Opinion Magazine
Number of visits: 9680475
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમેરિકા અને આપણે, છતે હાશકારે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|30 November 2020

લાગે છે, આખરે ટ્રમ્પે ભરધમપછાડે પણ બાઈડનના વિજયની વાસ્તવિક્તા સ્વીકારી લીધી છે. આપણે જરૂર રાજી થઈશું, લગરીક હાશ અને ઠીક ઠીક રાહત પણ અનુભવીશું કે છેક જ બેજવાબદાર અને ધરાર નીંભર નેતૃત્વથી અમેરિકા છૂટકારો મેળવી રહ્યું છે; અને કેનેડી-ક્લિન્ટન-ઓબામા પરંપરાનો શોભીતો પ્રમુખીય મણકો તરતમાં વૉશિંગ્ટનની ગાદીએ હોવામાં છે. વિશ્વભરમાં છેલ્લાં વર્ષોમાં, જેને કોઈ વિશેષ ઓળખને અભાવે જમણેરી કહેવાનો ચાલ છે એવાં પરિબળો સત્તારૂઢ થતાં માલૂમ પડતાં રહ્યાં છે એની વચ્ચે આ એક જમાતજુદેરો દાખલો છે. ટ્રમ્પની ફરતે અમેરિકામાં જે ‘હિંદુ’ લૉબી જામેલી મનાતી હતી તે આ ઘટનાક્રમમાં રહેલી પુનર્વિચારસામગ્રીને પિછાણે છે અને બૂઝે છે કે કેમ તે જોવું રહેશે. ટ્રમ્પ મોદીને અનુસરે છે એવો જે રાજીપો આપણે ત્યાં કોઈક તબક્કે હતો એણે પણ નિજમાં ઝાંખવાં જેવું છે તે છે.

પરંતુ, જે વાના પરથી નજર ન હટવી જોઈએ તે એ છે કે ટ્રમ્પનું જવું તે ટ્રમ્પવાદનું જવું નથી. ટ્રમ્પના શાસનકાળમાં અને કથિત ટ્રમ્પિઝમ્સમાં જે એક સંજ્ઞાની સર્વાધિક પ્રતિષ્ઠા વિશ્વસમસ્તે જોઈ તે ‘ન્યૂ નૉર્મલ’ છે. જેમ ભાવો વધેલી સપાટીએ જ સ્થિર થાય છે તેમ ટ્રમ્પના જવા છતાં ન્યૂ નૉર્મલ અબખે પડી જવાને નિરમાયેલ છે. કોઈ નિઃસારવાદીની પેઠે નહીં પણ વાસ્તવદર્શી ધોરણે આ નોંધ લેતી વેળા જે એક વાતે સભાનતા છે તે એ કે અંધારા બોગદાને છેડે દેખાતા પ્રકાશકિરણ પછી પણ લાંબી મજલ કાપવી રહે છે.

ઓબામાની પ્રમુખપોશી પ્રસંગે આપણે વાજબીપણે જ હરખાયા હતા. શ્વેત મહિલા અને અશ્વેત (આફ્રિકી અમેરિકી) પિતાનું સંતાન વ્હાઈટ હાઉસમાં પહોંચ્યું એમાં અમેરિકી લોકશાહીની માનવીય ક્ષમતાના અહેસાસે આપણે રાજી હતા, અને એ ખોટું પણ નહોતું. આ જ માનવીય ક્ષમતા ને સંભાવના ટ્રમ્પને મુકાબલે ઉદારમતિ જૉ બાઈડન અને ભારતીય મૂળનાં એશિયાઈ અમેરિકી કમલા હૅરિસના ઉદય સાથે ઓર એક વાર અંકે કરીએ તે પણ સહજ છે.

જો કે, કેવિયેટનુમા અંદાજમાં કોઈકે આ ક્ષણે કહેવું રહે છે કે અમેરિકા અને યુરોપસમગ્ર કહેતા ‘પશ્ચિમ’નું આપણું જે ખેંચાણ, યુરોપીય રિનેસાંસ તેમ અમેરિકી સ્વાતંત્ર્ય સંગ્રામ અને ફ્રેન્ચ ક્રાન્તિશાં રોમહર્ષક ઇતિહાસપગલાં થકી એ ખોટું નથી; પણ કદાચ પૂરતું પણ નથી. સામે છેડે, આજકાલ જે પ્રકારના રાષ્ટ્રનું અહોગાન આપણે ત્યાં ફૅક્ટરી ઍક્ટની લગારે તમા વગર અહોરાત્ર ચાલે છે એ પણ વિચાર માંગી લે છે. જ્યાં સુધી પશ્ચિમનો સવાલ છે, વિમર્શની પૃષ્ઠભૂ રૂપે સોલ્ઝેનિત્સિનની એક મૂલગામી નિરીક્ષા બસ થઈ પડશે. સોવિયત રશિયાની બહાર અમેરિકામાં આશ્રય મળ્યો એને સારુ આ સમર્થ સર્જક અહેસાનમંદ અવશ્ય હતા, પણ અમેરિકી લોકશાહીના કંઈક કાયલ છતાં એમણે એક વાત (ખરું જોતા વેદના) અસંદિગ્ધ શબ્દોમાં મૂકી હતી. અને તે એ કે આપણા મુલ્કો, પછી તે સામ્યવાદી રશિયા હોય કે લોકશાહી (મૂડીવાદી) અમેરિકા હોય, બેઉની મુશ્કેલી એ છે કે બંને એક જ દેવના હેવાયા છે. બેઉ ‘ભૌતિક’ દોટમાં પડ્યા છે, નકરા ‘મેમન’ની ઉપાસનાની એમને કળ જ વળતી નથી.

ચોક્કસ જ એક બુનિયાદી મુદ્દો ઉઠાવ્યો હતો સોલ્ઝેનિત્સિને – જેને વિશે નુક્તેચીની કરતાં ઉમાશંકરે આ જ સ્થાનેથી – ‘આધ્યાત્મિક ખાલીપો’ પ્રવર્તતો હોવાની જિકર કરી હતી. કેટલાક દશક પછી, પાછળ નજર કરી આજના સંજોગોમાં, કેટલાંક વાનાં વિશેષરૂપે નોંધવા રહે છે. સોવિયત રશિયાના વિઘટન પછી ફુકુયામાનો એ થીસિસ એકવીસમી સદીના આરંભે ખાસો ગાજેલો છે કે આપણે રાજકીય-માનવીય સંભાવનાઓની ઇતિહાસખોજના લગભગ છેડે છીએ. ‘એંડ ઑફ હિસ્ટરી’માં ઊઘડતું, અંકે થતું, સમજને સાષ્ટાંગ આલિંગતું ભાવિદર્શન શું છે? ફુકુયામા કને એનો સરલસપાટ ઉત્તર હતો કે હવે એક જ રસ્તો રહે છે, અમેરિકાનો-મૂડીવાદી તેમ બંધારણીય લોકશાહીનો … ન અન્ય પંથા : વિદ્યતે અયનાય. જાણે ઋષિવચન કે કવિમનીષીનો ઉદ્‌ગાર.

જરી લાંબે પટે આ વાતમાં જવાનું લાજિમ લાગ્યું તે એ કારણે કે અમેરિકી લોકશાહીમાં રહેલી માનવીય સંભાવનાઓ પરત્વે આદરપૂર્વકના આશાવાદ સાથે અને છતાં આપણું ચિંતન, ત્રીજી દુનિયાના ભારતછેડે, માત્ર એમાં જ બંધાઈ રહે તે ઈષ્ટ નથી. બલકે ખુદ અમેરિકામાં પણ લોકમતે ઓબામા-બાઈડન-કમલા વિચારદુર્ગમાં નહીં બંધાતાં સિતારોંસે આગે વિમર્શ શક્યતાઓ ઝકઝોરવાની જરૂર છે. સરેરાશ અમેરિકી બૌદ્ધિક આજે જે ખુદ સચ્ચાઈવાદમાં ગરકાવ માલૂમ પડે છે એ ટ્રમ્પવાદને વટવાને વાસ્તે અશક્ત છે, કેમ કે અમેરિકી કે બીજા યુરોપીય ઉદારમતવાદોની ગતિમતિ પણ પૂરતી સક્ષમ ને સરાહનીય, શ્રદ્ધેય મોડેલ કદાચ નથી. ઠંડા યુદ્ધનાં વર્ષો કહો, વિયેટનામ સંડોવણી કહો, બીજા બનાવો સંભારોઃ ગલત પગલાં ને ગલત કારવાઈનો એકાદ દસકો એમ જ વીતી ગયા પછી લિબરલ અમેરિકી આત્મા જાગતો હોય છે અને વિશ્લેષકો તે સંદર્ભમાં ટીકાત્મક ટિપ્પણો આરડી આરડીને કરતા હોય છે – અને એશિયા છેડેથી આપણે એમની આ અભિનવ જાગૃતિને વધાવતા હોઈએ છીએ તે પછી આ ઈન્ટેલેક્ચ્યુઅલ સર્વિસ કલાસ ‘આપણી’ (પશ્ચિમની) લોકશાહી આત્મજાગૃતિમાં નિજનું મોચન લહતો હોય છે. આપણે, બિનપશ્ચિમ છેડે, એના જાનૈયા ને વધૈયા લેખે પોરસાતા હોઈએ છીએ.

રેનેસાંપુરુષ રાજા રામમોહનરાય ફ્રેન્ચ ક્રાન્તિ પરત્વે આદરઓચ્છવના ભાવથી પ્રીતિભોજન યોજે કે વિવેકાનંદ ‘ચોથી જુલાઈ’ (અમેરિકી સ્વાતંત્ર્ય દિવસ) વિશે કવિતા કરે અગર તો જયપ્રકાશ ‘હું તમારી યુનિવર્સિટીમાં જ નહીં ખેતરકારખાનાંની મજદૂરીથીયે ઘણું લાભ્યો છું’ એમ કૃતજ્ઞતાભાવ પ્રગટ કરે એમાં કશું ખોટું નથી. પણ નમૂના દાખલ કોઈ ખાસ ગણતરી વગર આ જે નામો લીધાં તે ન તો પુરાણપંથી પોંગા પંડિતોના ખાનામાં પડે છે, ન તો રાઈટ ઑર રૉંગ વેસ્ટર્ન ઓળખના ખાનામાં. સૌથી મોટા જેવો દાખલો તો કદાચ ‘હિંદ સ્વરાજ’ના લેખકનો છે. પશ્ચિમની જે લિબરલ લોકશાહી – એનું જે સાંસ્થાનિક કોચલું, એમાં આ સૌ બંધાય શાના.

ટ્રમ્પ-નમો તરંગલંબાઈનું કથિત મળતાપણું આ સૌની પડછે તળેઉપર તપાસ માંગી લે છે. વિદેશનીતિમાં યથાપ્રસંગ કોઈ સ્થાયી મિત્રો નથી હોતા, પણ સ્થાયી હિતો જરૂર હોય છે. એ ન્યાયે હાઉડી મોદી, નમસ્તે ટ્રમ્પ, ફિર એક બાર ટ્રમ્પ સરકાર આદિ દાખડા-દેખાડાથી હટીને ભારત સરકાર બાઈડન તંત્ર બાબતે પણ ઘટતો મૈત્રીવ્યવહાર દાખવશે જ. અને તે પોતે કરીને કોઈ ખોટી વાત પણ અલબત્ત નથી. પરંતુ એની તળે ઉપર તપાસનો (એનું ઓઠું લઈ આપણા સૌનીયે જાતતપાસનો) મુદ્દો તો ઊભો જ રહે છે. છેલ્લા સૈકાઓમાં યુરોપીય સંસ્થાનવાદ સામે લડનારા સૌ રાષ્ટ્રની વિભાવનાથી માંડીને શાસનરીતિ સમેતની બાબતમાં આદર્શો પણ ત્યાંથી લઈ આવ્યા. આ સાંસ્થાનિક માનસિકતા ઘણાબધાને સમજાતી નથી, પણ એમાં ‘નેશન ફર્સ્ટ’ સ્કૂલ કદાચ સૌથી મોખરે છે. આ દેશને ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં અને ૨૦ મી સદીના પૂર્વાર્ધમાં રવીન્દ્રનાથ અને ગાંધી મળ્યા; ‘ઘરેબાહિરે’, ‘ગોરા’ અને ‘હિંદ સ્વરાજ’ મળ્યાં, પણ હજુ એને મેમનની ઉપાસનાની અને રાષ્ટ્રવાદની મૂર્છાની કળ વળી નથી.

જૉ બાઈડન અને કમલા હેરિસને સારુ તહેદિલ સ્વાગતવચનો પછી અને છતાં આમૂલ પુનર્વિચારના ઇંગિતરૂપે ઊહ અને અપોહની આ થોડી એક ચેષ્ટા.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2020; પૃ. 01-02

Loading

— અને જેનેટ કૂકે પુલિત્ઝર-પુરસ્કાર પાછો આપ્યો …

મોહમ્મદ સઇદ શેખ, મોહમ્મદ સઇદ શેખ|Opinion - Opinion|30 November 2020

૧૯૮૦માં ‘વૉશિંગ્ટન પોસ્ટ’ જેવા અમેરિકાના પ્રતિષ્ઠિત ગણાતા અખબારમાં એક ૨૫ વર્ષીય અશ્વેત પત્રકાર યુવતીએ પ્રવેશ કર્યો ત્યારે સ્ટાફમાંથી ઘણાની નજર એની ઉપર પડી હતી. કેટલાકને આશ્ચર્ય પણ થયું હતું. ‘વૉશિંગ્ટન પોસ્ટ’માં કામ કરવું એટલે ખૂબ પ્રતિષ્ઠાજનક ગણાતું. ‘ટોલેડો બ્લેડ’માં પત્રકાર તરીકે કામ કરતી જેનેટ કૂકનું સી.વી. પોસ્ટના પ્રસિદ્ધ ઍક્ઝિક્યુટિવ એડિટર બેન બ્રેડલીની નજરમાંથી પસાર થયું, તો એમણે તરત પોસ્ટમાં નોકરી માટે બોલાવી લીધી હતી.

અંદાજે નવ મહિના પછી, ૨૮ સપ્ટેમ્બર, ૧૯૮૦ના દિવસે જેનેટ કૂકે લખેલ સ્ટોરી ‘જિમ્મીસ વર્લ્ડ’ પોસ્ટના પ્રથમ પાને પ્રસિદ્ધ થઇ. હેરોઇનના બંધાણી, ૮ વર્ષીય બાળક-જિમ્મીની સ્ટોરીએ હલચલ મચાવી દીધી હતી. એક બાળકને એની માતાનો પ્રેમી ડ્રગ્સ આપતો હતો. આખા અમેરિકામાં આ વાત વાઇરલ થઈ ગઈ હતી. વૉશિંગ્ટનના મેયર, હેલ્થ-ઑફિસરો અને પોલીસ આ બાળકને શોધી એનાં માતાપિતા વિરુદ્ધ કેસ ચલાવી જેલમાં ધકેલી દેવા માંગતા હતા, પરંતુ ‘વૉશિંગ્ટનનાં પોસ્ટ’ પ્રાઇવસીના અધિકારની રૂએ બાળકનું સરનામું આપવા માગતું ન હતું. અર્થાત્‌ પોતાના પત્રકારે કરેલી સ્ટોરી માટે પોસ્ટ કૂકની પડખે ઊભું રહ્યું. આ માટે પોસ્ટની આલોચના પણ કરવામાં આવી. પત્રકારોને એની જોરદાર શૈલી અને લખાણ તથા સામાજિક અસરને  કારણે  બ્લૉકબસ્ટર સ્ટોરી લાગી રહી હતી, તો લોકોને બાળક ઉપર દયા આવી રહી હતી, બાળકને એમની જરૂરિયાત લાગી રહી હતી, તો કેટલાક સામાજિક કાર્યકર્તાઓને અશ્વેત લોકોના જીવનની કઠોર વાસ્તવિકતા લાગી રહી હતી.

૧૩ એપ્રિલ, ૧૯૮૧ના દિવસે કૂકને પુલિત્ઝર-પુરસ્કાર આપવામાં આવ્યો. પત્રકારત્વમાં કોઈ આફ્રિકન-અમેરિકન (અશ્વેત) વ્યક્તિએ આ પુરસ્કાર જીત્યો હોય એ ઇતિહાસની પહેલી ઘટના હતી.

પોતાના ભૂતપૂર્વ પત્રકારે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર જીત્યો એ ગૌરવની વાત હતી એટલે ‘ધી ટોલેડો બ્લેડ’ કૂક વિષે સ્ટોરી છાપવા માંગતું હતું. પોતાના કર્મચારીઓના બાયોડેટા મુજબ એ કૂક વિષે લખવા માંગતા હતા. પરંતુ એસોસિયેટેડ પ્રેસના વાયર પર પુલિત્ઝર પુરસ્કાર – વિજેતાઓનાં જીવનચરિત્રો તપાસતા કૂકના બાયોડેટામાં વિસંગતતાઓ જણાઈ. કૂકે વાયરને આપેલ માહિતી મુજબ તેણીએ ખૂબ સારા ગ્રેડથી વસ્સાર કૉલેજમાંથી સ્નાતક કર્યું હતું અને ટોલેડો યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી હતી. જ્યારે બ્લેડના રેકૉર્ડ મુજબ વસ્સાર કૉલેજમાં એક વર્ષ ગાળી ટોલેડો યુનિવર્સિટીમાંથી માત્ર બેચલર ઑફ આટ્‌ર્સમાં સ્નાતક કર્યું હતું. બ્લેડના સંપાદકે વાયરને આ વાત જણાવી દીધી.

બપોર સુધીમાં વસ્સાર કૉલેજ અને ટોલેડો યુનિવર્સિટીમાં તપાસ પૂર્ણ કરી લેવામાં આવી. લગભગ ૧૦ કલાક સુધી પોસ્ટના સંપાદકો કૂકની પૂછપરછ કરતા રહ્યા અને બીજી બાજુ એના બે ઉપસંપાદકો જિમ્મીનું ઘર શોધતા રહ્યા.

આખરે, રાત્રે પોણા બે વાગે કૂક ભાંગી પડી અને સ્વીકાર્યું કે “જિમ્મી નામનો કોઈ છોકરો નથી, નથી એનું કોઈ કુટુંબ … મેં જ આખી કાલ્પનિક વાર્તા ઘડી નાખી હતી. હું પુરસ્કાર પાછો આપવા માગું છું.”

અપમાનિત અને લજ્જિત પોસ્ટના સંપાદકોએ પુલિત્ઝર-પુરસ્કાર પાછો આપ્યો, જે ‘વિલેજવૉઇસ’ની ટેરેસા કાર્પેન્ટરને આપવામાં આવ્યો.

માત્ર બે દિવસ પછી કૂકે વૉશિંગ્ટન પોસ્ટમાંથી રાજીનામું આપ્યું. આ રીતે એક હોનહાર પત્રકારની કારકિર્દીનો અંત આવી ગયો.

આ ઘટના પછી અમેરિકન પત્રકારત્વમાં ઘણું બધું બદલાઈ ગયું. પોસ્ટે પોતાના નિયમો વધુ કડક બનાવ્યા. કોઈ સંદર્ભ કે સ્રોત વિના સ્ટોરી છાપવામાં વધારે ધ્યાન આપવું, એવો વણલખ્યો નિયમ કરી દીધો. માત્ર અમેરિકા જ નહિ, યુરોપનાં ઘણાં બધાં અખબારોએ પણ પોતાની પૉલિસીમાં ફેરફાર કર્યો.

જેનેટ કૂક અખબારી દુનિયા છોડી ફ્રાન્સના કોઈ નાનકડા શહેરમાં વસવા ચાલી ગઈ હતી. ૧૯૯૬મા અચાનક જાહેરમાં આવી. પોસ્ટમાં પોતાના જુનિયર અને પછી પ્રેમી પત્રકાર માઇક સેજર સમક્ષ પ્રગટ થઈ દુનિયા સમક્ષ પોતાની વાતો રજૂ કરી. એમાં એની ગ્લાનિ જ ઝળકતી રહી.

જેનેટ કૂક કંઈ પહેલી પત્રકાર નહોતી, જેણે ખોટું કર્યું હતું. બીજા ઘણા બધા અમેરિકન અને યુરોપીય પત્રકારોએ આવું ખોટું કર્યું હતું, પરંતુ એમનાં નામ છાપરે ચઢ્યાં નહિ, કદાચ એટલા માટે કે તેઓ ગોરી ત્વચાવાળા હતા.

આ ઘટના જૂની હોવા છતાં ય આજના સમયમાં ઉપયુક્ત છે. આજથી ૩૮ વર્ષ પહેલાં ‘વૉશિંગ્ટન પોસ્ટ’ જેવાં અખબારો સમાજ પ્રત્યે પોતાની ફરજ નિભાવવામાં કોઈ કચાશ રાખતાં નહોતાં. જેનેટ કૂકે પોતાની ભૂલ સ્વીકારી પુરસ્કાર પાછો આપ્યો. પરંતુ આજે આપણા દેશમાં જોઈએ છીએ કે કેટલાક પત્રકારો પોતાનું અંતઃકરણ વેચી ‘પત્તર-કારિતા’ કરી રહ્યા છે. કોઈ એક રાજકીય પક્ષના હિતમાં સમાચારો તોડીમરોડીને રજૂ કરવામાં આવે છે. ગરીબી, બેકારી, બેરોજગારી, સમાજમાં વધતું વૈમનસ્ય, જેવાં મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ. એના બદલે ક્ષુલ્લક બાબતો પર ચર્ચા કરવામાં આવી રહી છે. એક ફિલ્મી હીરોએ આત્મહત્યા કરી, એની પ્રેમિકા એના મોત માટે જવાબદાર છે એવું ચિત્ર મીડિયાએ લોકમાનસમાં ઠસાવી દીધું. એમાંથી વાત ડ્રગ્સ પર પહોંચી ગઈ અને કયા ફિલ્મી સિતારાઓ ડ્રગ્સના બંધાણી છે, એની ચર્ચાઓ થવા લાગી. એમાં અસલ મુદ્દો તો ભુલાવી દેવામાં આવ્યો. સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાનો હોબાળો એટલા માટે કરવામાં આવ્યો કે એ મૂળ બિહારનો હતો, અને બિહારમાં ચૂંટણીઓ આવી રહી હતી. હવે જો કે બિહારનાં પરિણામો પણ આવી ગયાં છે અને ભા.જ.પ.ની આગેવાનીમાં એન.ડી.એ.એ બહુમતી મેળવી છે. સુશાંતે ‘કેદારનાથ’ ફિલ્મમાં મુસ્લિમનું પાત્ર ભજવ્યું, ત્યારે આ જ ભા.જ.પ.ના સમર્થકોએ એનો વિરોધ કર્યો હતો, અને જ્યારે ચૂંટણી આવી ત્યારે એ જ વિરોધીઓ સુશાંતના સમર્થનમાં આવી ગયા હતા. જ્યારે કોઈ મુદ્દો ન હોય ત્યારે કેવા મુદ્દા ઊભા કરવા એ કોઈએ ભા.જ.પ. પાસેથી શીખવું જોઈએ! અને આ મુદ્દાઓને ચગાવતા રહેવું એ આપણા મીડિયા પાસેથી કોઈ શીખે! કોઈ એક પક્ષની તરફેણ કરનાર મીડિયાને કેટલાક લોકો ‘ગોદી મીડિયા’ તરીકે યોગ્ય રીતે જ ઓળખે છે. આ ગોદી મીડિયા સમાજને માહિતી, મનોરંજન અને શિક્ષણ પૂરું પાડવાની પોતાની ફરજથી વિમુખ થઈ રહ્યો છે. પ્રશ્ન ઉદ્‌ભવે છે કે શું મીડિયાએ તટસ્થ રહેવું જોઈએ કે કોઈ એકનો પક્ષ લેવો જોઈએ? ઘણા લોકો કહેશે કે મીડિયાએ તટસ્થ રહેવું જોઈએ, કોઈનો પક્ષ ન લેવો. જે આજે શાસનમાં છે, કાલે ના પણ હોય અને જે આજે વિરોધપક્ષમાં છે એ શાસનમાં પણ હોઈ શકે છે. રાહત ઇન્દોરીએ કહ્યું હતું એમ ‘આજ જો સાહિબે મસનદ હૈ કલ નહિ હોંગે – કિરાયેદાર હૈ જાતી મકાન થોડી હૈ.’

પરંતુ કેટલાક લોકો એવું પણ કહેશે કે મીડિયાએ તો એક જ પક્ષ લેવો જોઈએ – પીડિતોનો. કેમ કે પીડિતોનું દર્દ મીડિયા નહિ જણાવે તો કોણ જણાવશે?

એક ત્રીજો વર્ગ પણ છે – અને એ મોટો વર્ગ છે – જે કહે છે કે અમે તો એનો જ પક્ષ લઈશું જે અમારી ખાતરદારી કરે – અર્થાત્‌ અમને માલમલીદો આપે.

આ નિરાશાજનક માહોલમાં રણમાં વીરડી સમાન દિલાસાની એક બાબત પણ છે. એ છે ઈમાનદારીથી પોતાનો પત્રકારત્વધર્મ નિભાવી રહેલા કેટલાક પત્રકારો અને મીડિયાહાઉસ. ભલે આંગળીના વેઢે ગણાય એટલાં જ છે આ સાચા પત્રકારો. આવા પત્રકારોથી જ પત્રકારત્વ હજી જીવી રહ્યું છે, એ જ આપણા માટે આશ્વાસનની વાત છે ! એક દીપક બળે એટલે અંધકાર પણ ધ્રૂજી ઊઠે છે અને પલાયન કરી જાય છે.

સત્યને પ્રકાશવા માટે એક સાચો પત્રકાર પણ પૂરતો છે.

૧૬મી નવેમ્બર નૅશનલ પ્રેસ ડે તરીકે ઊજવાય છે. બધા જ સાચા અને સારા પત્રકારોને દિલથી સલામ.

કન્સલ્ટિંગ અને ચાર્ટર્ડ સિવિલ એન્જિનિયર, લેખક, કટારલેખક, IGNOUમાંથી માસ કૉમ્યુનિકેશન અને જર્નાલીઝમનો કોર્સ કરેલ છે.

email : msaeed181@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2020; પૃ. 08

Loading

‘ઋણાનુબંધ’ : પન્ના નાયક

બકુલા ઘાસવાલા|Opinion - Literature|30 November 2020

“ગુજરાતી સાહિત્યની ભૂમિકા તો મારી પાસે હતી જ. પણ અહીં ફિલાડેલ્ફિયામાં રહ્યાં રહ્યાં લાઇબ્રેરીમાં નોકરી કરતાં કરતાં, પુસ્તકો જેવા અનાક્રમક મિત્રોની વચ્ચે જીવતાં જીવતાં, અચાનક એક દિવસ અમેરિકન કવયિત્રી Anne Sextonનો કાવ્યસંગ્રહ ‘Love Poems’ (૧૯૬૭) મારી આંખે વસી ગયો. એનાં કાવ્યો હું વાંચતી જાઉં અને એ વાતાવરણમાં ડૂબતી જાઉં. જાણે કે મારા ખોવાઈ ગયેલા beingનો ક્યાંક એમાં તાળો મળતો હોય એવું અનુભવતી જાઉં. ટી.વી. પર પણ જો એનો કાર્યક્રમ હોય તો કદી ન ચૂકું. એક સ્ત્રી પોતા વિશે કોઈ પણ પ્રકારના નિષેધ વિના કેટલી હદે બેધડક બયાન કરી શકે છે, એનો ખ્યાલ મને આવ્યો. એનાં કાવ્યોમાં ગર્ભાશયની વાતો, masturbation અને menstruationની વાતો એ છોછ કે સંકોચ વિના કરી શકે છે — દંભના પડદા ચીરીને. હું એ પણ સમજું છું કે આવી વાતો કરવાથી જ કવિતા નથી થતી. પણ અંદરનું કોઈ તત્ત્વ આવી વાતોની અભિવ્યક્તિ માટે ધસમસતું આવતું હોય તો કેવળ સામાજિક ભયથી એનો ઢાંકપિછોડો કરવો એ કલાકારને ન છાજે એવી કાયરતા છે.” 

— પન્ના નાયક

ગુજરાતી સાહિત્યની ઢગલાબંધ વાર્તાઓ વાંચવાનું બન્યું છે. એને સ્ત્રીની દ્રષ્ટિથી તપાસવાનું પણ બન્યું છે, તો પણ પન્નાબહેનની બિન્ધાસ્ત, પારદર્શક, વાસ્તવિકતાનું નિરૂપણ કરતી અને હળવી શૈલીમાં પણ લખાયેલી બે-ત્રણ વાર્તા સમેત પંદરેક જેટલી ડાયસ્પોરા વાર્તાઓ માટે પણ કહી શકાય જે એમણે ઉપર કવિતાઓ માટે લખ્યું છે. એટલે જ કદાચ વાર્તા, કવિતા બન્ને વિશે અભિવ્યક્તિ સાથે સાથે પણ થઈ જાય તો નવાઈ નહીં. નીના પટેલ અને દેવિકા રાહુલને પણ ડાયસ્પોરા સાહિત્યમાં પન્નાબહેન સાથે વાંચ્યાં છે. નારીવાદીઓની વિવિધ જ્ઞાતિમાં પન્નાબહેન ક્યાં બંધબેસે તે વિશે મારે વિચારવું નથી કારણ કે સ્ત્રી કેન્દ્રિત વિચારવું અને કોઈ પણ જાતના છોછ વગર લખવું એમને સહજ છે. કદાચ બંધિયાર મગજને વાંચતી વખતે હેં! પણ થઈ જાય છતાં માનવમનની ગડીઓ ઉકેલવામાં જેમને રસ હોય તેમનું બંધિયારપણું હવડ મગજનાં બારણાં ખોલી મુક્તિનો અહેસાસ કરાવી શકે.

આ વાર્તાઓ વાંચતાં વિચારું કે આ વિષય પર તો વાર્તા આવી જ નહીં અને ખૂલ જા સીમ સીમ જેવી વાર્તા પ્રગટે. વર્ષો સુધી અમેરિકા રહ્યા પછી ઘરઝુરાપાથી લઈ બે પેઢીનું અંતર અને સમન્વય, નિજી દ્રષ્ટિએ ત્યાં ઉછરતી બીજી-ત્રીજી અને હવે તો ચોથી પેઢી વિશે પણ પન્નાબહેનનાં વાર્તા, લેખો, કાવ્યો પ્રકાશ પાડે છે. બ્યાસી-ત્યાસી વર્ષે સોળ વરસની કાચી કુંવારી મુગ્ધ કન્યાની શારીરિક અને માનસિક અવસ્થાને તેઓ ઉજાગર કરતાં પોતાની વાત કહી શકે છે. પોતાનાં માતાપિતા, સંયુક્ત કુટુંબ, અમેરિકાની સ્વ-તંત્રતા, સ્વ-છંદ સાથે સમાંતર ચાલતી જવાબદારીભરી જિંદગીની એકલતા અને એકલવાયાપણાં વચ્ચે જડી જતી મનમોહક મૈત્રી અને સહવાસસભર આનંદમય ક્ષણોને ઝડપી લઈ માણતાં એમને આવડ્યું છે. બંધિયાર સમાજ વચ્ચે મુક્તિ શોધતાં એમને આવડ્યું છે કારણ કે એ પોતે મનથી જ મુક્ત છે. તેઓ જિંદગીનાં અંતિમ પડાવે નટવર ગાંધી સાથેના સહવાસને માણે છે, પ્રમાણે છે, પોતાની મનમરજી અકબંધ રાખીને જીવે છે અને લખે છે કે એમને નટવર ગાંધીમાં ‘ઈચ્છાવર’ જડ્યો છે. પોતાનાં ગુલાબ પ્રત્યેના પ્રેમને માટે તેમણે કરેલા શબ્દપ્રયોગ છે, ‘ગુલાબગાંડી’. આ ગુલાબગાંડી અને આકંઠ કાવ્યને જ્યારે સવારે ‘ઈચ્છાવર’ સોનેટ અર્પણ કરે, ત્યારે સુખની વ્યાખ્યા કરવાનું કામ જ શું છે! અહીં તો મોસમ છલકે અને સુખ પણ છલકે. પન્નાબહેન, આ તો મીઠી ઈર્ષ્યા થાય તેવું છે! 

એમની એક કવિતા જોઈએ. 

દિવાળીની રજાઓ માણવા હું દેશ ગઈ હતી.
મારાં માને, મારા બાપુને, મારાં કુટુંબીઓને,
સ્વજનોને, પરમ મિત્રોને—સૌને મળી. અરે,
મારા બાળપણના ઘરને અને હજી ય ફૂલડાં
વેરતાં મારાં વૃક્ષોને મળી. અવર્ણનીય મઝા
આવી ગઈ! હૈયું તરબતર થઈ ગયું.
અને આ બધાંમાં મારી પરદેશી નોકરી
સાવ ભુલાઈ ગઈ.
થોડા સમય પછી હું નોકરીએ પાછી આવી છું.
કમાલ એવી છે કે અહીં કોઈ મને
ઓળખતું જ નથી!
મારી boss એની એ જ. એનું મન
પુરુષનું છે ને તન સ્ત્રીનું. અતિશય મહત્ત્વાકાંક્ષી,
સૌની જેમ મને ય એ મહોરાવાળું સ્મિત
ક્યારેક આપે છે. એને ને મને ઠીક ઠીક
બને છે.
અમારા બન્નેના ઉપરી પણ હજી એ જ છે.
એક હાથે મૂછને વળ દેતા અને બીજે
હાથે પાટલૂનના ખીસાનું પરચૂરણ ખખડાવતા
આખા મકાનમાં આંટા મારી સૌને સૌની
‘duty’નો અર્થ સમજાવે છે.
મારી સાથે કામ કરતાં મીડોરી વિલ્મા, નેન્સી,
ઇલિઝાબેથ, કેની, જ્હોન, બિલ—સૌ સૌના ડેસ્ક
પર છે.
મને કોઈ ઓળખતું નથી. તદ્દન નવી,
અપરિચિત વ્યક્તિ લાગું છું. ક્યારેક કોઈક
મને સ્મિત આપે છે ત્યારે ઘડીભર … ના, ના,
એ તો સહજ formality.
હું પૈડાંવાળી ખુરશી ઘસડી મારા ડેસ્ક પાસે બેસું છું.
ડેસ્ક પરનાં મારી સામે મીટ માંડતાં પુસ્તકો, બારે માસ
તાજગી આપતો મની-પ્લાન્ટ, ડેસ્કના ડાબા ખાનામાં
સચવાયેલા પત્રો, જમણી બાજુનું ટાઇપરાઇટર અને ડેસ્ક
પર લટકતું (ગઈ એ દિવસની તારીખ બતાવતું) કૅલેન્ડર—
સૌ મને પરિચિત આવકાર આપે છે અને બોલી ઊઠે છે :
“Oh, we missed you very much.”

પન્નાબહેન ફક્ત ઘર, સ્વજનો, દેશ-વિદેશ વિશે જ પિષ્ટપેષણ કરે રાખે છે એવું લાગે પણ એમ નથી.એમનું ચિંતન સ્વથી સમષ્ટિ અને જગતના વિવિધ પ્રવાહો વિશે પણ વિસ્તર્યું છે. ખાસ કરીને સાહિત્ય સર્જન અને સંબંધિત પ્રવૃત્તિઓ, કાર્યક્રમો, પુસ્તકાલય સંલગ્ન અભિક્રમ સાથે વાસ્તવિકતાનું ચિત્રણ એમણે સુપેરે કર્યું છે. નટવર ગાંધી સાથે દેશપરદેશ પ્રવાસનો આનંદ માણ્યો તો તેની વાત પણ કરી છે. તો સમાંતર હાંસિયામાં સીમિત મુસ્લિમ સાહિત્ય કે એકતા વિષયક વર્ણનમાં મંજુબહેન ઝવેરી, શરીફા, સરૂપબહેન, સૌમ્ય જેવાં સર્જક-વિવેચકો એમને યાદ આવે છે. મનસુખભાઈ ઝવેરી, સુરેશ દલાલ, રવિશંકરજી કે ઝકિર હુસેનને પણ તેઓ અવારનવાર યાદ કરી લે છે. ઉમાશંકર જોષી, સાંઈ મકરંદ કે નારાયણકાકા જેવા અનેક દિગ્ગજોના યજમાન રહી ચૂકેલાં પન્નાબહેનને પોતાનું ફિલાડેલ્ફિયાનું ઘર એટલું હ્યદયસ્થ છે કે તેઓ એ ઘર છોડીને કાયમ માટે વોશિંગ્ટન રહેવાનું વિચારી શકતાં નથી કારણ કે એમને માટે એ માલમિલકત નથી પણ ઘર છે.

પુસ્તકમાં ગાંધીજીનો ઉલ્લેખ ધ્યાનાકર્ષક છે અને એ વિશે ખાસ્સી ચર્ચાને અવકાશ છે પરંતુ હવે હું વિચારપૂર્વક ગાંધી આચાર-વિચાર પર ચર્ચા કરતી નથી, એટલે ફક્ત નોંધ લઈ મારા લેખનું સમાપન કરીશ. પુસ્તકનું નામ ઋણાનુબંધ છે. સુરેશ દલાલને અર્પણ થયું છે. પન્નાબહેન માને છે કે એમની સર્જનપ્રક્રિયામાં સુરેશભાઈનું પ્રોત્સાહન પ્રાણવાન રહ્યું છે. ‘એકત્ર ફાઉન્ડેશન’ના અતુલ રાવલ, અપૂર્વ આશર અને હિતેન આનંદપરા, કમલ થોભાણીને એમણે ખાસ યાદ કર્યા છે. સુરેશભાઈને યાદ કરે તો આપોઆપ ‘ઈમેજ’ અને  ઉત્પલ ભાયાણી યાદ આવે જ.

આ ડિજિટલ પુસ્તક પન્ના નાયકની વિશિષ્ટ કૃતિઓનું સંકલન છે જેને ‘પન્ના વિશેષ’ કે ‘સમગ્રતામાં પન્ના સર્જન’ પણ કહી શકાય. હજી એક વાત લખવાનો લોભ રોકી શકતી નથી. પન્નાબહેનના દાદાએ ‘ઈરાવતી’ પુસ્તક લખેલું અને મારાં માનું નામ ઈરાવતી છે જેને અમે ઈરા કહીને સંબોધીએ. ઈરા અને પન્નાબહેનની ઉંમર સરખી. એટલે જ મેં પન્નાબહેનના મધરાતના પ્રશ્ન પરથી એક અનુકૃતિનું સર્જન કર્યું છે. પન્નાબહેનને નવાઈ લાગશે પરંતુ નાયક અટકનાં કારણે અનાવિલો એમને પોતાનાં જ માને છે તે એટલી હદે કે અનાવિલ સાહિત્યકારો નામનાં ગ્રંથમાં પન્ના નાયકનો સમાવેશ છે .મેં સંપાદકનું ધ્યાન દોરેલું તો પણ એમને વિશ્વાસ બેઠો નહીં પછી મને થયું કે મારું અને પન્નાબહેનનું કુળ તો એક છે તો પછી તેઓ પણ અનાવિલ કારણ કે અનાવિલનો એક અર્થ દોષ રહિત કે નિર્દોષ થાય છે. Love you. 

તો લ્યો, આ પન્નાબહેનનું પ્રથમ કાવ્ય; 

આજે ખુશ છું
કેમ, એ તો નથી સમજાતું.
આ ખુશીનો
સ્નૅપશૉટ લઈ
મઢાવી
સૂવાના ઓરડામાં ટાંગી શકાય?

પન્નાબહેન, ટાંગી જ શકાય ………

—

“AadiRaj", Behind Jalaram Temple, Halar Road, Valsad 396 001, Gujarat, India.

Loading

...102030...2,1112,1122,1132,114...2,1202,1302,140...

Search by

Opinion

  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved