Opinion Magazine
Number of visits: 9680528
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ઋણાનુબંધ’ : પન્ના નાયક

બકુલા ઘાસવાલા|Opinion - Literature|30 November 2020

“ગુજરાતી સાહિત્યની ભૂમિકા તો મારી પાસે હતી જ. પણ અહીં ફિલાડેલ્ફિયામાં રહ્યાં રહ્યાં લાઇબ્રેરીમાં નોકરી કરતાં કરતાં, પુસ્તકો જેવા અનાક્રમક મિત્રોની વચ્ચે જીવતાં જીવતાં, અચાનક એક દિવસ અમેરિકન કવયિત્રી Anne Sextonનો કાવ્યસંગ્રહ ‘Love Poems’ (૧૯૬૭) મારી આંખે વસી ગયો. એનાં કાવ્યો હું વાંચતી જાઉં અને એ વાતાવરણમાં ડૂબતી જાઉં. જાણે કે મારા ખોવાઈ ગયેલા beingનો ક્યાંક એમાં તાળો મળતો હોય એવું અનુભવતી જાઉં. ટી.વી. પર પણ જો એનો કાર્યક્રમ હોય તો કદી ન ચૂકું. એક સ્ત્રી પોતા વિશે કોઈ પણ પ્રકારના નિષેધ વિના કેટલી હદે બેધડક બયાન કરી શકે છે, એનો ખ્યાલ મને આવ્યો. એનાં કાવ્યોમાં ગર્ભાશયની વાતો, masturbation અને menstruationની વાતો એ છોછ કે સંકોચ વિના કરી શકે છે — દંભના પડદા ચીરીને. હું એ પણ સમજું છું કે આવી વાતો કરવાથી જ કવિતા નથી થતી. પણ અંદરનું કોઈ તત્ત્વ આવી વાતોની અભિવ્યક્તિ માટે ધસમસતું આવતું હોય તો કેવળ સામાજિક ભયથી એનો ઢાંકપિછોડો કરવો એ કલાકારને ન છાજે એવી કાયરતા છે.” 

— પન્ના નાયક

ગુજરાતી સાહિત્યની ઢગલાબંધ વાર્તાઓ વાંચવાનું બન્યું છે. એને સ્ત્રીની દ્રષ્ટિથી તપાસવાનું પણ બન્યું છે, તો પણ પન્નાબહેનની બિન્ધાસ્ત, પારદર્શક, વાસ્તવિકતાનું નિરૂપણ કરતી અને હળવી શૈલીમાં પણ લખાયેલી બે-ત્રણ વાર્તા સમેત પંદરેક જેટલી ડાયસ્પોરા વાર્તાઓ માટે પણ કહી શકાય જે એમણે ઉપર કવિતાઓ માટે લખ્યું છે. એટલે જ કદાચ વાર્તા, કવિતા બન્ને વિશે અભિવ્યક્તિ સાથે સાથે પણ થઈ જાય તો નવાઈ નહીં. નીના પટેલ અને દેવિકા રાહુલને પણ ડાયસ્પોરા સાહિત્યમાં પન્નાબહેન સાથે વાંચ્યાં છે. નારીવાદીઓની વિવિધ જ્ઞાતિમાં પન્નાબહેન ક્યાં બંધબેસે તે વિશે મારે વિચારવું નથી કારણ કે સ્ત્રી કેન્દ્રિત વિચારવું અને કોઈ પણ જાતના છોછ વગર લખવું એમને સહજ છે. કદાચ બંધિયાર મગજને વાંચતી વખતે હેં! પણ થઈ જાય છતાં માનવમનની ગડીઓ ઉકેલવામાં જેમને રસ હોય તેમનું બંધિયારપણું હવડ મગજનાં બારણાં ખોલી મુક્તિનો અહેસાસ કરાવી શકે.

આ વાર્તાઓ વાંચતાં વિચારું કે આ વિષય પર તો વાર્તા આવી જ નહીં અને ખૂલ જા સીમ સીમ જેવી વાર્તા પ્રગટે. વર્ષો સુધી અમેરિકા રહ્યા પછી ઘરઝુરાપાથી લઈ બે પેઢીનું અંતર અને સમન્વય, નિજી દ્રષ્ટિએ ત્યાં ઉછરતી બીજી-ત્રીજી અને હવે તો ચોથી પેઢી વિશે પણ પન્નાબહેનનાં વાર્તા, લેખો, કાવ્યો પ્રકાશ પાડે છે. બ્યાસી-ત્યાસી વર્ષે સોળ વરસની કાચી કુંવારી મુગ્ધ કન્યાની શારીરિક અને માનસિક અવસ્થાને તેઓ ઉજાગર કરતાં પોતાની વાત કહી શકે છે. પોતાનાં માતાપિતા, સંયુક્ત કુટુંબ, અમેરિકાની સ્વ-તંત્રતા, સ્વ-છંદ સાથે સમાંતર ચાલતી જવાબદારીભરી જિંદગીની એકલતા અને એકલવાયાપણાં વચ્ચે જડી જતી મનમોહક મૈત્રી અને સહવાસસભર આનંદમય ક્ષણોને ઝડપી લઈ માણતાં એમને આવડ્યું છે. બંધિયાર સમાજ વચ્ચે મુક્તિ શોધતાં એમને આવડ્યું છે કારણ કે એ પોતે મનથી જ મુક્ત છે. તેઓ જિંદગીનાં અંતિમ પડાવે નટવર ગાંધી સાથેના સહવાસને માણે છે, પ્રમાણે છે, પોતાની મનમરજી અકબંધ રાખીને જીવે છે અને લખે છે કે એમને નટવર ગાંધીમાં ‘ઈચ્છાવર’ જડ્યો છે. પોતાનાં ગુલાબ પ્રત્યેના પ્રેમને માટે તેમણે કરેલા શબ્દપ્રયોગ છે, ‘ગુલાબગાંડી’. આ ગુલાબગાંડી અને આકંઠ કાવ્યને જ્યારે સવારે ‘ઈચ્છાવર’ સોનેટ અર્પણ કરે, ત્યારે સુખની વ્યાખ્યા કરવાનું કામ જ શું છે! અહીં તો મોસમ છલકે અને સુખ પણ છલકે. પન્નાબહેન, આ તો મીઠી ઈર્ષ્યા થાય તેવું છે! 

એમની એક કવિતા જોઈએ. 

દિવાળીની રજાઓ માણવા હું દેશ ગઈ હતી.
મારાં માને, મારા બાપુને, મારાં કુટુંબીઓને,
સ્વજનોને, પરમ મિત્રોને—સૌને મળી. અરે,
મારા બાળપણના ઘરને અને હજી ય ફૂલડાં
વેરતાં મારાં વૃક્ષોને મળી. અવર્ણનીય મઝા
આવી ગઈ! હૈયું તરબતર થઈ ગયું.
અને આ બધાંમાં મારી પરદેશી નોકરી
સાવ ભુલાઈ ગઈ.
થોડા સમય પછી હું નોકરીએ પાછી આવી છું.
કમાલ એવી છે કે અહીં કોઈ મને
ઓળખતું જ નથી!
મારી boss એની એ જ. એનું મન
પુરુષનું છે ને તન સ્ત્રીનું. અતિશય મહત્ત્વાકાંક્ષી,
સૌની જેમ મને ય એ મહોરાવાળું સ્મિત
ક્યારેક આપે છે. એને ને મને ઠીક ઠીક
બને છે.
અમારા બન્નેના ઉપરી પણ હજી એ જ છે.
એક હાથે મૂછને વળ દેતા અને બીજે
હાથે પાટલૂનના ખીસાનું પરચૂરણ ખખડાવતા
આખા મકાનમાં આંટા મારી સૌને સૌની
‘duty’નો અર્થ સમજાવે છે.
મારી સાથે કામ કરતાં મીડોરી વિલ્મા, નેન્સી,
ઇલિઝાબેથ, કેની, જ્હોન, બિલ—સૌ સૌના ડેસ્ક
પર છે.
મને કોઈ ઓળખતું નથી. તદ્દન નવી,
અપરિચિત વ્યક્તિ લાગું છું. ક્યારેક કોઈક
મને સ્મિત આપે છે ત્યારે ઘડીભર … ના, ના,
એ તો સહજ formality.
હું પૈડાંવાળી ખુરશી ઘસડી મારા ડેસ્ક પાસે બેસું છું.
ડેસ્ક પરનાં મારી સામે મીટ માંડતાં પુસ્તકો, બારે માસ
તાજગી આપતો મની-પ્લાન્ટ, ડેસ્કના ડાબા ખાનામાં
સચવાયેલા પત્રો, જમણી બાજુનું ટાઇપરાઇટર અને ડેસ્ક
પર લટકતું (ગઈ એ દિવસની તારીખ બતાવતું) કૅલેન્ડર—
સૌ મને પરિચિત આવકાર આપે છે અને બોલી ઊઠે છે :
“Oh, we missed you very much.”

પન્નાબહેન ફક્ત ઘર, સ્વજનો, દેશ-વિદેશ વિશે જ પિષ્ટપેષણ કરે રાખે છે એવું લાગે પણ એમ નથી.એમનું ચિંતન સ્વથી સમષ્ટિ અને જગતના વિવિધ પ્રવાહો વિશે પણ વિસ્તર્યું છે. ખાસ કરીને સાહિત્ય સર્જન અને સંબંધિત પ્રવૃત્તિઓ, કાર્યક્રમો, પુસ્તકાલય સંલગ્ન અભિક્રમ સાથે વાસ્તવિકતાનું ચિત્રણ એમણે સુપેરે કર્યું છે. નટવર ગાંધી સાથે દેશપરદેશ પ્રવાસનો આનંદ માણ્યો તો તેની વાત પણ કરી છે. તો સમાંતર હાંસિયામાં સીમિત મુસ્લિમ સાહિત્ય કે એકતા વિષયક વર્ણનમાં મંજુબહેન ઝવેરી, શરીફા, સરૂપબહેન, સૌમ્ય જેવાં સર્જક-વિવેચકો એમને યાદ આવે છે. મનસુખભાઈ ઝવેરી, સુરેશ દલાલ, રવિશંકરજી કે ઝકિર હુસેનને પણ તેઓ અવારનવાર યાદ કરી લે છે. ઉમાશંકર જોષી, સાંઈ મકરંદ કે નારાયણકાકા જેવા અનેક દિગ્ગજોના યજમાન રહી ચૂકેલાં પન્નાબહેનને પોતાનું ફિલાડેલ્ફિયાનું ઘર એટલું હ્યદયસ્થ છે કે તેઓ એ ઘર છોડીને કાયમ માટે વોશિંગ્ટન રહેવાનું વિચારી શકતાં નથી કારણ કે એમને માટે એ માલમિલકત નથી પણ ઘર છે.

પુસ્તકમાં ગાંધીજીનો ઉલ્લેખ ધ્યાનાકર્ષક છે અને એ વિશે ખાસ્સી ચર્ચાને અવકાશ છે પરંતુ હવે હું વિચારપૂર્વક ગાંધી આચાર-વિચાર પર ચર્ચા કરતી નથી, એટલે ફક્ત નોંધ લઈ મારા લેખનું સમાપન કરીશ. પુસ્તકનું નામ ઋણાનુબંધ છે. સુરેશ દલાલને અર્પણ થયું છે. પન્નાબહેન માને છે કે એમની સર્જનપ્રક્રિયામાં સુરેશભાઈનું પ્રોત્સાહન પ્રાણવાન રહ્યું છે. ‘એકત્ર ફાઉન્ડેશન’ના અતુલ રાવલ, અપૂર્વ આશર અને હિતેન આનંદપરા, કમલ થોભાણીને એમણે ખાસ યાદ કર્યા છે. સુરેશભાઈને યાદ કરે તો આપોઆપ ‘ઈમેજ’ અને  ઉત્પલ ભાયાણી યાદ આવે જ.

આ ડિજિટલ પુસ્તક પન્ના નાયકની વિશિષ્ટ કૃતિઓનું સંકલન છે જેને ‘પન્ના વિશેષ’ કે ‘સમગ્રતામાં પન્ના સર્જન’ પણ કહી શકાય. હજી એક વાત લખવાનો લોભ રોકી શકતી નથી. પન્નાબહેનના દાદાએ ‘ઈરાવતી’ પુસ્તક લખેલું અને મારાં માનું નામ ઈરાવતી છે જેને અમે ઈરા કહીને સંબોધીએ. ઈરા અને પન્નાબહેનની ઉંમર સરખી. એટલે જ મેં પન્નાબહેનના મધરાતના પ્રશ્ન પરથી એક અનુકૃતિનું સર્જન કર્યું છે. પન્નાબહેનને નવાઈ લાગશે પરંતુ નાયક અટકનાં કારણે અનાવિલો એમને પોતાનાં જ માને છે તે એટલી હદે કે અનાવિલ સાહિત્યકારો નામનાં ગ્રંથમાં પન્ના નાયકનો સમાવેશ છે .મેં સંપાદકનું ધ્યાન દોરેલું તો પણ એમને વિશ્વાસ બેઠો નહીં પછી મને થયું કે મારું અને પન્નાબહેનનું કુળ તો એક છે તો પછી તેઓ પણ અનાવિલ કારણ કે અનાવિલનો એક અર્થ દોષ રહિત કે નિર્દોષ થાય છે. Love you. 

તો લ્યો, આ પન્નાબહેનનું પ્રથમ કાવ્ય; 

આજે ખુશ છું
કેમ, એ તો નથી સમજાતું.
આ ખુશીનો
સ્નૅપશૉટ લઈ
મઢાવી
સૂવાના ઓરડામાં ટાંગી શકાય?

પન્નાબહેન, ટાંગી જ શકાય ………

—

“AadiRaj", Behind Jalaram Temple, Halar Road, Valsad 396 001, Gujarat, India.

Loading

ટ્રમ્પિઝમ : અમેરિકન લોકતંત્ર સામેનો ખતરો

રાજેન્દ્ર દવે|Opinion - Opinion|30 November 2020

સિત્તેરીના દાયકામાં અમે રાજ્યશાસ્ત્ર ભણતા, ત્યારે તુલનાત્મક રાજકારણ – કમ્પેરેટિવ પોલિટિક્સની બોલબાલા હતી. તુલનાત્મક રાજકારણમાં રાજકીય સંસ્કૃતિ ભણાવાતી. અમે અહોભાવથી લ્યૂસિયન પાઈએ અમેરિકી રાજકીય સંસ્કૃતિ લખેલું લખાણ ભણતા ને ભણાવતા. એક પીઢ લોકતંત્રની રાજકીય સંસ્કૃતિ કેવી હોય તેનો તે નમૂનો – મૉડેલ ગણાવાતું. બસો ચુંમાળીસ વર્ષ જૂની અમેરિકન લોકશાહીની રાજકીય સંસ્કૃતિનું જે ચિત્ર અમારા મનમાં હતું તે અને આજની અમેરિકી લોકશાહીમાં ખાસ્સું અંતર છે.

છેલ્લાં ચાર વર્ષમાં, વિશેષ તો છેલ્લાં ચાર અઠવાડિયાંમાં અમેરિકા ને વિશ્વે ટ્રમ્પના, રિપબ્લિકન પક્ષના ને તેના લાખો સમર્થકોના જે આચાર જોયા, તેણે અમેરિકામાં લોકતંત્રના ભાવિ વિશે ચિંતા ફેલાવી છે. આ લખાણ લખતાં પહેલાં હું છેલ્લાં ત્રણ અઠવાડિયાંના ‘ન્યુયૉર્ક ટાઇમ્સ’, ‘વૉશિંગ્ટન પોસ્ટ’ ને ‘એટલાન્ટિક’ સામયિક ઉથલાવી ગયો. મોટા ભાગનાં લખાણો આ ચિંતાના છે. બરાક ઓબામાએ પણ છેલ્લાં અઠવાડિયાંઓમાં જે ટી.વી. કે અખબારની મુલાકાતો આપી છે, તેમાં અમેરિકાના લોકતંત્ર વિશે ચિંતા વ્યક્ત કરી છે.

થૅંક્સગિવિંગની પૂર્વસંધ્યાએ આ લખી રહ્યો છું ત્યારે બે મિનિટના અંતરે બે મુખ્ય સમાચારો ટી.વી. પર આવ્યા. એક સમાચાર અમેરિકી લોકતંત્રમાં શ્રદ્ધા જન્માવનારા છે, ને બીજા લોકતંત્રની અસરકારકતા પર આશંકા પેદા કરનારા. પ્રથમ સમાચાર છે નવા ચૂંટાયેલ પ્રમુખ જૉસેફ બાઇડનનો દેશજોગ સંદેશ. એમાં તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં ૧૫૦ મિલિયન મતદારોએ મતદાન કરીને આપણી લોકશાહી જીવતી, ધબકતી છે, તે બતાવી આપ્યું છે, ને બીજા વાક્યમાં ઉમેર્યું કે હવે આપણે સૌ સાથે મળીને કામ કરીએ. જીત્યા પછી એમણે અનેક વાર રિપબ્લિકન મતદારો સાથે સહકારની વાત કરી છે. આજે ફરી આ વાત દોહરાવી ને પેન્ડેમિકને હટાવવા સાથે કામ કરવા હાકલ કરી. બે મિનિટ પછી ટ્રમ્પનો પેન્સિલવેનિયાના સાંસદોજોગ સંદેશ આવ્યો કે તેમના રાજ્યમાં ચૂંટણીમાં બહુ ગેરરીતિઓ આચરાઈ છે. કોઈ પણ આધાર વિના તેમણે ફરી કહ્યું કે કાનૂની રીતે પડેલા મતોને આધારે તેઓ પેન્સિલવેનિયા જ નહિ, પરંતુ બધાં જ સ્વિંગ સ્ટેટ્‌સમાં જીત્યા છે. પછી વ્હાઇટહાઉસમાં આગળની રણનીતિ ઘડવા આવવા સૂચવ્યું. આ બે વિરોધાભાસી સમાચારો આજના અમેરિકાની રાજકીય સ્થિતિ બતાવે છે. બાઇડન સારી પેઠે જાણે છે કે અમેરિકાની લોકશાહી એક કટોકટીમાંથી પસાર થઈ રહી છે. સામે છેડે, ટ્રમ્પ પોતાના અંગત સ્વાર્થ ખાતર દેશના લોકતંત્રને દાવ પર મૂકી રહ્યા છે.

ખરું કે અમેરિકાની આજની કરુણ રાજકીય સ્થિતિ માટે એકલા ટ્રમ્પ જવાબદાર નથી. છેલ્લા બે દાયકાથી અમેરિકી રાજકારણમાં આત્યંતિક ધ્રુવીકરણની પ્રક્રિયા ચાલતી’તી. ટ્રમ્પ આ ધ્રુવીકરણનું વરવું પરિણામ છે. સિનિયર બુશને હરાવીને ક્લિન્ટન પ્રમુખ બન્યા ત્યારથી, ને વિશેષ તો ૧૯૯૪માં રિપબ્લિકન પાર્ટીના ન્યૂટ ગિંગરીચ નીચલા ગૃહના અધ્યક્ષ બન્યા ને ક્લિન્ટન પર મહાભિયોગ ચાલ્યો ત્યાર પછી ધ્રુવીકરણ વધ્યું. ટી.વી.માં કન્ઝર્વેટિવ રિપબ્લિકન ચૅનલો ને લિબરલ મેઇન સ્ટ્રીમ ચૅનલોએ ધ્રુવીકરણને ધાર આપી. બુશ પછી અશ્વેત ઓબામાનું આઠ વર્ષનું શાસન ને ત્યાર પછીનો શ્વેતઘાત ટ્રમ્પને સત્તા પર લઈ આવ્યા.

ટ્રમ્પ પ્રમુખ બન્યા ને જે રીતે રશિયાએ તેમને ચૂંટાવામાં મદદ કરી ત્યારથી જ અમેરિકી લોકતંત્ર વિશે ચિંતા શરૂ થયેલી. ટ્રમ્પની ચાર વર્ષની શાસન કરવાની પદ્ધતિ, પોતાની જ સરકારના ન્યાયતંત્ર ને ગુપ્તચરતંત્રને ઉતારી પાડવું કે કાવતરાબાજ કહેવું. કેબિનેટના સભ્યોને નોકરીમાંથી કાઢી મુકાતા હોય તે રીતે છૂટા કરવા. તેમને જાહેરમાં અપમાનિત કરવા, વિરોધીઓને જેલમાં પૂરી દેવાની જાહેર ધમકીઓ આપવી, બંધારણે નથી આપી તેવી સત્તા પોતા પાસે છે તેવી ઘોષણા કરવી, આ બધું આપખુદશાહી ભરેલું વર્તન હતું ને હજુ છે.

ટ્રમ્પની નીતિઓ, વિચારો ને આચારને રાજ્યશાસ્ત્રીઓ હવે ટ્રમ્પિઝમ તરીકે ઓળખે છે. આમ તો જમણેરી લોકરંજકવાદ આપણા માટે નવો નથી. તેના પર અંધરાષ્ટ્રવાદ, જાતિવાદ, ઇમિગ્રેશનનો કટ્ટર વિરોધ, લઘુમતીઓને કચડવાનો મસાલો ભભરાવો, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે યુનિલેટરાલિઝમ ઉમેરો. વૈશ્વિકીરણનો વિરોધ કરવો. આપખુદશાહી ને જાતિવાદી શાસકો પ્રત્યે મમત્વ બતાવો. ટ્રમ્પિઝમની મુખ્ય ખાસિયત છે દરેક વિરોધી વ્યક્તિ કે વિચાર કે ઘટનામાં કાવતરાં જોવાં ને અન્યને તેમાં મનાવવું. ટ્રમ્પના વિચારો ને વાતોનું આકર્ષણ આવા જ લોકોને છે. જેમને બૌદ્ધિક રીતે વિચારવા કરતાં બધે કાવતરાં દેખાય છે. ટ્રમ્પના રાજકીય ઉભારનો મુખ્ય મુદ્દો ઓબામાના જન્મસ્થળના કાવતરાનો જ હતો. ઓબામા પ્રમુખ રહ્યા ત્યાં સુધી તેમણે તે અમેરિકામાં નથી જન્મ્યા તે મુદ્દો ચલાવે રાખ્યો. ૨૦૧૬ની ચૂંટણી સમયે ટ્રમ્પના ૬૦ ટકાથી વધુ સમર્થકો માનતા હતા કે ઓબામા અમેરિકામાં નથી જન્મ્યા.

કોઈ પણ પ્રકારના આધાર વગર અસત્ય ફેલાવવાની કળામાં ટ્રમ્પ માહેર છે. સત્ય ને તથ્ય સાથે તેમને વેર છે. અસત્ય બોલવામાં ને આચરવામાં તેમને કોઇ છોછ નથી. ચૂંટણીમાં બાઇડન કરતાં ૬૦ લાખ મતે પાછળ હોવા છતાં ને ઇલેક્ટોરલ કૉલેજમાં પણ પાછળ હોવા છતાં તે પોતાની હાર કબૂલવા તૈયાર નથી. અલગ-અલગ રાજ્યની કોર્ટમાં ત્રીસ કેસમાં તે હારી ગયા હોવા છતાં પોતે કાનૂની મતોથી જીત્યા છે, તે ગાણું એમણે ચાલુ રાખ્યું છે. આમ કરવાથી તેમને બે ફાયદા છે, એક તો તેમના સમર્થકોમાં આ માન્યતા ચાલુ રહે કે ખરેખર તેમને કોઈ કાવતરાંને કારણે હરાવાયા છે. એક મોજણી પ્રમાણે ૭૦ ટકા ટ્રમ્પસમર્થકો માને છે કે બાઇડન કાવતરું કરીને જીત્યા છે. બીજું જે અમેરિકી લોકતંત્ર માટે વધુ જોખમકારક છે તે એ કે ચૂંટણીઓમાંથી લોકોનો વિશ્વાસ હટાવી દેવો.

નોંધવું જોઈએ કે ટ્રમ્પને ૭૪૦ લાખ મત મળ્યા છે, જે આ પૂર્વે બાઇડન સિવાય કોઈને નથી મળ્યા. ૨૦૨૪ની ચૂંટણીમાં ફરીથી ઊભા રહેવા માટે આ સમર્થન જરૂરી છે. બીજું કે આટલા સમર્થન સાથે ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટી પરની પોતાની પકડ ચાલુ રાખી શકે. એમાં કોઈ આશ્ચર્ય નથી કે મોટા ભાગના રિપબ્લિકન નેતાઓ બાઇડનના વિજયને અંગત રીતે સ્વીકારતા હોવા છતાં મીંઢું મૌન રાખીને બેઠા છે. ઘણાને ટ્રમ્પ સાથે વેર રાખવું પોસાય તેમ નથી. બીજી બાજુ એવા પણ રિપબ્લિકન નેતાઓ છે, જેમણે ચૂંટણીપૂર્વે જ બાઇડનનું સમર્થન કરેલું ને બીજા એવા પણ છે, જેમણે ચૂંટણી પછી બાઇડનનું સમર્થન કર્યું છે. રિપબ્લિકન પાર્ટીમાં આ લોકોનું શું સ્થાન હશે તે આગામી થોડા સમયમાં નક્કી થશે. જોવાનું એ રહ્યું કે રિપબ્લિકન પાર્ટી એક રહે છે કે તેમાં ભંગાણ પડે છે.

એ નક્કી છે કે ટ્રમ્પ ના હોય તો પણ ટ્રમ્પિઝમ હમણાં તો અમેરિકી રાજકારણનો ભાગ છે. અમેરિકી લોકતંત્ર પર જમ ઘર ભાળી ગયાનો હાઉ રહેવાનો.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2020; પૃ. 03

Loading

તંત્રોની અને પ્રજાની બેદરકારી કોરોના કરતાં પણ વધારે ભયંકર છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|30 November 2020

આપણાં તંત્રો મતલબી ને પ્રજા બેદરકાર છે. આ પ્રજા જીવને જોખમે પણ, બેદરકારી દાખવવામાં જરા ય શરમાતી કે અચકાતી નથી. કોરોના એકંદરે કાબૂમાં આવ્યો હતો. કેસ ઘટવા માંડ્યા હતા. તઘલખી સરકાર પર દયા આવતાં કોરોનાને જ એમ થયું કે હવે ઘટવું જોઈએ એટલે એ ઘટવા માંડ્યો, પણ પ્રજા એમ એને ઘટવા દે? તેણે કોરોનાને કહ્યું કે અમે ઘટીશું, પણ તને ઘટવા નહીં દઈએ. સરકાર બરાબર જાણતી હતી કે દિવાળી આવી રહી છે ને લોકો રસ્તે આવી ગયા હોય તો પણ, રસ્તે ઊતરી પડવાના છે, પણ તેણે ચાલવા દીધું ને ટેવ પ્રમાણે સરકારી રાગ – માસ્ક, અંતર અને સેનેટાઈઝેશનનો આલાપ્યા કર્યો. લોકોને એવું થઈ ગયું કે કોરોનાથી કૈં થવાનું નથી, એટલે દિવાળી વખતે ઠેર ઠેર રસ્તે ઠલવાઈ ગયા. સરકાર લોકો માટે કોરોનાથી સાવચેતીનું રટણ કરતી રહી ને લોકો તેના તરફ ધ્યાન આપ્યા વગર મનમાની કરતા રહ્યા. પછી કોરોના ન વકરે એવું તો કેમ બને? તેણે પણ તેની જાત બતાવવા માંડી. રોજના 1,500થી 1,600 લોકો સંક્રમિત થવા લાગ્યા ને મરણનો આંકડો રોજનો પંદર સત્તર પર પહોંચવા લાગ્યો.

સરકાર આમ તો જાગતી જ હતી, તેમાં ફરી જાગી ને રઘવાઈ થઈને નિર્ણયો લેવા લાગી. 23મીથી સ્કૂલ-કોલેજો ખૂલી જશે એવું ડંકેકી ચોટ પર 5 વાગે કહ્યું ને સાત વાગે કહ્યું કે નહીં ખૂલે. આવું શેખચલ્લી જેવુ તો થતું જ રહે છે. એકદમ શુક્રવાર, 20મી નવેમ્બરથી અમદાવાદમાં રાત્રિ કરફ્યુ લાગશે તેવું કહ્યું ને તે ઠીક ન લાગ્યું તો શુક્રવાર રાતથી જ સોમવાર સવાર સુધીનો કરફ્યુ ઠોકી દીધો. એની સાથે જ સુરત, વડોદરા, રાજકોટની મહાનગરપાલિકાઓએ પણ ઘેટાંની ચાલે શુક્રવારથી રાત્રિ કરફ્યુનો ખેલ પાડી દીધો. આમાં શું છે કે લાંબું વિચારવાનું હોય તો પણ, તેવી શક્તિ ન હોવાથી ઉપરથી હુકમો છૂટે તેમ તેમ કારીગરો કામે લાગતાં હોય છે. બાકી આ અક્કલ તહેવારોમાં ચાલી હોત તો પ્રજાની મુશ્કેલીઓ વધી ન હોત. લોકો પર કાબૂ પહેલાં મેળવવાનો હતો તેને બદલે ઘોડા ભગાડીને તબેલાને તાળાં મારવા જેવું તંત્રોએ કર્યું.

રસીનું પણ રેઢિયાળ રીતે જ બધું ચાલી રહ્યું છે. કોઈ ચોક્કસ ને અસરકારક રસી હાથ લાગી નથી તે પહેલાં મહિનાઓથી તેના દાખલા ગણાયા કરે છે ને લોકો વારંવાર છેતરાયાની લાગણી અનુભવે છે તે ઠીક નથી. આગોતરી વ્યવસ્થા થાય તેનો વાંધો નથી, પણ આ આખા વેપલામાં કામ ઓછું ને દેખાડો વધારે છે. લગ્ન વખતે વાડી, કપડાં, કંકોતરી ને કન્યાની વ્યવસ્થા વિચારાય તે સમજી શકાય, પણ બાળક જનમ્યું જ ન હોય ને કોઈ વરઘોડો કાઢે તો શું થાય તે કહેવાની જરૂર નથી. આ તો મરવા પહેલાં જ ખભે ધોતિયાં નાખ્યાં કરતાં હોય એવું વધારે છે.

થોડા મહિનાઓ પહેલાં સુરતના એક ટ્યૂશન ક્લાસમાં આગ લાગેલી અને થોડાં બાળકો તેમાં ભડથું થઈ ગયેલાં તે યાદ છે? એ પછી તંત્રોમાં જે જીવ આવેલો તે પણ ખબર હશે જ. બધા ક્લાસો પર તવાઈ આવેલી ને ફાયર સેફ્ટીનાં સાધનો વસાવવાની ઝુંબેશ ચાલેલી તે પણ બધાં જાણે છે. એની વિગતો હજી થોડે થોડે દિવસે છાપાંઓમાં આવતી રહે છે. હજી આવશે ને પછી બધું પેલાં મરેલાં બાળકોની રાખમાં ઢબૂરાઈ જશે. એમાં જેનું બાળક ગયું તે સિવાય ક્યાં ય કોઈ કાંગરો ખર્યો નથી. ધારો કે ફરી આગ લાગે છે તો બાળકોનું રક્ષણ થાય એવી વ્યવસ્થા હવે થઈ છે? ના. વ્યવસ્થાનું નાટક એ જ એક મોટી વ્યવસ્થા છે ને બીજો બનાવ બને તો વળી નવી તપાસનું નાટક ચાલશે ને એમ ચાલ્યા કરશે.

આવું ખાતરીથી કહેવાનું એટલે બને છે કે આગની સંખ્યાબંધ ઘટનાઓ ગુજરાતનાં શહેરોમાં બનતી આવી છે અને આપણાં નઘરોળ ને નિર્લજ્જ તંત્રો ગેંડાને શરમાવે એવી જાડી ચામડીથી નફ્ફટની જેમ કામ કરી રહ્યાં છે અથવા તો કામનો દેખાવ કરી રહ્યાં છે. તંત્રોને કોઈ ફરક પડતો નથી. ગયા ઓગસ્ટમાં અમદાવાદની કોવિદ હોસ્પિટલમાં આગ લાગેલી અને કોરોનાના આઠેક દરદીઓ એમાં મૃત્યુ પામેલા. તંત્રો જરાતરા સળવળ્યાં ને વળી ઢબૂરાઈ ગયાં. એ પછી ગઈ 28 નવેમ્બરે છાપાંઓમાં રાજકોટની એક કોવિદ હોસ્પિટલમાં આગ લાગી ને વેન્ટિલેટર પર મૂકાયેલાં પાંચ કોરોના દરદીઓ બેડ પર જ ભડથું થઈ ગયા. આ થયું એટલે તંત્રો વળી રાબેતા મુજબ જીવતાં થયાં. તપાસનું નાટક ચાલ્યું ને વળી ચાલશે. એ સાથે જ બીજા શહેરોમાં ફાયર સેફ્ટીનાં સાધનોની તપાસનું ચક્કર પણ ચાલું થયું છે. ક્યાંક મોક ડ્રીલ પણ શરૂ થઈ છે. એમાં સમિતિની રચનાઓનું નાટક પણ ખરું. થોડાં દિવસ વળી તપાસ-તપાસની ચલકચલાણી રમાશે ને બીજી દુર્ઘટના બને ત્યાં સુધી ફરી પૂર્ણવિરામ મૂકાઈ જશે. આ બધું પાછું મરેલાંની છાતી પર ચાલે છે તે સૌથી વધુ કઠે એવું છે.

કોરોના હોય તેવા દરદીઓ હોસ્પિટલે જવા બહુ તૈયાર થતા નથી, કારણ મરી જવાનો એમને ભય લાગે છે. એમને કહી શકાય કે ચિંતા ના કરો. હોસ્પિટલે ગયા પછી કોરોનાથી જ મરાય એવું નથી, કોરોનાથી તો કદાચને બચી પણ જવાય, પણ આગમાં બળી મરાય એવી જોગવાઈ હોસ્પિટલોએ કરી છે. એટલે હોસ્પિટલો હવે રોગથી જ મારે એવું નથી, તે અકસ્માતે પણ ભોગ લે એ શક્ય છે. આ અકસ્માત ટાળી શકાયો હોત, પણ ટાળવાની દાનત જ ન હતી. અમદાવાદનો, ઓગસ્ટનો હોસ્પિટલમાં આગ લાગવાનો દાખલો સામે હતો જ, પણ તેમાંથી કૈં જ શીખવાનું ન થયું, જો બોધપાઠ લેવાયો હોત તો રાજકોટની ઘટના ટળી હોત. પણ એ ઘટના બને એટલે પણ શીખવાનું ન બને એમ બને ને ! ને આ કૈં એક બે ઘટનાઓ પૂરતું જ સીમિત છે એવું ક્યાં છે? છેલ્લા ત્રણ મહિનામાં માત્ર હોસ્પિટલમાં જ આગ લાગવાની સાત ઘટનાઓ રાજ્યમાં બની છે એ પરથી પણ ખ્યાલ આવે એમ છે કે અમદાવાદની ઘટના પરથી બોધપાઠ લેવાયો હોત તો બાકીની ઘટનાઓ નિવારી શકાઈ હોત, પણ ખાટલે મોટી ખોડ એ છે કે તંત્રો જીવ વગર જ કામ કરે છે. એનામાં યંત્રો જેટલી સક્રિયતા પણ ઘણીવાર હોતી નથી. ફાયર સેફ્ટીનાં સાધનો વસાવવાનું કહ્યું છે તો તે વસાવી દેવાશે, પછી એનું મેઇન્ટેનન્સ એ જાણે એની જવાબદારી જ ન હોય એવી રેઢિયાળ રીતે કામ ચાલતું રહે છે. જવાબદારી કોઈ લેતું નથી, પણ જવાબદારીની ઢોળાઢોળ બધાંને જ આવડે છે. સમિતિઓની રચના થતી રહે છે ને કાળજી એટલી રખાય છે કે રિપોર્ટ બને એટલો મોડો આવે ને તથ્યોને વફાદાર ન હોય. બધી બાજુએથી ભીનું સંકેલાય એ માટેના પ્રયત્નો થતા રહે છે.

આગ લાગવાનુ કારણ નથી જડતું ત્યારે શોર્ટ સર્કિટ એ હાથવગું બહાનું છે. સતત બેદરકારી રાખવી, આર્થિક લાભ સિવાય બધું જ ગૌણ ગણવું ને સજીવ વ્યક્તિનું કોઈ જ મૂલ્ય ન આંકવું એ તંત્રોની અને પ્રજાની નિકૃષ્ટ કોટિની માનસિકતા રહી છે ને એમાં નિર્દોષ માણસોનો ભોગ લેવાતો રહે છે. માણસ સજીવ છે, પણ તે મૃતક્નો આંકડો હોય એ રીતે જ ઘણાં તેની સાથે વર્તતાં હોય છે. જેની પાસે સત્તા અને સંપત્તિ છે તે કોઈ પણ રીતે પોતાનું વર્ચસ્વ સ્થાપવા મથે છે ને જેની પાસે ઓછું છે તે વેઠવામાં જ જન્મારો પૂરો કરે એવી વ્યવસ્થા છે. મૃત્યુ પણ હવે માણસોને ડરાવતું નથી ને કોઈ જીવે કે મરે એની ચિંતા હવે તંત્રો કે લોકો ખાસ કરતા નથી. આ સંવેદનહીનતા એ આ સદીનો કોરોના કરતાં પણ ભયંકર રોગ છે ને તે વધારે ઘાતક છે. માણસ એટલે ત્રણચાર લાખ રૂપિયા આટલી જ વ્યાખ્યા માણસની બચી છે. એટલે જ તો સરકાર ગાય-કૂતરાને નાખતી હોય તેમ બે પાંચ લાખ મૃતકને આપીને છૂટી જતી હોય છે, કેમ જાણે મરનાર વ્યક્તિ એ બે પાંચ લાખ લેવા જ મરી હોય ! એટલે જ એક મરનારની બહેને કહેવું પડ્યું કે ચાર લાખ તો શું, ચાર કરોડ અપાય તો પણ મારો ભાઈ પાછો આવવાનો નથી. લાગે છે કે બધાં સરકારી મદદ મળે એટલાં પૂરતાં જ આતુર હોય છે?

એ ખરું કે સરકારનો હેતુ મદદ કરવાનો જ હોય છે, પણ તે જે રીતે અપાય છે એમાં મરનારનું માન જળવાતું નથી. આ બધું યાંત્રિક રીતે, વેઠ ઉતારવા થતું રહે છે તે બરાબર નથી.

એ અત્યંત દુખદ છે કે મનુષ્યની સજીવ તરીકેની કિંમત તેનાં મૃત્યુ પછી અપમાનજનક રીતે લગાવાતી હોય છે. વધારે શું કહેવું? સબ કો સન્મતિ દે ભગવાન …

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : લેખકની ‘આજકાલ’ નામક કટાર, “ધબકાર” દૈનિક, 30 નવેમ્બર 2020  

Loading

...102030...2,1122,1132,1142,115...2,1202,1302,140...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved