફિલ. અને પી.એચડી. થિસિસ તૈયાર કરી હતી.સેક્સવર્કરના બાળકો વિશેની એમફિલ થિસીસમાં તેણે ૫૭ સેક્સવર્કર બહેનોની મુલાકાત લઈ સંશોધન કર્યું.

આ સંશોધનમાં અમે એક સવાલ એવો પૂછ્યો કે સેક્સવર્કર બન્યા પૂર્વે બહેનો શું કરતી હતી અર્થાત્ ‌કયો વ્યવસાય કરતી હતી. અત્રે એ માહિતીનો કોઠો દર્શાવ્યો છે. એ જોઈ તમને સમજાશે કે સેક્સવર્કર પૂર્વે લગભગ તમામ બહેનો સમાજના કહેવાતા ’સ્વીકૃત’ વ્યવસાયોમાં હતી. જેમ કે ૧૨ બહેનો ગૃહકાર્ય કરતી હતી. બાકીની બહેનોનાં કામની યાદીમાં દવાની કંપનીમાં, ટ્યૂશન, ભરતગૂંથણ/સિલાઈકામ, નર્સ, નોકરી આપવાની કંપનીમાં, બંગલાકામ, કાપડ પર છપાઈ, રંગાટી કામ, શિક્ષિકા, છૂટક કામ, ટેલિફોનબૂથ, સફાઈકામ, કપડાંની ફૅક્ટરીમાં, મોબાઇલફોનની કંપનીમાં, સ્ટેનોટાઇપિસ્ટ, અગરબત્તી વણવી, ઓશિકા-તકિયાનું પૅકિંગ, ડાન્સબાર, પત્રકારત્વ, કૉઇલકંપનીમાં, સેલ્સગર્લ, ખાદ્ય ચીજોનું વેચાણ, હીરા ઘસવા, સાબુ પૅકિંગ.

આમ, વિવિધ આર્થિક પ્રવૃત્તિઓમાં આજીવિકા. બહેનોને સવાલ પૂછ્યો કે તમે કેમ આ કામ છોડીને સેક્સવર્કર બન્યાં. લગભગ એક સમાન ઉત્તર એવો હતો કે તેઓની સાથે કામ કરતા પુરુષ સહકર્મી અને પુરુષ માલિકોનાં શારીરિક અને આર્થિક શોષણથી તંગ આવી ગયાં હતાં. આર્થિક ગરીબાઈ બળતામાં ઘી હોમતું. ઘરબાર ચલાવવા. આ સ્થિતિમાં બીજો વિકલ્પ ના રહ્યો .

૨૯. : સેક્સવર્કર બહેનોની જ્ઞાતિ અને ધર્મ કયાં છે ? સમાજના છેવાડે રહેતા લોકો વિશે ડિગ્રીધારી શિક્ષિતો પોતાનો મત આપે છે, ત્યારે તે મત ઉપરછલ્લો અને ઘણી વાર સત્યથી વિપરીત હોય છે. સેક્સવર્કર બહેનો વિશે જ્યારે લોકો વચ્ચે જઈ વાત કરી છે, ત્યારે એક સવાલ પુછાતો આવ્યો છે કે આ બહેનો તો ’સારા ઘરની ’તો ક્યાંથી હોય ! આ સવાલ હંમેશાં ઊભો કરવામાં આવે, જ્યારે નીતિ-અનીતિના માપદંડથી લોકોને તોળવામાં આવે.

મારા માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૦૭માં વિદ્યાર્થિની ડૉ. ભૂમિ દવેએ ૫૭ સેક્સવર્કર બહેનો વિશે એમ.ફિલ.નો શોધનિબંધ કર્યો, ત્યારે તે સૌને તેઓની જ્ઞાતિ વિશે પૂછેલું. તેના પ્રતિભાવમાં કુલ ૨૫ સમુદાયો કે જ્ઞાતિધર્મની યાદી મળી, જે આ પ્રમાણે હતીઃ બ્રાહ્મણ (૬), ભરવાડ (૧), મારવાડી દરબાર (૧), રાજપૂત (૫), લોહાણા (૧), સુથાર (૩), ઘાંચી (૨), રોહિત (૨), વણકર (૧), પંચાલ (૩), પાટીદાર (૮), પરમાર (૧), આહીર (૧), કોષ્ટિ (૧), લુહાર (૧), ઠાકોર (૧), પ્રજાપતિ (૧), દેવીપૂજક (૧), સિંધી (૨), પંજાબી (૧), મુસ્લિમ (૫), જૈન (૧), ખ્રિસ્તી(૨), ઘાટીલા (૧), અન્ય (૪).

અમદાવાદ શહેરમાં જ્યાં રેડલાઇટ એરિયા નથી, ત્યાં જુદી-જુદી જ્ઞાતિધર્મની બહેનો આ વ્યવસાયમાં જોવા મળી. તેનો અર્થ એ થયો કે જો ગ્રાહકો ભિન્ન-ભિન્ન જ્ઞાતિના હોય, તો સેક્સવર્કર બહેનો પણ વિવિધ સમુદાયની હોઈ શકે. ૫૭ બહેનોના અભ્યાસમાં આવું વૈવિધ્ય જોવા મળે. તો એ સમજી શકાય કે સેંકડો બહેનોમાં આ વિવિધતા કેવી હશે .આ બહેનો પણ આપણા સમાજનું જ દર્પણ છેને! જેવો સમાજ એવી સેક્સ-ઇન્ડસ્ટ્રી !

૩૦ : સેક્સવર્ક, કપલકૅબિન, ગેસ્ટહાઉસ અને બ્યુટીપાર્લર : અમદાવાદ શહેરમાં ઐતિહાસિક રીતે પરંપરાગત એવા વિસ્તારો નથી જ્યાં દેહવ્યાપાર ચાલતો હોય અથવા જેને અત્યારે અપમાનજનક રીતે રેડલાઇટ એરિયા કહેવામાં આવે છે. આ સ્થિતિમાં અમદાવાદમાં દેહવ્યાપરનો ઇતિહાસ તપાસવાનો પ્રયત્ન કર્યો, ત્યારે કઈ વિશેષ જાણવા મળ્યું નહિ, પણ શહેરના જૂના વિસ્તારો અર્થાત્‌ કોટ વિસ્તારમાં લોકોને પૂછતાં બે સ્થળેથી મને રસપ્રદ માહિતી મળી. શહેરના મધ્યમાં આવેલા પાનકોરનાકાની સદીપુરાણી દુકાનોના દુકાનદારો અને જૂના શેર બજારમાં લોકોને પૂછતાં જાણવા મળ્યું કે ’પાનકુંવરબાઇ’ના નામ પરથી પાનકોરનાકા નામ પડ્યું હશે.એવું મનાય છે કે એક જમાનામાં ત્યાં ’પાનકુંવરબાઈ’નો કોઠો હતો. પણ આ વાતને કોઈ પ્રમાણભૂત આધાર મળ્યો નથી પણ લોકવાયકા છે.

અમદાવાદ સદીઓ જૂનું શહેર હોવાને કારણે તેમ જ એક જમાનામાં મિલઉદ્યોગની જાહોજલાલીને કારણે બહારથી આવતા લોકો માટે ગેસ્ટહાઉસ સ્થપાયાં જ્યારે હોટેલનો ખ્યાલ વિકસ્યો ન હતો. સમય જતાં આ ગેસ્ટહાઉસનો ઉપયોગ સેક્સવર્ક માટે વ્યાપક રીતે થવા માંડ્યો.એટલું જ નહીં, શહેરને સીમાડે આવેલા શ્રમજીવી વિસ્તારોમાં પણ બિલાડીની ટોપની જેમ એ ફૂટી નીકળ્યાં, જ્યાં કલાક પ્રમાણે ભાવ લેવાય. એ પણ નોંધીએ કે આ ગેસ્ટહાઉસનો ઉપયોગ અંગત પળો માટે યુગલો પણ કરે છે.

છેલ્લાં પાંચ દાયકામાં ’કપલકેબીન’નો ખ્યાલ પણ  વિકસ્યો અને શરૂઆતમાં શહેરનાં મધ્યમાં આવેલા ભદ્રકાળી-માતાના મંદિરની આસપાસ તે શરૂ થયાં. રેસ્ટોરન્ટ જેવી જગ્યામાં ૬ બાય ૬ની લાકડાની કૅબિનો ગોઠવી દેવામાં આવે. જ્યાં માંડ બે વ્યક્તિઓ બેસી શકે અને એક નાનું ટેબલ હોય, નાસ્તો કરવા. ખૂબ સસ્તામાં એકાંત માણવા આ કૅબિનોનો ઉપયોગ કૉલેજના વિદ્યાર્થીઓથી શરૂ કરી સેક્સવર્કર બહેનો કરતી. અમારી બહેનો ભદ્રકાળીના મંદિર પાસે કે તેની આસપાસના વિસ્તારોમાં ગ્રાહકો માટે રસ્તા પર ઊભી રહે અને ત્યાંથી જ નજીક આવેલી કપલ કૅબિનમાં જાય.

આ કપલકૅબિનો નેવુંના દાયકામાં નવા વિકસેલા સરખેજ – ગાંધીનગર હાઈવેની અડીને આવેલી ખાલી જગ્યાઓમાં ઝડપથી બની અને તેનો વ્યાપક ઉપયોગ સેક્સવર્ક અને યુવક-યુવતીઓના મિલન-સ્થળ તરીકે વિકસ્યાં. અમારો એક અંદાજ હતો કે આવી ૩૦૦થી વધુ કૅબિનો હતી. પણ નવી આર્થિકનીતિ આવતા આ હાઈવેની જમીન સોનાની લગડી પુરવાર થઈ અને જોતજોતામાં આ વિસ્તારમાં નવી ક્લબો અને મૉલ તેમ જ નવાં મકાનો ઊભાં થઈ ગયા. તેને કારણે આ કૅબિનો લગભગ ભૂતકાળ બની ગઈ. અમદાવાદમાં છેલ્લા દોઢ દાયકામાં ત્રણથી સાત તારકહોટેલોના જમાનામાં ગેસ્ટહાઉસ રહ્યાં. પણ તેની ચમક અને કમાણી ઝાખાં પડ્યાં. જ્યાં રેડલાઇટ નથી ત્યાં સેક્સવર્કરોને નવા રસ્તા શોધવા પડે છે. એટલે બ્યુટીપાર્લર અને સ્પાનો ઉપયોગ દેહવ્યાપાર માટે થવા લાગ્યો.

૩૧. : સેક્સવર્કર બહેનો કોની સાથે રહે છે? : સેક્સવર્કર બહેનોનો પરિચય ના હોય અને તેઓ વિશેનો ખ્યાલ માત્ર ફિલ્મી હોય તો આપણે એવું માનીએ કે તેઓ એકલી રહેતી હશે. પણ અમદાવાદ શહેરમાં જ્યાં તેઓનો કોઈ ચોક્કસ વિસ્તાર નથી, ત્યારે એ જાણવું જરૂરી છે કે તેઓ ક્યાં અને કોની સાથે રહે છે.

વર્ષ ૨૦૦૦માં અમે જ્યોતિ સંઘ ખાતે ૩૧૪ સેક્સવર્કર બહેનોનો અને વર્ષ ૨૦૦૩માં ૩૮૫ બહેનો વિશે અભ્યાસ કર્યો, તેની માહિતી અત્રે આપી છે.

સેક્સવર્કર બહેનો કોની સાથે રહે છે?.

કોની સાથે.      વર્ષ૨૦૦૦ (%)              વર્ષ ૨૦૦૩ (%)
                         કુલ ૩૧૪                       કુલ ૩૮૫
………………………………………………………………
એકલા                ૧૪.૦                             ૨૭.૮
પતિ સાથે             ૫૩.૫                            ૬૧.૮
બ્રોથેલના
મલિક સાથે              ૬.૭                              ૩.૬
સ્ત્રી/પુરુષ
મિત્ર સાથે               ૮.૯                .             ૩.૪
અન્ય                   ૧૬.૮                               ૦.૩
…………………………………………………………………..

૩૨ : દેહવ્યાપાર એ ભારતમાં ગુનો નથી : આ કાનૂની હકીકત છેલ્લાં ૭૦ વર્ષમાં કદી સામાન્યજ્ઞાનનો હિસ્સો ના બની. એટલે સેક્સવર્કર બહેનો અને ભાઈઓને સમાજની નીતિમત્તા અને કાનૂન-નિરક્ષરતાનો ભોગ બનવું પડ્યું. વર્ષ ૧૯૫૬માં સપ્રેશન ઑફ ઇંમોરલ ટ્રાફિક ઍક્ટ અને ત્યાર બાદ તેમાં થયેલા સુધારા પ્રમાણે પ્રિવેન્શન ઑફ ઇંમોરલ ટ્રાફિક ઍક્ટ મુજબ ભારતમાં કોઈ પણ વ્યક્તિ આજીવિકા માટે સેક્સવર્કર બને તો એ ગુનો નથી.

અમે આ બહેનો સાથે કામ શરૂ કર્યું, ત્યારે અને આજે પણ તેઓ માને છે કે તેમનું સેક્સવર્ક ’ગંદું’ કામ છે. તેઓ સાથે અમે એમીબહેન યાજ્ઞિક અને આનંદ યાજ્ઞિક જેવા ગુજરાત હાઈકોર્ટના નામી વકીલોનો સંવાદ કરાવેલો અને પોલીસથી માંડી રાજ્યના આરોગ્ય-પ્રધાન સુધી કાનૂની સાક્ષરતાનો પ્રચાર કર્યો. પરંતુ આ સમજ જનસમાન્ય સુધી પહોંચી નહિ. તેનો ગેરલાભ સેક્સવર્ક કરતાં સ્ત્રી અને પુરુષોને મળ્યો.

વ્યક્તિગત રીતે સેક્સવર્કર ગુનેગાર નથી. જેઓ દલાલો છે તેઓ શોષણ કરી વ્યવસાય કરે એ ગેરકાનૂની છે. તાજેતરમાં જ મુંબઈ હાઈકોર્ટે એક સીમાવર્તી ચુકાદો આપતા કહ્યું કે ’દેહવ્યાપાર કરવો એ ગુનો નથી.’ આ તારણ સાથે હાઈકોર્ટે લગભગ એક વર્ષ સુધી ત્રણ મહિલાને સુધારકેન્દ્રમાં રાખવાના નીચલી કોર્ટના આદેશને રદ કર્યા છે અને મહિલાઓને તાત્કાલિક છોડી મૂકવા હુકમ કર્યો. – મુંબઈના મલાડ ગેસ્ટ હાઉસમાં ગયા વર્ષે એક દરોડામાં ત્રણ સેક્સવર્કર મહિલા અને દલાલને પકડવામાં આવ્યાં હતાં. સેક્સવર્કર મહિલા અહીં ગુનેગાર બનતી નથી. તેઓનો દલાલ ગુનેગાર બને છે.

નૈતિકતાના માપદંડથી આ બહેનોને તોલતા સૌએ એ સમજી લેવું અનિવાર્ય છે.

(ક્રમશઃ)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2020; પૃ. 13-14

Loading

આ માણસ છે તો દમદાર પણ આપણા કામનો નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|1 November 2020

માણસની માણસ તરીકેની અખિલાઈ અને નીડરતા એ રાજકારણ છે કે આધ્યાત્મિકતા? ગાંધીજી ભારત આવ્યા એ પછી તેઓ સર્વત્ર અનુભવ કરતા હતા કે દેશની પ્રજામાં એકતા નથી અને ભય સાર્વત્રિક છે. અંગ્રેજોનો ભય, જેલ જવાનો ભય, સજા થવાનો ભય, કશુંક ગુમાવવાનો ભય અને સૌથી વધુ તો એકબીજાનો ભય. કોઈને કોઈના ઉપર વિશ્વાસ નથી. અંગ્રેજો પોતે ડરાવે છે અને ભારતની પ્રજાને એકબીજાથી પણ ડરાવે છે. ઉપરથી લાલચ આપે છે. ભારતીય સમાજનો કોઈ વર્ગ ડરીને અંગ્રેજોની આંગળી ઝાલી રાખે છે તો કોઈ લાલચથી. ગાંધીજીએ જોયું કે ભય અને શંકા ભારતીય રાજકારણનો સ્થાયીભાવ છે.

રાજકીય નિવેદનો નહીં કરવાનું ગાંધીજીએ ગોપાલકૃષ્ણ ગોખલેને વચન તો આપ્યું હતું, પરંતુ શંકાગ્રસ્ત, ભયભીત અને વિખરાયેલા સમાજ વિષે બોલવાનું આવતું જ રહેતું હતું. કર્મવીર ગાંધી તરીકેની ખ્યાતિ એવડી મોટી હતી કે ગાંધીજી જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં જે તે સમાજવિશેષના લોકો તેમની પાસેથી મોટી આશા રાખતા. જો આ માણસની તાકાત આપણને મળે તો ફલાણા સમાજને તેની જગ્યા બતાવી દેવાય. દરેકને આવું લાગતું હતું. એટલે ગાંધીજીને મળતી વખતે સૌ પહેલા તો તેઓ જે તે સમાજવિશેષથી અને તેના નેતાઓથી ચેતતા રહેવાની ગાંધીજીને સલાહ આપતા. આમ ગાંધીજીને અનુભવ થતો રહેતો હતો કે દરેકને એકબીજાનો ભય છે, દરેક એકબીજાને શંકાથી જુએ છે, દરેક બીજાના ભોગે પોતાની જગ્યા બનાવવા માગે છે.

એક પ્રસંગ બહુ જાણીતો છે. બેલગામમાં કૉન્ગ્રેસની પ્રાંતિક પરિષદ મળી હતી. ગાંધીજી નવા નવા ભારતમાં આવ્યા હતા એટલે ભારતના ઘણા નેતાઓએ તેમને એ પહેલાં ક્યારે ય જોયા નહોતા. આવા એક નેતા લોકમાન્ય તિલકનો જમણો હાથ ગણાતા દાદાસાહેબ ખાપરડે પણ હતા. બેલગામમાં તેઓ મંચ ઉપર લોકમાન્ય અને ગાંધીજીની પાછળની હરોળમાં બેઠા હતા. ગાંધીજી જ્યારે બોલવા ઊભા થયા ત્યારે તેમને સાંભળીને દાદાસાહેબ ખાપરડેએ આગળ ઝૂકીને તિલકના કાનમાં કહ્યું હતું કે, ‘આ માણસ છે તો દમદાર પણ આપણા કામનો નથી.’

એ પરિષદમાં બહુજન સમાજના નેતાઓ પણ આવ્યા હતા. તેઓ પણ ગાંધીજીને મળ્યા અને કહ્યું કે તેઓ સમાજને સનાતની બ્રાહ્મણોની અને તેમના મનુવાદી રાજકારણની ચુંગાલમાંથી મુક્ત કરવા સંઘર્ષ કરી રહ્યા છે. બ્રાહ્મણો સામાજિક સમાનતાના વિરોધી છે અને જ્યાં સુધી સામાજિક સમાનતા ન સ્થપાય ત્યાં સુધી આઝાદ ભારતમાં બહુજન સમાજનું કોઈ ભવિષ્ય નથી. તેમણે તેમના સંઘર્ષમાં ગાંધીજીની મદદ માગી ત્યારે ગાંધીજીએ કહ્યું હતું કે સમાનતા માટેની લડાઈ સમાનતા માટેની હોવી જોઈએ એમાં બ્રાહ્મણનો દ્વેષ કરવાની અને તેને ખતમ કરવાની જરૂર ક્યાં ઊભી થઈ? એવું છે કે કોઈના તરફ દુશ્મની રાખ્યા વિના સંઘર્ષ ન થઈ શકે? સંઘર્ષ મુદ્દાને લઈને કરવાનો હોય, વ્યક્તિ કે સમાજને લઈને? ગાંધીજીની આ વાત સાંભળીને બેલગામમાં બહુજન સમાજના નેતાઓ પણ એવા તારણ ઉપર આવ્યા હતા કે, ‘આ માણસ છે તો દમદાર પણ આપણા કામનો નથી.’

‘આ માણસ છે તો દમદાર પણ આપણા કામનો નથી’ એવો ભારતમાં ગાંધીજી વિશેનો સાર્વત્રિક અભિપ્રાય બની ગયો હતો. ગોપાલકૃષ્ણ ગોખલેએ ‘ભારત સેવક સમાજ’ નામની એક સંસ્થા સ્થાપી હતી. ગાંધીજી ભારત આવે એ પછી તેઓ ભારત સેવક સમાજમાં જોડાય એવી તેમની વર્ષો જૂની ઈચ્છા હતી. તેમને તો એમ લાગતું હતું કે તેમના પછી ગાંધીજી સમાજનું નેતૃત્વ કરશે. ભારત આવ્યા પછી ગોખલેના આગ્રહથી ભારત સેવક સમાજના સભ્યપદ માટેનું ફોર્મ ભર્યું. બન્યું એવું કે ગાંધીજી ભારત આવ્યા અને હજુ બે મહિના પણ નહોતા થયા ત્યાં ગોખલેનું અવસાન થયું. હવે ગાંધીજીને સભ્યપદ આપવાનો નિર્ણય ગોખલેના અનુયાયીઓએ લેવાનો હતો. તેઓ સભ્યપદ આપવાનું ટાળતા હતા. કારણ બહુ સ્પષ્ટ હતું; ‘આ માણસ છે તો દમદાર પણ આપણા કામનો નથી.’ છેવટે ભારત સેવક સમાજના પદાધિકારીઓને શરમથી મુક્ત કરવા ગાંધીજીએ પોતે સભ્યપદની અરજી પાછી લીધી હતી. ગોખલેના અનુયાયીઓને ગોખલેનો જ રાજકીય શિષ્ય નહોતો પરવડતો.

હિંદુ રાજકારણ કરનારા હિંદુઓ હોય, મુસ્લિમ રાજકારણ કરનારા મુસલમાનો હોય, મુસલમાનોમાં રૂઢિચુસ્ત રાજકારણ કરનારા મૌલવીઓ હોય કે આધુનિક શિક્ષિત મુસલમાન હોય, હિંદુ સનાતની સવર્ણોનું રાજકારણ કરનારા બ્રાહ્મણો હોય, દલિતો અને બહુજન સમાજનું રાજકારણ કરનારા નેતાઓ હોય, રસ્તા ઉપર ઉતર્યા વિના વિનય-અનુનયનું સંસદીય રાજકારણ કરનારા ઉચ્ચ શિક્ષિત વિનિતો હોય, આર્યગૌરવનું રાજકારણ કરનારા આર્યસમાજીઓ હોય કે પછી દ્રવિડ રાજકારણ કરનારા દ્રવિડ નેતાઓ હોય, પારસીઓ અને એંગ્લો ઇન્ડિયનો જેવી નાનકડી લઘુમતી કોમના નેતાઓ હોય; એ દરેકનો ગાંધીજી વિશેનો એકસરખો મત હતો કે, ‘આ માણસ છે દમદાર પણ આપણા કામનો નથી.’

ગાંધીજી ભારત આવ્યા એ પછી ગાંધીજીના ભારતીય નેતાઓ સાથેના પહેલા દીદાર વિષે, તેમની સાથે થયેલા વાર્તાલાપ વિષે અને તેમની પ્રતિક્રિયા વિષે આખું એક પુસ્તક લખી શકાય એમ છે. કેવું કુતૂહલ, કેવી મોટી અપેક્ષા અને કેવો મોટો મોહભંગ! પાછું લગભગ અપવાદ વિના સાર્વત્રિક. દરેકનું એક જ તારણ; ‘આ માણસ છે દમદાર પણ આપણા કામનો નથી,’ કનૈયાલાલ મુનશીએ તેમની આત્મકથામાં તેમના શબ્દો પણ આ જ વાત કહી છે.

આપણા કામનો નથી એટલે શું? દાદાસાહેબ ખાપરડે લોકમાન્ય તિલકને શું કહેવા માગતા હતા? બીજા નેતાઓ પણ લગભગ આવા જ તારણ ઉપર આવ્યા હતા તો તેમને ગાંધીજી શા માટે કામના નહોતા લાગ્યા? ગાંધીજી કોના કામના હતા અને કોના કામના નહોતા અને જો નહોતા તો શા માટે નહોતા? જે માણસ કામનો ન હોય એ દેશનું સતત ત્રણ દાયકા સુધી નેતૃત્વ કરી શકે? અને પાછી લોકપ્રિયતા પણ કેવી? જગતના ઇતિહાસમાં કોઈ નેતાની ભાગ્યે જ જોવા મળે એવી. કેવો હતો એ મોહનનો મસાલો જે બધાને જોઈતો હતો, પણ પાછો કોઈના કામનો પણ નહોતો. કોઈને પરવડે એવો નહોતો. વળી મસાલો પાછો એવો હતો જેની ઉપેક્ષા પણ થઈ શકે એમ નહોતી.

ગાંધીજી જ્યારે દરેક સમાજવિશેષના પ્રસ્થાપિત રાજકારણના પ્લેટફોર્મ નકારતા હતા અને લગભગ બધાને કામના નહોતા લાગતા ત્યારે લોકમાન્ય તિલકે તેમના એક અનુયાયીને ગાંધીજીની જાત શોધી કાઢવાનું કહ્યું હતું. લોકમાન્યના શબ્દોમાં: ‘મોટો માણસ છે એટલે જાહેરમાં પૂછવાનું શોભે નહીં, પણ અલ્યા તપાસ તો કર આ માણસ કઈ નાતનો છે. આ તો માળો દરેક ખભાને નકારે છે.’

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 01 નવેમ્બર 2020

Loading

...102030...2,1362,1372,1382,139...2,1502,1602,170...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved