Opinion Magazine
Number of visits: 9747662
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ફરી ન આવીશ:

મૂકેશ પરીખ|Opinion - Opinion|28 December 2020

ફરી ન આવીશ:

હે ૨૦૨૦, તું રહમ કર,
જરાક તો તું શરમ કર.
હજી કેટલાં જુલમ કરીશ?
ખબરદાર જો પાછો ફરીશ!

———————————

માનવજાતિના હાલ:

કેટલાયને તેં બિમાર કર્યા,
હજારોને તેં બેકાર કર્યા,
બેશરમીની હદ કરી તેં,
લાખોને નિરાધાર કર્યા!
હે ૨૦૨૦, તું રહમ કર!

એકવાર જઈને જોઈ લે,
નાનાં ભૂલકાંઓ સંગ રોઈ લે.
વૃદ્ધાશ્રમમાં નજર કરી છે?
લાચારીએ માઝા મૂકી છે.
હે ૨૦૨૦, તું રહમ કર!

———————————

ભણતરના હાલ:

વિદ્યાલયોને તાળા લગાવ્યા,
વિદ્યાર્થીઓને દી’રાત રડાવ્યા,
શિક્ષકો પણ કરગરી રહ્યાં,
શાને સહુનાં વરસ બગાડ્યાં?
હે ૨૦૨૦, તું રહમ કર!

———————————

રોજગારના હાલ:

કાર્યાલયો સાવ ભેંકાર છે,
કારીગરો પણ બેકાર છે,
સ્થગિત કરી નાંખ્યું જનજીવન તેં,
સહુ પરિવારો લાચાર છે.
હે ૨૦૨૦, તું રહમ કર!

———————————

ઋગ્ણાલયોના હાલ:

ખાટલાઓની તાણ છે,
દવાઓની ય મોંકાણ છે,
તબીબોની તો વાત ન પૂછો,
બુકાની (માસ્ક) પાછળ ભગવાન છે!
હે ૨૦૨૦, તું રહમ કર!

———————————

ધર્મસ્થાનોના હાલ:

મંદિરોની દશા ખરાબ છે,
દેવાલયે પાદરી ઉદાસ છે,
મસ્જિદોની તો વાત ન પૂછો,
ખુદાના બંદા નાસીપાસ છે.
હે ૨૦૨૦, તું રહમ કર!

——————————-

સામાજિક સ્થાનોના હાલ:

રેસ્ટોરન્ટમાં પાંખી હાજરી,
મયખાને ય હડતાળ છે,
ઘરખૂણે જ બેઠા છે ‘મૂકેશ’
ઘરઘરમા આવા હાલ છે.
હે ૨૦૨૦, તું રહમ કર!

——————————

ડિસેમ્બર ૪, ૨૦૨૦

e.mail : mparikh@usa.com

Loading

સત્યનો સ્વીકાર કરવામાં જ સાચો દેશપ્રેમ અને સાચો રાષ્ટૃવાદ !

રમેશ ઓઝા|Opinion - Opinion|27 December 2020

ગાંધીજીનું ૧૯૧૫માં ભારતમાં આગમન થયું અને માત્ર ચાર જ વર્ષમાં, ૧૯૧૯-૧૯૨૦માં અપવાદ વિના ભારતના પ્રત્યેક નેતાને નિર્ણય લેવાનો વારો આવ્યો કે આ માણસનું કરવું શું? એમની સાથે જવું? એમનો વિરોધ કરવો? એમનાથી જુદા પડીને પોતાને રસ્તે ચાલવું કે પછી રાજકારણને રામરામ કરવા? વિકલ્પ આ ચાર જ હતા, પાંચમો કોઈ વિકલ્પ નહોતો. ભારતના દરેકે દરેક નેતાએ ચાર વિકલ્પમાંથી એક વિકલ્પ પસંદ કરવો પડે એમ હતો. ભારતીય રાજકારણમાં આવું આ પહેલાં ક્યારે ય નહોતું બન્યું.

કનૈયાલાલ મુનશીએ તેમની આત્મકથામાં અને ‘આય ફૉલો ધ મહાત્મા’ નામના અંગ્રેજી પુસ્તકમાં એક પ્રસંગ નોંધ્યો છે. એની બેસન્ટે ૧૯૧૬માં ‘ઑલ ઇન્ડિયા હોમ રુલ લીગ’ નામના પક્ષની સ્થાપના કરી હતી. એ જમાનામાં કૉંગ્રેસની સમાંતરે અને કૉંગ્રેસ અંતર્ગત રાજકીય પક્ષો સ્થપાતા હતા અને વિલીન થતા હતા. ‘ઑલ ઇન્ડિયા હોમ રુલ લીગ’ આવો એક પક્ષ હતો જેમાં એની બેસન્ટ અને તેમની ધરપકડ કરવામાં આવી એ પછી મહમદઅલી ઝીણા સર્વેસર્વા હતાં. ટૂંકમાં લીગનું નેતૃત્વ વિનીતોના હાથમાં હતું. એ દરમિયાન ગાંધીજીએ સતત ભારતભ્રમણ કર્યું, બનારસનું ભાષણ થયું, ચંપારણનો સત્યાગ્રહ થયો, ખેડાનો સત્યાગ્રહ થયો, અમદાવાદમાં મિલ કામદારોની હડતાળનું ગાંધીજીએ નેતૃત્વ કર્યું (જેમાં સારાભાઈ પરિવારનાં ભાઈ-બહેન સામસામે આવી ગયાં), સત્યાગ્રહ આશ્રમની સ્થાપના થઈ, ભારતની પ્રજાને ગાંધીજીની નિર્ભયતા તેમ જ નિર્વૈરતાનો પરિચય થયો અને ૧૯૧૯ના ડિસેમ્બરમાં કૉંગ્રેસના અમૃતસર અધિવેશનમાં ગાંધીજીએ ભાષણ કરીને ઠરાવ ઊલટાવ્યો હતો, એમ ઘણું બધું બન્યું હતું.

કનૈયાલાલ મુનશી લખે છે કે ‘ઑલ ઇન્ડિયા હોમ રુલ લીગ’નું નેતૃત્વ ગાંધીજીને સોંપવું જોઈએ એવું દબાણ નીચેથી કાર્યકર્તાઓ તરફથી આવવા લાગ્યું અને તેને ખાળવાની શક્તિ ઝીણા સહિત કોઈનામાં નહોતી. આ સિવાય લીગની હવે કોઈ ખાસ પ્રાસંગિકતા જ બચી નહોતી. ગાંધીજી પાસે લીગનું નેતૃત્વ સ્વીકારવાની વિનંતી લઈને જે નેતાઓ ગયા એમાં કનૈયાલાલ મુનશી પણ હતા. મદ માટે જાણીતા મહમદઅલી ઝીણા દેખીતી રીતે વિનંતી લઈને જનારાઓમાં નહોતા, પરંતુ તેમણે પણ સંમતિ આપવી પડી હતી. મુનશી લખે છે કે ગાંધીજીએ લીગનું નેતૃત્વ કરવાની તેમની વિનંતી માન્ય રાખીને લીગની કાયાપલટ કરવાની જે રૂપરેખા રજૂ કરી એ જોઇને સમજાઈ ગયું કે આ પ્રેમ અને કરુણાની મૂર્તિ શક્તિનો ધોધ છે, અને એનાથી તણાયા વિના ટકી રહેવું અશક્ય છે. મારી પાસે બે જ વિકલ્પ હતા; કાં પ્રવાહમાં પ્રવાહપતિત બનવું અને કાં વકીલાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું. મેં બીજો રસ્તો અપનાવ્યો. પ્રવાહની તાકાત સામે ટકી રહેવું આસાન નહોતું.

મુનશીએ આવો નિર્ણય લીધો એમાં અમૃતસરની ઘટનાએ પણ ભાગ ભજવ્યો હતો જેનો અછડતો ઉલ્લેખ આગળ કરવામાં આવ્યો છે. જલિયાંવાલા બાગની ઘટના પછી અમૃતસરમાં મોતીલાલ નેહરુની અધ્યક્ષતામાં કૉંગ્રેસનું અધિવેશન મળ્યું હતું. એ અધિવેશનમાં એક ઠરાવ ચર્ચા માટે રજૂ કરવામાં આવ્યો હતો જેમાં બર્બર હિંસા કરીને પ્રજાનું દમન કરવા માટે સરકારની તો નિંદા કરવામાં આવી હતી, પરંતુ દેખાવો કરતી વખતે સંયમ નહીં જાળવવા માટે લોકોની પણ નિંદા કરવામાં આવી હતી. એ ઠરાવ પરની ચર્ચામાં એક વક્તાએ સુધારો સૂચવ્યો કે ઠરાવમાં ભારતીય પ્રજાની નિંદા કરવામાં આવી છે એ હિસ્સો હટાવી દેવો જોઈએ. એ પ્રભાવી વક્તાના એક વાક્યે શ્રોતાઓ ઉપર જાદુઈ અસર કરી હતી. તેણે કહ્યું હતું કે જે માણસે ભારતીય માતાનું દૂધ પીધું હોય એ ભારતમાતાના સંતાનની નિંદા કરી જ ન શકે. એ ઉદ્ગાર પછી મૂળ ઠરાવમાંનો ભારતીય પ્રજાની સંયમ નહીં જાળવવા માટેની નિંદાનો હિસ્સો ઉડાવી દેવાનો સુધારો મંજૂર રાખવામાં આવ્યો. સભામંડપમાં રાષ્ટ્રવાદનું જાણે કે તુફાન આવ્યું હતું.

બીજા દિવસની બેઠકમાં પ્રમુખ મોતીલાલ નેહરુએ કહ્યું કે ગઈકાલના ઠરાવ વિષે ગાંધીજી કાંઈક કહેવા માગે છે. ગાંધીજીની તબિયત સારી નહોતી એટલે બેસીને બોલ્યા. તેમણે કહ્યું કે તેઓ ગઈ આખી રાત સૂઈ નહોતા શક્યા. એક તો એ કે ભારતીય માનું દૂધ પીધેલો કોઈ ભારતીય ભારતીય પ્રજાની નિંદા કરતું કથન લખી જ ન શકે, એમ કહીને ગઈકાલના વક્તાએ એની બેસન્ટને અન્યાય કર્યો છે. ઘણા લોકોએ એમ માની લીધું હશે કે ઠરાવનો મુસદ્દો મિસીસ બેસન્ટે ઘડ્યો હોવો જોઈએ, કારણ કે તેઓ ભારતીય નથી વિદેશી છે. આ મિસીસ બેસન્ટનું અપમાન છે. રાતે સૂઈ નહીં શકવાનું બીજું કારણ એ કે શું ભારતીય માતાનું દૂધ પીધેલો પુત્ર ભારતમાતાના સંતાનોએ કરેલી ભૂલની નિંદા કરી જ ન શકે? એ પછી ગાંધીજીએ કહ્યું કે મને તો એમ લાગે છે કે જેણે ભારતીય માતાનું ધાવણ ધાવ્યું હોય એ જ પોતાની અને પોતાનાઓની નિંદા કરી શકે. સાચી બહાદુરી સત્યનો અસ્વીકાર કરવામાં નથી, સ્વીકાર કરવામાં છે. સાચો દેશપ્રેમ અને સાચો રાષ્ટ્રવાદ આમાં રહેલો છે. આ મુસદ્દો મેં ઘડ્યો, કારણ કે મેં ભારતીય માતાનું દૂધ પીધું છે અને મારી અરજ છે કે આપણી પોતાની નિંદા સહિતનો ઠરાવ પસાર કરવામાં આવે.

કહેવાની જરૂર નથી કે મૂળ ઠરાવ એના એ સ્વરૂપમાં પસાર થઈ ગયો હતો. મુનશી તેમનાં પુસ્તક Pilgrimage to Freedom’ લખે છે; “For a best part of an hour, he kept us spell-bound. The magic influence of his words and his presence swept us off our feet. When he stopped, we were at his feet.”

કનૈયાલાલ મુનશીને બે સમસ્યા હતી. એક તો તેમની જીવનશૈલી એવી હતી કે તેમને પ્રજાની વચ્ચે જીવવાનું, રગદોળાવાનું અને સંઘર્ષ કરીને જેલમાં જવાનું ગાંધીપ્રણિત નવું રાજકારણ માફક આવે એમ નહોતું. હવે એ દિવસો ગયા જેમાં અંગ્રેજીમાં બોલનારા, સુવિધાયુક્ત જિંદગી જીવનારા, નાતાલના વેકેશનમાં કૉંગ્રેસના અધિવેશનો બોલાવનારા અને તેમાં ઠરાવો કરનારા વિનીત વકીલોની બોલબાલા હતી. હવે તો ચોવીસે કલાક અને બારે માસ આમ આદમીની વચ્ચે રહીને આમ આદમીની ભાષામાં રાજકારણ કરવું પડે એમ હતું. મુનશી, ઝીણા અને એમના જેવા બીજા અનેક લોકો હતા જેમણે જાહેરજીવનમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી અને અદાલતમાં પાછા જતા રહ્યા હતા. ઝીણા લંડનમાં વકીલાત કરતા હતા અને ૧૬ વરસ પછી ભારત પાછા ફર્યા હતા અને એ પણ ત્યારે જ્યારે મુસ્લિમ બનીને રાજકારણ કરવાની અનુકૂળતા નજરે પડી હતી.  

કનૈયાલાલ મુનશીને બીજી સમસ્યા એ નડતી હતી કે તેઓ હિંદુ ઐશ્વર્યજન્ય ભારતીય રાષ્ટ્રવાદ માટે આકર્ષણ ધરાવતા હતા અને તેનો રોમાંચ હતો, પણ સામે ગાંધીનો રાષ્ટ્રવાદ સત્યનિષ્ઠ હતો. ભારતીય (કે હિંદુ) માનું ધાવણ ધાવેલા ઐશ્વર્યવાન હિંદુની સ્વપ્નરંજકતા ગાંધીજીના સત્યનિષ્ઠ નરવા રાષ્ટ્રવાદ સામે અથડાતી હતી. મુનશી અને તેમના જેવા બીજા અનેક લોકો હતા જેઓ ઐશ્વર્યની સ્વપ્નરંજકતા છોડી નહોતા શકતા, તેમને માટે ગાંધીજીને છોડવા સિવાય બીજો કોઈ માર્ગ નહોતો રહ્યો. જો કે હકીકત એ પણ છે કે કેટલાક હિંદુ ઐશ્વર્યજન્ય સ્વપ્નરંજક રાષ્ટ્રવાદીઓમાંથી જે લોકો સાદગી અને સંઘર્ષમય જીવન અપનાવી શકતા હતા એ લોકો ગાંધીજી પાસે આવી ગયા હતા. ગાંધીજીથી દૂર રહીને જાહેરજીવન અશક્ય નહીં તો અઘરું તો  હતું જ. હું અહીં એમ નહીં કહું કે એ બધા ઢોંગી હતા, પરંતુ વિસંગતિ તો હતી જેણે ગાંધીજીને પરાજીત કરવામાં ફાળો આપ્યો હતો.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 27 ડિસેમ્બર 2020

Loading

આપણને દરેકને ઇચ્છાશક્તિનું બળ મળજો

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|27 December 2020

ગુજરાતી સાહિત્ય પરિષદના 50માં અધિવેશનમાં, અતિથિ વિશેષ તરીકે આપેલું પ્રવચન [27 ડિસેમ્બર 2020] :-

આદરણીય સિતાંશુભાઈ, આદરણીય પ્રકાશભાઈ, આદરણીય પ્રફુલ્લભાઈ તેમ જ હમસફર દોસ્તો,

એકસો પંદરની આવરદાએ પહોંચેલી ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નું આ પચાસમું અધિવેશન છે, પરંતુ પહેલવહેલું ‘વર્ચ્યુઅલ’ – ઑનલાઈન અધિવેશન. અને રા.વિ. પાઠક સભાગૃહમાં મળતાં આ અધિવેશન સારુ અતિથિ વિશેષ તરીકે મને નોતર્યો છે, તે ફક્ત મારું જ નહીં, બલકે આશરે અડધી સદીથી કાર્યરત વિલાયત માંહેની અમારી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નું તેમ જ ગુજરાતી ડાયસ્પોરે થતાં અનેકવિધ કામોનું ય બહુમાન હોવાનું સમજું છું. પરિસ્થિતિ તો જુઓ, સાહિત્યકારના દાયરામાં હું આવતો નથી, પત્રકારને નાતે લેખક હોઈશ તો હોઈશ; પણ અહીંની અકાદમીનો કાર્યભાર સંભાળતા સંભાળતા મને ય ભાષા-સાહિત્ય-સંસ્કૃતિનો જબ્બર નેણો લાગ્યો છે, તે કબૂલ.

પરિષદ જોડેના સીધા લગાવને હવે છપ્પન-સત્તાવન વર્ષ થશે. દશેક અધિવેશનોમાં હાજર પણ રહ્યો હોઈશ. સન 1981માં હૈદ્રાબાદ અધિવેશનમાં દિવંગત મિત્ર હરીન્દ્ર દવેના સૂચને તત્કાલીન પરિષદ પ્રમુખ મનુભાઈ પંચોળી ‘દર્શકે’ વિલાયતની વાત રજૂ કરવા કહેલું તે સાંભરી આવે છે. તે ઘડીથી ‘દર્શક’ જોડે અને તત્કાલીન મહા મંત્રી રઘુવીર ચૌધરી જોડે અંગત અનુસંધાન થયું તે સતત, ચન્દ્રકલા શું, મહોરતું રહ્યું. સન 1986 વેળા અમરેલી જ્ઞાનસત્ર ટાંકણે અમારી અહીંની રજૂઆતની પછીતે ઉમાશંકરભાઈ જોશીએ જાહેરમાં પીઠ થાબડેલી તે ય સાંભરી આવે છે. 1989ના રાજકોટ અધિવેશનમાં જયન્તભાઈ મ. પંડ્યા, વસુબહેન ભટ્ટ, વર્ષાબહેન અડાલજા તેમ જ અન્યો સંગાથે જાહેરમાં રમૂજનો ફુવાર કરતાં રહેલાં તે ય હવે પડઘાય છે. 1995ના જામનગર અધિવેશનમાં તો તે વેળાના મહા મંત્રી પ્રકાશ ન. શાહે તો નાદુરસ્તીને કારણે ન આવી શકેલા પ્રાધ્યાપક ચી.ના. પટેલને ઠેકાણે, છેલ્લી ઘડીએ મીરાંબહેન ભટ્ટ જોડાજોડ વક્તા તરીકે મને બેસાડી દીધેલો તે કેમ ભુલાય ?

વળતી સાલનું અધિવેશન અમારા માટે ઐતિહાસિક અધિવેશન બનતું હતું. એક પા તત્કાલીન ઉપપ્રમુખ જયન્ત મ. પંડ્યા અને તત્કાલીન મહા મંત્રી પ્રકાશ ન. શાહ જોડે અમે અધિવેશન પ્રમુખ નિરંજનભાઈ ભગતને સાથે રાખીને, કાર્યસૂચિમાં ન હોવા છતાં, ડાયસ્પોરિક ગુજરાતી સાહિત્ય સર્જકોની જ એક બેઠક ભોજન વિરામના સમયે ગોઠવી દીધેલી ! વિલાયત તેમ જ અમેરિકા સમેતના ભારત બહારના સર્જકોનો ત્યારે મેળો જામેલો. એ ભાતીગળ બેઠકના પડઘા હજુ આજે ય ગાજતા ભાળું છું. વચ્ચેના ગાળે પાટણ ખાતે 2001 વેળા જેમનો હું સતત ઋણી છું તેવા મારા સન્મિત્ર રઘુવીર ચૌધરી પ્રમુખપદે બિરાજતા હતા. તે અવસરે, છેલ્લી બેઠકમાં એક ઠરાવ રજૂ કરવા મને જ ઊભો કરવામાં આવેલો, તે ય સ્મરણે ચડે છે. વારુ, મુંબઈના ઉપનગર કાંદિવલી ખાતે 2005માં અધિવેશન મળતું હતું. બકુલ ત્રિપાઠી પ્રમુખપદે હતા. પરંતુ નિવૃત્ત થતાં પ્રમુખ ધીરુબહેન પટેલની કુનેહને કારણે અમેરિકાનિવાસી પ્રાધ્યાપક મધુસૂદન કાપડિયા તેમ જ બ્રિટન નિવાસી વિપુલ કલ્યાણીને વક્તા તરીકે નોતરવામાં આવેલા. બન્નેની સોજ્જી રજૂઆત હતી. પરંતુ કેટલાક મુદ્દે મારું વક્તવ્ય વિવાદનો મધપૂડો છંછેડી બેઠું હતું. વિચારતાં વિચારતાં તે વખતની મારી વાત આજે પણ ખરી છે તેમ લાગ્યાં જ કરે છે.

હવે આ પચાસમું અધિવેશન. નિવૃત્ત થતા પ્રમુખ સિતાંશુભાઈ તો મારી યુવાવસ્થામાં ફાર્બસ સભાની અનેક બેઠકોમાં મને મળતા અને પોરસાવતા રહેતા. તે દિવસોમાં નવોસવો, ઉચ્ચાભ્યાસ માટે હું મુંબઈ ગયેલો. ત્યારની એ મૈત્રી ફોરતી આવી છે. નિર્વાચિત પ્રમુખપદનો કાર્યભાર મિત્ર પ્રકાશભાઈ ન. શાહ સ્વીકારે છે, ત્યારે માંહ્યલો રાજીના રેડ છે. પ્રકાશભાઈનો પરોક્ષ પરિચય તો પાંચેક દાયકાને આંબીને રહ્યો છે. અંગત સંબંધને ય હવે ચચ્ચાર દાયકા થયા હોય. એ તો બે ય કાંઠે સભર સભર વહેતો અનુભવીએ છીએ. એમનું અગાધ વાંચન. એમનું તરબતર કરતું વિશ્લેષણ. તલસ્પર્શી તેમ જ તાગ મેળવતું સોજ્જું લખાણ અનેકોની જેમ મને ય મોજ કરાવે છે. સતત ખીલખીલ સ્મિત કરતા રહેતા પ્રકાશભાઈ સૌને જોડવાનો કસબ, કાચુંપાકું હોય ત્યાં સાંધવાનો કસબ સુપરે સમજે છે, જાણે ય છે. તેથી સાંપ્રત પરિષદને પણ લાભવાનું જ થશે, તેવી શ્રદ્ધા.

પરિષદ જોડેના લગાવને કારણે કેટલાક નિસબતે ભરેલાં મિત્રો સાંપડ્યાં છે તેનું સ્મરણ કરી લઉં. મનુભાઈ પંચોળી સાથેનો નાતો એમના બ્રિટન પ્રવાસોને કારણે મજબૂત થયેલો. પણ રઘુવીર ચૌધરી, જયન્ત મ. પંડ્યા, રમેશ ર. દવે ખાસ સાંભરી આવે. આજે પારુબહેન નથી તેનો અસાંગરો ઓછો નથી.

ભલા, ઇતિહાસની એરણે, કેટલાને સાંભરે 1909નું એ રાજકોટ અધિવેશન ? અંબાલાલ સાકરલાલ દેસાઈના પ્રમુખપદે મળેલા અધિવેશન ભણી મારો અંગૂલિનિર્દેશ છે. દોસ્તો, તમને સાંભરતું ય હોય, તે વેળા બળવંતરાય કલ્યાણરાય ઠાકોર પરિષદના મહામંત્રી હતા અને એમણે જગત ભરે પથરાયા ગુજરાતીઓને ઉદ્દેશીને એક કાગળ પાઠવેલો. આવો એક કાગળ જપાનના કોબો શહેરે સ્વીકાર્યો અને જાહેર સભા કરેલી તેમ, અમારા આ મુલકના પાટનગર લંડન ખાતે પણ પચાસેક ગુજરાતીઓની એક સભા બોલાવાયેલી. દક્ષિણ આફ્રિકાના રંગભેદના અટપટા કોયડાઓના ઉકેલ શોધવા મોહનદાસ કરમચંદ ગાંધી અહીં પ્રતિનિધિમંડળ લઈને પધારેલા. એમણે આ સભા બોલાવી હતી. કારણ ? આ ત્રીજા અધિવેશનને સારુ ભાષાશુદ્ધિ અને જોડણીશુદ્ધિ પ્રત્યે આગ્રહ કેળવવા તથા લખાણો તપાસવા માટે વિદ્વાનોની નિમણૂક કરવા સભામાં ઠરાવ કરી ગાંધીએ મોકલી આપેલો. પછી તે ઠરાવનું શું થયું ? કોણ કહશે ? 

અમને સવાલ થાય : તે દિવસોમાં જે સંપર્ક બ.ક.ઠા. અને મિત્રો કરતા, જાળવતા, તે ભલા, આજે કેમ ગેરહાજર છે ? આજે તો પ્રત્યાયનનાં સાધનો તો આંગળીને વેઢે જ છે ને ? વિજ્ઞાને આપણને 1909 પછીના ગાળામાં આજે વધુ નજીક મૂકી દીધાં છે. આજે જોતજોતામાં આપણે જગતને કોઈ પણ દેશ ઝડપથી આવી જઈ શકીએ છીએ. હવે તો વીજાણુ માધ્યમ વાટે સતત સંપર્ક જાળવી શકાય છે. દેશ દેશના ગુજરાતીઓ નજીક આવ્યા છે. આથી તળ ગુજરાત એકલું રહી નહીં શકે. આમ પરિષદ સમેતના ગુજરાત પ્રત્યે અપેક્ષાઓ સકારણ વધી છે. આપણા પૂર્વસૂરિ રણજિતરામ વાવાભાઈ મહેતા અને કનૈયાલાલ માણેકલાલ મુનશી કહેતા તેમ ગુજરાતના ભૌગોલિક સીમાડા વળોટીને બહારના ગુજરાતની પણ પરિષદે સક્રિય ચિંતા હવે તો કરવી જ રહી.

મુંબઈ, કોલકત્તા, કોઈમ્બતૂર, સરીખા સરીખા ભારત માંહેનાં નગરો અને વિસ્તારો ઉપરાંત પાકિસ્તાન, ઑસ્ટૃલિયા – ન્યુઝિલૅન્ડ, વિલાયત સમેત યુરોપ, તથા કેનેડા સમેત અમેરિકા તેમ જ આફ્રિકા ખંડના દક્ષિણ ને પૂર્વ વિસ્તારના દેશોનો ય સમાવેશ કરવો રહ્યો. આ વિસ્તારે ભાષાસાહિત્યની ફક્ત ચિંતા જ સેવવામાં આવી નથી, ત્યાં નક્કર કામો પણ થયાં છે. અમારે ત્યાં જ 1964ના અરસાથી ગુજરાતીનું શિક્ષણ અપાતું રહ્યું છે. અમારી અકાદમીએ જ 18 વર્ષ વિવિધ પરીક્ષાઓનું અયોજન કર્યું જ હતું ને. આથી અમે ય ગાઈએ છીએ : ’કહે દલપતરામ રાજા અધિરાજા સુણો, / રુડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.’ વળી અમે તો નવેક ભાષા-સાહિત્ય પરિષદો ય ભરી છે અને તેમાં નક્કર રજૂઆતો થઈ છે. ‘અસ્મિતા’ના અંકો તેની સાહેદી પૂરશે. આ તો અમારી એક વાત બની. પરંતુ આ દેશોએ કેવા કેવા સરસ કવિલેખકો આપ્યાં છે, જેણે આપણી વાણીને ન્યાલ કરી છે. તે દરેકને પરિષદે પોતાના કેન્દ્રવર્તી દાયરામાં સક્રિયપણે દાખલ કરવા જ રહ્યાં. કોઈક ઉચિત માનઅકરામોથી તેમને વંચિત ન રખાય તે જોવાનું કામ પણ તળ ગુજરાતે કરવું રહ્યું.

વીજાણું માધ્યમમાં પરિષદે પ્રવેશ કર્યો છે તે બહુ મોટી વાત છે. તમારી ‘નોળવેલની મહેક’ હવે ચોમેર પ્રસરી છે. તે સતત પ્રસરતી રહો. તમે સરસ વેબસાઈટ તૈયાર કરી અને તેમાં ‘પરબ’ને ય સામેલ કર્યું છે. વીજાણું માધ્યમનો લાભ લેનારા મિત્રોને સારુ આ અગત્યનું ઓજાર બની રહે છે. સોશિયલ મીડિયાના બાજોઠે જે સાહિત્ય વહેતું રહ્યું છે, તેમાં ક્યાંક ક્યાંક ચમકારા જોવા મળે છે. તે ભણી બેધ્યાન ન રહેવાય તેમ થવું જોઈએ. તમે તો વળી આ અધિવેશનમાં, આજને સારુ, બહુભાષી કવિમિલન’નું આયોજન કર્યું છે; અને આવતીકાલની બેઠકમાં ‘મહામારીના સમયમાં સાહિત્ય’ નામે એક પરિસંવાદ પણ કરવાના છો ને ! બહુ સરસ. આનંદ આનંદ. આ મહામારીને કેન્દ્રમાં રાખીને કેટલાં સરસ કાવ્યો, નિબંધો, લેખો, વાર્તાઓ રચાયાં છે તે દરેક ભણી પણ આપણે ધ્યાન આપવું રહ્યું. હકીકતે આ ઉપક્રમ પરિષદ માટે હરણફાળ જ છે. તેને માટે તમને જેટલાં બીરદાવીએ તેટલું ઓછું પડે.

વિરામ લઉં તે પહેલાં, એક અગત્યના મુદ્દે નિર્દેશ કરવાની રજા લઉં છું. પરિષદ અને પરિષદનાં વિવિધ સ્તરોનાં નાનાંમોટાં કામો અંગે ‘ગાંધીજીનું તાવીજ’ યાદ રાખવા જેવું છે. તેમ કરવાથી કોઈ પરાયા નહીં હોય, સૌ કોઈ પોતીકા હશે. તળ ગુજરાતે તેમ જ બૃહદ્દ ગુજરાતે પણ. 

1936માં, આ અમદાવાદ નગરે, પરિષદનું 12મું અધિવેશન મળેલું. એ અધિવેશનના પ્રમુખપદે બીરાજમાન મોહનદાસ કરમચંદ ગાંધીએ, સન 1948માં કહેલું, “તમે જે ગરીબમાં ગરીબ અને લાચારમાં લાચાર મનુષ્ય જોયો હોય તેનો ચહેરો યાદ કરીને તમારી જાતને પૂછો કે તમે જે પગલું ભરવાનું વિચારો છો તે આ મનુષ્ય માટે કોઈ કામનું છે ? આનાથી એને કોઈ લાભ થશે ? આનાથી એ પોતાના જીવન અને ભાગ્ય પર કાબૂ મેળવી શકશે ? આનાથી આપણા દેશના કરોડો ભૂખ્યા પેટ અને ક્ષુબ્ધ આત્માવાળા લોકોને સ્વરાજ્ય મળશે ?

"ત્યારે તમે જોશો કે તમારી શંકાઓ અને અહમ્ ગાયબ થઈ રહ્યાં હશે.”

આમ જનતાની, ગરીબાઈની વાત હું અહીં નથી છેડતો; વિસ્તારે વિસ્તારે, કસબે કસબે, ગામે ગામે જ શા માટે, ખંડે ખંડે ય વિસ્તરેલી આપણી જમાતની વાત કરું છું. તે દરેક પરાયી નહીં રહેવી જોઈએ. આ ‘ગાંધી તાવીજ’ આપણા દાયરામાં કેન્દ્રસ્થાને રહેવું જ રહ્યું. અને વળી, તેને સારુ, 01 જૂન 1921ના ‘યંગ ઇન્ડિયા’માં લખતાં મહાત્મા ગાંધીએ કહેલું તે આપણો ધ્યેયમંત્ર બની રહેજો : ‘મારું ઘર બધી બાજુએ ઊભી દીવાલોથી ઢંકાયેલું રહે અને એની બારીઓ અને બાકોરાં બંધ કરી દેવામાં આવે એ હું નથી ઇચ્છતો. મારા ઘરની આસપાસ દેશ દેશાવરની સંસ્કૃતિનો પવન સુસવાતો રહે એમ જ હું ઇચ્છું છું, પણ તે પવનથી મારી ધરતી ઉપરથી મારા પગ ફગી જાય અને હું ઊથલી પડું એ હું નથી ઇચ્છતો.’

પ્રકાશભાઈ, સિતાંશુભાઈ, આ ભાતીગળ અધિવેશનને સર્વાંગી સફળતા મળજો, તેમ અંતરમનથી પ્રાથું છું; અને ભાવિનાં કામોને સારુ આપણને દરેકને ઇચ્છાશક્તિનું બળ મળજો.

હેરૉ, 18-21 ડિસેમ્બર 2020

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

Loading

...102030...2,1112,1122,1132,114...2,1202,1302,140...

Search by

Opinion

  • ગઝલ
  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved