Opinion Magazine
Number of visits: 9573811
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી મને પાનખરની બીક ના બતાવો

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|29 October 2020

હૈયાને દરબાર

પાશ્ચાત્ય દેશોમાં પાનખર પૂરબહારમાં ખીલે છે. ઓક્ટોબર-નવેમ્બર એ ફોલ સીઝન. લાલ-લીલાં-પીળાં પાંદડાં અદ્ભુત સૌંદર્ય સર્જે છે. પરંતુ એ સૌંદર્ય પણ ક્ષણજીવી છે. શિયાળો બેસતાં જ પાંદડાં એક પછી એક ખરવા લાગે છે અને વૃક્ષ જાણે નિર્વસ્ત્ર, શુષ્ક અને નિર્જીવ ભાસે છે! જ્યારે પણ પાનખરનું દૃશ્ય નજરે ચડે ત્યારે કવિ અનિલ જોશીનું લાજવાબ ગીત યાદ આવ્યા વિના રહે નહીં. એ ગીત એટલે ‘મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી મને પાનખરની બીક ના બતાવો.’ પહેલી વાર સાંભળ્યું ત્યારથી જ મનમાં વસી ગયું હતું. ગીતમાં ગજબની ખુમારી છે! નિર્ભયતાની વાત છે! મારી ડાળખીમાં પાંદડાં જ નથી એટલે પાનખરની મને બીક નથી. જેની પાસે સમૃદ્ધિ હોય એને ગુમાવવાની બીક હોય. અહીં તો વૃક્ષ પોતે જ કહે છે કે મારી પાસે તો કંઈ છે જ નહીં, પછી મને શાની બીક!

આ ગીતમાં સૂરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા દિગ્ગજ કલાકારનું સ્વરાંકન અને કંઠ હોય પછી તો પૂછવું જ શું? જાણે એક અલગ દુનિયામાં પહોંચી જવાય છે. કવિના ભાવ અને સ્વભાવને સમજીને સ્વરાંકન થાય ત્યારે ભાવકના હૃદયને સ્પર્શે છે. થોડી હતાશા સાથે જ બડી ખુમારીનો અહેસાસ કરાવી જાય છે આ ગીત. મૂળ રેકોર્ડમાં મનહર ઉધાસે ગાયેલું આ ગીત જાહેર કાર્યક્રમોમાં પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે વધુ પ્રચલિત થયું.

કુદરતે અમૂલ્ય એવી પાનખર મોકલી છે. વસંતનો જેમ વૈભવ હોય છે એમ પાનખરનું આગવું સૌંદર્ય છે. આપણું મન એને કઈ રીતે સ્વીકારે છે તેના પર બધો આધાર છે. ગીતમાં નિર્ભયતા અને વૃક્ષની સંવેદનાની વાત પ્રગટ થઈ છે. અધૂરપમાં મધુરપ ભરવાની વાત કવિએ ખૂબ સરસ રીતે કરી છે.

માણસની સંવેદના અને વિચારધારા જ છેવટે એ કેવો માણસ છે એ છતું કરતી હોય છે. માણસના વિચારો એ બીજું કંઈ નથી પણ એનામાં જીવતી સંવેદનાનું પ્રતિબિંબ છે. સંવેદના વરતાઈ આવે અને સંવેદનહીનતા પરખાઈ જાય. વનસ્પતિ અને વૃક્ષમાં ય આ સંવેદના જોવા મળે છે. આજનાં લીલાં પર્ણો આવતી કાલે પીળાં બનીને એક દિવસ ખરી જવાનાં છે. આપણા જીવનનું પણ આવું જ છે. સમયાંતરે માણસ પર્ણની જેમ પીળો પડતો જાય છતાં એણે વયના એ સૌંદર્યને પણ માણવાનું છે. જૂનાનો ત્યાગ અને નવાના આવિષ્કારની તૈયારી રાખવાની છે. આપણે સૌએ પ્રકૃતિ પાસેથી ઘણું શીખવા જેવું છે.

આ ગીત વિશે અનિલ જોશીએ સરસ સ્મૃતિઓ વહેંચી. "ઘણાં વર્ષ પહેલાં મારું અતિ લોકપ્રિય ગીત, ‘મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી, મને પાનખરની બીક ના બતાવો …’ મેં લખ્યું ત્યારે એના સહુથી પહેલા શ્રોતા ભાઈ (નાથાભાઈ જોશી) હતા. મને સપનામાં ઘણી વાર પંક્તિ સૂઝે જે હું સવારે ઊઠીને તરત ટપકાવી લઉં. આ ગીતની પંક્તિ ગોંડલની અમારી અગાસીમાં સૂઝી હતી. એક સાંજે હું કાગળ ઉપર લખેલું એ ગીત લઈને ભાઈ પાસે ગયો. સાંજનો સમય હતો. ભાઈ બહારની પરસાળમાં સૂતા હતા. હું એમની પાસે જઈને બેઠો. ભાઈ કહે : ‘કવિતા લખાય છેને? સંભળાવ.’ મેં ભાઈને ‘મારી કોઈ ડાળખી…’માં ગીત સંભળાવ્યું. આખું ગીત સાંભળ્યા પછી ભાઈ થોડી વાર મૌન થઇ ગયા. થોડીવારે મને કહ્યું, ‘અનિલ, હવે તું એવું ગીત લખ કે મારી સહુ ડાળખીમાં ભરપૂર પાંદડાંઓ છે છતાં મને પાનખરની બીક નથી લાગતી. આપણી પાસે કશું જ ના હોય તો પછી એની બીક શું કામ લાગે? આપણી પાસે બધો જ વૈભવ હોય છતાં એ જતો રહેવાની બીક ના લાગે એની જ મજા છે.’ એ દિવસોમાં હું યંગ હતો. મેં એવું ગીત લખવાનાં ખૂબ ફાંફાં માર્યાં પણ લખી શક્યો નહિ. ભાઈની ગેરહયાતીમાં એવું ગીત અનાયાસે લખાયું તે ભાઈને અર્પણ કર્યું હતું. એ ગીત છે :

હું તો પાંદડાંથી હર્યુંભર્યું લીલુંછમ્મ ઝાડ
મને પાનખરની બીક નથી લાગતી
પાનખર તો બે ઘડીની મહેમાન કહેવાય,
ભલે આવે ને જાય અને બેસે
જંગલમાં એક એક ઝાડવાં ઊભાં છે
જાણે બોધિવૃક્ષ હોય એમ કૈંક કહેશે
હું તો અંધારે ઊડતો આગિયો કહેવાઉં
મને સૂરજની બીક નથી લાગતી.

કવિ અનિલ જોશીએ એમનાં સ્વરબદ્ધ થયેલાં ગીતો સંદર્ભે પુરુષોત્તમભાઈ વિશે એક સ્થાને યથોચિત લખ્યું છે, "કોઈ એવોર્ડ કરતાં પણ મૂઠી ઊંચેરો સ્વરકાર-ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાય છે. હું કિશોર અવસ્થામાં હતો ત્યારે એક ગુજરાતી ગીત મારા કાને પડ્યું હતું : ‘હવે સખી નહીં બોલું, નહીં બોલું રે, કદાપિ નંદ કુંવરની સંગે.’ આ ગીત લતા મંગેશકરે ગાયું હતું. સ્વરાંકન પુરુષોત્તમ ઉપાધ્યાયનું હતું. ગુજરાતે આંગળીના વેઢે ગણી શકાય એટલા સુંદર સ્વરકાર અને ગાયકો આપ્યા છે. સહુ પોતપોતાના સ્થાને પ્રતિષ્ઠિત છે, પરંતુ પુરુષોત્તમની એક આગવી મુદ્રા છે, જે બધાથી એને અલગ તારવે છે. પુરુષોત્તમે ‘મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી, મને પાનખરની બીક ના બતાવો’ ગીત કમ્પોઝ કરીને ગુજરાતને ઘેલું કરી દીધું. એક વાર અમેરિકામાં હું શોપિંગ માટે કોઈ મોલમાં ફરતો હતો ત્યારે એક ગુજરાતી પરિવાર પણ મોલમાં હતો. દૂરથી મને જોતાં જ મારા તરફ આંગળી ચીંધીને મારી ઓળખ આપતાં કહ્યું, ‘જુઓ, પેલા મારી કોઈ ડાળખીવાળા ભાઈ પણ મોલમાં આવ્યા છે.’ અહીં મેં જોયું કે મારું નામ જ ગીતમાં ઓગળી ગયું છે. લોકો ગીતની પંક્તિથી જ મને ઓળખે એ પુરુષોત્તમ ઉપાધ્યાયના સંગીતનો જાદુ છે. પુરુષોત્તમ નૈસર્ગિક કલાકાર છે. એના સ્વરાંકનમાં ચતુરાઈ નથી. બેગમ અખ્તર પણ એમની કલાને સન્માન આપે. સલામત-નજાકતઅલી પણ પુરુષોત્તમના ચાહક.

એક ગીતકાર તરીકે મારી પાસે પુરુષોત્તમનાં અનેક સ્મરણો છે. ૧૯૭૪-૭૯ના સમયમાં હું નવોસવો મુંબઈ ગયો ત્યારે મારી પાસે પરંપરાથી હટીને સાવ નવાં ગીતો હતાં. કોઈ સામયિકનો તંત્રી એને પ્રસિદ્ધ કરવા તૈયાર ન થાય એવાં ગીતો હતાં, પણ પુરુષોત્તમે મારું એક ગીત કમ્પોઝ કરીને એચ.એમ.વી.માં રેકોર્ડ કર્યું હતું, ‘નેજવાને પાંદડે પોઢ્યા માધવ તમે એટલે હું પાન નહીં તોડું’. આ ગીત ઉષા મંગેશકર પાસે ગવડાવ્યું હતું. ગીતના રેકોર્ડિંગ સમયે હું એચ.એમ.વી.ના સ્ટુડિયોમાં પહોંચ્યો ત્યારે પુરુષોત્તમે મારી ઓળખ એ ગીતના સાજિંદાઓ સાથે કરાવતાં કહ્યું, ‘આ હરિપ્રસાદ ચૌરસિયા ફ્લુટ વગાડશે અને સંતૂર પર શિવકુમાર શર્મા છે.’

એ ક્ષણે મને એવું ફીલ થયું કે એક ગુજરાતી ગીતનું આનાથી મોટું સન્માન બીજું કયું હોઈ શકે? એ ગીતની રેકોર્ડ બહાર પડી ત્યારે એ સાંભળીને લાભશંકર ઠાકર જેવા આધુનિક કવિ નાચવા લાગ્યા. લાભશંકર એના જીવનના અંત સુધી મારા આ ગીત ઉપર સતત લખતા રહ્યા અને નાચતા રહ્યા. આવું બધું લખવામાં હું મારી સ્વપ્રશંસા નથી કરતો, પણ પુરુષોત્તમભાઈની પ્રતિભાનું સન્માન કરું છું. પુરુષોત્તમે એ પછી ‘અમે બરફનાં પંખી’ જેવું ગીત કાંતિ મડિયાના યુગપ્રવર્તક નાટક માટે કમ્પોઝ કરીને હંસા દવે પાસે ગવડાવ્યું અને હજારો પ્રેક્ષકોની આંખ ભીની થઈ ગઈ હતી. આ ગીત પ્રેક્ષકોના રૂમાલ અને ટિશ્યુ પેપર સુધી પહોંચી ગયું એનો હું સાક્ષી રહ્યો છું. પુરુષોત્તમ ઉપાધ્યાયની આ કમાલ છે. હંસા દવેનો સ્વરોદય પુરુષોત્તમના સ્વરાંકનમાં વધુ નીખરી ઊઠ્યો.

સજ્જતા દ્વારા ભાવ અને સંવેદનને વિકસાવવામાં વધુ રસ દાખવતા અનિલ જોશી ગીતોમાં ભાષાની તાજપ, તળપદી ભાષાનો લય ઉપરાંત, પ્રતીકાત્મક ભાષામાં અભિવ્યક્તિ, ચિત્રાત્મક દૃશ્ય કલ્પનોની શ્રેણી તેમને સહેજે એક ઉત્તમ ગીત કવિ તરીકે સ્થાપી આપે છે. અનિલ જોશી દ્વારા પ્રયોજાયેલો શબ્દ ગીતને જુદો જ લય બક્ષે છે. પ્રકૃતિ, પ્રણય, માનવ સ્વભાવ-સંવેદન જેવા કાવ્યસર્જનના શાશ્વત વિષયોને આવરી લેતા સર્જક છે. તેમનાં ગીતોમાં જોવા જઈએ તો કાવ્યકસબ દ્વારા ભાષાની શક્તિનો પરિચય આપે છે, તો કેટલાંક ગીતોમાં તળપદી ભાષાના પ્રયોજનથી ગીતના લયમાં અભિવૃદ્ધિ થતી પણ જોવા મળે છે. અનિલ જોશીનાં અનેક ગીતો ખૂબ લોકચાહના પામ્યાં છે.

એ જ રીતે પુરુષોત્તમભાઇ એ ગુજરાતી સુગમસંગીતનો શ્વાસ છે. એમણે સ્વરકોકિલા લતા મંગેશકર અને બેગમ અખ્તર પાસે ગુજરાતી ગીત ગવડાવ્યાં. મોહમ્મદ રફી જેવા શ્રેષ્ઠ પાર્શ્વગાયકે ‘કહું છું જવાનીને …’ ગીતના રેકોર્ડિંગ સમયે એવું કહ્યું હતું કે ‘આપ કી ઉંગલિયોં મેં જો સ્વર બસતે હૈ વો મૈં નહીં ગા સકતા.’ આવા ઉત્તમ કવિ-સ્વરકારનાં ગીત ગુજરાતી સંગીતચાહકોને અત્યંત પસંદ આવે એમાં શી નવાઈ?

સુરેશ દલાલે વર્ષો પહેલાં પુરુષોત્તમભાઈ માટે જે કહ્યું હતું તે એકદમ સાચું છે : "પુરુષોત્તમ ઉપાધ્યાયના અવાજમાં મશાલનું અજવાળું નથી, પણ ઘીના દીવાનો ઉજાસ છે.”

ગુજરાતી ભાષા આ પ્રકારનાં સુંદર ગીતોથી અલંકૃત છે. આપણે નજીક જઈને એના સૌંદર્યને નીરખવું પડે.

મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી મને પાનખરની બીક ના બતાવો!

પંખી સહિત હવા ચાતરીને જાય એવું આષાઢી દિવસોમાં લાગે
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં પણ મારામાં ઝાડ હજી જાગે

માળામાં ગોઠવેલી સળી હું નથી મને વીજળીની બીક ના બતાવો!
મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી મને પાનખરની બીક ના બતાવો!

એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય કોઈ રાતી કીડીનો ય ભાર!
એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય પડવાને છે કેટલી વાર?

બરફમાં હું ગોઠવેલું પાણી નથી મને સૂરજની બીક ના બતાવો!
મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી મને પાનખરની બીક ના બતાવો!

•   કવિ : અનિલ જોશી    •   સ્વર-સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 29 ઑક્ટોબર 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=658496

Loading

અભય : ન ડરે, ન ડરાવે

વિનોબા|Opinion - Opinion|29 October 2020

બહુ પ્રાચીન કાળથી માનવમનમાં સદ્દ-અસદ્દ પ્રવૃત્તિઓનો જે ઝઘડો ચાલે છે, રૂપકાત્મક વર્ણન કરવાની પરિપાટી પડી છે; વેદમાં ઇન્દ્ર અને વૃત્ર, પુરાણોમાં દેવ અને દાનવ, તેમ જ રામ અન રાવણ, પારસીઓના ધર્મગ્રંથોમાં અહુરમજદ અને અહરિમાન, ઈસાઈ ગ્રંથોમાં પ્રભુ અને શૈતાન, ઇસ્લામમાં અલ્લાહ અને ઈબ્લીસ – આ ઝઘડા બધા ધર્મોમાં દેખાય છે.

ગીતામાં આસુરી અને દૈવી સંપત્તિનું વર્ણન છે

ગીતાના ૧૬મા અધ્યાયમાં દૈવી અને આસુરી સંપત્તિનું વિસ્તારથી વર્ણન કર્યું છે. તે અધ્યાયના ત્રણ વિભાગ છે. પ્રથમ વિભાગમાં દૈવી સંપત્તિના ૨૬ ગુણો અને આસુરી સંપત્તિના ૬ દોષોનું વર્ણન કર્યું છે. બીજા વિભાગમાં અસુર-ચરિત્રનું વર્ણન છે અને ત્રીજા વિભાગમાં દૈવી સંપત્તિ વિરુદ્ધ આસુરી સંપત્તિ.

પહેલા અધ્યાયમાં જે રીતે પાંડવ – કૌરવની સેનાઓનું વર્ણન છે, તેવી રીતે અહીં દૈવી-આસુરી ગુણોની સેના સામસામે ખડી છે. બંને વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે. આ સુર-અસુર સંગ્રામ દરેકના હૃદયમાં ચાલતો હોય છે. બહાર સમાજમાં જે ઝઘડો ચાલે છે, તે તો માત્ર પડછાયો છે. તેનું મૂળ આપણા હૃદયમાં છે. જો આ મૂળને જ આપણે ખોદી કાઢીએ તો સમાજનો ઝઘડો મટી જાય.

ભગવાને દૈવી સંપત્તિના ૨૬ ગુણો બતાવ્યા છે. આ યાદી પૂરી નથી. તેમાં વૃદ્ધિ કરી શકાય. દૈવી ગુણોની સેનાનો સેનાપતિ છે અભયમ્, નિર્ભયતા. માનસશાસ્ત્રના અભ્યાસથી સમજાશે કે ભય જ એક એવો મોટો દુર્ગુણ છે, જેણે બીજા અનેક દુર્ગુણોને પોષ્યા છે અને અભય જ એક એવો ગુણ છે જેણે અનેક સદ્ગુણોને પોષ્યા છે. તેથી પ્રાચીન ભારતમાં કાયદો અને વ્યવસ્થા (law & Order) પર એટલું વજન નહોતું દેવાયું, જેટલું કે સમાજને નિર્ભય બનાવવા પર દેવાયું. શિક્ષણ, સમાજશાસ્ત્ર, રાજનીતિ એ તમામ ક્ષેત્રોમાં નિર્ભયતા હોવી જોઈએ. જો એવું કરી શકીએ તો તમામ સદ્ગુણોનો વિકાસ થઈ શકશે.

દૈવી સંપત્તિની સેનાની આગળ અભય જેવા મહા સેનાપતિને નિયુક્ત કર્યો છે અને પાછળ ‘નમ્રતા’ જેવા ગાર્ડને મૂક્યો છે. નિર્ભયતા એન્જિન ડ્રાઈવર. એ બેની વચ્ચે બીજા બધા સદ્ગુણો રાખ્યા છે. ગાંધીજીએ કહેલું કે આ બધા જ ગુણોને આપણે સત્ય અને અહિંસાની અંદર સમાવી શકીએ છીએ.

અભય

આ દેશમાં પ્રાચીનકાળથી નિર્ભયતાનું શિક્ષણ અપાયું છે. તેના આધારે આજનો સમાજ બન્યો છે. નિર્ભયતા બધા ગુણોમાં શ્રેષ્ઠ મનાયો છે. ભગવાને દૈવી સંપત્તિનું વર્ણન કરતા કહ્યું છે अभयं सत्त्व संशुधि: – અભયને પ્રથમ સ્થાન આપ્યું. સત્ત્વસંશુદ્ધિ એટલે ચિત્તશુદ્ધિને બીજું સ્થાન આપ્યું. કેમ ? મનુષ્યમાં નિર્ભયતા નહીં હોય તો બીજા કોઈ ગુણોનો વિકાસ નહીં થાય. ન સત્યનિષ્ઠા ટકશે, ન ચિત્તશુદ્ધિ વિકસી શકશે.

નિર્ભયતાનાં બે પાસાં :-

બીજાને ન ડરાવવા અને બીજાથી ન ડરવું. અંગ્રેજ શાસન સમયે આપણે એટલા બધા ડરતા હતા કે સાહેબનું નામ લેતાં જ ધ્રૂજતા હતા. અહીં અંગ્રેજનું નામ લેતાં ડરતા પણ બીજી બાજુ હરિજનોને ડરાવતા હતા. તો આપણે ડરવું અને ડરાવવાનું બંને છોડવાનું છે. તેને જ વેદાંત અથવા આત્મવિદ્યા કહે છે. એ જ આપણું ભારતીય દર્શન છે. આપણે પોતાને શરીર નથી સમજતા. શરીર તો આવે ને જાય. શરીરની કોઈ કિંમત નથી. તેને આપણાં કપડાં રૂપ જાણીએ છીએ. ફાટેલું ખમીશ ફેંકી દઈ બીજું પહેરી લઈએ તેવું. આપણે નિર્ભય બનીએ – ન કોઈથી ડરીએ, ન કોઈને ડરાવીએ.

બિલાડી ઉંદર સામે વાઘ જેવી, પણ કૂતરા સામે શિયાળ જેવી. વાઘ સસલા સામે વાઘ જ, પણ બંદૂક સામે બિલાડીની જેમ ભાગી જાય. મતલબ નિર્ભયતા નહોર કે દાંત પર નથી હોતી, તે તો આત્મિક આધાર પર હોય છે. તે તો એવી આત્મિક શક્તિ થકી આવશે, જેને આપણે મર્યાદિત ભાષામાં ‘નૈતિક શક્તિ’ અથવા વધુ સ્વચ્છ અને સ્પષ્ટ ભાષામાં ‘અહિંસાની શક્તિ’ કહીએ.

અહિંસાનો નિર્ભયતા સાથે ગાઢ સંબંધ છે. બંને એકરૂપ છે. જો કોઈ બહારથી અહિંસક લાગે પણ મનમાં ડર ધરાવતો હોય, તો તે અહિંસક છે જ નહીં. એનાથી વિપરીત, કોઈ વીર દેખાય, શસ્ત્રના આધારે તે પોતાની વીરતાનું પ્રદર્શન કરી રહ્યો હોય, તો પણ તે કાયરતા જ છે. તે આત્માની શક્તિને જાણતો નથી. તેથી શસ્ત્રોનો આધાર લે છે. પણ અભય શસ્ત્રમાં નથી. સાધનમાં નથી, સાધકમાં છે.

પ્રાચીન રાજ્યશાસ્ત્રમાં અભય : 

પ્રાચીન રાજ્યશાસ્ત્રમાં એક મહત્ત્વપૂર્ણ શબ્દ જોવા મળે છે. રાજ્યમાં શું શું થવું જોઈએ, એ બતાવતી વખતે કહેવાયું છે કે રાજ્યમાં બધા ‘અભય’ હોય, અર્થાત્ બધા જ નિર્ભયતા અનુભવે. દરેક સમજે કે મારા પર કોઈ અન્યાય નહીં થઈ શકે, અને જો થશે તો મારા પક્ષે ધર્મ છે, ન્યાય છે, મને ભયનું કોઈ કારણ નથી. જે દેશમાં નિર્ભયતા રહેશે તે દેશમાં સ્વરાજ્ય છે, એમ કહેવાશે.

મૂડીવાદી સમાજમાં મૂડી થોડાના હાથોમાં કેન્દ્રિત હોય છે. એવી જ રીતે નિર્ભયતા થોડા જ લોકોના હાથમાં રહેશે. તો તે નહીં ચાલે. જેમ સંપત્તિનું વિભાજન થશે, તેમ નિર્ભયતા પણ બધા પાસે હોવી જોઈએ. નાના બાળકમાં પણ એ શક્તિ હોવી જોઈએ કે, હું એકલો દુનિયાનો સામનો કરી શકીશ. અગર જો મારા પક્ષે સત્ય હશે. એ સમયે સ્વરાજ્ય આવ્યું ગણાશે.

પરંતુ આજે તો ભયની તાલીમ અપાય છે. બાળક અને વિદ્યાર્થીને મારવાનું જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી દુનિયામાંથી ‘મિલીટરિઝમ’ નહીં જાય. હિંસાવાદ રહેશે. માની લો કે તમારો દીકરો કોઈ ખોટું કામ કરે છે, તમે એને પીટશો. ડરને કારણે તે ખોટું કામ છોડી દેશે, તો પણ તેનું અત્યંત નુકસાન થયું ગણાશે. જો તે સવારે વહેલો નથી ઊઠતો અને તેને તમે માર્યો, તે જલદી ઊઠવા લાગ્યો. નિયમિતતાનો પાઠ તમે શીખવ્યો પરંતુ ભયભીતતાનો દોષ તમે તેનામાં રોપ્યો. એ દોષ વધુ ભયંકર છે. તમે એને ભયની તાલીમ આપી. તમે એને શીખવ્યું કે તારા શરીરને કોઈ તકલીફ આપે તો તકલીફ દેનારની વાત માની લેવી. નિર્ભયતા શ્રેષ્ઠ ગુણ છે. જો મનુષ્યમાં તે ગુણ નથી તો બીજો કોઈ ગુણ વિકસી નહીં શકે.

આજે તો ડરાવવાનું એટલે સુધી ફેલાયેલું છે કે મારી યાત્રામાં પણ કોઈ બળજબરીથી લોકોને રસ્તામાંથી દૂર કરે છે કે ‘બાબા’ આવી રહ્યા છે. શું ‘બાબા’ વાઘ છે ? સમજવાની વાત છે કે અગર આપણે આપણાં બાળકોને ડરાવવા ધમકાવવાની તાલીમ દઈશું, તો તેને કારણે શસ્ત્રધારી પોતાનો જુલમ ચલાવતા રહેશે. પણ જો આપણે નિર્ભયતાની તાલીમ આપીશું તો તમામ શસ્ત્રાસ્ત્ર ખતમ થઈ જશે. જુલમી લોકો દુનિયાભરના લોકોને ખતમ કરીને નહીં, બધાને ડરાવીને રાજ્ય ચલાવવાનું ઇચ્છે છે. જુલમી લોકોની જુલમની પૂરી તાકાત ભયવૃત્તિમાં છે.

આપણાં સમાજશાસ્ત્રોએ અભય શબ્દ દીધો છે. પરંતુ આજ તેને બદલે ‘લો એન્ડ ઓર્ડર’ શબ્દ ચાલ્યો છે. એવું માની લેવાયું છે કે ભલે ને, લોકો ભયભીત થઈને પણ, ‘લો એન્ડ ઓર્ડર’ પાળે. એ રીતે આપણે આજે વ્યવસ્થાદેવીને પરમદેવી માની લીધી છે. વ્યવસ્થાનું મૂલ્ય આપણે પણ સમજીએ છીએ. પરંતુ જ્યાં બહારથી લદાયેલી વ્યવસ્થા છે ત્યાં ખરી શાંતિ નથી. કારણ કે ભીતર તો ડર કાયમ છે. અંદર ઊકળતો ચરુ છે. તે વધુ ભયંકર અને ખતરનાક છે. તે પ્રગટ થઈ જાય તો સારું. પરંતુ આપણે તો તેને અંદર જ દબાવી દઈએ છીએ. જો આપણે ડર પેદા કરીને શાંતિ સ્થાપિત કરનારી વ્યવસ્થા કરીશું. તો તે ‘દૈવી’ વ્યવસ્થા નહીં કહેવાય. ‘રાક્ષસ’ વ્યવસ્થા બનશે. માટે વ્યવસ્થામાં પણ આવશ્યક છે, ‘અભય’.

અત્યાર સુધી જે મન બન્યું છે તેમાં બદલાવ લાવીને નિર્ભયતા વિકસાવી શકાશે, પરંતુ હાલની મનોવૃત્તિને જ પ્રમાણ માનીને ચાલવાથી આજના યુગમાં નિર્ભયતા નહીં લાવી શકાય. તેવે વખતે તો આપણે વિવશ અને વ્યાકુળ રહીશું અને આપણી વ્યવસ્થા ડામાડોળ રહેશે. માટે આપણે આપણા મનમાં જ પરિવર્તન લાવવું પડશે. નવો માનવ બનાવવો પડશે. નવાં મૂલ્યો સ્થાપવાં પડશે. પોતાનું જીવન બદલવું પડશે.

અસુર ચરિત્ર

૧૬મા અધ્યાયના બીજા વિભાગમાં અસુર ચરિત્ર છે. એવો કોઈ મનુષ્ય નથી કે જે કેવળ અસત્યનો ભક્ત હોય. સત્યનો કોઈ ને કોઈ પ્રકારે આધાર લીધા વિના અસત્ય ટકી નથી શકતું. તેથી અસત્ય વાતો પણ સત્યનો ઓપ ચઢાવી કહેવાતી હોય છે. જેઓ સત્યઅસત્યના મિશ્રણમાં માને છે તેને ગીતા અસુર કહે છે, પ્રાય: જે યુદ્ધો થતાં હોય છે, તે કૌરવ-પાંડવનાં યુદ્ધ જ હોય છે. ઉભય પક્ષે વત્તા ઓછા પ્રમાણમાં અસત્ય અને અન્યાયની સાથોસાથ સત્ય રહેતું હોય છે. રામ-રાવણની એક જ લડાઈ એવી હતી, જેમાં એક તરફ કેવળ સત્ય હતું ને બીજી તરફ કેવળ અસત્ય હતું. આ કાલ્પનિક લડાઈનું વર્ણન વાલ્મીકિએ પોતાના કાવ્યમાં કર્યું છે. આ પ્રકારની લડાઈ અત્યંત ભયંકર હોય છે. તેમાં બંને પક્ષો વચ્ચે કોઈ સમાધાન નથી થઈ શકતું. આવી લડાઈ થઈને કાયમ માટે સમાપ્ત થઈ જાય છે. સત્યાસત્ય મિશ્રિત લડાઈમાં સંધિ/સમાધાન થતાં હોય છે અને આગળ-પાછળ વારેવારે યુદ્ધ પણ થતાં રહે છે. તેનો ક્યારે ય અંત નથી આવતો.

આસુરી સંપત્તિમાં, ભલે ને થોડું જ કેમ ન હોય, પણ સત્યનું મિશ્રણ હોય છે. અસુર પણ યજ્ઞ-યજ્ઞાદિ કરતા હોય છે. તેઓ પોતાની એક સભ્યતા ખડી કરે છે. ભગવાને આસુરી સંપત્તિના ગુણો ગણાવતી વખતે પ્રથમ દંભને મૂક્યો છે. દંભમાં અસત્ય તો હોય જ છે, પરંતુ થોડો અંશ સત્યનો પણ હોય છે. ભગવાન માને છે કે અસુર-ચરિત્ર કામના-પ્રધાન છે. જો કામનાની મર્યાદા બાંધવામાં આવે અને તેને યોગ્ય દિશા આપવામાં આવે તો તેથી લાભ થઈ શકે છે. પરંતુ અસુર એવું નથી કરતા. કામના એક તરફથી આશામાં ફસાવે છે અને બીજી બાજુથી ચિંતા પેદા કરે છે. ચિંતાને લઈને પરિગ્રહ, સંગ્રહ થાય છે. તેને જ લોભ કહે છે, લોભને પણ મર્યાદિત કરી શકાય છે પરંતુ તે મર્યાદામાં નથી રહેતો. ધન સારા માર્ગે પણ પ્રાપ્ત કરી શકાય છે પરંતુ એટલાથી સંતોષ નથી થતો. તેથી ખોટાં સાધનોથી, અસત્યનો આશરો લેવામાં આવે છે. તેથી વેર અને દુર્ગુણો વધે છે.

અસુર ચરિત્ર-સાર

આસુરી સંપત્તિની મીમાંસા કરતા ક્યારેક કામનો ઉલ્લેખ કરે છે, ક્યારેક કામ-ક્રોધ બંનેનું નામ લે છે, તો ક્યારેક કામ-ક્રોધ-લોભનો પૂરો ત્રિકોણ બનાવે છે. આ ત્રણેય વૃત્તિઓમાં અસુર ચરિત્રનો સાર છે. માનસશાસ્ત્રી પણ આ વાત માને છે. ગીતા આ ત્રણને નરકદ્વાર કહે છે. તે આત્માનો નાશ કરનારા છે, આ ત્રણેય ત્યાગ્યા વિના કલ્યાણમાર્ગે પહોંચવું અસંભવ છે. કામ-ક્રોધ-લોભને જીતવા માટે ક્રમશ: દમ-દયા-દાનનો શાસ્ત્રીય માર્ગ શ્રુતિએ બતાવ્યો છે.

ભય : ઉત્પત્તિ અને નિવૃત્તિ

ભાગવતમાં ભગવત-ભક્તિનું વર્ણન આવે છે કે, જે ભગવાનના ચરણોની સેવા કરે છે તે આ દુનિયામાં કોઈથી ક્યારે ય ડરશે નહીં. તેને કોઈ પ્રકારનો ભય સંભવે નહીં. તો પણ આશ્ચર્યની વાત છે કે હિંદુસ્તાનમાં ભગવાનની ભક્તિ અધિક જોવા મળે છે અને ડરનારા લોકોની સંખ્યા પણ અધિક જોવા મળે છે. આપણે ભગવાનની ભક્તિ કરીએ અને છતાં ચિત્તમાં ડર રાખીએ આવું કેમ બને છે ? એટલા માટે જ કે આ ભક્તિમાં જડતા છે. તે જીવિત, જાગૃત ભક્તિ નથી. મા પર બાળકની જીવિત શ્રદ્ધા હોય છે. તે માના ખોળામાં હશે, તો ડરશે નહીં, મા કોઈ મોટી શક્તિ તો નથી તો પણ બાળક સમજે છે કે મારી મા દરેક પ્રકારે બચાવ કરનારી છે. ઘરમાં આગ લાગી હોય તો પણ બાળક કોઈ હિલચાલ નહીં કરે. મા પ્રત્યે બાળકની જેટલી શ્રદ્ધા છે, શું ભગવાન પ્રત્યે આપણી એટલી શ્રદ્ધા છે ? આપણને ભરોસો જ નથી કે “આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ, તેમનું નામ જપીએ છીએ તો હર હાલતમાં તે આપણને બચાવશે, આપણે નિર્ભય છીએ આપણને જીવિત શ્રદ્ધા નથી. જો જીવિત શ્રદ્ધા હોય તો કોઈ પ્રકારનો ભય રહેશે જ નહીં.

ભય કેવી રીતે પેદા થાય છે અને કેવી રીતે તેમાંથી નિવૃત્ત થઈએ છીએ, તો કહે છે “असद् आत्माभावात् – દેહ ભાવથી, “દેહ જ આત્મા છે એવી મિથ્યા કલ્પનાને કારણે, उद्विग्निबुध्धे : ।

જેની ઉદ્વિગ્ન બુદ્ધિ છે તેથી, તથા વિશ્વાત્મના એટલે કે આખું વિશ્વ મારું જ રૂપ છે એવી વ્યાપક ભાવના સેવીને – અચ્યુતની સેવા કરીને ભયમાંથી નિવૃત્ત થાય છે – निवर्तते मी: ‘હું દેહ છું’, એવી ભાવના દૃઢ થતાં ભય પેદા થાય છે અને દેહભાવની જગ્યાએ વિશ્વાત્મભાવ પેદા થાય છે ત્યારે ભય નિવૃત્ત થાય છે. ભગવત-ભક્તિ મનુષ્યને પોતાના દેહથી અલગ કરીને આખા ય વિશ્વ સાથે જોડી દે છે.

આ વિશ્વાત્મભાવ પર ‘કુરાને’ ખૂબ જોર દીધું છે. “रब्बुल आलमीन, ભગવાન કેવા છે ? આખી દુનિયાના પ્રભુ છે, કેવળ મારા નહીં, સહુના પ્રભુ છે. એનાથી વ્યાપક બુદ્ધિ બને છે. આપણે સહુ એક પ્રભુનાં સંતાન છીએ, વિશ્વ અને આપણે એક છીએ, એવી ભાવના બને છે. આ રીતે ભગવતભક્તિથી વિશ્વાત્મા બને છે અને તેનાથી ભય નિવૃત્ત થાય છે.

સૌજન્ય : ભૂદાનમૂલક ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિનું પાક્ષિક મુખપત્ર “ભૂમિપુત્ર”, 16 ઑક્ટોબર 2020; પૃ. 01-03 

Loading

બાપીકા ઓરતા : વર્ણ ને વારસાની વાતડિયું

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|28 October 2020

‘આ જુદે જુદે સ્થળે વસતા ગુજરાતીઓ આજે શાથી એક બને છે ? એમને શું એક બનાવે છે ? ગુજરાતીપણું – ગુજરાતીતા – ગુજરાતની અસ્મિતા એટલે શું ? એ વધે છે કે ઘટે છે ? વધે છે તો કેટલી ને કેવીક વધે છે ?

‘આ અસ્મિતા શબ્દ 1913 – 14માં હું ‘યોગસૂત્ર’માંથી આપણા ઉપયોગમાં ખેંચી લાવ્યો, ત્યારથી હું તેના પર વિચાર કરું છું, અને તેને પોષે એવી સામગ્રી એકઠી કરું છું. અમે જન્મે ગુજરાતી છીએ, અમે ગુજરાતી બોલીએ છીએ, અમારા સંસ્કાર ગુજરાતી છે એમ કહ્યે આપણામાં ગુજરાતી અસ્મિતા આવતી નથી. અસ્મિતા જે મનોદશા સૂચવે છે તેના બે અંગ છે : ‘હું છું’ અને ‘હું હું જ રહેવા માગું છું’, એમાં એક વ્યક્તિત્વની સુરેખ કલ્પના અને એ વ્યક્તિત્વને હસ્તીમાં રાખવાનો સંકલ્પ બન્ને રહ્યાં છે. જ્યારે આપણે ‘ગુજરાતની અસ્મિતા’ શબ્દો ઉચ્ચારીએ છીએ ત્યારે કયા અને કેવા ગુજરાતની કલ્પના સેવીએ છીએ ? ને કયા ગુજરાતને હસ્તીમાં આણવાનો સંકલ્પ કરીએ છીએ ?’

સન 1937માં કરાંચી મુકામે મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના તેરમા અધિવેશન પ્રસંગે પ્રમુખસ્થાનેથી આપેલાં વ્યાખ્યાનમાં કનૈયાલાલ માણેકલાલ મુનશીએ આમ કહેલું.

આ વ્યાખ્યાન અંગે આચાર્ય આનન્દશંકર બાપુભાઈ ધ્રુવે ‘સાહિત્યવિચાર’માં વિષદ છણાવટ કરી છે. “વસંત” સામયિકના વર્ષ 36ના (શ્રાવણ-આશ્વિન, સં. 1993) ત્રીજા અંકમાં આનન્દશંકરભાઈ લખતા હતા : ‘અમે નિખાલસપણે કહીશું કે વર્તમાન સમયમાં પ્રાન્તિક સ્વરાજ્યને લીધે પ્રાન્તિક ‘અસ્મિતા’ ભારતના અભેદદર્શનમાં વિઘ્નકર થવાનો ભય છે.’ આગળ વધતાં એ કહેતા હતા : ‘… પ્રાન્તીય સ્વરાજ્યના આ દિવસોમાં હિન્દસમસ્તની એકતાની ભાવના લક્ષ્ય બહાર જતી રહેવાનો અમને ભય છે. અમે તો એક ગૂજરાતી તરીકેની આપણી અસ્મિતા વધારે ઉત્કટ ન બની જાય તેટલા માટે વ્યક્તિત્વવાદી વાચકોને વિચારવા વીનવશું કે રા. મુનશી જેને ગૂજરાતનું ‘સાંસ્કારિક વ્યક્તિત્વ’ કહે છે એના ઘટક અવયવો શા છે, કે જે ભારતની સામાન્ય સંસ્કૃતિમાં નથી અને જે ગૂજરાતની વિશિષ્ટતા બતાવે છે ? અમને તો ભાગ્યે કોઈ જડે છે.’

તળ ગુજરાતથી વળોટી એક મોટો સમૂહ દરિયાપાર જઈ વસ્યો છે અને આશરે સવાસો જેટલા દેશોમાં આ જમાત સ્થાયી બની છે. તેથી મુનશી સૂચવી અસ્મિતાની વ્યાખ્યા આજે કેટલે અંશે આ નવોદિત સંદર્ભે કારગત નીવડે ? આનન્દશંકરભાઈ તો ભારતના અભેદદર્શનમાં આ વિઘ્નકર થાય તેમ જણાવતા હતા. જાગતિક પરિપ્રેક્ષ્યે જોઈએ, વિચારીએ તો ય આજે આ વિચાર મુદ્દે વિશેષ ગાબડાં પડે તેમ સહજ દેખાઈ આવે.

હવે બીજી પાસ, બરાક ઓબામા લિખિત ‘ડૃીમ્સ ફ્રૉમ માઇ ફાધર – ઍ સ્ટોરી ઑવ્ રેઇસ એન્ડ ઇન્‌હેરિટન્સ’[બાપીકા ઓરતા : વર્ણ ને વારસાની વાતડિયું]માંથી પસાર થતા થતા ઓળખ [identity], વર્ગ [class], વર્ણ [race] સરખા પેચીદા કોયડાઓ સતત અથડાયા કર્યા. અને પરિણામે ન અહીંના, ન તહીંના તેમ ત્રિશંકુ શી હાલતમાં લપેટાયા હોઈએ તેમ લાગ્યા કરે છે.

બરાક ઓબામા વકીલાતનું ભણી રહ્યા હતા. હાર્વર્ડ લૉ સ્કૂલનો અભ્યાસ ચાલતો હતો. તેવાકમાં ‘હાર્વર્ડ  લૉ રિવ્યૂ’ના પ્રમુખપદે એમની વરણી થાય છે. અને ચોમેર જે કંઈ સમાચારો પ્રસિદ્ધ થયા તેને આધારે એક પ્રકાશન જૂથે બરાકભાઈને અમેરિકી વર્ણભેદ સંબંધક પુસ્તક કરવાનો પ્રસ્તાવ મુક્યો. ડિગ્રી મળ્યા કેડે એક વરસનો સમયગાળો લઈને પુસ્તક કરવાનું એ કબૂલે છે. પરંતુ તે ત્યારે એમ કરી ન શક્યા. ઓબામા શિકાગોમાં પગ ખોડી રહ્યા હતા. મિશેલ જોડે ઘરસંસાર માંડે છે અને નાનુંમોટું કામ કરે છે. પણ પેલો કીડો સળવળ્યા કરે છે. પુસ્તક ન થયાનો વસવસો ભીસતો ય રહ્યો છે. અને તે પોતાની માતા, સ્ટેન્‌લી એન ડનહામ પાસે ઇન્ડોનેશિયા જઈ પુસ્તકના લેખનમાં પરોવાય છે. માતા માનવશાસ્ત્ર વિજ્ઞાની છે. એ લેખકને સલાહસૂચન આપે છે અને છેવટે આ પુસ્તક આપણને મળે છે.

પુસ્તકને નવ પ્રકરણો છે. છેલ્લે ઇતિલેખ છે. પરંતુ તે ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે : ઓરિજિન, શિકાગો અને કિન્યા. હોનોલુલુ તેમ જ શિકાગોમાં પસાર કરેલા આરંભિક દિવસોની વાત આરંભથી અહીં વણી લેવામાં આવી છે. બરાક ઓબામા સ્મરણકથાની આ ચોપડીમાં પોતાના પિતા, જેમનું નામ પણ બરાક ઓબામા છે, તેમનાં મૂળને સમજવા, પામવા મથ્યા છે. અને તેને સારુ એ ખુદ કિન્યાની મુલાકાતે નીકળે છે અને પોતાના બાપીકા વિસ્તારની યાત્રાએ જાય છે. વિક્ટોરિયા સરોવરના કંઠાર વિસ્તારમાં જન્મેલા વરિષ્ટ ઓબામા લૂઓ જાતિપરંપરાનું ફરજંદ. તેથી તે વિસ્તારમાં જઈ એ ગ્રામપ્રદેશમાં રોકાણ કરે છે. તેના પિતાના સગાંશાહીને મળેહળે છે. ભાંડુંઓને હળેમળે છે તેમ પોતાનાં દાદીમા, હબીબા અકુમુ સાથે ય તાલમેલ કરે છે. દાદીમા સહિત સૌનો પારાવાર સ્નેહ મેળવે છે.

પણ આ વાત અહીં અટકતી નથી, બરાક ઓબામા પોતાની ઓળખ જાણવા સમજવામાં ખોવાયેલા રહે છે. કિશોર બરાક ઓબામા હવાઈ ટાપુના હોનોલુલુ નગરની પુનાહૂ એકેડેમીમાં ભણતા હતા, તે વેળા તે કીથ કાકુગાવા નામે તેમનાથી મોટા સહવિદ્યાર્થીના સંપર્કમાં આવે છે અને તે બરાકને આફ્રિકન-અમેરિકન જમાતમાં લઈ જાય છે. અને પછી, એમની ખોજનો, આંતરખોજનો આરંભ થાય છે. બરાક ખુદ લખે છે કે આ ખોજને કારણે એક પ્રકારે ઊંડી વેદનામાં તે જઈ પડે છે.

એમના સમકાલીન અને જગતને સાંપડેલાં એક મોટાં ગજાંના અમેરિકી સાહિત્યકાર તેમ જ નોબેલ પારિતોષિક વિજેતા ટૉની મોરિસન લખે છે તેમ, બરાક ઓબામાને થયેલા અનેક અભૂતપૂર્વ અનુભવોની જાળમાંથી કુનેહપૂર્વક પોતાનો માર્ગ ગોઠવી લેનાર આ લેખકે જે રીતે સંવાદો મુક્યા છે, પ્રસંગો કંડાર્યા છે, લખાણને વહેતું રાખ્યું છે તેથી તે કોઈ સાધારણ પ્રકારની રાજકીય સ્મરણકથા રહેતી જ નથી. તે અનુપમ સ્મરણકથા બને છે. ટૉની મોરિસનના મતાનુસાર, બહુ સરળતાએ જોઈએ તો આ ચોપડીની બરોબરી કરાય તેવી બીજી ચોપડી આપણને જડશે ય નહીં.

પુનાહૂ એકેડેમીથી શરૂ થયેલી આ ખોજ એમને હાર્વર્ડમાં, ન્યૂ યૉર્કમાં, શિકાગોમાં અનેક પ્રકારના કાચાપાકા અડાબીડમાં ધકેલે છે. એ વાંચે છે ખૂબ. મબલખ વિચારે છે. તેથી આ ખોજ તેમને મજબૂત બનાવે છે અને તેનો તાગ મેળવવા તે બાપીકા મુલકની જાતરાએ ય જાય છે. બાપીકા ઓરતા : વર્ણ ને વારસાની વાતડિયું સમજે છે, પહેચાને છે. અને તેના પરિપાક રૂપે આપણને આ મજેદાર પુસ્તક મળે છે.

આવી આવી ખોજ આપણી પણ છે. દેશપરદેશ ગયા, વસ્યા, એક સ્થાનેથી ઉખડ્યા, કોઈ વાર મૂળ સોતાં ય ઉખડ્યા, ક્યાંક રોાપાયા, ક્યાંક કરમાયાં, ક્યાંક ઉછર્યા, ક્યાંક વળી મૂળ ઊંડાં ઊતારીને વિસ્તર્યાં પણ ખરાં; અને તેમ છતાં, આપણા વારસાને પામવાના ઓરતા તો સતત રહ્યા કર્યા છે. ઓળખ નામે જાળામાં ગુંચવાઈએ છીએ, જરૂર. બીજી પાસ, ક.મા. મુનશીને ‘યોગસૂત્ર’ વાટે મળી જે અસ્મિતા સમજાઈ છે તેને આનન્દશંકરભાઈએ પડકારી તો છે જ. તો બીજી કોરે ઓબામાએ આજના સંદર્ભે, અમેરિકા તથા આફ્રિકા નામે બે ખંડમાંના જાત અનુભવોમાંથી પસાર થઈ, વળી, તેને નાણી જોઈ છે અને એકવીસમી સદીના નવા આયામોમાં મૂકી આપી છે. આ સૌની સરાણે આપણે હવે આપણી ઓળખ પીછાણવી રહી.

આપણી ઓળખ ? તેને ભાષાની બાજુ છે, તેને ધર્મની બાજુ છે, તેને સંસ્કૃતિની બાજુ છે, તેને વારસાની બાજુ છે, તેને સમાજકારણ—અર્થકારણ—રાજકારણની ય બાજુ છે, તેને સાહિત્ય, સંગીતની તેમ જ કળાની બાજુઓ તો છે જ છે, પણ તેને ખાણીપીણીનાં વિવિધ વાનગીઓ ઉપરાંત અનેક વ્યંજનોની, તેને ભૂગોળની, અરે ઇતિહાસની ય બાજુ છે. મારા સરીખાને વળી ખુદ ત્રણ ખંડોનો અનુભવ છે અને તે ત્રણ પેરે ફંટાય તેવા ત્રિભેટે આવીને ઊભો છે. આથી આજને તબક્કે આપણે કયા ઓજાર કામે લગાડવા જોઈશે ? વિચારું છું તો સમજાય છે કે મુનશી દીધાં સાધન ટૂંકાં પડે અને તેની આનન્દશંકરભાઈના પડકારે સતત સરાણ કાઢવી રહે. વળી, બરાક ઓબામાને જે લાધ્યાં તે રાચરચીલાં ક્યાંક કામ લાગે તેમ છે. કેમ કે ઓબામા નામે લેખક વિચારક આ એકવીસમી સદીની વાત માંડે છે. એટલું જ નહીં, અમેરિકાના જાહેરજીવનમાં એક પછી એક સોપાન સર કરતાં કરતાં તે રાષ્ટૃપતિ પદ પણ સોહાવે છે. ત્યારે અને તે પછી, નિવૃત્તિમાં યે તે સતત વિધેયક રહ્યા છે અને અમેરિકા-કેન્દ્રી રહ્યા છતાં જાગિતક સ્તરે, માનવીય વિચારધારામાં લપેટાયેલા જોવા મળે છે.

વિલાયત માંહેના એક અવ્વલ વિચારક મિત્ર ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી “ઓપિનિયન”ના જુલાઈ 1995ના અંકમાં લખતા હતા : “ગુજરાતી સમાજમાં ખળભળાટ મચાવવામાં આપનો ત્રીજા અંકના અગ્રલેખનો વિષય ગુજરાતીઓની સંઘશક્તિ, કાજે મોખરે રહે છે. અને વ્યક્તિગત રીતે આ અગ્રલેખ મને એક (ઘટનાની) યાદ અપાવી જાય છે. ૧૯૬૦ના અરસામાં સ્વ. ઈશ્વર પેટલીકર પૂર્વ આફ્રિકાના પ્રવાસે આવ્યા હતા. મોમ્બાસા(કિન્યા)ના પટેલ સમાજના ખંડમાં ભાષણ કરતાં મર્મ-સ્પર્શી વાક્યો એમણે ઉચાર્યાં હતા, તેની યાદ આવી જાય છેઃ 'મારા પૂર્વ આફ્રિકાના પ્રવાસમાં પટેલને મળાયું; વણિકો(શાહ)ને મળ્યો; બાહ્મણોને મળ્યો; કાઠિયાવાડીઓને મળ્યો; પણ ન મળ્યો કોઈ ગુજરાતીને. પટેલ સમાજોમાં ભાષણો કર્યાં; બ્રહ્મસમાજમાં ભોજનો લીધાં; કાઠિયાવાડી સમાજની ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો પણ એક ગુજરાતી સમાજનો સમાગમ ન થયો.’

ડાહ્યાભાઈ મિસ્ત્રીએ “ઓપિનિયન”ના જૂન 1995 અંકમાં પ્રગટ અગ્રલેખનો ઉલ્લેખ કરેલો છે. તેમાં ઇતિહાસના આપણા ઉત્તમ અધ્યાપક અને સાહિત્યકાર બળવંતરાય કલ્યાણરાય ઠાકોરે આઠનવ દાયકાઓ પહેલાં કહેલા શબ્દો ટાંકવામાં આવેલા. બ.ક.ઠા. લખતા હતા :

'આપણાં ગુજરાતીઓમાં પ્રજાપણું નથી. આપણાંમાં પ્રજાપણાનું ઐક્ય નથી. પ્રજાપણાનો ટેક નથી. પ્રજાપણાનાં સતત આગ્રહી ઊજમ અને જોમ નથી. આપણા નેતાઓને પ્રજાપણાવાળી પ્રજાના પીઠબળનો ટેકો નથી. મતભેદ અને ચરિત્રભેદને લીધે ટીકા, ચર્ચા, વૈમનસ્ય અને મતામતિ આપણે ત્યાં જ થાય છે એમ નથી; સર્વત્ર થાય છે. પરંતુ બીજે જ્યારે પ્રજાપણાની ઉષ્માથી એ થતાં આવે તેમ ઓગળતાં પણ જાય છે, અને આરંભેલ સંસ્થા કે કાર્યપ્રવાહ આગળ વધવા પામે છે તેમ તેમ એ વૈમનસ્ય અને મતભેદની નડતર ઓછી પડી જાય છે, ત્યારે આપણે ત્યાં એ નડતર જ વખત જતાં વધુ મોટી બનીને ગમે તેવાં કાર્ય કે કાર્યપ્રવાહને મંદ કરી નાખે છે, અને થોડા જ વખતમાં રૂંધી નાખે છે. આપણા પારસીઓ ગુજરાતી નથી, આપણા મુસલમાનો ગુજરાતી નથી, આપણા કાઠિયાવાડીઓ ગુજરાતી નથી, આપણા કચ્છીઓ ગુજરાતી નથી, આપણા ઈડિરયાઓ ગુજરાતી નથી, આપણા મુંબઈગરા ગુજરાતી નથી, આપણા ગુજરાતીઓમાં પણ સૌ કોઈ ગુજરાતી છે તે કરતાં તે અમદાવાદી કે સુરતી કે ચરોતરી કે પટ્ટણી કે મારવાડી, અગર તો નાગર, બ્રાહ્મણ કે વાણિયા કે અનાવિલ કે જૈન કે પટેલ કે બીજું કંઈ વિશેષ છે.’

ટૂંકમાં, કેટકેટલી ઓળખોમાં આપણો સમૂહ વહેંચાયેલો એ દરેકને જોવા મળ્યો હશે ! અને આવી વહેંચણી અહીં વિલાયતમાં, પણે અમેરિકાના કે આફ્રિકામાંના મુલકોમાં ય આપણે ભાળીએ છીએને ! આપણા અગ્રિમ પત્રકાર – વિચારક પ્રકાશભાઈ ન. શાહે, કદાચ તેથીસ્તો, ક્યાંક લખ્યું છે ને: ‘ગુજરાતીઓ હજી પ્રજાપણાની ભાવનાએ પહોંચ્યા નથી અને એક પ્રજા તરીકે આપણામાં જે સંઘશક્તિ હોવી જોઈએ એમાં કેવળ બાળક છીએ.’

સમકાલીન ઘટનાઓ પર નજર કરું છું અને મને સમજાય છે. એક સમે મારી જન્મભૂમિએ જુલિયસ ન્યરેરે સરીખા મુઠ્ઠી ઊંચેરા આગેવાન જોયા છે. આજના આગેવાનો સાથે સરખામણી કરીએ તો નેતાગીરીનો આલેખ નીચે ધસમસતો લાગે. આવું મારી વારસાની ભૂમિનું છે. એક સમે જવાહરલાલ નેહરુ, વલ્લભભાઈ પટેલ, રાજેન્દ્ર પ્રસાદ સરીખા સરીખા આગેવાનો ધણીધૂરી પદે હતા. આજે ? આગેવાનીનો આલેખ સપાટીએ સડક સપાટ થઈ પલોંઠ લગાવી બેઠેલો જોવા પામીએ. આવું મારા વતનભોમકાની વાત. એક દા વિન્સ્ટન ચર્ચિલ, ક્લેમન્ટ એટલી સરીખા સરીખા આગેવાનોએ અમારા મુલકનું ઘડતર કરેલું. જ્યારે આજે ? રૂદિયો બેસી પડે તેવી હાલત છે. અમેરિકે ય એક દા જ્હૉન કેનેડી શા આગેવાન હતા; આજે ? વાત ન જ કરીએ; ક્યાંક રહીસહી આબરૂ ય લજાઈ મરે ! તેના લીરા ય શોધ્યા નહીં જડે !!

આપણા એક અડીખમ પૂર્વસૂરિ રણજિતરામ વાવાભાઈ મહેતાએ, છેક 1908માં, કહ્યું હતું, તે આ સંદર્ભે યાદ કરવાનું આથી મન કરું છું :

‘સર્વત્ર સ્ફૂરણ પેઠું છે − જાગૃતિનાં ચિહ્ન દૃષ્ટિને પથે પડે છે. પણ ગુજરાતમાં નેતા નથી. બંગાળા, મહારાષ્ટૃ, પંજાબ, વગેરે પ્રાંતોમાં છે તેવા નથી. મુંબઈમાં, અમદાવાદમાં કે દેશી રાજ્યોમાં બુદ્ધિશાળી ગુજરાતીઓ અનેકધા દેશહિતનું કામ બજાવે છે. પણ ગુજરાતને દોરનાર નેતાઓની તો ખોટ જ છે. અમે સર્વે ગુજરાતી છીએ − હિન્દુ, મુસલમાન, પારસી હોવા છતાં ગુજરાતી છીએ − એવી ભાવના જનેજનમાં જગાવે અને દક્ષિણી કે બંગાળીમાં જેવા પ્રતાપ ગુજરાતીઓ ગુજરાતમાં અને ખંડેખંડના પરદેશ નિવાસમાં બતાવી શક્તિમાન કરે, એવા નેતાની આપણે ત્યાં ખોટ છે.'

આમ ચોમેર વ્યાકુળ કરી મેલે તેવી ભુલભુલામણી શો પટ પડ્યો છે, અને તેમાંથી પોતીકો કેડો શોધવાનો છે. હાંફ ચડે, હામ ખોઈએ તેમ પણ બને; પરંતુ કોઈક પ્રકારના જોમજોસ્સા સાથે પંડે વિધેયક રહ્યે રહ્યે હીંડ્યા કરવા સિવાય કોઈ ચારો ય નથી. કેમ કે, આપણામાંના અનેકોની પેઠે મારું ય વણજારાની જેમ જીવન વીત્યું છે. તેની રઝળપાટ જેમ બીજાને થઈ હોય તેમ હું ય તેનો માર્ગી. કાંઈ નવું નહીં. અને છતાં તેમાં નકરો મારો નિજી અનુભવ દેખા દે; ક્યાંક અલાયદા નિરીક્ષણો ય હોય. પરિણામે એક તરફ ઉમાશંકર જોશી લાલબત્તી ધરી ધરી સતત કહ્યા રાખે જ છે ને : ‘એ તે કેવો ગુજરાતી / જે હો કેવળ ગુજરાતી’. અને બીજી તરફ, અસમિયા કવિ ગાયક ભૂપેન હઝારિકા પોકારી પોકારીને મને ઢંઢોળતો રાખી સંભારી આપે છે : આમી એક જાજાબૉર … પ્રિથિબિ અમાકે અપોન કોરેછે … ભૂલેછી નિજેરી ઘૉર … આમી એક જાજાબૉર … …

વારુ, … આવી આવી રઝળપાટની વાત ક્યારેક, હવે પછી −

પાનબીડું :

એ તે કેવો ગુજરાતી
એ  તે  કેવો ગુજરાતી
જે હો કેવળ ગુજરાતી

હિન્દભૂમિના નામે  જેની  ઊછળે ના છાતી
મહારાષ્ટ્ર દ્રવિડ બંગાળ બિહાર બધે અનુકૂલ
જ્યાં પગ મૂકે  ત્યાંનો  થઈને  રોપાયે દ્રઢમૂલ

સેવા  સુવાસ   જેની   ખ્યાતિ
તે જ બસ નખશીખ ગુજરાતી

ના ના તે નહિ ગુજરાતી જે હો કેવળ ગુજરાતી
એ  તે  કેવો  ગુજરાતી  જે હો કેવળ ગુજરાતી
ભારતભક્તિ  દેશવિદેશ
ન    જેની    ઊભરાતી
એ  તે  કેવો   ગુજરાતી

સાગરપાર    આફ્રિકા    એડન    લંકા   સિંગાપુર
મોરિશ્યસ ફિજી ન્યૂઝિલેન્ડ જાપાન બ્રિટન અતિ દૂર
કાર્ય કૌશલ આતિથ્ય સુહાતી
બધે  ઉર-મઢૂલીઓ ગુજરાતી

તે નહિ નહિ જ ગુજરાતી
જે હો કેવળ ગુજરાતી એ તે કેવો ગુજરાતી
હિન્દભૂમિના નામે  જેની  ઊછળે ના છાતી

ભારતભક્તિ  દેશવિદેશ
ન    જેની    ઊભરાતી
એ  તે  કેવો   ગુજરાતી

                                                       — ઉમાશંકર જોશી    

[1944 શબ્દો]

હેરૉ, 08-13 જૂન 2020

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

પ્રગટ : ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક", પુસ્તક : 85 – અંક : 3; જુલાઈ – સપ્ટેમ્બર, 2020; પૃ. 50-55

Loading

...102030...2,1052,1062,1072,108...2,1202,1302,140...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved