Opinion Magazine
Number of visits: 9573169
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અગ્નિપથ: અરુણ શૌરીની મૃત્યુ સાથે એપોઇન્ટમેન્ટ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|1 November 2020

૧૯૯૦માં આવેલી અમિતાભ બચ્ચનની ફિલ્મ 'અગ્નિપથ'માં પોલીસ કમિશનર ગાયતોંડે સાથે નાયક વિજયના ટકરાવનું એક દ્રશ્ય છે, જેમાં ગાયતોંડે વિજયને દિલનો ભલો માણસ સમજીને તેના બોસ લોકોથી ચેતતા રહેવા સલાહ આપે છે. જવાબમાં વિજય એક પાવરફુલ સંવાદ બોલે છે, "કહેના ક્યા ચાહતા હૈ તુમ, હાંય? કે વો લોગ આજ મેરી મોત કા દિન મુક્કરર કિયા હૈ, હાંય? લેકિન મુજેકો માલુમ હૈ વો કોનસા વક્ત મુક્કરર કિયા હૈ. યે દેખો, આજ શામ છે બજે મોત કે સાથ અપના એપોઇન્ટમેન્ટ હૈ … એપોઇન્ટમેન્ટ. ઇંગ્લિશ બોલતા હૈં."

ભારતીય ઇંગ્લિશ પત્રકારત્વમાં એક જમાનાના શેરદિલ એડિટર અને અટલ બિહારી વાજપેયી સરકારમાં અગ્રણી મંત્રી, ૭૮ વર્ષના અરુણ શૌરીએ, ‘અગ્નિપથ’ના વિજય દીનાનાથ ચૌહાણની જેમ, મૃત્યુ સાથે એપોઇન્ટમેન્ટ નક્કી કરી હોય તેમ, ‘પ્રિપેરિંગ ફોર ડેથ’ (મૃત્યુની તૈયારી) નામનું એક પુસ્તક લખ્યું છે. બૌદ્ધિકતાની નિશાની એ નથી કે તમે કેવાં અને કેટલાં ભાષણો આપો છો, ખાસ કરીને જ્યારે તમે તાળીઓ પડાવવાના વ્યવસાયમાં હો. બૌદ્ધિકતા એ છે કે તમે તમારું અને આસપાસનું જીવન કેટલું સમજો છો અને આવનારી પેઢી માટે તેમાંથી શું બોધપાઠ મૂકીને જાવ છો. શૌરીનું આ પુસ્તક એ અર્થમાં એક અસાધારણ પ્રયાસ છે. શૌરી આ પુસ્તકમાં જીવનની નહીં પણ મૃત્યુની વાત કરે છે.

નેવુંના દાયકાના હિંદુ રાષ્ટ્રવાદીઓમાં જેમની ગણના થતી હતી તે શૌરી, સેરેબ્રલ પાલ્સીથી પીડાતા તેમના એક માત્ર પુત્ર આદિત્ય અને પાર્કિન્સનના રોગથી પીડાતી તેમની પત્ની અનિતાની સારવાર માટે સક્રિય રાજનીતિમાંથી નિવૃત્ત થઇ ગયા છે, એટલું જ નહીં, જીવન અને જીવન સાથે જોડાયેલી અનેક બાબતોને ચિંતનાત્મક દ્રષ્ટિકોણથી જોતા થયા છે. મૃત્યુ એમાંથી એક છે. મૃત્યુનું આ ચિંતન અંગત જીવનના અગ્નિપથ પર ચાલીને આવ્યું છે.

શૌરી એક ઇન્ટરવ્યુમાં કહે છે, “મૃત્યુ એક શાશ્વત વિષય છે, અને હાલની કોવિડ-૧૯ની પરિસ્થિતિમાં માત્ર ૧૦ જ મહિનામાં દસ લાખ લોકો જીવ ગુમાવી ચુક્યા હોય, ત્યારે તો તે ઔર પ્રાસંગિક બની જાય છે. પુસ્તકમાં એવાં તથ્યો છે જેને આપણામાંથી બહુ લોકો જાણતા નહીં હોય. અમુક એવી વ્યાખ્યાઓ છે જે નવી છે, ઉદાહરણ તરીકે ‘ધ તિબેટિયન બૂક ઓફ ડેડ’ વાસ્તવમાં આપણા જેવા જીવતા લોકો માટે છે. તેમાં દરેક અધ્યાય, દરેક ઘટનામાં વ્યવહારિક બોધ છે. થોડા મહિના પહેલાં હું આઈ.સી.યૂ.માં હતો, ત્યારે મને ધ્યાન કામમાં આવ્યું હતું, તેની વાતો પણ લખી છે.”

‘પ્રિપેરિંગ ફોર ડેથ’ કેવી રીતે શાંતિથી જીવનને અલવિદા કેવી રીતે ફરમાવવી તેની ગાઈડ બૂક છે. તેમાં શૌરીએ વસિયતનામું કેવી રીતે બનાવવું તેની ખુદના ઉદાહરણ સાથે સમજણ આપી છે. તે લખે છે, “શાંતિથી મૃત્યુને પામવા માટે લૌકિક કામો પૂરાં કરવાની સ્પષ્ટતા હોવી જરૂરી છે. મેં (વસિયતમાં) ઉમેર્યું છે કે (૧) મારું મગજ જો કામ કરતુ બંધ થઇ જાય અને મારા પાછા સ્વતંત્ર સભાનાવસ્થામાં આવવાની સંભવાના ન હોય, તો મને લાઈફ-સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં ન આવે (૨) મારા અંગોને કોઈને જરૂર હોય તો આપવામાં આવે (૩) અને મારા શરીરને કોઈ ક્રિયાક્રમ વગર બાળવામાં આવે. છેલ્લે, મેં સ્પષ્ટતા કરી છે કે અનિતા કે બીજા કોઈને અગવડ ના પડે તે માટે બેસણું કે શ્રદ્ધાંજલિ સભા રાખવામાં ન આવે.”

કોઈની મદદ વગર રહી ન શકતા દીકરા આદિત્યનું શું? શૌરીએ દીકરાની દેખભાળ માટે એક વકીલ મિત્રની મદદથી ટ્રસ્ટ ઊભું કર્યું છે. શૌરીની બચતનો મોટો હિસ્સો ટ્રસ્ટમાં જશે. અમુક હિસ્સો કટોકટી માટે પતિ-પત્નીના નામે રહેશે. પત્ની અનિતાની બહેન, ભાઈ, ભાઈની પત્ની અને એક ઘનિષ્ઠ મિત્ર ટ્રસ્ટનું સંચાલન કરશે.

પુસ્તકમાં તેમણે બુદ્ધ, રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ, મહાત્મા ગાંધી અને વિનોબા ભાવેના છેલ્લા દિવસોની ઘટનાઓ અને મૃત્યુ અંગે ધાર્મિક શાસ્ત્રો તેમ જ ગુરુઓનાં ચિંતનને જોડીને ‘શાંતિપૂર્ણ રીતે મનના વિલય’નો માર્ગ તૈયાર કર્યો છે. પુસ્તકમાં મૃત્યુ અંગે શૌરીનું ચિંતન જાણે એક લાઈવ ફિલ્મ જેવું છે. એક અંશ:

“આપણો અંત નજીક આવે છે, અને એક ચક્રવાત બધું જ ખેંચી જાય છે, આપણને પણ. આપણે તીવ્ર શારીરિક પીડાની ગિરફતમાં હોઈશું. શ્વાસ રૂંધાતો હશે, આપણા હાથ-પગ ઠંડા પડતા જશે, એ ઠંડક ધડ તરફ અને પછી હૃદય તરફ આગળ વધશે. લાગણીઓનું એક તોફાન પણ સર્જાશે. આપણે જો સભાન હોઈએ, તો આપણને એ પણ અંદાજ આવશે કે જેને આપણે ચાહતા હતા અને જે આપણા માટે બહુમૂલ્ય હતું, તેનાથી આપણો વિચ્છેદ સંપૂર્ણ હશે, છેલ્લી વારનો હશે. આપણે ગમે એટલા સંબંધીઓને અલવિદા ફરમાવી હોય, આપણો વારો આવે, ત્યારે તે તદ્દન અનપેક્ષિત હશે. આ કરવાનું રહી ગયું અને તે કરવાનું રહી ગયું તેનો સમય નથી રહેતો. જે થઇ ગયું છે, તેને પાછું વાળવાનો પણ સમય નથી રહેતો. આ બધી વાતોનું શું મહત્ત્વ છે? એનો કોઈ મતલબ પણ હતો ખરો? આપણે હજારો વખત વાંચ્યું હશે કે સાંભળ્યું હશે કે યમનો દૂત આપણા પર આંગળી નહીં મૂકે. આપણો જે દિવસ નક્કી હશે ત્યારે બીજા ૧,૫૦,૦૦૦થી ૨,૦૦,૦૦૦ લોકો પણ અલવિદા ફરમાવી જવાના હશે, અને આપણને અન્યાયની લાગણી થશે; “મને જ કેમ? આજે જ કેમ?” હજુ તો કેટલું કરવાનું છે, કેટલાં અધૂરાં કામો પૂરાં કરવાનાં છે, આપણા વગર એ કામો લટકી જશે. એમાં પાછી આગળની ચિંતા. હું કોઈક સ્વરૂપમાં જીવતો રહીશ? જે મારા પહેલાં ગયા છે અને જે મને ચાહતા હતા, મારી સંભાળ રાખતા હતા, તેમને હું જોઈ શકીશ? હું અહીં જેમને પ્રેમ કરું છું, તેમનો મને ફરી ક્યારે ય ભેટો થશે?”

મોત એક અનિવાર્યતા છે અને છતાં આપણે તેનાથી આંખઆડા કાન કરતા રહીએ છે. શૌરીએ આ સર્વસાધારણ અભીગમને સુંદર રીતે ઝીલ્યો છે, “જીવનની એક નિશ્ચિતતા મૃત્યુ છે, અને આપણે તેનાથી અંતર કેળવી રાખીએ છીએ. આજુબાજુમાં અનેક મોત જોયાં છે અને આપણે દર વખતે જાતને કહીએ છીએ – હું નહીં, આજે તો નહીં જ. આપણામાં જીવતા રહેવાની ડાર્વિનિયન વૃત્તિ છે એટલે બાજુમાં મોત હોય તો પણ આપણી આંખો બંધ કરાવી દે છે.”

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 01 નવેમ્બર 2020 

Loading

પિતાએ પુત્રીને લખેલાં પત્રોમાં જગતનું રેખાદર્શન!

કિરણ કાપૂરે|Opinion - Opinion|1 November 2020

એક પિતા તેમની પુત્રીને પત્રો લખે અને તેમાં પૂરા જગતભરનું દર્શન કરાવે અને તે પત્રો આગળ જતાં એક મહામૂલ્ય દસ્તાવેજની જેમ પ્રકાશિત થયો. આ દસ્તાવેજ એટલે જવાહરલાલ નેહરુ લિખિત ‘જગતના ઇતિહાસનું રેખાદર્શન’. નેહરુએ આ પત્રો જેલવાસ દરમિયાન પુત્રી ઇન્દિરાને લખ્યા હતા. એક પિતા તેના પુત્રીને વરસગાંઠની કેવી ભેટ આપી શકે તેનું આ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. આ ભેટ આપતી વેળાએ શરૂઆતમાં નેહરુને જે અનુભૂતી થઈ હતી તે પણ તેમણે આલેખી છે. તેઓ લખે છે : “તારી વરસગાંઠને દિવસે હંમેશાં તને ભાતભાતની ભેટસોગાદો અને શુભેચ્છાઓ મળતી રહે છે. આજે પણ અંતરની શુભેચ્છાઓ તો તને ભરપૂર મોકલું છું, પણ નૈની જેલમાંથી હું તને ભેટ શી મોકલી શકું? મારી ભેટ બહુ સ્થૂલ કે નક્કર પદાર્થોની તો ન જ હોઈ શકે. તે તો કોઈ ભલી પરી તને આપી એવી સૂક્ષ્મ, હૃદય અને આત્માની ભેટો જ હોઈ શકે, અને તુરંગની ઊંચી ઊંચી દીવાલો પણ એ ભેટોને તો થોડી જ રોકી શકવાની હતી?” નૈની જેલમાંથી લખેલા પ્રથમ પત્રથી આ પુસ્તક આકાર લેવા માંડ્યું હતું. 31 ઑક્ટોબરે ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ હતી, તેને અનુલક્ષીને પિતા-પુત્રોના આ ભૂલાયેલા આ સંબંધને ફરી જાણવા જેવો છે.

વર્તમાનમાં નેહરુ-ઇન્દિરા ગાંધીનું નામ આવે છે ત્યારે તેમની મહંદશે ટીકા થતી રહે છે; પણ તેઓના પત્રરૂપી સંવાદથી ખ્યાલ આવી શકે કે જગતના કેટલાં સૂક્ષ્મ બાબતોની તેઓ પરિચિત હતાં અને પિતા-પુત્રીના સંબંધમાં તે બાબતોની વિસ્તારથી ચર્ચા થાય તેઓ અવકાશ પણ તેમણે રાખ્યો હતો. ઇન્દિરા માટે પત્રોરૂપી આ સંદૂખમાં પહેલાવહેલા ઇતિહાસ તરફની દૃષ્ટિ વિસ્તારતાં અગાઉ નેહરુ લખે છે : “પૃથ્વીના જુદા જુદા ભાગોમાં માણસ પોતી ચિત્રવિચિત્ર યાત્રા શરૂ કરે છે. અને કેટલીક વાર ડહાપણભરી તથા ઘણી વાર ગાંડપણ અને બેવકૂફીભરી, મનુષ્યની એ જીવનયાત્રાનું નિરૂપણ કરવું સહેલું નથી. પુસ્તકોની સહાયથી એ પ્રયાસ થઈ શકે ખરો, પરંતુ નૈની જેલમાં કંઈ પુસ્તકાલય નથી. એટલે મને ભય રહે છે કે, મારી ઘણીયે ઇચ્છા હોવા છતાં જગતના ઇતિહાસનો સળંગ હેવાલ હું તને આપી શકીશ નહીં. છોકરાછોકરીઓ માત્ર એક જ દેશનો ઇતિહાસ શીખે, અને તેમાં પણ ઘણી વાર તો તેઓ કેટલીક તારીખો અને થોડી હકીકતો ગોખી કાઢે, એ મને જરા ય પસંદ નથી. ઇતિહાસ એ તો એક સળંગસૂત્ર અને અખંડ વસ્તુ છે, એટલે દુનિયાના ઇતર ભાગોમાં શું બન્યું હતું એનાથી માહિતગાર ન હોઈએ તો આપણે કોઈ એક દેશનો ઇતિહાસ પણ બરાબર ન સમજી શકીએ. હું ઉમેદ રાખું છું કે આમ સંકુચિત દૃષ્ટિથી કેવળ એક-બે દેશ પૂરતો જ નહીં પણ આખી દુનિયાનું અવલોકન કરીને વ્યાપક દૃષ્ટિથી તું ઇતિહાસ શીખશે.” જગતનો ઇતિહાસ નિરૂપતું આ પુસ્તક એ માટે જ ‘લિબરલ એજ્યુકેશન’ના એક મહામૂલા ગ્રંથ તરીકે દુનિયાભરમાં આદર પામી ચૂક્યું છે.

નેહરુના આ પત્રોથી ઇન્દિરા ગાંધીએ મેળવેલી શીખ તેમણે આજીવન ગાંઠે બાંધી રાખી હતી તેમ અન્ય બાળકો પણ આ પુસ્તકથી મહામૂલું શિક્ષણ મેળવી શકે છે. જો કે, પુસ્તકમાં એક વાત નેહરુ દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે કે, : “આ પત્રો અંગત સ્વરૂપના છે. એમાં ઘણા ઉલ્લેખો બહુ જ અંગત છે અને તે કેવળ મારી દીકરીને ઉદ્દેશીને જ કરવામાં આવ્યા છે. એનું શું કરવું એ મને સમજ પડતી નથી, કેમ કે, સારી પેઠે જહેમત ઉઠાવ્યા વિના એ કાઢી નાખી શકાય એમ નથી. એથી કરીને હું તેમને જેમના તેમ રહેવા દઉં છું.”

પુસ્તકમાં ‘એશિયા અને યુરોપ’ પ્રકરણથી જગતના ઇતિહાસનું આલેખન થાય છે અને તેમાં આગળ જતાં ‘પ્રાચીન સંસ્કૃતિઓ અને આપણો વારસો’નો આલેખ મળે છે. ગ્રીસના નગરરાજ્યો વિશે નેહરુએ વિગતે વાત કરી છે અને ચીનના ઇતિહાસનાં એક વર્ષનો ઇતિહાસ પણ આલેખ્યો છે. આ બધા જ પત્રોની ખૂબી ઇતિહાસ જણાવવાનો ભાર વર્તાયા વિના તે પીરસાય છે, તે છે. તે વિશે નેહરુ ચીન સંબંધિત પ્રકરણમાં લખે છે : “એક નાના સરખા ફકરામાં, બે ત્રણ નાનાં વાક્યોમાં, મેં અગિયારસોથીયે વધારે વરસોનો ચીનનો ઇતિહાસ પતાવી દીધો, એ આશ્ચર્યજનક નથી? પરંતુ ઇતિહાસના આવડા મોટા વિસ્તારની બાબતમાં બીજાં શું થઈ શકે? પણ તારે એ બરાબર સમજી લેવું જોઈએ કે મારો એ ફકરો ટૂંકો છે તેથી કંઈ અગિયારસો વરસનું લંબાણ ટૂંકું થઈ જતું નથી.” ચીનનો એક હજાર વર્ષનો ઇતિહાસ નેહરુએ માત્ર ત્રણ પાનાંમાં સિફ્તપૂર્વક ઉતાર્યો છે.

ઇતિહાસની જેમ નેહરુએ માનવજીવનની ખૂબી-મર્યાદાની વાતો પણ પુસ્તકમાં દેખા દે છે. વિશ્વનાગરિક તરીકે નેહરુએ જે શિક્ષણ મેળવ્યું તેનો નિચોડ તેમના લખાણમાં મળે છે. ‘મનુષ્યનો જીવનસંગ્રામ’ પત્રમાં તેઓ લખે છે : “દૂરના ઝાંખા ભૂતકાળમાંથી ઇતિહાસ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ, લોકો વધારે ને વધારે પ્રમાણમાં માલ પેદા કરતા જાય છે, ભિન્ન ભિન્ન ધંધાઓમાં નિષ્ણાત થતા જાય છે, તથા પોતાના માલની એકબીજા સાથે લેવડદેવડ કરે છે અને એ રીતે વેપાર વધાર છે. વળી, આપણે માલને લાવવા લઈ જવાનાં તથા સંસર્ગ સાધવાનાં નવાં અને વધારે સારાં સાધનો પણ અસ્તિત્વમાં આવતાં જઈએ છીએ. ખાસ કરીને વરાળયંત્રની શોધ પછી, લગભગ છેલ્લાં સોએક વર્ષમાં એમાં ઘણી પ્રગતિ થઈ છે. જેમ ઉત્પાદન વધતું જાય છે તેમ તેમ દુનિયાની સંપત્તિ વધે છે અને કંઈ નહીં તો મૂઠીભર લોકોને વધારે આરામ અને નવરાશ મળે છે. અને આવી રીતે જેને સંસ્કૃતિ કહેવામાં આવે છે તેનો વિકાસ થાય છે.” થોકબંધ ઉત્પાદનથી થતો વિકાસ અને તેના પરિણામોને નેહરુએ કેટલાં સરળતાથી અહીં મૂકી આપ્યા છે.

પત્રોમાં વિશ્વના ઇતિહાસ-વર્તમાન પર નેહરુની દૃષ્ટિ ફરે છે તેમ હિંદુસ્તાનનું ચિત્ર પણ તેમાં ઝિલાય છે અને તેમાં કારીગરવર્ગની દુર્દશા વિશે પણ લખાયું છે. આ ઇતિહાસમાં માત્ર મનોરંજન અર્થે માહિતી નથી, પણ ક્યાંક કડવી વાસ્તવિકતાનો ચિતાર છે. એક જગ્યાએ નેહરુ હિંદમાં કારીગવર્ગની દુર્દશા કેમ આવી તે વિશે લખે છે : “સેંકડો વરસ સુધી જે ‘પૂર્વની દુનિયાનું લેંકેશાયર’ બની રહ્યું હતું અને જેણે 18મી સદીમાં યુરોપને મોટા પ્રમાણમાં સુતરાઉ કાપડ પૂરું પાડ્યું હતું, તે હિંદ પાકો માલ બનાવનાર દેશ તરીકે પોતાનું સ્થાન ખોઈ બેઠું કેવળ બ્રિટિશ માલનું ગ્રાહક બની રહ્યું. સામાન્ય રીતે હિંદમાં જે બનવું સંભવિત હતું તે ન બન્યું. એટલે કે, અહીંયા યંત્રો ન આવ્યાં પણ તેને બદલે યંત્રોમાં બનેલો માલ બહારથી આવ્યો. હિંદમાં બનેલો માલ વિદેશોમાં લઈ જઈને તેને બદલે સોનુંચાંદી લાવનાર જે પ્રવાહ અહીંથી વહેતો હતો તે હવે ઊલટા દિશામાં વહેવા લાગ્યો. હવે પછી વિદેશી માલ હિંદમાં આવવા લાગ્યો અને સોનુંચાંદી બહાર જવા લાગ્યાં.” બ્રિટિશકાળ દરમિયાન ઔદ્યોગિકિકરણના કારણે હિંદમાં જે સ્થિતિ ઉદ્દભવી તેનો સ્વિકાર નેહરુએ કર્યો છે અને આ સ્વિકારભાવથી જ આઝાદી પછીની આર્થિક નીતિઓ ઘડાઈ. પણ આજકાલ આર્થિક મર્યાદાને સ્વિકારવામાં ગલ્લાંતલ્લાં કરવામાં આવે છે અને તેથી તેનો ઉકેલેય જડતો નથી.

કોઈ પણ બાબતનો ઉકેલ શોધવામાં કોઈ ‘વાદ’માં પડવું નહીં તે અંગે નેહરુ ચેતવણી ઉચ્ચારે છે અને કહે છે : “ફ્યૂડલવાદ, મૂડીવાદ, સમાજવાદ, સંઘવાદ, અરાજકતાવાદ, સામ્યવાદ – દુનિયામાં આજે કેટલા બધા ‘વાદો’ છે! અને એ બધાની પાછળ તકસાધુપણું અથવા તકવાદ તરાપ મારવાને માટે તૈયાર તઈને બેઠો છે! પરંતુ એ ઉપરાંત દુનિયામં એક બીજો ‘વાદ’ છે અને તે છે આદર્શવાદ. જે કોઈને એની પડી હોય તે એને અપનાવી શકે છે. પરંતુ એ આદર્શવાદ એટલે પોકળ કલ્પનાઓ કે તરંગો નહીં, પણ ઉદાત્ત માનવી ધ્યેય માટેનો – જે મહાન ધ્યેયને આપણે સિદ્ધ કરવા ચાહીએ છીએ તેને માટે કાર્ય કરવાનો આદર્શવાદ છે.”

જો કે જગતનું દર્શન આપ્યા છતાં પોતાના કાર્યનું ક્ષેત્ર વ્યક્તિએ નિશ્ચિત કરવાનું છે અને તેમાં શું કરી શકીએ તે પણ નેહરુ સરસ રીતે રેખાંકીત કરી આપે છે. તેઓ લખે છે : “ભૂતકાળ પ્રત્યેનું આપણું ઋણ આપણે માન્ય રાખીએ એ ઉચિત છે. પરંતુ ભૂતકાળનું ઋણ માન્ય રાખવા માત્રથી આપણું કર્તવ્ય કે આપણી જવાબદારી પૂરી થતી નથી. ભવિષ્યકાળ પ્રત્યે પણ આપણું ઋણ છે અને ભૂતકાળના આપણા ઋણ કરતાં કદાચ એ ઋણ વિશેષ હશે. કેમ કે, ભૂતકાળમં જે કંઈ થઈ ગયું તે તો થઈ ગયું અને પૂરું થયું, આપણે તેને બદલી શકીએ એમ નથી. પરંતુ ભવિષ્યકાળ તો હજી આવવાનો છે અને કદાચ આપણે એને આપણી ધારણા પ્રમાણે કંઈક અંશ ઘડી શકીએ.”

e.mail : kirankapure@gmail.com

Loading

સાહિત્યરસિક તબકાની ખિદમતમાં

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|1 November 2020

થાય છે, ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણીને મિશે (વિશે નહીં પણ મિશે) બે શબ્દો લખું. કેમ કે હું ઉમેદવાર હતો, લેખનકારી અંગત વાતોમાં સરી જાય તેવો ભય છે એ હું જાણુંસમજું છું પણ મારું વલણ ને નેમ એક સહૃદય હોઈ શકતા નાગરિકને નાતે કંઈક બિનઅંગત વાનાં જાહેરહિતમાં છેડવા ભણી છે.

મારી દૃષ્ટિએ સાહિત્ય પરિષદની આ વખતની ચૂંટણી જે જાહેર મુદા પર લડાઈ એ સ્વાયત્તતાનો મુદ્દો હતો. આ મુદ્દો, વળી, લાગટત્રીજી ચૂંટણીમાંયે ચાલુ રહ્યો અને ત્રણ વખત વિજયનું પલ્લું સ્વાયત્તતાના હિમાયતી ઉમેદવાર તરફે રહ્યું. એ આપણા અત્યારના જાહેર જીવનની દષ્ટિએ ગુજરાતમાં પ્રવર્તી શકતા એક વિધાયક વિચારની રીતે મને અત્યંત મહત્ત્વનું લાગે છે. રાજકીય વિચારઝોકની દૃષ્ટિએ બે પૂર્વપ્રમુખો અને આગામી પ્રમુખ કદાચ એક જ ખાનામાં ન હોય. પણ સ્વયત્તતાના એકસમાન મુદ્દાએ આ ત્રણેની ઉમેદવારીને ધાર અને આધાર સંપડાવ્યાં. આ વખતની પ્રમુખીય ચૂંટણી ત્રિપાંખી હતી અને સાવ નજીવા અંતરે જિતાઈ એવી છાપ દેખીતી ખોટી નથી પણ તે ઉભડક અને ઉપલક તો બિલકુલ છે. કારણ, ત્રીજા ક્રમે આવેલા ઉમેદવાર પ્રથમ ક્રમે આવેલા ઉમેદવારની જેમ જ સ્વાયત્તતા પરત્વે પ્રતિબદ્ધ અને કટિબદ્ધ છે.

આ ચર્ચાને કોઈ રાજકીય ધ્રુવીકરણ લેખે ઘટાવવાની જરૂર નથી. સ્વાયત્તતા એ રાજકીય પક્ષપાત બાબત નથી, પરંતુ પ્રજાસૂય વલણ અને બંધારણીય જોગવાઈની બાબત જરૂર છે. એટલે ગુજરાતી સાહિત્ય પરિષદના મતદારો લાગટ ત્રીજી વખત આ રીતે સ્વાયત્તતા પરત ગઠિત અને ઉદ્યુક્ત પેશ આવ્યા એમાં જાહેર જીવનમાં નિરામય મોકળાશ માટે આવતી કાલની ઉજમાળી આશા અવશ્ય છે.

બંધારણીય મર્યાદામાં કામ કરતી ચુંટાયેલી સરકાર અને પ્રજા વચ્ચેના ધોરણસરના સંબંધની એક પદ્ધતિ અલબત્ત સ્વાયત્ત સંસ્થાઓની છે. પણ જેને આપણે પ્રજા – ખરું જોતા જો કે જનતા અગર લોક – કહીએ છીએ તે સૌ પુખ્તવય મતાધિકાર પ્રાપ્ત સમૂહને નાતે એક જરૂર છે, તેમ છતાં ભાષા, પ્રદેશ, નાતજાત, ધરમમઝહબકોમ એમ એમની આગવી ઓળખ પણ છે. જોવાનું એ છે કે ન તો એમની આગવી ઓળખને, એમના સહજ પોતાપણાને આંચ આવે – ન તો તેઓ સામસામે મૂકાઈ જઈ સહિયારી નાગરિક ઓળખ ભૂલવા લાગે બલકે, સહિયારી ઓળખનો એ તકાજો છે કે તે આગઆગવી ઓળખનો લિહાજ કરે અને આ સૌ આગઆગવી ઓળખનું એ ઐશ્વર્ય છે કે એને સાથે હોવાનું સૌંદર્ય સમજાય.

‘સાહિત્ય’ એ શબ્દઓળખના સગડ કાઢતાં આપણી શોધ ‘સહિત’ પર લાંગરે છે. આ સહિતતા અહીં સહિત (હેવ્ઝ) અને રહિત(હેવ નૉટ્‌સ)ના અર્થમાં અભિપ્રેત નથી. અહીં અપેક્ષિત અર્થ સહિતતાનો – સાથે, રિપીટ, સાથે-હોવાપણાનો છે. આ સાથે હોવાપણાનું કાવ્ય કહો તો કાવ્ય અને વ્યાકરણ કહો તો વ્યાકરણ, શી વાતે છે વારું. તમે અરસપરસ, એકમેકનો, નાનામોટાનો સમાદર કરો, સાથે રહો અને છતાં એક બીજાને સ્પેસ આપો. બીજી પાસ, અધિકારોની સમાનતા જરૂર છે, પણ એના ભોગવટામાં સમાનતા દૂર છે, કેમ કે વિકાસક્રમમાં કે સામાજિક કોટિક્રમમાં કેટલાક પાછળ તો કેટલાક વળી ખાસા પાછળ છે. એમને સાથે લેવાનું માત્ર બંધારણી આદેશ અને જોગવાઈથી ન બની શકે.

એને માટે સમજ અને સહૃદયતાની કેળવણી જરૂરી છે. જેને સાહિત્ય પદારથ કહીએ છીએ એની વશેકાઈ આ સહૃદયતાની કેળવણીમાં છે. સ્વાયત્તતા અને સમાનતા વચ્ચેના સંબંધની રેશમદાર અને સાર્થક રમઝટ, બને કે, સાહિત્યના સેવન અને પ્રસારથી આવે. સાહિત્ય સંસ્થાઓની ઊઠવેઠ આમ તો શેક્યો પાપ ન ભાંગે – પણ આ ઊઠવેઠ આ રમઝટ, બને કે, એક એવી સમજ પ્રસારે જે તમને નવી દુનિયા સારુ કેળવી રહે.

પણ આ બધી કામગીરીના કેટલાક દુનિયાદારી તકાજા પણ છે સ્તો. એને સારું નાણાકીય જોગવાઈ ન જોઈએ એવું તો ક્યાંથી હોય. સરકાર સંસ્થાઓને ગ્રાન્ટ (અનુદાન) આપે છે, પ્રજાના પૈસા પ્રજાકીય સંસ્થાઓને આપે છે પણ એના ચૂકવણાં એટલાં અનિયમિત હોય છે કે તમારે વૈકલ્પિક તૈયારી પણ રાખવી પડે. આ તો ગ્રાન્ટની વાત થઈ પણ બીજા ખર્ચાનું શું? સાહિત્ય પરિષદે અકાદમીની સ્વાયત્તતા હરાઈ ગઈ તે પછી તેની મારફતે જે તે પ્રસંગવશ કે નિમિત્તવશ મળતું નાણું લેવું બંધ કર્યું છે. છેલ્લાં વર્ષોમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી (સુરત), અને વિદ્યામંદિર (પાલનપુર) જેવી શિક્ષણ સંસ્થાઓએ અધિવેશન કે સત્ર અંગેની જવાબદારી ઉઠાવી નાણાં સ્રોતનો પ્રશ્ન બિનસરકારી રાહે ઉકેલી આપ્યો છે અને સરકારી નહીં તે અસરકારી એવી કાકા કાલેલકરની ઉક્તિ અક્ષરશઃ ચરિતાર્થ કરી છે. ગમે તેમ પણ, અકાદમી મારફતે મળતું નાણું જતું કરી જાણતી સાહિત્યસંસ્થાની દાઝ જાણનાર મહાજન ગુજરાત મળતું રહે એ જરૂરી હોવાનું છે.

વિજયી બનેલા ઉમેદવારને સાહિત્યકાર કહેવાય કે નહીં એવો સવાલ ઉઠાવવામાં આવ્યો એમાં પરિષદ એ કેવળ લેખકોની સંસ્થાઓ નથી પણ વ્યાપક સાહિત્યરસિક સમાજની સંસ્થા છે એ મુદ્દો ચૂકી જવાયો એટલું જ નહીં પણ સાહિત્યિક લેખનની જે વ્યાપક વ્યાખ્યા આજે વિશ્વસ્વીકૃત છે જેમ કે ૨૦૧૫નું નોબેલ જેને મળ્યું, રૂસી લેખિકા સ્વેતલાના, એનું તો મુખ્ય કામ જ પત્રકારત્વ છે, એનોયે લિહાજ ન રહ્યો.

ગુજરાતના નાગરિક સમાજની, સવિશેષ એના સાહિત્યરસિક તબકાની ખિદમતમાં આ થોડીએક વાતો, ઊહ અને અપોહની અપેક્ષાએ!

ઑક્ટોબર ૨૬, ૨૦૨૦

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2020; પૃ. 01-02

Loading

...102030...2,0992,1002,1012,102...2,1102,1202,130...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved