Opinion Magazine
Number of visits: 9573435
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ફરી ન આવીશ:

મૂકેશ પરીખ|Opinion - Opinion|28 December 2020

ફરી ન આવીશ:

હે ૨૦૨૦, તું રહમ કર,
જરાક તો તું શરમ કર.
હજી કેટલાં જુલમ કરીશ?
ખબરદાર જો પાછો ફરીશ!

———————————

માનવજાતિના હાલ:

કેટલાયને તેં બિમાર કર્યા,
હજારોને તેં બેકાર કર્યા,
બેશરમીની હદ કરી તેં,
લાખોને નિરાધાર કર્યા!
હે ૨૦૨૦, તું રહમ કર!

એકવાર જઈને જોઈ લે,
નાનાં ભૂલકાંઓ સંગ રોઈ લે.
વૃદ્ધાશ્રમમાં નજર કરી છે?
લાચારીએ માઝા મૂકી છે.
હે ૨૦૨૦, તું રહમ કર!

———————————

ભણતરના હાલ:

વિદ્યાલયોને તાળા લગાવ્યા,
વિદ્યાર્થીઓને દી’રાત રડાવ્યા,
શિક્ષકો પણ કરગરી રહ્યાં,
શાને સહુનાં વરસ બગાડ્યાં?
હે ૨૦૨૦, તું રહમ કર!

———————————

રોજગારના હાલ:

કાર્યાલયો સાવ ભેંકાર છે,
કારીગરો પણ બેકાર છે,
સ્થગિત કરી નાંખ્યું જનજીવન તેં,
સહુ પરિવારો લાચાર છે.
હે ૨૦૨૦, તું રહમ કર!

———————————

ઋગ્ણાલયોના હાલ:

ખાટલાઓની તાણ છે,
દવાઓની ય મોંકાણ છે,
તબીબોની તો વાત ન પૂછો,
બુકાની (માસ્ક) પાછળ ભગવાન છે!
હે ૨૦૨૦, તું રહમ કર!

———————————

ધર્મસ્થાનોના હાલ:

મંદિરોની દશા ખરાબ છે,
દેવાલયે પાદરી ઉદાસ છે,
મસ્જિદોની તો વાત ન પૂછો,
ખુદાના બંદા નાસીપાસ છે.
હે ૨૦૨૦, તું રહમ કર!

——————————-

સામાજિક સ્થાનોના હાલ:

રેસ્ટોરન્ટમાં પાંખી હાજરી,
મયખાને ય હડતાળ છે,
ઘરખૂણે જ બેઠા છે ‘મૂકેશ’
ઘરઘરમા આવા હાલ છે.
હે ૨૦૨૦, તું રહમ કર!

——————————

ડિસેમ્બર ૪, ૨૦૨૦

e.mail : mparikh@usa.com

Loading

કેપિટાલિઝમ, કોરોનાવાઇરસ, ક્લાઇમેટ ચેન્જના સમીકરણમાંથી શેનો છેદ ઉડાડી સુખી થવાશે?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|27 December 2020

યુવલ નોઆ હરારીની સલાહ માનીને શ્વાસ પર ધ્યાન આપવાનું રાખીએ તો કદાચ સાચી સમજ મળશે, જાણીએ શા માટે.

ઇઝરાયલી લેખક યુવલ નોઆ હરારીનું પુસ્તક છે, ’21 લેસન્સ ફોર 21st સેન્ચ્યુરી’. આ પુસ્તકમાં બધા જ પ્રકારની સમસ્યાઓ, વિખવાદો, વિવાદોની વાતો કર્યા પછી, યુવલ અંતે એક જ સલાહ આપે છે કે ધ્યાન ધરો, મેડિટેશન કરો. તાજેતરમાં તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને મળેલી સૌથી સારી સલાહ હતી, ‘શ્વાસ પર ધ્યાન આપો’, (યુવલની આ વાતનું અનુસંધાન અંતે જડશે). 2020નું વર્ષ બસ પૂરું થયું જ સમજો. આપણે બનાવેલા પ્લાન્સ કોરાણે મુકાઇ ગયા અને રડતાં, કકળતાં, કંટાળતાં, ગભરાતાં, ચિંતા કરતાં આખું વર્ષ આપણે ઘરનાં કપડાંમાં, લૅપટૉપ્સ સામે અને ઝૂમ કૉલ્સ પર જીવી ગયાં. હજી કશું પણ રાતોરાત બદલાવાનું નથી એ હકીકતથી આપણે વાકેફ છીએ. આ વર્ષે જે શીખવ્યું હશે એ ખરું પણ બહુ લોકોએ એમ કહ્યું કે તેઓ જાત સાથે જોડાયા (એ વાત અલગ છે કે આવું પાછું એમણે સોશ્યલ મીડિયા પર આખા ગામને કહ્યું) તેમને આત્મમંથન કરવાનો સમય મળ્યો. હા એવું થયું જ હશે, થવું જોઇએ અને ખાસ એક વાત તો લોકોએ એમ કહી કે ‘ઓછામાં ચાલે છે, થોડી વસ્તુઓ સાથે પણ જીવી શકાય છે.’ આ એક વાક્ય પર ઊંડો વિચાર કરવો જરૂરી છે.

કોરોના વાઇરસે આખી દુનિયાને સૂમસામ કરી દીધી પછી અર્થતંત્રના કાંગરા ખર્યા અને એવા ખર્યા કે તેમાંથી કળ વળતાં બીજાં પાંચ વર્ષ થઇ જશે. ભલે દેશ-વિદેશની સરકારો આંકડા ફેંકે કે બધું બરાબર છે પણ સત્ય શબ્દોની સંવેદનામાં હોય છે. રાષ્ટ્રો ઇચ્છે છે કે લોકો કામે પાછાં વળગે, ઘણી જગ્યાએ બધું લગભગ હતું એવું થઇ ગયું છે. લોકો કમાવાની ઘટમાળમાં જોતરાવાં માંડ્યાં છે, જો કે વાઇરસનું જોખમ તો ગમે ત્યારે અવાજ મોટો કરીને પોતાનો હાઉ તો યથાવત્ રાખે જ છે. આ બધી વાર્તા કરવા પાછળ જે મૂળ મુદ્દો છે એ છે કેપિટાલિઝમ એટલે કે મૂડીવાદ. વાઇરસને કારણે ખડા થયેલાં સંજોગો મૂડીવાદને પડકારી રહ્યાં છે, લોકોએ વસ્તુઓ વગર ચલાવી લેતા શીખી લીધું છે.

જો કે કશું ધરમૂળથી બદલાયું નથી પણ વાઇરસે આપણી જે હાલત કરી છે એ જોતાં આપણે મૂડીવાદમાંથી પર્યાવરણવાદ તરફ વળવુ જોઇએ ખરું? ગાંધીજી સ્વદેશીની વાત કરતા અને કહેતા કે તમે જ્યાં હો તે વિસ્તારના ૧૦૦ મિટરમાં જે મળતું હોય તેનાથી ચલાવવાનું, જેથી આસપાસનાંને રોજી મળે અને સ્થાનિક અર્થતંત્ર મજબૂત થાય. દુનિયાને તાળાં લાગ્યાં ત્યારે ડાહપણ આપણે મને-કમને જીવવું પડ્યું, ઘણી ચીજો વગર પણ ચલાવવું પડ્યું પણ કોરોના વાઇરસ પછીની દુનિયામાં આપણે આપણી સવલતો જતી કરવા તૈયાર છીએ ખરાં? જે લોકો સાદગીની વાત કરે છે એ ખરેખર એમાં જીવે છે ખરા? વાઇરસ કાળ દરમિયાન એવા પોલ્સ થયા જેમાં એવું કહેનારા લોકો હતા કે તેઓ ‘નોર્મલ’ તરફ જવા નથી માગતા – તેમને ઓછો ટ્રાફિક, ચોખ્ખી હવા, વર્ક ફ્રોમ હોમ માફક આવે છે, પણ આ પોલ્સનું સત્ય કેટલું નક્કર? મૂડીવાદે આપણને જે સવલતો આપી છે, ઓછા પૈસામાં ઘણું અને 99/-  થી 999/-નું જે બજાર કોટે વળગાડ્યું છે એ આપણને માફક આવી ગયું છે. આ સરળતાએ પર્યાવરણની હાલત બગાડી છે.

આ એવું વિષ ચક્ર છે જે આપણને સમજાય તો છે પણ સ્વીકારવાનું ગમતું નથી કારણ કે બીજાની સાદગીને વખાણનારા આપણે આપણી સવલતો જતી કરવામાં માનતા નથી. આવા સંજોગોમાં મૂડીવાદને કોઇ થોભ નથી, બિલકુલ એ જ રીતે જે રીતે લોભને કોઇ થોભ નથી હોતો. પહેલી સમસ્યા તો એ છે કે, સમસ્યા છે એનો સ્વીકાર. આપણે જાત સાથે પ્રામાણિક થવાની જરૂર છે, મૂડીવાદની ચકાચોંધ પાછળ કથળી ગયેલું પર્યાવરણ છે, સસ્તી સવલતોના ઉત્સાહમાં નકામું ઠાલવી રહેલા આપણે પણ અટકતા નથી. ક્લાઇમેટ ચેન્જ પણ મૂડીવાદની જ ભેટ છે પણ એ એટલી ધીમી ગતિએ થતો બદલાવ છે કે તેને ગણતરીમાં લેવાનું ય આપણને જરૂરી નથી લાગતું. દાયકાઓ પછી જે પરિવર્તન આંખ સામે હશે તેની ચિંતા આપણને અત્યારે નથી. જે લોકો સત્તા પર છે એમને માટે ‘વર્તમાન’ જ અગત્યનો છે એટલે મૂડીવાદનું પૅકેજિંગ ચાલતું રહે છે અને તંત્ર હોય કે પર્યાવરણ બધું જ અંદરથી પોકળ થતું જાય છે.

આપણે આપણી ટ્રાન્સપોર્ટ સિસ્ટમથી માંડીને ઉત્પાદન કરવાની શૈલીઓ, ખેતીની કરવાની રીતો અને પાણીનો ઉપયોગ બધું જ બદલવાની જરૂર છે. આ બદલાવ આગામી દાયકામાં આવશે તો ય આપણે ગ્લોબલ વોર્મિંગમાં કોઇ ફેરફાર કરી શકીશું એની ખાતરી નથી. આપણી પાસે હવે વેડફવવા માટે સમય નથી – કટોકટીની પળ માથે આવીને ઊભી જ છે. કમનસીબે લૂપમાં વાગતાં ગીતની માફક આપણે માણસજાત રસ્તો શોધવાની ભાંજગડ કરીશું તો ખરા પણ નફો મળતો રહેશે, જિંદગી ચાલતી રહેશે, વિચારો અને વાસ્તવિકતાનું અંતર ગ્રાન્ડ કેન્યોનની પર્વતમાળા વચ્ચે છે એવું થતું રહેશે. માત્ર પ્લાસ્ટિકના ઉપયોગ અને કારપૂલથી ક્લાઇમેટ ચેન્જ નહીં અટકે.

એ પ્રશ્ન ઉકેલવા વિશ્વમાં રાષ્ટ્રોને જરૂર છે ‘ગ્રીન લીડર્સ’ની. એવું નેતૃત્વ જેને માટે સત્તાનો સ્વાર્થ અગ્રિમતા ન હોય. શું આપણે બધું જતું કરવાનું? કશું જ અચાનક નથી થતું અને માટે ત્યાગ કરવા કરતાં તેને માટે તૈયાર રહેવું વધારે અગત્યનું છે. આપણે શું એવા નેતૃત્વની પસંદગી કરી શકીએ છીએ જેને માટે પૃથ્વી અને પર્યાવરણ પ્રાથમિકતા હોય નહીં કે મોટામસ ખર્ચાળ પ્રોજેક્ટ્સ જેમાં કોર્પોરેટ્સનું હિત સચવાવાનું હોય. લોકો પણ ડાબેરી અને જમણેરીમાંથી પસંદગી કરે છે, આપણે સમાજને રાજકારણીઓની નજરથી જોઇએ છે, જિંદગીના મેગ્નિફાયિંગ ગ્લાસને હાથમાં ઝાલવાનું યાદ નથી આવતું. માણસ જાતમાં સહિયારી જાગૃતિ આવે તો ફેર પડે, બાકી મેધા પાટકર પણ છે અને ગ્રેટા થેનબર્ગ પણ છે, તો પોતાનું કામ કર્યાં કરે છે અને આપણે આપણી મૂડીવાદી આદતોમાં રાચ્યાં કરીએ છીએ.

બાય ધી વેઃ

જેને માટે મૂડીવાદ જ સર્વોપરી ન હોય તેવો નેતા આપણે શોધી શકીએ ખરા? આપણે, માણસ જાતિ તરીકે પૃથ્વીને બચાવવા માટે માત્ર એક્શન્સમાં નહીં પણ વિચારમાં પરિવર્તન લાવી શકીએ ખરાં?  ગાંધીએ જે કહ્યું હતું કે જે બદલાવ જોવા ઇચ્છો છો તે પહેલાં બનો, એ વાક્યની ગંભીરતા સમજી શકીએ ખરાં? ગમે કે ન ગમે, વાસ્તવિકતા એ છે કે મૂડીવાદની સહુલિયત અને સવલતો જતી કરીશું તો જ કદાચ એક સ્થિર અને સ્વસ્થ વાતાવરણ – પર્યાવરણ – ક્લાઇમેટ આપણને મળી શકશે. કોરોના વાઇરસ, ક્લાઇમેટ ચેન્જ અને કેપિટાલિઝમની ત્રિરાશી કેવી રીતે માંડીશું તો બહેતર જિંદગી બની શકશે તેની પર વિચાર કરવો રહ્યો. યુવલ નોઆ હરારીની સલાહ માનીને શ્વાસ પર ધ્યાન આપવાનું રાખીએ તો સાચી સમજ મળશે કારણ કે તો જરા થોભીશું, વિચારીશું, ખમ્મા કરીશું. બાકી તો આ રેસ છે જેમાં જોતરાયેલી જિંદગીઓ માસ્ક પહેરીને અર્ધ મૂર્છિત હાલતમાં જીવાઇને મરી જશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 27 ડિસેમ્બર 2020

Loading

સત્યનો સ્વીકાર કરવામાં જ સાચો દેશપ્રેમ અને સાચો રાષ્ટૃવાદ !

રમેશ ઓઝા|Opinion - Opinion|27 December 2020

ગાંધીજીનું ૧૯૧૫માં ભારતમાં આગમન થયું અને માત્ર ચાર જ વર્ષમાં, ૧૯૧૯-૧૯૨૦માં અપવાદ વિના ભારતના પ્રત્યેક નેતાને નિર્ણય લેવાનો વારો આવ્યો કે આ માણસનું કરવું શું? એમની સાથે જવું? એમનો વિરોધ કરવો? એમનાથી જુદા પડીને પોતાને રસ્તે ચાલવું કે પછી રાજકારણને રામરામ કરવા? વિકલ્પ આ ચાર જ હતા, પાંચમો કોઈ વિકલ્પ નહોતો. ભારતના દરેકે દરેક નેતાએ ચાર વિકલ્પમાંથી એક વિકલ્પ પસંદ કરવો પડે એમ હતો. ભારતીય રાજકારણમાં આવું આ પહેલાં ક્યારે ય નહોતું બન્યું.

કનૈયાલાલ મુનશીએ તેમની આત્મકથામાં અને ‘આય ફૉલો ધ મહાત્મા’ નામના અંગ્રેજી પુસ્તકમાં એક પ્રસંગ નોંધ્યો છે. એની બેસન્ટે ૧૯૧૬માં ‘ઑલ ઇન્ડિયા હોમ રુલ લીગ’ નામના પક્ષની સ્થાપના કરી હતી. એ જમાનામાં કૉંગ્રેસની સમાંતરે અને કૉંગ્રેસ અંતર્ગત રાજકીય પક્ષો સ્થપાતા હતા અને વિલીન થતા હતા. ‘ઑલ ઇન્ડિયા હોમ રુલ લીગ’ આવો એક પક્ષ હતો જેમાં એની બેસન્ટ અને તેમની ધરપકડ કરવામાં આવી એ પછી મહમદઅલી ઝીણા સર્વેસર્વા હતાં. ટૂંકમાં લીગનું નેતૃત્વ વિનીતોના હાથમાં હતું. એ દરમિયાન ગાંધીજીએ સતત ભારતભ્રમણ કર્યું, બનારસનું ભાષણ થયું, ચંપારણનો સત્યાગ્રહ થયો, ખેડાનો સત્યાગ્રહ થયો, અમદાવાદમાં મિલ કામદારોની હડતાળનું ગાંધીજીએ નેતૃત્વ કર્યું (જેમાં સારાભાઈ પરિવારનાં ભાઈ-બહેન સામસામે આવી ગયાં), સત્યાગ્રહ આશ્રમની સ્થાપના થઈ, ભારતની પ્રજાને ગાંધીજીની નિર્ભયતા તેમ જ નિર્વૈરતાનો પરિચય થયો અને ૧૯૧૯ના ડિસેમ્બરમાં કૉંગ્રેસના અમૃતસર અધિવેશનમાં ગાંધીજીએ ભાષણ કરીને ઠરાવ ઊલટાવ્યો હતો, એમ ઘણું બધું બન્યું હતું.

કનૈયાલાલ મુનશી લખે છે કે ‘ઑલ ઇન્ડિયા હોમ રુલ લીગ’નું નેતૃત્વ ગાંધીજીને સોંપવું જોઈએ એવું દબાણ નીચેથી કાર્યકર્તાઓ તરફથી આવવા લાગ્યું અને તેને ખાળવાની શક્તિ ઝીણા સહિત કોઈનામાં નહોતી. આ સિવાય લીગની હવે કોઈ ખાસ પ્રાસંગિકતા જ બચી નહોતી. ગાંધીજી પાસે લીગનું નેતૃત્વ સ્વીકારવાની વિનંતી લઈને જે નેતાઓ ગયા એમાં કનૈયાલાલ મુનશી પણ હતા. મદ માટે જાણીતા મહમદઅલી ઝીણા દેખીતી રીતે વિનંતી લઈને જનારાઓમાં નહોતા, પરંતુ તેમણે પણ સંમતિ આપવી પડી હતી. મુનશી લખે છે કે ગાંધીજીએ લીગનું નેતૃત્વ કરવાની તેમની વિનંતી માન્ય રાખીને લીગની કાયાપલટ કરવાની જે રૂપરેખા રજૂ કરી એ જોઇને સમજાઈ ગયું કે આ પ્રેમ અને કરુણાની મૂર્તિ શક્તિનો ધોધ છે, અને એનાથી તણાયા વિના ટકી રહેવું અશક્ય છે. મારી પાસે બે જ વિકલ્પ હતા; કાં પ્રવાહમાં પ્રવાહપતિત બનવું અને કાં વકીલાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું. મેં બીજો રસ્તો અપનાવ્યો. પ્રવાહની તાકાત સામે ટકી રહેવું આસાન નહોતું.

મુનશીએ આવો નિર્ણય લીધો એમાં અમૃતસરની ઘટનાએ પણ ભાગ ભજવ્યો હતો જેનો અછડતો ઉલ્લેખ આગળ કરવામાં આવ્યો છે. જલિયાંવાલા બાગની ઘટના પછી અમૃતસરમાં મોતીલાલ નેહરુની અધ્યક્ષતામાં કૉંગ્રેસનું અધિવેશન મળ્યું હતું. એ અધિવેશનમાં એક ઠરાવ ચર્ચા માટે રજૂ કરવામાં આવ્યો હતો જેમાં બર્બર હિંસા કરીને પ્રજાનું દમન કરવા માટે સરકારની તો નિંદા કરવામાં આવી હતી, પરંતુ દેખાવો કરતી વખતે સંયમ નહીં જાળવવા માટે લોકોની પણ નિંદા કરવામાં આવી હતી. એ ઠરાવ પરની ચર્ચામાં એક વક્તાએ સુધારો સૂચવ્યો કે ઠરાવમાં ભારતીય પ્રજાની નિંદા કરવામાં આવી છે એ હિસ્સો હટાવી દેવો જોઈએ. એ પ્રભાવી વક્તાના એક વાક્યે શ્રોતાઓ ઉપર જાદુઈ અસર કરી હતી. તેણે કહ્યું હતું કે જે માણસે ભારતીય માતાનું દૂધ પીધું હોય એ ભારતમાતાના સંતાનની નિંદા કરી જ ન શકે. એ ઉદ્ગાર પછી મૂળ ઠરાવમાંનો ભારતીય પ્રજાની સંયમ નહીં જાળવવા માટેની નિંદાનો હિસ્સો ઉડાવી દેવાનો સુધારો મંજૂર રાખવામાં આવ્યો. સભામંડપમાં રાષ્ટ્રવાદનું જાણે કે તુફાન આવ્યું હતું.

બીજા દિવસની બેઠકમાં પ્રમુખ મોતીલાલ નેહરુએ કહ્યું કે ગઈકાલના ઠરાવ વિષે ગાંધીજી કાંઈક કહેવા માગે છે. ગાંધીજીની તબિયત સારી નહોતી એટલે બેસીને બોલ્યા. તેમણે કહ્યું કે તેઓ ગઈ આખી રાત સૂઈ નહોતા શક્યા. એક તો એ કે ભારતીય માનું દૂધ પીધેલો કોઈ ભારતીય ભારતીય પ્રજાની નિંદા કરતું કથન લખી જ ન શકે, એમ કહીને ગઈકાલના વક્તાએ એની બેસન્ટને અન્યાય કર્યો છે. ઘણા લોકોએ એમ માની લીધું હશે કે ઠરાવનો મુસદ્દો મિસીસ બેસન્ટે ઘડ્યો હોવો જોઈએ, કારણ કે તેઓ ભારતીય નથી વિદેશી છે. આ મિસીસ બેસન્ટનું અપમાન છે. રાતે સૂઈ નહીં શકવાનું બીજું કારણ એ કે શું ભારતીય માતાનું દૂધ પીધેલો પુત્ર ભારતમાતાના સંતાનોએ કરેલી ભૂલની નિંદા કરી જ ન શકે? એ પછી ગાંધીજીએ કહ્યું કે મને તો એમ લાગે છે કે જેણે ભારતીય માતાનું ધાવણ ધાવ્યું હોય એ જ પોતાની અને પોતાનાઓની નિંદા કરી શકે. સાચી બહાદુરી સત્યનો અસ્વીકાર કરવામાં નથી, સ્વીકાર કરવામાં છે. સાચો દેશપ્રેમ અને સાચો રાષ્ટ્રવાદ આમાં રહેલો છે. આ મુસદ્દો મેં ઘડ્યો, કારણ કે મેં ભારતીય માતાનું દૂધ પીધું છે અને મારી અરજ છે કે આપણી પોતાની નિંદા સહિતનો ઠરાવ પસાર કરવામાં આવે.

કહેવાની જરૂર નથી કે મૂળ ઠરાવ એના એ સ્વરૂપમાં પસાર થઈ ગયો હતો. મુનશી તેમનાં પુસ્તક Pilgrimage to Freedom’ લખે છે; “For a best part of an hour, he kept us spell-bound. The magic influence of his words and his presence swept us off our feet. When he stopped, we were at his feet.”

કનૈયાલાલ મુનશીને બે સમસ્યા હતી. એક તો તેમની જીવનશૈલી એવી હતી કે તેમને પ્રજાની વચ્ચે જીવવાનું, રગદોળાવાનું અને સંઘર્ષ કરીને જેલમાં જવાનું ગાંધીપ્રણિત નવું રાજકારણ માફક આવે એમ નહોતું. હવે એ દિવસો ગયા જેમાં અંગ્રેજીમાં બોલનારા, સુવિધાયુક્ત જિંદગી જીવનારા, નાતાલના વેકેશનમાં કૉંગ્રેસના અધિવેશનો બોલાવનારા અને તેમાં ઠરાવો કરનારા વિનીત વકીલોની બોલબાલા હતી. હવે તો ચોવીસે કલાક અને બારે માસ આમ આદમીની વચ્ચે રહીને આમ આદમીની ભાષામાં રાજકારણ કરવું પડે એમ હતું. મુનશી, ઝીણા અને એમના જેવા બીજા અનેક લોકો હતા જેમણે જાહેરજીવનમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી અને અદાલતમાં પાછા જતા રહ્યા હતા. ઝીણા લંડનમાં વકીલાત કરતા હતા અને ૧૬ વરસ પછી ભારત પાછા ફર્યા હતા અને એ પણ ત્યારે જ્યારે મુસ્લિમ બનીને રાજકારણ કરવાની અનુકૂળતા નજરે પડી હતી.  

કનૈયાલાલ મુનશીને બીજી સમસ્યા એ નડતી હતી કે તેઓ હિંદુ ઐશ્વર્યજન્ય ભારતીય રાષ્ટ્રવાદ માટે આકર્ષણ ધરાવતા હતા અને તેનો રોમાંચ હતો, પણ સામે ગાંધીનો રાષ્ટ્રવાદ સત્યનિષ્ઠ હતો. ભારતીય (કે હિંદુ) માનું ધાવણ ધાવેલા ઐશ્વર્યવાન હિંદુની સ્વપ્નરંજકતા ગાંધીજીના સત્યનિષ્ઠ નરવા રાષ્ટ્રવાદ સામે અથડાતી હતી. મુનશી અને તેમના જેવા બીજા અનેક લોકો હતા જેઓ ઐશ્વર્યની સ્વપ્નરંજકતા છોડી નહોતા શકતા, તેમને માટે ગાંધીજીને છોડવા સિવાય બીજો કોઈ માર્ગ નહોતો રહ્યો. જો કે હકીકત એ પણ છે કે કેટલાક હિંદુ ઐશ્વર્યજન્ય સ્વપ્નરંજક રાષ્ટ્રવાદીઓમાંથી જે લોકો સાદગી અને સંઘર્ષમય જીવન અપનાવી શકતા હતા એ લોકો ગાંધીજી પાસે આવી ગયા હતા. ગાંધીજીથી દૂર રહીને જાહેરજીવન અશક્ય નહીં તો અઘરું તો  હતું જ. હું અહીં એમ નહીં કહું કે એ બધા ઢોંગી હતા, પરંતુ વિસંગતિ તો હતી જેણે ગાંધીજીને પરાજીત કરવામાં ફાળો આપ્યો હતો.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 27 ડિસેમ્બર 2020

Loading

...102030...2,0442,0452,0462,047...2,0502,0602,070...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved