Opinion Magazine
Number of visits: 9747274
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિક્ષણની હાલત ન સુધરે એને માટે આખું ગુજરાત તનતોડ મહેનત કરે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|2 April 2021

બાળક 6 વર્ષનું ન હોય તો એક જમાનામાં તેને પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાતો ન હતો, ત્યારે ખાનગી સ્કૂલોનો વાવર ન હતો ને કે.જી., નર્સરીનો પવન પણ ફૂંકાયો ન હતો. એ પહેલાં બાલમંદિરનો થોડો ઉઘાડ થયેલો. છોકરું ઘરમાં પજવે તેના કરતાં બાલમંદિરનું માથું ખાય એ માતાને ઠીક લાગતું એટલે બાળકની ત્યાં પધરામણી થતી, ત્યાં પણ બાળક રમે તે કરતાં ભણાવી દેવાની ઉતાવળ તો હતી જ. એ પછી કે.જી., નર્સરી શરૂ થયું, એનો હેતુ પણ બાળકના નૈસર્ગિક વિકાસનો જ હતો, પણ પોતાનું બાળક એ.બી.સી.ડી. બોલતું થઈ જાય ને મહેમાનો સામે વટ પડે એવી માબાપને ઇચ્છા રહેતી ને મા ફરિયાદ કરતી કે વરસ થવા આવ્યું, પણ છોકરું, એપલ ખાવા છતાં, એ ફોર એપલ, બોલતું નથી. એટલે સ્કૂલોને પણ ચાનક ચડી, છોકરાંઓને અંગ્રેજ બનાવી દેવાની ને એમ ફી વધતી ગઈ ને પછી તો ધંધો ધમધોકાર ચાલવા લાગ્યો. એમાં થયું એવું કે ખાનગી સ્કૂલોનો રાફડો ફાટયો ને સરકારી સ્કૂલો ઘટતી ગઈ. બાળકનો વિકાસ નાની ઉંમરે થાય એ સાચું, પણ તેને ભણાવીને બોચિયું કરી દેવાનું તો કોઈ પણ શિક્ષણ વ્યવસ્થામાં નથી. સારું છે કે માતા નર્સરીમાં જ બાળકને જન્મ નથી આપતી, નહિતર જન્મતાંની સાથે જ બાળક એ.બી.સી.ડી. બોલતું થઈ જાય. આવા પ્રકારના ઉતાવળિયા બાળશિક્ષણથી, આગળ જતાં બાળકને કોઈ લાભ થયાનું બહાર આવ્યું નથી, કારણ ડફોળ હોવાનું તો ઉંમર વધતાં જ ખબર પડે છે.

સાચું તો એ છે કે આપણે શિક્ષણ બાબતે સભાન જ નથી.

આપણે એ.સી., પંખા, તગડી ફી, માબાપનું સ્ટેટસ વગેરેને જ શિક્ષણ માની લીધું. એમાં બાળક ગૌણ થઈ ગયું. તે તો જાણે કાર કે રિક્ષામાં આવનજાવન કરતું દફ્તર જ થઈ ગયું. સરકારો ઘણી આવી ને તેણે પણ જોયું કે ખાનગી સ્કૂલોને લાઇસન્સ આપી દેવામાં જ “મળતર” છે ને એને પગલે કોઈ પણ પૈસાદાર હાલીમવાલીને સ્કૂલ ખોલવાની છૂટ આપી દેવાઈ. આ રીતે સ્કૂલો ખોલનારાને અડ્ડો ચલાવવો કે સ્કૂલ ચલાવવી, એ બેમાં બહુ ફરક ન હતો. સરકારે ખાનગી સ્કૂલોને સંચાલકોના રૂપમાં ઘણા સરમુખત્યારો પૂરા પાડ્યા છે ને એમણે નબળા આચાર્યો, નબળા શિક્ષકો ને તગડા વાલીઓને સાથે રાખીને શિક્ષણની પથારી ફેરવી દીધી છે. વાલીઓને સારી સ્કૂલને નામે વર્ષો સુધી સંચાલકોએ બેવકૂફ બનાવીને લૂંટયા જ છે. વાલીઓને પણ ખરા ખોટા ધંધા કરીને ફી ચૂકવવા સિવાય સંતાનનાં શિક્ષણ સંદર્ભે ભાગ્યે જ બીજું કૈં સૂઝ્યું છે. કોરોનામાં પણ એમને તો એક જ રસ રહ્યો છે. સ્કૂલો બંધ હોય તો ફી ન લેવાય ને ચાલુ હોય તો ફીમાં ઘટાડો થાય. એટલું થાય તો વાલીઓને ફરજ પૂરી થઈ ગયાનું લાગે છે. એની સામે સરકારી સ્કૂલો સુધરી રહી છે, પણ વાલીઓને શિક્ષણ કરતાં સંપત્તિ લૂંટાવવાનો રસ વધારે છે એટલે સરકારી સ્કૂલોને એ અસ્પૃશ્ય ગણે એમાં નવાઈ નથી.

એનો અર્થ એવો નથી કે બધી સરકારી સ્કૂલો ઉત્તમ છે ને બધી ખાનગી સ્કૂલો નબળી જ છે. એવું નથી. એવું હોત તો જે કૈં આશા હજી શિક્ષણ માટે છે એ દીવો ક્યારનો હોલવાઈ ગયો હોત. આ સંજોગોમાં પણ થોડા સાચા ને ઉત્તમ શિક્ષકો ને વિદ્યાર્થીઓ આવ્યા જ છે તે ભૂલવા જેવું નથી.

ત્રીસ માર્ચને રોજ શિક્ષણ મંત્રીએ એવી જાહેરાત કરી કે અમદાવાદ અને ગાંધીનગર સહિતના 6 જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં લાયકાત અને તાલીમ વિનાના 4,510 શિક્ષકો છે, એમાંથી એકલા અમદાવાદમાં જ 2,967 છે. આ તો શિક્ષણ મંત્રીનો આંકડો છે, એ ઉપરાંત લાયકાત વિનાના બીજા શિક્ષકો ન જ હોય એમ માનવાને કોઈ કારણ નથી. RTE 2009થી અમલમાં આવ્યું. એ પહેલાં 1થી 7 માટે પી.ટી.સી.ની લાયકાત જરૂરી હતી. RTE પછી 1થી 5 માટે પી.ટી.સી. સમકક્ષ અને 6થી 8 માટે સ્નાતક કક્ષાના તાલીમી શિક્ષકનો આગ્રહ રખાયો. શિક્ષણ મંત્રીનું કહેવું છે કે તાલીમી શિક્ષકો ન મળતાં લાયકાત વગરના શિક્ષકોની નિમણૂક કરવામાં આવી. અહીં પ્રશ્ન એ થાય કે ઢગલો તાલીમી અને લાયકાતવાળા શિક્ષકો બેકાર બેઠા હોય ત્યારે લાયકાત વગરના શિક્ષકોની નિમણૂક કોણે અને કેમ કરી? એ તો દેખીતું છે કે લાયકાત વગરના શિક્ષકો એમને એમ તો સ્કૂલોમાં નહીં ભરાઈ નહીં હોય! એમની નિમણૂક કરનારાઓ લાયકાતવાળા હતા કે એ પણ એવા જ લેભાગુ હતા? કયો લાભ ખાટવા એ લોકોએ આવા શિક્ષકોની નિમણૂક કરી? શિક્ષણ મંત્રી નિખાલસતાથી લાયકાત વગરના શિક્ષકોની જાહેરાત કરે ત્યારે ગમે, પણ એવી નિખાલસતાથી સમસ્યા ઉકલતી ન હોય તો એનો કશો અર્થ નથી. શિક્ષણ મંત્રી પૂરી કડકાઈથી એવી ખોટી નિમણૂક આપનાર અધિકારીઓ પર શિક્ષાત્મક કાર્યવાહી કરે તો જ એ નિખાલસતા લેખે લાગે.

શિક્ષણ મંત્રીએ 25 માર્ચે એવી જાહેરાત પણ કરી કે રાજ્યમાં 9,710 શિક્ષકો અને 927 અધ્યાપકોની નવી ભરતી કરવામાં આવશે. આશા રાખીએ કે આ ભરતી લાયક અને તાલીમી ઉમેદવારોથી થાય. એ જ દિવસે શિક્ષણ મંત્રીએ એમ પણ કબૂલ્યું કે રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લામાં એક જ સરકારી શાળા છે. એનો અર્થ એ થયો કે સરકારી સ્કૂલમાં ભણવું હોય તો પણ વિદ્યાર્થીઓ પાસે વિકલ્પ નથી ને તેણે ખાનગી સ્કૂલમાં જ જવું પડે. કમાલ તો એ છે કે દાયકા પહેલાં આ જ ગાંધીનગર જિલ્લામાં 10 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ હતી જ. જો હતી, તો એ બંધ કેમ થઈ? ખરેખર તો ખાનગી સ્કૂલોને અપાયેલું વધારે પડતું ઉત્તેજન અને સરકારી સ્કૂલો ન ચલાવવાની દાનત આનાં મૂળમાં છે. શિક્ષણનું ધોરણ કથળ્યું એમાં ખાનગી સ્કૂલોને અપાયેલું ઉત્તેજન જવાબદાર છે. લાયકાત ને તાલીમ વગરના શિક્ષકો ખાનગી સ્કૂલોમાં વધુ નિમણૂક પામ્યા હોવાનો સંભવ છે, કારણ જે ખાનગી સ્કૂલોએ ધંધો જ કર્યો છે તે ઓછી લાયકાતવાળા શિક્ષકો નીમે તો ઓછા પગારથી ચાલી જાય. એમાં ઓછી લાયકાતવાળા પર ઉપકાર થાય ને વધુ ફીને કારણે નફાનો માર્જિન પણ વધે. આવો લાભ કોણ છોડે?

તાજેતરમાં જ પાટણ યુનિવર્સિટીમાં એમ.બી.બી.એસ.ના ત્રણ નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરી દેવાનું બહાર આવ્યું છે. આવી રીતે ડોક્ટરો, એન્જિનિયરો, વકીલો, અધ્યાપકો બહાર પડે ને ધંધે લાગે તો આપણે કેવા ધંધે લાગી જઈએ તે કહેવાની જરૂર ખરી?

એક વાત સ્પષ્ટ છે કે આપણે શિક્ષણ જોડે ઘણી રમત કરી છે. એને ગંભીરતાથી લીધું જ નથી. એમાં ઘણા અખતરા થયા છે, કોરોના કાળમાં તો વધારે. એ પણ છે કે દરેક ક્ષેત્રમાં શિક્ષણની સાથે તાલીમ જરૂરી છે. પાઇલટ હોય ને વિમાન ચલાવતાં ન આવડે કે ડ્રાઇવિંગ લાઇસન્સ હોય ને કાર ચલાવતાં ન આવડે કે સર્જયન હોય ને સર્જરી ન આવડે તો શું થાય તે સમજી શકાય એવું છે, છતાં બોગસ સર્ટિફિકેટ પર વેપલો કરનારાઓ મળી જ રહે છે. બધે જ વત્તે ઓછે અંશે આવી ભ્રષ્ટતા વ્યાપેલી જ છે, એમાં સૌથી વધુ ભ્રષ્ટતા શિક્ષણ ક્ષેત્રે છે. તે તરફ ધ્યાન ઓછું જ ગયું છે, કારણ તેનાથી થતું નુકસાન તરત દેખાતું નથી, પણ તેની દૂરગામી અસરો ઊંડી ને વ્યાપક હોય છે. એમાં લાયકાત કે તાલીમ વગરના શિક્ષકોથી કામ લેવાય જ નહીં, પણ આપણે શિક્ષકને બહુ હળવાશથી લીધો છે. એની પાસે કારકૂની કરાવીએ છીએ, વસતિ ગણતરી કરાવીએ છીએ. એને ચૂંટણીમાં જોતરીએ છીએ ને અપેક્ષા રાખીએ છીએ કે તે ઉત્તમ શિક્ષણ આપે. તે બી.એડ.ની તાલીમ લે છે તે વસતિ ગણતરીની માહિતી ભેગી કરવા? તે પીએચ.ડી. થાય છે તે શું પ્રિસાઇડિંગ ઓફિસર બનવા? આવાં કામો શિક્ષિત બેકારોને અપાય તો તેમને કામ અને દામ મળશે ને શિક્ષક તેની ફરજ સારી રીતે બજાવી શકશે.

એક તરફ શિક્ષણ મંત્રી લાયકાત વગરના શિક્ષકોની નિમણૂક અંગે ફરિયાદ કરે છે, પણ શિક્ષણ વિભાગ જ સરખી લાયકાતવાળા શિક્ષકો વચ્ચે ભેદ કરે છે એ પણ જોવાવું જોઈએ. એક શિક્ષક પોતાની લાયકાત અને તાલીમને જોરે પૂરો પગાર મેળવે છે ને બીજો એટલી જ પાત્રતાવાળો શિક્ષક વિદ્યા સહાયક તરીકે ઓછો પગાર મેળવે છે ત્યારે લાયકાતવાળા શિક્ષકનો દુરુપયોગ થઈ રહ્યો છે એવું નહીં? ખરેખર તો શિક્ષણ વિભાગે સમાન લાયકાત અને તાલીમ ધરાવતા શિક્ષકોને સમાન તકો આપી વિદ્યા સહાયકની જગ્યાને પૂરા પગારની જગ્યામાં તબદીલ કરી દેવી જોઈએ. આવું થશે?

એનું આશ્ચર્ય જ છે કે આપણે પટાવાળાની લાયકાત નક્કી કરી છે, પણ પ્રધાનની લાયકાત નક્કી કરી નથી. પ્રધાન લાયકાતવાળો મળી જાય તો નસીબ, પણ કોઈ અભણ પ્રધાન બની જાય તો તેને રોકી શકાતો નથી. એવા પ્રધાનના હાથ નીચે કામ કરતા અધિકારીઓ ઉચ્ચ લાયકાત ધરાવતા હોય તેની પૂરી કાળજી રખાય છે. ટૂંકમાં, મંત્રી અંગૂઠા છાપ હોય તો તેનો વાંધો નથી. એ કેવું વિચિત્ર છે કે સ્કૂલ ચલાવવા તાલીમની અપેક્ષા છે, પણ દેશ ચલાવવા કોઈ મંત્રી માટે લાયકાત કે તાલીમ જરૂરી નથી ગણાઈ!

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 ઍપ્રિલ 2021

Loading

નદી જોડાણની યોજનામાં આયોજન કેટલું?

કિરણ કાપુરે|Opinion - Opinion|2 April 2021

હાલમાં મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંઘ ચૌવ્હાણ અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ વચ્ચે કરાર થયો; અને તે કરારને વધાવવા માટે ઓનલાઈન મિટિંગમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા. ઘટના હતી મધ્ય પ્રદેશની કેન નદી અને ઉત્તર પ્રદેશની બેતવા નદીને જોડવાની. રાષ્ટ્રિય પ્રોજેક્ટ તરીકે આ પ્રોજેક્ટને મૂકવામાં આવ્યો છે અને તેનો ખર્ચ પણ કેન્દ્ર દ્વારા ઊઠાવવામાં આવશે. બંને રાજ્યોના ભાગે માત્ર દસ ટકા રકમ ખર્ચ પેટે આવશે. આ પ્રોજેક્ટને પૂરો કરતાં આઠ વર્ષનો સમય અંદાજવામાં આવ્યો છે ને પ્રોજેક્ટનો પૂરો ખર્ચ 37,611 કરોડ થશે. ખર્ચની રકમ અને લાગનારા સમય પરથી આ પ્રોજેક્ટનો વ્યાપનો અંદાજ લગાવી શકાય. આ ઉપરાંત, તેનો જે લાભ ગણાવવામાં આવી રહ્યાં છે તે પણ મસમોટા છે. જેમ કે, દસ લાખ હેક્ટરથી વધુ ખેતીની જમીનને સિંચાઈનું પાણી ઉપલબ્ધ થશે, 62 લાખ લોકોને પીવાનું સ્વચ્છ પાણી મળશે અને તેનાથી સારી એવી વીજળીનું ઉત્પાદન પણ થશે. આવા તો અસંખ્ય લાભ મળશે તેવા દાવા કેન્દ્ર અને બંને રાજ્ય સરકાર કરી રહી છે. પરંતુ નદીઓને જોડવાનું કાર્ય એક પ્રોજેક્ટ માત્રથી થઈ જાય? જોડવાથી લાભ થાય કે નુકસાન? કુદરતને વળોટીને જ્યારે આવું પગલું લેવાય ત્યારે તેનું પર્યાવરણીય નુકસાન કેટલું થાય? ઉપરાંત, નદીઓને જોડીએ ત્યારે ડૂબમાં આવતાં વિસ્તારોનું શું? આવાં અનેક પ્રશ્નો અત્યારે આ રિવરલિંક પ્રોજેક્ટને લઈને પૂછાઈ રહ્યા છે. પ્રોજેક્ટને લઈને કાગળ અને ગ્રાઉન્ડ પર કેટલો ભેદ છે તે વિશે જાણીએ …

નદીઓને જોડવાને લઈને અનેકવાર કેન્દ્રની સરકાર પાસે પ્રસ્તાવ આવતા ગયા અને તેના પર વિચાર થયો, ક્યારેક અમલ માટે કરારેય થયા, પણ આજે જે સ્થિતિ કેન નદી-બેતવા નદી અંગે આવી છે તેવું નહોતું બન્યું. વિધિવત્ રીતે નદીઓને જોડવાની યોજનાનો અમલ આ રીતે નિર્ધારથી થયો નહોતો. આવું બન્યું એટલાં માટે કે નદીઓને જોડવાનો પ્રોજેક્ટ જંગી લાભ બતાવીને તેને સાકાર કરવાનાં સ્વપ્નાં જોવામાં આવ્યાં તેમ તેની સામેના પડકાર પણ હતા. આ પડકારોને પહોંચી વળવાની અત્યાર સુધી ભીતિ હતી, પણ વર્તમાન સરકારે તે ભીતિને કોરાણે મૂકીને આ પ્રોજેક્ટના શ્રીગણેશ કરી દીધા છે.

નદીઓ જોડવાનો પહેલવહેલાં પ્રોજેક્ટ ભારતમાં અંગ્રેજ શાસન દરમિયાન બ્રિટિશ સૈન્ય એન્જિનિયર આર્થર થૉમસ કૉટન લાવ્યા હતા. તે કાળે નદીઓને જોડવાનો ઉદ્દેશ માત્ર ને માત્ર અંગ્રેજોને નદીઓ વચ્ચે નહેર બનાવવાથી બંદરની સુવિધા નિર્માણ કરવાનો હતો. પણ આજે જેટલો આ પ્રોજેક્ટ ખર્ચાળ છે, તેમ તે કાળે તેની સામેની મુશ્કેલી ખૂબ હતી. તેથી તે વાત કાગળ પર જ રહી. પછી 1970માં તત્કાલિન સિંચાઈ મંત્રી ડો. કે.એલ. રાવ દ્વારા પણ નદીઓના જોડવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યા. તેમણે બ્રહ્મપુત્ર અને ગંગાનું પાણી દક્ષિણ રાજ્યના સૂકા પ્રદેશોમાં લાવવાનું આયોજન આપ્યું હતું. જો કે તેના પર કોઈ ઝાઝી ચર્ચા ન થઈ. પછી પણ કેન્દ્રીય સ્તરે નદીઓને જોડવાને લઈને રિપોર્ટ બનતા રહ્યા. દેશની અલગ અલગ નદીઓને જોડવાની તેમાં ચર્ચા થતી રહી, પરંતુ તેમ છતાં પ્રોજેક્ટને અમલમાં મૂકી શકાય તેવા યોગ ન આવ્યા.

1999માં નેશનલ ડેમોક્રેટીક અલયાન્સની સરકાર બની અને વડા પ્રધાન તરીકે અટલ બિહારી વાજપેયી આવ્યા ત્યારે નદીઓને જોડવાની યોજનાને લઈને ફરી ચર્ચા શરૂ થઈ અને તે અંગે ખુદ વડા પ્રધાને પણ રસ લીધો. જો કે પર્યાવરણ અને અન્ય મુદ્દાના કારણે યોજના પડતી મૂકાઈ. યુ.પી.એ. સરકારના પ્રથમ ટર્મ દરમિયાન પણ આ પ્રોજેક્ટ પર કામ થવા માંડ્યું અને વડા પ્રધાન મનમોહનસિંઘની ઉપસ્થિતિમાં ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રીઓએ કેન અને બેતવા નદી જોડાણને લઈને કરાર પર હસ્તાક્ષર કર્યા. આ પછી પણ યોજના સાકાર ન થઈ શકી. 2014માં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્રીય સરકાર બની, ત્યાર બાદ નદી જોડાણને લઈને કામ જોરો પર થયું. રિપોર્ટ બન્યા, વિશ્લેષણ થયું, ચર્ચા થઈ અને તે પછી તેનાં પર અંતિમ ડ્રાફ્ટ બન્યો. મતલબ કે હવે આ કાર્યને પ્રાથમિકતા આપીને આગળ ધપાવવાનું છે.

નદીઓ જોડાણના પ્રસ્તાવ મૂકવાનો અને રદ કરવાનો સિલસિલો આટલાં વર્ષો સુધી ચાલતો રહ્યો. હવે જ્યારે આ ઘટના આકાર પામવા જઈ રહી છે ત્યારે તેના પણ પર પ્રશ્નો ઊઠી રહ્યા છે. જેમ કે હાલની કેન-બેતવા નદીનાં જોડાણને લઈને વાઘોનું પન્ના અભયારણ્ય પર જોખમ ઊભું થયું છે. બીજું કે આ યોજના કાગળ પર જેટલી સુંદર બતાવી શકાય છે તેનું તેવું જમીની અમલીકરણ મુશ્કેલ છે તેવું નિષ્ણાતોનું માનવું છે. આ માટે કેટલાંક ઉદાહરણો પણ છે. ઉત્તર પ્રદેશમાં આવું એક ઉદાહરણ શારદા સહાયક નદીમાં જોવા મળે છે. 2000ના વર્ષમાં 260 કિલોમીટર લાંબી નહેર સાથે પૂર્ણ થયેલી આ યોજનાનું લક્ષ્ય 16.77 લાખ હેક્ટરને સિંચાઈ પૂરી પાડવાની હતી. પરંતુ તેમાં અડધા સુધી પણ ન પહોંચી શકાયું. આ ઉપરાંત, હજારો હેક્ટર જમીનમાં નદીનું પાણી જમા થતું રહે છે, જેનાથી અનેક પાક બરબાદ પણ થઈ રહ્યા છે. નદી જોડોમાં સરકાર જેટલું ગુલાબી ચિત્ર દાખવે છે તે વાસ્તવિકતા નથી, તેવું અનેક નિષ્ણાતો કહી રહ્યા છે.

પાણી મુદ્દે આજીવન કાર્ય કરનારાં તો આને જોખમી પ્રોજેક્ટ ગણાવે છે. નર્મદા બચાવ આંદોલનના મેઘા પાટકરનો પણ આ પરિયોજના અંગે જે મત છે તે જાણી લેવા જેવો છે. તેમનું કહેવું છે કે, આ પૂરી યોજના અવ્યવહારું છે. સામાજિક, આર્થિક અને પર્યાવરણની રીતે તેના પરિણામ ખૂબ ખરાબ આવી શકે છે. સરકાર એવું કહી રહી છે કે આ યોજનાથી પૂરની સમસ્યાથી બચી શકાશે. હવે જ્યારે ગંગાને માત્ર વીસ ટકા હિસ્સાને વળાંક આપવાની વાત છે ત્યારે તેનાથી પૂર કેવી રીતે રોકાઈ શકે? આ દાવાનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. પાટકરનો એક અન્ય મુદ્દો આ યોજના હેઠળ ખર્ચનારાં નાણાં અંગેનો છે. દેશભરમાં નદીઓ જોડવાને લઈને કુલ સાડા પાંચ લાખ કરોડ રૂપિયા ખર્ચ થનારાં છે. આટલી રકમ સરકાર ખર્ચી ન શકે તેવું પાટકરનું માનવું છે અને તે કારણે આ યોજનામાં કોર્પોરેટ જગતની એન્ટ્રી થશે અને પછી તેઓ તેની કિંમત વસૂલશે. મતલબ કે નદીઓ લોકોના હાથમાંથી સરકીને કંપનીઓના હાથમાં જશે.

નદીઓ જોડાણને લઈને સાવધાની ન રાખવામાં આવે તો તેનાથી ખુંવારી થઈ શકે છે. આ ખુંવારી હિમાલયી નદીઓમાં આપણે દર વર્ષે સમયાંતરે જોઈએ છીએ. હિમાલયમાં નદીઓનું જોડાણ થયું નથી, પરંતુ જે રીતે કુદરત સાથે ત્યાં છેડછાડ થઈ છે તેથી તે નદીઓના પ્રકોપ જોવા મળે છે. અમેરિકામાં પણ આ પ્રકારના પ્રયોગ થઈ ચૂક્યા છે. કોલેરાડોથી લઈને મિસિસિપી નદીના ઘાટ સુધી મોટી સંખ્યામાં આવી પરિયોજના બની છે અને તે યોજનામાં કળણ ભરાઈ ગયા હોવાથી આસપાસના વિસ્તારમાં પૂરનો પ્રકોપ વધવા માંડ્યો છે. આખરે આ યોજના અંતર્ગત નિર્માણ કરવામાં આવેલાં બાંધોને તોડવા પડ્યા છે. તેના પર જે ખર્ચ થયો તે તો વેગળો. પાણીના જાણકારો કહે છે કે, ગંગા અને બ્રહ્મપુત્રમાં દર વર્ષે આવનારું કળણ મિસિસિપી નદીથી બમણું છે. સોવિયેત સંઘના યુગમાં સાઇબેરિયાની નદીઓને નેહરોની નેટવર્ક દ્વારા કઝાકિસ્તાન અને મધ્ય એશિયાના સૂકા પ્રદેશોની નદીઓ તરફ જોડવાનું કામ થયું હતું. યોજનાનો મુખ્ય ભાગ 2,200 કિલોમીટર લાંબી એક નહેર હતી. આ યોજનાથી અનેકગણું અનાજ પાકશે તેવા દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ જ્યાં જ્યાં નહેર પહોંચી ત્યાં કળણવાળી જમીન અને ખારા પાણીથી ખેડૂતોની કમર તૂટી ગઈ. 80ના દાયકામાં આ સમગ્ર યોજનાને પડતી મૂકી દેવામાં આવી.

પાણીની વિકરાળ સમસ્યા સામે જ્યારે તેના ઉકેલ શોધાય છે અને તે તરફ આવાં પ્રશ્નો ઊઠે ત્યારે તેનો વાસ્તવિક ઉકેલ શો હોઈ શકે, તે પણ જાણવું જોઈએ. જાણકારોના મતે પીવાનાં પાણીનું આયોજન અલગ અલગ ક્ષેત્રોમાં વેગવેગળું હોય છે. આના બદલે એક જ આયોજન થોપવું યોગ્ય નથી. આપણાં જ દેશમાં નાના પ્રયાસો દ્વારા નદીઓને પુર્નજીવિત કરવાના કિસ્સા પણ મોજૂદ છે, ત્યારે નદીઓને જોડવાનો જોખમી માર્ગ શું કામ લેવો?

આ વિશે જાણીતા પર્યાવરણવિદ્ અનુપમ મિશ્રનું કહેવું હતું કે, નદીઓને જોડવાનું કાર્ય પ્રકૃતિનું છે. જ્યાં બે નદી જોડાય છે ત્યાં તે જગ્યા તીર્થસ્થળ બની જાય છે. હવે નદીઓને નહેરો દ્વારા જોડવાનો પ્રયાસ થાય છે. આનાથી ખેડૂતોને તો નહીં પણ નેતાઓ અને અધિકારીઓને જરૂર લાભ થશે. મિશ્રનું આ પાણીના આયોજન અંગેનું ગણિત ખૂબ કિફાયતી હતું અને તે વાતનું તેઓ મોડલ પણ જમીન પર લાવી શક્યા હતા. પણ હવે યોજનાઓમાં મસમોટી રકમ ખર્ચીને પ્રયોગો થઈ રહ્યા છે અને નક્કર આયોજનનો અભાવ છે.

e.mail : kirankapure@gmail.com

Loading

દેખ લો આજ હમકો જી ભર કે, કોઈ આતા નહીં હૈ ફિર મર કે…

રાજ ગોસ્વામી|Opinion - Opinion|1 April 2021

ગયા સોમવારે [22 માર્ચ] ૮૮ વર્ષની ઉંમરે અવસાન પામેલા સાગર સરહદી વ્યવસાયિક હિન્દી ફિલ્મોના જીવ ન હતા. મજબૂરીમાં એ કોમર્સિયલ ફિલ્મોમાં આવેલા. એટલા માટે જ લેખક-સંવાદલેખક તરીકે તેમના નામે આંગળીના વેઢે (૧૫) ફિલ્મો બોલે છે. મૂળ ઉર્દૂ સાહિત્યના માણસ અને પ્રગતિશીલ લેખક મંડળના રંગે રંગાયેલા, એટલે સામાજિક નિસબત તેમની પહેલી પ્રાથમિકતા હતી. મૂળ નામ ગંગા સાગર તલવાર. પાકિસ્તાનના સરહદી વિસ્તાર અબ્બોટ્ટાબાદ (જ્યાં ઓસામા બીન લાદેનનો સંહાર થયો હતો) પાસે બાફ્ફામાં એ જન્મ્યા હતા. તેની યાદમાં તેમણે 'સરહદી' તખ્ખલુસ રાખ્યું હતું. વિભાજનમાં પરિવાર પહેલાં શ્રીનગર અને પછી દિલ્હીમાં સ્થાયી થયો.

તેમના મોટાભાઈએ મુંબઈમાં કપડાંની દુકાન નાખી હતી, એટલે દસમું પાસ કરીને સાગર મુંબઈ ભણવા આવી ગયા. ખાલસા કોલેજમાં એ ગુલઝારને મળ્યા હતા. તેમને ગુલઝારની ઉર્દૂની ઈર્ષ્યા આવી, એટલે ઉર્દૂ અને અંગ્રેજી મજબૂત કરવા માટે બીજા વર્ષે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં જોડાઈ ગયા. એમાંથી એ ગ્રાન્ટ રોડ પ્રગતિશીલ લેખક મંડળના અડ્ડા રેડ ફ્લેગ હોલના સંપર્કમાં આવ્યા, જેમાં ધુરંધર ઉર્દૂ લેખકો રાજીન્દર સિહ બેદી, ઈસ્મત ચુઘતાઈ, કે.એ. અબ્બાસ, સરદાર જાફરી, કૈફી આઝમી વગેરે રહેતા હતા.

ત્યાંથી ગાડી થોડીક પાટે ચઢી, પણ ઉર્દૂ લેખક તરીકે કંઈ કમાવા નહીં પડે, એવું ભાન થતાં તેમણે નાટકો અને ફિલ્મોમાં હાથ અજમાવાનો શરૂ કર્યો. એમાં તેજપાલ હોલમાં એમનું એક નાટક 'મિર્ઝા સાહેબાન' જોવા યશ ચોપરા આવ્યા હતા. યશજીને સરહદીમાં હીર દેખાયું અને કહ્યું કે મારા માટે ફિલ્મ લખશો? એમાંથી બ્લોકબસ્ટર 'કભી કભી' ફિલ્મ આવી. પછી તો તેમણે યશજી માટે 'નૂરી,' 'સિલસિલા' અને 'ચાંદની' લખી હતી.

'કભી કભી' પછી રાતોરાત તેમને બહુ ઓફરો આવી હતી, પણ તેમને જરૂરિયાત જેટલા જ રૂપિયા કમાવા હતા. તેમને ધંધાદારી લેખક બનવું ન હતું. તેમનો મૂળ રસ તો વધુને વધુ વાંચવાનો અને લખવાનો હતો. તેમને વ્યવસાયિક હિન્દી ફિલ્મોની મસાલાથી ભરપૂર વાર્તાઓ પણ માફક આવતી ન હતી.

એક ઇન્ટરવ્યૂમાં સરહદીએ કહ્યું હતું, "પૈસા કમાવા હોય તો મોટા બજેટની ફિલ્મો લખવી પડે, અને મોટા બજેટની ફિલ્મો લખો તો પૂરી ટેલેન્ટ એમાં વપરાઈ જાય. બદનસીબે, હું સ્ટાર સિસ્ટમનો વિરોધી છું. હું તેને એવું મૂડીવાદી ફોર્મ માનું છું, જેમાં શ્વાસ ન લઇ શકાય."

સાગર સરહદીની આ ટૂંકી કહાની કહેવા પાછળનું મૂળ કારણ ૧૯૮૨માં આવેલી 'બાજાર' ફિલ્મ છે. તેમણે નિર્દેશિત કરેલી આ એક માત્ર બહેતરીન ફિલ્મ છે, અને હિન્દી સિનેમામાં આજે પણ સીમાચિન્હ રૂપ છે. સરહદી કેવા બેકગ્રાઉન્ડમાંથી આવતા હતા તે સમજાય, તે પછી તેમણે કેવા સંજોગોમાં અને કેમ 'બાજાર' બનાવી હતી તે સમજાય.

તે વખતના પ્રગતિશીલ લેખકો ચુસ્ત નારીવાદી અને આધુનિક વિચારસરણીવાળા હતા. સરહદી હિન્દી ફિલ્મોની ગુણવત્તાથી બહુ ખુશ ન હતા, એટલે તેમણે તેમની કલમ પર અંકુશ મૂકી રાખ્યો હતો. એવામાં તેમણે સમાચારપત્રમાં એક લેખ વાંચ્યો, જેમાં હૈદરાબાદમાં ગરીબ પરિવારના લોકો પૈસાની લાલચમાં તેમની દીકરીઓને કેવી રીતે પૈસાવાળા આરબોને પરણાવી દે છે તેની વિગતો હતી.

સરહદીનો સામ્યવાદી જીવ કકળી ઉઠ્યો. તેમને આ 'નકલી લગ્ન'માં રસ પડ્યો અને હૈદરાબાદ પહોંચ્યા. ત્યાં પત્રકારોની મદદ લઈને તેમણે લગ્નનું આ બજાર સમજવાની કોશિશ કરી. તેમણે હૈદરાબાદમાં આવાં એક લગ્નમાં મહેમાન બનીને ભાગ પણ લીધો હતો. એમાંથી 'બાજાર' ફિલ્મ આવી હતી. આ ફિલ્મ હૈદરાબાદના મુસ્લિમ પરિવારોમાં ધાર્મિક-સમાજિક 'મુત્તાહ' રિવાજ(ટૂંકા ગાળાનાં લગ્નો)ના નામે નાની-માસુમ છોકરીની તસ્કરીના કૌભાંડને ઉજાગર કરતી હતી. નાની છોકરીઓને દુલ્હન તરીકે ખરીદી લઈને અમુક વર્ષો (અને અમુક બચ્ચાં) પછી તેમને પાછી મોકલી દેવામાં આવે, એ વિષય જ ફિલ્મ માટે કેટલો સાહસિક કહેવાય! સરહદીએ એ સાહસ કર્યું, અને એક સુંદર ફિલ્મ બનાવી, જે આજે પણ ભારતના અમુક પ્રદેશોમાં પ્રાસંગિક છે.

ફિલ્મમાં એવી માસુમ છોકરી શબનમની ભૂમિકા સુપ્રિયા પાઠકે કરી હતી, જે ગરીબ સરજુ(ફારુખ શેખ)ના પ્રેમમાં છે, પણ તેનાં માતા-પિતા દુબઈના પૈસાદાર બુઢ્ઢા ખુસટ સાથે તેનાં લગ્ન નક્કી કરી નાખે છે. આ સોદો અખ્તર હુસેન (ભરત કપૂર) નામનો માણસ કરાવે છે, જેને બદલામાં પૈસા ઉપરાંત નજમા (સ્મિતા પાટિલ) પણ મળવાના હોય છે. નજમા પણ શાયર સલીમ(નસીરુદ્ધીન શાહ)ને ચાહે છે, પરંતુ ગરીબીના કારણે એનો ય પૈસા લઈને લગ્નનો ‘ઘાટ’ ઘડાઈ ગયો હોય છે, અને તે અખ્તર સાથે લિવ-ઇન રિલેશનશિપની તરફેણમાં ઘર છોડીને ભાગી જાય છે.

અખ્તરે તેને ખાતરી આપી હોય છે કે તે ઘર ચલાવવા જેટલા પૈસા ભેગા કરીને તેની સાથે લગ્ન કરશે, અને તેની કોશિશમાં તે શબનમનો સોદો ગોઠવે છે. નજમાને ખબર નથી કે શબનમ સરજુના પ્રેમમાં છે, જે નજમાનો ધર્મનો ભાઈ છે. મતલબ કે નજમા એક એવા ષડ્યંત્રમાં સહભાગી થાય છે, જેમાં તેની ભાવિ ભાભીને વેચવાનો સોદો થાય છે. નજમાને તેની ભૂલ સમજાય છે, ત્યાં સુધી મોડું થઇ ગયું હોય છે.

સરહદીએ 'બાજાર'ની કહાની નજીકના લોકોને સંભળાવી, તો ઇપ્ટા(ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશન)ના લોકોએ પણ ફેંસલો આપી દીધો કે આવી ફિલ્મ એક દિવસ પણ નહીં ચાલે અને તમારો ફ્લેટ પણ વેચાઈ જશે. શરૂઆતમાં થયું પણ એવું. ફિલ્મ વેચાતી ન હતી. લોકો આવે, ફિલ્મ જુવે અને હેન્ડ-શેક કરીને જતા રહે. આગળ જઈને ફિલ્મે સફળતાના નવા ઝંડા એવા રોપ્યા કે તે આખી જિંદગી સાગર સરહદીને પાળતી રહી. (આવું જ 'કભી કભી'માં થયેલું. નિર્માતા ગુલશન રાયે ભવિષ્ય ભાખેલું કે આ ફિલ્મ બે દિવસ પણ નહીં ચાલે અને યશ ચોપરાને સલાહ આપી હતી કે બધા ડાયલોગ કાઢી નાખો અને જાવેદ અખ્તર પાસે નવેસરથી લખાવો.)

‘બાજાર’ અત્યંત સફળ રહી તેનું એક કારણ તો તેની જબરદસ્ત સ્ટારકાસ્ટ, અને બીજું તેનું કર્ણપ્રિય સંગીત. નસીર, સ્મિતા અને ફારુખ શેખ ત્યારે મોટા સ્ટાર હતા, અને નિર્દેશક તરીકે સરહદીની એ પહેલી જ ફિલ્મ હતી. પહેલા આઠ દિવસના શુટિંગ દરમિયાન સ્મિતાને ખાસ મજા આવી ન હતી, અને સરહદીને ખાતરી થઇ ગયેલી કે બાકીના હૈદરાબાદના શુટિંગમાં સ્મિતા નહીં આવે, પણ તેમની રાહત વચ્ચે સ્મિતાએ કહ્યું, ‘તમે બહુ સારા નિર્દેશક છો.’ ફારુખ શેખે પણ સરહદી જે રીતે દ્રશ્યો શૂટ કરતા હતા, તેનાં વખાણ કરેલાં.

એક સીધીસાદી હૈદરાબાદી છોકરીની ભૂમિકા માટે સુપ્રિયા પાઠકનું નામ નસીરુદ્દીને સૂચવ્યું હતું. સરહદી તેને યાદ કરીને કહ્યું હતું, “સુપ્રિયા ગોલ મટોલ સી લડકી થી. મુજે ઐસી હી ચાહીએ થી.” તેમણે સુપ્રિયાને કહ્યું હતું કે મારી પાસે ખાલી ૫૦૦ રૂપિયા છે, અને એનાથી હું હૈદરાબાદમાં શુટિંગ કરવાનો છું. તું તારા પૈસાથી વિમાનમાં ઊડીને આવજે. ફિલ્મ હીટ ગઈ, પછી સરહદીએ ફી રૂપે સુપ્રિયાને ૧૧,૦૦૦ અને સ્મિતાને ૪૦,૦૦૦ ચૂકવ્યા હતા. સ્મિતા પાટિલે ફિલ્મ જોઇને સુપ્રિયાને કહેલું કે આ ફિલ્મમાં તો તું છવાઈ ગઈ છું. સુપ્રિયાને તેના માટે સહાયક શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

‘બાજાર’ આજે પણ તેના શાનદાર સંગીત માટે લોકપ્રિય છે. સંગીતકાર ખૈયામની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મોમાં આ ફિલ્મનો સમાવેશ થાય છે. બધાં ગીતો ગઝલોના સ્વરૂપમાં હતાં; જગજીત કૌરના અવાજમાં મિર્ઝા શૌકની ‘દેખ લો આજ હમ કો જી ભર કે,’ પામેલા ચોપરાના અવાજમાં જગજીત કૌરની ‘ચલે આઓ સૈયાં,’ લતા મંગેશકર અને તલત અઝીઝના અવાજમાં મખદુમ મોયુદ્દીનની ‘ફિર છીડી રાત,’ ભુપિન્દર સિહના અવાજમાં બશર નવાઝની ‘કરોગે યાદ તો’ અને લતા મંગેશકરના અવાજમાં મીર તકી મીરની ‘દિખાઈ દિયે યું’ ઉર્દૂ કવિતાનું અપ્રતિમ સર્જન છે.

સાગર સરહદી કેટલી પ્રમાણિક ફિલ્મ બનાવવા માંગતા હતા તેની સાબિતી એ હકીકત પરથી મળે છે કે ‘દેખ લો આજ હમકો જી ભર કે’ ગઝલને તેમણે લખનૌના શાયર મિર્ઝા શૌકના ૨૦૦ વર્ષ જૂના ગઝલ સંગ્રહ ‘ઝહર-એ-ઈશ્ક’માંથી ખોળી કાઢી હતી. ‘દિખાઈ દિયે યું’ના રચિયતા મીર તકી મીર ૧૮મી સદીમાં મોઘલ સામ્રાજ્યના શાયર હતા. ‘ફિર છીડી રાત’ના સર્જક હૈદરાબાદના મખદુમ મોયુદ્દીન પ્રગતિશીલ લેખક મંડળના માર્કસવાદી શાયર હતા.

ખૈયામે આ ગઝલોને અત્યંત પ્યારથી સંગીતબદ્ધ કરી હતી. ‘બાજાર’ શરૂઆતમાં તો દર્શકોના ધ્યાનમાં ન આવી, પણ ધીમે-ધીમે તેની ખ્યાતિ વધવા લાગી. ૧૮માં અઠવાડિયામાં સરહદી હૈદરાબાદના એક થિયેટરમાં તેને જોવા ગયા હતા. સરહદીએ તેને યાદ કરીને કહ્યું હતું, “દેખ લો આજ હમકો જી ભર કે’ ગીત પડદા પર આવ્યું, તો સ્પેશ્યલ વિભાગમાં બેઠેલી મહિલાઓ ડૂસકાં ભરવા લાગી.” સરહદી સિનેમા હોલની બહાર નીકળી ગયા.

સાગર સરહદી સાથે અલપ-ઝલપ …

‘બાજાર-૨’ આવશે?

પ્રેમમાં પૈસા વચ્ચે આવે એટલે સ્થિતિ બદલાઈ જાય. પૈસા આજે પણ પ્રેમને ખરીદવા માટે સક્ષમ છે. ‘બાજાર-૨’ની વાર્તા આવા જ તાણાવાણાથી રચી રહ્યો છું. એ ફિલ્મ બનશે. રવિ શર્મા તેનું નિર્દેશન કરશે. એ પ્રેમ કહાની છે, અને તેમાં હૈદરાબાદમાં દુલ્હનોને વેચવાના દૂષણની વાત પણ છે. લોકડાઉન ખૂલે તેની અમે રાહ જોઈ રહ્યા છીએ.

‘ચૌસર’ કેમ?

હું માર્કસવાદી છું, અને હું એવું શીખ્યો છું કે જીવવા માટે દુનિયા સારી ન હોય, તેને સારી બનાવવી જોઈએ. જાહેર જીવનમાં ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે મેં ૨૦૦૪માં ‘ચૌસર’ બનાવી હતી. એ વેચાય તો ‘બાજાર-૨’ પર પૈસા લગાવીશ.

રોમેન્ટિક ફિલ્મો લખવાનું ખાસ કોઈ કારણ?

મેં ૨૦ વખત પ્રેમ કર્યો છે. એટલે કે લગ્ન ન કરી શક્યો. ૨૦ વખત પ્રેમની વાતથી લોકોને મજા આવશે, પણ પ્રેમ કરતી વ્યક્તિ બીજી વ્યક્તિને છોડીને જાય તો શું હાલત થાય તે નહીં સમજાય. મેં જે પ્રેમ અને દર્દની વાતો ફિલ્મોમાં કરી છે, તે મેં ખુદ અનુભવી છે.

કોઈ અફસોસ?

ફિલ્મોએ મને નામ અને દામ આપ્યાં. હું આખી દુનિયામાં ફરવાનું મળ્યું, પણ તેણે મારી અંદરનો ઉર્દૂ લેખક મારી નાખ્યો. નહીં તો, મારા નામે ૧૦-૨૦ પુસ્તકો બોલતાં હોત.

(અંતિમ વર્ષોમાં આપેલા ઇન્ટરવ્યુઝમાંથી)

પ્રગટ : ‘બ્લોક બસ્ટર’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 27 માર્ચ 2021

Loading

...102030...2,0132,0142,0152,016...2,0202,0302,040...

Search by

Opinion

  • ગઝલ
  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved