Opinion Magazine
Number of visits: 9573814
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સેક્સવર્કરની સંગાથેઃ − 4

ગૌરાંગ જાની|Opinion - Opinion|16 October 2020

૧૯ : હોટેલના રૂમનું બારણું ખોલ્યું અને …… વર્ષ ૨૦૦૪ની વાત છે. ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યાભવનના મારા રૂમમાં હતો ને ચાવીના ખખડાટ સાથે સ્વીટી રૂમમાં દાખલ થઈ. મારું બારણું હંમેશાં ખુલ્લું જ રહેતું. એક નાનું પાર્ટિશન બારણાંની આડશ હતું. સર આવું ? એમ કહેતી તે મારા સામેની ખુરશી પર બેસી ગઈ. સ્વીટી અમારા પ્રોજેક્ટમાં પિયર એજ્યુકેટર તરીકે કે અન્યથા એ સક્રિય ન હતી, પણ ક્યારેક શનિવારની મિટિંગમાં આવતી.

તેની આંખોમાં આંસુ હતાં. ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડવાનું જ જાણે બાકી હતું. પણ તેણે એ રોક્યું. મેં પાણી આપ્યું. ’સર, આજે એવું બન્યું જેની કદી મેં કલ્પના કરી ન હતી. હું આજે ઘરે કેવી રીતે જઈશ ?’ મેં પૂછ્યું કે એવું તો શું બન્યું ? સ્વીટીએ કહ્યું કે સર, તમે જાણો છો એમ મારા મોટા ભાગના ગ્રાહકો મોટી ઉંમરના જ હોય છે. તેઓ પૈસા વધારે આપે છે અને હોટેલમાં જ જવાનું હોય છે. દલાલો ગ્રાહકો લઈ આપે છે. આજે એક હોટેલમાં મારું બુકિંગ હતું. ગ્રાહકના સમય પહેલાં હું પહોંચી ગઈ. આટલું કહેતા એ ખૂબ રડી ….. તેણે આગળ કહ્યુંઃ ‘રૂમમાં પહોંચ્યા પછી થોડીવારે ડોરબેલ વાગ્યો અને મેં બારણું ખોલ્યું. સર બારણું ખોલતાં જ મારી આંખો પહોળી થઈ ગઈ. એ ગ્રાહક મારા પપ્પા હતા. મારા પપ્પાએ મને જોઈ અને એ જ ક્ષણે ત્યાંથી વિદાય થઈ ગયા ….. સ્વીટીનું માથું શરમ અને દુઃખથી નમી ગયું. હું પણ અવાચક. તેણે કહ્યું, મારા પપ્પાને એ ખબર નથી કે હું ધંધો કરું છું અને મારા પપ્પા આવું કરે એ તો કલ્પના જ ના હોય. સર, હું આજે કયું મોઢું લઈ ઘરે જઈશ !

સેક્સવર્કરના જીવનમાં એવી-એવી ઘટના બનતી હોય છે, જે આપણા સમાજની જમીની હકીકતોને સપાટી પર લાવે છે. આ એક બજાર છે, પણ અન્ય બજારોની જેમ ગ્રાહકો ઓળખાતા નથી કે ના તો આ ગ્રાહકોની કોઈ ચર્ચા થાય છે. ચર્ચામાં હોય છે તો માત્ર ગણિકા અને તેને સહન કરવા પડતાં અપમાન અને સ્વીટીના જીવનમાં બનેલી કડવી વાસ્તવિકતાઓ.

૨૦ : સેક્સવર્કરે ભણાવ્યા વિદ્યાર્થીઓને : શિક્ષક હોવાને નાતે મને હંમેશાં એવું લાગ્યું છે કે આપણી યુનિવર્સિટીઓ જનસામાન્યથી દૂર જતી જાય છે. પરિણામે યુનિવર્સિટી કૅમ્પસમાં ડિગ્રીઓની ચર્ચા સિવાય સામાન્ય કે છેવાડાના લોકોની ચર્ચા મર્યાદિત બની જાય છે. આ કારણે સેક્સવર્કર બહેનોના અનુભવો તેઓના મુખે જ વિદ્યાર્થીઓ સાંભળે અને સમાજશિક્ષણ પામે એવો પ્રયત્ન કરતો રહ્યો છું. મારા સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓને તો આ લાભ મળ્યો છે પણ એ સિવાય જુદી-જુદી શિક્ષણ સંસ્થાઓમાં પણ આવો પ્રયત્ન કરું છું.

વર્ષ ૨૦૧૨થી અમદાવાદ સ્થિત નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન(NID)માં સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને ’સાયન્સ ઍન્ડ લિબરલ આટ્‌ર્સ(SLA)નો અભ્યાસક્રમ વિઝિટિંગ ફૅકલ્ટી તરીકે ભણાવું છું. તેના ભાગરૂપે સેક્સવર્કર, એચ.આઇ.વી.ગ્રસ્ત વ્યક્તિઓ, નશીલી દવાઓનું સેવન કરનારી વ્યક્તિઓ, આંતરધર્મીય લગ્ન કરનાર યુવાદંપતી સાથે વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરાવું છું.

જે સેક્સવર્કર બહેન વિદ્યાર્થીઓ સાથે પોતાની ઓળખ છુપાવ્યા વિના ચર્ચા કરવા ઇચ્છુક હોય, તેઓને એન.આાઇ.ડી.માં વર્ગખંડમાં લઈ જઈ  વિદ્યાર્થીઓ સાથે ચર્ચા ગોઠવું છું. મારો અનુભવ રહ્યો છે કે વિદ્યાર્થીઓ શાંતિથી બહેનને સાંભળે છે અને અનેકવિધ પ્રશ્નો પૂછી કે તેઓનો મત વ્યક્ત કરી સેક્સવર્કરનાં જીવનને સમજે છે. એન.આઈ.ડી.માં દેશભરના વિદ્યાર્થીઓ ભણતા હોવાને કારણે સેક્સવર્કર બહેનને રાષ્ટ્રીય સ્તર પર પોતાની વાત મૂકવાની તક મળે છે અને સાથે તેઓ વિશેની સમજ અને સંવેદનશીલતા નવી પેઢીમાં વિકસિત થાય  છે.

૨૧ : સેક્સવર્કર બહેનોની પોતાની બૅન્ક અર્થાત્‌ સખી બચત : જ્યોતિસંઘના પ્રોજેક્ટને ત્રણ વર્ષ થયાં, ત્યારે વર્ષ ૨૦૦૦માં અમે શહેરની ૧,૧૦૦ બહેનોને સંગઠિત કરી ચૂક્યા હતા. એચ.આઇ.વી. વિશેની જાગૃતિ અને સલામત જાતીય સંબંધો માટેની તેઓની સજ્જતા વધતી જતી હતી. પણ એ સિવાય તેઓની આર્થિક ઉન્નતિ માટે શું કરી શકાય, તેની વિચારણા પણ બહેનોએ શરૂ કરી. એ સમયે ભાગ્યે જ કોઈ બહેન બૅંકમાં ખાતું ધરાવતી હતી. તેઓએ બચત કરવી જોઈએ એ અનિવાર્યતા તેઓને સમજાઈ. બૅંકમાં ખાતું ખોલવું જોઈએ, એ ઉત્સાહ સ્થપાયો, પણ જ્યારે બૅંકમાં તેઓ પોતાનો સાચો વ્યવસાય કહે, તો બૅંક મૅનેજર નાકનું ટેરવું ચઢાવે અને તેઓને નિરાશ કરે. એવું અનેક બહેનો સાથે બન્યું. પછી તો નક્કી જ કર્યું કે બૅંકમાં જઈ ભારપૂર્વક કહેવું કે તેઓ સેક્સવર્કર છે.

આ સ્થિતિમાં સુવિકાસ કો-ઑપરેટિવ બૅંકના મૅનેજર અને મારા પરમ-મિત્ર હરેશ ખોખાણીએ અમને સલાહ આપી કે તમારી પોતાની બચત યોજના શરૂ કરો. એ માટે તેઓ મદદ કરશે. આમ, સખી જ્યોત બચત-યોજનાનો પ્રારંભ થયો. અનેક બહેનો તેની સભ્ય થવા માંડી. તેનું સંચાલન પણ તેઓએ જ હાથમાં લીધું. સભ્ય બહેનોને પાસબુક અર્થાત્‌ એક ડાયરી આપવામાં આવી, જેમાં તેઓ જ્યારે પૈસા જમા કરાવે તેની નોંધ કરવામાં આવે. રોજેરોજ બહેનો તેની કમાણીમાંથી પૈસા જમા કરાવવા માંડી.

સમય જતાં ભંડોળ નોંધપાત્ર રીતે વધવા લાગ્યું. બે બહેનોએ તો તેઓના પતિને ઑટોરિક્ષા લઈ આપી ઓછા વ્યાજની લોન લઈને. ઘરનો સામાન જેમ કે ફ્રીઝ, પલંગ, કબાટ, બાળકોની વસ્તુઓ વગેરે લેવાનું શક્ય બન્યું. તેનું મોટું પરિણામ એ આવ્યું કે શહેરની આ બહેનોનું સંગઠન મજબૂત બનવા લાગ્યું. બચતે તેઓને આત્મનિર્ભર બનાવી. અખબારોએ તેની નોંધ પણ લેવાનું શરૂ કર્યું. સમાજની મુખ્ય ધારામાં સામેલ થવાનું એક મજબૂત પગલું ભરાયું.

૨૨ : જ્યોતિસંઘનું વર્તન – પરિવર્તન (Behavioural Change) : મહાત્મા ગાંધીના આશીર્વાદથી વર્ષ ૧૯૩૪માં સ્થપાયેલ મહિલાસંસ્થા દાયકાઓથી મહિલાઓને સામાજિક ન્યાય બક્ષવામાં અને ઘરેલુ હિંસા સામે સ્વમાનભેર રક્ષણ આપવામાં અગ્રેસર રહી, પરંતુ મધ્યમવર્ગીય કલ્યાણકારી અભિગમને કારણે જ્યોતિસંઘનું નેતૃત્વ સેક્સવર્કરના કામને અયોગ્ય, નીતિમત્તાથી વિરુદ્ધનું, સમસ્યારૂપ અને સુધારણાને લાયક માનતું. તેઓના પુનર્વસન માટે પોલીસને મદદ કરવાનું વલણ પણ રહેતું.

આ ઇતિહાસને કારણે જ્યારે મેં સંસ્થામાં પગ મૂક્યો, ત્યારે મોટો પડકાર હતો કે સેક્સવર્કરના અધિકાર અર્થે સંસ્થાને વૈચારિક રીતે કેવી રીતે મદદ કરવી. વળી, સેક્સવર્કર બહેનો જ્યોતિસંઘને શંકાની રીતે જોતી. એ જ સંસ્થામાં તેઓને આદરપૂર્વક આવકારવા મુશ્કેલ હતું. કાર્યકરો તેઓ પાસે જાય અને સંસ્થામાં આવવાનું નિમંત્રણ આપે, ત્યારે બહેનો ભડકતી. ભારે જહેમત ઉઠાવી મારા વિદ્યાર્થી-કાર્યકરોએ. પરંતુ એક તરફ જ્યોતિસંઘના પ્રમુખ, સેક્રેટરી અને કારોબારીના સભ્યોએ નવો વિચાર અને આચાર સ્વીકાર્યાં તો બીજી તરફ સેક્સવર્કર બહેનોમાં અમારા નવતર અભિગમને કારણે વિશ્વાસ ઊભો થયો. મહિલાઓની આ સંસ્થામાં કદાચ હું પહેલો પુરુષ હતો, જે એક નવા પ્રોજેક્ટની જવાબદારી સંભાળતો હોય.

મૃણાલિનીબહેન ડૉક્ટર જેઓ પૂર્વે સમાજસુરક્ષા ખાતામાં ઉચ્ચ હોદ્દો ધરાવતાં હતાં તેઓ સંસ્થાના પ્રમુખ બન્યાં. વળી, નિર્મલાબહેન પટેલ અને ડૉ. ભારતી ગાંધી પ્રમુખ બન્યાં. તે બન્ને સમાજશાસ્ત્રમાં અનુસ્નાતક અને ભારતીબહેને તો ડૉ. તારાબહેન પટેલના માર્ગદર્શન હેઠળ જ્યોતિસંઘ વિશે પીએચ.ડી કરેલું. આમ, સંસ્થાના હોદ્દેદારોએ નવું વાતાવરણ અને નવા વિચારો સ્વીકાર્યાં. તેને પરિણામે અમદાવાદ જેવા પ્રમાણમાં રૂઢિચુસ્ત શહેરમાં સેક્સવર્કર બહેનો માટે જ્યોતિસંઘે એક આખો ફ્લૉર અને તેનો હૉલ એક દાયકાથી વધુ સમય માટે પ્રેમથી આપ્યો.

અત્રે યાદ દેવડાવું કે અમદાવાદમાં અનેક જૂની અને પ્રતિષ્ઠિત મહિલા-સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ હોવા છતાં જ્યોતિસંઘ સિવાય કોઈ સંસ્થાએ સેક્સવર્કર બહેનો માટે દરવાજા ખુલ્લા મૂક્યા નહિ.

૨૩ : અમદાવાદના ઇતિહાસમાં સૌ પ્રથમ સેક્સવર્કર બહેનોનું સંગઠન : અમારા પ્રોજેક્ટને પાંચ વર્ષ થયાં, ત્યારે સેંકડો બહેનો જ્યોતિસંઘ સાથે જોડાઈ ચૂકી હતી. સમુદાયની ૩૦ બહેનો પ્રોજેક્ટમાં પિયર એજ્યુકેટર તરીકે પોતાનું યોગદાન આપી રહી હતી. ગુજરાત સ્ટેટ એડ્‌સ-કન્ટ્રોલ સોસાયટી અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન એઇડ્‌સ-કન્ટ્રોલ સોસાયટીનો સહયોગ પ્રાપ્ત હતો.

શહેરમાં ગુજરાત સહિત દેશભરમાં એક સફળ પ્રોજેક્ટનું સન્માન પણ પ્રાપ્ત થયું હતું. એ સ્થિતિમાં અમને એવું સતત લાગ્યા કરતું કે સમગ્ર પ્રોજેક્ટ સેક્સવર્કર બહેનોને સોંપી દેવો જોઈએ અને તેની ઑનરશિપ તેઓ પાસે રહે. જ્યોતિસંઘે અને મારે માર્ગદર્શકની ભૂમિકા ભજવવી જોઈએ. NGOમાંથી CBO ઑનરશિપની દિશા માટે અનિવાર્ય હતું કે તેઓનું સંગઠન બને.

વર્ષ ૨૦૦૩ની આઠમી માર્ચે અર્થાત્‌ મહિલા દિવસથી રૂડો દિવસ કયો હોય. એ દિવસે ’સખીજ્યોત સંગઠન’ની સ્થાપના થઈ. પાંચ સ્થાપક સભ્યોમાં ત્રણ સમુદાયની બહેનો, હું અને જ્યોતિસંઘનાં પ્રમુખ સર્વાનુમતે નિમાયાં. પ્રમુખ અને હોદ્દેદારોની ચૂંટણી કે નિમણૂક કરતા પૂર્વે કોકિલાબહેન દરજી કન્વીનર બન્યાં અને સંગઠનને કાર્યાન્વિત કરવામાં આવ્યું. આજે ૧૭ વર્ષ બાદ પણ આ સંગઠન એચ.આઇ.વી. એઇડ્‌સ-નિયંત્રણના રાષ્ટ્રીય કાર્યક્રમનું સંચાલન કરી અમદાવાદની સેક્સવર્કર બહેનોનું પ્રતિનિધિત્વ કરે છે.

૨૪ : સ્કૂલ યુનિફોર્મમાં વિદ્યાર્થીઓ બન્યા ગ્રાહક : અમદાવાદમાં સેક્સવર્કર બહેનો એક તરફ એચ.આઇ.વી. સંક્રમણને રોકવા સલામત જાતીય સંબંધો માટે સજ્જ થઈ રહી હતી તો તેને સમાંતર નાગરિકધર્મ બજાવવા ઉત્સુક બની રહી હતી. આપણે સૌ જાણીએ છીએ કે સેક્સવર્કરના ગ્રાહકો કોઈ પણ ઉંમરના હોઈ શકે છે. તેમાં કિશોરોથી માંડી સિનિયર સિટીઝન સુધીના હોય છે. અમદાવાદમાં પણ પ્રોજેક્ટ સાથે જોડાયેલ બહેનો દ્વારા ક્યારેક માહિતી મળતી કે સ્કૂલ-યુનિફૉર્મ પહેરેલા વિદ્યાર્થીઓ પણ ગ્રાહક તરીકે આવતા. બહેનો કહેતી કે સેક્સનો અનુભવ કરવા, કુતૂહુલથી પ્રેરાઈ અને તરુણાવસ્થાની સ્થિતિના પ્રભાવે તેઓ ગ્રાહક બનીને આવતા.

જ્યોતિસંઘના નેજા નીચે સંગઠિત થતી બહેનોમાં આ વિશે ચર્ચા થતી. દર શનિવારની  મિટિંગોને કારણે સામૂહિક ડહાપણ વહેંચાતું રહ્યું. એચ.આઇ.વી. સંક્રમણથી વિદ્યાર્થીઓને બચાવવા જોઈએ એ મુદ્દો મહત્ત્વનો બનતો રહ્યો. પરિણામે સેક્સવર્કર બહેનો પાસે કિશોરો ગ્રાહક બનીને આવતા, ત્યારે બહેનો તેઓને સમજાવીને પાછા મોકલતાં. આવું વાતાવરણ સર્જાતા ધીમે-ધીમે શાળાએ જતા વિદ્યાર્થીઓમાં ગ્રાહક બનવાનું લગભગ બંધ થઈ ગયું.

અત્રે એ યાદ દેવડાવું કે ગુજરાતમાં વર્ષ ૨૦૦૭થી શાળામાં સેક્સ-એજ્યુકેશન આપવા પર પ્રતિબંધ છે. આ સ્થિતિમાં ઊગતી પેઢીમાં સેક્સ વિશેનાં વૈજ્ઞાનિક વલણ વિકસવાની બારીઓ આપોઆપ બંધ થઈ જાય છે. જે સમજ શાળાઓ ના આપી શકી એ અમારી સેક્સવર્કર બહેનોએ કરી બતાવ્યું. અને હા, એ પણ દર્શાવું કે અમદાવાદની કેટલીક જાણીતી શાળાના વિદ્યાર્થીઓ સેક્સવર્કર સાથે ચર્ચા કરવા, તેઓની સમસ્યા જાણવા જ્યોતિસંઘની શનિવારની મિટિંગોમાં તેઓની શાળાનો ગણવેશ પહેરી શિક્ષક સાથે આવતા. એ શાળાઓના શિક્ષકોનો આભાર.

૨૫ : પુરુષ ગ્રાહકો કૉન્ડોમ ના વાપરે તો ? ફિમેલ કૉન્ડોમની ઉપયોગિતા વિશેનો અભ્યાસ : જ્યોતિસંઘ દ્વારા અને સેક્સવર્કર બહેનોના સખીજ્યોત સંગઠન દ્વારા સલામત જાતીય સંબંધ વિશે વ્યાપક જાગૃતિ આવી. ૪,૦૦૦થી વધુ બહેનોએ પ્રત્યેક જાતીય સંબંધમાં કૉન્ડોમના ઉપયોગને વાસ્તવિક બનાવ્યું. પ્રોજેક્ટને ૭ વર્ષ થયાં, ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય કક્ષાના બે અભ્યાસોએ પુરવાર કર્યું કે જાતીય આરોગ્યની સંભાળ લેવાને કારણે અમદાવાદની સેક્સવર્કર બહેનોમાં એચ.આઇ.વી.નું પ્રમાણ દેશમાં સૌથી ઓછું નોંધાયું.

સેક્સવર્કર બહેનો તેઓના પુરુષ ગ્રાહકોને કૉન્ડોમનો ૧૦૦% ઉપયોગ કરાવવામાં ઘણા અંશે સફળ થઈ. તેમ છતાં બહેનો તેઓના કેટલાક કાયમી ગ્રાહકો કે ’યાર’ અર્થાત્‌ સૌથી નજીકના મિત્રગ્રાહકો સાથે કૉન્ડોમનો ઉપયોગ ટાળતી, જેને કારણે એચ.આઇ.વી. સંક્રમણનો ખતરો રહેતો. પુરુષ ગ્રાહકો કૉન્ડોમના ઉપયોગથી દૂર રહેતા અને બહાના કાઢતા કે તેનાથી સેક્સનો આનંદ નથી આવતો. આમ પણ ભારતમાં આ જ દલીલ પુરુષોની રહી છે. નૅશનલ ફૅમિલી હેલ્થ સર્વે ૪ પ્રમાણે ભારતમાં ૧૫થી ૪૫ વય જૂથના પુરુષોમાં માત્ર ૫ ટકા જ કૉન્ડોમનો ઉપયોગ કરે છે.

આ પરિસ્થિતિમાં ભારત સરકારની હિન્દુસ્તાન લેટેક્સ કંપનીએ અમારી સામે પ્રસ્તાવ મૂક્યો કે તેઓ સેક્સવર્કર બહેનોને ફિમેલ કૉન્ડોમ (ફેમકૉન્ડ) આપી શકે. ફિમેલ કૉન્ડોમ આજે પણ ભારતમાં પ્રચલિત નથી. આ કૉન્ડોમ સ્ત્રીઓએ તેઓની યોનિમાં મૂકવાનાં હોય છે અને તે દ્વારા તે સલામત જાતીય સંબંધ રાખી શકે, જ્યારે પુરુષ ગ્રાહક કૉન્ડોમ માટે ના પાડે.

ફિમેલ કૉન્ડોમનો સીધો ઉપયોગ કરતાં પહેલાં અમે નક્કી કર્યું કે ફિમેલ કૉન્ડોમનો બહેનો ખરેખર સ્વીકાર કરે છે કે નહીં. તેના ઉપયોગમાં કેવા પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થાય છે, પુરુષ ગ્રાહકોનો શો અનુભવ રહે છે જ્યારે સમાગમ વખતે સેક્સવર્કર બહેને ફિમેલ કૉન્ડોમ પહેર્યું હોય. આ કારણે વર્ષ ૨૦૦૬ના જુલાઈ, ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન કુલ ૨૨૦ સેક્સવર્કર બહેનો પર ફિમેલ કૉન્ડોમનો પ્રયોગ કરવામાં આવ્યો. પ્રયોગ દરમિયાન તેઓના અનુભવોને રેકૉર્ડ કરવા મુલાકાત-અનુસૂચિ દ્વારા તેઓના પ્રતિભાવો માટે સર્વે કરવામાં આવ્યો.

અભ્યાસપૂર્વે ૩૦ જૂનથી ૩ જુલાઈ ૨૦૦૬ દરમિયાન અમદાવાદની હોટેલ રૉયલ હાઇનેસમાં તાલીમ શિબિર રાખવામાં આવી. જાતીય આરોગ્ય વિશે સંશોધન કરતી સંસ્થા RCSHA અને કૉન્ડોમ બનાવતી HLFPPT‌ના સહકારથી અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશાન એઇડ્‌સ કન્ટ્રોલ સોસાયટીના ડિરેક્ટર ડૉ. લક્ષમણ મલોડિયાના માર્ગદર્શન હેઠળ આ સર્વે કરવામાં આવ્યો અને તાલીમ-શિબિરનું આયોજન થયું. પ્રોજેક્ટની સંપૂર્ણ જવાબદારી મારે શિરે હતી. શિબિરનો રિપોર્ટ પ્રોજેક્ટના આઉટ રિચવર્કર મિલન પટેલે તૈયાર કર્યો.

અંગ્રેજી ૮ આકારનો હોય છે ફિમેલ કૉન્ડોમ. તેને યોનિમાં સરકાવી દેવાનું હોય છે. તેને ૮ કલાક સુધી યોનિમાં રાખી શકાય છે. ત્યાર બાદ તેને કાઢી નાખવું પડે. તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે. તેની તાલીમ બહેનોને આપવામાં આવી. ત્યાર બાદ સર્વેના સમય દરમિયાન રોજેરોજ બહેનોને કૉન્ડોમ મફત પહોંચાડવામાં આવતું. આ કામ માટે પ્રોજેક્ટના તમામ કાર્યકરોએ સતત ૩ મહિના ભારે જહેમત ઉઠાવી સર્વે કર્યો …     

(ક્રમશઃ)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑક્ટોબર 2020; પૃ. 12-13

Loading

કોઈ આઘે આઘેથી વેણુ વાય છે મને જાતી રહું, જાતી રહું થાય છે…!

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|15 October 2020

હૈયાને દરબાર

કૌમુદી મુનશી : સ્મૃતિવંદના

ત્રીજી ફેબ્રુઆરી આવે એટલે અમને અંગત મિત્રોને ખબર જ હોય કે એ દિવસે આંખ-કાન-જીભ બધાંને જલસો. બુલબુલ જેવો મીઠો કંઠ ધરાવતાં સુપ્રસિદ્ધ ગાયિકા કૌમુદી મુનશીનો એ જન્મદિન. કૌમુદીબહેનનાં શિષ્યા નેહા યાજ્ઞિક જ મોટે ભાગે પાર્ટીનું આયોજન કરે અને અમે બધાં જાનમાં જોડાઈ જઈએ. અમે બધાં એટલે એમનાં શિષ્યગણ સહિત જાણીતાં કલાકારો રેખા ત્રિવેદી, સુરેશ જોશી, ઉપજ્ઞા પંડ્યા અને સંગીતભાવક તરીકે હું. જો કે, એમની પાસે ઠુમરી શીખવાનો લાભ મને પણ મળ્યો છે. ક્યારેક શ્રદ્ધા શ્રીધરાણી, જાહન્વી શ્રીમાંકર, નુપૂર જોશી, સુરુચિ મોહતા, નેહા ચિમ્મલગી અને પરિજ્ઞા પંડ્યા આવી પહોંચે તો કોઈ વાર એમના ઘરે વિખ્યાત કલાકારો અશ્વિની ભીડે દેશપાંડે, શુભા જોશી કે રજત ધોળકિયાનો ભેટો પણ થઈ જાય. અમેરિકાથી ફાલ્ગુની દલાલ-શાહ શુભેચ્છાઓ મોકલે. ઉદય મઝુમદાર તો હોય જ. પછી તો ખાણી-પીણી સાથે બનારસી ઠુમરી-કજરી-ચૈતીનો વૈભવ એમના વિલેપાર્લેના ઘરમાં છલકાય. રેડિયો પર તથા જાહેર કાર્યક્રમોમાં કૌમુદીબહેનનાં ગુજરાતી ગીતો ઘણાં પ્રચલિત પરંતુ, એમનાં પર્સનલ ફેવરિટ ઉપશાસ્ત્રીય હિન્દી ગીતો, ઉત્તર પ્રદેશ-રાજસ્થાનનાં લોકગીતો, ભક્તિરચનાઓ, કબીર-સૂરદાસનાં પદો સાંભળવાનો વિશેષાધિકાર અમારા જેવાં અંગત સ્નેહીઓને અનેક વાર મળ્યો છે. રેખા ત્રિવેદી, જાહન્વી, ઉપજ્ઞા-પરિજ્ઞા, ફાલ્ગુની શાહ, સુરુચિ, નેહા ચિમ્મલગી, આરોહી, રઘુવીર આ તમામ એમનાં શિષ્યોએ કલાજગતમાં સ્થાન બનાવ્યું છે. નલિની પંડ્યા તથા અપર્ણાબહેન પણ એમનાં જૂનાં શિષ્યાઓ.

ગુરુની ગાયકીને આગળ વધારી રહેલાં શિષ્યગણ સાથે કૌમુદી મુનશી

આ તો થઈ જન્મદિનની વાત. બાકી, કૌમુદીબહેનના ઘરના દરવાજા દરેક માટે ખુલ્લાં. એમના ઘરે જઈએ તો પ્લેટમાં કંઈક નાસ્તો લઈને આવે અને કહે, ચાખો, મેં બનાવ્યું છે. ૯૧ વર્ષની ઉંમરે પણ બધી રીતે સક્રિય. આ લોકડાઉનમાં એમને પૂછીએ કે શું કરો છો? તો કહે, કવિતા લખું છું, ગાઉં છું. એમણે લોકડાઉન દરમ્યાન કક્કાવારી પ્રમાણે ગીતોનું લિસ્ટ તૈયાર કર્યું હતું જેમાં ક, ખ, ગ ઈત્યાદિ અક્ષરોથી શરૂ થતાં ગીતોની નામાવલિ તૈયાર કરી હતી. કૌમુદીબહેનનાં શિષ્યા જાહન્વી શ્રીમાંકરે તો એટલી હદે કહ્યું કે હાર્મોનિયમ અને ગીતોની ડાયરી એમનાં સાથી તેથી જાતને આનંદમય રાખવા પોતે એકલાં એકલાં અંતકડી રમતાં. છેલ્લો અક્ષર જે આવે એના પરથી પોતે જ બીજું ગીત ગાય! સો ક્યુટ! આવો નિજાનંદ કોણ લઈ શકે!

પરીખ પરિવાર દ્વારા બહાર પાડવામાં આવેલી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે ‘સ્મરણાંજલિકા’ કેસેટ/સીડી એ એમનું સૌથી મોટું પ્રદાન છે. આ આખો પ્રોજેક્ટ અને સંગીત નિયોજન કૌમુદી મુનશીએ પરિપૂર્ણ કર્યાં હતાં. આર્કિટેક્ટ-કવિ અવિનાશ પારેખે આ સંદર્ભે જણાવ્યું કે, "વિશ્વભરના લાખો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે આ કેસેટ મહામૂલું નજરાણું બની રહી છે. લગ્ન વખતે દીકરીને આપવામાં આવતાં કરિયાવરમાં આ કેસેટ તો હોય જ. એ રીતે પેઢી દર પેઢી સુધી એમનું આ પ્રદાન વૈષ્ણવો યાદ રાખશે.

‘ધ નાઈન્ટિંગલ ઑફ ગુજરાત’ તથા ગુજરાત ગૌરવ પુરસ્કાર સહિત અનેક એવોર્ડ્સ મેળવી ચૂકેલાં કૌમુદીબહેન સાથેની એટલી બધી સ્મૃતિઓ છે કે કેટલી વાતો લખવી એ અવઢવ છે. છેવટ સુધી કાર્યરત રહેનાર કૌમુદી મુનશી સંગીતજગતનું એવું નામ છે જેમણે સંગીતને માત્ર પચાવ્યું જ નહીં, સંગીતમગ્ન રહીને આનંદમય જીવન જીવવાની ચાવી પણ આપી. કૌમુદી મુનશી વિશે ગૌરવપૂર્વક કહી શકાય કે એ નાઈન્ટી (૯૦) પ્લસ નહીં, નાઈન્ટીન (૧૯) યર્સનાં નાઈન્ટિંગલ હતાં. જે ઉંમરે સામાન્ય રીતે માણસ હાથ હેઠા મૂકી દે એ ઉંમરે તેઓ આપણને સસ્મિત આવકારે, હાર્મોનિયમની પેટી લઈને નવી નવી રચનાઓ સંભળાવે, ઠૂમરી કેવી રીતે ગવાય, ગાતી વખતે સ્પષ્ટ ઉચ્ચારણ તથા અનુસ્વારની અગત્યતા કેટલી છે એ સમજાવે ને વચ્ચે વચ્ચે એમણે પોતે બનાવેલી વાનગીઓ ચખાડે તથા નિતનવી રેસિપી શેર કરે. સ્વચ્છ-સુઘડ સાડી અને નાજુક આભૂષણોનાં શોખીન કૌમુદીબહેનને ભાગ્યે જ કોઈએ હતાશ કે નિરાશ જોયાં હશે.

એમનું અમૂલ્ય ઘરેણું હાર્મોનિયમ. કૌમુદી મુનશી સાથે કેટલાંક ગીતો અનિવાર્યપણે જોડાઈ ગયાં છે, જેમ કે, તમે થોડું ઘણું સમજો તો સારું, વૃંદાવન વાટે સખી જાતાં ડર લાગે, હે કોઈ આઘે આઘેથી વેણુ વાય રે, લાખનો ચૂડલો ઘડાવી દે ઓ માણીગર, વાંકાબોલી વરણાગી વાંસળી, આ રંગ ભીના ભમરાને, મને છેડી ગયો રે નંદલાલા તથા ચોર્યાસી રંગનો સાથિયો રે માંડ્યો …! કૌમુદી મુનશીએ જવાહર બક્ષીની ગઝલો તારો વિયોગ, બરફનો પહાડ થઈ … વગેરે ખૂબ સરસ ગાઈ છે.

પોતાનો જીવનમંત્ર આ શેર દ્વારા જ એ વ્યક્ત કરતાં; ઉમ્ર કા બઢના તો દસ્તૂર-એ-જહાં હૈ, મેહસૂસ ન કરો તો બુઢાપા કહાં હૈ?

એક વાર સંગીતકાર સુરેશ જોશી, રેખા ત્રિવેદી સહિત કેટલાંક કલાકારો એમના ઘરે ગોષ્ઠિ કરી રહ્યાં હતાં ત્યારે એમણે સહજતાથી મહત્ત્વની વાત કરી હતી. "કલાકાર માણસ તરીકે પણ સારો હોવો જોઈએ. તો એની કલાને ચાર ચાંદ લાગી જાય. કલાકારમાં અહંકાર ન હોવો જોઈએ. આંબાને ફળ આવે એમ એ ઝૂકતો જાય છે. કલાકારમાં વિનમ્રતા હોવી બહુ જરૂરી છે. ઈશ્વરે દરેકને કંઈક આપ્યું છે. તેથી એકબીજાને તોડવાનાં નહીં, માન આપવાનું. કેસરબાઈ કેરકર જેવાં દિગ્ગજ કલાકારની વિનમ્રતાનું ઉદાહરણ આપતાં એમણે કહ્યું કે, "બનારસમાં કેસરબાઈનો કાર્યક્રમ હતો. ઓડિયન્સમાં મારાં ગુરુ સિદ્ધેશ્વરી દેવી હતાં. દર્શકોએ કેસરબાઈને ઠુમરી ગાવાની ફરમાઇશ કરી તો એમણે કહ્યું કે મારી સામે ઠુમરીક્વીન સિદ્ધેશ્વરી દેવી બેઠાં છે, મારાથી ન ગાઈ શકાય. વિખ્યાત ગાયિકા બેગમ અખ્તરના અવસાન વખતે સિદ્ધેશ્વરી દેવીને હૈયાફાટ રૂદન કરતાં મેં જોયાં છે. રડતાં રડતાં એ બોલતાં હતાં કે અખ્તરી કે સાથ ગઝલ ગયી, ઠુમરી ગયી, દાદરા-કજરી-ચૈતી-ઝૂલા સબ કુછ ગયા ..! આમ, કલાકારો એકબીજાનો ખૂબ આદર કરતા. કૌમુદીબહેનનાં અવસાન પછી આપણે પણ આવું જ કંઈક અનુભવીએ છીએ.

કલાકારની તૈયારી વિશે એ કહેતાં કે પરફોર્મન્સ પહેલાં કલાકારે પૂરી સજ્જતા સાથે આવવાનું. રેડિયો પર મારે ગાવાનું હોય તો નિનુભાઈ મને કહે કે ઘરેથી પંદર વખત પ્રેક્ટિસ કરીને આવજે. કોઈ પણ ગીત ગમે ત્યારે ગાઈ શકો એવી તૈયારી હોવી જોઇએ. કૌમુદીબહેનના કંઠે ભક્તિ રચનાઓ સાંભળીને ગંગાજળની પવિત્રતા અને મીઠાશનો અનુભવ થતો. ઠુમરી-કજરી ગાનાર ગુજરાતી કલાકાર ભાગ્યે જ જોવા મળે!

મુસ્લિમ કવિઓનાં ગીતોનું સંશોધન કરી, સ્વરબદ્ધ કરી એમણે એક સરસ કાર્યક્રમ કર્યો હતો. તેઓ કૃષ્ણ ભક્ત રસખાન, તાજબીબીની રચનાઓ ગાતાં.

એક જમાનામાં દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમો કરી ચૂકેલાં કૌમુદીબહેનને પ્રવાસવર્ણનો અને ફોટોગ્રાફ્સ જોવામાં બહુ રસ પડતો. બે વર્ષ પહેલાં હું યુરોપના પ્રવાસે ગઈ હતી ત્યારે વીડિયોકોલ દ્વારા ત્યાંનાં સ્થળો જોવાં ઉત્સુક હતાં. રોમનાં ટ્રેવી ફાઉન્ટન પરથી વીડિયોકોલ દ્વારા અમે વાતો કરી હતી. વ્યક્તિની કદર કરવાનું કોઈ એમની પાસેથી શીખે!

કૌમુદીબહેનની ખાસ ઈચ્છા હતી કે બાળકો સહજતાથી ગાઈ શકે એવાં સરળ ગુજરાતી ગીતો તૈયાર કરાવીને ગુજરાતભરની શાળાઓમાં અભ્યાસક્રમના ભાગરૂપે શીખવાડાય તો બાળકો આજે માત્ર અંગ્રેજી જોડકણાં ગાય છે એને બદલે માતૃભાષા ગુજરાતીમાં ગીતો ગાતાં થાય. ફક્ત શિક્ષકો એ અભ્યાસક્રમ તૈયાર ન કરે. વિદ્વાનો અને સંગીતજ્ઞોનું સંગઠન ઊભું કરી બાળકોને રસ પડે એવું માળખું તેઓ તૈયાર કરે. બધી સ્કૂલમાં એક સરખો કોર્સ હોવો જોઈએ. ગુજરાત સરકાર સુધી આ વાત પહોંચવી જોઈએ. એ દિશામાં નક્કર કંઈક થાય તો આપણી સમૃદ્ધ ભાષા છેવાડાના માણસ સુધી પહોંચે. આ જવાબદારી હવે આપણી છે.

ગુજરાતી સુગમ સંગીતનાં માતામહ કૌમુદી મુનશીએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે પણ એ તો ચોર્યાસી રંગના સાથિયા(લખ ચોરાસીના ફેરા)ની વાત કરતાં, આઘે આઘેથી કૃષ્ણ કનૈયાની વાંસળી સાંભળીને વૃંદાવન વાટે નિકળી પડ્યાં છે. પુનર્જન્મે એમને કલાકાર કૌમુદી મુનશી તરીકે જ જન્મ લેવાની ઈચ્છા હતી. આમેય કલાકારને સાધના પૂરી કરવા ત્રણ જન્મ મળે એમ કહેવાય છે. વૃંદાવન વાટે કે બનારસના ગંગાઘાટે ક્યારેક મીઠો અવાજ સાંભળવા મળે તો એ કદાચ પુનર્જન્મ પામેલાં કૌમુદી મુનશી હોઈ શકે! કૌમુદીબહેન, ચાહકોના હૃદયમાં તમે અમર રહેશો.

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 15 ઑક્ટોબર 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=657652  

Loading

કૌમુદી મુન્શી : દેહવ્યવસાયની જગ્યામાં કોઈ સંગીત શીખવા જાય? એમણે હિંમત કરેલી

સોનલ શુક્લ|Opinion - Opinion|15 October 2020

ઘટના અને અર્થઘટન –

કૌમુદી મુન્શી : જન્મ – ર ફેબ્રુઆરી ૧૯૨૮ — અવસાન – ૧૩ ઓક્ટોબર ૨૦૨૦

પચાસ વર્ષ સુધી જેમણે ગુજરાતી સંગીતરસિકોના હૃદય પર રાજ કરેલું, તે કૌમુદી મુન્શીનું તા.૧૩ ઓક્ટોબરે કોવિડ-૧૯ને કારણે અવસાન થયું છે. તેમનો જન્મ બનારસના જમીનદાર રાજા મુન્શી માધોલાલના પરિવારમાં થયેલો. જ્યારે એમનાં માતા સ્વાતંત્ર્ય પૂર્વેના સૌથી વધુ લોકપ્રિય નવલકથાકાર ર.વ. દેસાઇના બહેન હતાં. આ રીતે બાળપણથી જ તેઓ હિન્દી અને ગુજરાતી બોલતાં. ૧૯૫૧-૫૨માં તેઓ મુંબઇ આવ્યાં. પરિવારની ઇચ્છા હતી મુરતિયો શોધવાની પણ કૌમુદીબહેનની મહેચ્છા તો રેડિયો પર આવી શકે એવી ગાયિકા થવાનો હતો. પ્રારંભમાં તેઓએ અવિનાશ વ્યાસના જૂથમાં કામ કરેલું પણ ત્યાં ગાયિકા તરીકે ઊભરી શક્યાં નહોતાં.

૧૯૫૨માં તેમના ભાઇએ પેલા બંને કારણોસર નિનુ મઝુમદારનો સંપર્ક કર્યો. કૌમુદીબહેનનાં અતિશય મધુર અવાજ અને શાસ્ત્રીય સંગીતની જાણકારીએ નિનુભાઇ પર મોટો પ્રભાવ પાડ્યો. તેઓ પોતે ત્યારે ગાયક, ગીતકાર અને સંગીતકાર હતા. તેમણે કૌમુદીબહેનના અવાજ અને આવડતને અનુરૂપ ગીતો રચ્યાં. પોતાના બધા જ કાર્યક્રમોમાં એમને મુખ્ય ગાયિકા તરીકે લીધા અને એક ફિલ્મમાં પ્લેબેક પણ આપ્યું. નિનુ મઝુમદારના પિતા મૂંગી ફિલ્મના સમયથી દિગ્દર્શક હતા અને નિનુભાઇ પોતે હિન્દી ફિલ્મમાં સંગીત આપતા. કપૂરને પ્લેબેક માટે તેઓ એ બ્રેક આપેલો. દલસુખ પંચોલી દિગ્દર્શિત ફિલ્મ ‘ભાઇસાહેબ’માં કૌમુદીબહેને બેથી ત્રણ ગીત ગાયાં. આ ફિલ્મમાં સી.એસ. આત્મા હીરો તરીકે હતા.

૧૯૫૪માં નિનુભાઇનાં પ્રથમ પત્નીના અવસાન બાદ બંને લગ્નગ્રંથિથી જોડાયાં. એક આકસ્મિક અને સુખદ બનાવ એ થયો કે કૌમુદીબહેનને સિદ્ધેશ્વરી દેવી પાસે ઠુમરી, દાદરા વગેરે શીખવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આકસ્મિક એટલે કે સિદ્ધેશ્વરી દેવી પોતાના માસી રાસેશ્વરી દેવી જોડે રાજા મુન્શી માધોલાલની એસ્ટેટ પર રહેતાં, જેમ એમને ત્યાં રોજના કારીગરો વગેરે પણ વસતા. જમીનદારો તે સમયે પોતાના બાગબગીચાઓ, નૌકાઓ તો ક્યારેક ઘરમાં જલસા કરતા. આમાં ઘરની સ્ત્રીઓ પડદામાં હોય અને હાજર ન રહી શકે. કૌમુદીબહેન વિદ્યાર્થીકાળમાં રિયાઝ કરતાં તો પણ એમનાં માતાએ બારીબારણાં બંધ કરી તડોમાં રૂ ભરી દેવું પડતું.

બીજી બાજુ કૌમુદીબહેન પોતે ઠુમરીમાં વિશેષ આગળ વધવા ચાહતાં હતાં. નિનુભાઇ બનારસ અને આસપાસના ગામમાં રહી ચૂક્યા હતા અને તેમને પણ યુ.પી.નાં લોકગીતો જેવા કે કજરી, ચૈતી, હોરી વગેરે અતિપ્રિય હતાં. લગ્ન પછી કૌમુદીબહેન બનારસ જાય તો સિદ્ધેશ્વરી દેવીને મળવા ઝંખે. ઘરના લોકો જવા ન દે કારણ કે એ માટે ‘દાલકી મંડી’ વિસ્તારમાં જવું પડે જ્યાં દેહવ્યવસાય પણ થતો હોય. એક વાર નિનુભાઇ પણ જોડે બનારસમાં હતા અને એમણે કહ્યું, ‘ચાલ, હું તને લઇ જઇશ.’ બંને ગયાં. સિદ્ધેશ્વરી દેવીને મળ્યાં અને સંગીતની વાતવાતમાં નિનુભાઇએ કહ્યું કે આ તમારી શિષ્યા બનવા આવી છે તે રાજા મુન્શી માધોલાલની પૌત્રી છે. માધોલાલ તેમ જ કૌમુદીબહેનના પિતા નંદલાલ મુન્શી સિદ્ધેશ્વરી દેવીના ચાહકોમાંના હતા. સિદ્ધેશ્વરી દેવીએ આનંદ અને આદરપૂર્વક શિષ્યા તરીકે સ્વીકાર્યાં. ત્યાર પછી પોતે લાંબો સમય બનારસમાં અને પછીથી દિલ્હીમાં રોકાતા અને ગુરુ પાસેથી જ્ઞાન મેળવતાં. નિનુભાઇએ પોતે જ એમને પિયરની અટક ચાલુ રાખવાની પ્રેરણા આપેલી.

કૌમુદીબહેન મુનશી શાસ્ત્રીય સંગીત શીખવનાર ગુરુ સિદ્ધેશ્વરી દેવીની પાર્શ્વભૂમાંની છબિની ઓથે

મણિ કોલની દસ્તાવેજી ફિલ્મમાં ‘સિદ્ધેશ્વરી’નો પ્રારંભ જ કૌમુદીબહેને કરેલી રેકોર્ડથી અને સિદ્ધેશ્વરી દેવી એમને કંઇ કહે છે એનાથી શરૂ થાય છે.

એકવાર એવું બનેલું કે ‘દાલકી મંડી’થી કૌમુદીબહેનને ઘરે પહોંચાડવા કોઇ માણસ મળ્યો નહોતો. સિદ્ધેશ્વરી દેવી આ યુવાન શિષ્યાને એકલાં જવા ન દે. એ પોતે રિક્ષામાં મૂકવાં આવ્યાં. ઘર આવ્યું એટલે કૌમુદીબહેને કહ્યું, "તમે અંદર આવો. રાજમહેલમાં તો રહ્યાં નહોતાં પણ ‘મુન્શી કટરા’ નામની એક સારી જગ્યામાં એમનું મકાન હતું. સિદ્ધેશ્વરી દેવીએ ના પાડી. સંબંધ જૂનો હતો પણ એ ‘ઘરનો’ નહોતો, બહારનો હતો. કૌમુદીબહેનના આગ્રહથી એ અંદર આવ્યા તો ખરા પણ કૌમુદીબહેનના માતા જે પાટ પર બેઠા હતાં ત્યાં ન બેઠાં અને નીચે જ બેઠાં. એમને માતાએ કહ્યું કે, ‘તમે મારી જોડે બાજુમાં બેસો,’ તો તેમણે કહ્યું, ‘મુન્શી પરિવારમાં મારે તમારી જોડે ના બેસાય.’ કૌમુદીબહેનનાં માતાએ કહ્યું, ‘તમે અહીં એ સંબંધથી નથી આવ્યાં. તમે મારી દીકરીનાં ગુરુ છો એટલે તમારે મારી જોડે જ બેસવાનું.’ અહીં કૌમુદીબહેનના ઘરની મધ્યકાલીન અંધારયુગની પરંપરા પૂરી થતી હતી, અને આધુનિક સંગીત સમાજનો પ્રારંભ થતો હતો. કૌમુદીબહેનના ભૂતકાળના બંને પાસાં ગણિકાનું ગાન અને ઘરની શરીફ ગણાતી ઘરની સ્ત્રીઓ બંને માટેનો અન્યાયી ભેદભાવ તૂટ્યો. સનુબહેન મુન્શીએ સિદ્ધેશ્વરી દેવીને પાટ પર જોડે બેસાડી અને સિદ્ધેશ્વરી દેવીએ કૌમુદીબહેનને શિષ્યા તરીકે સ્વીકારી.

કૌમુદી મુન્શીએ ઘણાં સંગીતકારો સર્જિત ગીતો ગાયાં છે. નિનુ મઝુમદારનાં, ‘મને છેડી ગયો છે નંદલાલા’, ચોર્યાસી રંગનો સાથિયો રે માંડ્યો’, વગેરે તેમ જ પ્રિયકાંત મણિયારનાં, ‘ફૂલનો પવન’ પ્રખ્યાત છે. બંનેના સાયુજ્યનો પ્રારંભ તો ૧૯૫૨માં એમને માટે નિનુભાઇએ લખેલી ઠુમરી, ‘મેશ ન આંજુરામ’થી થયેલી. આ ગીત ‘કુમાર’ સામયિકમાં પ્રગટ થયું હતું. તે ઉપરાંત પછીના કાળમાં દિલીપ ધોળકિયાના, ‘આ રંગભીના ભમરાને’ કે ‘તમે થોડું સમજો તો સારું,’ કિરીટ સંપટના ‘કેવડિયાનો કાંટો, મુજને વનવગડામાં વાગ્યો રે’, ઘણાં ગીતો ગાયાં. એમણે અવસ્થાને કારણે ગાવાનું બંધ કર્યુ. એ અગાઉ તેમનાં પુષ્ટિસંપ્રદાયના ભજનો અને વિધિગાનના સંગીતઆલ્બમ સ્મરણિકાની લાખો નકલોના વેચાણથી ખ્યાતિ મેળવેલી. ગાયક હોવું તે માટે શરીરના અંગો પણ સ્વસ્થ હોવાં જરૂરી છે જે ઉંમર વધવા સાથે બની શકતું નથી. પણ ત્યાં સુધીમાં તો કૌમુદીબહેન પોતે સંગીતગુરુ તરીકે ભૂમિકા નિભાવે છે. એમણે અનેક ગૃહિણીઓ તેમ જ વ્યાવસાયિક ગાયિકાઓને તાલીમ આપી છે. મોટામાં મોટા શ્રીમંત અને વિખ્યાત મારવાડી પરિવારોમાં તેમણે દરેક શુભપ્રસંગે નવું સંગીત સર્જન કરીને આપ્યું છે. ગુજરાતી સમાજમાં પણ તેમ જ હતું. ડૉ. શાંતિલાલ સોમૈયાનાં પત્ની એમનાં વિદ્યાર્થી હતાં અને જ્યારે કૌમુદીબહેનને કોરોના લાગુ પડ્યું ત્યારે એમને માટે વિશેષ વ્યવસ્થા વિદ્યાવિહારની હોસ્પિટલમાં થઇ ચૂકી હતી.

એમની ગાયક શિષ્યાઓ અત્યારે મોટું નામ કમાઇ રહી છે, એમાં પ્રભાવશાળી ગાયિકા ઉપજ્ઞા પંડ્યા અને પરિતા પંડ્યા તેમ જ જાહ્નવી શ્રીમાંકરનું નામ આગળ છે. અમેરિકાના વ્હાઇટહાઉસમાં એ.આર. રહેમાન સાથે તેમ જ ગ્રેમી એવૉર્ડસ માટે શોર્ટ લિસ્ટેડ થયેલી ‘ફાલુ’ એટલે કે ફાલ્ગુની દલાલ શાહ, જાહ્નવીની જેમ જ બાળપણથી જ કૌમુદીબહેન પાસે શાસ્ત્રીય તેમ જ સુગમ સંગીત શીખેલી છે.

કૌમુદીબહેન આપણાં પ્રથમ વ્યાવસાયિક ગાયિકા છે. તે અગાઉ વીણા મહેતા, માલિની મહેતા જેવાં સુંદર ગાયકો આપણી પાસે હતાં. પણ કોઇએ વ્યાવસાયિક ગાયિકા તરીકે કામ કરવું, પોતાની ગીતસમૃદ્ધિ વધારવી, મહાનગુરુની શિષ્યા બનવા જનાર, મહત્ત્વની શિષ્યાઓ તૈયાર કરનાર ગાયિકા કૌમુદી મુન્શી હતાં. એ રીતે અજોડ રહ્યાં. છેક હવે એકવીસમી સદીના બીજા દાયકામાં આપણે ત્યાં ગુજરાતી ગાયિકી ક્ષેત્રમાં આવી છે, જે પોતાની રીતે પોતાની કેરિઅર સંભાળે છે અને વધારે છે. એ સૌ માટે કૌમુદીબહેનને સ્નેહભર્યો આદર હતો. ૧૯૬૦ પછી એમણે પોતાની કેરિઅર પોતે જ વિકસાવેલી. સાત સાત દાયકા સુધી ગુજરાતી સંગીત સમૃદ્ધિ વધારનાર કૌમુદી મુન્શી એક ફિનોમિનન હતાં, નિનુ મઝુમદારે એમનો ટેલંટ જોયો અને તક આપી ત્યારે એ ૧૯૫૨-૫૩માં એ રેડિયોમાં સુગમસંગીત વિભાગના અધ્યક્ષ નહોતા. એ તો ૧૯૫૪માં થયા. તે છતાં કૌમુદી મુન્શીની સફળતા માટે એમના પતિની લાગવગ છે એમ કહેનારાને એમણે અનેક સંગીતકારોનાં ગીતો ગાઇને ચાટ પાડી દીધાં. કોઇ આઘે આઘેથી વેણુ વાય છે ને મને જતી રહું, જતી રહું થાય છે’ કે ‘મને ફાગણનું એક ફૂલ આપો કે લાલ મોરા, કેસૂડો કામણગારોજી રે’ નિનુ મઝુમદારની રચનાઓ નહોતી. કૌમુદીબહેને એ સ્ટેજ, કેસેટ, ટી.વી. વગેરે અનેક માધ્યમોથી વિખ્યાત કરાવેલી.

આ બહુમુખી સંગીત સામ્રાજ્ઞી છે ‘બાળગીતા’નું આલ્બમ બહાર પાડવું, મુસ્લિમ કવિઓને કૃષ્ણભક્તિનાં કાવ્યોનો સંગીતમય રસાસ્વાદ કરાવવો વગેરે અનેક ક્ષેત્રો એકલે હાથે ખેડેલાં છે. એમને લક્ષ્યાંકો ગોઠવવા, આયોજન કરવું. એને અમલમાં મૂકવું. તે માટે નાણાં સહિત સંસાધનો મેળવવા સંપર્કો જાળવવા વગેરે અનેક આવડતો પર હથૉટી હતી. તે સિવાય સાત સાત દાયકા સુધી સફળ શી રીતે થયા હોત? આ વ્યાવસાયિક મહિલાને સલામ.

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 15 ઑક્ટોબર 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=657648

Loading

...102030...2,1272,1282,1292,130...2,1402,1502,160...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved