Opinion Magazine
Number of visits: 9573812
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લાલુપ્રસાદ યાદવ અને નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દી વચ્ચે રહેલું સામ્ય

અસીમ અલી, અસીમ અલી|Opinion - Opinion|28 October 2020

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા તેમના ટીકાકારોને પણ અચરજમાં નાખી દે છે. તેમને વિસ્મય એ વાતનું છે કે આ છ વરસમાં મોદીએ એવું કર્યું છે શું? જો કે આ સવાલ ખોટો છે. તેમની લોકપ્રિયતા તેમણે જે કર્યું છે તેને નહીં, પણ તેમણે જે નથી કર્યું તેને આભારી છે. લોકોની નજરમાં નરેન્દ્ર મોદીની ઓળખ નિરાશાજનક વર્તમાન યથાસ્થિતિનો અંત આણનારની રહી છે.

પોતાના નામે ખાસ કશી સિદ્ધિ ન હોવા છતાં, મોદીની લોકપ્રિયતા એક સમયે લાલુપ્રસાદ યાદવની લોકપ્રિયતાની યાદ અપાવે એવી છે. લાલુએ બિહારમાં પ્રચંડ લોકપ્રિયતા સાથે પંદર વરસ સુધી રાજ કર્યું, તેનાથી પણ વિશ્લેષકો આશ્ચર્યમાં હતા. બંને નેતાઓનો આ દૃષ્ટિએ અભ્યાસ કરવાથી કદાચ મોદીને શી રીતે પડકારી શકાય તેનો ખ્યાલ પણ આવી શકશે.

છેલ્લાં છ વરસ દરમિયાન મોદીએ લીધેલાં કેટલાંક મોટાં પગલાં જુઓ: નોટબંધી, કલમ 370, જી.એસ.ટી., કૃષિ કાયદા અને શ્રમિક કાયદા. આ દરેકની પાછળ એક રાજકીય ગણિત દેખાઈ આવે છે. મોદી નવી આશાઓથી ઉભરાતા સમાજના સમર્થનના જોરે ચૂંટાયા અને વડા પ્રધાન બન્યા. આ આશાવાદી સમાજનો મોટો હિસ્સો નવ-મધ્યમ વર્ગનો બનેલો હતો, જે ઉદારીકરણનો લાભાર્થી હતો ખરો, પણ તેમની મહત્ત્વાકાંક્ષા એથીયે મોટી હતી. એમાં મોદીની ચબરાકી એ હતી કે તે મધ્યમ વર્ગની નિષ્ફળતાઓ માટે અંગત સ્થાપિત હિતો ધરાવતી વ્યક્તિઓના તાબા હેઠળના અને ભ્રષ્ટ તંત્રને જવાબદાર ઠેરવી શક્યા. આ રીતે જૂનું વ્યવસ્થા-તંત્ર 2014 સુધીમાં લોકોના મનમાં એટલું ત્રાસદાયક બની ગયું કે તેને તોડી પાડવું એ જ તેમને મન આવનારા શાસકની સૌથી મોટી લાયકાત બની ગયું.

જો કે, મોદી લોકોને હજુ એવું ઠસાવી રહ્યા છે કે જૂનું તંત્ર જીવિત જ છે: “સિત્તેર વરસનો ખાડો” પૂરતાં થોડો વખત લાગશે! આ જ તેમની મુખ્ય અપીલ રહી છે, અને તેમને મત મળતા પણ રહ્યા છે. જૂના ભારતના નાશ પછી જ ‘નવું ભારત’ બનશે એવું તે કહેતા હોય છે.

તેમના મોટા ભાગનાં રાજકીય પગલાં પાછળ આ દલીલ રહેલી હોય છે કે તે સ્થાપિત હિતોવાળી યથાસ્થિતિને નષ્ટ કરી રહ્યા છે. આમ, (તેમના દાવા પ્રમાણે) નોટબંધીએ દેશમાં કાળા નાણાંનો નાશ કર્યો, જી.એસ.ટી.એ દેશની ભ્રષ્ટ અર્થવ્યવસ્થાની કમર તોડી નાખી. અબ્દુલ્લા અને મુફ્તીના (તેમ જ અલગતાવાદીઓના) ભ્રષ્ટ કબજામાંથી જમ્મુ-કાશ્મીરને છોડાવવા કલમ 370 દૂર કરવામાં આવી, જે રાજ્યને પછાત રાખતી હતી અને તેનું બાકીના ભારત સાથેનું સંપૂર્ણ એકીકરણ અટકાવતી હતી. હમણાં જ પસાર થયેલાં કૃષિ કાનૂનો ખેતીનું આધુનિકરણ અવરોધનારા વચેટિયાથી ખેડૂતોને આઝાદ કરશે. એ રીતે શ્રમિક સુધારાઓ પણ ઔદ્યોગીકરણને ઝડપ આપશે … આવાં કારણો અને દાવાનો પ્રચાર સતત થતો રહે છે.

જો કે આ સ્થાપિત તંત્ર તૂટ્યા પછી મોદીએ નવું માળખું ઊભું કરાવામાં રસ દાખવ્યો નથી. કાશ્મીર નીતિ સાવ નિષ્ફળ ગઈ છે, જી.એસ.ટી.નો અમલ ખૂબ નબળો રહ્યો છે, નોટબંધી પોતે એક મોટી આપદા હતી અને નવા કૃષિ કે શ્રમ સુધારાઓની જમીન પર શું અસર થશે એ વિશે હજી કોઈ સ્પષ્ટતા નથી. નહેરુની જેમ નવાં માળખાં કે સંસ્થાઓ ઊભાં કરવાના મામલે મોદીમાં ઇચ્છાશક્તિ અને ક્ષમતા બંનેનો અભાવ જોવા મળ્યો છે. તેમ છતાં આ મુદ્દાઓના સમર્થનમાં તેમની વધારે પડતી સરળ અને ગોળગોળ વાતો તેમની મર્યાદા છતી કરતી નથી. ઉપરથી તેને તેમનું જમા પાસું ગણવામાં આવે છે. લોકોને જલદી ગળે ઊતરી જાય એવી સરળ વાતો જ રાજકીય રીતે ફાયદો કરાવે, એ લાલુપ્રસાદ યાદવના કિસ્સામાં પણ જોવા મળ્યું હતું.

મોદીની જેમ લાલુની ચડતી પણ જૂનું માળખું ભાંગવાના પ્રતિકરૂપ હતી. 1960ના દાયકાથી બિહારના પછાત વર્ગમાં રાજકીય જાગૃતિ વધી રહી હતી, જેને લોહિયા, જેપી અને કર્પૂરી ઠાકુર જેવા નેતાઓ ઘડી રહ્યા હતા. હરિત ક્રાંતિને પરિણામે આ ખેડૂત વર્ગની આકાંક્ષાઓ પણ વધી હતી. ઉપલા વર્ગની જાતિના કબજા હેઠળનું જૂનું માળખું, એ જ વર્ગમાંથી આવતા લોકોની કૉંગ્રેસનું બનેલું હતું. 1990માં લાલુ મુખ્ય મંત્રી થયા, ત્યાં સુધીમાં તે માળખાને જાકારો મળી ચૂક્યો હતો.

મોદીની જેમ લાલુની પ્રાથમિકતા બિહારમાં આ માળખાનો વિકલ્પ ઊભો કરવાની ન હતી. નવું માળખું તેમના મુખ્ય મતદાર વર્ગને ફાયદો કરાવી શક્યું હોત, અને જૂના માળખાને પડકારી પણ શક્યું હોત. તેમની જનતા પાર્ટીનો નારો “વિકાસ નહિ, સન્માન જોઈએ”-નો હતો. રાજકીય વિશ્લેષક જેફ્રી વિટ્ઝોએ લખ્યું તેમ, લાલુએ પછાત વર્ગના મતોને ખેંચ્યા, તે કોઈ શાસકીય નીતિ-વ્યવસ્થાના જોરે નહીં, પણ આ વર્ગના સન્માનના નામે. તેમનું ધ્યાન રાજ્યને ઉપલી જાતિના લોકોની પકડથી છોડાવવા પર કેન્દ્રિત હતું. એ કારણે તેમને વારંવાર ઉપલી જાતિના લોકોથી બનેલી પોલીસ, વહીવટી તંત્ર અને ન્યાયતંત્ર સાથે ઘર્ષણ થતું.

સમય સાથે આ ઘર્ષણ વધતું ગયું. વિશ્લેષક અતુલ કોહલીએ તેને ‘બિહારની શાસકીય કટોકટી’ એવું નામ આપ્યું. શિક્ષણ, આરોગ્ય અને નોકરીઓમાં રાજ્ય પછાત જ રહ્યું. એમાં ય ભ્રષ્ટાચાર અને કાયદો-વ્યવસ્થાનો પ્રશ્ન કૉંગ્રેસના શાસન સમયથી જ વિકરાળ હતો અને તે વધુ વકર્યો. તેમ છતાં લાલુ લોકપ્રિયતા ભોગવતા રહ્યા અને 1995માં વધુ મોટી બહુમતીથી સરકાર રચી શક્યા. લાલુ કે મોદી જેવા લોકપ્રિય નેતાઓ થોડા સમય માટે તેમની શાસકીય નીતિની ટીકાથી બચી શકતા હોય છે કે તેનાથી પર રહેતા હોય છે. હકીકતમાં તે ટીકાને પોતાના સમર્થનમાં ફેરવી શકે છે. કેમ કે, તે ટીકાકારોને જૂના માળખાના પ્રતિક તરીકે ચિતરે છે. એવો પ્રચાર કરવામાં આવે છે કે ટીકા કરનારા જૂનું માળખું તૂટવાથી તેમનો ગરાસ લૂંટાઈ જવાને કારણે દુઃખી છે અને ટીકા કરે છે. લાલુએ પોતાના શાસનકાળ દરમિયાન થયેલા ભ્રષ્ટાચારને ઉપલી જાતિના પ્રભુત્વ હેઠળની તપાસ સંસ્થાઓના તથા ન્યાયતંત્રના કાવતરા તરીકે રજૂ કર્યો. સામે પક્ષે, ગરીબ વર્ગ લાલુને પોતાનામાંથી એક ગણતો હતો, જેમ મધ્યમ વર્ગના લોકો (‘ચાવાળાના દીકરા’) મોદીને પોતાની વચ્ચેથી ઊભરેલા નેતા તરીકે જુએ છે. લાલુરાજથી પછાત વર્ગને સામાજિક અને રાજકીય ફાયદો થયો હતો અને તે ઉપલી જાતિની પકડમાં હોય એવા જૂના વ્યવસ્થાતંત્રમાં પાછા ફરવા ઇચ્છતા ન હતા. લાલુને તે પોતાની (નીચલી) જાતિઓનાના ઉપલી જાતિ વિરુદ્ધ પ્રતિકારના પ્રતિક તરીકે જોતા.

જો કે 2000ની ચૂંટણીમાં લાલુએ બહુમતી ગુમાવી અને 2005ની ચૂંટણી તે હાર્યા. લાલુને એ પાઠ મળ્યો કે લોકોની મહત્ત્વાંકાંક્ષા પૂરી ન થાય તો લોકપ્રિયતા કાયમી નથી ટકતી. આર્થિક કટોકટી અને વ્યાપક બેરોજગારી જેવી સમસ્યાઓ છતાં મોદીની લોકપ્રિયતા અકબંધ રહી છે, પણ 2024ની ચૂંટણીને હજી ઘણી વાર છે. સમય ગમે ત્યારે બદલાઈ શકે છે.

જો કે બિહારના ઉદાહરણ પરથી એ સમજાય છે કે આ પરિવર્તન કોઈ વૈકલ્પિક રાજકીય માળખા વિના શક્ય બનતું નથી. માત્ર સરકારના વિરોધથી કશું સરતું નથી. નીતિશકુમારે “નવા બિહાર”ની વાત કરી હતી, જૂના માળખા તરફ પાછા ફરવાની નહીં. જેફ્રી વિટ્ઝો અને ફ્રેન્કાઇન ફ્રેન્કેલે નોંધ્યું તેમ, નીતિશ લાલુને ખસેડી શક્યા, કારણ કે તેમણે સામાજિક ન્યાય અને વિકાસ બંનેને સાંકળ્યા. લાલુ આ બંનેને મિશ્ર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. વળી, નીતિશકુમારે માત્ર વાતો કરવાને બદલે પોતાની રાજનીતિ તેની આસપાસ ગોઠવી. અતિ પછાત વર્ગોને તેમણે પોતાની સાથે કર્યા, જે લાલુરાજ દરમ્યાન મુસ્લિમ-યાદવના પ્રભુત્વથી દુઃખી હતા અને પોતાને શોષિત ગણતા હતા. કૂર્મી અને કોરી જાતિના મતોની સાથે દલિત મુસ્મિમો પણ નીતિશની સાથે હતા. આમાં ભા.જ.પ.ના ઉપલી જાતિના મતો ભળવાથી વિજયી યુતિ રચાતી હતી. જો કે લાલુની જેમ પોતાને ફક્ત પછાત જાતિના નેતા તરીકે રજૂ કરવાને બદલે, નીતીશે નવાં સપનાં ધરાવતા અને સ્વચ્છ રાજનીતિની અપેક્ષા રાખતા મતદાર વર્ગના નેતા તરીકે પણ પોતાની જાતને રજૂ કરી.

મોદીની લોકપ્રિયતા ખટકતી હોય તેમણે પૂછવું જોઇએ કે વિપક્ષ કયો વિકલ્પ રજૂ કરી રહ્યો છે? કૉંગ્રેસ હજુ ભ્રષ્ટાચાર અને વંશવાદથી ગ્રસ્ત છે. તેના મોટા ભાગના નેતાઓ કોઇ રાજકીય નેતાના વંશજ છે. ખુદ કેન્દ્રીય નેતૃત્વ નહેરુ-ગાંધી પરિવારની ચોથી પેઢીના હાથમાં છે. હવે તે પોતાને પછાતો, દલિતો અને મુસ્લિમોના પક્ષ તરીકે રજૂ કરવાનો પ્રયત્ન કરે છે, પણ તેમાં તેમને મોટી સફળતા મળી નથી અને તે પણ આ બાબતે ખાસ ગંભીર જણાતા નથી. તેના નેતાઓ વચ્ચેના મતભેદોને કારણે વિચારધારાના મામલે પણ કૉંગ્રેસમાં કોઈ સ્પષ્ટતા નથી.

ઉપરાંત, રાજ્યના સ્થાનિક પક્ષો એવી આશા સેવીને બેઠા છે કે કૉંગ્રેસથી નિરાશ મતદાર વર્ગ નછૂટકે તેમની પાસે જ આવશે. તે પોતાની 1980ના દાયકાની રાજનીતિને 2020ની વાસ્તવિકતાઓને અનુરૂપ બનાવી રહ્યા નથી. તાળાબંધી દરમિયાન શ્રમિકોની સમસ્યાને મોદી વટાવી શક્યા, પણ સવાલ એ છે કે વિપક્ષના કયા નેતાએ આ સમસ્યાને રાજકારણનો મુદ્દો બનાવી અને એ વર્ગને પોતાની સાથે લેવા ગંભીર પ્રયત્નો કર્યા?

જૂનું વ્યવસ્થાતંત્ર પોતાની વિશ્વસનીયતા ખોઈ બેઠેલું છે. આથી, મોદીનો રકાસ ત્યારે થશે, જ્યારે કોઈ રાજકીય પક્ષ નવું માળખું જ લાવશે. દુઃખદ વાત એ છે કે આ વિકલ્પ રચાતો હોય એવું અત્યારે તો ક્યાં ય દેખાઈ રહ્યું નથી. 

(સૌજન્યઃ ‘ધ ટેલીગ્રાફ’, અનુવાદઃ સુજાત)

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 26 ઑક્ટોબર 2020; પૃ. 07-09

Loading

બાપીકા ઓરતા : વર્ણ ને વારસાની વાતડિયું

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|28 October 2020

‘આ જુદે જુદે સ્થળે વસતા ગુજરાતીઓ આજે શાથી એક બને છે ? એમને શું એક બનાવે છે ? ગુજરાતીપણું – ગુજરાતીતા – ગુજરાતની અસ્મિતા એટલે શું ? એ વધે છે કે ઘટે છે ? વધે છે તો કેટલી ને કેવીક વધે છે ?

‘આ અસ્મિતા શબ્દ 1913 – 14માં હું ‘યોગસૂત્ર’માંથી આપણા ઉપયોગમાં ખેંચી લાવ્યો, ત્યારથી હું તેના પર વિચાર કરું છું, અને તેને પોષે એવી સામગ્રી એકઠી કરું છું. અમે જન્મે ગુજરાતી છીએ, અમે ગુજરાતી બોલીએ છીએ, અમારા સંસ્કાર ગુજરાતી છે એમ કહ્યે આપણામાં ગુજરાતી અસ્મિતા આવતી નથી. અસ્મિતા જે મનોદશા સૂચવે છે તેના બે અંગ છે : ‘હું છું’ અને ‘હું હું જ રહેવા માગું છું’, એમાં એક વ્યક્તિત્વની સુરેખ કલ્પના અને એ વ્યક્તિત્વને હસ્તીમાં રાખવાનો સંકલ્પ બન્ને રહ્યાં છે. જ્યારે આપણે ‘ગુજરાતની અસ્મિતા’ શબ્દો ઉચ્ચારીએ છીએ ત્યારે કયા અને કેવા ગુજરાતની કલ્પના સેવીએ છીએ ? ને કયા ગુજરાતને હસ્તીમાં આણવાનો સંકલ્પ કરીએ છીએ ?’

સન 1937માં કરાંચી મુકામે મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના તેરમા અધિવેશન પ્રસંગે પ્રમુખસ્થાનેથી આપેલાં વ્યાખ્યાનમાં કનૈયાલાલ માણેકલાલ મુનશીએ આમ કહેલું.

આ વ્યાખ્યાન અંગે આચાર્ય આનન્દશંકર બાપુભાઈ ધ્રુવે ‘સાહિત્યવિચાર’માં વિષદ છણાવટ કરી છે. “વસંત” સામયિકના વર્ષ 36ના (શ્રાવણ-આશ્વિન, સં. 1993) ત્રીજા અંકમાં આનન્દશંકરભાઈ લખતા હતા : ‘અમે નિખાલસપણે કહીશું કે વર્તમાન સમયમાં પ્રાન્તિક સ્વરાજ્યને લીધે પ્રાન્તિક ‘અસ્મિતા’ ભારતના અભેદદર્શનમાં વિઘ્નકર થવાનો ભય છે.’ આગળ વધતાં એ કહેતા હતા : ‘… પ્રાન્તીય સ્વરાજ્યના આ દિવસોમાં હિન્દસમસ્તની એકતાની ભાવના લક્ષ્ય બહાર જતી રહેવાનો અમને ભય છે. અમે તો એક ગૂજરાતી તરીકેની આપણી અસ્મિતા વધારે ઉત્કટ ન બની જાય તેટલા માટે વ્યક્તિત્વવાદી વાચકોને વિચારવા વીનવશું કે રા. મુનશી જેને ગૂજરાતનું ‘સાંસ્કારિક વ્યક્તિત્વ’ કહે છે એના ઘટક અવયવો શા છે, કે જે ભારતની સામાન્ય સંસ્કૃતિમાં નથી અને જે ગૂજરાતની વિશિષ્ટતા બતાવે છે ? અમને તો ભાગ્યે કોઈ જડે છે.’

તળ ગુજરાતથી વળોટી એક મોટો સમૂહ દરિયાપાર જઈ વસ્યો છે અને આશરે સવાસો જેટલા દેશોમાં આ જમાત સ્થાયી બની છે. તેથી મુનશી સૂચવી અસ્મિતાની વ્યાખ્યા આજે કેટલે અંશે આ નવોદિત સંદર્ભે કારગત નીવડે ? આનન્દશંકરભાઈ તો ભારતના અભેદદર્શનમાં આ વિઘ્નકર થાય તેમ જણાવતા હતા. જાગતિક પરિપ્રેક્ષ્યે જોઈએ, વિચારીએ તો ય આજે આ વિચાર મુદ્દે વિશેષ ગાબડાં પડે તેમ સહજ દેખાઈ આવે.

હવે બીજી પાસ, બરાક ઓબામા લિખિત ‘ડૃીમ્સ ફ્રૉમ માઇ ફાધર – ઍ સ્ટોરી ઑવ્ રેઇસ એન્ડ ઇન્‌હેરિટન્સ’[બાપીકા ઓરતા : વર્ણ ને વારસાની વાતડિયું]માંથી પસાર થતા થતા ઓળખ [identity], વર્ગ [class], વર્ણ [race] સરખા પેચીદા કોયડાઓ સતત અથડાયા કર્યા. અને પરિણામે ન અહીંના, ન તહીંના તેમ ત્રિશંકુ શી હાલતમાં લપેટાયા હોઈએ તેમ લાગ્યા કરે છે.

બરાક ઓબામા વકીલાતનું ભણી રહ્યા હતા. હાર્વર્ડ લૉ સ્કૂલનો અભ્યાસ ચાલતો હતો. તેવાકમાં ‘હાર્વર્ડ  લૉ રિવ્યૂ’ના પ્રમુખપદે એમની વરણી થાય છે. અને ચોમેર જે કંઈ સમાચારો પ્રસિદ્ધ થયા તેને આધારે એક પ્રકાશન જૂથે બરાકભાઈને અમેરિકી વર્ણભેદ સંબંધક પુસ્તક કરવાનો પ્રસ્તાવ મુક્યો. ડિગ્રી મળ્યા કેડે એક વરસનો સમયગાળો લઈને પુસ્તક કરવાનું એ કબૂલે છે. પરંતુ તે ત્યારે એમ કરી ન શક્યા. ઓબામા શિકાગોમાં પગ ખોડી રહ્યા હતા. મિશેલ જોડે ઘરસંસાર માંડે છે અને નાનુંમોટું કામ કરે છે. પણ પેલો કીડો સળવળ્યા કરે છે. પુસ્તક ન થયાનો વસવસો ભીસતો ય રહ્યો છે. અને તે પોતાની માતા, સ્ટેન્‌લી એન ડનહામ પાસે ઇન્ડોનેશિયા જઈ પુસ્તકના લેખનમાં પરોવાય છે. માતા માનવશાસ્ત્ર વિજ્ઞાની છે. એ લેખકને સલાહસૂચન આપે છે અને છેવટે આ પુસ્તક આપણને મળે છે.

પુસ્તકને નવ પ્રકરણો છે. છેલ્લે ઇતિલેખ છે. પરંતુ તે ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે : ઓરિજિન, શિકાગો અને કિન્યા. હોનોલુલુ તેમ જ શિકાગોમાં પસાર કરેલા આરંભિક દિવસોની વાત આરંભથી અહીં વણી લેવામાં આવી છે. બરાક ઓબામા સ્મરણકથાની આ ચોપડીમાં પોતાના પિતા, જેમનું નામ પણ બરાક ઓબામા છે, તેમનાં મૂળને સમજવા, પામવા મથ્યા છે. અને તેને સારુ એ ખુદ કિન્યાની મુલાકાતે નીકળે છે અને પોતાના બાપીકા વિસ્તારની યાત્રાએ જાય છે. વિક્ટોરિયા સરોવરના કંઠાર વિસ્તારમાં જન્મેલા વરિષ્ટ ઓબામા લૂઓ જાતિપરંપરાનું ફરજંદ. તેથી તે વિસ્તારમાં જઈ એ ગ્રામપ્રદેશમાં રોકાણ કરે છે. તેના પિતાના સગાંશાહીને મળેહળે છે. ભાંડુંઓને હળેમળે છે તેમ પોતાનાં દાદીમા, હબીબા અકુમુ સાથે ય તાલમેલ કરે છે. દાદીમા સહિત સૌનો પારાવાર સ્નેહ મેળવે છે.

પણ આ વાત અહીં અટકતી નથી, બરાક ઓબામા પોતાની ઓળખ જાણવા સમજવામાં ખોવાયેલા રહે છે. કિશોર બરાક ઓબામા હવાઈ ટાપુના હોનોલુલુ નગરની પુનાહૂ એકેડેમીમાં ભણતા હતા, તે વેળા તે કીથ કાકુગાવા નામે તેમનાથી મોટા સહવિદ્યાર્થીના સંપર્કમાં આવે છે અને તે બરાકને આફ્રિકન-અમેરિકન જમાતમાં લઈ જાય છે. અને પછી, એમની ખોજનો, આંતરખોજનો આરંભ થાય છે. બરાક ખુદ લખે છે કે આ ખોજને કારણે એક પ્રકારે ઊંડી વેદનામાં તે જઈ પડે છે.

એમના સમકાલીન અને જગતને સાંપડેલાં એક મોટાં ગજાંના અમેરિકી સાહિત્યકાર તેમ જ નોબેલ પારિતોષિક વિજેતા ટૉની મોરિસન લખે છે તેમ, બરાક ઓબામાને થયેલા અનેક અભૂતપૂર્વ અનુભવોની જાળમાંથી કુનેહપૂર્વક પોતાનો માર્ગ ગોઠવી લેનાર આ લેખકે જે રીતે સંવાદો મુક્યા છે, પ્રસંગો કંડાર્યા છે, લખાણને વહેતું રાખ્યું છે તેથી તે કોઈ સાધારણ પ્રકારની રાજકીય સ્મરણકથા રહેતી જ નથી. તે અનુપમ સ્મરણકથા બને છે. ટૉની મોરિસનના મતાનુસાર, બહુ સરળતાએ જોઈએ તો આ ચોપડીની બરોબરી કરાય તેવી બીજી ચોપડી આપણને જડશે ય નહીં.

પુનાહૂ એકેડેમીથી શરૂ થયેલી આ ખોજ એમને હાર્વર્ડમાં, ન્યૂ યૉર્કમાં, શિકાગોમાં અનેક પ્રકારના કાચાપાકા અડાબીડમાં ધકેલે છે. એ વાંચે છે ખૂબ. મબલખ વિચારે છે. તેથી આ ખોજ તેમને મજબૂત બનાવે છે અને તેનો તાગ મેળવવા તે બાપીકા મુલકની જાતરાએ ય જાય છે. બાપીકા ઓરતા : વર્ણ ને વારસાની વાતડિયું સમજે છે, પહેચાને છે. અને તેના પરિપાક રૂપે આપણને આ મજેદાર પુસ્તક મળે છે.

આવી આવી ખોજ આપણી પણ છે. દેશપરદેશ ગયા, વસ્યા, એક સ્થાનેથી ઉખડ્યા, કોઈ વાર મૂળ સોતાં ય ઉખડ્યા, ક્યાંક રોાપાયા, ક્યાંક કરમાયાં, ક્યાંક ઉછર્યા, ક્યાંક વળી મૂળ ઊંડાં ઊતારીને વિસ્તર્યાં પણ ખરાં; અને તેમ છતાં, આપણા વારસાને પામવાના ઓરતા તો સતત રહ્યા કર્યા છે. ઓળખ નામે જાળામાં ગુંચવાઈએ છીએ, જરૂર. બીજી પાસ, ક.મા. મુનશીને ‘યોગસૂત્ર’ વાટે મળી જે અસ્મિતા સમજાઈ છે તેને આનન્દશંકરભાઈએ પડકારી તો છે જ. તો બીજી કોરે ઓબામાએ આજના સંદર્ભે, અમેરિકા તથા આફ્રિકા નામે બે ખંડમાંના જાત અનુભવોમાંથી પસાર થઈ, વળી, તેને નાણી જોઈ છે અને એકવીસમી સદીના નવા આયામોમાં મૂકી આપી છે. આ સૌની સરાણે આપણે હવે આપણી ઓળખ પીછાણવી રહી.

આપણી ઓળખ ? તેને ભાષાની બાજુ છે, તેને ધર્મની બાજુ છે, તેને સંસ્કૃતિની બાજુ છે, તેને વારસાની બાજુ છે, તેને સમાજકારણ—અર્થકારણ—રાજકારણની ય બાજુ છે, તેને સાહિત્ય, સંગીતની તેમ જ કળાની બાજુઓ તો છે જ છે, પણ તેને ખાણીપીણીનાં વિવિધ વાનગીઓ ઉપરાંત અનેક વ્યંજનોની, તેને ભૂગોળની, અરે ઇતિહાસની ય બાજુ છે. મારા સરીખાને વળી ખુદ ત્રણ ખંડોનો અનુભવ છે અને તે ત્રણ પેરે ફંટાય તેવા ત્રિભેટે આવીને ઊભો છે. આથી આજને તબક્કે આપણે કયા ઓજાર કામે લગાડવા જોઈશે ? વિચારું છું તો સમજાય છે કે મુનશી દીધાં સાધન ટૂંકાં પડે અને તેની આનન્દશંકરભાઈના પડકારે સતત સરાણ કાઢવી રહે. વળી, બરાક ઓબામાને જે લાધ્યાં તે રાચરચીલાં ક્યાંક કામ લાગે તેમ છે. કેમ કે ઓબામા નામે લેખક વિચારક આ એકવીસમી સદીની વાત માંડે છે. એટલું જ નહીં, અમેરિકાના જાહેરજીવનમાં એક પછી એક સોપાન સર કરતાં કરતાં તે રાષ્ટૃપતિ પદ પણ સોહાવે છે. ત્યારે અને તે પછી, નિવૃત્તિમાં યે તે સતત વિધેયક રહ્યા છે અને અમેરિકા-કેન્દ્રી રહ્યા છતાં જાગિતક સ્તરે, માનવીય વિચારધારામાં લપેટાયેલા જોવા મળે છે.

વિલાયત માંહેના એક અવ્વલ વિચારક મિત્ર ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી “ઓપિનિયન”ના જુલાઈ 1995ના અંકમાં લખતા હતા : “ગુજરાતી સમાજમાં ખળભળાટ મચાવવામાં આપનો ત્રીજા અંકના અગ્રલેખનો વિષય ગુજરાતીઓની સંઘશક્તિ, કાજે મોખરે રહે છે. અને વ્યક્તિગત રીતે આ અગ્રલેખ મને એક (ઘટનાની) યાદ અપાવી જાય છે. ૧૯૬૦ના અરસામાં સ્વ. ઈશ્વર પેટલીકર પૂર્વ આફ્રિકાના પ્રવાસે આવ્યા હતા. મોમ્બાસા(કિન્યા)ના પટેલ સમાજના ખંડમાં ભાષણ કરતાં મર્મ-સ્પર્શી વાક્યો એમણે ઉચાર્યાં હતા, તેની યાદ આવી જાય છેઃ 'મારા પૂર્વ આફ્રિકાના પ્રવાસમાં પટેલને મળાયું; વણિકો(શાહ)ને મળ્યો; બાહ્મણોને મળ્યો; કાઠિયાવાડીઓને મળ્યો; પણ ન મળ્યો કોઈ ગુજરાતીને. પટેલ સમાજોમાં ભાષણો કર્યાં; બ્રહ્મસમાજમાં ભોજનો લીધાં; કાઠિયાવાડી સમાજની ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો પણ એક ગુજરાતી સમાજનો સમાગમ ન થયો.’

ડાહ્યાભાઈ મિસ્ત્રીએ “ઓપિનિયન”ના જૂન 1995 અંકમાં પ્રગટ અગ્રલેખનો ઉલ્લેખ કરેલો છે. તેમાં ઇતિહાસના આપણા ઉત્તમ અધ્યાપક અને સાહિત્યકાર બળવંતરાય કલ્યાણરાય ઠાકોરે આઠનવ દાયકાઓ પહેલાં કહેલા શબ્દો ટાંકવામાં આવેલા. બ.ક.ઠા. લખતા હતા :

'આપણાં ગુજરાતીઓમાં પ્રજાપણું નથી. આપણાંમાં પ્રજાપણાનું ઐક્ય નથી. પ્રજાપણાનો ટેક નથી. પ્રજાપણાનાં સતત આગ્રહી ઊજમ અને જોમ નથી. આપણા નેતાઓને પ્રજાપણાવાળી પ્રજાના પીઠબળનો ટેકો નથી. મતભેદ અને ચરિત્રભેદને લીધે ટીકા, ચર્ચા, વૈમનસ્ય અને મતામતિ આપણે ત્યાં જ થાય છે એમ નથી; સર્વત્ર થાય છે. પરંતુ બીજે જ્યારે પ્રજાપણાની ઉષ્માથી એ થતાં આવે તેમ ઓગળતાં પણ જાય છે, અને આરંભેલ સંસ્થા કે કાર્યપ્રવાહ આગળ વધવા પામે છે તેમ તેમ એ વૈમનસ્ય અને મતભેદની નડતર ઓછી પડી જાય છે, ત્યારે આપણે ત્યાં એ નડતર જ વખત જતાં વધુ મોટી બનીને ગમે તેવાં કાર્ય કે કાર્યપ્રવાહને મંદ કરી નાખે છે, અને થોડા જ વખતમાં રૂંધી નાખે છે. આપણા પારસીઓ ગુજરાતી નથી, આપણા મુસલમાનો ગુજરાતી નથી, આપણા કાઠિયાવાડીઓ ગુજરાતી નથી, આપણા કચ્છીઓ ગુજરાતી નથી, આપણા ઈડિરયાઓ ગુજરાતી નથી, આપણા મુંબઈગરા ગુજરાતી નથી, આપણા ગુજરાતીઓમાં પણ સૌ કોઈ ગુજરાતી છે તે કરતાં તે અમદાવાદી કે સુરતી કે ચરોતરી કે પટ્ટણી કે મારવાડી, અગર તો નાગર, બ્રાહ્મણ કે વાણિયા કે અનાવિલ કે જૈન કે પટેલ કે બીજું કંઈ વિશેષ છે.’

ટૂંકમાં, કેટકેટલી ઓળખોમાં આપણો સમૂહ વહેંચાયેલો એ દરેકને જોવા મળ્યો હશે ! અને આવી વહેંચણી અહીં વિલાયતમાં, પણે અમેરિકાના કે આફ્રિકામાંના મુલકોમાં ય આપણે ભાળીએ છીએને ! આપણા અગ્રિમ પત્રકાર – વિચારક પ્રકાશભાઈ ન. શાહે, કદાચ તેથીસ્તો, ક્યાંક લખ્યું છે ને: ‘ગુજરાતીઓ હજી પ્રજાપણાની ભાવનાએ પહોંચ્યા નથી અને એક પ્રજા તરીકે આપણામાં જે સંઘશક્તિ હોવી જોઈએ એમાં કેવળ બાળક છીએ.’

સમકાલીન ઘટનાઓ પર નજર કરું છું અને મને સમજાય છે. એક સમે મારી જન્મભૂમિએ જુલિયસ ન્યરેરે સરીખા મુઠ્ઠી ઊંચેરા આગેવાન જોયા છે. આજના આગેવાનો સાથે સરખામણી કરીએ તો નેતાગીરીનો આલેખ નીચે ધસમસતો લાગે. આવું મારી વારસાની ભૂમિનું છે. એક સમે જવાહરલાલ નેહરુ, વલ્લભભાઈ પટેલ, રાજેન્દ્ર પ્રસાદ સરીખા સરીખા આગેવાનો ધણીધૂરી પદે હતા. આજે ? આગેવાનીનો આલેખ સપાટીએ સડક સપાટ થઈ પલોંઠ લગાવી બેઠેલો જોવા પામીએ. આવું મારા વતનભોમકાની વાત. એક દા વિન્સ્ટન ચર્ચિલ, ક્લેમન્ટ એટલી સરીખા સરીખા આગેવાનોએ અમારા મુલકનું ઘડતર કરેલું. જ્યારે આજે ? રૂદિયો બેસી પડે તેવી હાલત છે. અમેરિકે ય એક દા જ્હૉન કેનેડી શા આગેવાન હતા; આજે ? વાત ન જ કરીએ; ક્યાંક રહીસહી આબરૂ ય લજાઈ મરે ! તેના લીરા ય શોધ્યા નહીં જડે !!

આપણા એક અડીખમ પૂર્વસૂરિ રણજિતરામ વાવાભાઈ મહેતાએ, છેક 1908માં, કહ્યું હતું, તે આ સંદર્ભે યાદ કરવાનું આથી મન કરું છું :

‘સર્વત્ર સ્ફૂરણ પેઠું છે − જાગૃતિનાં ચિહ્ન દૃષ્ટિને પથે પડે છે. પણ ગુજરાતમાં નેતા નથી. બંગાળા, મહારાષ્ટૃ, પંજાબ, વગેરે પ્રાંતોમાં છે તેવા નથી. મુંબઈમાં, અમદાવાદમાં કે દેશી રાજ્યોમાં બુદ્ધિશાળી ગુજરાતીઓ અનેકધા દેશહિતનું કામ બજાવે છે. પણ ગુજરાતને દોરનાર નેતાઓની તો ખોટ જ છે. અમે સર્વે ગુજરાતી છીએ − હિન્દુ, મુસલમાન, પારસી હોવા છતાં ગુજરાતી છીએ − એવી ભાવના જનેજનમાં જગાવે અને દક્ષિણી કે બંગાળીમાં જેવા પ્રતાપ ગુજરાતીઓ ગુજરાતમાં અને ખંડેખંડના પરદેશ નિવાસમાં બતાવી શક્તિમાન કરે, એવા નેતાની આપણે ત્યાં ખોટ છે.'

આમ ચોમેર વ્યાકુળ કરી મેલે તેવી ભુલભુલામણી શો પટ પડ્યો છે, અને તેમાંથી પોતીકો કેડો શોધવાનો છે. હાંફ ચડે, હામ ખોઈએ તેમ પણ બને; પરંતુ કોઈક પ્રકારના જોમજોસ્સા સાથે પંડે વિધેયક રહ્યે રહ્યે હીંડ્યા કરવા સિવાય કોઈ ચારો ય નથી. કેમ કે, આપણામાંના અનેકોની પેઠે મારું ય વણજારાની જેમ જીવન વીત્યું છે. તેની રઝળપાટ જેમ બીજાને થઈ હોય તેમ હું ય તેનો માર્ગી. કાંઈ નવું નહીં. અને છતાં તેમાં નકરો મારો નિજી અનુભવ દેખા દે; ક્યાંક અલાયદા નિરીક્ષણો ય હોય. પરિણામે એક તરફ ઉમાશંકર જોશી લાલબત્તી ધરી ધરી સતત કહ્યા રાખે જ છે ને : ‘એ તે કેવો ગુજરાતી / જે હો કેવળ ગુજરાતી’. અને બીજી તરફ, અસમિયા કવિ ગાયક ભૂપેન હઝારિકા પોકારી પોકારીને મને ઢંઢોળતો રાખી સંભારી આપે છે : આમી એક જાજાબૉર … પ્રિથિબિ અમાકે અપોન કોરેછે … ભૂલેછી નિજેરી ઘૉર … આમી એક જાજાબૉર … …

વારુ, … આવી આવી રઝળપાટની વાત ક્યારેક, હવે પછી −

પાનબીડું :

એ તે કેવો ગુજરાતી
એ  તે  કેવો ગુજરાતી
જે હો કેવળ ગુજરાતી

હિન્દભૂમિના નામે  જેની  ઊછળે ના છાતી
મહારાષ્ટ્ર દ્રવિડ બંગાળ બિહાર બધે અનુકૂલ
જ્યાં પગ મૂકે  ત્યાંનો  થઈને  રોપાયે દ્રઢમૂલ

સેવા  સુવાસ   જેની   ખ્યાતિ
તે જ બસ નખશીખ ગુજરાતી

ના ના તે નહિ ગુજરાતી જે હો કેવળ ગુજરાતી
એ  તે  કેવો  ગુજરાતી  જે હો કેવળ ગુજરાતી
ભારતભક્તિ  દેશવિદેશ
ન    જેની    ઊભરાતી
એ  તે  કેવો   ગુજરાતી

સાગરપાર    આફ્રિકા    એડન    લંકા   સિંગાપુર
મોરિશ્યસ ફિજી ન્યૂઝિલેન્ડ જાપાન બ્રિટન અતિ દૂર
કાર્ય કૌશલ આતિથ્ય સુહાતી
બધે  ઉર-મઢૂલીઓ ગુજરાતી

તે નહિ નહિ જ ગુજરાતી
જે હો કેવળ ગુજરાતી એ તે કેવો ગુજરાતી
હિન્દભૂમિના નામે  જેની  ઊછળે ના છાતી

ભારતભક્તિ  દેશવિદેશ
ન    જેની    ઊભરાતી
એ  તે  કેવો   ગુજરાતી

                                                       — ઉમાશંકર જોશી    

[1944 શબ્દો]

હેરૉ, 08-13 જૂન 2020

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

પ્રગટ : ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક", પુસ્તક : 85 – અંક : 3; જુલાઈ – સપ્ટેમ્બર, 2020; પૃ. 50-55

Loading

આ મુશ્કેલ સમયમાં (42)

સુમન શાહ|Opinion - Opinion|28 October 2020

= = = = હું ચૉકક્સ માનું છુ કે Humanity needs fiction today more than ever before. આજનો કવિ પોતાના કાવ્યમાં જો અતિશયિત વાક્પટુતા દાખવશે – ઍગ્ઝાજરેશન – તો એ જૂઠ ગણાશે; અને એ જો નાનું શું પણ નૅરેટિવ નહીં ગૂંથે, તો ફાલતુ લાગવાનો છે = = = =

૧ : ગુજરાતી વ્યાકરણમાં ‘ક’ અને ‘જ’ તેમ જ ‘ઢ’ વિચારણીય છે.

‘ક’ છે એકાક્ષરી પૂર્વગ છે, પૂર્વપ્રત્યય. ‘જ’ છે એકાક્ષરી અવ્યય. ‘ઢ’ છે એકાક્ષરી શબ્દ.

કોઈ ભાષામાં એકાક્ષરો આટલા પાવરફુલ હોય એ ભાષાને જરૂર જાણવી જોઈએ.

‘ક’-નાં કેટલાંક દૃષ્ટાન્તો :

કમૉતે મર્યો. / કસમયે આવીને ઊભો. / શેઠને કજગ્યાએ ફોલ્લી થઈ છે. / કમોસમનો વરસાદ નુક્સાન કરે. / આ તો કજોડું છે. કાગડો દહીંથરું લઈ ગયો ! /  કસુવાવડ થઈ ગઈ. શું કરીએ? / એને તો કવૅણની કટેવ છે.

ગુજરાતીમાં, કુકર્મ કુરીતિ કુરિવાજ કુતર્ક કુચાલ કુમાતા કુમતિ કુપોષણ વગેરે શબ્દો છે. એમાંનો 'કુ' પણ આ 'ક' કરે છે એ જ કામ – ફન્કશન – કરે છે. બને કે 'ક' 'કુ' પરથી ઊતરી આવ્યો હોય અથવા વાઇસિ વર્સા …

‘જ’-નાં કેટલાંક દૃષ્ટાન્તો :

રાજાએ પ્રધાનને કહ્યું કે કુંવરી માટે મૂરતિયો શોધી લાવો.

રાજાએ જ પ્રધાનને કહ્યું કે કુંવરી માટે મૂરતિયો શોધી લાવો.

રાજાએ પ્રધાનને જ કહ્યું કે કુંવરી માટે મૂરતિયો શોધી લાવો.

રાજાએ પ્રધાનને કહ્યું કે કુંવરી માટે જ મૂરતિયો શોધી લાવો.

ટૂંક જ સમયમાં અમારા પ્રતિનિધિ તમારો સમ્પર્ક સાધશે.

ટૂંક સમયમાં જ અમારા પ્રતિનિધિ તમારો સમ્પર્ક સાધશે.

ટૂંક સમયમાં અમારા જ પ્રતિનિધિ તમારો સમ્પર્ક સાધશે.

ટૂંક સમયમાં અમારા પ્રતિનિધિ તમારો જ સમ્પર્ક સાધશે.

‘ઢ’-નું દૃષ્ટાન્ત એક જ છે:

આ તો ઢ છે.

ઢ-નો આકાર પણ ઢ જેવો છે, ખરું કે નહીં?

૨ : ગુજરાતી વ્યાકરણમાં ‘પણ’ અને ‘અણ’ વિચારણીય છે.

'પણ' અવ્યય છે. 'અણ' પૂર્વગ છે, પૂર્વપ્રત્યય.

ગુજરાતી વ્યાકરણમાં ‘પણ’ ઢણકતા ઢોર જેવો છે.

‘પણ’-નાં કેટલાંક દૃષ્ટાન્તો :

રમા સાથે રમેશ પણ વડોદરા જવાનો છે.

રમા સાથે રમેશ વડોદરા પણ જવાનો છે.

રમેશ પણ રમા સાથે વડોદરા જવાનો છે.

રમા પણ રમેશ સાથે વડોદરા જવાની છે.

રમેશ અને રમા વડોદરા જાય પણ ખરાં.

પણ મને 'અણ' બહુ ગમે છે. ‘પણ’ તો ‘પરન્તુ’-માંથી ઊતરી આવ્યો છે, પણ આ 'અણ' એકદમનો દેશી, તળનો છે, દેશ્ય ગણાય છે.

‘અણ’-નાં કેટલાંક દૃષ્ટાન્તો :

અણઆવડત / અણઘડ / અણજાણ / અણબનાવ / અણગમો …

આ દરેકનાં આમ સ્થાનફેર થતાં અર્થસંકેતો બદલાઈ જાય છે. જેમ કે, રમા સાથે રમેશ પણ વડોદરા જાય એ વાત જુદી છે. એથી એમ પણ સૂચવાય છે કે મહેશ સુરેશ કે યજ્ઞેશ પણ રમા સાથે જવાના હતા કે જવાના છે. અને, સમજાય એવું છે કે રમેશ રમા સાથે વડોદરા જાય એ વાત પણ જુદી જ છે.

આપણે જો સ્થળસમય અને વ્યક્તિ વચ્ચેની વાત જેમ જેટલી જેવી હોવી જોઈએ તેમ તેટલી તેવી રાખવા માગતા હોઈએ, તો આ ‘ક’ ‘જ’ ‘ઢ’ ‘પણ’ કે ‘અણ’-ને વાક્યમાં બેસાડતાં કે ગોઠવતાં બહુ વિચાર કરવો જરૂરી છે, નહિતર અર્થનો અનર્થ થઈ શકે છે.

આ, જેમ જેટલી જેવી હોવી જોઈએ તેમ તેટલી તેવી – ભાષિક જરૂરિયાતને ઔચિત્ય કહેવાય છે. ઉચિત એટલે જે-તે સ્થળસમય ને વ્યક્તિના બારામાં જે-તે સાવ જરૂરી હોય તે. આપણા શબ્દોએ એ ઔચિત્યનું વહન કરવું જોઈશે.

'ઔચિત્યવિચારચર્ચા' ગ્રન્થ લખનાર કશ્મીરી પણ્ડિત ક્ષેમેન્દ્ર ૧૧-મી સદીમાં થઈ ગયા. એમણે લગભગ ૨૧-થી પણ વધુ ભાષિક વસ્તુઓ પરત્વે ઔચિત્ય અને અનૌચિત્યનાં દૃષ્ટાન્ત આપ્યાં છે. એમણે કવિ કાલિદાસમાં પણ અનૌચિત્યનાં સ્થાનો શોધી બતાવ્યાં છે. આપણા રામનારાયણ વિ. પાઠકે એ ગ્રન્થ વિશે એક પરિચયાત્મક લેખ પણ કર્યો છે.

જુઓ, દીવાસળીના બાકસને ‘કપાસ’ નામ આપવું ઉચિત લાગે છે કેમ કે એ બન્નેનો સમ્બન્ધ પતિ-પત્ની વચ્ચે હોય એવો હોય છે. પતિ કપાસ હોય તો પત્નીથી  સળગી ઊઠે. અથવા પત્ની કપાસ હોય તો … કોણ ક્યારે, તે જાણ્યા વિના ન કહી શકાય. પણ ઘોડાના ડોકાનું ચિત્ર મૂકીને એને દીવાસળીનું ઘોડાછાપ બાકસ કહેવું અનુચિત છે. દીવાસળી પોતાના બાકસમાં નતમસ્તકે દબાઈને પડી રહી હોય છે પણ સળગીને માથું ઊંચકશે તો? તો ઘોડાની જેમ હણહણાટીથી ચોપાસના સઘળાને ગજવી ( = બાળી) મૂકશે. પણ તો તો એને કોણ ખરીદે? જો કે પ્રયોગ કાવ્યાત્મક દીસે છે.

એ જ રીતે, ભમરડા છાપ કે ઍરોપ્લેન છાપ સાબુ-નો વિચાર કરો … કપડાં પર સાબુ ભમરડાની જેમ ભમે તો શું થાય? એની અણીને ઘાતક સમજવી કે નહીં? અને, ભલા માણસ, સાબુને ઍરોપ્લેન સાથે શી લેવાદેવા? શું એથી કપડાં ધોવાઈ-સૂકાઈને આકાશે ઊડી જાય? તો તો એવો સાબુ કોણ ખરીદે?

પણ એવી કલ્પનાઓ કાવ્યાત્મક અને રસપ્રદ ખરી. એ કે એના જેવી બીજી ભાષિક અળવીતરાઈઓ આપણને વાસ્તવથી દૂર ભગાડી જાય છે. સાર્ત્રે સાચું કહેલું કે કાવ્યકલાની રીતભાત ઈર્રીયાલાઇઝેશનની છે – અવાસ્તવીકરણની. કવિઓ અવાસ્તવને કાવ્યત્વ અર્પીને રમ્ય રૂપે રજૂ કરી દે પણ વધારે સંભવિત તો એ છે કે વાસ્તવથી આપણને વિમુખ કરી દે.

વર્તમાન વર્લ્ડ પોલિટિક્સે અને વર્લ્ડવાઇડ ટૅરરિઝમે તેમ જ કોવિડ-૧૯ અને તેના જનેતા કોરોના વાઇરસે સરજેલી અસ્થિરતાઓએ જીવનને રફેદફે કરી નાખ્યું છે. માનવ્યની એથી દુખદ ભયાનક વારતા જે મંડાઈ છે તેનું કાવ્ય ન કરાય, તેની ઠોસ કશી કથા જ માંડવાની હોય. હું ચૉકક્સ માનું છુ કે Humanity needs fiction today more than ever before. આજનો કવિ પોતાના કાવ્યમાં જો અતિશયિત વાક્પટુતા દાખવશે – ઍગ્ઝાજરેશન – તો એ જૂઠ ગણાશે; અને એ જો નાનું શું પણ નૅરેટિવ નહીં ગૂંથે, તો ફાલતુ લાગવાનો છે.

કોરોના આફ્ટરમાથમાં કેવાં કેવાં ઔચિત્ય જાળવીશું?

કોઈ કમૉતે ન મરે એ માટે આપણા તરફથી તો માનવતા જ દાખવીશું. / સારું કે નરસું કોઈ પણ કામ કસમયે નહીં જ કરીએ. / કોઈને અડે કે નડે એવાં કવૅણ પણ નહીં જ બોલીએ. / પોતાની જ કટેવોને ઓળખવા મથીશું. / વિચાર અને વાણી ઉપરાન્ત આપણાં વર્તનોને પણ પ્રેમ અને વિનમ્રતાથી કૂણાં રાખીશું. / અણઘડ-નો તેમ જ ઢ-નો તિરસ્કાર નહીં કરીએ. એમની પ્રત્યે કરુણાળુ રહીશું / પોતાની અણઆવડતથી થયેલાં કામોની જવાબદારી બીજાંઓ પર નહીં જ ઢોળીએ. / પોતાની પસંદગીઓ માગે તે ચૂકવણાં કરીશું જ. / સામાની સ્વતન્ત્રતા જાળવીને જ પોતાનીને સાચવીશું. / વગેરે.

અરે પણ, આવું બધું તો ધર્મ નીતિ સદાચાર અને માનવતાના પુરસ્કર્તાઓએ કોરોના પૂર્વે હજારવાર કહ્યું છે. એ પુરાણપોથીમાં હું તે શી નવી વાત ઉમેરી રહ્યો છું? એ બધાંનાં પાલનપોષણ ને જાળવણ-સાચવણ ન કર્યાં ને હવે આફ્ટરમાથમાં કરીશું એટલે શું સુખી થઈ જઈશું? ન જાને … ચતુર કરે વિચાર …

= = =

નૉંધ : લેખમાં કોઈ વ્યાકરણી ચીજને મેં જો ખોટી રીતે વર્ણવી હોય તો મિત્રો બાબુ સુથાર અને વજેસિંહ પારગીને વિનન્તી કે દર્શાવે. તો સુધારી શકાશે …

(October 28, 2020: Peoria, IL, U.S.A.)

Loading

...102030...2,1062,1072,1082,109...2,1202,1302,140...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved