Opinion Magazine
Number of visits: 9573578
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

છળકપટથી કરાવાતાં ધર્મપરિવર્તનથી મોટો બીજો અધર્મ નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 November 2020

મનુષ્યને માતાપિતા ને ધર્મ જન્મની સાથે જ મળે છે. એમાં સંજોગો અનુસાર પાછળથી માતાપિતા ક્યારેક બદલાય તો પણ, તેમાં સંતાનની પસંદગી કામ લાગતી નથી ને જન્મ આપનાર તો બદલાતાં જ નથી તે હકીકત છે. ધર્મનું એવું નથી. કોઈક તબક્કે કોઈ પુખ્ત વયની વ્યક્તિને લાગે કે જન્મથી મળેલો ધર્મ બદલવો છે તો તે તેમ કરી શકે છે, તો ક્યારેક લાલચ આપીને, ભયથી, છેતરીને પણ ધર્મપરિવર્તન કરાવાય છે. એનો હેતુ તો ધર્મ પ્રચારનો જ હોય છે, પણ એમાં ધર્મ સિવાય ઘણું હોય છે. ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં પણ આદિવાસી વિસ્તારોમાં વટાળ પ્રવૃત્તિ વર્ષો સુધી ચાલી ને આખી ને આખી જાતિનો ધર્મ બદલવામાં વિધર્મીઓ સફળ રહ્યા. એનું ભાન સંબંધિત સરકારોને થયું ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતું.

કેટલાક વિધર્મી શાસકોએ પણ તલવારને જોરે ધર્મ પરિવર્તનના પ્રયત્નો કરીને ભારતીય પ્રજાને કેવળ ત્રાસ જ આપ્યો છે. ભારત સ્વતંત્ર થયું તે પછી પણ એક યા બીજા કારણે ધર્મ પરિવર્તનના પ્રયત્નો થતા જ રહ્યા છે. બંધારણના અનુચ્છેદ 25 મુજબ દરેકને ઇચ્છિત ધર્મ પાળવાનો અધિકાર છે. કોઈ સ્વેચ્છાએ ધર્મ પરિવર્તન કરે ને જાણી સમજીને, શુદ્ધ બુદ્ધિથી કરે તેનો તો શો વાંધો હોય, પણ ધર્મ પરિવર્તન કોઈનાં ભોળપણનો કે કોઇની મજબૂરીનો લાભ લઈને કે લાલચ આપીને કે બળજબરીથી કરાવવામાં આવે તો તેને કાનૂની રાહે પડકારવામાં પણ ધર્મ જ છે.

એવું બન્યું છે કે કોઈ ધર્મની વ્યક્તિને વટલાવવામાં આવી હોય કે તેનો પોતાના ધર્મમાં લાવીને દુરુપયોગ કરવામાં આવ્યો હોય કે તેનો આતંકી પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરવામાં આવ્યો હોય કે પોતાના ધર્મની વસતિ વધારવાનો બદઈરાદો એ ધર્મ પરિવર્તનનાં મૂળમાં હોય તો એવું કરનાર કોઈ પણ વ્યક્તિ કે સમૂહનો કાનૂની રાહે વિરોધ થવો જ જોઈએ અને એ પ્રવૃત્તિ બીજું કૈં પણ હોય, પણ ધર્મ નથી તે સ્વયં સ્પષ્ટ છે.

ઉત્તર પ્રદેશમાં કે મધ્ય પ્રદેશમાં એવા કિસ્સા સામે આવ્યા છે કે કોઈ વિધર્મીએ હિન્દુ યુવતી જોડે લગ્ન કર્યાં હોય ને તે યુવતીને પોતાનો ધર્મ છોડવાની ફરજ પાડવામાં આવી હોય. આવું હિન્દુ યુવતીઓ સાથે જ થયું હોય એવું નથી, હિન્દુ યુવકે વિધર્મી યુવતી જોડે લગ્ન કર્યાં હોય ને તેનો વિધર્મી સમુદાયને વાંધો પડ્યો હોય એવું પણ બન્યું છે. આમાં યુવક કે યુવતી કોઈ પણ ધર્મનાં હોઈ શકે છે. એની ટકાવારીમાં બહુ મોટો ફરક ન હોય એમ બને. આમાં જ્યાં પણ સ્વેચ્છાએ ધર્મ પરિવર્તન થયું હોય ને પરિણીત યુવક કે યુવતીને તેનો વાંધો ન હોય ત્યાં તો મુશ્કેલી નથી, પણ જ્યાં મુશ્કેલીઓ સર્જાઈ છે ત્યાં, તેને “લવ જેહાદ”નું નામ આપીને કાયદા બદલવાની કે નવો કાયદો લાવવાની હિલચાલ છે. આમ તો લવ અને જેહાદ બંને અનુક્રમે અંગ્રેજી અને અરબી ભાષાના શબ્દો છે, પણ આ બંને ભાષામાં આ મુદ્દે કોઈ મુશ્કેલી સર્જાઈ હોવાનું બહાર આવ્યું નથી. હા, ભારતમાં ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, કેરળ જેવાં રાજ્યોમાં લવજેહાદને નામે હિંસક તકરારો થઈ છે. કેરળમાં 2009માં 4,500 યુવતીઓનું ધર્મ પરિવર્તન થયું હતું, તો કર્ણાટકમાં એ આંકડો 30,000નો હતો. આ બધાં સ્વૈચ્છિક ધર્મપરિવર્તન ન હતાં એ કહેવાની જરૂર નથી. એટલે ધર્મ પરિવર્તનનો મુદ્દો નવો નથી.

એવું બન્યું છે કે વિધર્મીઓએ હિન્દુ યુવતીઓને ફોસલાવીને, છેતરીને લગ્ન કર્યાં હોય. એ વળી કોઈ કાવતરાનો ભાગ હોય એવું પણ બન્યું છે. હિન્દુ યુવતીઓને પોતે વિધર્મી છે એની જાણ જ ન કરી હોય ને હિન્દુ હોવાનું નાટક કરીને એક પર બીજી પત્ની હિન્દુ કરી હોય એવું પણ નોંધાયું છે. તો, એવું પણ થયું છે કે એક વિધર્મી યુવતીએ હિન્દુ યુવક સાથે લગ્ન કર્યાં હોય ને તેણે સ્વેચ્છાએ હિન્દુ ધર્મ સ્વીકાર્યો હોય ને વિધર્મીઓને એ મંજૂર ન થતાં તેમણે કનડગત કરતાં યુવતીએ પોલીસનું રક્ષણ માંગ્યું હોય ને કોર્ટે પણ યુવતીની ઇચ્છાથી ધર્મ પરિવર્તન થયાનું લાગતાં દખલ ન કરી હોય, આવું પણ થયું છે. એ જ રીતે હિન્દુ યુવતીના કુટુંબીજનો માટે દીકરીનું વિધર્મીમાં જવું સહન ન થયું હોય ને દીકરીને પરત લાવવા સંઘર્ષ કર્યો હોય અને વાત દીકરીની ને અન્યોની હત્યા સુધી પહોંચી હોય. આની વિચિત્રતા એ છે કે જે બે વિધર્મીઓ લગ્નમાં સંડોવાયા હોય એની ઇચ્છાનું મહત્ત્વ તો સ્વીકારાયું જ ન હોય.

courtesy : Surendraji; "The Hindu", 26 November 2020

ઉત્તર પ્રદેશની સરકારે તો તાજેતરમાં જ લવજેહાદને મામલે વટહુકમ બહાર પાડ્યો છે જેમાં ગુનો સાબિત થાય તો ત્રણથી દસવર્ષની સજા અને પંદર હજારથી પચીસ હજાર સુધીનો દંડ થઈ શકે એવી જોગવાઈ છે. મધ્ય પ્રદેશમાં તો કાયદો છે જ, પણ તેમાં પણ સુધારો લાવવાની વાત છે. જોવાની ખૂબી એ છે કે આ મામલે કેન્દ્ર સરકારને પોતાનો મત આપવાનું ખાસ બન્યું નથી. આંતરધર્મી લગ્ન મુખ્યત્વે રાજય સરકારોનો મામલો જ વધુ રહ્યો છે. એક તરફ કેટલીક રાજ્ય સરકારો લવજેહાદને મામલે કડક કાયદો લાવવાની વેતરણમાં છે ને ધર્મ ચુસ્તીનો આગ્રહ રાખે છે તો ઉત્તરાખંડની સરકાર અન્ય ધર્મ કે જાતિમાં થતાં લગ્નમાં રાષ્ટ્રીય એકતા જુએ છે. રાજ્યના સમાજ કલ્યાણ વિભાગના એક અધિકારીએ 22મી નવેમ્બરે જાણકારી આપતા કહ્યું કે ઉત્તરાખંડ સરકાર બીજા ધર્મ અને જાતિમાં લગ્ન કરનારા યુગલોને 50,000ની રોકડ રકમ આપશે. જેના લગ્ન કાયદેસર રીતે રજિસ્ટર્ડ હશે એવાં યુગલોને આ રકમ પ્રોત્સાહન રૂપે અપાશે. જો કે આ મામલે પણ વિવાદ થયો છે ને એમાં સુધારો આવશે એવું લાગે છે. આપણે આંતરધર્મી લગ્નોને માન્ય કરીને ધર્મને મામલે બહુ વિશાળ દૃષ્ટિકોણ રાખ્યાનો દેખાડો કરીએ છીએ, પણ મૂળભૂત રીતે આપણે બહુ જ સંકુચિત અથવા તો ઝનૂની વિચારો ધરાવીએ છીએ. એમાં કોઈ ધર્મ બાકાત નથી. સૌથી વધારે અનુદાર આપણે ધર્મને મામલે છીએ. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ અપનાવી શકે એ ખરું, પણ વાત લગ્નની આવે છે ત્યારે વાત બદલાય છે. તેમાં પણ યુવકને તો ધર્મ બદલવાનો ખાસ આવતો નથી, પણ યુવતીનાં આંતરધર્મી લગ્નની આવે છે તો ધર્મ બદલવાની તેને ફરજ પડે છે. અહીં ધર્મ તેની કહેવાતી સઘળી વિશાળતા ગુમાવીને એક કુટુંબ પૂરતો જ સીમિત થઈ જાય છે. સર્વધર્મ સમભાવ જેવી ભ્રામક વાત ભારતમાં બીજી નથી. જે કિસ્સામાં યુવતી સ્વેચ્છાએ ધર્મ બદલવા તૈયાર હોય ત્યાં તો પ્રશ્ન નથી, પણ જ્યાં ફરજ પડે કે પાડવામાં આવે ત્યાં કેવળ અધર્મ જ બચે છે. માનવધર્મ પણ ધર્મ જ છે ને તેની સૌથી વધુ ઉપેક્ષા દરેક ધર્મીઓ કરે છે.

બનવું તો એવું જોઈએ કે પરણનાર કોઈ પણ વિધર્મી ઇચ્છે તો પોતાનો ધર્મ ન બદલે અને જે ધર્મ પાળે છે તે ચાલુ રાખે. પરણ્યા પછી ધર્મની વાત તો બાજુએ રહી, યુવતીને પૂછ્યા વગર જ તેનું નામ પણ બદલી કાઢવામાં આવે છે ને આ તો એક જ ધર્મનાં લગ્નોમાં બને છે. તે પછી પરિણીતાની અટક બદલાઈ જાય છે. જ્યાં સમાનધર્મી લગ્નોની આ સ્થિતિ છે ત્યાં વિધર્મી લગ્નોમાં ધર્મ કેટલોક સચવાય તે સમજી શકાય એવું છે. વિધર્મી લગ્નોમાં પતિ કે પત્ની ઈચ્છે તે ધર્મ પાળી શકે એટલી સમજ જો સમાજ દાખવે તો કોઈ નવા કાયદા લાવવાની કે બદલવાની જરૂર ન રહે, પણ તેવું થતું નથી. મોટે ભાગે એને પ્રતિષ્ઠાનો, અહમ્‌નો પ્રશ્ન બનાવવામાં આવે છે ને એમાં પછી સંબંધીઓ, મિત્રો ને રાજકારણીઓ જોડાય છે ને પરિણામ બે જૂથો ને ધર્મો વચ્ચેની તકરારમાં આવે છે. આ તકરાર નાની હોતી નથી. ઘણીવાર તો એ પરંપરામાં પરિણમે છે ને ધર્મને નામે થાય એટલો અધર્મ આચરવામાં આવે છે.

સાચું તો એ છે કે બે પુખ્ત વયની વ્યક્તિને લગ્ન અંગેનો નિર્ણય કરવાનો અંગત અધિકાર છે, પણ તે એટલો જાહેર થાય છે કે એમાં એ બે વ્યક્તિના અધિકારોનો સર્વનાશ ન થાય ત્યાં સુધી કોઈ જંપતું નથી. એ દુખદ હકીકત છે કે ધર્મની એક જ સમજ આપણામાં છે ને તે છે, અધર્મ !

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : લેખકની ‘આજકાલ’ નામક કટાર, “ધબકાર” દૈનિક, 27 નવેમ્બર 2020  

Loading

ટેક્સાસની તેજસ્વી ધારા:

દેવિકા રાહુલ ધ્રુવ|Diaspora - Language|26 November 2020

ઇન્ટરનેટના માધ્યમને કારણે અને કમ્પ્યુટરમાં ગુજરાતી લિપિમાં લખવાનું સુલભ થવાને લીધે, વિશ્વભરમાં ગુજરાતી ભાષાનું લેખન અને વાંચન વ્યાપક બન્યું છે, ખરું. પરંતુ એક તરફ સરેરાશ ૬૦ ઉપરની ઉંમરના લોકો ખરી ખોટી સમજને આધારે કાચી-પાકી રચનાઓ ગોઠવીને આહ અને વાહની તાળીઓ મેળવી રહ્યાં છે, અને એનું પ્રમાણ પણ વધી રહ્યું છે. તો બીજી બાજુ  યુવાનવર્ગ પોતાના વ્યવસાય અને બાળકોનાં ભવિષ્ય માટેની સુવિધાઓમાં વ્યસ્ત છે. આ સંજોગોમાં એક-બે પેઢી પછીના, અહીં જન્મેલાં ગુજરાતી બાળકોને ગુજરાતી ભાષાનું જ્ઞાન કે જાણકારી કેવી રીતે મળી શકે એવો સવાલ જરૂર થાય.

અહીં બહુ સરળતાથી ફ્રેંચ,સ્પેનિશ કે અન્ય વિદેશી ભાષાઓ શીખી શકાય છે, બાળકો શીખે પણ છે. તો પછી ગુજરાતી કેમ નહિ એવા વિચારને અમલી બનાવવાનું એક સરસ કામ અમેરિકામાં જન્મેલી, અમેરિકન શાળામાં અંગ્રેજી ભણતી બે સાવ નાની ગુજરાતી બાળાઓ (વય ૫ અને ૯!) દ્વારા થઈ રહ્યું છે, તે અંગે મેં વિગતવાર લેખ લખ્યો છે જે અહીં સાદર છે.

ગુજરાતી ભાષા તરફનો ભાવ, લગાવ અને આવી કાર્યનિષ્ઠા સાચે જ સરાહનીય છે.

— દેવિકા રાહુલ ધ્રુવ; હ્યુસ્ટન


હ્યુસ્ટન, ટેક્સાસની બે તેજસ્વી ધારાઃ સ્વરા અને આજ્ઞા મોણપરા:

“Gujarati Fun with Swara and Agna”ના નામથી શરૂ કરેલી યુટ્યુબ ચૅનલ પર ….  “નમસ્તે ઍન્ડ જય સ્વામિનારાયણ. આઇ એમ સ્વરા; આઇ એમ આજ્ઞા.”ના  મીઠા સંવાદથી ચાલુ થતો વીડિયો અમેરિકામાં ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટેનું એક આગવું અંગ બની ગયું છે. નવાઈની અને આનંદની વાત તો એ છે કે, આ યુટ્યુબ ચૅનલના સૂત્રધાર સ્વરા મોણપરા હજી તો ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે, જ્યારે આજ્ઞા KGમાં. આ બંને બહેનો હ્યુસ્ટનના મિઝોરી સિટીમાં રહે છે અને તેમણે અમેરિકામાં વસતાં ગુજરાતી બાળકોને ગુજરાતી શિખવાડવા માટે કવાયત આદરી છે. તેમના વીડિયો અંગ્રેજી ભાષામાં હોઇ અને વળી અમેરિકન શિક્ષણ પદ્ધતિને અનુસરતા હોવાથી બાળકને ગુજરાતી ભણવામાં રસ જળવાઇ રહે છે. માતા-પિતાની મદદ વિના પણ માત્ર વીડિયોના આધારે જ બાળકો ગુજરાતી મૂળાક્ષરો બોલતા, વાંચતા અને લખતા શીખી જાય છે.

જુલાઇ ૨૦૨૦ થી શરૂ કરેલી આ ચૅનલમાં અત્યાર સુધીમાં “ક”થી લઇને “ઝ” સુધીના મૂળાક્ષરોના વીડિયો આવરી લેવાયા છે. આગળના અક્ષરો માટેના વીડિયો બનાવવાનું કામ અને સાથે સાથે તેમની વેબસાઇટ www.gujaratilearner.com પણ ચાલુ જ છે. આ આખીયે વાત રસપ્રદ તો છે જ પણ ખૂબ ખૂબ મહત્ત્વની છે, પ્રશંસાને પાત્ર છે અને પ્રેરણાદાયી પણ છે. આના અનુસંધાન માટે તેના ઘરનાં વાતાવરણ અને માતા-પિતાની એક પૂર્વભૂમિકા આપવી પણ જરૂરી છે.

સ્વરા અને આજ્ઞાના પિતા એટલે કોમ્પ્યુટરમાં ગુજરાતી ટાઈપ માટે’ ‘પ્રમુખ ટાઈપ પેડ’ના સંશોધક વિશાલ મોણપરા. માતા નયનાબહેન માઈક્રોબાયોલોજીનાં અનુસ્નાતક છે અને હાલ યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં ક્લિનીકલ લેબોરેટરી સાયન્સનો અભ્યાસ કરી રહ્યાં છે.

એ વાત તો સૌને વિદિત છે જ કે, ૨૦૦૪-૨૦૦૫ના સમયગાળા સુધી નોન-યુનિકોડ ગુજરાતી ફોન્ટ ખૂબ જ પ્રચલિત હતાં. જેટલાં કંઇ પણ લખાણો હતાં તે બધા જ નોન-યુનિકોડમાં હતાં. પરંતુ તેમાં કેટલીક તકલીફો હતી. ૨૦૦૫માં હ્યુસ્ટન-સ્થિત વિશાલ મોણપરાએ “ગુજલીશ”માં લખેલા લખાણને ગુજરાતી યુનિકોડમાં ફેરવવાનો પ્રોગ્રામ બનાવ્યો. ત્યારે તેમની ઉંમર માત્ર ૨૩ વર્ષની જ હતી અને અમેરિકાની ધરતી પર પગરણ કર્યાને માંડ એક-દોઢ વર્ષ જ થયું હતું. તે સમયે તેમણે અંગ્રેજી કીબોર્ડ પર જેવું ટાઇપ કરીએ એ સાથે જ ગુજરાતીમાં ટાઇપ થાય એ માટેની યોગ્ય ટેકનોલોજી વિષે સંશોધન આદર્યું, અને ૫ જાન્યુઆરી ૨૦૦૬માં ગુજરાતી સહિતની ભારતની કુલ આઠ ભાષાઓમાં સરળતાથી ટાઇપ થઇ શકે એવું “પ્રમુખ ટાઇપ પેડ” પોતાની વેબસાઇટ પર લોકોના ઉપયોગ માટે મૂક્યું. ગુજરાતી ભાષાપ્રેમીઓએ ગુજરાતીમાં પોતાના બ્લોગ બનાવવાની શરૂઆત કરી, ત્યારે તેમના આ ‘પ્રમુખ ટાઇપ પેડે’ લોકોને ગુજરાતીમાં ટાઇપ કરવાની સરળતા કરી આપી. હાલ તો ૨૦થી વધુ ભાષાઓમાં પણ લખી શકાય છે. આમ,અંગ્રેજી  કીબોર્ડમાંથી ગુજરાતી ટાઇપિંગ, ગુજરાતી ફોન્ટ રૂપાંતર અને ગુજરાતી OCR સોફ્ટવેર એ તેમનું ગુજરાતી ભાષાના વિકાસ અને વિસ્તાર માટેનું પાયાનું યોગદાન છે.

હવે તેમણે એક નવું મોટું કામ એ આદર્યું છે કે તેમની અમેરિકામાં જન્મેલી અને અંગ્રેજીમાં ભણતી પાંચ અને નવ વર્ષની પુત્રીઓ થકી ગુજરાતી ભાષાના https://www.gujaratilearner.com/ પર વીડિયો દ્વારા કોઈ પણ ઉંમરે, કોઈપણ વ્યક્તિને ગુજરાતી શીખવી શકાય તેવું કામ ચાલુ કર્યુ છે. તેઓ કહે છે કે, “આ કાર્યનાં બીજ પાંચ વર્ષ પહેલાં વવાઇ ગયાં હતાં. આ સમયે સ્વરા ચાર વર્ષની હતી. તેનાં મમ્મી નયનાએ ખૂબ જ જહેમત ઉઠાવીને આટલી નાની ઉંમરમાં સ્વરાને કક્કો, બારાખડી અને શબ્દો વાંચતાં શીખવાડી દીધાં હતાં. આ રીતે નાનપણથી જ સ્વરાને ગુજરાતી ભાષાનો અભ્યાસ હતો અને રસ પણ વધવા માંડ્યો હતો.”

સ્વરા તેના વીડિયો ટ્યુટોરીઅલમાં કહે છે કે, “Gujarati Learner Website is dedicated for kids who want to learn how to read, write and speak Gujarati.”

બાળકોની વિવિધ રમતોની ઘણી બધી યુટયુબ ચેનલો જોતાં જોતાં સ્વરાને પોતાની પણ એક ચેનલ હોવાનું સ્વપ્ન જાગ્યું, તેમાંથી ગુજરાતી શિખવા-શિખવાડવાનો વિચાર આકાર લેવા માંડ્યો અને પછી તો તેણે એક સવારે રાત્રિનાં એક સ્વપ્નમાં જોયેલ logoની વાત કરીને નીચે મુજબ એ દોરી બતાવ્યો.

અને તેના આ ચિત્ર ઉપરથી વિશાલ મોણપરાએ નીચે મુજબના રંગીન logo નક્કી કરી, ગુજરાતી શિખવા માટેની ચેનલ તૈયાર કરી દીધી.

Final Gujarati Learner Logo

સ્વરા અને આજ્ઞાના પિતા વિશાલ મોણપરા હ્યુસ્ટનમાં આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં ચલાવાતા ગુજરાતી ભાષાના વર્ગોમાં શિક્ષક તરીકે સેવા આપતા હતા. આ દરમિયાન તેમણે બાળકોને ગુજરાતી શીખવામાં પડતી તકલીફોને ખૂબ નજીકથી જાણી હતી. મહંત સ્વામી મહારાજ જ્યારે હ્યુસ્ટન પધાર્યા, ત્યારે ૨૦૧૭માં વિશાલને ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે આશીર્વાદ પાઠવ્યા હતા. આ આશીર્વાદની ફળશ્રુતિ રૂપે વિશાલે સ્વામિનારાયણ મંદિરમાં ચાલતા ગુજરાતી વર્ગો માટે બાળકો ગુજરાતી સરળતાથી લખતાં શીખે તે માટેના પ્રોગ્રામ બનાવ્યા પરંતું તેમને હંમેશાં ‘હજુ પણ કંઇક ખૂટે છે’ તેવું લાગ્યા કરતું હતું.
વિશાલ મોણપરા વધુમાં જણાવે છે કે, “૨૦૨૦ના વર્ષમાં કોરોના મહામારી અમારા પરિવાર માટે આશીર્વાદરૂપ બની. ઘર બેઠા જ સ્કૂલ અને નોકરી હોવાને કારણે પરિવારનાં સભ્યોને સતત સાથે રહેવાનો ખૂબ જ સારો લહાવો મળ્યો. પારિવારિક વાર્તાલાપ દરમિયાન બાળકોને ગુજરાતી શીખવાડવા માટે વીડિયો બનાવવાનો વિચાર આવ્યો. કામ અઘરું હતું પરંતુ પરિવારના દરેક સભ્યે આ પડકાર ઝીલી લીધો.”
સ્વરા અને આજ્ઞા પોતે નક્કી કરેલ વીડિયો માટે ગુજરાતી શબ્દો, સ્ક્રીપ્ટ અને પાત્રો પસંદ કરે છે. વિશાલ સ્ક્રીપ્ટ અને પાત્રોને વીડિયોમાં આવરી લેવા માટેની એનિમેશનની ટેકનિક તૈયાર કરી રાખે છે. સ્વરા અને આજ્ઞા પોતપોતાના સંવાદોનું રિહર્સલ કરે છે, કે જેથી ઓછામાં ઓછા સમયમાં સારી રીતે વીડિયોનું રેકોર્ડીંગ થઇ શકે. શનિ-રવિની રજાના દિવસોમાં વીડિયો રૅકોર્ડ કરવાનો હોય ત્યારે નયનાબહેન બંનેને સમયસર તૈયાર કરી દે છે. વળી રૅકોર્ડિંગના સમયે એકદમ નીરવ શાંતિ જળવાય તે માટે નયનાબહેન પોતાનાં નિર્ધારિત કામ આગળ-પાછળ કરીને પણ વીડિયો રૅકોર્ડ કરવાની અનુકૂળતા કરી દે છે. વીડિયો રૅકોર્ડ થયા બાદ, વિશાલ તેને સ્ક્રીપ્ટ પ્રમાણે કાપકૂપ કરીને તેમાં એનિમેશન મૂકે છે અને ત્યાર બાદ યુટ્યુબ પર અપલોડ કરે છે.
ત્રણથી ચાર મિનિટના વીડિયો માટે આટલી બધી મહેનત વ્યાજબી છે? આ પ્રશ્નનો જવાબ અમેરિકામાં વસતા ગુજરાતી પરિવાર પાસે છે. અમેરિકામાં ઉછેર પામતાં બાળકો માટે ગુજરાતી શીખવું એ અતિશય કપરું છે. માતા-પિતા સમયની વ્યસ્તતાને કારણે કે ગુજરાતી લખતાં, વાંચતાં, કે બોલતાં ન આવડતું હોય તેનાં કારણે બાળકોને ગુજરાતી ભાષાનું માર્ગદર્શન આપી શકતાં નથી. વળી ગુજરાતી શીખવા માટેના જે ઓનલાઇન વીડિયો હાલમાં ઉપલબ્ધ છે, તે માત્ર ગુજરાતી ભાષામાં હોય અથવા ભારતીય શિક્ષણ પદ્ધતિ પ્રમાણે હોય, જેથી થોડા જ સમયમાં બાળકને ગુજરાતી શીખવામાંથી રસ ઊડી જાય. પરંતુ સ્વરા અને આજ્ઞાએ બનાવેલ વીડિયો અંગ્રેજી ભાષામાં હોઇ અને વળી અમેરિકન શિક્ષણ પદ્ધતિને અનુસરતા હોવાથી, બાળકને ગુજરાતી ભણવામાં રસ જળવાઇ રહે છે. બાળક પોતાનાં માતા-પિતાની મદદ વિના પણ માત્ર વીડિયોના આધારે જ ગુજરાતી વાંચતાં અને લખતાં શીખી જાય છે.

કક્કામાં બાળકોને પા-પા પગલી ભરાવીને બાળકોને ગુજરાતીમાં પુસ્તકો વાંચતા કરી દે ત્યાં સુધીના સ્વપ્નાં સ્વરા અને આજ્ઞાએ સેવેલાં છે. આ સ્વપ્નાંને સાકાર કરવા માટે વિશાલ ગુજરાતી શીખવા માટેની મોબાઇલની ઍપ પણ હાલમાં બનાવી રહેલ છે.

આજે અમેરિકામાં યુવાન વર્ગ પોતાના વ્યવસાય અને બાળકોના ભવિષ્ય માટેની સુવિધાઓમાં વ્યસ્ત છે. છતાં અહીં જન્મેલાં ગુજરાતી બાળકો બહુ સરળતાથી ફ્રેંચ, સ્પેનિશ કે અન્ય વિદેશી ભાષાઓ શીખી શકે છે, તો પછી ગુજરાતી કેમ નહિ એવા વિચારને અમલી બનાવવાનું આ એક સરસ કામ અમેરિકામાં જન્મેલી, અમેરિકન શાળામાં અંગ્રેજી ભણતી આ બે સાવ નાની બાળાઓ દ્વારા થઈ રહ્યું છે તે કેટલી મોટી વાત છે?

સ્વરા અને આજ્ઞાનું સ્વપ્ન આ www.gujaratilearner.com ચેનલ દ્વારા સાત ધોરણ સુધીનાં શિક્ષણને આવરી લેવાનું છે. તેમનાં માતાપિતા ફુલ ટાઈમ જોબ, અન્ય સાંસ્કૃતિક કામ અને પરિવારની દૈનિક જવાબદારીઓ સાથે સાથે શાંતિપૂર્વક આવાં સુંદર કામમાં સાથ અને માર્ગદર્શન આપી રહ્યાં છે જે સાચે જ ખૂબ સરાહનીય છે.

અતિ નમ્ર, મીતભાષી અને માત્ર ૩૮ વર્ષના આ યુવાન વિશાલ મોણપરા હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાના સભ્ય છે અને ગઝલો પણ લખે છે.
આ રહ્યા તેમના કેટલાંક શેરઃ

છે ડૂબવાની મજા મજધારે, સાહિલ કોને જોઇએ છે?


ફના થઇ જવું છે કેડી પર, મંઝિલ કોને જોઇએ છે?

શું સાથે લાવ્યા હતા? શું સાથે લઇ જવાના?


બે ગજ બસ છે, બ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે?

અમે તો છીએ પ્રત્યંચા, ધુરંધારી પાર્થના ગાંડિવની,


નથી કંઇ પતંગની દોર, ઢીલ કોને જોઇએ છે?

વિશાલ, તેમનાં પત્ની અને બંને પુત્રીઓને ખૂબ ખૂબ ધન્યવાદ. સાચા અર્થમાં માતૃભાષાનું જતન કરતા આ પરિવારને સલામ. સ્વરા અને આજ્ઞાને અઢળક શુભેચ્છા અને અંતરના ઊંડાણથી  આશિષ.

નવેમ્બર 23, 2020

લેખક સંપર્કઃ  ddhruva1948@yahoo.com

માહિતી અને તસ્વીર સૌજન્યઃ વિશાલ મોણપરા.
સંપર્કઃ vishal_monpara@yahoo.com

Loading

તારું જવું, હું શું કહું, કેવું હતું? કેવું હતું?

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|26 November 2020

હૈયાને દરબાર –

તારું જવું, હું શું કહું, કેવું હતું? કેવું હતું?
પાછું વળી ન આવવું કેવું હતું? કેવું હતું?

ક્ષિતિજ લગી પીછો કરી પાછી વળી ખાલી નજર
એ આંખનું બુઝાવવું કેવું હતું? કેવું હતું?

ટુકડા હજાર લાખ થઈ વીખરાઈ ગઈ’તી સાંજ એક
રાતે બધું એ સાંધવું કેવું હતું? કેવું હતું?

ઢગલો બની ઘટનાસ્થળે બેસી ગયું’તું મન પછી
ઊભું કરી સમજાવવું કેવું હતું? કેવું હતું?

આખો ય ભવ જ્યાં આથમ્યો એ પીઠનું પાછું મને
ઘુવડ સમું એ તાકવું કેવું હતું? કેવું હતું?

•   કવયિત્રી : રાધિકા પટેલ    •   સંગીતકાર-ગાયક : રવિન નાયક

વડોદરાના સરસ મજાના પેન્ટહાઉસમાં સંગીતની અંગત મહેફિલ ચાલી રહી છે. ઘર છે સંગીતકાર-ગાયક રવિન નાયકનું. રવિનભાઈ એક ગઝલ છેડે છે;

તારું જવું, હું શું કહું, કેવું હતું? કેવું હતું?
પાછું વળી ન આવવું કેવું હતું? કેવું હતું?

અમદાવાદ સ્થિત કવયિત્રી રાધિકા પટેલની આ ગઝલ રંગ જમાવી રહી હતી. જીવનમાંથી કોઈ વ્યક્તિ વિદાય લે એ ઘટના જ હૃદયદ્રાવક છે. ઘણી વાર એમ પણ બને કે વિરહની વેદના દ્વારા જ પ્રેમનો અહેસાસ થાય છે. કવયિત્રી આ ગઝલમાં કહે છે કે તારું જવું એ કેવું હતું એ મને હજુ સુધી સમજાયું નથી. આખી ઘટના જ મારે માટે રહસ્યમય છે. આગળની પંક્તિઓમાં રાધિકાબહેન મન બેસી પડ્યું એમ કહે છે. પોતે ઢગલો થઈ ગઈ એમ નથી કહેતાં. સંબંધોમાં સતત સહવાસ એ જ પ્રેમની નિશાની નથી. તમને ગમતી વ્યક્તિ પછી એ મિત્ર, સખી, સંબંધી, પ્રેમિકા કે પત્ની કોઇપણ હોય તેની હાજરીમાત્રથી મન આનંદમાં રહે છે, પરંતુ કોઈ કારણસર એ વ્યક્તિ જીવનમાંથી જાય ત્યારે ખાલીપો સર્જાય છે. ગઝલનો મિજાજ જાળવીને આ રિક્તતા રવિન નાયકના સ્વરાંકનમાં સહજ નિપજી આવી છે.

રવિન નાયક ગુજરાતી સુગમ સંગીતનું જાણીતું નામ છે. સંસ્કાર નગરી વડોદરામાં એ રહે છે પણ મૂળ નવસારી બાજુના અનાવિલ. વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયરિંગના એસોસિયેટ પ્રોફેસર. સંગીત એ પેશન હોવાથી ૧૯૭૭થી ગુજરાતી સંગીત સાથે સંકળાયેલા છે. વડોદરાના ક્લાસિક ગરબાઓ શરૂ કરવાનો યશ રવિન નાયક તથા ઉત્તમ તબલાવાદક સ્વ. વિક્રમ પાટીલને જાય છે. રવિન નાયકને ગુરુ તરીકે પરેશ ભટ્ટ જેવા સંગીતકાર મળ્યા, પરંતુ એમણે શીખવાની શરૂઆત કરી એ પછી એક જ વર્ષમાં પરેશ ભટ્ટનું અવસાન થતાં રવિનભાઈએ પરેશ-સ્મૃતિને નામે દર વર્ષે એક કાર્યક્રમ કરવાનો નિર્ધાર કર્યો. ૩૮ વર્ષથી આ સિલસિલો જારી છે, જેમાં નવોદિતથી લઈને જાણીતા કલાકારો ભાગ લે છે.

રવિન નાયક કહે છે, "પરેશ ભટ્ટને સ્મૃતિમાં કાયમ રાખવા એ ઉદ્દેશ તો હતો જ, પરંતુ મૂળ ઉદ્દેશ સુંદર ગુજરાતી કાવ્યોને સ્વરબદ્ધ કરી લોકો સુધી પહોંચાડવાનો હતો. પહેલાં બે-ચાર વર્ષ અમે પરેશભાઈનાં જ ગીતો ગાયાં, પરંતુ પછી થયું કે પરેશ ભટ્ટની ઇચ્છા મુજબ નવાં ગીતો સંગીતચાહકોને પીરસવાં એ જ મુખ્ય હેતુ હોઈ શકે. આરંભમાં તો મારી ભાષાકીય સજ્જતા ઓછી હતી. તમને ખબર છેને અનાવિલોની ભાષા કેવી હોય! સુગમ સંગીતમાં ભાષાશુદ્ધિનું સૌથી વધુ મહત્ત્વ છે. એ બાબતે પૂરો સભાન હોવાથી જે કોઈ સાહિત્યકારના સંપર્કમાં હું હતો એ બધા પાસે ભાષાશુદ્ધિના પાઠ ભણ્યો. સાહિત્યકારો શિરીષ પંચાલ, જયદેવ શુક્લ, નીતિન મહેતા સાથે રહીને ભાષાપ્રેમ વિકસ્યો અને એમની પાસેથી ઘણું શીખ્યો એટલે અત્યારે હું આટલું સ્પષ્ટ અને શુદ્ધ ગાઈ શકું છું. ભાષાશુદ્ધિ ન હોય તો ભાવનો સંદર્ભ પ્રગટે જ નહીં. કવિએ કવિતા લખતી વખતે એનો પોતાનો રંગ આપી જ દીધો હોય છે. સંગીતકારે એને સૂરથી શણગારવાની હોય છે. કવિના સ્ટ્રક્ચર પર અમે સંગીતકારો આર્કિટેક્ચરનું કામ કરીએ છીએ. કેટલીક વાર એવું બને કે કવિતા નબળી હોય પણ સંગીતકાર એને સરસ રીતે શણગારે તો એ લોકપ્રિય બને છે. પુરુષોત્તમ ઉપાધ્યાયને હું ગુરુ માનું છું. એમની પાસે હું એ શીખ્યો કે નબળું તો નહીં જ ગાવાનું, પરંતુ નબળી કવિતા ય પસંદ નહીં કરવાની. પહેલાં મેં ગરબા ક્ષેત્રે ઘણી નામના મેળવી, પરંતુ હવે સંગીત ક્ષેત્રે ઘણા પ્રયોગો કર્યા છે જેમાં ક્વોયર મ્યુઝિક જેને આપણે સમૂહગાન કહીએ છીએ, એ મને ખૂબ ગમે છે. અઘરું છે છતાં મેં કેટલાં ય ગીતો માત્ર કોરસ માટે તૈયાર કર્યાં છે. એનું આગવું સૌંદર્ય છે. જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા સાહિત્યકાર રઘુવીર ચૌધરીને નડિયાદમાં ગોવર્ધનરામ ત્રિપાઠી એવોર્ડ અપાવાનો હતો. ત્યારે મેં એમનાં બે-ત્રણ ગીતો કર્યાં હતાં. એમાંનું એક, ‘સાગર તીરે અલસ તિમિરે વિહરે એકલતા, મોજું આવે કો’ક રહીને અડકે ચરણ જતાં…!’ મેં ત્યાં ગાયું. ત્યાર પછી સાગર તીરેની હાર્મની-મેલડીનું સંયોજન કરી લગભગ પચાસ ગાયક કલાકારોને લઈને ક્વોયર સોંગ તરીકે રજૂ કર્યું. પરેશ-સ્મૃતિ ૧૯૮૩થી કરીએ છીએ. પરેશ ભટ્ટની ૧૪ જુલાઈએ આવતી પુણ્યતિથિની આસપાસ એ પ્રોગ્રામ કરીએ છીએ જેમાં દર્શકો માટે કોઈ ટિકિટ નથી હોતી કે નથી હોતા અમારી પાસે કોઈ સ્પોન્સરર. માત્ર સર્જનાત્મક સંગીત અને નવાં ગીતો લોકો સુધી પહોંચાડવાનો જ ઉપક્રમ. યુટ્યુબ પર ‘પરેશ સ્મૃતિ યાત્રા’ને નામે અમે કેટલાંક ગીતો-ભજનો મૂક્યાં છે. રમેશ પારેખ મને ખૂબ ગમતા કવિ છે. એમનાં ઘણાં ગીતો મેં કમ્પોઝ કર્યાં છે. એક ગીત ‘એક ફેરા હું નદીએ નાવા ગઈ …’ માત્ર બહેનો પાસે કોરસ સિંગિંગમાં ગવડાવ્યું હતું. બહેનોએ સુંદર રજૂ કર્યું હતું.

નવોદિત કવિઓની સરસ રચના સ્વરબદ્ધ કરવાનું હું એટલે પસંદ કરું કે નવાં ગીતો લોકો સુધી પહોંચે. કવિ મારી પહોંચમાં હોય તો સ્વરબદ્ધ કરતાં પહેલાં એમની સાથે ચર્ચા પણ કરી લઉં. અમદાવાદનાં રાધિકા પટેલની મેં એક-બે ગઝલો કમ્પોઝ કરી છે.

વૈશ્વિક મહામારીને લીધે માર્ચમાં લોકડાઉન શરૂ થયું એ પહેલાં જનતા કર્ફ્યુ હતો. લોકોને હજુ આખી ઘટના સમજાતી નહોતી, પરંતુ સમગ્ર વિશ્વમાં એક ખૌફ ઊભો થયો હતો. આ અજ્ઞાત ભયના સંદર્ભમાં રાધિકાએ એક ગઝલ મને મોકલી;

સમય આ વીતી જજો, દિશાઓ બધી છે અદિશ,
ધરી દો મને હાથ ઈશ, વલય આ વીતી જજો

પ્રસંગને અનુરૂપ હતી એટલે તરત કમ્પોઝ કરી દીધી. પછી ખબર પડી કે આ ગઝલ એમણે બે વર્ષ પહેલાં લખી હતી. પહેલી બે પંક્તિઓ જ વર્તમાન સ્થિતિને અનુરૂપ હતી. પછીની પંક્તિઓ કવિની અંગત અનુભૂતિનો નિચોડ હતો. મને મઝા એ આવી કે સમયને સંગીતમાં કઈ રીતે બતાવાય! સમય અવિરત છે, પ્રલંબ છે એ સંગીત દ્વારા બતાવવાનો કીમિયો મને હાથ લાગી ગયો એટલે મજા આવી, પરંતુ એમની અન્ય ગઝલ મને વધારે ગમે છે જેના શબ્દો છે ‘તારું જવું શું કહું…!’ સરસ અભિવ્યક્તિ છે. રાધિકા મૂળ ભાવનગરનાં. એમણે પણ મારી જેમ એન્જિનિયરિંગ કર્યું છે, પરંતુ સાહિત્યપ્રેમી હોવાથી નીવડેલી કવિતાઓ લખે છે.

‘તારું જવું…’ ગઝલ વિશે રાધિકા પટેલ કહે છે, "આ ગઝલમાં સ્વાભાવિકપણે વિરહભાવ વ્યક્ત થયો છે. એકાદ ઘટના ક્યારેક મન પર ઊંડા ઘા મૂકી જાય છે ત્યારે કવિને કાવ્ય કે ગઝલ સ્ફૂરે છે. આ ગઝલ લખ્યા પછી ય લાગણી અધૂરી લાગતાં મેં એના અનુસંધાનમાં બીજી એક ગઝલ ‘ગમન’ લખી તેમ જ એક અછાંદસ ‘અંતિમ ઈંટ’ લખ્યું હતું. મને ગીતો અને ગદ્યની વધારે ફાવટ છે. ગઝલમાં મીટર સાચવીને સચોટ અભિવ્યક્તિ કરવી અઘરી લાગે, પરંતુ લખાય ત્યારે છંદમાં લખાય છે.

રાધિકા પટેલ નવેક વર્ષથી લખે છે. એમની નવલકથા તથા લઘુનવલ પણ પ્રકાશિત થઈ ચૂક્યાં છે. રવિન નાયકે દેશ-વિદેશમાં કાર્યક્રમો કર્યા છે તેમ જ એવોર્ડ્સ પણ મેળવેલા છે. એમના કોરસગાનમાં ક્યાંક રવીન્દ્ર સંગીતની છાંટ જોવા મળે છે.

મુંબઈના શ્રોતાઓને મહદંશે મુંબઈના કલાકારોને જ સાંભળવાની તક મળે છે, પરંતુ ગુજરાતના અનેક કલાકારો સુગમ સંગીતને પોતપોતાની આગવી રીતે રજૂ કરી રહ્યા છે. સુગમ સંગીત સંમેલનો થાય તો ઘણી નવી રચનાઓ લોકહૃદય સુધી પહોંચી શકે. હવે આ મહામારી જાય તો કલાકારોની સર્જનશક્તિ ફરીથી ખીલે અને માનવંતા શ્રોતાઓને પ્રત્યક્ષ મળવાનો અવસર આવે. ત્યાં સુધી ઈન્ટરનેટના માધ્યમથી ગુજરાતી ગીતો માણતાં રહેજો.

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 26 નવેમ્બર 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=660106

Loading

...102030...2,0762,0772,0782,079...2,0902,1002,110...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved