Opinion Magazine
Number of visits: 9752208
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જિંદગી …

નારણ મકવાણા|Poetry|4 December 2020

હવે મને બીક નથી લાગતી જિંદગીની,
હું આ લોકોને જોઉં છું.
માણસ માણસની રમત શીખું છું.

બગીચાની બહારની ફૂટપાથે,
સપનાંનાં ડોકાં મરડી રાત સૂઈ જાય છે
પછી આળસ ખાતો ખાતો દિવસ ઊગે છે.

ધૂંધળું અજવાળું ભડ ભડ બળતાં
ચૂલાની તાવડીમાં શેકાવા લાગે છે.

ફૂટપાથે વહેલાં સૂઈ ગયેલાં મજૂરો
દિવાલોના ખૂણે અડધી ડોલ પાણી વડે
અડધાં નગ્ન થઇ ઠંડાં ખંખોળિયા ખાય છે.
લાજ ઉધાડી થાય છે.

તાપણાંની આજુબાજુ નાગાં બેઠેલાં
આંખો ચોળતાં બાળકો જિંદગીનાં હાલરડાં ગાય છે.

ટપ ટપ મકાઇનાં રોટલા શેકતી બાયું અને
ધાર વગરનાં ચપ્પુથી શાકભાજી કાપતાં આદમીના હાથોમાં કામે જવાની ઉતાવળ દેખાય છે.

ઉભડક બેસી ફાફડા જેવા રોટલા ઉપર શાક પાથરી ખૂણેથી બટકાં કાપી કુટુંબ લબાલબ ખાય છે.

માયા મૂડી પ્લાસ્ટિકના લબાચામાં ગોઠવી,
ધોયેલી સાડી લપેટી, 
દાતાં તૂટેલા દાંતિયા વડે
જટા જેવાં વાળ ઓળી બાયું 
કાચનાં ટૂકડામાં ચહેરો જોઈને તૈયાર થાય છે.
જવાન છોકરાં, છોકરીઓ વધારે ટાપટીપ થાય છે.

બગીચામાં ફીટ રહેવા, દોડવા ને ચાલવા
સ્ત્રી પુરુષો નાઇટ ડ્રેસમાં આવતા જાય છે 
ને બગીચાની ફૂટપાથે મજૂરોનું કાર્યાલય બંધ થાય છે.. 
(અલબત્ત કાખમાં છોકરાં ને માથે ભાથું બાંધી મજૂર નજીકના કડિયા નાકે જાય છે.)

તનતોડ મહેનત કરી, સાંજે ઇંટ રેતીમાં આળોટતા બાળકોને પાણી વડે સમા નમા કરી ઘર ભણી (ફૂટપાથ) પ્રયાણ થાય છે.

પૈસા સાચવીને પોતડી અંદર પહેરેલી ચડ્ડીનાં ચોર ખીસ્સામાં મૂકી દે છે.

અંધારું લેલૂબ જામે છે, ફૂટપાથ વાળે છે. ફરી પાછાં કામ પરથી લાવેલા લાકડાં ફાડી ચૂલો સળગાવે છે … સવારના ભાંખોડિયા અજવાળાં જેવું સાંજનું અંધારું ચૂલાની તાવડીમાં શેકાવા લાગે છે ..

ક્યાંક મોબાઈલ પણ ઘૂણે છે .. ખબરઅંતર પૂછાય છે, પથારીમાં થાકેલાં તન પછી ભેગા ભેગાં સૂઇ જાય છે ..

માણસ માણસની રમત ચાલ્યા કરે છે…

૩/૧૨/૨૦૨૦

e.mail : naranmakwana20@gmail.com

Loading

જાન જાય તો ભલે, પણ જાન તો કાઢો જ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|4 December 2020

ખાસ કરીને જ્યારે રાજ્યમાં દિવાળી પછી કોરોનાએ તેનો રાક્ષસી પંજો ફેલાવ્યો છે ને સરકાર તથા તંત્રો તેને અટકાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે, ત્યારે આપણા રાજકારણીઓ માણસાઈ બાજુ પર મૂકીને જે બેશરમીથી વર્તી રહ્યા છે તે ઘોર નિંદાને પાત્ર છે. એક તરફ હોસ્પિટલો છલકાઈ રહી છે, ઘણાં વેન્ટિલેટર પર જિંદગી માટે તરફડી રહ્યાં છે ને રોજના પંદર સત્તર લોકો મરી રહ્યાં છે, તો બીજી તરફ રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ પોતાની સંપત્તિનું વરવું ને નિર્લજ્જ પ્રદર્શન કરી રહ્યાં છે તે કોઈ પણ રીતે માનવતાને છાજે એવું નથી. આ આછકલાઈ છે ને સત્તાના મદનું, અહંકારનું છીછરું પ્રદર્શન છે ને તે ઘૃણાને પાત્ર છે.

દિવાળી પછી કોરોનાનો વકરાટ વધતાં રાજ્ય સરકારે રાત્રિ કરફ્યુ દાખલ કર્યો ને લગ્નમાં ભીડ ન થાય એટલે 100 માણસોની મર્યાદા નક્કી કરી. એમાં વળી સ્પષ્ટતા કરી કે એ સોમાં કેટેરર્સ કે કેમેરા સંભાળનાર ને બીજા કેટલાકનો સમાવેશ નથી. આનો ગેરલાભ ઉઠાવનારાઓ પણ નીકળ્યા, પણ સરકારની તમામ ગાઈડ લાઇન્સને હવામાં ઉડાવી દેવા પૂર્વ મંત્રી કે સાંસદ કે ઉદ્યોગપતિએ લગ્ન કે સગાઈને મામલે સંપત્તિનો દુર્વ્યય કર્યો ને હજારો લોકોની જિંદગી જોડે રમત કરી, તેનો જોટો જડવો મુશ્કેલ છે.

સોનગઢ વિસ્તારના એક પૂર્વ મંત્રીએ તેની પૌત્રીની સગાઈમાં હજારોની ભીડ કરી અને અનેક લોકો તેમાં ડી.જે.ને તાલે નાચ્યા. આડે દિવસે આ બધું થયું હોત તો તે એક અવસર ગણાયો હોત ને લોકો ખાઈ, પીને ભૂલી ગયા હોત, પણ એ વિસ્તારમાં પોઝિટિવ કેસ મળ્યા હોય ત્યારે માજી મંત્રીશ્રીનું આ કૃત્ય ગુનાહિત ગણાય. એમનો પુત્ર ગામનો સરપંચ છે ને તેણે પણ દીકરીને ઉજવવામાં માઝા મૂકી. કીડિયારું ઉભરાયું. મંત્રીશ્રીએ પોતે કબૂલ્યું કે બે હજાર માણસની રસોઈ બનાવી હતી. આ સાચું હોય તો એમને માફ ન કરી શકાય. બે હજારની રસોઈ કરી એનો અર્થ એ કે એટલા લોકો તો આમંત્રિત હતા જ. આ સંજોગોમાં આ વ્યવસ્થા કોરોનાના વકરાટ વચ્ચે કોઈ રીતે હિતાવહ ન હતી. મંત્રીશ્રી જાણતા ન હતા કે સો માણસોથી વધુ નિમંત્રી શકાય એમ નથી? મંત્રીજી બરાબર જાણતા હતા કે ગાઈડલાઇન્સ શું છે ને તે જાણવા છતાં તેમણે કોઇની પણ પરવા ન કરી ને એવા વહેમમાં આખો વેપલો કર્યો કે કોઈ કૈં ઉખાડી લેવાનું નથી. જો આ માનસિકતા હોય તો તે તિરસ્કાર યોગ્ય છે.

આમાં સૌથી વરવી ભૂમિકા પોલીસની છે. પોલીસ અંધારામાં ન હતી. પોલીસ અધિકારીઓને નિમંત્રણ હતું. એકથી વધારે પોલીસ અધિકારીઓ સગાઈમાં હાજર હતા ને એમની સાક્ષીએ આ પ્રસંગ ઉકેલાયો. એમને એ ન જ દેખાયું કે બધા નીતિનિયમોની ઐસીતૈસી કરીને માજી મંત્રીશ્રીને ત્યાં સગાઈ થઈ રહી છે. બધા જ જાણતા હતા કે ખોટું થઈ રહ્યું છે ને છતાં તમામ સત્તાધીશોએ આંખ આડા કાન કર્યા ને હજારો લોકોની જિંદગી દાવ પર લગાડી.

આ કોઈ એક જ ઘટના છે એવું નથી. આ પહેલાં વિમાનમાં જાન લઈ જવાના વૈભવી બનાવો બન્યા જ છે, પણ ત્યારના સંજોગો જુદા હતા ને અત્યારની વાત જુદી છે. ઘણા ને એમ જ લાગે છે કે કોરોના પોતાનું કૈં બગાડી લેવાનો નથી, એવું હોત તો, તો વાંધો જ ન હતો, પણ દુનિયામાં લાખો માણસો મર્યાં છે તે ગમ્મત નથી. જે મર્યાં તેમાં કૈં મરવાની એક્ટિંગ નથી, તેઓ ખરેખર જ મૃત્યુ પામ્યાં છે ને ફરી કદી આ દુનિયામાં પાછા ફરવાના નથી. દિવાળી પછી જે વકરાટ કોરોનાનો વધ્યો છે, તેમાં રોજના લગભગ 1,500થી વધુ સંક્રમિત થાય છે. સુરતની જ વાત કરીએ તો રોજના અઢીસોથી વધારે લોકો સંક્રમિત થાય છે. આ જાણ્યા પછી પણ રાજકારણીઓ ને લોકો એની ગંભીરતા ન સમજે ત્યારે બધાં જ જોખમને સામે ચાલીને બોલાવી રહ્યા છે એવો જ એનો અર્થ થાય.

સોનગઢની ઘટના પછી વ્યારામાં પણ કોઈ મહિલાએ નાચગાનવાળા લગ્નનું આયોજન કર્યાંના સમાચાર છે. એમાં પણ હજાર માણસોની ભીડ થયાની વાત છે. એટલું ઓછું હોય તેમ ખંભાળિયામાં એક ઉદ્યોગપતિએ લગ્નમાં રાજકારણીઓ, ગાયકો, આગેવાનોની ભીડ કરી અને જાન હેલિકોપ્ટરમાં કાઢી. એમાં કોરોનાના બ્રાન્ડ એમ્બેસેડરની હાજરી પણ હતી, પણ એણે અટકાવવાને બદલે નિયમોના ધજાગરા કર્યા અને સૌએ કોરોનાની જરા પણ ચિંતા કર્યા વગર જલસામાં પૂરી બેશરમીથી ને નફફટાઈથી ભાગ લીધો.

આવી ઘટનાઓ બીજે પણ બની હશે ને બનશે, પણ આમાં બે વાત આંખે ઊડીને વળગે એવી છે. એક તો રાજકારણીઓ ને ઉદ્યોગપતિઓ ભાગ્યે જ સંયમથી વર્તી શકે છે. એમની પાસે અઢળક સંપત્તિ છે ને તે લોકોને દેખાડવા માટેનું બહાનું શોધતા રહે છે ને લગ્ન કે સગાઈ એવા પ્રસંગો છે, જેમાં વેવાઈને બતાવી દેવા ને લોકોને આંજી નાખવા સંપત્તિવાનો ધરાઈને પ્રયત્નો કરતા હોય છે. આ સંપત્તિ કેવી રીતે મેળવાઈ છે તે સૌ જાણતા હોય છે, પણ પ્રજાને એનો રૂઆબ બતાવીને આવા લોકો, લોકોને એડી નીચે રાખી શકાય છે એનો સંકેત આપતા રહે છે. આવાં પ્રદર્શનો ભાગ્યે જ કશી સમજ કે સંવેદના ધરાવતા હોય છે ને છેવટે તો તે વરવું પ્રદર્શન જ બની રહે છે.

બીજી આંખે ઊડીને વળગે તેવી વાત તંત્રોની ઉદાસીનતાની કે મતલબી સક્રિયતાની છે.

એક સમાચાર એક ગર્ભવતી મહિલાને પોલીસે દંડ્યાની છે. સુરત પોલીસ કમિશનર કચેરી પાસેથી એક મહિલા તેના પતિ સાથે કારમાં પસાર થઈ રહી હતી. તેની ગાડી પોલીસે ઊભી રખાવી. મહિલાના પતિએ માસ્ક પહેર્યું હતું, પણ તેનું પોતાનું માસ્ક નાક પર ન હતું. લટકતું હતું. પોલીસે હજાર રૂપિયા દંડ વસૂલ્યો. મહિલાએ ગર્ભવતી હોવાનું ને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી એટલે માસ્ક નીચું કર્યું હતું એવું કહ્યું, પણ પોલીસ ન માની. તેણે ધરાર હજાર રૂપિયા વસૂલ્યા. વાત ચર્ચાઈ. ડી.સી.બી. ટ્રાફિક સુધી વાત પહોંચી. એમણે પણ આ ઘટનાની ટીકા કરી ને આવું ફરી નહીં થાય એવી તાકીદ કરી. એ સારું થયું, વધારે સારું એ થયું હોત જો સાહેબે દંડ પરત કરાવ્યો હોત.

તો, આ સ્થિતિ છે, એક તરફ એકલ દોકલ દંડાય છે ને બીજે આખું કોળું દાળમાં જાય છે, પણ કોઈ ફરક પડતો નથી. રાજકીય જલસાઓમાં પોલીસ પોતે જ હોસ્ટની ભૂમિકામાં આવી જતી હોવાનો વહેમ પડે છે. ઢગલો પોલીસો વચ્ચે સગાઈમાં હજારો માણસો મહાલ્યા તે પોલીસ જોતી, જાણતી હતી, પણ ત્યાં તેણે જાણી જોઈને મનમાની થવા દીધી. કોણ જાણે કેમ પણ પોલીસ પહેલેથી જ રાજકારણીઓની શરમ ભરતી રહી છે ને ઘણીવાર ઘણી બાબતોમાં ઢીલ મૂકે છે. કદાચ કોઈ ખુશ કરી દેતું હોય એટલે પણ પોલીસ આમ કુરનીશ બજાવતી હશે, પણ એમાં ફરજ ચુકાતી હોય છે તે કહેવાની જરૂર નથી. એક તરફ એકલદોકલ સાથે જડતાપૂર્વકનું ફરજપાલન અને બીજી તરફ રાજકીય સમૂહમાં ઈરાદાપૂર્વકની બેદરકારી એ આજની પોલીસની ઓળખ છે. બંને સ્થિતિમાં વિવેક ચુકાય છે તે ઠીક નથી.

માજી મંત્રીનો સોનગઢિયો કિસ્સો એટલો ચગ્યો છે કે હાઈકોર્ટે તેની ટીકા કરી છે ને મંત્રીશ્રી સહિત 18 જણાંની ધરપકડ થઈ છે એ સાથે જ પી.આઈ. સસ્પેન્ડ થયા છે ને બીજા પોલીસોની પણ અટક થઈ છે. આ જાણીને આનંદ થતો નથી, પણ પ્રજા અને તંત્ર જ્યારે સૌથી વધુ સાવચેતી રાખવાની હોય ત્યારે જે અમાનવીય રીતે વર્તે છે તે કોઈ રીતે ન્યાયી નથી. આપણી ઐયાશી કે આછકલાઈ કે બેદરકારી, અનેકોના જીવ જોખમમાં મૂકે એવી તો કેવી રીતે હોય? દરેક કુટુંબમાં લગ્ન આનંદનો પ્રસંગ છે એની ના જ નથી, પણ તે અનેકોનાં મરણની આગોતરી વ્યવસ્થા કરનારો તો ન જ હોય ને ! એવું તો કેમ કહેવાય કે જાન જાય તો ભલે, પણ જાન તો કાઢો જ !

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : લેખકની ‘આજકાલ’ નામક કટાર, “ધબકાર” દૈનિક, 04 ડિસેમ્બર 2020

Loading

સજળ એની આંખો હજી કંઈ કહે છે…!

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|3 December 2020

હૈયાને દરબાર

યુવા ગુજરાતી પેઢી માતૃભાષાના સાહિત્ય-સંગીતને સમર્પિત હોય એનો વિશેષ આનંદ એટલે હોય, કારણ કે આ જ પેઢી ગુજરાતી કવિતા કે સંગીતનું સંવર્ધન કરવાની છે, નવી પેઢીને ગુજરાતી ભાષામાં રસ લેતી કરવાની છે. મુંબઈગરાને આશ્ચર્ય થાય એવું સરસ કામ ગુજરાતી યુવા કલાકારો ગુજરાતમાં કરી રહ્યા છે.

થોડાંક વર્ષો પહેલાં અમદાવાદના એક નાનકડા છોકરાને મુંબઈમાં પહેલી વાર સુરીલું ગુજરાતી ગીત સરસ રીતે પ્રસ્તુત કરતો સાંભળીને જ થયું હતું કે બંદે મેં કુછ દમ હૈ! એ નાનો છોકરો હવે તો મેચ્યોર્ડ યુવાન થઈ ગયો છે, જેનું નામ છે પ્રહર વોરા. પ્રહરને આદરણીય પુરુષોત્તમ ઉપાધ્યાયથી માંડીને યુવાગાયક આલાપ દેસાઈનાં ગીતો ગાતાં તો સાંભળ્યો જ છે પરંતુ, એનાં પોતાનાં સ્વરાંકનો પણ કર્ણપ્રિય અને આધુનિક છે. પ્રહરના કંઠે કવિ સુંદરમ્‌નું પ્રચલિત ગીત ‘મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, વીણાની વાણી વગાડી તું જા…’ નવી રીતે, નવા ઉન્મેશ સાથે સાંભળવું એ લહાવો છે. મનોજ ખંડેરિયાની ગઝલને,

‘જરા ય દોસ્તો ખબર નથી કે,
અમોને શાની સજા મળી છે
કશું ય તહોમત નથી જ માથે
વગર ગુનાની સજા મળી છે’

એ આધુનિક સ્પર્શ આપીને શણગારે છે, પરંતુ આજે જે ગઝલની વાત કરવી છે એ કવિ ચિંતન નાયકની હૃદયસ્પર્શી રચના છે. ગઝલના શબ્દો છે ;

સજળ એની આંખો હજી કંઈ કહે છે
જરૂરથી આ રણની તળે કંઈ વહે છે

આંખોની ભાષા એટલે લાગણી, પ્રેમ, આત્મીયતા, આકર્ષણ, વહાલની ભાષા. આંખની ભાષા એટલે હૃદયમાં ઊભરાતા ભાવની ભાષા જેમાં કોઈ મલિનતા ન હોય, જ્યાં શબ્દોની રમત ન હોય, જ્યાં શબ્દો શૂળ-ડંખ બની તકલીફ દેતા ન હોય. સજળ આંખોના ભાવપૂર્ણ વ્યવહારમાં સંબંધો સચવાતા રહે.

કવિ અહીં ગૂઢ વાત રજૂ કરે છે. સજળ નેત્રોની ભાષા ઉકેલવા મથતા યુવા કવિ ચિંતન નાયક એ પામી ગયા છે કે આ રણ તળે જરૂર કંઈક વહે છે. એ જળ છે? મૃગજળ છે? આ અનિશ્ચિતતા વચ્ચે કવિ આગળ લખે છે;

સમય અહીં સ્થગિત છે, ઉધામા નિરર્થક,
ટકી એ શકે જે, એ ક્ષણમાં રહે છે.

વર્તમાન કાળમાં રહેવાનું સમજાવતી આ પંક્તિઓ સદાકાળ પ્રસ્તુત છે.

ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ, કવિ-ગીતકાર, સંચાલક યુવા વ્યક્તિત્વ એટલે ચિંતન નાયક. કવિતા અને સંગીતના સંસ્કાર સંગીતકાર માતા-પિતા માલિની અને પરેશ નાયક પાસેથી ગળથૂથીમાં જ મેળવ્યા અને ૧૪ વર્ષની નાની વયે કેટલાંક સુંદર ગીતો અને અછાંદસ કવિતાઓ લખવાની શરૂઆત કરી. તેમણે વિવિધ કવિ સંમેલનો અને મુશાયરાઓમાં પોતાની કવિતાઓની રજૂઆત કરી છે અને કાવ્ય સંગીતના અનેક જલસાઓમાં સંચાલન કર્યું છે. તેમણે ગુજરાતી ફિલ્મો ‘શુભારંભ’, ‘આઈ એમ અ ગુજ્જુ’ અને ‘આપણે તો છીએ બિન્દાસ’માં ગીતો લખ્યાં છે. ‘ગીત ગુલાબી’ માટે તેમણે GIFA એવોર્ડ માટે નોમિનેશન મેળવ્યું હતું. તેમણે લખેલાં સાંપ્રત ગીતો ‘ક્લિક કર’ નામે આલબમ સ્વરૂપે રજૂ થયાં અને આ ગીતો આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ ગાયકો જાવેદ અલી, નાતાલી લુસીઓ, શ્વેતા સુબ્રમણ્યમ વગેરેએ ગાયાં છે. ચિંતને ફિલ્મ નિર્માતા રાકેશ રોશનના નિર્દેશનમાં રજૂ થયેલી એનિમેશન ફિલ્મ સિરીઝ ‘કિડ ક્રિશ’નાં ગીતો લખ્યાં છે. તાજેતરમાં તેમણે લખેલા ‘અખંડ ગરબો’ને એક લાખથી વધુ યુટ્યુબ વ્યૂઝ મળ્યા હતા.

‘સજળ એની આંખો…’ ગઝલનો શેર ચિંતનને એક બાળકીની આંખનાં આંસુ જોઈને સૂઝ્યો હતો. ચિંતન આ ઘટના વિશે કહે છે, ‘વ્યવસાયે હું સાઈકોલોજિસ્ટ છું. નાનાં બાળકો સાથે કામ કરવાનું પણ બન્યું છે એ રીતે એક અનાથાશ્રમ સાથે જોડાયેલો હતો. એક વાર હું ત્યાં હતો ત્યારે દસ વર્ષની બાળકીને કોઈક મૂકવા આવ્યું હતું.

મા-બાપ ન હોવાથી મામા એ છોકરીને અનાથાશ્રમમાં મૂકવા આવ્યા હતા. મામા મૂકીને ગયા ત્યારે એ છોકરી પાછું વળીને એમને જે રીતે જોતી હતી એ દૃશ્ય મારી આંખમાં અંકાઈ ગયું. એ છોકરીના ચહેરા પર વ્યથા દેખાતી હતી, એટલે મેં એને પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. પ્રશ્ર્નોના જવાબ એ સ્વસ્થતાથી આપતી હતી, પરંતુ એની આંખમાં ઝળઝળિયાં સતત દેખાતાં હતાં. આપણે જાણીએ છીએ કે મન મૂંઝાયેલું હોય ત્યારે આંખ બોલે. એ જે કહેતી હતી એના કરતાં કંઈ કેટલું ય વધારે એના મનમાં ધરબાયેલું હતું. સંવેદનાનું જાણે વાવાઝોડું. એના ચહેરા પરનો વિષાદ જોઈ મને ગઝલની આ પંક્તિઓ સ્ફૂરી અને ગઝલ આગળ વધતી ગઈ. પરિસ્થિતિ પાર કરવા સિવાય છૂટકો નથી. પ્રતીક્ષા કરવી ને સંજોગોને અતિક્રમી જવા એ જ વિકલ્પ છે. રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ના શબ્દાલય સામયિકમાં એ છપાઈ. બાદમાં પ્રહરને મોકલી. અમે બન્ને ખૂબ સારા મિત્રો છીએ. ગમતી કૃતિઓનું આદાન-પ્રદાન કરીએ. આ ગઝલ એના આલબમ ‘સ્વરપ્રહર’માં લેવાઈ જેને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો.’

રાગ દરબારીનો સ્પર્શ ધરાવતી આ ગઝલ આધુનિક અરેન્જમેન્ટ સાથે સ્વરબદ્ધ થઈ હોવાથી યુવાનોને પણ ગમે એવી છે. પ્રહર વોરા આ ગઝલની સર્જન પ્રક્રિયા વિશે કહે છે કે, ‘સામાન્ય રીતે મારાં કમ્પોઝિશન્સ પંદર-વીસ મિનિટમાં થઈ જાય, પરંતુ આ ગઝલ પ્રસવકાળ જેટલી લાંબી ચાલી હતી. એ કમ્પોઝ કરતાં મને નવ મહિના લાગ્યા હતા. ૨૦૧૨માં ચિંતને મને આ ગઝલ મોકલી ત્યારે એના શબ્દોથી હું પ્રભાવિત થયો હતો અને મેં એને સ્વરબદ્ધ કરવાની શરૂઆત કરી.

પહેલાં તાલ દાદરામાં કમ્પોઝ કરી પણ મને પોતાને જ મજા નહોતી આવતી. એક-બે સંગીતકાર મિત્રોને સંભળાવી. એમને પણ સ્વરાંકનમાં ખાસ કશું નવું ન લાગ્યું એટલે થોડો વખત એ ગઝલ એમ જ પડી રહી. એક વાર હું ચાલતો હતો ત્યારે આ ગઝલની ટ્યુન મગજમાં રમવા લાગી. રાગ દરબારીની અસરમાં હતો એટલે મુખડું રાગ દરબારીના આધારે તૈયાર થયું. છતાં કશુંક ખૂટતું લાગતું હતું. પછી મેં જોયું કે આ ગઝલનો છંદ ઝૂલણા છે એટલે કે ‘જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા …’ એ મીટરમાં કમ્પોઝિશન થાય તો વધારે મજા આવે તેથી મેં ઝપતાલમાં આ ગઝલ બેસાડી અને પછી તો એવી સરસ રીતે સ્વરબદ્ધ થઈ કે ગઝલની બીજી લાઈન એટલે કે ક્રોસલાઈન બહુ જ સરળતાથી પહેલી લાઇન સાથે મર્જ થઈ જતી હતી. આ ગઝલ મારા ‘સ્વરપ્રહર’ આલબમમાં લેવાઈ અને ખૂબ પ્રશંસા પામી. સંગીતકાર આલાપ દેસાઈ મારા ભાઈ સમાન છે એમને મેં સંભળાવી તો એમને ય ખૂબ મજા આવી. એ પણ મારી આ ગઝલ ઘણી વખત ગાય છે. અમે ઘણી વાર સાથે કામ કરીએ છીએ અને બંનેને સાથે કામ કરવાની ખૂબ મજા આવે છે. મૂળભૂત રીતે મેં આ ગઝલમાં વેસ્ટર્ન વાદ્યોનો જ ઉપયોગ કર્યો છે છતાં એની ભાવાનુભૂતિ બિલકુલ ભારતીય છે.’

આલાપ જેમ પ્રહરનાં ગીતો ગાય છે એમ પ્રહર પણ આલાપનાં સ્વરાંકન હકથી ગાય છે. હિતેન આનંદપરાની સુંદર ગઝલ, આલાપ દેસાઈનું અદ્ભુત સ્વરાંકન; આ જ સર્જનનો સમય છે ‘લે કલમ,’ પ્રહરે હૃદય નિચોવીને ગાઈ છે અને મારી ગમતી ગઝલ છે.

હવે પત્ની સંપદા પણ સ્વરસંગિની હોવાથી પ્રહર-સંપદા ‘સમ્પ્રહર’ને નામે ગીત, ગરબા, ગઝલ, શાસ્ત્રીય-ઉપશાસ્ત્રીય સંગીત, હિન્દી ફિલ્મ સંગીત, સૂફી તથા નવાં-જૂનાં હિન્દી-ગુજરાતી ગીતો રજૂ કરે છે.

પ્રહર વોરાને સંગીત વારસામાં મળ્યું છે. પ્રહરના પિતા શ્વેતકેતુ વોરા હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિકમાં પીએચ.ડી. થયેલા છે અને અમદાવાદ દૂરદર્શન કેન્દ્રમાં પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ છે, જ્યારે માતા પ્રીતિ વોરાએ પણ સંગીત માસ્ટર્સ કર્યું છે. પ્રહરે પાંચ વર્ષની કુમળી વયથી સંગીત શીખવાનું શરૂ કર્યું હતું. છ વર્ષની વયે પહેલો સ્ટેજ પરફોર્મન્સ આપ્યો હતો. શરૂઆતમાં એમણે સ્વ. કૃષ્ણકાંત પરીખ પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી તથા ત્રણ ગુજરાતી ફિલ્મોમાં બાળ ગાયક તરીકે ગીતો ગાયાં હતાં. અત્યારે તેઓ સંગીતકાર ગૌરાંગ વ્યાસ તથા ગૌતમ મુખર્જી પાસે સંગીતની વિશેષ તાલીમ લઈ રહ્યા છે.

દેશ-વિદેશમાં અનેક કોન્સર્ટ કરનાર પ્રહરે પ્રતિષ્ઠિત ‘સપ્તક’માં પણ ગાયન રજૂ કર્યું હતું. કથક કલાકારો સાથે ગાયન સંગત કરનાર પ્રહરે ખજૂરાહો નૃત્ય મહોત્સવ સહિત કેટલાક ફેસ્ટિવલ્સમાં કલા પ્રદર્શન કર્યું છે તેમ જ ઈ.ટી.વી. ગુજરાતીના સંગીત કાર્યક્રમોનું સંચાલન પણ કર્યું છે. પ્રહરની તાજેતરની સિદ્ધિ એ છે કે ગુજરાતના સોમનાથ મંદિરમાં શરૂ થયેલા લાઈટ એન્ડ સાઉન્ડ શોનું સંગીત, સ્વરાંકન, અરેન્જમેન્ટ તથા ગાયન પ્રહર વોરાનાં છે જેનું નરેશન લોકલાડીલા અભિનેતા અમિતાભ બચ્ચને કર્યું છે. સી.એ., એમ.બી.એ.ની ડિગ્રી મેળવી ચૂકેલા પ્રહર આકાશવાણીના એ ગ્રેડ આર્ટિસ્ટ છે.

પ્રહર વોરાએ ગાયિકા સંપદા દેસાઈ સાથે લગ્ન કર્યા પછી બન્નેએ હવે સહિયારી કારકિર્દી શરૂ કરી છે. સંપદા વોરા ડો. મોનિકા શાહ તથા સંગીતકાર નયન પંચોલી પાસેથી સંગીત માર્ગદર્શન મેળવે છે. આ બન્નેનું યુગલ ગાન;

એક નિરંતર લગન ;
અમે રસ પાયા કરીએ
એકબીજામાં મગન
અમે બસ ગાયા કરીએ …

ચલતીમાં ગવાયેલું કવિ હસિત બૂચનું આ મજેદાર ગીત પ્રહર-સંપદાના અવાજમાં ખિલી ઊઠે છે તથા હંમેશાં વન્સમોર મેળવે છે.

મુંબઈ-ગુજરાતમાં અનેક યુવા ગુજરાતી કલાકારો નવી કવિતાઓ નવી રીતે સ્વરબદ્ધ કરવાની મહેનત કરી રહ્યા છે. જૂનું તો સોનું છે જ, પણ નવા હીરાને તરાશવાની જવાબદારી ગુજરાતી શ્રોતા-દર્શકોની છે એ વાત આપણને જેટલી વહેલી સમજાય એટલી વહેલી આપણી ભાષા સમૃદ્ધ થશે. આ નવા કલાકારોની રચનાઓ ઈન્ટરનેટ પર શોધીને સાંભળજો. મજા આવશે.

————————-

સજળ એની આંખો હજી કંઈ કહે છે
જરૂરથી આ રણની તળે કંઈ વહે છે

સવાલો ન પૂછ્યા કદી એટલે કે
એ એવી જ રીતે મને પણ ચહે છે

સમય અહીં સ્થગિત છે, ઉધામા નિરર્થક,
ટકી એ શકે જે, એ ક્ષણમાં રહે છે

પ્રતીક્ષાના કોઈ વિકલ્પો નથી અહીં
પ્રસવની આ પીડા ખુદા પણ સહે છે

•   કવિ : ચિંતન નાયક    •   સંગીતકાર-ગાયક : પ્રહર વોરા

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 03 ડિસેમ્બર 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=660536

Loading

...102030...2,1362,1372,1382,139...2,1502,1602,170...

Search by

Opinion

  • સરકાર કહે છે કે ભાવ વધવા દીધા નથી ને ભાવ તો વધે જ છે …
  • સંસદ અને ધારાગૃહોમાં સરકારોની કસોટી કરતો પ્રશ્નકાળ
  • ચૂંટણીમાં ઘુસપેઠિયાનો મુદ્દો માપ બહાર ઉછાળાય છે
  • ગઝલ
  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved