Opinion Magazine
Number of visits: 9680178
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

(૨૦) મારે વિશે – નમ્રતાપૂર્વક (૨)

સુમન શાહ|Opinion - Literature|15 March 2021

= = = = હું પ્રેમને પરમ સત્ય ગણું છું કેમ કે હું પ્રેમ કરું કે તરત સામાને ખબર પડે છે, સામો કરે કે તરત મને ખબર પડે છે. હું ન કરું કે એ ન કરે તો પણ તરત બધી ખબરો પડે છે. પ્રેમને પુરવાર નથી કરવો પડતો. મનુષ્યજીવનનું એકેય સત્ય આટલું સદ્ય, નિરાવરણ, પ્રમાણથી પર, સહજ અને સરળ નથી = = = =

આમ તો, ‘આ જો હોય મારું અન્તિમ પ્રવચન’ શ્રેણીના વ્યાખ્યાનમાં મારે વિશે ઘણું કહી ચૂક્યો છું. બાકી, મારે વિશે જાહેરમાં કશું કહેવાની કે લખી બતાવવાની મને ટેવ નથી.

છતાં, વિદ્યાની યાત્રાનો યાત્રિક છું એટલા માટે કેટલુંક વધારે કહેવું જરૂરી જણાય છે. ખાસ તો, મારે વિશેની અફવાઓ અંગે ફોડ પાડીને કહેવું જોઈએ કેમ કે એ અફવાઓ મારા યાત્રામાર્ગની બન્ને બાજુએ ઊભીને મારી મશ્કરીમાં ખિલ ખિલ હસતી પૂતળીઓ જેવી લાગે છે.

એક અફવા એવી કે મારો ચ્હૅરો મહાન ગાયક જગજિતસિંહ જેવો છે. આગળના સમયમાં એ રાજેશ ખન્નાના ચ્હૅરા જેવો ગણાયેલો. કોઈ કોઈને એ સુનિલ ગાવસકરના ચ્હૅરા જેવો લાગેલો. મારે એટલું જ કહેવું છે કે મારો ચ્હૅરો મારો છે, સુમન શાહનો છે.

ખરેખર તો, હું એ હકીકત બાબતે અફસોસ સેવું છું કે મને સુન્દર શરીર નથી મળ્યું.

મેં જણાવેલું છે કે —

દૂરના ભૂતકાળમાં પણ હું કેટલો ન-રૂપાળો બલકે કદરૂપો લાગતો હોઈશ. સૂકલકડી શરીર. પ્હૉળી-પ્હૉળી ખાખી ચડ્ડી. માપથી મોટું ખમીસ. એના સોલ્ડર પર, બહાર, ઊભું ટાંકેલું ખીંટી-કાંટું. મને ભલે કાળામાં ગણો. મારા રંગ અંગે ઇશ્વરને ફરિયાદ નથી. પણ એની અમુક કલાક્ષતિઓ માફ કરાય એવી નથી : જેમ કે નાકને પૉઇન્ટેડ કરી શકાયું હોત : સમગ્ર દેહ-પ્રતિમા હજી ચાર-પાંચ ઇન્ચ ઊંચી ઘડી હોત તો સર્જકતા દીપી ઊઠત.

મેં કોઈ વાર કહ્યું છે કે મારી બાબરી ઉતરાવવાનું આળસ હશે કે જે કારણ હશે, મને બા ચોટલો વાળતી. એક વાર અમારી જ્ઞાતિના વાર્ષિકસમ્મેલનના એક નાટકમાં હું છોકરી બનેલો, કહો કે બનાવાયેલો. ત્યારે મને બનાવટી ચોટલો અને બીજી બનાવટી ચીજો વળગાડાયેલી. સાહિત્ય સમાજમાં પ્રવેશ્યા પછી મેં જોયું કે દાઢી અને વાળ વધારવાથી કવિ અને અથવા કલાકાર જેવા દેખાવાય છે. એટલે મને હૉંશ થયેલી કે મારે મારાં દાઢી અને વાળ વધારવાં જોઈએ. પણ દાઢી માટે રશ્મીતાની ધરાર ના હતી અને વાળ નહીં વધારવાનું એક કારણ એણે એ આપેલું કે અધ્યાપકને એ ન શોભે. આ કોરોનાકાળમાં વાળ ન-છૂટકે વધારવા પડ્યા છે – જેને હું ‘કોરોના હૅઅર સ્ટાઇલ’ કહું છું.

બીજી અફવા એવી કે મને ગુસ્સો બહુ આવે છે. સાચું છે પણ અર્ધસત્ય છે. ગુસ્સો કરાવનારનાં કરતૂતો પણ એટલાં જ જવાબદાર ખરાં કે નહીં? ગુજરાતી ભાષામાં સાહિત્યને નામે જે કંઈ મન્દપ્રાણ લખાતું હોય, તેના લેખકો પર તો ઠીક પણ તેનું અનુમોદન કરનારા વિવેચકો પર મને ગુસ્સો જરૂર આવે છે. એ જ રીતે, પોતાના ભાઈબન્ધો, બેનપણીઓ, અને આજુબાજુનાંઓનાં લખાણોમાં દમ ન હોય તો પણ  તેમની સાથેના અંગત સમ્બન્ધોના વળતર રૂપે ઇનામ-અવૉર્ડની લ્હાણ કરનારાઓ સંસ્થાપતિઓ વિશે, બેઢંગ સમ્પાદનો કરનારા બજારુ સમ્પાદકો વિશે, મારું લખ્યું પૂરું વાંચ્યા-સમજ્યા વિના પંચાત કરનારાઓ પર, ને ખાસ તો, સાહિત્યના સમકાલીન ઇતિહાસ સાથે ચૅડાં કરનારા મોટાભાઓ વિશે મને બહુ જ ગુસ્સો આવે છે.

બાકી, જીવનના એક પ્રસંગમાં એક વાર, ત્રીસેક વર્ષ પહેલાંની વાત છે, મેં એક માણસને છુટ્ટો મોટો લોઢિયો પથ્થર મારેલો ! ગભરામણ અને સામાવાળાથી બીકના કારણે ગુસ્સો કુણ્ઠિત હશે તે નિશાન ચૂકી જવાયેલું. પણ વાર્તાઓના મારા સર્જને મારા ગુસ્સાને ક્રમે ક્રમે ઠાર્યો છે.

મેં લખ્યું છે —

વાર્તાલેખનથી મારી જીવન વિશેની સમજ ચોખ્ખી થતી રહી છે. મનુષ્યને વધુ ને વધુ સહાનુભૂતિથી જોવાનું ચાલુ થયું છે. એ મારા જેવો કેમ નથી થતો, એ હઠ ઑગળવા લાગી છે. એની અંગત વાસ્તવિક્તામાં પ્રવેશવાનું હવે વધારે ગમે છે. જે જેવું છે તેવું સ્વીકારવું, પહેલું જરૂરી જણાય છે. એવા સ્વીકાર પછી જ કશું પણ સુધરી શકે. આ વલણને લીધે આપણા નબળા સાહિત્યસંદર્ભને પણ, એ આપણી વાસ્તવિકતા છે એવા મનોભાવથી, ઓળખતો થયો છું.

એટલે સમુદાર કે લસરી જતો ભાસું છું તેની મને ફૉમ છે. સાહિત્યમાં મને શત્રુ લેખતા હોય કે જેમને હું એમ લેખતો હોઉં એ બંનેને વિશે ક્ષમાર્થી થવાનું હવે વધારે ગમે છે. અમિત્ર થઈ ગયેલાને ફરીથી ભેટવાનું કે નમિત્રને મિત્ર બનાવવાનું માનસ પહેલાં ન્હૉતું, હવે છે.

જો કે ગુસ્સો નથી જ આવતો એમ કહેવાનો દમ્ભ નહીં ઓઢું. દાખલા તરીકે, કશી તાકીદ ધરાવતા અને શ્રમપૂર્વકના મારા મૅસેજના જરૂરી જવાબ નહીં આપનાર પર ગુસ્સો આવે જ છે. પણ ત્યારે, મારાથી બોલાતું નથી, કહો કે હું બોલતો નથી, મૌનમાં જતો રહું છું.

સંલગ્ન અફવા એ છે કે હું હમેશાં પ્રેમને જ કેન્દ્રમાં મૂકું છું અને વાર્તાઓ મેં પ્રેમ સિવાય કશાની કરી નથી. આ પણ અર્ધસત્ય છે. એ અર્થમાં કે એ પ્રૅમલાપ્રૅમલીની વાર્તાઓ નથી. વાર્તા ‘જરાક જેટલું છેટું’ કે ‘સિમૅન્ટ’ દર્શાવે છે કે મેં પ્રેમની અશક્યતાઓ પણ ચીંધી છે, જેનાથી માનવજીવન ખારું થઈ જાય છે. જો કે સર્જકતા તો કરુણ સંગીત જનમાવીને જ ટકી શકે છે.

મેં કહ્યું છે —

બાળલગ્ન કે કાચી વયનાં લગ્ન હોય છે તેમ બાળપ્રેમ કે કાચી વયનો પ્રેમ પણ હોય છે. મને એ જાતના પ્રેમનો, જો કે નિષ્ફળ, અનુભવ જરૂર મળેલો. અલબત્ત, પ્રેમ માટે, ઉમ્મર ગમે તે હોય, ખાસ પ્રકારનું બાળકપણું જરૂરી છે. કેમ કે હોશિયારીથી દુનિયાનાં બધાં કામ કરી શકાય છે, પ્રેમ નથી કરી શકાતો. મને એ જાતના પ્રેમમાં પડવાનો અવસર પણ સાંપડેલો, જેમાં, હું સફળ થયો. પ્રેમને અંગેની મારી એક માન્યતા પણ જણાવી દઉં : હું પ્રેમને પરમ સત્ય ગણું છું કેમ કે હું પ્રેમ કરું કે તરત સામાને ખબર પડે છે, સામો કરે કે તરત મને ખબર પડે છે. હું ન કરું કે એ ન કરે તો પણ તરત બધી ખબરો પડે છે. પ્રેમને પુરવાર નથી કરવો પડતો. મનુષ્યજીવનનું એકેય સત્ય આટલું સદ્ય, નિરાવરણ, પ્રમાણથી પર, સહજ અને સરળ નથી.

ત્રીજી અફવા એવી કે હું સિનેમા-થીએટરમાં, મલ્ટિપ્લૅસમાં, ને મ્યુઝિક-કૉન્સર્ટમાં નથી જતો. હા પણ આમસ્ટર્ડામમાં કે અમેરિકામાં હોઉં ત્યારે ઘરે લગભગ રોજ એક મૂવી જોતો હોઉં છું. લખતો હોઉં ત્યારે હમેશાં કશુંક શાસ્ત્રીય સંગીત, મોટે ભાગે વાદ્યસંગીત ધીમા અવાજે ચાલતું હોય છે. લોક કહે એમ દરેક વાતે જીવી બતાવવાનું ને પાછું કહેવાનું પણ ખરું, એ ક્યાંનું સાહિત્ય છે?

ચૉથી અફવા એ કે હું વિવેચક છું. બરાબર, સિદ્ધાન્તમાં અને સવિશેષે પ્રત્યક્ષમાં મેં ઘણું કામ કર્યું છે. પણ હું વિવેચક છું એ અર્ધ કે એકચતુર્થાંશ સત્ય છે. આવું હું ગણિતની રીતભાતમાં ન બોલું પણ મેં હમણાં જ કામૂને એમ બોલતા સાંભળ્યા – એટલે કે, વાંચ્યા. ૧૯૫૭માં એમણે Demain-માં એક ઇન્ટર્વ્યૂ આપેલો. એમને એવા મતલબનું પૂછવામાં આવેલું કે – આજના સંઘર્ષભર્યા સમયમાં માણસે લડવાનું છે, પણ, એની એક બાજુએ સઘળું સારું છે અને બીજી બાજુએ ઘણું બધું ખોટું છે, તમારે શું કહેવાનું છે? તો કામૂ રિચર્ડ હિલેરીનો એક અનુભવ યાદ કરે છે. હિલેરીએ કહ્યું છે : We were fighting a lie in the name of a half-truth : કામૂને હિલેરીના આ અનુભવ-વચનમાં નિરાશા દેખાઈ છે, છતાં ઉમેરે છે કે – અરે, ક્વાર્ટર-ટ્રુથને નામે પણ જૂઠ સામે તો લડવું જ જોઈશે !

કામૂ પોતાને વિશે …

Picture Courtesy : Google Images

મેં જણાવેલું છે કે —

મને વિવેચક ભલે ગણો, એના ઉત્તમોત્તમ અર્થમાં હું એ નથી. એમ ભાસ્યા કર્યું છે કે ઉજ્જડિયા ગામના બેચાર એરંડિયામાંનો એક છું, અનુપજાઉ છું. તેમ છતાં, મારાં વિવેચનો વડે હમેશાં મેં સાહિત્યપદાર્થની ભરપૂર ખેવના કરી છે. ગુજરાતી ભાષા-સાહિત્યના વિકાસનું હિત હરદમ ચિન્તવ્યું છે. મારી મને મળેલી ઓળખ એ હિતચિન્તાના કાયમના સહભાગી તરીકેની છે : ગુજરાતી ભાષામાં છેલ્લા અર્ધશતક ઉપરાન્તનાં વર્ષોથી ચાલી રહેલા સાહિત્ય-સર્જન-વિવેચન-વિચાર નામના એક અપરમ્પરાગત શૈલીના કન્ટિન્યુડ ડિસ્કોર્સનો હું સહભાગી રહ્યો છું, નિત્યના વિચારપરામર્શનો સહભાગી રહ્યો છું : અરે, એ હેતુએ પૂરા પ્રેમે કરીને મેં ‘વિવેચક’-ગાળને ઘીની નાળ ગણી છે. ‘બરોડા-સ્કૂલ’ના કે ફલાણા-છાપના ગણાઇને કારકિર્દીમાં મોટાં મોટાં નુક્સાન વેઠ્યાં છે. સમજ-ના-સમજભરી ચર્ચાઓથી લાધેલાં માન-અપમાન સ્વીકાર્યાં છે. પણ આમાંની એકેય વાતનું મને ક્યારે ય અંગત દુ:ખ નથી વસ્યું. બલકે, એ આપણી સાહિત્યિક વાસ્તવિકતા છે એમ ગણીને તેનો મેં ભરપૂર અંગીકાર કરેલો છે.

પાંચમી અફવા એવી કે હું આધુનિક વાર્તાકાર છું અને મને જીવનનો કશો અનુભવ નથી -એમ કે મને રમતગમતમાં રસ નથી. મને અનુઆધુનિક વાર્તાકાર નહીં ગણનારા પણ કેટલાક છે. તેઓ વળી એમ કહે છે કે હું આઇવરી ટાવરમાં રહું છું, જમીન પર વસનારાંની મને ખબર નથી. મને ભલે આધુનિક-અનુઆધુનિક કહો ને મનઘડંત ટીકાઓ કરો, સત્ય એ છે કે હું વાર્તાકાર છું. મારો મનસૂબો છે કે હું ઓછામાં ઓછી બે વાર્તા એવી લખી શકું, જે વિશ્વસાહિત્યમાં બેસી શકે એવી હોય.

હું આઈવરી ટાવરમાં નહીં પણ આઠમા માળે જરૂર રહું છું, અમદાવાદમાં. આમસ્ટર્ડામના ઘરે ત્રીજા માળે અને અમેરિકાના ઘરે પહેલા માળે. પણ દરેક ઘરમાં મારા રૂમની બારી રોડ પર પડતી હોય છે. સવારથી માંડીને સાંજ લગી જનજીવનને હું પૂરી લગનથી એ બારીએથી જોતો હોઉં છું. કમ્પ્યૂટરની વર્લ્ડ વાઇડ વિન્ડો તો ખરી જ. એક વાર્તાકાર તરીકે મને જૅન્તી-હંસા અને છોટુ દેખાયાં છે, સૅક્સ ‘મજાનો ડખો’ લાગી છે; ફટફટિયું કે વર્ચ્યુઅલિ રીયલ સૂટકેસ અનુભવાયાં છે; સોમાસેઠે રવજી ભાભાના જીવનમાં જનમાવેલી કાગારોળ સંભળાઈ છે; ‘જામફળિયામાં છોકરી’ દેખાઈ છે પણ ‘ફૉક્સવેગન છોકરી અને રૅનોડસ્ટર છોકરો’ પણ દેખાયાં છે; વિદેશે બનેલો ‘બનાવ’ કે નૉર્થટ્રેઇલ પાર્કનાં ટૅરિટોરિયલ બર્ડ્ઝ, શું વિધવિધના જીવન-અનુભવોનાં ફળ નથી તો શું છે ભલા’દમી?

અનુભવ માટે જમીન પર વસનારાં જોડે હરુભરુ થઈને કાદવકીચડ ગૉલ્યા હોય ને ધૂળમાં રમ્યો હોય એ જ અનુભાવર્થી? એવા અનુભવાર્થીને હું નાનો, કાચો ને કાયર ગણું છું.

સર્જકનું હૃદયતન્ત્ર સાબદું હોય તો નિરન્તર ધબકતું જ હોય છે અને એના તાર ઝણઝણી ઊઠતા હોય છે અને સંગીત જનમતું હોય છે અને એ સંગીત હમેશાં અને વધારે આસ્વાદ્ય અને ઘણું કલામધુર હોય છે.

મેં કહેલું છે —

ફળિયામાં ચચૂકા કૉડીઓ લખોટીઓ રમતા. સતોડિયું ને લંગડી ખરાં, પણ આંખ ફૂટવાની બીકે બૉલબૅટ નહીં, ઘૂંટણ છોલાઈ જવાની બીકે હુતુતુ નહીં. એક વાર કાણિયા કે ઢબુ પૈસાથી પત્તાં રમવા બાજુની ખડકીમાં, ત્રિકમજીની ખડકીમાં, પ્હૉંચી ગયેલો. પાછળથી આવીને પિતાજીએ જોરથી થપ્પડ મારેલી તે નથી ભૂલ્યો. એ પછી જીવનમાં પત્તાં કદી પ્રવેશી શક્યાં નથી. આજે આત્મવિશ્વાસથી હું એક જ રમત રમી શકું છું – ચેસ. કેમ કે, કહેતો હોઉં છું, એમાં લકની નહીં, ઇન્ટેલિજન્સની – બુધ્ધિની – જરૂર પડે છે !

પથ્થર મારતો માણસ

Picture Courtesy : Public Domain Pictures

મને વાણિયા પટેલ બ્રાહ્મણ અને મારા મુસ્લિમ મિત્રો તો યાદ છે જ પણ એ મોચી એ વાળંદ એ ભરવાડ એ દરજી અને એ લવારના દીકરા જોડેની દોસ્તીઓ પણ યાદ છે. નામ લઈ શકું : શાન્તિ. દિલીપ. મેઘો. મંજુ. હિમતો. વતન જઉં ત્યારે એમાંના કોઈ કોઈને મળવાનું થાય છે. એમની ઉન્નતિ જોઈજાણીને સારું લાગે છે. કલાઇ કરનારા આવતા, છરી-ચપ્પાં-કાતરને ધાર કરનારા આવતા, તે કારીગરોને; પવાલું ઘઉં કે ચોખા સાટે કાશીબોર, જાંબુ કે સીતાફળ વેચનારીઓને, જરી-કસબના તાર માટે જૂના બનારસી સાલ્લા ખરીદનારાઓને, કે અમારા બલકે ગામ આખાના સારામાં સારા દૂધવાળાને, નથી ભૂલ્યો. પાનના ગલ્લા કે લખોટી-સોડાની લારીઓ તેમ જ ગામના જુગારીઓ સટોડિયાઓ શેઠિયાઓ દાક્તરો ઘોડાગાડીવાળાઓની મુસ્લિમ બિરાદરી, બધ્ધું યાદ છે. ‘ઘોડાગાડી બોલાવી લાવ, નહિતર તારા બાપાની તબિયત જોવા નહીં આવું’ એમ કહેનારા દાક્તરકાકા યાદ છે. એમને ઘોડાગાડી જોઈએ જ કેમ કે એ જાડાપાડા હતા, મોટા પેટવાળા અને ઠિંગણા.

અને, કૉલેજ તેમ જ યુનિવર્સિટીકાળના યુવા વયના ખટમીઠા અનુભવો તો અપરમ્પાર છે, એનો કશો પાર નથી. એમાં હવે ઍરપોર્ટો યુરપનાં શહેરો ટ્રામ કારો, અમેરિકામાં સ્ટોર્સ મૉલ પાર્ક, વગેરેના અનેક પ્રસંગો ઉમેરાતા ચાલે છે.

પણ મને એ બધા અનુભવોને ભાષામાં મૂકીને ‘મોટા’ સાહિત્યકાર થઈને મ્હાલવાનું કદી ગમ્યું નથી. મારી સાહિત્યકલાને વિશેની સમજ મને એવું લખતાં રોકે છે. જીવનમાં જે કંઈ બન્યું હોય એને સીધેસીધું સાહિત્યમાં ઠઠાડીએ, તેને હું કલાદ્રોહ ગણું છું. વાચક / ભાવક / સમાજ વગેરે સૌનો પણ એ દ્રોહ છે.

મેં કહ્યું છે —

છેવટે તો મને માણસમાં અને તેની અસ્તિત્વપરક સારીનરસી ખાટીતૂરી પણ નિરન્તર ચાલતી વારતામાં જ સર પડ્યો છે. એને હું મારી વસ્તુસામગ્રી ગણું છું – કન્ટેન્ટ. અને આજે ઉમેરું કે રૂપ – ફૉર્મ – તો મને મારી સર્જકતા સરજી આપે છે.

ભાષામાં એક લેખક મારા જેવો જુદો હોય, તમારી જોડે મેળમાં ન હોય, એ વાતનું દુ:ખ કે સુખ? સમજવા માગીએ તો સમજાય એવું છે.

= = =

(March 14, 2021 : USA)

Loading

સદ્‌ગત ચિત્રકાર હારૂન ખીમાણી

રમણ સોની|Opinion - Opinion|15 March 2021

વર્ષો પહેલાં (૧૯૫૯-૬૩) વડોદરાની ફાઈન આટ્‌ર્સ ફૅકલ્ટીના એક તેજસ્વી વિદ્યાર્થી, ‘મણિસાહેબ’(કે.જી. સુબ્રહ્મણ્યન)ના શિષ્ય અને ગુલામમોહમ્મદ શેખ, ભૂપેન ખખ્ખર વગેરેના અનુકાલીન સહાધ્યાયી મિત્ર રહેલા ચિત્રકળાકાર હારૂન ખીમાણીનું હમણાં, ૧૫મી ફેબ્રુઆરીએ કોરોનાની બિમારીમાં અવસાન થયું. ત્યારે એ એમના પુત્રને ત્યાં બોસ્ટનમાં હતા.

યોગક્ષેમ માટે દિશા બદલાતાં ઘણાં વર્ષ ચિત્રસર્જન છૂટી ગયેલું. એ, આર્થિક રીતે સંપન્ન થયા પછી ફરી શરૂ થયેલું. છેલ્લાં વીસેક વર્ષોથી તો એ નવાં ચિત્રો ઉત્સાહથી કરતા હતા. એમનાં ચિત્રપ્રદર્શનો મુંબઈ, દિલ્હી ને અમેરિકામાં થતાં રહ્યાં ને ધ્યાન ખેંચતાં રહ્યાં. સામ્પ્રત ચિત્રકળાના મુખ્ય પ્રવાહ સાથે સૂર મેળવવા એ કટિબદ્ધ હતા – અંદરનો વેગ ને કળાપ્રીતિ ક્યારે ય મંદ ન પડવા દીધાં. હરવા-ફરવાના શોખીન, પણ ચિત્રો કરે ત્યારે દિવસો સુધી સતત કરે.

કળા અને સાહિત્ય માટે નિસબતભર્યો પ્રેમ. એથી, નામને આગળ કર્યા વિના જ એ ગુજરાતી સામયિકોને, કોઈ કોઈ સાહિત્યિક-સામાજિક સંસ્થાઓને પણ આર્થિક સહયોગ કરતા રહેલા. મુંબઈ એમનું ઘર, પણ અવારનવાર વડોદરા આવે, શેખસાહેબ વગેરે જૂના-નવા મિત્રોને મળે. ઘણા ચિત્રકાર ને સાહિત્યકાર મિત્રો સાથે એમનો ઘરોબો, પણ વચ્ચે ઘણાં વર્ષ એ સંપર્કથી બહાર રહ્યા. એથી સર્વપરિચિત ન થઈ શક્યા.

હારૂનભાઈ સ્વભાવે સરળ ને નિખાલસ, મળતાવડા ને વાતરસિયા. તલ્લીન થઈને એ વાતો કરે ત્યારે તમારે અનિવાર્યપણે શ્રોતા જ રહેવું પડે. પણ તમને કંટાળો ન આવે, એવી રસપ્રદ એમની વાતો, ને એવું ગતિસંચારશીલ એમનું વ્યક્તિત્વ.

૮૫ની વયે પણ સ્ફૂર્તિવાળા, ઊજળે વાન ને મસ્ત મનના, એટલે સોહામણા દેખાય. જયંત મેઘાણીના એ પરમ મિત્ર. હારૂનભાઈ અને જયંતભાઈ સાથે મેં થોડાક આનંદદાયક પ્રવાસો કરેલા છે એનાં પ્રસન્ન સ્મરણો મનમાં સચવાયાં છે.

એમનો ચિત્રસંપુટ ઠીકઠીક સમૃદ્ધ હશે. એમણે આત્મકથા પણ લખી છે એ પ્રકાશિત થવાની સંભાવના છે.

હારૂનભાઈને સ્નેહાર્દ્ર અંજલિ.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2021; પૃ. 11

Loading

હાથથી મળસફાઈ કરનારા વધે છે, પુનર્વસનનું બજેટ ઘટે છે !

ચંદુ મહેરિયા|Opinion - Opinion|15 March 2021

સંસદ અને રાજ્યોનાં વિધાનગૃહોના અંદાજપત્ર સત્રો ચાલી રહ્યાં છે એટલે પંચાયતથી પાર્લામેન્ટ સુધી બજેટનો માહોલ છે. શહેરી મધ્યમવર્ગને આવકવેરાની મુક્તિમર્યાદા કે શું શું સસ્તું – મોઘું થયું એટલા પૂરતી બજેટમાં દિલચસ્પી હોય છે. વિધાનગૃહોમાં પણ બજેટ પર સાર્થક ચર્ચાઓ બહુ ઓછી થાય છે; કેમ કે આર્થિક બાબતો પર ઠોસ ચર્ચા કરી શકે એવા જનપ્રતિનિધિઓની ખોટ છે. બજેટની સૂક્ષ્મ વિગતો ઉજાગર કરી તેનું વિશ્લેષણ કરનારો વર્ગ પણ બહુ સીમિત છે. એટલે જાહેર થયા પૂર્વે અંદાજપત્ર અતિગુપ્ત હોય છે અને પછીથી તે વણચર્ચ્યો આર્થિક દસ્તાવેજ બની રહે છે. આ સંદર્ભે ટ્રાન્સ્પેરન્સી ઈન્ટરનેશનલ ઈન્ડિયા’નો “બજેટ પ્રક્રિયામાં પારદર્શિતા” વિષયક તાજેતરનો અહેવાલ બજેટના ઘડતર અને તેની જાહેર ચર્ચા પર સારો પ્રકાશ પાડે છે. બજેટીય પારદર્શિતાના મુદ્દે કેન્દ્રીય અંદાજપત્ર ૧૦૦માંથી ૭૬ અંક મેળવીને સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. પરંતુ રાજ્યોના અંદાજપત્રોની પારદર્શિતા બહુ પાતળી છે. ગુજરાત રાજ્યોના અંદાજપત્રોની પારદર્શિતામાં સત્તરમા ક્રમે છે.

૨૦૨૦-૨૧ના વરસના અંદાજપત્રને હાંસિયાના લોકોના લાભાલાભની રીતે મૂલવીએ તો નિરાશા સાંપડે છે. બહુ પ્રચારિત અને મહત્ત્વાકાંક્ષી સ્વચ્છ ભારત મિશન યોજનાનો બીજો તબક્કો  શરૂ થઈ ગયો છે. પણ જેમના માથે દેશ આખાની સ્વચ્છતાની જવાબદારી મરાઈ છે તેવા ગટર કામદારો, સફાઈ કામદારો કે હાથથી મળસફાઈ કરનારાના જીવનમાં ઝાઝો ફેર આણી શકાયો નથી. ભારતની સમાજવ્યવસ્થાની એ બલિહારી છે કે વર્ણબહારના ગણાયેલા દલિતોના માથે સફાઈના ગંદા કે હલકા ગણાતાં કામો કરવાનાં આવ્યાં છે. ચન્દ્ર કે મંગળ મિશનના આયોજક દેશમાં હજુ હાથથી મળસફાઈને સંપૂર્ણ તિલાંજલી અપાઈ નથી. દેશનાં અનેક શહેરો અને જિલ્લા ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર કરાઈ રહ્યાં છે. ઘરેઘરે સંડાસ બનાવાઈ રહ્યાં છે. બીજી તરફ ખુદ સરકાર હાથથી મળસફાઈ કરનારા અને ગટરમાં ઊતરીને સફાઈ કરનારા વધી રહ્યાના આંકડા સંસદમાં આપે છે.

મહારાષ્ટ્રના લોકસભા સભ્ય સુધાકર તુકારામ શિંગારેના અતારાંકિત પ્રશ્ન ક્રમાંક ૫૫, તા.૨-૨-૨૦૨૧ના લેખિત જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું છે કે ૨૦૧૬થી ૨૦૨૦ સુધીમાં દેશનાં ૧૯ રાજ્યોમાં ૩૪૦ લોકોના ગટરમાં ઉતરીને સફાઈ કરવાના કારણે મોત થયાં છે. સૌથી વધુ બાવન ગટર કામદારોનાં મોત ઉત્તરપ્રદેશમાં તે પછી તમિલનાડુમાં ૪૩, દિલ્હીમાં ૩૬, મહારાષ્ટ્રમાં ૩૪ અને ગુજરાત તથા હરિયાણામાં ૩૧-૩૧ સફાઈ કામદારોનાં મોત થયાં છે. રાજ્યસભામાં મંત્રી મહોદયે આપેલી માહિતી મુજબ ૩૪૦માંથી ૨૧૭ને જ વળતર ચૂકવી શકાયું છે; કેમ કે બાકીના મરણ પામેલા ગટર કામદારો વિશે પૂરતી વિગતો મળતી નથી. ગટર સાફ કરવાને કારણે મરણ થયાં છે તે હકીકત છે, સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર તેમને વળતર પણ ચૂકવવાનું છે, પણ જેમને ગેરકાયદે ગટરમાં ઉતારીને મારી નંખાયા છે તેમનાં નામ-ઠામનો પત્તો વિશ્વગુરુ બનવા માંગતા દેશના વહીવટી તંત્ર પાસે નથી !

ગટરસફાઈ કરતાં મૃત્યુ પામેલા કામદારોની સાચી માહિતી જેમ સરકાર પાસે નથી તેમ મેન્યુઅલ સ્કેવેન્જર્સ કહેતાં માથે મેલું ઉપાડનારા કે હાથથી મળસફાઈ કરનારા લોકો દેશમાં ખરેખર કેટલાં છે તેના અધિકૃત, ચોક્કસ અને વિશ્વસનીય આંકડા પણ સરકાર પાસે નથી. રાજ્યસભાના વર્તમાન સત્રમાં સરકારે હાથથી મળસફાઈ કરનારા ૬૬,૬૯૨ લોકોની ઓળખ થઈ હોવાનું લેખિતમાં સ્વીકાર્યું છે. તેમાં પણ અડધોઅડધ કરતાં વધુ, ૩૭,૩૭૯ના આંક સાથે, યુ.પી. અવ્વલ છે. સરકારી સંસ્થા “નેશનલ સફાઈ કર્મચારી ફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન”ના ૨૦૧૩ના ૧૩ રાજ્યોના સર્વેમાં હાથથી મળસફાઈ કરનારાનો આંક ૧૪,૫૦૫ દર્શાવ્યો છે. ૨૦૧૮-૧૯માં ૧૮ રાજ્યોના ૧૭૦ જિલ્લાના ૮૭,૯૧૩ લોકોની હાથથી મળસફાઈ કરનારા તરીકે ઓળખ થઈ હતી. પરંતુ રાજ્ય સરકારોને તે સ્વીકાર્ય નહોતી. એટલે ૧૪ રાજ્યોના ૮૬ જિલ્લાના ૪૨,૪૦૩ની ઓળખ જ માન્ય રહી હતી. બિહાર, હરિયાણા, જમ્મુ-કશ્મીર અને તેલંગણાએ પોતાના રાજ્યમાં મેન્યુઅલ સ્કેવેન્જર્સ હોવાનો જ ધરાર ઈનકાર કર્યો છે. હવે ૨૦૨૦ના અંતે સરકાર તે વધીને ૬૬,૬૯૨નો થયાનું જણાવે છે. દેશમાં વિકાસ અને આધુનિકતાની, રેકર્ડ સમયમાં કોરોનાની રસી શોધ્યાની, ગુલબાંગો પોકારાય છે પણ મહાનગરો-નગરો અને ગામડાંઓમાં ગટરો અને ખાળકૂવા સાફ કરવા માટેનાં યંત્રો શોધાતાં નથી, શોધાયાં હોય તો ખરીદાતાં નથી  અને ખરીદાયાં હોય તો વપરાતાં નથી.

૧૯૯૩ અને ૨૦૧૩ના સૂકા જાજરૂ બનાવવા પ્રતિબંધ ફરમાવતા અને ગટરસફાઈ સહિતની હાથથી થતી મળસફાઈને ગેરકાયદે ઠેરવતા કાયદા થયા છે. કાયદામાં દોષિતોને જેલ અને દંડની સજાની જોગવાઈ છે પરંતુ ખાનગી ધોરણે જ નહીં સરકારી તંત્રોમાં પણ હાથથી મળસફાઈ અને ગટર સફાઈ કરાવવામાં આવી રહી છે અને સંસદમાં કહેવાયું છે તેમ આખા દેશમાં એક પણ વ્યક્તિને સજા થઈ નથી ! પૂર્વ ક્રિકેટર અને દિલ્હીના બી.જે.પી. સાંસદ ગૌતમ ગંભીરના પૂરક પ્રશ્નના જવાબમાં લોકસભામાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે સરકાર હાથથી થતી મળસફાઈ માટે કોઈ નવો કાયદો ઘડવાની નથી કે હાલના કાયદામાં કોઈ સુધારો પણ કરવાની નથી. મંત્રીમહોદયની વાત સોઆની સાચી છે. કોઈ કડક કાયદો ઘડવાની નહીં, વર્તમાન કાયદાનો અમલ કરાવવાની જરૂર છે. કાયદા હેઠળ દોષિત ઠરેલ કોઈ એકાદને પણ દંડ અને સજા કરાવવાની જરૂર છે.

યંત્રોથી જ સફાઈ કરવાની રાષ્ટ્રીય નીતિ સરકાર ઘડી રહી હોવાનું સંસદને જણાવાયું છે. ગયા વરસના બજેટ ભાષણમાં નાણાં મંત્રી નિર્મલા સિતારામને કહ્યું હતું કે “અમારી સરકાર એ વાતે પ્રતિબધ્ધ છે કે ગટરની સફાઈ વ્યક્તિ દ્વારા ન જ કરવી. આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય ગટરોની સફાઈ યંત્રો દ્વારા કરાવવાની ટેકનિક શોધી રહી છે. સરકારના આ વિભાગો દેશની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના સતત સંપર્કમાં છે. જેથી તેઓ ગટર સફાઈની ટેકનિક અપનાવે. આ યોજનાનો કાનૂની અમલ કરવા સાથે ભારત સરકાર રાજ્યોને આર્થિક મદદ પણ કરશે.” નાણાં મંત્રીની આ ઘોષણા પછી દેશના કેટલા મહાનગરો-નગરોમાં ગટર સફાઈ માટે યંત્રો અપનાવાયાં કે ઘરેઘરે શૌચાલયો બની ગયાં તે તપાસનો વિષય છે. પણ  હા, હજુ ય ગટરસફાઈ કરતાં દલિતોના મરણ થઈ રહ્યાં છે.

રાજકીય ઈચ્છાશક્તિ વગરની સરકારો અને સંવેદનહીન સરકારી બાબુઓ આ બાબતે શું કરી શકે છે તેનું ઉદાહરણ તાજેતરમાં ગુજરાતમાં જોવા મળ્યું છે. રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારો પાસે ફલશ કે પાણીબંધ જાજરૂ હોવાની બાંહેધરી માંગી હતી. તેનો અર્થ એ કે જનપ્રતિનિધિ બનવા માંગતી વ્યક્તિના ઘરે પણ પાણીસહિતના જાજરૂ ન હોવાની વાત સરકાર સ્વીકારે છે. અમદાવાદની મહાનગરપાલિકાના કમિશનરે તાબાના અધિકારીઓને લેખિત સૂચના આપી છે કે હવેથી સરકારી દસ્તાવેજ અને પત્રોમાં ગટરો માટે ‘મેનહોલ’ને બદલે ‘મશીનહોલ’ શબ્દનો જ ઉપયોગ કરવો ! ભલે માણસોને અંદર ઉતારીને ગટરો સાફ કરાવાય પણ ગટરો ‘મશીનહોલ’ કહેવાશે. ઘરે જાજરૂ ના હોવાની સજા વ્યક્તિને ચૂંટણી લડતા અટકાવીને કરાશે.

ભારતનું બંધારણ પ્રત્યેક નાગરિકને ગરિમાપૂર્ણ જીવનનો અને સન્માનજનક રોજગારનો અધિકાર આપે છે. છતાં દલિતોને જ સફાઈનું નિમ્ન ગણાતું કામ કરવું પડે છે. તેમને સન્માનજનક વૈકલ્પિક રોજગાર આપી તેમનું પુનર્વસન કરવાનું કામ સરકારનું છે. આ બાબતમાં સરકારી સંવેદના કેવી છે તેના પુરાવા પણ બહુ દૂર શોધવા જવાની જરૂર નથી. ગટરકામદાર કે હાથથી મળસફાઈ કરનાર વ્યક્તિના કુટુંબના કોઈ એક સભ્યને સ્વરોજગાર માટે રૂ. ૪૦,૦૦૦ની આર્થિક સહાય, મહિને રૂ.૩,૦૦૦ની સહાય સાથે બે વરસ સુધી કૌશલ્યવિકાસની તાલીમ અને સ્વરોજગાર માટે રૂ.૩.૨૫ લાખ સુધીની લોનની રૂપાળી યોજના કાગળ પર જ છે. કેન્દ્રના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની સ્થાયી સમિતિના લોકસભામાં રજૂ થયેલા દસમા અહેવાલમાં જણાવ્યા મુજબ પુનર્વસન માટે લાયક ૪૮,૬૮૭ મેન્યુઅલ સ્કેવેન્જર્સમાંથી માત્ર ૩૦,૨૪૬ને જ પુનર્વસન માટે રોકડ સહાય મળી છે. તેમના કૌશલ્ય વિકાસ માટેની તાલીમ કે ગરિમાપૂર્ણ વૈકલ્પિક વ્યવસાયનું સર્જન કરવામાં આવ્યું નથી.

કેન્દ્રના ૨૦૧૭-૧૮ના અંદાજપત્રમાં પુનર્વસન માટે માત્ર રૂ.૫ કરોડની જોગવાઈ હતી. ૨૦૧૯-૨૦માં રૂ.૧૧૦ કરોડની જોગવાઈ સામે બજેટ ફાળવણી રૂ.૮૪.૮૦ કરોડની જ થઈ હતી. ૨૦૨૦-૨૧માં ફરી એ જ રૂ.૧૧૦ કરોડની બજેટ જોગવાઈ તો કરી પણ છ મહિના સુધી એક પણ રૂપિયાની ફાળવણી થઈ નહીં. હવે સુધારેલા અંદાજમાં ૧૧૦ કરોડની ફાળવણી ઘટાડીને રૂ.૩૦ કરોડની અને ગયા વરસની રૂ.૧૧૦ કરોડની જોગવાઈમાં ઘટાડો કરીને ૨૦૨૧-૨૨ના બજેટમાં રૂ.૧૦૦ કરોડની જોગવાઈ કરી છે એટલે એક જ વરસમાં બજેટ જોગવાઈમાં ૭૩ ટકાનો કાપ કર્યો છે. સફાઈ કામદારોના પુનર્વસનનો જેમાં સમાવેશ થતો નથી તે સ્વચ્છ ભારત મિશનના ૨૦૨૦-૨૧ના બજેટની રૂ.૧૨,૩૦૦ કરોડની જોગવાઈ સુધારેલા અંદાજમાં ઘટીને રૂ.૭,૦૦૦ કરોડ થતાં તેમાં પણ ૪૩ ટકાનો કાપ મુકાયો છે. નવા નાણાકીય વરસમાં સ્વચ્છ ભારત મિશનની બજેટ જોગવાઈમાં એક પણ રૂપિયાનો વધારો કર્યો નથી.

ભારે આર્થિક અને તીવ્ર સામાજિક અસમાનતા ધરાવતા આપણા દેશમાં સમાજના નબળા કે હાંસિયાના વર્ગોના કલ્યાણનો ખ્યાલ વિકાસ, સશક્તિકરણ અને હવે અધિકારિતા અને ન્યાય જેવા રૂપાળા શબ્દોમાં બદલાઈ રહ્યો છે. પણ શબ્દોનો બદલાવ તેમના જીવનને બદલી શકે એવી આર્થિક જોગવાઈઓ અને યોજનાઓ, સામાજિક માહોલ અને રાજકીય ઈચ્છાશકિતનો ભારોભાર અભાવ પ્રવર્તે છે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયનો  ૨૦૧૯-૨૦નો બજેટ ખર્ચ રૂ.૮,૭૧૨.૬૧ કરોડ હતો. ૨૦૨૦-૨૧નું બજેટ અનુમાન રૂ.રૂ.૧૦,૧૦૩.૫૭ કરોડ હતું જે સુધારેલા અંદાજોમાં રૂ. ૫૦૫.૦૮ કરોડ ઘટાડીને રૂ.૮૨૦૭.૫૩ કરોડનું થઈ ગયું છે. હવે નવા બજેટમાં ગત વરસના અનુમાનમાં સામાન્ય વધારો કરીને રૂ.૧૦,૫૧૭.૬૨ કરોડની જોગવાઈ થઈ છે. દલિતોની વસ્તીના પ્રમાણમાં બજેટ ફાળવણી થતી નથી. વધુ આંચકાજનક બાબત તો એ છે કે આ વરસની બજેટ સ્પીચમાં ફાઈનાન્સ મિનિસ્ટરે શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઈબ સબપ્લાનનો કોઈ ઉલ્લેખ જ કર્યો નથી.

જે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે તે પૈકીના ચાર પશ્ચિમ બંગાળ, કેરળ, અસમ અને તમિલનાડુ માટે મોટી બજેટ જોગવાઈ થઈ છે. આ બજેટ જોગવાઈ રાષ્ટ્રીય રાજમાર્ગોના નિર્માણ, મેટ્રો, ટેકસટાઈલ પાર્ક, સમુદ્રી શેવાળ પાર્ક માટે કરી છે. દેશની રાજધાની દિલ્હીના ૩૦ ટકા વિસ્તારમાં આજે ય ગટર લાઈન નથી.  આ ચાર રાજ્યોનાં મહાનગરો-નગરોની સ્થિતિ કંઈ દિલ્હી કરતાં સારી નથી. ત્યારે ગટરલાઈન માટે કોઈ બજેટ જોગવાઈ નથી. સ્માર્ટસિટી તો બનાવવાં છે, પણ સ્માર્ટ સેનિટેશન નહીં. દેશને ખુલ્લામાં શૌચમુક્ત કરવા સાથે જેમના માથે સફાઈનું કામ મારવામાં આવ્યું છે તેમને મુક્ત કરી ગરિમાયુક્ત રોજગાર માટેના નક્કર પગલાં અને યોજના કેમ વિચારાતાં નથી ?

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2021; પૃ. 10-11

Loading

...102030...2,0012,0022,0032,004...2,0102,0202,030...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved