Opinion Magazine
Number of visits: 9573395
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણે વિકાસના નામે શાનો વિનાશ કરીએ છીએ?

લેખક : તુષાર ગાંધી • અનુવાદક : આશા બુચ|Opinion - Opinion|26 October 2020

“બાઇબલમાંનું એક સ્ત્રોત્ર, ‘વૃક્ષો પાસેથી શિક્ષા લો’ એ સહુના હૃદયમાં ઉતારવા યોગ્ય છે. વૃક્ષો સૂર્યનો આકરો તાપ સહન કરે છે અને આપણને શીતળતા આપે છે. પણ આપણે શું કરી છીએ?” 

— એમ.કે. ગાંધી

– બાપુકે આશીર્વાદ, 01 ડિસેમ્બર 1944

“વૃક્ષો આપણી માફક જ જીવંત સૃષ્ટિ છે. એ આપણી જેમ શ્વાસ લે છે, ખોરાક અને પાણી લે છે. આપણી માફક તેમને પણ ઊંઘની જરૂર પડે છે. એ જ્યારે રાત્રિના આરામ કરતાં હોય ત્યારે ઝાડનાં પાંદડાં તોડવાં એ હલકું કામ છે.” 

— એમ.કે. ગાંધી

‘યંગ ઇન્ડિયા’, 05 ડિસેમ્બર 1929

બહુ ઘણાં વર્ષોથી માનવ જાત સ્વકેન્દ્રી અને સ્વાર્થી બનીને પોતાનું અસ્તિત્વ ટકાવી રહી છે. આખર આપણે પ્રકૃતિનું ઉત્તમ સર્જન છીએ એટલે બાકીની તમામ વસ્તુઓ આપણા ઉપભોગ માટે, તેનું શોષણ કરવા અને તેનો દુરુપયોગ કરવા માટે છે. આપણે દયાળુ હોવાનું ગૌરવ લઈએ છીએ, પણ એ દયા આપણી જાતના લોકો માટે, પોતાના સમૂહો માટે, આપણાં જેવાં સ્ત્રીઓ કે પુરુષો માટે અને ભારતીય હો તો પોતાની જ્ઞાતિના લોકો સુધી સીમિત હોય છે. બીજું કોઈ કે કશું મહત્ત્વનું નથી. આપણે પોતાની જાતને ખાતરી કરાવી દીધી છે કે આપણા સર્જનહારે આપણને સહુથી મોટા ગ્રાહક બનવા માટે જ નિર્માણ કર્રી છે અને બધી વસ્તુઓ આપણા વપરાશ અને આનંદ માટે જ છે. 

સદીઓથી આપણે આપણા કુદરતી સ્રોતોની લૂંટ ચલાવી અને જે નથી વાપરતા તેને ઝેરી બનાવી દીધું, ગંદુ કરી મેલ્યું અને વિચાર્યા વિના પ્રદૂષિત કરી મૂક્યું. સદા અતૃપ્ત રહેતી લોભવૃત્તિને પરિણામે પૃથ્વીના વાયુ મંડળ(ઓઝોન લેયર)માં મોટું કાણું પાડી દીધું.

આપણી વિકાસ વિશેની વિભાવના જ સ્વાર્થી છે. આપણે નક્કી જ કરી લીધું કે માત્ર માનવ જાતને જ વિકાસ કરવાનો અધિકાર છે અને તે પણ બીજી બધી જીવસૃષ્ટિના ભોગે. આપણા મહાનગરો કુદરતી ભૌગોલિક સમૃદ્ધિ અને અન્ય જીવો સાથેના જૈવિક સંબંધોના વિનાશ ઉપર જ રચાયાં છે. આવી કુદરતી સંપદાનું નિર્માણ થતાં યુગો થયા, પરંતુ તેનો નાશ થોડાં વર્ષોમાં થઇ ગયો. આપણે નાળાંઓને સુકવી દીધાં અને ખબોચિયાં પૂરી દીધાં. આપણે દરિયાના છીછરા ભાગ, અખાત, ખાડીઓ અને કળણો પૂરીને જમીન બનાવી કાઢી. આપણી અમર્યાદિત ભૂખને સંતોષવા એક જ પ્રકારનું અનાજ પેદા કરતાં ખેતરોને પાણી મળી રહે અને દિન બ દિન વધતી રહેતી અને કદી ન સંતોષતી એવી વીજળીની ભૂખને સંતોષવા આપણી નદીઓ પર બંધ બાંધીને તેને હાનિ પહોંચાડી. આપણે પેટાળમાંનાં પાણીના ભંડારને વાપરીને ખતમ કરી નાખ્યા તે આપણી તરસ છીપાવવા નહીં, પણ બે ગેલન પાણી વાપરતા ટોયલેટના ફ્લશ માટે.  

અશ્મિલ ઇંધણ(ફોસિલ ફ્યુઅલ)ની શોધની સાથે જ આપણે માત્ર આપણા કુદરતી સ્રોતોનો જથ્થો જ ન ઘટાડ્યો, પણ આપણી ધરતીના નઝારાની સુંદરતા નાશ પામી, જળાશયો અને ખુદ હવા પણ પ્રદૂષિત થયા. જ્યારે પણ આપણે વિકાસની દિશામાં એક કદમ આગળ વધ્યા, ત્યારે પ્રકૃતિ અને અન્ય જીવસૃષ્ટિનો ભોગ લેવાયો છે કે જેને આપણા જેટલો જ જીવવાનો અને ટકી રહેવાનો અધિકાર છે. પરંતુ આપણે તેની જરા પણ તમા નથી કરતાં. આપણે તો ઉત્તમ યોનિમાં જન્મ લીધો છે, સૃજનકર્તાનું ઉત્તમ સર્જન!

‘વિકાસ’ની કિંમત

આપણે જો માત્ર આપણા દેશ અને પોતાના શહેરની જ વાત કરવા જઈએ તો દૂર જોવાની જરૂર નથી. ‘વિકાસ’ એ છેલ્લા થોડા દયાકા દરમ્યાન ખૂબ જ લોકપ્રિય થયેલું સૂત્ર છે. જરા થોભી જઈને વિચારીએ કે આપણા ઝડપી વિકાસની લાલસાને પરિણામે આપણે આપણી પ્રકૃતિ માતાની ધરોહરની કેટલી કિંમત ચૂકવી છે અને તેનું મૂલ્ય બધા પ્રકારનાં અન્ય જીવોએ પણ ચૂકવવું પડ્યું છે.

પશ્ચિમ ઘાટ એક મહત્ત્વના સૃષ્ટિમંડળ તરીકે ઓળખાય છે, જ્યાં હજુ ઓળખવાના બાકી હોય તેવાં અસંખ્ય જીવો પોતાનું ઘર બનાવીને રહે છે. પણ આપણે તેમની સંભાળ લઈએ છીએ? આપણે રસ્તાઓ પહોળા કરવા છે, કેમ કે આપણને દૂર સુધી અને ઝડપથી સફર કરવી છે. આપણને વધુ ટ્રેઈન જોઈએ છે, એટલે પર્વતોને દારૂગોળાથી ઉડાવી દઈને એ જમીનને સપાટ કરવી જોઈશે, તેમાં સુરાખ પાડીને માર્ગ કાઢવો પડશે. કેટલીક જીવસૃષ્ટિ માટે એ પર્વતો અસ્તિત્વ ટકાવી રાખવાનું ઠેકાણું હોય તે આપણા માટે મહત્ત્વનું નથી. એ પર્વતોને જમીનદોસ્ત કરીને કેટલાંક જીવો અને વનસ્પતિઓનું નામ નિશાન ભૂંસી નાખીએ તેનો કશો વાંધો નહીં. મહત્ત્વનું એ છે કે મુંબઈ અને પણજી વચ્ચેની મુસાફરીનો સમય થોડા કલાક જેટલો ઓછો થાય.

હાલમાં આપણે આપણી વીજ શક્તિની પ્યાસને બુઝાવવા અણુ વીજ મથક અને ખનીજ તેલનાં કારખાના આ નાશ પામતા સૃષ્ટિમંડળમાં બાંધવા માંગીએ છીએ. જો સમુદ્રો ઝેરી બની જાય, જંગલો વસ્ત્રવિહીન થઇ જાય અને હજારો જીવસૃષ્ટિનાં જાન લેવાઈ જાય તો પણ ભલે. આપણે આપણા લૅપટૉપ અને સ્માર્ટ ફોન અને નવી ‘રિસ્પોન્સિબલ’ વીજળીથી ચાલતી કાર ચાર્જ કરવા છે.

શહેરીકરણનું સ્વપ્ન દુઃસ્વપ્નથી અગ્રક્રમે આવે છે

મારા શહેરને મેટ્રો રેલની જરૂર છે, તેથી હજારો વૃક્ષો કાપી નાખવાં બરાબર છે. એ કંઈ સામૂહિક હત્યા નથી, કેમ કે વૃક્ષો એ જીવિત સૃષ્ટિ છે તેમ હું નથી સ્વીકારતો. વૃક્ષો આ ધરતી પર હજારો વર્ષથી રહેતાં આવ્યાં હોય તો શું થયું? હવે મારે આ વિસ્તરની જરૂર છે જેથી મારા લોકો ઝડપી વાહનવ્યવહારની મજા માણી શકે. એ સૂક્ષ્મ જીવો, જંતુઓ, પક્ષીઓ અને પ્રાણીઓ કે જે એ જંગલને પોતાનું ઘર માનીને જીવતાં હતાં તેની કશી વિસાત નથી. એ ઝાડ-પાન, ફૂગ, શેવાળ, ઘાસ એ બધાનું કશું મહત્ત્વ નથી. એ મારા શહેરનાં ફેફસાં છે ખરાં, પણ મારી જમીન મેળવવાની લાલસા મારી પ્રાણવાયુ મેળવવાની જરૂરિયાત કરતાં વધુ મહત્ત્વની છે.

મારા શહેરમાં કારની માલિકી ધરાવનારાઓ વાહનોથી ચિક્કાર ભરાઈ ગયેલા રસ્તાઓથી પરેશાન થાય છે, અને તેમનો આવન-જાવનનો સમય વધતો જાય છે. એથી જ તો પરાંઓને જોડતી રેલ અને મેટ્રો નેટવર્ક બાંધું તો શું થઇ ગયું? ઉચ્ચ વર્ગ તરફ કૂચ કરતો મધ્યમ વર્ગ અને ધનિક લોકોને પોતાની અંગત કાર ચલાવવાની પણ જરૂરિયાત છે. મારે વધુ અને પહોળા રસ્તાઓની અને દરિયા કિનારે ફ્રીવેની પણ જરૂર છે.

સદીઓથી મારું શહેર માછીમારોથી વસેલું હતું, જેઓ આસપાસના દરિયાઈ વિસ્તારોમાં પેદા થતી મચ્છીઓ પકડીને ગુજરાન ચલાવતા હતા, હવે મારે એમની પરાંપરાગત માલિકીની વિશાળ જમીન અને દરિયાનો પણ થોડો ભાગ સુંદર રસ્તાઓ બનાવવા માટે જોઈએ છે. આથી વધુ દરિયાનો ભાગ કબજે કરવો જ જોઈશે, વધુને વધુ કળણ વાળી જમીન સુકવી નાખવી જોઈશે, હજુ વધુ ઉષ્ણ કટિબંધની વનરાજીનો નાશ કરવો જોઈશે. આ ઉષ્ણ કટિબંધની વનરાજીમાં ઘણાં દરિયાઈ જીવો ઉછેરે છે અને તેનો નાશ થવાથી પુષ્કળ પ્રમાણમાં દરિયાઈ વનસ્પતિ અને જીવો સદંતર નાશ પામશે, પણ તેનો કશો વાંધો નહીં. પરંપરાથી આ કાંઠા વિસ્તારમાં રહેતા આવેલા લોકો વિસ્થાપિત થઇ જશે અને પોતાની આજીવિકાના સાધનો ગુમાવશે તેનું કોઈ મહત્ત્વ નથી. 

ઉષ્ણ કટિબંધની વનરાજીનાં જંગલો કાંઠા વિસ્તારને ધોવાઈ જતા અટકાવે છે, એ જાણતા હોવા છતાં તેનો નાશ થાય તો કંઈ વાંધો નહીં.  જો એમ બનશે તો હું દરિયામાં કદરૂપા સિમેન્ટ કોંક્રિટના સ્તંભો નાખીશ, પરંતુ આ ઉષ્ણ કટિબંધની વનરાજી તો નાશ કરી શકાય તેવી છે. જો જળસૃષ્ટિના કેટલાક વર્ગોનાં પ્રાણી, થોડા પરવાળાના ખડકો અને દરિયા કાંઠાના વિસ્તારમાં જીવતાં થોડાં હજાર સૂક્ષ્મ જીવાણુંઓ લુપ્ત થઇ જાય તો તેનું મહત્ત્વ નથી. માત્ર મારી મહત્તા છે. મહત્ત્વનું એ છે કે મારો બોરીવલીથી નરીમાન પોઇન્ટ સુધીની સફરનો સમય અર્ધા કલાક જેટલો ઓછો થાય.

આપણે આટલાં સ્વાર્થી થઇ ગયાં છીએ. આપણા લોભને સંતોષવા પાછળ આપણે પ્રકૃતિના આ નિયમને વિસરી ગયા છીએ : તમામ જીવો એકબીજાં સાથે સંકળાયેલાં છે, કશું જ તદ્દન સ્વતંત્ર નથી. ઉત્ક્રાંતિની પ્રક્રિયા સાબિત કરે છે કે આપણું અસ્તિત્વ એવા ઘટકો પર આધારિત છે જેમાં અન્ય જીવસૃષ્ટિનો ફાળો હોય. જ્યારે એ જીવો નાશ પામે ત્યારે પત્તાના મહેલની માફક બધાં જીવોના વિનાશની અસર આપણા ખુદના વિનાશ સુધી આવી પહોંચશે. આપણને એ પણ જાણ નથી કે આપણે એ પત્તાના મહેલમાં છેલ્લી હરોળમાં હશું કે ક્યાંક વચ્ચે ફસાયેલા હશું.

આપણા અહંકારે આપણા અસ્તિત્વનું સાતત્ય બીજાં તમામ જીવોની સુરક્ષા પર આધારિત છે એ હકીકત પણ તદ્દન ભુલાવી દીધી છે. બધાં પ્રકારનાં જીવોનું મહત્ત્વ છે કેમ કે આપણું મહત્ત્વ છે.

આપણે એક માત્ર એવાં જીવો છીએ જેને પોતાના વારસાની જાળવણી સાથે નિસબત છે. અને છતાં આપણું જીવન માત્ર વર્તમાન સાથે સંબંધ ધરાવે છે. આપણે આપણી  5,000 વર્ષ જૂની સભ્યતા પર ગૌરવ લઈએ છીએ, પરંતુ આપણો વારસો સાચવવાની કંઈ તમા નથી.

એવા સમાચાર મળ્યા છે કે વર્ધાથી સેવાગ્રામ – કે જ્યાં મહાત્મા ગાંધીનો આશ્રમ છે એ માર્ગમાં આવતાં 300થી વધુ વૃક્ષો કાપી નાખવામાં આવશે, જેથી એ રસ્તો પહોળો કરી શકાય. કારણ : આશ્રમ જોવા આવનારાઓ માટે સુગમતા વધે. સરકારને એ વાતની મહત્તા નથી સમજાઈ કે જે વૃક્ષો કાપી નાખવામાં આવે છે તે ખુદ ગાંધી અને એમના સાથીઓએ જ વાવ્યાં અને ઉછેર્યાં હતાં જેથી વર્ધાથી સેવાગ્રામ ચાલીને આવતા મુલાકાતીઓને તેની છાયામાં બેસી શકે. એ વિશ્રાંતિનું સ્થાન બને.

ગાંધીએ સેવાગ્રામ સુધીની મુસાફરીને આરામદાયી બનાવવા આ વૃક્ષોને કાપી નાખવાની અનુમતિ ક્યારે ય ન આપી હોત.

ગાંધીએ કહેલું, ઝાડ પરથી એક પાન પણ તોડવું એ ગુનો અને પાપ છે. પરંતુ આજે તેમણે જ વાવેલાં વૃક્ષો વિકાસનાં નામે કાપવામાં આવી રહ્યાં છે.

તુષાર ગાંધી : મહાત્મા ગાંધીના પ્રપૌત્ર. કર્મશીલ, લેખક અને ગાંધી ફાઉન્ડેશનના પ્રમુખ.

તસવીર સૌજન્ય : વિકિમીડિયા, પિકિસ્ટ 

e.mail : 71abuch@gmail.com

મૂળ અંગ્રેજી લેખની લિંક :

http://www.allindiansmatter.in/what-we-destroy-in-the-name-of-development/

Loading

સાહિત્યસંસ્થાની ચૂંટણી બાબતે કેટલાક વિચારો

સુમન શાહ|Opinion - Opinion|25 October 2020

સાહિત્યની સંસ્થાની ચૂંટણીમાં ઊભેલા કોઈ પણ ઉમેદવારને પોતાની હેસિયતની મનોમન ખબર હોય છે, છતાં એ ઝંપલાવે છે.

એવા ઉમેદવારોના બે વર્ગ હોય છે :

એક વર્ગ છે વયોવૃદ્ધોનો. વયોવૃદ્ધને પોતાની શારીરિક મર્યાદાઓની ખબર હોય છે, છતાં એ પોતાના આદર્શો ઉચ્ચગ્રાહો તેમ જ પોતાની નાની-મોટી સાહિત્યિક સિદ્ધિને વિશે મુસ્તાક હોય છે. વળી એને વર્તમાન સાહિત્યિક પરિદૃશ્યથી સંતોષ નથી હોતો. કેટલાયે સાહિત્યકારોને એણે નથી સ્વીકાર્યા હોતા, કેટલાયથી એ સૂગાતો હોય છે. પરમ્પરાની બોલકી હિફાજત ખૂબ કરે છે પણ નવોન્મેષોને નથી જાણતો હોતો બલકે નગણ્ય ગણે છે. છતાં, એને અભરખો હોય છે કે સાહિત્યની છેલ્લી સેવા કરી લઉં. ઝુકાવે છે. પણ એ ઊભો હોય ત્યારથી મતદારોને ખબર હોય છે કે – આ તો નહીં જ જીતે. અને સાચું પડે છે. પણ વયોવૃદ્ધ કશી નાનમ નથી અનુભવતો. યથાશક્ય મથામણ કર્યાનો સંતોષ અંકે કરી ધીમે ધીમે, ઘરે પાછો ચાલી જાય છે.

આ વર્ગના ઉમેદવારોને મતદારસમાજની સૂઝબૂઝની કે વિવેકની ભાગ્યે જ કશી ગમ હોય છે.

બીજો વર્ગ છે સરખામણીએ જુવાનોનો. જુવાનને શારીરિક મર્યાદા જેવું કશું હોતું નથી. માનસિક જોર ઘણું હોય છે. એટલે અવનવું કરી નાખવાના ઉત્સાહથી ધમધમતો હોય છે. પ્રચાર વગેરે જરૂરી બાબતોમાં મચી પડે છે. પણ એને સંસ્થાના તેમ જ સાહિત્યના – બન્નેના – ઇતિહાસની પરખ નથી હોતી. સાહિત્યની સમગ્ર પરમ્પરા અને ઐતિહાસિક સિદ્ધિઓનાં એની પાસે લેખાંજોખાં પણ નથી હોતાં, એટલે શું બદલવાનું અને કેવી રીતે બદલવાનું તેની ગતાગમનો એનામાં અભાવ હોય છે. પણ મતદારોને એની આ અસલિયતની પાક્કી કે આછીપાતળી ખબર હોય છે. એટલે કેટલાક કહે – ભલે કાચો છે પણ કદાચ જીતી જાય; પણ કેટલાક એમ પણ કહે – કાચો છે એટલે જ કદાચ હારી જાય. બન્ને વખતે ‘કદાચ’ અચૂક પ્રયોજાય છે.

આ વર્ગના ઉમેદવારોને મતદારસમાજની કહેવાતી ઉદારતામાં અને ખાસ તો મિલીભગતમાં ભરોસો હોય છે. છતાં એ ભરોસો એમને જિતાડતો નથી. પરિણામ આવ્યે એમને એક પ્રશ્ન જરૂર થાય છે – વ્હૉટ વૅન્ટ રૉન્ગ?

તેમ છતાં એક વરવું સત્ય સમજવાલાક છે. દરેક ચૂંટણીમાં મતદારો પણ પેલા વયોવૃદ્ધને કે તેના કામને જાણ્યા-સમજ્યા વિના મત ઝીંકે છે. ને તેથી એ વયોવૃદ્ધ જીતી પણ જાય છે. એ જ ન્યાયે જુવાનને કે તેના કામને જાણ્યા-સમજ્યા વિના મતદારો મત ઝીંકે છે. ને તેથી જુવાન જીતી પણ જાય છે. આ છે અડસટ્ટો. લોકશાહીનું અંદરનું પોલાણ. કોઈપણ ઉમેદવારને એની ગુણવત્તા અનુસાર કેટલા મત મળ્યા ને કેટલા અડસટ્ટે મળ્યા તે કદી પણ જાણી શકાતું નથી. લોકશાહીનું બહારનું પોલાણ એ છે કે કોઈપણ લોકજનને એ ઉમેદવારી માટે તેમ જ મતદાન માટે લાયક ગણે છે.

માનવજાત હવે તો બરાબર સમજીને ચાલે છે કે સંસારમાં લોકશાહીથી વધારે સારી શાસનપ્રણાલિ એકે ય નથી. તેમ છતાં, લોકશાહી આ બેવડાં પોલાણો વચ્ચે પોતાના નાગરિકને નિરન્તરની પ્રક્રિયામાં સંડોવી રાખે છે ને હમેશાં એને ટટળતો રાખે છે. ભલા માનુષ સાહિત્યકારને અને નરવી નરદમ સાહિત્યકલાને એ જાતનો સકંજો શી રીતે પરવડે?

વળી, આમાં સાહિત્ય ક્યાં? સાહિત્યનું શું? સાહિત્યપદાર્થનાં રાખરખોપાંનું શું? કેમ કે ચૂંટણી તો હાર-જીત પછી પતી જાય છે. એ મહત્ કારણને લીધે વિજેતાઓ પણ ઇતિસિદ્ધમ્ કરીને પદપ્રાપ્તિના કૅફમાં રાચે છે. મીટિન્ગ છે મારે મીટિન્ગ છે કરતો ઠરાવોને ફાઈલોમાં ઠઠાડતો રહે છે. ઘણાને એવો ભાસ થાય છે કે પોતે ચૂંટણી જીત્યો એટલે થઈ ગયો સાહિત્યકાર ! કેટલાયે પ્રમુખોને અને મન્ત્રીઓને આજુબાજુવાળાઓ અહોભાવથી જોતા થઈ જાય છે. કેટલાયે ઉપપ્રમુખો અને મહામન્ત્રીઓ લોકને આપોઆપ મોટા સાહિત્યકાર લાગવા માંડે છે. બહાર રહેલા સાહિત્યકારોને પ્રશ્ન થાય છે – પોતે સાચા કે આ બધા સાચા? એ જાતનાં વરવાં પરિણામ છતાં લોકશાહી અને ચૂંટણીનું મહિમાગાન ચાલુ રહે છે. આ મુદ્દાનું તાત્પર્ય એ છે કે સાહિત્ય ક્રમે ક્રમે બાજુએ રહી જાય છે. મેં કહ્યું કે ચૂંટણી હાર-જીત પછી પતી જાય છે પણ મારે એમાં એ પણ ઉમેરવું છે કે ચૂંટણી પક્ષાપક્ષીનું દુખદ રાજકારણ પણ મૂકી જાય છે. એટલે, વળી પાછું એ જ કહેવાનું થાય છે કે – સાહિત્ય ક્રમે ક્રમે બાજુએ રહી જાય છે. સવાલ પાછો એ જ જાગે છે કે – આમાં સાહિત્યનું શું?

સાહિત્યની સંસ્થાઓમાં ચૂંટણી અને લોકશાહીથી અથવા લોકશાહી અને ચૂંટણીથી સાહિત્યિક પ્રવૃત્તિઓ જરૂર કરી શકાય. એથી સાહિત્યશબ્દ શિક્ષિતોમાં પ્રસરે. કલાને વિશેની પ્રજાકીય રસ-રુચિમાં સુધારા થાય, વધારા થાય. વ્યાપક સંસ્કૃતિ વચ્ચે સાહિત્યિક સંસ્કૃતિનો, સંભવ છે કે ક્રમે ક્રમે ઉદય થાય. સર્જક-શબ્દ સંસાર વચ્ચે અડીખમ ઊભો રહે.

પણ એથી કરીને સંસ્થા કોઈને લેખક સર્જક સમીક્ષક કે સિદ્ધાન્તકાર ન બનાવી શકે. અવળો સંભવ એ છે કે સંસ્થાપતિઓની દૃષ્ટિમતિ અનુસારની પદ્ધતિઓ વિકસે ને તેના માઠા પરિણામ રૂપે સાહિત્યકલાનું જ સંસ્થાકરણ થઈ જાય – સંસ્થા નક્કી કરે એ જ સાહિત્ય અને એ જેને ગણે તે જ સાહિત્યકાર. લોકશાહીમાં ઉચ્ચાવચતા ન હોય, પણ સંસ્થામાં પ્રમુખ ઉપ્રમુખ આદિ પદાધિકારીઓની હાયરાર્કી ડીફૉલ્ટ હોય છે, તેમાં – આ મોટા – આ નાના, જેવાં ઉમેરણ થાય છે. જો સાહિત્યિક સંસ્કૃતિ હોય, તો એમાં, સંસ્કૃતિ સંજ્ઞાની ફજેતી થાય એવા કુ-સંસ્કારો પણ સરજાય છે. પ્રમુખો તુમાખી દાખવે, ઝીલણહારા ઝીલે, બાકીના વગોવે, વગેરે. સરવાળે વાતાવરણ રાજકારણી રંગ પણ પકડે છે.

પાયાની વાત તો એ છે કે પ્રમુખ અને સૌ પદાધિકારીઓ પાસે સાહિત્યના પ્રસરણને માટેનું વિઝન જોઈશે. વિઝન માટે દેશવિદેશના સાહિત્યનું વાચનમનન જોઈશે. સંસ્થા બહારના પણ નીવડેલા સાહિત્યકારોના સાથસંગાથની તમા રાખવી જોઈશે. સંસ્થાની સમુચિત ટીકાટિપ્પણી કરનારાઓને શત્રુ સમજવાને બદલે મદદગાર ગણવા જોઈશે. પોતાના સાહિત્યિક સામયિકને સગવડિયું નહીં પણ સર્વાષ્લેશી બનાવવું જોઈશે. ઇન્ટનેટ અને બ્લૉગ્સ લગી વિકસી ગયેલા સાહિત્યનામી પરિદૃશ્યની મમતાપૂર્વક નુક્તેચિની કરવી જોઈશે.

અન્યથા, ચૂંટણીને વિશેનો ઉત્સાહ ગાંડા બાવળની જેમ વિસ્તરશે કેમ કે મતસંખ્યા સાહિત્યકારમાં ખપવા માટેનો સહેલો રસ્તો ગણાવા લાગી હશે. અને એક સમય એવો પણ આવશે કે સામાન્ય લેખક પણ મતસંખ્યાના જોરે પ્રમુખ બની જશે …

ત્યારે આપણે બધા રડી ન પડાય એટલા માટે હસવા મથતા હોઈશું …

= = =

(October 26, 2020: Peoria, IL, USA)

Loading

ગાંધીજી નીડર-અખંડ સમાજ ઇચ્છતા

રમેશ ઓઝા|Opinion - Opinion|25 October 2020

૧૯૧૫ના જાન્યુઆરી મહિનામાં ગાંધીજી ભારત આવ્યા, ત્યારે ગાંધીજીએ જેમને પોતાના રાજકીય ગુરુ તરીકે ઓળખાવ્યા હતા એ ગોપાલ કૃષ્ણ ગોખલેએ ગાંધીજીને સલાહ આપી હતી કે તેમણે એક વરસ કોઈ પણ પ્રકારનું રાજકીય નિવેદન કર્યા વિના ભારતભ્રમણ કરવું જોઈએ અને ભારતીય સમાજના સ્વરૂપને પોતાની સગી આંખે સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. ગાંધીજીને તેમની વાત ગળે ઊતરી હતી અને ગોખલેના આદેશને શિરોમાન્ય માન્યો હતો. તેમણે એક વરસ ભારતભ્રમણ કર્યું હતું. અહીં જ એક વાત નોંધી લેવી જોઈએ કે ભારતમાં પશ્ચિમમાં ક્વેટાથી લઈને પૂર્વમાં મણિપુર સુધી અને કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ગાંધીજીએ જેટલો પ્રવાસ કર્યો છે અને જેટલી વખત પ્રવાસ કર્યો છે એટલો પ્રવાસ ગાંધીજીની પહેલાં અને તેમની પછી કોઈએ નથી કર્યો. એમ કહી શકાય કે ભારતમાં ગાંધીજીની કંઈ નહીં તો ચોથા ભાગની જિંદગી રેલવેમાં વીતી છે.

આગલા લેખમાં કહ્યું હતું એમ એવું પણ નહોતું કે ગાંધીજી ભારત આવતા પહેલાં ભારતના સમાજથી અને તેના રાજકારણથી પરિચિત નહોતા. તેમને આની ઠીકઠીક પ્રમાણમાં જાણ હતી અને દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે ‘ઇન્ડિયન ઓપીનિયન’માં લખતા પણ હતા. તેમને એ વાતની પણ જાણ હતી કે ભારતનો શિક્ષિત વર્ગ રાજ્યના અને વિકાસના પાશ્ચાત્ય ઢાંચાથી પ્રભાવિત છે અને એને એમને એમ તેના સંપૂર્ણ સ્વરૂપમાં ભારતમાં લાગુ કરવા માગે છે. ગાંધીજીને રાષ્ટ્રની/રાજ્યની અને વિકાસની પાશ્ચત્ય અવધારણા પણ કબૂલ નહોતી અને તેનો ઢાંચો પણ કબૂલ નહોતો. ગાંધીજીને એ વાતની પણ જાણ હતી કે ભારતનો બહુજન સમાજ, મુસલમાનો અને અન્ય લઘુમતી કોમો અને સંપન્ન ભદ્ર વર્ગ અંગ્રેજ રાજ્યની તરફેણ કરે છે. લગભગ ૭૫થી ૮૦ ટકા ભારતીય પ્રજાને સ્વરાજ જોઈતું જ નથી, બલકે તેનો વિરોધ કરે છે. આનો અર્થ એ થયો કે ભારતીય પ્રજામાં પરસ્પર અવિશ્વાસ છે. ભારત આવ્યા એ પહેલા ગાંધીજીને એ વાતની પણ જાણ હતી કે ભારતીય પ્રજા બીકણ ભયભીત છે. પ્રતિકાર કરી શકતી નથી એટલે કાકલૂદીઓ અને માગણીઓ કરે છે. ટૂંકમાં દૂર રહીને પણ તેઓ ભારતના પ્રશ્નોથી પરિચિત હતા. ખાતરી કરવી હોય તો તેમણે આફ્રિકામાં ‘ઇન્ડિયન ઓપીનિયન’માં લખેલા લેખો જોઈ શકાય એમ છે.

આમ છતાં તેમણે મૂંગા રહીને ભારતભ્રમણ કરવાનું ગોખલેને વચન આપ્યું હતું અને પાળ્યું પણ હતું. તેઓ ભારતમાં ફરતા હતા એ દરમ્યાન દરેક જગ્યાએ તેમનું સન્માન કરવામાં આવતું હતું અને સન્માનના ઉત્તરમાં તેમને બોલવાનું કહેવામાં આવતું હતું. મોટા ભાગે ગાંધીજી બે વાત કહેતા હતા. એક અસ્પૃશ્યતા નિવારણની અને બીજી નિર્ભયતાની. તેમને એમ લાગતું હતું કે આમાં ગોખલેને આપેલા વચનનો ભંગ થતો નથી. માણસ બીજા માણસ સાથે માણસ તરીકે વર્તે એ માણસાઈનો પ્રશ્ન છે એમાં રાજકારણ ક્યાં આવ્યું? અને બીજું માણસ જો બીકણ હોય તો બીજા માટે તો ઠીક, પોતાના માટે પણ કોઈ કામનો નથી તો રાષ્ટ્ર તો બહુ દૂરની વાત છે. પોતાનાથી બીજાને દૂર રાખનારો માણસ, બીજાથી દૂર રહેનારો માણસ અને અનેક પ્રકારના ડરથી ડરનારો ભયભીત માણસ કોઈ મહાન કામ કરી જ ન શકે. આમ એક વરસના ભારતભ્રમણ દરમ્યાન ગાંધીજી નીડર અને અખંડ માણસની હિમાયત કરતા હતા.

આ રાજકીય બાબત નહોતી? ગાંધીજી ભારત આવ્યા એ પછી ગોપાલ કૃષ્ણ ગોખલેનું તરત જ અવસાન થયું હતું. જો તેઓ હયાત હોત તો કદાચ તેમણે આ સવાલ ગાંધીજીને પૂછ્યો પણ હોત. માણસની માણસ તરીકેની અખિલાઈ અને નીડરતા એ રાજકારણ છે કે આધ્યાત્મિકતા એવો વળતો સવાલ કદાચ ગાંધીજીએ ગોખલે મહારાજને પૂછ્યો હોત. બીજા શબ્દોમાં કહીએ તો અભેદ અને અભય એ આધ્યાત્મ છે કે રાજકારણ? આ તો માત્ર મારું અનુમાન છે, તમારે તો મેં જે મુદો ઉપસ્થિત કર્યો છે એના વિષે વિચારવાનું છે. ગોપાલ કૃષ્ણ ગોખલેએ ગાંધીજીને રાજકીય નિવેદનો કર્યા વિના એક વરસ ભારતભ્રમણ કરવાની સલાહ એટલા માટે આપી હતી કે તેઓ રાજકારણને જૂની પરંપરાગત નજરે જ જોતા હતા જેમાં છાવણીઓ હોય. આશ્ચર્ય એ વાતનું છે કે તમામ ભારતીય નેતાઓમાં ગોખલે ગાંધીજીને સૌથી વધુ જાણતા હતા. ૧૯૦૯માં તેમણે કૉન્ગ્રેસના અધિવેશનમાં લગભગ આલ્બર્ટ આઇન્સ્ટાઇનના શબ્દોમાં કહ્યું હતું કે આ ધરતી ઉપર ભાગ્યે જ જોવા મળે એવો માણસ ભારતમાં અવતર્યો છે અને આફ્રિકામાં કામ કરે છે. આમ છતાં ગોખલેને અખંડતા અને નિર્ભયતાના આધ્યાત્મિક ગણાતા ગુણોની રાજકીય સંભાવના ધ્યાનમાં નહોતી આવી.

એ પાસું ધ્યાનમાં આવ્યું હતું પાછળથી દીનબંધુ તરીકે ઓળખાયેલા સી.એફ. ઍન્ડ્રુઝને. તેઓ પાદરી હતા, દિલ્હીની સેન્ટ સ્ટીફન કોલેજમાં ભણાવતા હતા, ગોખલે અને રવીન્દ્રનાથ ટાગોરના મિત્ર હતા. ૧૯૧૩માં દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી અને જનરલ સ્મટ્સ વચ્ચે રાજકીય મડાગાંઠ સર્જાઈ અને રાજકીય ઉકેલ આવતો નહોતો ત્યારે ગોખલેએ ભારતના વાઇસરોયને કહ્યું હતું કે ભારત સરકારે દક્ષિણ આફ્રિકાની સરકાર ઉપર સમાધાન માટે દબાણ લાવવું જોઈએ. વાઇસરોયના પ્રતિનિધિ તરીકે સર બેન્જામીન રોબર્ટસન અને કૉન્ગ્રેસના પ્રતિનિધિ તરીકે ઍન્ડ્રુઝ અને ડબલ્યુ. ડબલ્યુ. પીઅરસન એમ ત્રણ સભ્યો મધ્યસ્થી કરવા આફ્રિકા ગયા હતા. તેઓ બીજી જાન્યુઆરી ૧૯૧૪ના રોજ ડર્બન બંદરે પહોંચ્યા ત્યારે ડોક પર તેમનું સ્વાગત કરવા દક્ષિણ આફ્રિકાની સરકારના અધિકારીઓ અને ગાંધીજી હાજર હતા. ઍન્ડ્રુઝ બહાર આવીને ગાંધીજીને પગે લાગ્યા હતા. એક લવાદ અને ખ્રિસ્તી ફાધર પક્ષકારને પગે લાગે અને એ પણ હિન્દી? અધિકારીઓ તો ચોંકી ગયા હતા.

આનું રહસ્ય બે જણ જાણતા હતા. એક જનરલ સ્મટ્સ અને બીજા સી.એફ. ઍન્ડ્રુઝ. ઍન્ડ્રુઝ વિષ્ટિ કરાવવા આવ્યા હોવા છતાં ગાંધીજીને પગે લાગે એમાં સ્મટ્સને કોઈ આશ્ચર્ય નહોતું થયું. ગાંધીજીમાં રહેલા અભેદ અને અભય એ બે ગુણ બે અંગ્રેજોના ધ્યાનમાં આવી ગયા હતા, જે ગોખલેના ધ્યાનમાં નહોતા આવ્યા. આનું કારણ એ છે કે ઍન્ડ્રુઝ યુરોપિયન હતા, અંગ્રેજ હતા, ખ્રિસ્તી હતા, ફાધર હતા, ભારતમાં રહેતા હતા એટલે પાશ્ચાત્ય અને પૌર્વાર્ત્ય સભ્યતા વિશેના ગાંધીજીના દૃષ્ટિકોણને બન્ને છેડેથી સમજી શકતા હતા. સ્મટ્સ પ્રચંડ શક્તિશાળી સામ્રાજ્યના પ્રતિનિધિ સત્તાધીશ હતા અને ગાંધીજીની અંદર રહેલા સામ્રાજ્યને હલાવી શકનારા શક્તિના સ્રોત વિશે તેઓ જાણતા હતા. રોજેરોજ અનુભવ કરતા હતા. એક બાજુએ સામ્રાજ્યની શક્તિ અને બીજી બાજુ મુઠ્ઠી હાડકાંના માનવીની શક્તિનો તેમને અનુભવ હતો. એટલે તો સમાધાન પછી ગાંધીજીએ આફ્રિકાથી ભારત આવવા વિદાય લીધી ત્યારે સ્મટ્સે લખ્યું હતું, ‘અંતે સંતે આફ્રિકાનો કિનારો છોડ્યો, હું આશા રાખું છું કે કાયમ માટે’.

ગાંધીજીએ તેમની આત્મકથામાં ‘શાંતિનિકેતન’ નામના પ્રકરણમાં અંતમાં લખ્યું છે: ‘ઍન્ડ્રુઝ બર્દવાન સુધી મારી સાથે આવ્યા હતા. તેમણે મને પૂછ્યું, ‘તમારે હિંદુસ્તાનમાં સત્યાગ્રહ કરવાનો અવસર આવે એમ લાગે છે ખરું? ને લાગતું હોય તો ક્યારે એની કાંઈ કલ્પના આવે છે?’

મેં જવાબ આપ્યો, ‘આનો જવાબ આપવો મુશ્કેલ છે. મારે એક વર્ષ તો કાંઈ કરવાપણું છે જ નહીં. ગોખલેએ મારી પાસેથી વચન લીધું છે કે, એક વર્ષ લગી મારે ભ્રમણ કરવું, કોઈ જાહેર પ્રશ્ન પર વિચાર ન બાંધવો, ન બતાવવો. આ વચન હું અક્ષરસઃ પાળવાનો છું. પછી પણ મારે કોઈ પ્રશ્ન પર બોલવાપણું હશે તો જ હું બોલવાનો છું. એટલે પાંચ વર્ષ લગી સત્યાગ્રહ કરવાનો અવસર આવે એમ મને લાગતું નથી.’’

એ પછી ગાંધીજી લખે છે, ‘અહીં આટલું કહેવું પ્રસ્તુત છે કે ‘હિંદ સ્વરાજ’માં મેં જે વિચારો દર્શાવ્યા છે તેને ગોખલે હસી કાઢતા અને કહેતા: ‘એક વર્ષ તમે હિંદુસ્તાનમાં રહી જોશો એટલે તમારા વિચારો એની મેળે ઠેકાણે આવશે.’’

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 25 ઑક્ટોબર 2020

Loading

...102030...2,1112,1122,1132,114...2,1202,1302,140...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved