Opinion Magazine
Number of visits: 9573811
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અતીતરાગ

આશા વીરેન્દ્ર|Opinion - Short Stories|29 October 2020

સદાનંદબાબુની દીકરી સુધા હવે તો જો કે, ૬૦-૬૨ વર્ષની થઈ ગઈ હતી, પણ એ સમયના બંગાળના રિવાજ પ્રમાણે એનાં લગ્ન થયાં ત્યારે એની ઉંમર હતી બાર વર્ષ. લગ્નના માત્ર સાત દિવસ પછી એને પાછો પગ કરવા પિયર લઈ આવ્યાં એના બીજે-ત્રીજે દિવસે ઘરમાં રોકકળ મચી ગઈ. મા કલ્પાંત કરતાં બોલ્યે જતી હતી, ‘અરેરે, આ તે કેવું દુ:ખ આવી પડ્યું? જમાઈને એરુ આભડી ગયો. મારી સુધી વિધવા થઈ ગઈ. હવે શું થશે? બિચારી આખો જન્મારો કેમ કરીને કાઢશે?’

તે દિવસથી માંડીને આજ સુધી એ પિયરમાં જ રહી. ન કદી સાસરેથી કોઈએ એના ખબર પૂછ્યા કે ન કોઈ તેડું આવ્યું. લગ્નનું આખું પ્રકરણ એની જીવન કિતાબમાંથી ભૂંસાઈ ગયું. જો કે, આ ઘરે એને હૂંફ, લાગણી, માન-સન્માન બધું જ આપ્યું હતું. મા તો પંદરેક વર્ષ પહેલાં પરલોક સિધાવી ગઈ હતી પણ બાપુ, બે ભાઈઓ, ભાભીઓ અને એમનાં કલબલાટ કરતાં સંતાનોથી ભર્યા ભર્યા આ પરિવારમાં એનું વિશિષ્ટ સ્થાન હતું. એક સવારે રસોડાના કામમાં ગૂંથાયેલી સુધાને નાની ભાભીએ કહ્યું, ‘દીદી, તમને મળવા કોઈ મહેમાન આવ્યા છે તે બાપુ બેઠકખંડમાં બોલાવે છે.’

સુધાને આશ્ચર્ય થયું. ‘મને મળવા વળી કોણ આવે?’

એ બેઠકખંડમાં પહોંચી ત્યારે એને જોઈને ૫૦-૫૫ ની વયનો લાગતો પુરુષ ઊભો થઈને એને પગે લાગ્યો, ‘ભાભી, હું તમારો દિયર – વિપીન. તમારાં લગ્ન વખતે આઠેક વર્ષનો હોઈશ. ઓળખાણ પડે છે?’

સુધાના ચહેરા પર સખ્તાઈ આવી ગઈ, ‘ના, હું તમને નથી ઓળખતી.’

સદાનંદબાબુએ કહ્યું, ‘વિપીનબાબુ કહેવા અવ્યા છે કે, એમને હવે બાપ-દાદાના વખતનો બંગલો વેચી દેવો છે. મિલકતની વહેંચણી કાયદેસર રીતે ત્રણ ભાગે થશે. એ બંને ભાઈઓનો એક એક ભાગ અને જમાઈબાબુની એક માત્ર વારસ તરીકે તારો ત્રીજો ભાગ.’

‘બાપુ, મને આવી બધી ભાગ-લાગની વાતમાં કંઈ રસ નથી. વળી જે કદી મારું હતું જ નહીં એ ઘરમાંથી હું હિસ્સો શી રીતે લઈ શકું? મારે હજી ઘણું કામ પડ્યું છે. હું જાઉં?’ વિપીન એકદમ ઊભો થઈ ગયો. બે હાથ જોડીને કહેવા લાગ્યો, ‘ભાભી, તમે ખૂબ મહાન છો. બાકી આટલી સહજતાથી પોતાના હિસ્સાનો મોહ કોઈ કેવી રીતે ત્યાગી શકે? પણ મારી એક વિનંતી છે. એક વખત તકલીફ લઈને તમારે ગામ તો આવવું જ પડશે.’

‘શા માટે?’

‘અમારા બે ભાઈઓના હક્કમાં તમે તમારો ભાગ જતો કરો છો એવા લખાણ પર કોર્ટમાં આવીને વકીલની રૂબરૂ સહી કરી આપવી પડશે.’ ‘એમાં મારી ના નથી. જે કંઈ કરવું ઘટે એ કરીને મારે આ બધામાંથી મુક્તિ જોઈએ છે. મને આવી બધી ઝંઝટ નથી ફાવતી. પણ હા, હું બાપુ સાથે ત્યાં આવું ત્યારે બંગલો જોવાની મારી ઇચ્છા છે. બતાવશો ને?’ વિપીન તરત બોલ્યો, ‘જરૂર તમને બંગલે લઈ જઈશ ભાભી, પણ હવે એમાં જોવા જેવું કંઈ રહ્યું નથી. સાવ ખંડેર થઈ ગયું છે. ત્યાં રહી શકાય એમ પણ ન હોવાથી અમે બંને ભાઈઓએ ભાડાનાં ઘર લીધાં છે.’

વિપીનના ગયા પછી સુધાની મન:સ્થિતિ ડામાડોળ થઈ ગઈ. પચાસ વર્ષોનો દીર્ઘ કાળખંડ વટાવી એ બાર વર્ષની કિશોરી નવવધૂના સ્વાંગમાં શ્વસુરગૃહે પહોંચી ગઈ. જો કે, આજે તો હવે પતિનો ચહેરો પણ યાદ નહોતો. હતી તો માત્ર એક સુમધુર સ્મૃતિ. વિશાળ બંગલાના એક ઓરડાની બારી પાસે બાર ને પંદર વર્ષનાં કિશોર-કિશોરી કે જે બે દિવસ પહેલાં પતિ-પત્ની બન્યાં છે, એ બંને બેઠાં છે. બારીની બહાર આંબા અને ફણસનાં વૃક્ષો ઝૂમી રહ્યાં છે. કિશોર કહે છે, ‘બધાં ભલે કહે કે, ફણસ કરતાં કેરીનો સ્વાદ વધુ સારો પણ મને તો ફણસ જ બહુ ભાવે. તને શું વધારે ભાવે?’

છોકરી શરમાઈને કહે છે, ‘કેરી’.

બીજે દિવસે કિશોર બધાંથી છુપાવીને બે પાકી કેરી લઈ આવીને કિશોરીને કહે છે – ‘જલદી જલદી ખાઈ લે, નહીંતર કોઈ જોઈ જશે ને બધાં આપણી મજાક ઉડાવશે.’ સુધાને સમજાયું નહીં કે વર્ષો પહેલાંની આ યાદથી આજે ય એની આંખો ભીની કેમ થઈ ગઈ? વિપીન ગાડી લઈને સ્ટેશને લેવા આવ્યો હતો. ‘ચાલો, પહેલાં તમને એક સારી હોટેલમાં લઈ જાઉં. ચા-નાસ્તો કરો અને ફ્રેશ થઈ જાવ. કોર્ટના સમયને હજી વાર છે.’

‘સૌથી પહેલાં મારે બંગલો જોવા જવું છે.’ સદાનંદબાબુને સુધાની આ ઉતાવળ સમજાઈ નહીં પણ એમણે ચૂપ રહેવાનું યોગ્ય માન્યું. પડું પડું થતા એક બંગલા પાસે ગાડી ઊભી રહી. પોતાની પાસેની ચાવીથી તાળું ખોલતાં વિપીને કહ્યું, ‘જોયું ભાભી, મેં કહ્યું હતું ને કે, બંગલામાં કંઈ જોવાલાયક રહ્યું નથી. બધા ઓરડા ખાલીખમ છે. બેસવા માટે એક ખુરશી સુધ્ધાં નથી.’ ‘વાંધો નહીં. હું એક વાર ઉપરના માળે આંટો મારી આવું. તમે બંને વાતો કરો. હું હમણાં આવું છું.’

ધૂળથી ભરેલા ઓરડા પાસે જઈને સુધાએ ઊંડો શ્વાસ લીધો. ધીમેથી બારી પાસે જઈ એણે બંધ બારીને ધક્કો માર્યો. જ્યાં બહાર નજર કરી ત્યાં એનું હૈયું એક થડકારો ચૂકી ગયું. ક્યાં ગયાં એ આંબા અને ફણસનાં ઝાડ? અહીં તો હતા માત્ર પથ્થરો અને માટીના ઢગલા. અચાનક એને પેલા કિશોરનો રમતિયાળ સ્વર સંભળાયો, ‘તને શું ભાવે? ફણસ કે કેરી?’ કિશોરની આપેલી કેરી જોવા સુધાએ પોતાના અડવા હાથ ઊંચા કરીને જોયું. હથેળી તો સાવ ખાલી હતી. એમાં કશું ય નહોતું. એને જોરમાં ડૂસકું આવ્યું. સાડલાના છેડાથી આંખો લૂછતી એ નીચે આવી અને બોલી, ‘ચાલો, મારે જે જોવું હતું એ જોવાઈ ગયું.’

કંઈ ન સમજાતાં સદાનંદબાબુ અને વિપીન એકમેકનાં મોઢાં જોઈ રહ્યા.

(સમરેશ મુજુમદારની બંગાળી વાર્તાને આધારે)        

સૌજન્ય : ભૂદાનમૂલક ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિનું પાક્ષિક મુખપત્ર “ભૂમિપુત્ર”, 16 ઑક્ટોબર 2020

Loading

અભય : ન ડરે, ન ડરાવે

વિનોબા|Opinion - Opinion|29 October 2020

બહુ પ્રાચીન કાળથી માનવમનમાં સદ્દ-અસદ્દ પ્રવૃત્તિઓનો જે ઝઘડો ચાલે છે, રૂપકાત્મક વર્ણન કરવાની પરિપાટી પડી છે; વેદમાં ઇન્દ્ર અને વૃત્ર, પુરાણોમાં દેવ અને દાનવ, તેમ જ રામ અન રાવણ, પારસીઓના ધર્મગ્રંથોમાં અહુરમજદ અને અહરિમાન, ઈસાઈ ગ્રંથોમાં પ્રભુ અને શૈતાન, ઇસ્લામમાં અલ્લાહ અને ઈબ્લીસ – આ ઝઘડા બધા ધર્મોમાં દેખાય છે.

ગીતામાં આસુરી અને દૈવી સંપત્તિનું વર્ણન છે

ગીતાના ૧૬મા અધ્યાયમાં દૈવી અને આસુરી સંપત્તિનું વિસ્તારથી વર્ણન કર્યું છે. તે અધ્યાયના ત્રણ વિભાગ છે. પ્રથમ વિભાગમાં દૈવી સંપત્તિના ૨૬ ગુણો અને આસુરી સંપત્તિના ૬ દોષોનું વર્ણન કર્યું છે. બીજા વિભાગમાં અસુર-ચરિત્રનું વર્ણન છે અને ત્રીજા વિભાગમાં દૈવી સંપત્તિ વિરુદ્ધ આસુરી સંપત્તિ.

પહેલા અધ્યાયમાં જે રીતે પાંડવ – કૌરવની સેનાઓનું વર્ણન છે, તેવી રીતે અહીં દૈવી-આસુરી ગુણોની સેના સામસામે ખડી છે. બંને વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે. આ સુર-અસુર સંગ્રામ દરેકના હૃદયમાં ચાલતો હોય છે. બહાર સમાજમાં જે ઝઘડો ચાલે છે, તે તો માત્ર પડછાયો છે. તેનું મૂળ આપણા હૃદયમાં છે. જો આ મૂળને જ આપણે ખોદી કાઢીએ તો સમાજનો ઝઘડો મટી જાય.

ભગવાને દૈવી સંપત્તિના ૨૬ ગુણો બતાવ્યા છે. આ યાદી પૂરી નથી. તેમાં વૃદ્ધિ કરી શકાય. દૈવી ગુણોની સેનાનો સેનાપતિ છે અભયમ્, નિર્ભયતા. માનસશાસ્ત્રના અભ્યાસથી સમજાશે કે ભય જ એક એવો મોટો દુર્ગુણ છે, જેણે બીજા અનેક દુર્ગુણોને પોષ્યા છે અને અભય જ એક એવો ગુણ છે જેણે અનેક સદ્ગુણોને પોષ્યા છે. તેથી પ્રાચીન ભારતમાં કાયદો અને વ્યવસ્થા (law & Order) પર એટલું વજન નહોતું દેવાયું, જેટલું કે સમાજને નિર્ભય બનાવવા પર દેવાયું. શિક્ષણ, સમાજશાસ્ત્ર, રાજનીતિ એ તમામ ક્ષેત્રોમાં નિર્ભયતા હોવી જોઈએ. જો એવું કરી શકીએ તો તમામ સદ્ગુણોનો વિકાસ થઈ શકશે.

દૈવી સંપત્તિની સેનાની આગળ અભય જેવા મહા સેનાપતિને નિયુક્ત કર્યો છે અને પાછળ ‘નમ્રતા’ જેવા ગાર્ડને મૂક્યો છે. નિર્ભયતા એન્જિન ડ્રાઈવર. એ બેની વચ્ચે બીજા બધા સદ્ગુણો રાખ્યા છે. ગાંધીજીએ કહેલું કે આ બધા જ ગુણોને આપણે સત્ય અને અહિંસાની અંદર સમાવી શકીએ છીએ.

અભય

આ દેશમાં પ્રાચીનકાળથી નિર્ભયતાનું શિક્ષણ અપાયું છે. તેના આધારે આજનો સમાજ બન્યો છે. નિર્ભયતા બધા ગુણોમાં શ્રેષ્ઠ મનાયો છે. ભગવાને દૈવી સંપત્તિનું વર્ણન કરતા કહ્યું છે अभयं सत्त्व संशुधि: – અભયને પ્રથમ સ્થાન આપ્યું. સત્ત્વસંશુદ્ધિ એટલે ચિત્તશુદ્ધિને બીજું સ્થાન આપ્યું. કેમ ? મનુષ્યમાં નિર્ભયતા નહીં હોય તો બીજા કોઈ ગુણોનો વિકાસ નહીં થાય. ન સત્યનિષ્ઠા ટકશે, ન ચિત્તશુદ્ધિ વિકસી શકશે.

નિર્ભયતાનાં બે પાસાં :-

બીજાને ન ડરાવવા અને બીજાથી ન ડરવું. અંગ્રેજ શાસન સમયે આપણે એટલા બધા ડરતા હતા કે સાહેબનું નામ લેતાં જ ધ્રૂજતા હતા. અહીં અંગ્રેજનું નામ લેતાં ડરતા પણ બીજી બાજુ હરિજનોને ડરાવતા હતા. તો આપણે ડરવું અને ડરાવવાનું બંને છોડવાનું છે. તેને જ વેદાંત અથવા આત્મવિદ્યા કહે છે. એ જ આપણું ભારતીય દર્શન છે. આપણે પોતાને શરીર નથી સમજતા. શરીર તો આવે ને જાય. શરીરની કોઈ કિંમત નથી. તેને આપણાં કપડાં રૂપ જાણીએ છીએ. ફાટેલું ખમીશ ફેંકી દઈ બીજું પહેરી લઈએ તેવું. આપણે નિર્ભય બનીએ – ન કોઈથી ડરીએ, ન કોઈને ડરાવીએ.

બિલાડી ઉંદર સામે વાઘ જેવી, પણ કૂતરા સામે શિયાળ જેવી. વાઘ સસલા સામે વાઘ જ, પણ બંદૂક સામે બિલાડીની જેમ ભાગી જાય. મતલબ નિર્ભયતા નહોર કે દાંત પર નથી હોતી, તે તો આત્મિક આધાર પર હોય છે. તે તો એવી આત્મિક શક્તિ થકી આવશે, જેને આપણે મર્યાદિત ભાષામાં ‘નૈતિક શક્તિ’ અથવા વધુ સ્વચ્છ અને સ્પષ્ટ ભાષામાં ‘અહિંસાની શક્તિ’ કહીએ.

અહિંસાનો નિર્ભયતા સાથે ગાઢ સંબંધ છે. બંને એકરૂપ છે. જો કોઈ બહારથી અહિંસક લાગે પણ મનમાં ડર ધરાવતો હોય, તો તે અહિંસક છે જ નહીં. એનાથી વિપરીત, કોઈ વીર દેખાય, શસ્ત્રના આધારે તે પોતાની વીરતાનું પ્રદર્શન કરી રહ્યો હોય, તો પણ તે કાયરતા જ છે. તે આત્માની શક્તિને જાણતો નથી. તેથી શસ્ત્રોનો આધાર લે છે. પણ અભય શસ્ત્રમાં નથી. સાધનમાં નથી, સાધકમાં છે.

પ્રાચીન રાજ્યશાસ્ત્રમાં અભય : 

પ્રાચીન રાજ્યશાસ્ત્રમાં એક મહત્ત્વપૂર્ણ શબ્દ જોવા મળે છે. રાજ્યમાં શું શું થવું જોઈએ, એ બતાવતી વખતે કહેવાયું છે કે રાજ્યમાં બધા ‘અભય’ હોય, અર્થાત્ બધા જ નિર્ભયતા અનુભવે. દરેક સમજે કે મારા પર કોઈ અન્યાય નહીં થઈ શકે, અને જો થશે તો મારા પક્ષે ધર્મ છે, ન્યાય છે, મને ભયનું કોઈ કારણ નથી. જે દેશમાં નિર્ભયતા રહેશે તે દેશમાં સ્વરાજ્ય છે, એમ કહેવાશે.

મૂડીવાદી સમાજમાં મૂડી થોડાના હાથોમાં કેન્દ્રિત હોય છે. એવી જ રીતે નિર્ભયતા થોડા જ લોકોના હાથમાં રહેશે. તો તે નહીં ચાલે. જેમ સંપત્તિનું વિભાજન થશે, તેમ નિર્ભયતા પણ બધા પાસે હોવી જોઈએ. નાના બાળકમાં પણ એ શક્તિ હોવી જોઈએ કે, હું એકલો દુનિયાનો સામનો કરી શકીશ. અગર જો મારા પક્ષે સત્ય હશે. એ સમયે સ્વરાજ્ય આવ્યું ગણાશે.

પરંતુ આજે તો ભયની તાલીમ અપાય છે. બાળક અને વિદ્યાર્થીને મારવાનું જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી દુનિયામાંથી ‘મિલીટરિઝમ’ નહીં જાય. હિંસાવાદ રહેશે. માની લો કે તમારો દીકરો કોઈ ખોટું કામ કરે છે, તમે એને પીટશો. ડરને કારણે તે ખોટું કામ છોડી દેશે, તો પણ તેનું અત્યંત નુકસાન થયું ગણાશે. જો તે સવારે વહેલો નથી ઊઠતો અને તેને તમે માર્યો, તે જલદી ઊઠવા લાગ્યો. નિયમિતતાનો પાઠ તમે શીખવ્યો પરંતુ ભયભીતતાનો દોષ તમે તેનામાં રોપ્યો. એ દોષ વધુ ભયંકર છે. તમે એને ભયની તાલીમ આપી. તમે એને શીખવ્યું કે તારા શરીરને કોઈ તકલીફ આપે તો તકલીફ દેનારની વાત માની લેવી. નિર્ભયતા શ્રેષ્ઠ ગુણ છે. જો મનુષ્યમાં તે ગુણ નથી તો બીજો કોઈ ગુણ વિકસી નહીં શકે.

આજે તો ડરાવવાનું એટલે સુધી ફેલાયેલું છે કે મારી યાત્રામાં પણ કોઈ બળજબરીથી લોકોને રસ્તામાંથી દૂર કરે છે કે ‘બાબા’ આવી રહ્યા છે. શું ‘બાબા’ વાઘ છે ? સમજવાની વાત છે કે અગર આપણે આપણાં બાળકોને ડરાવવા ધમકાવવાની તાલીમ દઈશું, તો તેને કારણે શસ્ત્રધારી પોતાનો જુલમ ચલાવતા રહેશે. પણ જો આપણે નિર્ભયતાની તાલીમ આપીશું તો તમામ શસ્ત્રાસ્ત્ર ખતમ થઈ જશે. જુલમી લોકો દુનિયાભરના લોકોને ખતમ કરીને નહીં, બધાને ડરાવીને રાજ્ય ચલાવવાનું ઇચ્છે છે. જુલમી લોકોની જુલમની પૂરી તાકાત ભયવૃત્તિમાં છે.

આપણાં સમાજશાસ્ત્રોએ અભય શબ્દ દીધો છે. પરંતુ આજ તેને બદલે ‘લો એન્ડ ઓર્ડર’ શબ્દ ચાલ્યો છે. એવું માની લેવાયું છે કે ભલે ને, લોકો ભયભીત થઈને પણ, ‘લો એન્ડ ઓર્ડર’ પાળે. એ રીતે આપણે આજે વ્યવસ્થાદેવીને પરમદેવી માની લીધી છે. વ્યવસ્થાનું મૂલ્ય આપણે પણ સમજીએ છીએ. પરંતુ જ્યાં બહારથી લદાયેલી વ્યવસ્થા છે ત્યાં ખરી શાંતિ નથી. કારણ કે ભીતર તો ડર કાયમ છે. અંદર ઊકળતો ચરુ છે. તે વધુ ભયંકર અને ખતરનાક છે. તે પ્રગટ થઈ જાય તો સારું. પરંતુ આપણે તો તેને અંદર જ દબાવી દઈએ છીએ. જો આપણે ડર પેદા કરીને શાંતિ સ્થાપિત કરનારી વ્યવસ્થા કરીશું. તો તે ‘દૈવી’ વ્યવસ્થા નહીં કહેવાય. ‘રાક્ષસ’ વ્યવસ્થા બનશે. માટે વ્યવસ્થામાં પણ આવશ્યક છે, ‘અભય’.

અત્યાર સુધી જે મન બન્યું છે તેમાં બદલાવ લાવીને નિર્ભયતા વિકસાવી શકાશે, પરંતુ હાલની મનોવૃત્તિને જ પ્રમાણ માનીને ચાલવાથી આજના યુગમાં નિર્ભયતા નહીં લાવી શકાય. તેવે વખતે તો આપણે વિવશ અને વ્યાકુળ રહીશું અને આપણી વ્યવસ્થા ડામાડોળ રહેશે. માટે આપણે આપણા મનમાં જ પરિવર્તન લાવવું પડશે. નવો માનવ બનાવવો પડશે. નવાં મૂલ્યો સ્થાપવાં પડશે. પોતાનું જીવન બદલવું પડશે.

અસુર ચરિત્ર

૧૬મા અધ્યાયના બીજા વિભાગમાં અસુર ચરિત્ર છે. એવો કોઈ મનુષ્ય નથી કે જે કેવળ અસત્યનો ભક્ત હોય. સત્યનો કોઈ ને કોઈ પ્રકારે આધાર લીધા વિના અસત્ય ટકી નથી શકતું. તેથી અસત્ય વાતો પણ સત્યનો ઓપ ચઢાવી કહેવાતી હોય છે. જેઓ સત્યઅસત્યના મિશ્રણમાં માને છે તેને ગીતા અસુર કહે છે, પ્રાય: જે યુદ્ધો થતાં હોય છે, તે કૌરવ-પાંડવનાં યુદ્ધ જ હોય છે. ઉભય પક્ષે વત્તા ઓછા પ્રમાણમાં અસત્ય અને અન્યાયની સાથોસાથ સત્ય રહેતું હોય છે. રામ-રાવણની એક જ લડાઈ એવી હતી, જેમાં એક તરફ કેવળ સત્ય હતું ને બીજી તરફ કેવળ અસત્ય હતું. આ કાલ્પનિક લડાઈનું વર્ણન વાલ્મીકિએ પોતાના કાવ્યમાં કર્યું છે. આ પ્રકારની લડાઈ અત્યંત ભયંકર હોય છે. તેમાં બંને પક્ષો વચ્ચે કોઈ સમાધાન નથી થઈ શકતું. આવી લડાઈ થઈને કાયમ માટે સમાપ્ત થઈ જાય છે. સત્યાસત્ય મિશ્રિત લડાઈમાં સંધિ/સમાધાન થતાં હોય છે અને આગળ-પાછળ વારેવારે યુદ્ધ પણ થતાં રહે છે. તેનો ક્યારે ય અંત નથી આવતો.

આસુરી સંપત્તિમાં, ભલે ને થોડું જ કેમ ન હોય, પણ સત્યનું મિશ્રણ હોય છે. અસુર પણ યજ્ઞ-યજ્ઞાદિ કરતા હોય છે. તેઓ પોતાની એક સભ્યતા ખડી કરે છે. ભગવાને આસુરી સંપત્તિના ગુણો ગણાવતી વખતે પ્રથમ દંભને મૂક્યો છે. દંભમાં અસત્ય તો હોય જ છે, પરંતુ થોડો અંશ સત્યનો પણ હોય છે. ભગવાન માને છે કે અસુર-ચરિત્ર કામના-પ્રધાન છે. જો કામનાની મર્યાદા બાંધવામાં આવે અને તેને યોગ્ય દિશા આપવામાં આવે તો તેથી લાભ થઈ શકે છે. પરંતુ અસુર એવું નથી કરતા. કામના એક તરફથી આશામાં ફસાવે છે અને બીજી બાજુથી ચિંતા પેદા કરે છે. ચિંતાને લઈને પરિગ્રહ, સંગ્રહ થાય છે. તેને જ લોભ કહે છે, લોભને પણ મર્યાદિત કરી શકાય છે પરંતુ તે મર્યાદામાં નથી રહેતો. ધન સારા માર્ગે પણ પ્રાપ્ત કરી શકાય છે પરંતુ એટલાથી સંતોષ નથી થતો. તેથી ખોટાં સાધનોથી, અસત્યનો આશરો લેવામાં આવે છે. તેથી વેર અને દુર્ગુણો વધે છે.

અસુર ચરિત્ર-સાર

આસુરી સંપત્તિની મીમાંસા કરતા ક્યારેક કામનો ઉલ્લેખ કરે છે, ક્યારેક કામ-ક્રોધ બંનેનું નામ લે છે, તો ક્યારેક કામ-ક્રોધ-લોભનો પૂરો ત્રિકોણ બનાવે છે. આ ત્રણેય વૃત્તિઓમાં અસુર ચરિત્રનો સાર છે. માનસશાસ્ત્રી પણ આ વાત માને છે. ગીતા આ ત્રણને નરકદ્વાર કહે છે. તે આત્માનો નાશ કરનારા છે, આ ત્રણેય ત્યાગ્યા વિના કલ્યાણમાર્ગે પહોંચવું અસંભવ છે. કામ-ક્રોધ-લોભને જીતવા માટે ક્રમશ: દમ-દયા-દાનનો શાસ્ત્રીય માર્ગ શ્રુતિએ બતાવ્યો છે.

ભય : ઉત્પત્તિ અને નિવૃત્તિ

ભાગવતમાં ભગવત-ભક્તિનું વર્ણન આવે છે કે, જે ભગવાનના ચરણોની સેવા કરે છે તે આ દુનિયામાં કોઈથી ક્યારે ય ડરશે નહીં. તેને કોઈ પ્રકારનો ભય સંભવે નહીં. તો પણ આશ્ચર્યની વાત છે કે હિંદુસ્તાનમાં ભગવાનની ભક્તિ અધિક જોવા મળે છે અને ડરનારા લોકોની સંખ્યા પણ અધિક જોવા મળે છે. આપણે ભગવાનની ભક્તિ કરીએ અને છતાં ચિત્તમાં ડર રાખીએ આવું કેમ બને છે ? એટલા માટે જ કે આ ભક્તિમાં જડતા છે. તે જીવિત, જાગૃત ભક્તિ નથી. મા પર બાળકની જીવિત શ્રદ્ધા હોય છે. તે માના ખોળામાં હશે, તો ડરશે નહીં, મા કોઈ મોટી શક્તિ તો નથી તો પણ બાળક સમજે છે કે મારી મા દરેક પ્રકારે બચાવ કરનારી છે. ઘરમાં આગ લાગી હોય તો પણ બાળક કોઈ હિલચાલ નહીં કરે. મા પ્રત્યે બાળકની જેટલી શ્રદ્ધા છે, શું ભગવાન પ્રત્યે આપણી એટલી શ્રદ્ધા છે ? આપણને ભરોસો જ નથી કે “આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ, તેમનું નામ જપીએ છીએ તો હર હાલતમાં તે આપણને બચાવશે, આપણે નિર્ભય છીએ આપણને જીવિત શ્રદ્ધા નથી. જો જીવિત શ્રદ્ધા હોય તો કોઈ પ્રકારનો ભય રહેશે જ નહીં.

ભય કેવી રીતે પેદા થાય છે અને કેવી રીતે તેમાંથી નિવૃત્ત થઈએ છીએ, તો કહે છે “असद् आत्माभावात् – દેહ ભાવથી, “દેહ જ આત્મા છે એવી મિથ્યા કલ્પનાને કારણે, उद्विग्निबुध्धे : ।

જેની ઉદ્વિગ્ન બુદ્ધિ છે તેથી, તથા વિશ્વાત્મના એટલે કે આખું વિશ્વ મારું જ રૂપ છે એવી વ્યાપક ભાવના સેવીને – અચ્યુતની સેવા કરીને ભયમાંથી નિવૃત્ત થાય છે – निवर्तते मी: ‘હું દેહ છું’, એવી ભાવના દૃઢ થતાં ભય પેદા થાય છે અને દેહભાવની જગ્યાએ વિશ્વાત્મભાવ પેદા થાય છે ત્યારે ભય નિવૃત્ત થાય છે. ભગવત-ભક્તિ મનુષ્યને પોતાના દેહથી અલગ કરીને આખા ય વિશ્વ સાથે જોડી દે છે.

આ વિશ્વાત્મભાવ પર ‘કુરાને’ ખૂબ જોર દીધું છે. “रब्बुल आलमीन, ભગવાન કેવા છે ? આખી દુનિયાના પ્રભુ છે, કેવળ મારા નહીં, સહુના પ્રભુ છે. એનાથી વ્યાપક બુદ્ધિ બને છે. આપણે સહુ એક પ્રભુનાં સંતાન છીએ, વિશ્વ અને આપણે એક છીએ, એવી ભાવના બને છે. આ રીતે ભગવતભક્તિથી વિશ્વાત્મા બને છે અને તેનાથી ભય નિવૃત્ત થાય છે.

સૌજન્ય : ભૂદાનમૂલક ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિનું પાક્ષિક મુખપત્ર “ભૂમિપુત્ર”, 16 ઑક્ટોબર 2020; પૃ. 01-03 

Loading

ચીન અને ભારતમાં આટલું અંતર કેમ ?

રમેશ ઓઝા|Opinion - Opinion|29 October 2020

ચીન આજના યુગનો એક નસીબદાર દેશ છે એ આપણી ચર્ચાનો વિષય છે. સામ્યવાદી ચીનની સ્થાપના થઈ ત્યારે તે ભારત કરતાં પણ વધુ કંગાલ અવસ્થામાં હતું અને વસ્તી મોટી હતી. એની વચ્ચે ૧૯૫૮થી ૧૯૬૨નાં વર્ષોમાં ચીને ગ્રેટ લીપ ફોરવર્ડનો કાર્યક્રમ હાથ ધર્યો જેણે ગ્રામીણ ચીનની અને ખેતીવાડીની કમર તોડી નાખી. માનવનિર્મિત ભૂખમરામાં એક અંદાજ મુજબ ચાર કરોડ લોકો માર્યા ગયા.

ચીને એ પછી ૧૯૬૬માં સાંસ્કૃતિક ક્રાંતિનો કાર્યક્રમ હાથ ધર્યો. આ મુખ્યત્વે સામાજિક-રાજકીય કાર્યક્રમ હતો. માણસને એવી રીતે ઘડવામાં આવે કે એ પરંપરાના તમામ બંધનોથી મુક્ત થઈ જાય. બંધનો માન્યતાઓના હોય છે, મૂલ્યોના હોય છે, રીતિરિવાજોના હોય છે, ધાર્મિક વળગણોના હોય છે, વગેરે. ખરું પૂછો તો મૂડીવાદ પણ માનવસ્વભાવ આધારિત સ્વાર્થજન્ય પરંપરાગત વેપારપદ્ધતિ છે, જ્યારે સમાજવાદ વિચારો પર આધારિત રાજ્યનિર્મિત વ્યવસ્થા છે. ચીનના સામ્યવાદી પક્ષના અધ્યક્ષ માઓ ઝેદોંગનો આગ્રહ હતો કે પ્રત્યેક ચીની મૂડીવાદી સંસ્કારોથી પણ મુક્ત થવો જોઈએ. જો આમ બને તો જ નૂતન ચીનનો નૂતન સામ્યવાદ જે માઓવાદ તરીકે ઓળખાવવામાં આવે છે એ લાગુ થઈ શકે અને ટકી શકે. ચીનનો માઓવાદ એ રશિયાના સામ્યવાદ કરતાં જુદો હતો. ટૂંકમાં પ્રત્યેક ચીનાને માઓવાદ સિવાયનાં તમામ માન્યતાઓ અને બંધનોથી મુક્ત કરવાના કાર્યક્રમને સાંસ્કૃતિક ક્રાંતિ (કલ્ચરલ રિવોલ્યુશન) તરીકે ઓળખાવવામાં આવે છે.

સાંસ્કૃતિક ક્રાંતિ દસ વરસ સુધી ચાલી હતી અને તેણે ચીનની કમર તોડી નાખી હતી. બન્યું એવું કે ન પરવડતો હોય એવા કોઈ પણ માણસને માફક આવે એવું લેબલ ચોડીને મારી નખાતો હતો અને ગાયબ કરી શકાતો હતો. પ્રતિક્રિયાવાદી છે, મૂડીવાદી છે, પરંપરાનિષ્ઠ છે વગરે કોઈ પણ લેબલ. આવા લોકો માઓવાદના વિરોધી છે. જે લોકો માઓવાદના વિરોધી છે એ ચેરમેન માઓના દુશ્મન છે અને અંતે ગરીબ ચીનના અને ચીનના દુશ્મન છે. એવા લોકોને પાઠ ભણાવવો જોઈએ. આપણે ત્યાં આજકાલ સેક્યુલર લોકોને હિંદુ ધર્મના દુશ્મન લેખાવવામાં આવે છે એમ. જે હિંદુ ધર્મના દુશ્મન છે એ દેશના દુશ્મન છે, દેશદ્રોહી છે. ચીનમાં એ વર્ષોમાં શંકાના આધારે ત્રણ કરોડ લોકોની હત્યા કરવામાં આવી હતી અથવા ગાયબ કરી દેવામાં આવ્યા હતા એમ કહેવાય છે.

ગ્રેટ લીપ ફોરવર્ડ, એને કારણે ચીનને વેઠવો પડેલો માનવનિર્મિત દુકાળ અને ભૂખમરો અને એ પછી સાંસ્કૃતિક ક્રાંતિ. આ બધાએ મળીને છથી સાત કરોડ લોકોના જીવ લીધા હોવા છતાં લોકોના પુણ્યપ્રકોપથી સામ્યવાદી શાસકો બચી ગયા હતા. દુનિયા માટે આ એક અજાયબી હતી. માઓ ઝેદોંગ પદચ્યુત થયા વિના ૧૯૭૬માં મૃત્યુ પામ્યા હતા. તેમણે તેમની લોકપ્રિયતા ગુમાવી હતી કે કેમ એ માપવાના પણ આપણી પાસે કોઈ સાધન નથી. સત્તાવાર ચીની ઇતિહાસ મુજબ માઓ એટલા જ મહાન અને લોકપ્રિય હતા જેટલા ૧૯૪૯માં હતા.

માઓના અવસાન પછી ૧૯૭૮માં દેંગ શિયાઓપીંગ સત્તામાં આવ્યા હતા. તેમણે ચીનમાં કોઈએ વિચારી ન હોય એવી વર્ણસંકર વ્યવસ્થા વિકસાવી હતી. તેમણે ધીરેધીરે ચીનના અર્થતંત્રને ખુલ્લું કરવાનું શરૂ કર્યું હતું કે જેથી રાજ્યના વધારે પડતા અંકુશોના કારણે અને અમલદારશાહીને કારણે અર્થતંત્ર તૂટી ન પડે જે રીતે ત્યારે સામ્યવાદી રશિયામાં અને બીજા સામ્યવાદી દેશોમાં બનવા લાગ્યું હતું. અર્થતંત્રને ઝડપથી વિકસવા માટે મોકળાશ જોઈએ એ મૂડીવાદી વિચાર તેમણે સ્વીકારી લીધો હતો. નવી વ્યવસ્થા વર્ણસંકર એ રીતે હતી કે તેનો રાજકીય ઢાંચો સામ્યવાદી હતો જે કાયમ રાખ્યો હતો. ટૂંકમાં અંકુશગ્રસ્ત રાજકારણ અને અંકુશરહિત અર્થકારણ.

૧૯૮૦ના દાયકામાં ચીને આવો વિચિત્ર ઢાંચો નહોતો અપનાવ્યો ત્યાં સુધી, એટલે કે ૧૯૮૦ સુધી ભારત અને ચીનનો વિકાસદર લગભગ એક સરખો હતો. બન્ને દેશોનાં અર્થતંત્ર સમાંતરે એક સમાન દરે વિકસતા હતા. ૧૯૮૦ પછી ચીનના વિકાસ દરે થોડી ઝડપ પકડી. ૧૯૯૦ આવતા આવતા ચીન ઠીકઠીક પ્રમાણમાં ભારતથી આગળ નીકળી ગયું હતું, પરંતુ એટલું આગળ પણ નહોતું નીકળ્યું કે ભારત તેને પહોંચી ન વળે. એ સમયે જગત આખાની ગણતરી એવી હતી કે ચીનનો આવો વિરોધાભાસી વર્ણસંકર ઢાંચો તેના વિરોધાભાસને કારણે એક દિવસ તૂટી જશે. ૧૯૮૯માં ચીનમાં તિયામાન સ્ક્વેરમાં યુવાનોએ વિદ્રોહ કર્યો ત્યારે જગતને ખાતરી થઈ ગઈ હતી કે સોવિયેત રશિયા અને પૂર્વ યુરોપના સામ્યવાદી દેશોની માફક ચીન પણ પતનના આરે છે.

એ સમયે નસીબદાર ચીન ફરી એકવાર બચી ગયું. વિદ્રોહ કચડી નાખવામાં આવ્યો અને ચીનના આર્થિક વિકાસે હજુ વધુ વેગ પકડ્યો. જો કે હજુયે જગતના દેશોને એમ લાગતું હતું કે એક દિવસ ચીનનો વર્ણસંકર ઢાંચો તેના વિરોધાભાસને કારણે તૂટી જવાનો છે. માટે જગતના મૂડીવાદી દેશોની નજર ભારત તરફ વળી હતી. શીતયુદ્ધનો અંત આવ્યો હતો. હવે સામ્યવાદનો કોઈ ડર નહોતો અને ચીનનું જેદીતેદી પતન નિશ્ચિત લાગતું હતું. એ સ્થિતિમાં ભારત પર ભરોસો રાખી શકાય એમ હતું. ભારતનો વિકાસ દર ભલે ધીમો હોય પણ ભારત લોકશાહી દેશ છે, તેની રાજકીય-આર્થિક નીતિઓ ઉઘાડી છે એટલે તેના પર ભરોસો મૂકી શકાય.

પણ ભારત ચીન જેટલો નસીબદાર દેશ સાબિત ન થયો. ચીનના અર્થતંત્રે હરણફાળ ભરી ત્યારે એ જ સમયે ભારતમાં એક જ પક્ષની સ્થિર સરકારનો અંત આવ્યો. ૧૯૮૯-૧૯૯૯નાં એક દાયકામાં આઠ સરકારો આવી. એ દાયકામાં બી.જે.પી.એ રામમંદિરનું કોમવાદી આંદોલન શરૂ કર્યું જેણે વિકાસના એજન્ડાને પાછળ ધકેલવાનું શરૂ કર્યું. આની વચ્ચે પી.વી. નરસિંહ રાવ અને ડૉ. મનમોહન સિંહે કુનેહ વાપરીને આર્થિક સુધારાઓ કર્યા અને ભારતના અર્થતંત્રને પાટે ચડાવ્યું. દેશને કોમવાદનો ક્ષય વળગ્યો હોવા છતાં ૨૦૦૮ સુધીમાં ડૉ. મનમોહન સિંહે ભારતના અર્થતંત્રને ચીનની ઠીકઠીક નજીક લઈ ગયા હતા. એ સમયે જગતના દેશો ચીન અને ભારતનું નામ સાથે લેવા માંડ્યા હતા. એ સમયે જગતના દેશોને એમ લાગતું હતું કે ચીન કરતાં ભારત વધારે ભરોસાપાત્ર છે. લાંબી રેસનો ઘોડો છે. ચીન તેના આંતર્વિરોધના કારણે ગમે ત્યારે તૂટી પડશે. આવી જગતના દેશોની અને લગભગ મોટા ભાગના વિચારકોની ૨૦૧૦ સુધીની સમજ હતી.

આજે સ્થિતિ એવી છે કે ચીન તૂટી તો પડ્યું નથી, ઊલટું વધારે મજબૂત બન્યું છે. ચીન અત્યારે દિગ્વિજય કરવા નીકળ્યું છે. ચીનને આવી મજબૂત સ્થિતિમાં લાવી મુકવામાં ભારતનો હાથ છે. કહો કે ભારત ગુનેગાર છે. એ કઈ રીતે એ હવે પછી. 

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 29 ઑક્ટોબર 2020

Loading

...102030...2,1042,1052,1062,107...2,1102,1202,130...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved