Opinion Magazine
Number of visits: 9680427
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘વંટોળિયો’

એ.ટી. સિંધી|Opinion - Literature|16 December 2020

વાર્તાકાર, ગઝલકાર અઝીઝ ટંકારવીની પ્રથમ નવલકથા ’વંટોળિયો’ હાથમાં આવતા મનમાં ગડમથલ શરૂ થઈ ! પહેલો પ્રશ્ન એ થયો કે આ સર્જક જેઓ પૂર્ણકાલીન સંપાદક, પત્રકાર અને વળી મુસ્લિમ સમાજમાંથી આવતા જાણીતા કર્મશીલ. તો એમને દલિત-સમુદાયને તાકીને નવલકથા રચવાનું શેં સુઝ્યું !? આવું કંઈક વિચારતો હતો ત્યાં વળી સર્જકને કંઈ પરિસ્થિતિઓ અવ-નવું સૂઝાડે છે? ને કલમ ઉપાડવા તેને વિવશ કોણ કરે છે? એવા યુગ જૂના સવાલો પણ મનમાં ઊભર્યા …

ત્યારે યાદ આવ્યો એક અનુભવ. ચોક્કસ વર્ષ તો યાદ નથી, પણ અંદાજે ૧૯૭૯-૮૦ની આસપાસનો ગાળો. ઇન્દિરાઇ કટોકટી પશ્ચાત્‌ એ વરસોમાં હું બી.એ. થવામાં. ’સૉક્રેટિસ’ નવલકથા વાંચીને મનમાં પ્રશ્નો થયા જ કરે … ને યોગાનુયોગ ! મનુભાઈ પંચોળી ’દર્શક’ અમારા પાલનપુર નગરમાં દર વર્ષે યોજાતી વ્યાખ્યાનમાળાના ભાગરૂપે આચાર્ય યશવંત શુક્લની અધ્યક્ષતામાં વ્યાખ્યાન માટે આવ્યા. વ્યાખ્યાનનો વિષય તો આજે યાદ નથી આવતો, પણ પ્રશ્નોત્તરી દરમિયાન મેં દર્શકદાદાને સટીક પૂછી જ લીધું, “આપે આ-સૉક્રેટિસ – કથા શા માટે લખી?”

જેઓ દર્શકદાદાના મિજાજથી પરિચિત હશે અને જેમણે એમને જોયા-સાંભળ્યા હશે, તેઓ તો જાણતા જ હશે કે તેઓ કેવું રોકડું, સોંસરું ને ક્યારેક ઝાટકીને પણ બોલી નાખતા ! ભર સભામાં મને કહે, ’લે ભાઈ હું લખું છું ને લખવું હતું તેથી લખી નાખ્યું બીજુ તો શું!’…. તાત્પર્ય કે પોતે સર્જક છે તેથી લખે જને ! ….. એમના એ શબ્દો જે આગવી લઢણથી (અને નિખાલસતાથી પણ) પડઘાયા કે હૉલમાં સૌ હસવું ખાળી ન શક્યા. હું કંઈક છોભીલો ને નિરાશ થયો છું તેવું પામી જઈને દર્શકદાદાએ પલટવારમાં સર્જક માટે સર્જનકર્મની આવશ્યકતા, સંજોગો-વાતાવરણ વગેરે વિશે શ્રોતાઓને (ખાસ તો મને) ’સૉક્રેટિસ’ના સંદર્ભથી લંબાણથી સમજાવી જાણ્યું. આપણે ન્યાલ થઈ ગયા! ! કારણ કે મારો આશય તો દર્શક પાસેથી ’ગ્રીસ’ કરતાં ય વધુ તો ’ભારત’ના તત્કાલીન રાજકીય વાતાવરણની સમીક્ષા સાંભળવાનો હતો.

નવલકથા ’વંટોળિયો’ ઉઘાડતાં જ પ્રારંભમાં નિવેદન રૂપે મૂકેલ આ લખાણના શીર્ષક પર નજર પડી : ’પીડાનો એક્સ-રે !’ બહુ જ સાદગીથી લેખકે નિવેદનમાં પોતાની કેફિયત સ્પષ્ટ કરી છે : “મેં સૌથી વધુ પીડિત-કચડાયેલા દલિતવર્ગને દબાયેલા રાખવાની પીડાને આ નવલકથા દ્વારા ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે .. એક્સ-રે રજૂ કરવામાં સહેજે દિલચોરી કરી નથી.”(પૃષ્ઠ :૦૫) વળી, આગળ કથા વાંચતાં-વાંચતાં સતત એવું લાગ્યા કર્યું કે ગઝલકાર-વાર્તાકારે એમની પ્રથમ નવલકથા ’વંટોળિયો’નાં ૨૪ પ્રકરણોમાં દલિત સમાજની પીડાને ગઝલના શેરોની જેમ ચુસ્તપણે,પણ જરા હટકે ’અંદાઝેબયાં’થી ઉઘાડી આપી છે.

આમ તો દલિતપીડા-વ્યથા કહેતાં કેટલું બધું આપણી સન્મુખ પથરાઈ આવે. વૈદિક, પુરાણ, મહાકાવ્ય, મધ્ય-ભક્તિ યુગ, એમ કહો કે પ્રાચીનકાળથી … અર્વાચીનકાળ સુધી શુદ્રો લખો કે શેડ્યુલકાસ્ટ કે ટ્રાઇબની યાદીઓ વાંચો. આશ્ચર્ય એ જ કે ’ભારત મેં જાતિ મરને કે બાદ ભી નહીં જાતી !’ સાહિત્યમાં બહિષ્કૃતના આલેખનની નવાઈ નથી.! વિશ્વસાહિત્યની કરુણરસપ્રધાન અનેક કૃતિઓ અને એના સર્જકોથી સહૃદયો પરિચિત છે … છેડો તો ટૉલ્સ્ટૉય, વિક્ટર હ્યુગો, ટાગોર, પ્રેમચંદના ઇતિહાસથી ય આગળ આપણને દોરી જાય. નજીકમાં જુઓ તો ભારતીય સાહિત્યમાં વિવિધ ભાષાઓમાં દલિત પીડાના નિરૂપણની કૃતિઓ મળી જ આવે છે. ગુજરાતીમાં ખરા અર્થમાં ગાંધીયુગના સાહિત્યમાં વિષયવસ્તુ તરીકે દલિત જીવનને આલેખવાની શરૂઆત બિનદલિત લેખકો દ્વારા થઈ; અને ત્યાર બાદ આઝાદી પછી આવેલા શૈક્ષણિક ઉત્થાનના કારણે દલિત સાહિત્યકારોનો આ ક્ષેત્રે પ્રવેશ થયો … ૧૯૭૫-૮૦ આસપાસ દલિત સાહિત્યકારોએ આગવી ઓળખ પણ ઊભી કરી.

ખૈર, દલિત સાહિત્યકારો દલિતોની વેદના અનુભૂતિથી લખી જાણે છે, જ્યારે બિનદલિત સાહિત્યકારો સહાનુભૂતિથી !? આવો કોઈ ચર્ચા-વિમર્શ પણ સાહિત્યને દલિત અને દલિતેતર વિભાગોમાં મૂકીને સર્જકોને મૂલવવા માટે થોડાંક વર્ષો ચાલ્યો, એવું કંઈક ’વંટોળિયો’ વાંચતાં વાંચતાં જરૂર યાદ આવ્યું. એ સંદર્ભે મારે અહીં એક જ વાત ખુલાસા રૂપે લખવી છે, જેનો સંદર્ભ મને કુરાનશરીફમાંથી મળી આવ્યો. કુરાનમાં એક જગ્યાએ વાંચ્યું :

“અલ્લાહે કોઈ માનવીની છાતીમાં બે દિલ બનાવ્યાં નથી …..” (સૂરએ અહઝાબ : ૦૪)

હા .. બે નહીં, એક … એક જ. પિંડેમનુજના એક દિલમાં આખું બ્રહ્માંડ વળી ! પછી શું વેદ ને શું અવેદ ! જે સઘળું એક મનુષ્યની ચેતનામાં જે સ્થાયી છે તે જ સહુમાં સ્થાયી જ હોય … રતિ, હાસ, શોક, વિસ્મય આદિ આઠ કે નવ અને બીજા સંચારી લેખે લો તો અસંખ્ય ભાવો … માટીના ઇન્સાનની ફિતરતમાં કુદરતે કમાલ કરી છે !

ચલો, જરા ભરતમુનિ પાસે જઈએ. નવલકથા પણ છેવટે તો ’રસપ્રક્રિયા’ની સરાણે ચડવી જોઈએ ને ! સાહિત્યકાર એટલે ’રસકાર’. એણે તો રસ નિષ્પન્ન કરવાની પ્રક્રિયામાંથી પસાર થવું જ પડે ને ! એ પછી એ સાહિત્યકાર દલિત હોય કે બિનદલિત; ’રસ’ ને વળી ધર્મ, જાતિ, રંગ, સંપ્રદાયના વાઘાથી શેં મૂલવાય ..! અહીં તો સહાનુભૂતિ એ જ અનુભૂતિ અને અનુભૂતિ એ જ સહાનુભૂતિ. ઇતિ સિદ્ધમ્‌.

’વંટોળિયો’માં અઝીઝ ટંકારવીએ પોતાના વતનના અનુભવોમાંથી સર્જેલા ’દિશાપુરા’ ગામની દશા અને દિશા … ઝપાટાબંધ (પ્રસ્તાવનાકાર મોહન પરમારના નિરીક્ષણ પ્રમાણે ’પૂરઝડપે’) ૧૩૦ જેટલાં પૃષ્ઠોમાં નિરૂપી છે. નવલકથાના પ્રારંભમાં – નિવેદનમાં – લેખકે સ્પષ્ટતા કરી છે કે પોતાની નાની વયે ખેતરમાં કામ કરતા શેકાઈ જતા, શોષાઈ જતા દલિત-પીડિત મજૂરોની વેદના તેઓ ભૂલી શક્યા નથી. તેથી જ જ્યાં હજુ અંગ્રેજી શાસનનો દોર ચાલુ છે એવું ’દિશાપુરા’ ગામ જાતિગત વિષમતાના સંદર્ભમાં જોઈએ તો ૧૮૬૨માં પારસી ગુજરાતી બોલીમાં અનુદિત થયેલી ’હિંદુસ્તાન મધ્યેનું ઝૂંપડું’ની કથાની કંઈક અનુકૃતિ જેવું ગુજરાતી ગામ લાગે છે.

’વંટોળિયો’ના પ્રસ્તાવનાકાર મોહનભાઈ પરમાર લખે છે તે મુજબ : “નવલકથાનો સાચો આરંભ તો આઝાદી મળ્યા પછી ગોપુદાદાનો પુત્ર જીવલો એના પુત્ર પ્રકાશને નિશાળે દાખલ કરવા જાય છે, ત્યાંથી થાય છે” (પૃષ્ઠ : ૧૪૪). આપણે મોહન પરમાર સાથે સંમત થઈએ … કારણ કે ’દેશ તો આઝાદ થાતાં થઈ ગયો !’ પણ ?

પોતાનાં સંતાનોને નિશાળમાં દાખલ કરવા સંઘર્ષ કરતા જીવલાની પરિસ્થિતિમાં શું ફેર પડ્યો ? નવલકથા મુજબ : “પ્રથમ તો સરપંચ એકના બે ન થયા પણ છગન માસ્તરની મક્કમતા જોઈને તેમણે જીવલાના છોકરાને શાળામાં દાખલ કરવાની શરતી રજા આપી”. (પૃષ્ઠ : ૨૬)

આ છે આઝાદી બાદનું અઝીઝ ટંકારવીની નવલનું ’દિશાપુરા’ ગામ … જે હવે દલિતોને, ગરીબોને કાળા અંગ્રેજોથી ઘેરાઈ ગયેલું વારંવાર અનુભવાય છે. હવે, આ પ્રસંગને ૨૦૦૪માં પ્રગટ થયેલી (૧૯૧૫થી ૧૯૩૫ના સમયગાળાને આલેખતી) દલપત ચૌહાણની ’ભળભાંખળું’ નવલકથામાં આવતા એક પ્રસંગ સાથે જોડીએ … જેમાં વડોદરાના મહારાજા દરેક વર્ણનાં છોકરા-છોકરીઓને નિશાળે મૂકવા-ભણવા માટેનો ઢંઢેરો પીટાવે છે ત્યારે વણકરવાસનો વાલો પોતાની દીકરી મણિને શાળામાં ભણાવવાનું મનોમન નક્કી કરે છે. પણ સંમતિ માટે મુખી નારસંગને પૂછવા જાય છે ત્યારે મુખી તેને મોઢામોઢ ’હા’ તો પાડી દે છે, પણ બીજા જ દિવસે મુખીના હુકમથી બબો રાતો સાદ પાડે છે …

“મુખી ભા એ કેવરાયું સ અ કાલે નેહાર ઊઘડઅ તાણઅ ઢેઢે સોંકરાંને હારે મેકલવા નઈ. આજે રાતે ગોમ ભેળું થઈ તમારો નિયાય કરસેં.” (સંદર્ભ : દલિતકથાવિમર્શ, લેખક : ડૉ. કાન્તિ માલસતર, પૃષ્ઠ : ૨૮૯-૨૯૦)

નવાઈ તેની છે કે ’ભળભાંખળું’ પહેલાં મુખીના મુખોટા તળે ચાલતી રાજનીતિના ચાબુકોથી દૂઝતા સોળની પીડા વેઠીને હડધૂત થતા ગામડાંના દલિતો આઝાદી પશ્ચાત્ ‌’મધ્યાહ્ને’ પણ સરપંચોની પ્રપંચલીલાઓના કાયમી શિકાર બન્યા કરે છે ! …. આ જ તો છે મારે મન ’વંટોળિયો’ નવલનો મુખ્ય ધ્વનિ.

આઝાદ ભારતનાં ગામડાંમાં ઘણું વેઠીને પણ (’કખગ’ વંટોળિયો પ્રકરણ : ૦૫) છેવટે પ્રાથમિક અને માધ્યમિક શાળાના બે ય કોઠા જીતીને (કે ઠેકીને) શહેરની કૉલેજોમાં ભણવા જતા અને ભણીને ઉચ્ચ કારકિર્દી તરફ વળતા ’દિશાપુરા’ના બે દલિત ભાઈ-બહેન યુવાનો – પ્રકાશ અને સપના – ની સાથે લેખક આપણને ’નવી ક્ષિતિજ’ના પ્રકરણમાં – નૂતન પરિવેશમાં દાખલ કરે છે.અહીંથી નવલકથામાં પૂર્ણપણે સંઘર્ષકેન્દ્રી વમળો સર્જાય છે.

મોટા શહેરમાં રહીને અભ્યાસ કરતાં ’દિશાપુરા’નાં પીડિત યુવાન શિક્ષિત ભાઈ-બહેનના ’ઓરતા’ (પ્રકરણઃ૧૦)  શું હોઈ શકે !? પોતાના વતન-ગામમાં જેમણે સગાં મા-બાપને વારંવાર હડધૂત થતાં જોયાં હોય અને કિશોરાવસ્થામાં સ્વયમ્‌ પોતાનાં અરમાનોને ચૂંથાઈ જતાં અનુભવ્યાં હોય એવા યુવાનોની મનોદશા માટે ’વંટોળિયો’ના પ્રકરણનો ’સાલા સાબ બન ગયા’, ’પોલીસ મા-બાપ’, ’ઓરતાં’, ’બળતરા’, ’ઢાંકપિછોડો’, ’સંઘર્ષ’, ’બળાત્કાર’ … સુધી સહૃદય ભાવકે પહોંચવું પડે, એટલું જ નહીં ૨૧મી સદીમાં આપણને વધુ ચિરપરિચિત ન્યૂનોર્મલ ભારતીય ગુજરાત મોડલના શબ્દો ’મૉબલિંચિંગ’, ’ક્લીનચીટ’ જેવાં પ્રકરણો પણ ઉકેલવાં પડે.

આગળ જણાવ્યું તેમ લેખક પૂર્ણકાલીન સંપાદક અને પત્રકાર છે, તેથી આ નવલકથાનાં પ્રકરણશીર્ષકો, ભાષાશૈલી વગેરેમાં આપણને સ્હેજ છાપાળવી છાંટ વરતાય તો નવાઈ નહીં ! પણ, મૂળ વાત તો આઝાદી પછીનાં ૭૦ વર્ષોમાં આપણે ક્યાં પહોંચ્યા તેની છે. એટલે જ ખાસ કંઈ ના બદલાયેલા સામાજિક પરિવેશમાં નવલકથાકાર આપણને સહજતાથી લઈ આવે છે.

સરપંચના દીકરાની ટોળકી દ્વારા જીવલા મોચીના ’મૉબલિંચિંગ’ અને અંતે ખૂનનું વર્ણન હૃદયદ્રાવક છે, જુઓ :

“દોડતા જીવલાનો પગ કાંટાના ઝાંખરામાં અટવાયો ટોળીના બે-ચાર છોકરાઓએ ધડાધડ દંડાવાળી કરી … પ્લાન મુજબ જીવલાને પીઠ અને પેટની વચ્ચેના ભાગે ધારદાર ચાકુ હલાવી દીધું … જીવલો … ઢળી પડ્યો … સમડીના ઝાડ પરનું પારેવું ફર્ર કરતુંક ઊડી ગયું …” (પૃષ્ઠ : ૯૪-૯૫)

ઉપર્યુક્ત ઘટના સાથે છેક ૧૯૫૬માં પ્રગટ થયેલી ’કલ્પવૃક્ષ’ નવલકથામાં એક જગ્યાએ ઈશ્વર પેટલીકરનું તીક્ષ્ણ નિરૂપણ જોઈએ :

“થોરિયાનું ડિંગલું કાપી નાખવું કે ઢેડું કાપી નાંખવું સરખું.”

“હરિજન લોકો તો દબાયેલી, કચડાયેલી પ્રજા. ઉજળિયાત લોકો ખાસડું મારે તો ય ખંખેરીને પાછું આપે એટલી ગુલામ” (’દલિતકથાવિમર્શ’, લે. ડો. કાન્તિ માલસતર પૃષ્ઠ : ૨૫૬)

શું બદલાયું છે!? એટલું જ કે પહેલાં કદાચ ઉઘાડે છોગ દલિતની હસ્તીને હણી શકતી સામાજિક સત્તા ’વંટોળિયો’માં સાક્ષી પુરાવાથી લઈ પ્લાન મુજબ હવે સઘળું ’રફેદફે’ (પ્રકરણ-૧૫) કરી શકવાની ક્ષમતાવાળી રાજ્યસત્તામાં રૂપાંતર થઈ સિંહાસને આરૂઢ થઈ બેઠી છે … તો હવે શું ? તેના જવાબમાં લેખક છેલ્લે ટૂંકાં બે પ્રકરણોમાં ’કાયદો કાયદાનું કામ કરશે ?’, ’શિક્ષણ કારગત નીવડશે ?’માં સીધા પ્રશ્નો પર જ આવી ગયા છે!

નવલકથાને ઉધિષ્ટ મૂળ પ્રશ્નો-સમસ્યાઓના ઉકેલ દર્શાવવા માટે ’યુદ્ધ એ જ કલ્યાણ’ એવું શીર્ષક છેલ્લેથી આગલા પ્રકરણ માટે પ્રયોજાયું છે. યુદ્ધના આ – હિંસક – માર્ગના ભયસ્થાનો વિશે સજાગ લેખક રક્તપાતના માર્ગને ચાતરીને અંતિમ પડાવ રૂપે છેલ્લા પ્રકરણ ’ત્રિભેટો’માં સૌ મુખ્ય પાત્રોને ભાવકો સમક્ષ હાજર કરીને એમની વચ્ચે નવલ ડિબેટ પ્રયોજે છે, જેમાં અંતે ’યુદ્ધ નહીં તો પછી શું?’-ના ઉત્તરોમાં અટવાયેલાં પાત્રોને લેખક સ્વરાના પાત્ર દ્વારા સૂચવી દે છે :

“હવે, ’દિશાપુરા’ ગામે નક્કી કરવાનું છે કે … કયે માર્ગે જવું ?…… આ કામ કોઈ વ્યક્તિનું નથી પણ સમગ્ર ’દિશાપુરા’ ગામના લોકોનું છે …’ (પૃષ્ઠ : ૧૪૧)

ખરેખર તો ફલશ્રુતિ સરખા આ કથનમાં કથાનો અંત આવી જાય છે. પણ, ના. અહીં લેખકે બે પાંચ લીટીઓમાં દસ વર્ષના બાળક ભરત વસાવાને ’ત્રિભેટો’ની વડીલ ચર્ચામાં પ્રવેશ આપ્યો છે :

“એને ઝાઝી ગતાગમ ના પડી … પણ એટલું સમજાયું કે, કશો ગામ-ને લગતો સવાલ છે … જવાબની આશાએ વડીલોને તાકી રહ્યો..” (પૃષ્ઠ : ૧૪૨)

જ્યાં વડીલો જ લાચાર મૂંઝારો અનુભવી રહ્યા હોય, ત્યાં આ બાળક ! …. એના મનમાં ય કોઈ ’વંટોળિયો’ નહીં સર્જાયો હોય !? એવો ગૂઢાર્થ સહૃદયભાવક પામી પણ શકે … (મને તો અહીં શ્યામ બેનેગલની ’અંકુર’ ફિલ્મનું અંતિમ દૃશ્ય જેમાં લાચાર ’સમાજ’ વચ્ચે અમળાતો એક કિશોર અંતે પે … લી … ’હવેલી’ પર પથ્થરનો ઘા કરી જ નાખે છે .. ને અહીં ફિલ્મનો The End આવે છે, પણ ખરા અર્થમાં પ્રેક્ષકના ચિત્તમાં The Seedlingનો આરંભ થાય છે!)

પરંતુ નવલકથાના શીર્ષક ’વંટોળિયો’માં અભિપ્રેત હોઈ શકે તે વંટોળિયો ક્યાં ? લેખકે આ વંટોળિયાને છેલ્લા ફકરાની સાત લીટીઓમાં પ્રતીકાત્મક રીતે આલેખવાનો ઉપક્રમ જોયો છે. આ પ્રયુક્તિમાં લેખક કેટલા સફળ થયા છે ? તેનો ઉત્તર તો આ પ્રકારના સાહિત્યનું વ્યાપક – ઊંડું અધ્યયન કરનારા કોઈ બહુશ્રુત વિવેચક જ આપી શકે, પણ એક વાત ચોક્કસ કે સાહિત્યકારનું અંતિમ લક્ષ્ય તો કૃતિ દ્વારા સમાજને સપાટ ઉકેલો આપવા કરતાં તો વધુ સમાજને કલાત્મક રીતે ઝંકૃત કરી સમાજની સંવેદનાને સંકોરવાનું જ હોયને … ! શક્ય છે કે ’વંટોળિયો’ વાંચતાં-વાંચતાં આપણને આપણી સંવેદના ’દિશાપુરા’ ગામ ઓળંગાવીને … બદાયુ, ઉન્નાવ, ભરેટી, ખેરોલજી, હાથરસ વગેરે જેવી વણથંભી ઘટનાઓ વચ્ચે વસૂકી રહેલી આપણી માનવતા તથા નાગરિક નિસબતને સક્રિય થવાની દિશા પણ આપે.

અને છેલ્લે …

“…  છતાં ય હજુ આપણને લેખક અબ્દુલ્લાહ બિસ્મિલ્લાહની ’ઝીની ઝીની બીની ચદરિયાં’ જેવી કે મનુ ભંડારીની ’મહાભોજ’ જેવી નવલકથા સંવેદનાને કલાની જે સૂક્ષ્મતાથી આલેખે છે, એવી કૃતિઓની અપેક્ષા રાખી શકાય …” ઉપર્યુક્ત તારણ ડૉ. કાન્તિ માલસતરે ૨૦૦૬ સુધીમાં ગુજરાતીમાં પ્રગટેલ ત્રીસેક જેટલી ગુજરાતી દલિતકથાઓનો સમીક્ષાત્મક અભ્યાસ કરીને પોતાના મહાનિબંધ ’દલિત કથાવિમર્શ’(વર્ષ ૨૦૧૦)માં કંડાર્યું છે ….. તો ડૉ. ભરત મહેતાએ પોતાના ’પ્રતિબદ્ધ’ વિવેચનસંગ્રહમાં દલિત સાહિત્યવિમર્શ નિમિત્તે કરેલ નિરીક્ષણ :

“આવા સંજોગોમાં દલિત નવલકથાની રગરગમાં સંભળાવા જોઈતા વીજળીના કડાકા અહીં ગેરહાજર છે. હજુ એનો શબ્દ તણખા ઝરતો નથી. હજુ શોકત્વને શ્લોકત્વ આપવાની પ્રક્રિયા ગેરહાજર છે.” (દ. ક. વિ. પૃષ્ઠ : ૩૬૯)

હવે,જોઈએ કોણ ઉઠાવે છે કલમઘણ ?

(વંટોળિયો : લેખક : અઝીઝ ટંકારવી, નવલકથા પ્રથમ આવૃત્તિ – ફેબ્રુઆરી ૨૦૨૦, પ્રકાશક – આર.આર. શેઠ, પૃ.૧૫૦. કિં. ૧૫૦)

e.mail : atsindhimaulik@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2020; પૃ. 13-14

Loading

એક અમર પ્રેમકથા

હિમાંશી શેલત|Opinion - Opinion|16 December 2020

તિર્યકી

અમે અમને ખૂબ ચાહીએ છીએ. મહામારીના સમયમાં અમારી ખુદ માટેની ચાહના બેહદ વધી ગઈ છે. ધીરેધીરે પ્યાર કો બઢાના હૈ … હદ સે ગુઝર જાના હૈ … આ ગીત અમે રોજ સવારે ગાઈએ છીએ. દિવસરાત એક જ ધૂન છે, શું કરીએ તો અમે અમારા માટેનો પ્રેમ પ્રગટ કરી શકીએ. લાંબા વિચારને અંતે અમે વિચારતી વખતે માસ્ક પહેરવાનું માંડી વાળ્યું છે. એમાં વૈચારિક અવરોધ ઊભો થાય છે, શ્વાસને મોકળાશ ન મળતી હોવાથી વિચારો પર પાબંધી આવી જાય છે. આથી અમે વિચારવાનું ન હોય ત્યારે જ માસ્ક પહેરીએ છીએ.

જાત માટેનો પ્રેમ દર્શાવવાનો ઉત્તમ માર્ગ વર્ષગાંઠ ઊજવવાનો છે; અને એ સમજાતાં અમે એ અપનાવ્યો છે. એમાં કયો અપરાધ થયો? હા, જાહેરમાર્ગ પર કેક કાપવી અને લોકોને એ ખવડાવવી (એમણે પહેરેલાં માસ્ક ખસેડીને) એ કદાચ યોગ્ય નહીં હોય, અને કેટલાક ડાહ્યાઓએ અમારી ટીકા સુધ્ધાં કરી પણ અમે કંઈ એવું બધું માની લઈએ એવા કાચા નથી. દેશમાં લોકશાહી છે, પ્રજા સ્વતંત્ર છે, (કોઈ શક?) તો વર્ષગાંઠનો ઉત્સવ મનાવ્યો, જરા નાચગાન થયાં, ભેટંભેટી થઈ, તો શો વાંધો પડી ગયો? બધાં માંદા પડીને મરી પરવાર્યાં? અમને અમે ખૂબ પસંદ છીએ, તો એ અમારાથી બતાવી ન શકાય? એટલી સ્વતંત્રતા પણ અમારી નહીં?

– તો સારે પ્રસંગે અમે અમારા પ્રશંસકોને જરાક બોલાવ્યા, અમને કોઈ મોટો હોદ્દો મળ્યો હોય ત્યારે લોકો શું હારતોરાયે ન પહેરાવે? હવે હાર કંઈ વેગળેથી ફેંકાય? દો ગજ દૂરીમાં માનો કે હાર ફેંક્યો, અને અમારી ગરદનને બદલે કોઈ અન્યની ગરદનમાં પડ્યો તો? અને મીઠાઈ તો નજીક આવીને જ ખવડાવાયને ? કંઈ એમ થોડું કહેવાય, કે ‘ચલો, આ … કરો જોઉં’ અને એમ બોલીને કાજુકતરી નિશાન તાકી ફેંકાય? અમારી ટીકા થાય છે, કે સોશિયલ ડિસ્ટન્સ નથી જાળવતા. તે સોશિયલ થયા, નામ થયું, હોદ્દા મળ્યા, સેવામેવાની તક મળી, પછી વળી ડિસ્ટન્સ કેવું? આ સઘળું અમે નામદાર કોર્ટને સમજાવી નથી શક્યા એ અમારી ખામી ગણાય. હકીકતમાં અમારી રજૂઆત એટલી અસરકારક હોવી જોઈતી હતી કે કોઈને કશું કહેવાપણું ન રહે.

– અને અમે અમને ખૂબ ગમીએ, એટલે અમે અમને સુંદર કપડાં પહેરાવ્યાં, પ્રસંગને અનુરૂપ. ખેસબેસ પણ સરસ નવા નક્કોર ઠઠાડ્યાં, અને શાનદાર ઢબે બહાર પડ્યા. કેટલું તેજ અમારી આસપાસ દેખાતું હશે, ત્યાર વિના કંઈ ટોળાં અમારા અભિવાદન માટે, ભેટવા માટે, હાર પહેરાવવા માટે દોડ્યાં હશે? તમે જ કહો, એ ક્ષણે અમે મોં સંતાડીએ તો અમારા જેવા નપાવટ કોણ? અમે હિંમતભેર ઊભા રહ્યા, અચલ, મનોહર સ્મિત સાથે, માસ્ક એટલે જ નીચે સરકાવ્યો, જેથી અમારું હાસ્ય સહુને પ્રસાદ રૂપે મળે. પ્રજાના સેવક છીએ, પ્રજાનું મન રાખવું એ અમારો ધર્મ છે. અમે પ્રજા માટે જ નાચ્યા, એમને માટે જ મોટી-મોટી કેક બનાવડાવી, એમને માટે જ તો ગળું રૂંધાઈ જાય એવડા વજનદાર હાર પહેરી લીધા અને તમે અમારો જ વાંક કાઢો? અન્યાય! ઘોર અન્યાય!

– તોયે અમે અમને બહુ વહાલા, ઘણા પસંદ, અમે અમારા મોટા ચાહક, પ્રશંસક, પ્રેમી, હિતરક્ષક, શુભેચ્છક, સર્વસ્વ. તમે જ કહો, અમે જે કર્યું એનાથી અલગ અમે કશું કરી શકીએ એમ લાગે છે તમને? દિલ ફાડીને અમે અમારી જાતને ચાહી છે, ચાહીએ છીએ અને ચાહીશું. બોલો, હવે? કોરોના-બોરોના આવે એટલે અમે બદલાઈ જઈએ ? હોતું હશે એવું ?

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2020; પૃ. 16

Loading

નિષ્ક્રિયતાના નેરેટિવનાં થોડાં ગાબડાં વિશે

ભરત મહેતા|Opinion - Opinion|16 December 2020

‘નિરીક્ષક’ના છેલ્લા બે અંકમાં હવે ગુજરાતી સાહિત્ય પરિષદે શું કરવું જોઈએ, આ ચૂંટણી તો પાંખી બહુમતીથી જીતી છે, તો આવડો શો શોરબકોર, હર્ષદ ત્રિવેદી પણ સ્વાયત્તતાના પક્ષે જ હતા. એમની પહેલી પ્રચારપત્રિકામાં તો સ્વાયત્તતાના મામલે જ રાજીનામું આપેલું એમ પણ કહેવાયું હતું. પરિષદ નરી નિષ્ક્રિય થઈ ચૂકી છે, એવી ફરિયાદો આદરણીય શેખસાહેબ, પલાણસાહેબ અને સોનીસાહેબે વ્યક્ત કરી છે.

ત્રણેય મહાનુભાવો મારા માટે અત્યંત આદરણીય છે. છતાં એક મંત્રી તરીકે, વ્યક્તિ તરીકે મારે કંઈક કહેવું છે. પ્રકાશભાઈ, જીત્યાનો હરખ શેખસાહેબને થવો જોઈતો હતો. બીજું, એમણે જેમને સમર્થન આપ્યું હતું, એ હર્ષદ ત્રિવેદીએ બેઉ સંસ્થામાંથી આક્ષેપો થતાં રાજીનામું આપ્યું હતું. લડાઈ અધૂરી છોડી, રણ છોડી પલાયન કરેલું. ‘આક્ષેપો’ કરનારાઓનો સબળ મુકાબલો ન કર્યો જ્યારે પ્રકાશભાઈ પરિષદની અંદર અને બહાર હરહંમેશાં રણમોઝાર જ રહ્યા છે એ બધા જાણીએ છીએ. સામા પક્ષે હું પ્રવીણ પંડ્યાની એ વાતમાં સંમત નથી કે હર્ષદ ત્રિવેદી ‘રાજસત્તાના પીઠબળથી ઊભેલા’ ઉમેદવાર હતા. છતાં એટલું ઉમેરું શેખસાહેબ કે પ્રકાશભાઇ અને હર્ષદભાઈમાં તમારો ઝુકાવ હર્ષદભાઈ તરફી હોય એ મારા ગળે ક્યારે ય ઊતરી શકશે નહીં. જરાક સ્ટુડિયોની બહાર આવીને જુઓ, તો તમને સમજાશે કે આપણને પ્રકાશભાઈની આજે કેટકેટલી જરૂર છે! ભોગીલાલ ગાંધીની એ જીવંત પરંપરા છે. ‘હૂ હૂ’ નવલકથા લખ્યા પછી પણ પલાણસાહેબ તો સમયાંતરે ‘નિરીક્ષક’ને લાભાન્વિત કરતા રહે છે, તેથી એ પ્રકાશભાઈ તરફી ન હોય એ તો દીવા જેવું સ્પષ્ટ છે.

શેખસાહેબે પ્રેરિત બે વ્યાખ્યાનમાળાની ફરિયાદ બિલકુલ સરમાથા પર તેમ છતાં આખેઆખી પરિષદને એટલા માત્રથી નિષ્ક્રિય ન ગણાય તેમ જ પ્રકાશભાઈ પરથી પસંદગી બીજે ઢોળી ન દેવાય. ગયા તબક્કામાં પ્રકાશભાઈ કેવળ ને કેવળ મધ્યસ્થ સમિતિના સભ્ય હતા. ત્રણ દાયકાની સેવાનો બદલો ટપલીદાવથી લેવાનો? સોશિયલ મીડિયામાં તો ‘નિરંજન ડોહાની લાશ પરિષદમાંથી નીકળી હતી, હવે પ્રકાશ ડોહાની નીકળશે’, એવું લખવામાં આવ્યું! કેમ મહામંત્રી, ઉપપ્રમુખો, કારોબારી સભ્યો અને મધ્યસ્થ સમિતિને કોઈ પૂછતું નથી? હજુ તો પ્રમુખ અને મધ્યસ્થનાં પરિણામો જાહેર થયાં, ત્યાં તો આપણા સાલસ કવિમિત્ર અને સરસ નવલકથાકાર અશોકપુરી ગોસ્વામીએ લખ્યું -‘પરિષદમાં નકારાત્મક જૂથ ચૂંટાઈ આવ્યું છે.’ અભિપ્રાયમાં આવી ઉતાવળ? કોણ નકારાત્મક છે જણાવોને ! મહામંત્રીએ તો જાહેરમાં થતાં આક્ષેપો સામે મૌનવ્રત ધારણ કર્યું છે, એટલે એ પ્રફુલ્લ જ રહેશે.

મારે થોડી પેટછૂટી વાત કરવી છે, જાંઘદર્શન કરાવવું છે. પરિષદ જેટલી રઘુવીર ચૌધરીના મંત્રીકાળમાં, પ્રકાશ ન.શાહના મંત્રીકાળમાં સક્રિય હતી, એટલી ક્યારે ય ન હતી. તેમ છતાં ચંદ્રકાન્ત ટોપીવાળાના ગાળામાં જે સંમેલન/જ્ઞાનસત્રો અને સિતાંશુભાઈના ગાળામાં જે સંમેલનો/ જ્ઞાનસત્રો થયાં એનું સ્તર કેટલું ઉન્નત હતું, એ આ મહાનુભાવોને કહેવાનું ન હોય. આ ગાળામાં ડર. પારુલ દેસાઈએ તૈયાર કરેલાં ઇતિહાસગ્રંથો, સ્વાધ્યાયપીઠ દ્વારા સંપાદિત થયેલી ચાર રચનાઓ, પરીક્ષિત જોશીએ કરેલી અઢળક ગ્રંથાલય-પ્રવૃત્તિ-આ કામ નથી? ‘પરબ’ રાબેતા-મુજબ જ નીકળતું રહે છે. સોનીસાહેબને જણાવવાનું કે એમાં ‘શબ્દસૃષ્ટિ’ના લેખકો પણ લખે છે. હું કોરોનાપૂર્વે થોડીક વ્યાખ્યાનમાળાઓ યોજી શક્યો.

શેખસાહેબ પ્રેરિત બેઉ વ્યાખ્યાનમાળાઓ એમની સહાયથી સરસ જ ચાલતી હતી. એ વ્યાખ્યાનમાળામાં લબ્ધપ્રતિષ્ઠ વ્યક્તિઓ જ આવતી હોય છે. આ વખતે ઈ-મેઇલ પર ઈ-મેઇલ કરવા છતાં જવાબ ન આવ્યા. ત્યાર પછી મેં અશોક ભૌમિકનું નામ સૂચવ્યું એમણે સ્વીકાર્યું. બે વ્યાખ્યાનો માળાના ત્રણ વક્તા સર્વશ્રી  સુનિલ કોઠારી, શિરીષ પંચાલ અને અશોક ભૌમિક છે. ભૌમિકજી ઑનલાઇન વ્યાખ્યાન આપવા તૈયાર જ નથી, સુનિલ કોઠારીએ વ્યાખ્યાનની પ્રત આપી છે, પણ વ્યાખ્યાન કોરોનાનું પતવા દો પછી એમ કહે છે. શિરીષભાઈ સાથે મેં વાત કરી રાખી છે. ઑનલાઇનમાં ગરિમા જળવાતી જ નથી. હું અને પીયૂષ ઠક્કર મળીને બેઉ વ્યાખ્યાનમાળાઓ ગરિમાપૂર્ણ રીતે કરીશું, એની ખાતરી આપું છું.

ગયા વખતની ચૂંટણીમાં સિતાંશુભાઈ અને બળવંતભાઈ સામસામે હતા. ત્યારે બેઉ સામે મારો એક જ સવાલ હતો કે તમને આ ઉંમરે પરિષદ એકાએક કેમ સાંભરી? આ વખતે બળવંત જાની, શેખસાહેબ અને શિરીષ પંચાલ સમર્થિત હર્ષદ ત્રિવેદી સાથે હતા! ગયા વખતે હર્ષદ ત્રિવેદી સિતાંશુભાઈના સમર્થનમાં હતા! એ વખતે મારું સમર્થન બેમાંથી એકેય ઉમેદવારને ન હતું. પરિષદ સાથેના લગાવને લઈને મને પ્રશ્નો હતા. સિતાંશુભાઈ માટે પત્રિકાથી માંડી સમર્થન લગી. રમણ સોની, જયદેવભાઈ, શિરીષ પંચાલ બધા જ હતા. સિતાંશુભાઇ પ્રમુખ બન્યા પછી હું લગભગ ખડેપગે એમની સાથે રહ્યો છું. જરૂર પડી છે, ત્યારે એમને પ્રશ્નો પૂછ્યા જ છે. આજે પણ દિલથી કહું છું કે જે પણ જીત્યા હોત, એમની સાથે એટલી જ સારી રીતે કામ કરત. પરિષદ આપણી અગ્રિમતા હોવી જોઈએ, અંગત રાગદ્વેષ નહીં.

મૂળ વાત મારી એ છે કે પરિષદનું કે પ્રકાશભાઈનું ચુસ્ત અમ્પાયરિંગ કરતાં મિત્રો અકાદમીની વાત આવે, ત્યારે વિકેટકીપિંગ કરતાં હોય છે! પલાણસાહેબ સ્વાયત્તતામાં માને જ છે. તેમ છતાં અકાદમીના કાર્યક્રમોમાં ઘણી વાર શોભામાં અભિવૃદ્ધિ કરતાં રહ્યા. મને આશ્ચર્ય એ થતું હતું કે પલાણસાહેબ, મધુ રાય, આશા ગોહિલ જો અકાદમીના કાર્યક્રમોમાં જતાં હોય, તો એ એમનો અધિકાર છે પણ જ્યાં લગી ‘નારાયણ દેસાઈ ઠરાવ’, સામાન્યસભામાં પસાર કરાયેલ ઊભો હતો, ત્યાં લગી એ પરિષદના કાર્યક્રમોમાં શા માટે ? એ સવાલ મેં સિતાંશુભાઈને પૂછ્યો જ છે. બીજી તરફ મેં અજય રાવલનું નામ વડાલી કૉૅલેજમાં એક વ્યાખ્યાન સંદર્ભે મૂક્યું અને નિમંત્રણ છપાયાં પછી મહામંત્રીએ ન થવા દીધું! મોટાને સહુ માફ જેવું આ ગણાય. પરિષદના ઠરાવની આમન્યા ન જાળવીને ચૂંટાયેલા મધ્યસ્થ સમિતિના સભ્યો અકાદમીના કાર્યક્રમોમાં જવા માંડ્યા કે પુરસ્કાર સ્વીકારવા માંડ્યા. સ્વાયત્તતાના સંમેલનમાં મંત્રીઓ પણ ઉપસ્થિત ન હોય, બૅનર ન હોય, પ્રેસનોટ ન હોય, તો આ ચૂક ન ગણાય?

વધુ વિગતમાં જેમને રસ હોય એમને નિષ્ક્રિયતાનું નેરેટિવ કેવી રીતે ઊભું થયું એ જણાવીશ. એક વર્ષ પહેલાં સોંપાયેલાં સંપાદનોની વિગત આજ લગી સંપાદકોને મળી નથી! આમાં પ્રમુખનો જ માત્ર વાંક? મારી પ્રતીતિ એ રહી છે કે વિદેશ હતા ત્યારે પણ સિતાંશુભાઈ સતત સક્રિય હતા. વસ્તુતઃ પ્રમુખ મોટે ભાગે નીતિનિર્દેશક હોય. ખરું કામ બે ઉપપ્રમુખો, કારોબારી સભ્યો, મધ્યસ્થ સમિતિ અને મંત્રીઓએ કરવાનું હોય. નિષ્ક્રિયતાનો સવાલ પૂછવો હોય, તો આ સહુને પૂછવો પડે. મને યાદ નથી કે કોઈના ય કામમાં પ્રમુખ તરીકે સિતાંશુભાઈએ દખલ કરી હોય. એનાથી ઊલટું એમણે આનંદની ઉજાણી કે ‘ઇ’ મૅગેઝિન શરૂ કર્યું હોંશથી, તો એ હોંશ જોવાના બદલે ઘણા મિત્રોએ કહ્યું કે કારોબારીની સંમતિ લેવી જોઈએ! સિતાંશુભાઈ સિવાયના મેં ઘણા પ્રમુખો જોયા છે એ શું અતિ સક્રિય હતા ?

મારી સહુ મિત્રોને વિનંતી છે કે પરિષદમાં સહુ સક્રિય બનો. બહારથી, ‘પ્રેક્ષાગાર’માંથી કિકિયારીઓ ન પાડો. શરીફાબહેન, નરેશભાઈ, પલાણસાહેબ સહુ આવો. પોતે સહુ સ્વાયત્તતામાં માને છે, તો પોતાની સંસ્થામાંથી ગુજરાત સરકારને સ્વાયત્તતા અંગે આવેદનપત્ર મોકલો.

કનુભાઈ સૂચકે બરાબર સૂચવ્યું કે ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાનો ઠેકો કેવળ પ્રકાશભાઈ જ શા માટે ઉપાડે ? અન્ય મિત્રો ઉપાડે. હર્ષદભાઈ પ્રમાણમાં યુવાન છે, આ આંદોલન સક્રિય બનાવી ભાવિ પ્રમુખ બની જ શકે. પલાણસાહેબની આગેવાનીમાં પણ હું લડવૈયા તરીકે જોડાવા તૈયાર છું.

‘૮૩માં બારમું ધોરણ પાસ કરી મેં પરિષદમાં પગ મૂકેલો, આજે હું જે કાંઈ છું, એ પરિષદને આભારી છે. મેં મારી પહેલી ચોપડી જ પરિષદના ગ્રંથપાલ સ્વ. પ્રકાશ વેગડને અર્પણ કરેલી. ‘ગ્રંથાલયધારાના પ્રચંડ હિમાયતી સૂચિપુરુષને ….’ માતૃસંસ્થાની ચિંતામાં બે શબ્દો વધુ લખાઈ ગયા હોય, તો મિત્રો માઠું ન લગાડે એવી હૃદયથી વિનંતી છે. મુનશી, ઉમાશંકર જોશી, રઘુવીર ચૌધરી, સિતાંશુભાઈની પરંપરા આપણે આગળ વધારીએ એવી આશા સાથે.

ડિસેમ્બર ૫, ૨૦૨૦.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2020; પૃ. 15

Loading

...102030...2,0902,0912,0922,093...2,1002,1102,120...

Search by

Opinion

  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved