Opinion Magazine
Number of visits: 9663022
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માતૃભક્ત મન્જિરો

સુરેશ જાની|Opinion - Opinion|7 February 2026

ત્રીજા દિવસે માછલીઓનું એક મોટું ટોળું હાથવગું થયું હતું. ઘણી બધી માછલીઓ પકડી શકાશે અને દુઃખના દા’ડા ફરી નહીં જોવા પડે; એવી આશા બંધાઈ હતી. પણ કરમ બે ડગલાં આગળ હતું.  એકાએક દરિયાઈ વાવાઝોડું ધસી આવ્યું. અને મન્જિરોની બધી આશાઓ પર પાણી ફરી વળ્યું. વાવાઝોડાની સાથે એ લોકો સાત સાત દહાડા સુધી દિશાના કોઈ ભાન વિના ખેંચાતા રહ્યા. સાતમે દિવસે એક અજાણ્યા ટાપુની નજીક તો આવ્યા પણ એમની હોડી ખડકની સામે ખાબકી અને એને તોડી ફોડીને, એ દુ:શ્મન વાવાઝોડાએ એમના ગામથી એમને એ સાવ નિર્જન ટાપુ પર ફંગોળી દીધા. ઉપર આકાશ અને નીચે ધરતી.

૧૮૨૭ની સાલમાં જાપાનના દરિયાકિનારે આવેલા સાવ નાનકડા ગામ ‘નાકાહામા’માં જન્મેલો મન્જિરો સાવ ગરીબ વિધવા માનો, સૌથી મોટો દીકરો હતો. બાપનું મરણ થતાં, એના માથે ઘર ચલાવવાની જવાબદારી માત્ર નવ વર્ષની ઉમરે આવી પડી હતી. પાંચ પાંચ વર્ષ કાળી મજૂરી કરી માંડ ખાવા ભેગાં એ લોકો થતા. એની દશા પર દયા આવતાં, ડેન્ઝો નામના માછીમારે ભાડે લીધેલી હોડીમાં સહિયારી ભાગીદારીમાં માછલીઓ પકડી સ્વતંત્ર ધંધામાં બીજા ત્રણ એના જેવા જ વખાના માર્યા કિશોરો સાથે એને લીધો હતો. એની સાથે એણે પોતાના બે ભાઈઓ ગોમોન અને જુસુકેને અને એક દોસ્ત તોરેમોનને પણ લીધા હતા. કુલ પાંચ જણનો કાફલો. બધા સ્વતંત્ર ધંધાની કમાણીમાંથી ગરીબાઈની રેખાની ઉપર આવી જવાની આશામાં નાચતા અને કૂદતા હતા.

 અને પહેલી જ સફરમાં આ દુર્ભાગ્ય …

અને એ સાવ નિર્જન ટાપુ પર એમણે પાંચ મહિના માંડ માંડ કાઢ્યા. ચાર મહિના તો ત્યાં આવીને રહેલા યાયાવર આલ્બ્બેટ્રોસ પક્ષીઓનો શિકાર કરીને એમની ભૂખ ભાંગતી; પણ પીવાના પાણીનાં ત્યાં સાંસાં હતાં. થીજેલા બરફમાંથી ટપકી ટપકીને માંડ પાણી ભેગું કરી શકાતું. મંજિરો સિવાયના બધા માંદા પડી ગયા હતા. કદાચ એમનો ઉગાર કરવા કોઈ વહાણ આવી જાય; તો પણ પાછા જાપાન પહોંચવાના વિચારે પણ એ સૌ કંપી જતા. સાવ સાદા કારણે કે, ૧૬૦૩ની સાલથી ૧૮૫૫ સુધી જાપાને બહારની દુનિયા સાથેનો સમ્પર્ક સમ્પૂર્ણ રીતે કાપી નાંખ્યો હતો. માત્ર ડચ જહાજોને જ નાગાસાકી નજીકના એક ટાપુ પર લાંગરવા દેવામાં આવતા; અને ડચ ખલાસીઓ ત્યાં લગભગ કેદીઓની જેમ જીવન ગુજારી શકતા. બીજા કોઈ પણ દેશનું વહાણ, તોપમારના ભયથી જાપાનના કિનારાની નજીક જવાની હિમ્મત કરી ન

મન્જિરો

શકતું. જાપાનની કોઈ પણ વ્યક્તિ જાપાનની બહાર જઈને પાછી આવે; તો તેની સામે દેશ છોડવાના ગુના માટે કાયદેસર ખટલો માંડવામાં આવતો; અને મોટે ભાગે તો ફાંસીની સજા થતી.

આમ દુર્ભાગી જાપાનીઓ માટે જીવનમાં કોઈ જ આશા ન હતી.

અને ૧૮૪૧ના જૂન મહિનામાં એમનું ભાગ્ય જરીક ખુલ્યું. વ્હેલનો શિકાર કરતા, ‘જ્હોન હાઉલેન્ડ નામના અમેરિકન વહાણે એ ટાપુની નજીક લંગર નાંખ્યું અને બે હોડીઓમાં એના બાર ખલાસીઓ ટાપુ પરથી કાચબા પકડવા ઉતર્યા. આ કમનસીબોની કરમકહાણી હાથ અને મોંના હાવભાવ વડે એમણે જાણી અને વહાણ પર એમને આશરો આપ્યો. મંજીરો અને એના સાથીઓએ આવા ફિક્કા રંગના માણસો કદી જોયા ન હતા. પરદેશીઓને તો જાપાનમાં ભયાનક દેખાવવાળા રાક્ષસો જ માનવામાં આવતા હતા. પણ આ વહાણના દયાળુ સ્વભાવવાળા કેપ્ટન વિલિયમ વ્હિટફિલ્ડની કૃપાથી વહાણ પર એમને આશરો મળ્યો અને એ સૌ પણ વ્હેલના શિકારના કામમાં જોતરાઈ ગયા.

મંજીરોના સાથીઓ તો હજી હતાશામાં જ ગરકાવ હતા; પણ માંડ ૧૪ વર્ષની ઉમરનો મંજિરો તરવરાટવાળો હતો. એને એ સમજાઈ ગયું કે, જાપાનના માછીમારો કરતાં આ અમેરિકનો ઘણા વધારે કાબેલ હતા. મધદરિયે વ્હેલનો પીછો કરીને એનો શિકાર કરી શકતા; અને ઘણા મોટા વહાણને હંકારી શકતા હતા. એના મિલનસાર સ્વભાવ અને નવું તરત શીખી લેવાની ધગશ અને આવડતના કારણે એ તો કેપ્ટનનો માનીતો બની ગયો; અને ફટાફટ શિકારની અને વહાણ ચલાવવાની કળા શીખવા લાગ્યો.

૧૮૪૧ના નવેમ્બર મહિનામાં ઓગણીસ વ્હેલોનો શિકાર કર્યા પછી હવાઈ ટાપુઓના સૌથી મોટા બંદર હોનોલુલુમાં વહાણ પહોંચી ગયું. મંજિરો સિવાયના ચારેય જણા તો ત્યાં રહી જ પડ્યા. એમને નોકરી અને રહેવાની વ્યવસ્થા થઈ ગઈ. પણ મંજિરોને કેપ્ટને પોતાની સાથે અમેરિકા આવવા કહ્યું. ચબરાક મંજિરોએ આ તક ઝડપી લીધી; અને એની જિંદગીનું એક નવું પ્રકરણ શરૂ થયું.

જાન્યુઆરી-૧૮૪૨માં વહાણે હોનોલુલુ છોડીને વહેલના શિકારની બીજી યાત્રા શરૂ કરી; ત્યારે મન્જિરો એના કામદારોમાંનો એક બની ગયો હતો. અને હવે તે વખાનો માર્યો નિરાશ્રિત ન હતો. હેલ્પર તરીકે એને ચોખ્ખા નફાનો ૧૪૦મો ભાગ પણ મળવાનો હતો. હવે તે અમેરિકન વહાણ પર કમાતો ધમાતો બન્યો હતો. પણ … એના અંતરમાં તો કાળી લ્હાય સતત બળ્યા કરતી. એની ગરીબડી માતા એની મદદ વિના બીજાં ભાંડવોને શી રીતે ખવડાવતી હશે; એની ચિંતા એના હૈયાને કોરી ખાતી.

      સોળ સોળ મહિના લગણ એ લોકો વ્હેલ માછલીઓને ગોતતા, પેસિફિક મહાસાગરના પટને ફંફોળતા રહ્યા. તાહિટી, ગુનામ અને કેપ હોર્ન (દક્ષિણ અમેરિકાનો દક્ષિણ છેડો) થઈને ‘જ્હોન હાઉલેન્ડ’ વહાણ ૧૮૪૩ના મેની સાતમી તારીખે મેસેચ્યુસેટ્સના ન્યુ બેડફર્ડ બન્દરે, સાડા ત્રણ વર્ષની લાંબી સફરના અંતે પાછું ફર્યું. મન્જિરોને માદરે વતન છોડ્યાને અઢી વર્ષ પૂરા થયાં હતા.

અને…

   પહેલા જાપાનીઝે અમેરિકન ધરતી પર પગ મૂક્યો. આ નવી દુનિયાની અજીબો ગરીબ જીવન શૈલી જોઈને મન્જિરો તો હેરત પામી ગયો. થોડાક દિવસ પછી કેપ્ટન વ્હીટ્ફિલ્ડ મન્જિરોને પોતાની સાથે, ધંધાદારી કામ માટે ન્યુયોર્ક પણ લઈ ગયો. એને વ્હેલના તેલ અને હાડકાંનો સારો ફાયદો મળે એવો ઘરાક ગોતવાનો હતો. અને પોતાના જૂના મિત્ર એબન અકીનને મન્જિરોને રાખવાની અને ભણાવવાની જવાબદારી સોંપી. સોળ વર્ષની ઉમરનો મન્જિરો એના જીવનની પહેલી શાળમાં એકડો ઘૂંટવા લાગ્યો!

    બે મહિના પછી, કેપ્ટન વ્હિટ્ફિલ્ડે કમાણી તો રોકડી કરી જ લીધી; પણ આલ્બરટાઈન કીથ સાથે લગ્ન પણ કરી લીધાં. એની નવોઢાને પણ મન્જિરો બહુ ગમી ગયો; અને ત્રણે જણાં ન્યુ બેડફર્ડના સામા કિનારે ફેરહેવન પાછા વળ્યા. કેપ્ટને નવું ઘર ખરીદી લીધું; અને મન્જિરો એમના પાલક પુત્રની જેમ એમની સાથે રહેવા લાગ્યો. ત્યાંની બાર્ટલેટ એકેડેમીમાં વહાણવટા અને સર્વે ઈંગની તાલીમ પણ મન્જિરો લેવા લાગ્યો.

   કેપ્ટન સાથે અઢી વર્ષ આમ ગાળ્યા બાદ; મન્જિરોને થયું કે, તેણે હવે જાતે કમાવું જોઈએ. આથી કેપ્ટનની પરવાનગી લઈને તે કેપ્ટન ઈરા ડેવિસના ‘ફ્રેન્કલિન’ નામના જહાજ પર રસોઈયાના મદદનીશ તરીકે જોડાઈ ગયો. ૧૮૪૬ના મેની ૧૫મી તારીખે ૨૪ સાથીઓ સાથે ફ્રેનક્લિન જહાજે સફર આદરી. એક વરસ પછી, વ્હેલની શોધમાં એટલાન્ટિક મહાસાગર ખુંદતાં ખુંદતાં; આફ્રિકાની દક્ષિણ ટોચ ‘કેપ ઓફ ગુડ હોપ’ થઈને જાપાનના દરિયાની નજીકથી પસાર થયું. જાપાનના માછીમારોની હોડીની નજીકથી એ લોકો પસાર થયા.

    આખી દુનિયાનો ચકરાવો ફરી ચૂકેલા મન્જિરોને આશા બંધાઈ કે, કેપ્ટન તેને જાપાનના કિનારે ઉતારી દેશે; અને પોતાની વ્હાલસોયી માતાની સાથે એનું પુનર્મિલન થશે. પણ એ આશા ઠગારી નીવડી. જાપાનની વિદેશીઓ માટેની નફરતની ડેવિસને પૂરી ખબર હતી. ખાલી ખાધસામગ્રીની આપલે કરીને જહાજ હોનોલુલુના અમેરિકન કિનારા તરફ ધસી ગયું.

અને ૧૮૪૮ના સપ્ટેમ્બર મહિનામાં મન્જિરો હોનોલુલુ પરના એના જાપાની સાથીઓને ફરી મળી શક્યો. એમાંનો એક જુસુકે તો ગુજરી પણ ગયો હતો.

એક મહિનો ત્યાં ગાળ્યા બાદ, જહાજ તો વધુ વ્હેલના શિકાર માટે આગળ ધપ્યું. પણ કશીક માંદગીના કારણે કેપ્ટન ડેવિસની હાલત ખરાબ થઈ ગઈ; અને તે લગભગ ગાંડા જેવો બની ગયો; અને ખલાસીઓ તરફ હિંસક બનવા લાગ્યો. બધાએ ભેગા મળીને એને કેદી બનાવી દીધો; અને એના મદદનીશને કેપ્ટન બનાવ્યો. મન્જિરોના વહાણ ચલાવવાના અને બીજા કામોની અદ્દભુત આવડત જાણીને બધાએ આ નવા કેપ્ટનના મદદનીશ તરીકે તેની નિમણૂંક એકમતે કરી દીધી.

ફિલિપાઈન્સના મનીલા બન્દર પર વહાણ લાંગર્યું ત્યારે ત્યાંના અમેરિકન કોન્સલે ડેવિસને જેલમાં પૂરી દીધો; અને વહાણ ફરીથી આવ્યું હતું; તે રસ્તે પા્છું વળ્યું. અને છેવટે ૧૮૪૯ના સપ્ટેમ્બર મહિનામાં વહાણ લગભગ સાડા ત્રણ વર્ષની સફરના અંતે ન્યુ બેડફર્ડ પાછું ફર્યું. તેમણે ૫૦૦થી વધારે વ્હેલોનો શિકાર કર્યો હતો. સફરના અંતે, ૩૫૦ ડોલર જેટલી માતબર રકમ મન્જિરોને મળી.

અને મન્જિરોએ ગાંઠ વાળી કે, અમેરિકાની ધરતી પર ખૂબ કમાણી કરી; પોતાનું વહાણ ખરીદવું અને પોતાની તાકાત પર વ્હાલી માને મળવા જાપાન પાછું ફરવું.

**************************

મન્જિરો અમેરિકા પાછો ફર્યો, ત્યારે અમેરિકા એક ચેપી રોગમાં ઘેરાયેલું હતું; અને મન્જિરોને પણ એ રોગે ઘેરી લીધો. કયો હતો એ રોગ? એનું નામ હતું ‘ગોલ્ડ ફીવર’ – સોનેરી તાવ! ‘કેલિફોર્નિયામાં સોનું મળ્યું છે.’ – એ સમાચારે ઘણા અમેરિકનો પાગલ બની ગયા હતા; અને રાતોરાત લખપતિ બની જવાની લ્હ્યાયમાં પોતાની બધી મૂડી વેચી સાટીને કેલિફોર્નિયાના સેક્રેમેન્ટો ( હાલની રાજ્યધાની) નજીક સોનું ખોદી કાઢવાના કામમાં જોતરાઈ ગયા. હતા.

મન્જિરો પાંત્રીસ ડોલરની ટિકિટ ખર્ચીને અને વહાણમાં મદદનીશ તરીકે કામ કરીને તે આખા અમેરિકા ખંડની પરિક્રમા કરીને સાન ફ્રાન્સિસ્કો પહોંચી ગયો. ત્યાંથી સોનું મળતું હતું, એ વિસ્તારમાં જવા, એણે નવા શરૂ થયેલા સ્ટીમથી ચાલતા વહાણમાં મુસાફરી કરી. એક મહિનો તો તેણે મજૂર તરીકે કામ કર્યું; પણ સોનું મેળવવાની કળા હસ્તગત કરીને જાતે એ કામમાં પરોવાઈ ગયો. બે જ મહિના આમ કામ કરીને તે ૬૦૦ ડોલર કમાયો. ભેગી થયેલી મૂડી લઈને તે તો હોનોલુલુ લઈ જતા સ્ટીમ વહાણમાં બેસી ગયો. ત્યાં પહોંચીને એના જૂના સાથીઓને જાપાન પાછા ફરવાનો પોતાનો પ્લાન સમજાવ્યો. પણ ‘ત્યાં પાછા ફરીને ફાંસી જ મળવાની.’ –એ ભયથી ડેન્ઝો અને ગોમન સિવાય કોઈ તૈયાર ન થયું.

પણ પોતાનું નાનકડું વહાણ ખરીદવા મન્જિરો પાસે એકઠી થયેલી મૂડી પૂરતી ન હતી. તેણે છાપામાં મદદ માટે જાહેરાત આપી; અને ત્યાં રહેતા હમદર્દ રહેવાસીઓની ઉદાર મદદનો ધોધ વહેવા લાગ્યો. ૧૬૦ ડોલર રોકડા, કપડાં, કમ્પાસ, વગેરે, સફરને માટે જરૂરી સામગ્રી તેને આમ મળી ગઈ. એણે ‘એડવેન્ચરર’ નામની નાની હોડી ખરીદી.

     આ સમય દરમિયાન ૧૭, ડિસેમ્બર -૧૮૫૦ના રોજ ‘સેરા બોઈડ’ નામનું વેપારી જહાજ હોનોલુલુના બંદરમાં લાંગર્યું. તે સાન ફ્રાન્સિસ્કોથી શાન્ઘાઈ જતાં રસ્તામાં વેપારી સામગ્રી લે વેચ કરવા હોનોલુલુ આવ્યું હતું. મન્જિરોએ એના કેપ્ટનને વિનંતી કરી કે, ત્રણે જણાને એની હોડી સાથે એની પર સફર કરવા દે; અને જાપાનના કિનારાથી થોડે દૂર એમને ઉતારી દે. મન્જિરો તો હોનોલુલુમાં ખાસો પ્રખ્યાત બની ચૂક્યો હતો. આથી એ જહાજના કેપ્ટનને પણ એને માટે સહાનુભૂતિ થઈ. જો કે, કેપ્ટનને પણ મહેનત કરી શકે તેવા ખલાસીઓની જરૂર પણ હતી જ. એના મોટા ભાગના સાથીઓ ઓલ્યા ‘સોનેરી તાવ’ લાગવાના કારણે ભાગી ગયા હતા! હોનોલુલુના ગવર્નરે તેને સરસ પ્રમાણ પત્ર પણ આપ્યું. હોનોલુલુના રહેવાસીઓએ પણ કેપ્ટન ‘જ્હોન મન્ગ’ને મુબારકબાદી આપી.

   અને છેવટે … મન્જિરો અને તેના સાથીઓની માદરે વતન તરફની સફર શરૂ થઈ. ૭૦ દિવસની સફર બાદ ‘સેરા બોઈડ’ જાપાનના ‘લૂ ચૂ’ ટાપુના ‘ઓકીનાવા’ બંદરથી ચાર જ માઈલ નજીક આવી પહોંચ્યું. આ કથાની શરૂઆતમાં જણાવ્યું છે ; તેવી જ તોફાની હવા એ વખતે ચાલી રહી હતી. સખત પવન અને સ્નોનું અવિરત આક્રમણ જારી હતાં. કેપ્ટને મન્જિરોને ઉતરાણ કરવાના જોખમો અંગે ચેતવ્યો. પણ દસ દસ વરસની તપશ્ચર્યા અને વહાણવટાની તાલીમ અને સાધનાના પ્રતાપે, મન્જિરો હવે ઘણો વધારે કાબેલ અને આત્મવિશ્વાસથી ભરપૂર હતો. ગરીબડી અને વ્હાલી માને મળવાની અને એને માટે ખરીદી રાખેલી ભેટોથી એને ઢાંકી દેવાની આતુરતા એના શરીરમાં નવા પ્રાણનો ધસમસતો સંચાર કરી રહી હતી.

  અને છેવટે એ બધાં તોફાની પવનોને અતિક્રમીને મન્જિરો અને તેના બે સાથીઓએ માદરે વતનની જમીન પર પગ મુક્યા.

કિનારા પરના ગ્રામવાસીઓ આ વિચિત્ર કપડાં પહેરેલા, પરદેશી જેવા લાગતા માણસોને જોઈને ગભરાઈ ગયા; અને એમને આવકારવાને બદલે ભાગીને દૂર જતા રહ્યા. માત્ર અડધા કલાકમાં જ સ્થાનિક પોલિસે એમને પકડી લીધા. એમની હોડી અને એમાંની બધી મતા સરકાર હસ્તક કરવામાં આવી. પણ એમને ફાંસીની સજા; એ વિસ્તારના ડેઈમ્યો (સ્થાનિક સૂબો) નારિયાકિરાની સંમતિ વિના ન આપી શકાય; એથી એમને ઓકિનાવાની જેલમાં પૂરી દેવામાં આવ્યા; અને ઘનિષ્ઠ પૂછતાછ શરૂ થઈ. સાત મહિના સુધી પાંચ પોલિસ ઓફિસરોએ એમની સાથે માથાકૂટ કરીને એક લાંબો લચક હેવાલ બનાવ્યો અને ડેઈમ્યોની જાણ માટે મોકલી આપ્યો.

મન્જિરો, એના સાથીઓ અને જાપાનના સદ્દભાગ્યે નારિયાકિરા ઉદારમતવાદી હતો; અને જાપાનની એ સદીઓની ‘બંધ બારણાં’ની નીતિનો વિરોધી હતો. એને આ હેવાલમાં બહુ જ રસ પડ્યો અને તેણે મન્જિરો અને તેના સાથીઓ સાથે રૂબરૂ જાતમાહિતી મેળવવાનું નક્કી કર્યુ. અને તેને પોતાની માન્યતા સાચી લાગી. એને પ્રતીતિ થઈ ગઈ કે, જાપાન વિશ્વમાં થઈ રહેલી પ્રગતિની સાથે તાલ નહીં મીલાવે તો, અત્યંત શક્તિશાળી અમેરિકાનું આક્રમણ હાથવેંતમાં જ છે.

નારિયાકિરાના હેવાલના આધારે જાપાનના સમ્રાટના જમણા હાથ જેવા શોગુને ૧૮૫૧ના ઓક્ટોબર મહિનામાં મન્જિરો અને એના સાથીઓને જાત તપાસ માટે નાગાસાકી બોલાવી લીધા. ફરી છ મહિના એ જ જેલની વ્યથા; અને ઘણી બધી સતામણીઓ, સવાલ, જવાબ. બીજું કોઈ હોય તો પાગલ જ બની જાય. પણ મન્જિરો જુદી માટીનો હતો. તેણે પોતાનું અને પોતાના સાથીઓનું ધૈર્ય ટકાવી રાખ્યું. તેણે શોગુન અને તેના અધિકારીઓને પોતાની વાતની સચ્ચાઈની પ્રતીતિ કરાવી દીધી. અમેરિકાનાં વહાણોને જાપાનમાં પુરવઠા માટે આવવા દેવામાં કશું જોખમ નથી; અને જાપાનને એનાથી બહુ જ મોટો ફાયદો થઈ શકે એમ છે; એ વાત પણ મન્જિરો તેમને સમજાવી શક્યો.

છેવટે, ૧૮૫૨ના જૂનમાં એમનો છૂટકારો થયો; અને મન્જિરો એની માને મળવા નાગાસાકીથી નીકળ્યો. અનેક મુસીબતો વાળી એમની સફર બાદ, ૧૮૫૨ની પાંચમી ઓક્ટોબરે, સોળ વરસ બાદ મન્જિરો એની મા, અને ભાંડવોને મળી શક્યો. એની મા, ભાઈ બહેનો અને ગ્રામવાસીઓને આમ બનશે, એની સ્વપ્નમાં પણ આશા ન હતી. બધાં આનંદમાં ઘેલા ઘેલા બની ગયાં.

પણ આ આનંદ ત્રણ દિવસ જ ટકવાનો હતો ને? મન્જિરોને પાછા એમના વિસ્તાર ટોસાના ડેઈમ્યો યામાનુચી સાથે ચર્ચા માટે જવું પડ્યું. પણ હવેની એની જીવનયાત્રા એને જાપાનના ઉચ્ચ વર્તુળોમાં ટોચે પહોંચાવવાની હતી. યામાનુચી મન્જિરોની વાતોથી અને શોગુન તરફથી મળેલી સૂચનાના કારણે એટલો તો પ્રભાવિત બની ગયો કે, તેણે મન્જિરોને અત્યંત માનભર્યો ‘સમુરાઈ’નો ખિતાબ આપ્યો. સાવ હલકી જાતના માછીમાર – માત્ર ‘મન્જિરો’ નામધારી – આ જવાંમર્દની ઓળખ હવે ‘મન્જિરો નાકાહામા’ બની. હવે એની કમરે બે તલવારો ચમકતી હતી. એક સમુરાઈની ૧૭ વર્ષની કન્યા ‘તેત્સુ’ સાથે એનાં લગ્ન પણ થયા.

મન્જિરોની આગલી જિંદગી એને ઉપર અને ઉપર ચઢાવવાની હતી; એટલું જ નહીં; પણ જાપાન પણ સમૃદ્ધિ અને તાકાતના પંથે, એક મહાન વિશ્વ સત્તા બનવાનું હતું.

અને ૧૮મી જૂન-૧૮૫૩માં એક અભૂતપૂર્વ ઘટના બની. કોમોડોર મેથ્યુ પેરીના નેતૃત્વવાળી, અમેરિકાના નૌકાદળની ચાર અત્યંત શતિશાળી સ્ટીમરો જાપાનના ઈડો અખાતમાં લાંગરી. શોગુને જાપાનની બધી તાકાત એકઠી કરીને કોમોડોર પેરીને જાપાનનો દરિયામાંથી ભાગી જવા તાકીદ કરી. પણ પેરી પાસે શોગુનની તાકાત કરતાં ઘણી વધારે લડાયક સામગ્રી હતી. પેરીએ જાપાનના સમ્રાટ સાથે વાટાઘાટો કર્યા વિના પાછા વળવાની કોઈ તૈયારી ન બતાવી; અને જો એની આ માંગણી સ્વીકારવામાં ન આવે તો ઈડો બંદર પર તોપમારો શરૂ કરવાની ધમકી પણ આપી દીધી.

અસહાય બની ચુકેલા શોગુન માટે આ વાત સ્વીકાર્યા વિના કોઈ છૂટકો જ ન હતો. તેણે  અમેરિકા વિશે જાણકારી ધરાવતા એકમાત્ર જાપાનીઝ તરીકે મન્જિરોને સલાહ માટે બોલાવી લીધો. અનેક દિવસોની વાટાઘાટો પછી, જાપાન અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો થયા; અને જાપાનના માટે નવા યુગનું બારણું ખુલ્લું થઈ ગયું.

જાપાનના અમેરિકા જનાર યુવાનોને અંગ્રેજીનું શિક્ષણ આપવા માટે મન્જિરોની નિમણૂંક થઈ.

૧૮૫૯માં હોકોડાટે ખાતે, નવી ઢબના વહાણો બાંધવા માટેની સંસ્થા પણ તેણે સ્થાપી અને જાપાનના વ્હાણવટાનો નવો યુગ શરૂ થયો.

૧૮૬૦માં અમેરિકામાં જાપાનની પહેલી એલચીના દુભાષિયા તરીકે તેણે ફરી એકવાર અમેરિકાની ધરતી પર પગ મુક્યો. પણ રસ્તામાં નડેલ તોફાની ઝંઝાવાતમાં એની વહાણવટાની કુશળતાના પ્રતાપે વહાણ ડુબતું બચ્યું હતું. આ વાતની જાણ થતાં જાપાનના સમ્રાટે મન્જિરોનું ખાસ બહુમાન કર્યું હતું.

૧૮૭૦માં મન્જિરોને ફરી વખત અમેરિકા જવાની તક મળી. ત્યારે તે પોતાના પાલક પિતા જેવા કેપ્ટન વ્હીટ્ફિલ્ડને ફેરહેવનમાં મળ્યો અને ભેટી પડ્યો. પાછા વળતાં તેણે લન્ડન ખાતે ભરાયેલ આંતરરાષ્ટ્રીય પરિષદમાં જાપાનના પ્રતિનિધિ તરીકે હાજરી પણ આપી. જાપાન પાછા વળ્યા બાદ ટોકિયો ખાતે અંગ્રેજી ભાષાના પ્રોફેસર તરીકે મન્જિરોએ એની શેષ જિંદગી પૂરી કરી. આજે એ સંસ્થા યુનિવર્સિટી ઓફ ટોકિયો તરીકે ઓળખાય છે.

૧૮૯૮માં મન્જિરોનો દેહવિલય થયો ત્યારે તે જાપાનની એક અત્યંત સન્માનનીય વિભૂતિ બની ચુક્યો હતો.

શિકોકૂ ટાપુની અશિઝુરી ભૂશિર પર મંજિરોનું બાવલું

મન્જિરોએ ધાર્યું હોત તો, બાકીની જિંદગી અમેરિકન તરીકે ગાળી શક્યો હોત; અને ઘણું ધન અને કીર્તિ કમાઈ શક્યો હોત. પણ એના દિલમાં જલતી આગે એને એક જ દિશામાં હંકારે રાખ્યો – એની વ્હાલી માની સેવામાં. અને એ જ પ્રબળ પ્રેમ અને સંઘર્ષે એની એ આકાંક્ષા પૂરી કરી એટલું જ નહીં; એના માદરે વતનની પણ એ અમૂલ્ય સેવા કરી શક્યો. જાપાન આજે જે છે; એમાં મન્જિરોનું પ્રદાન અજોડ છે; અને રહેશે.

સંદર્ભ

https://en.wikipedia.org/wiki/Nakahama_Manjir%C5%8D

e.mail : surpad2017@gmail.com

Loading

ભીખુ પારેખ : જીવન અને વિચાર 

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|7 February 2026

પ્રૉ. ભીખુ પારેખ : જીવન અને વિચાર [રમીન જહાનબેગલુ સાથે સંવાદ] – ગુજરાતી અનુવાદ : આરાધના ભટ્ટ – પ્રકાશન : Zen Opus Ahmedabad – ISBN : 978 81 983946 6 8 – પહેલી આવૃત્તિ : જાન્યુઆરી 2025 – પૃ. 168 – કિંમત રૂ. ૩૫૦/-

યુનિવર્સિટીના અને તે પહેલાંના ભીખુભાઈ પારેખનાં શિક્ષણમાં રહેલી ‘અધૂરપને ભરવા માટે જે વિષયોમાં એ અધૂરપો વધારે વર્તાતી હતી તે વિશે વાંચવામાં અને વિચારવામાં ભીખુભાઈ ઘણીખરી ઉનાળાની રજાઓ’ વિતાવતા. ભીખુભાઈ લખે છે, ‘મને સામાન્ય કરતાં લાંબી રજા મળી ત્યારે હંમેશ થતી એવી વાંચન કે મનનની ખાસ ઇચ્છા ન થઈ.’ કોઈકે એમને આત્મકથા લખવાનું સૂચન પણ કરી જોયું. છેવટે ભીખુભાઈને પોતા વિશે વાત કરવાનો સંકોચ થતો હતો, અને આત્મકથા લખવા સરીખું ‘આટલું મોટું કામ હાથ પર લેવું અઘરું લાગતું હતું.’

આવા સમયગાળામાં ભીખુભાઈ રમીન જહાનબેગલુના સંપર્કમાં’ આવે છે. અને સંપર્ક ગાઢ થતાં ભીખુભાઈને મન બન્નેના વિચારો ઘણી રીતે મળતા આવતા હતા. સમય જતાં બન્નેની વચ્ચે હુંફાળો સંબંધ પણ રચાયો જેમાંથી આ પુસ્તકનું લખાણ તૈયાર થયું તેમ જ ‘ટૉકિંગ પૉલિટક્સ : ભીખુ પારેખ ઇન કન્વર્સેશન વિથ રમીન જહાનબેગલુ’ પુસ્તક તૈયાર થયું. 

રેડિયો પ્રસારણ કાર્ય નિમિત્તે આરાધના ભટ્ટને લૉર્ડ ભીખુ પારેખનો પરિચય થયો. રૂબરૂ મળવાનું થયું. પહેલી મુલાકાત વેળા ભીખુભાઈએ આરાધનાબહેનને ‘ટૉકિંગ પૉલિટક્સ : ભીખુ પારેખ ઇન કન્વર્સેશન વિથ રમીન જહાનબેગલુ’ની ભેટ ધરી. અને એ પુસ્તક આરાધનાબહેનના મનમાં વસી ગયું. ભીખુભાઈના ‘મૌલિક અને સ્પષ્ટ વિચારો, એમની વિલક્ષણ વિનમ્રતાથી પોતાના વિચારોની તર્કબદ્ધ અને લોકશાહી રીતે રજૂઆત, એમના વ્યક્તિત્વની સાદગી, સાલસતા અને મૈત્રીભાવ’સ્પર્શી ગયાં. અને એમણે આ પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કરવાનો મનસૂબો કર્યો. ભીખુભાઈએ ઉમળકાભેર આ સૂચનને ટેકો આપ્યો.

વારુ, ’પ્રો. ભીખુ પારેખ જીવન અને વિચાર : રમીન જહાનબેગલુ સાથે સંવાદ’ નામક પુસ્તકના પુરોવચનમાં ભીખુભાઈ લખે છે : 

“દરેક અનુવાદ સર્જનાત્મક અને સમસંવેદનભરી સમજણ માગી લે છે. વાચક સરળતાથી સમજી શકે એ માટે મૂળ લખાણનાં અટપટાં અને લાંબાં વાક્યોને નાનાં અને સરળ વાક્યોમાં છૂટાં પાડવાની જરૂર પડે છે. અને આ બધું મૂળ લેખનનાં વાક્યોના ભાવને કોઈ પણ રીતે નુકસાન કર્યા વિના અથવા એક વિકૃત કર્યા વિના કરવાનું હોય છે. અનુવાદ સ્વાભાવિક લાગવો જોઇએ, કૃત્રિમ નહીં. એ અસ્ખલિત વહેવો જોઈએ અને કર્કશ બન્યા વિના સમગ્ર રીતે સુસંવાદી બનવો જોઈએ.”

ભીખુભાઈના મતે આરાધના ભટ્ટનો અનુવાદ ‘આ માપદંડોમાંથી ખરો ઊતરે છે.’ વળી એ લખતા હતા, ‘એ આધારભૂત છે અને મૂળને વફાદાર છે. સાથે સાથે એ સરળ પ્રવાહમાં વહે છે.’

આરાધના ભટ્ટ

આરાધના ભટ્ટ, ‘અનુવાદ કેમ?’માં લખતાં હતાં, મૂળ ઈરાનના વિશ્વવિખ્યાત લેખક – વિચારક રમીન જહાનગલુ સાથેનો આ સંવાદ ‘બે બળિયા વચ્ચેનો વિમર્શ છે. બંનેનું કાર્યક્ષેત્ર એક જ છે અને પ્રૉ. ભીખુ પારેખના જીવન અને લેખનના અભ્યાસુ એવા રમીન જહાનબેગલુ એક પ્રશ્નકર્તા અને ચર્ચાકાર તરીકે સોળે કળાએ ખીલ્યા છે અને એમ સર્જાયો છે બે અભ્યાસનિષ્ઠ વ્યક્તિત્વો વચ્ચેનો એક ઉત્કૃષ્ટ સંવાદ, જે પ્રૉ. પારેખના જીવનનાં સંઘર્ષમય વર્ષોથી શરૂ થતો એમના જીવનના અને વિચારોના ઘડતરમાં પાયારૂપ પરિબળોનો તેમ જ રાજકીય તત્ત્વચિંતનના મૂળભૂત સિદ્ધાન્તોનો એક અદ્દભુત દસ્તાવેજ બન્યો. છે.’ 

‘નવનીત સમર્પણ’ના મે 25ના અંકમાં, ‘અક્ષરની ઓળખાણ’ પાને ઋષભ પરમાર લખતા હતા, ચિંતનાત્મક હોવા છતાં પુસ્તકમાં ક્યાં ય ચિંતનનો ભાર વર્તાતો નથી. એક જીવનકથા વાંચતાં હોઈએ એવી રસાળતા આ સંવાદ દ્વારા ગુજરાતીમાં અનુદિત થયો છે.

આ પુસ્તકમાં, ‘શ્રેષ્ઠતાની ખોજ’ નામે, આરંભે, એક પ્રકરણ છે અને તેમાં કેનેડાનિવાસી આ ઈરાની તત્ત્વવેત્તા, રમીન જહાનબેગલુ, લખે છે :

‘માર્ક ટ્વેઇને એક વખત કહેલું : મૂળભૂત રીતે બે પ્રકારના લોકો હોય છે. ‘જેમણે સિદ્ધિ મેળવી છે એવા લોકો અને પોતે સિદ્ધિ મેળવી છે એવો દાવો કરનારા લોકો.’ લૉર્ડ ભીખુ પારેખે ખરેખર ઘણુંબધું સિદ્ધ કર્યું છે. એ માત્ર હાઉસ ઑવ્ લૉર્ડ્ઝના સભ્ય બનેલા એક બ્રિટિશ ભારતીય નથી, પરંતુ એક અગ્રણી રાજકીય વિચારક અને રાજકીય તત્ત્વજ્ઞાનના ઇતિહાસનું અર્થઘટન કરનાર ચિંતક છે. પ્રૉ. પારેખના રાજકીય વિચારોનું સામર્થ્ય અને મૌલિકતા બેન્થમ, માર્ક્સ, આરેન્ટ, ગાંધીના વિચારો વિષયક તેમ જ અસ્મિતા, અને બહુસંસ્કૃતિવાદ વિષયક એમના બીજરૂપ પ્રદાનમાં સ્પષ્ટ દેખાય છે. આ પૈકી કેટલુંક હવે રાજકીય તત્ત્વચિંતનનું પ્રમાણભૂત કામ ગણાય છે. …’

રમીન જહાનબેગલુ

આ અનુવાદમાં, લોકશાહી અંગે રસપ્રદ અને વિષદ ચર્ચા મંડાઈ છે. ભીખુભાઈ કહેતા હતા, ‘લોકશાહી એ માત્ર ચૂંટણીઓ પૂરતી સીમિત નથી, પણ લોકશાહી માટે વિવેકપૂર્ણ વિચારવિમર્શ પણ એટલો જ મહત્ત્વનો છે. જ્યારે ચૂંટાયેલા સભ્યો વિચાર્યા વિના પક્ષની વિચારધારાને અનુસરે અને એમની બુદ્ધિશક્તિ અને નીતિમત્તા એમના રાજકીય પક્ષને ઉધાર આપી દે ત્યારે એ લોકશાહીના મૂળ તત્ત્વને લાંછન લગાડે છે.’

એકસો અડસઠ પાનાંમાં કુલ મળીને સાત પ્રકરણો છે. અને તેમાં 3-4 તેમ જ 5 વિશેષ અગત્યના પ્રકરણો છે. ‘બહુસાંસ્કૃતિકતા અને સાંસ્કૃતિક બહુલતા’; ‘શું ગાંધી આજે પ્રસ્તુત છે ? તેમ જ ‘ભારતનું પુનરાવલોકન’ નામક આ પ્રકરણો આજે ય તાજાતર અગત્યના હોય એટલા મજબૂત છે. ‘બહુસાંસ્કૃતિક સમાજ એટલે શું ?’ નામક વિમર્ષ આ મથાળાથી આરંભાયો છે અને વળી ભીખુભાઈનો જવાબ અગત્યનો હોઈ તેને સમૂળો અહીં ઉદ્ધૃત કરીએ :

‘હા, મને “બહુસાંસ્કૃતિકતા” શબ્દપ્રયોગ બહુ ગમતો નથી, અને એની વધુ સુસંગત વ્યાખ્યા કરીને જુદા મૂળમાંથી ઉદ્દભવેલા સાંસ્કૃતિક બહુલતાના પરંપરાગત વિચારથી જુદો પાડીને પછી મેં એ શબ્દને સ્વીકાર્યો છે. સામસ્કૃતિક બહુલતા એ બહુ સાંસ્કૃતિક સમાજનું લક્ષણ છે. બહુસાંસ્કૃતિકતા એ અનેકતા પ્રત્યેનો એક વિશિષ્ટ અભિગમ દર્શાવે છે અને એ આદર્શમૂલક સિદ્ધાંત છે. મારા ‘રિથિન્કિંગ મલ્ટિકલ્ચરલીઝમ’ પુસ્તકમાં કેટલું અને કેવું સાંસ્કૃતિક સમાજનું વિભાવન તપાસું છું અને સમાજમાં કેટલું અને કેવું સાંસ્કૃતિક વૈવિધ્ય હોય છે, પણ એ બધા જ સમાજોને બહુસાંસ્કૃતિક સમાજ કહેવા એ બહુસાંસ્કૃતિકતાના વિભાવનની સુસંગતતા અને એના હાર્દને નુકસાન કરવા જેવું છે. મારું મુખ્ય ધ્યેય વૈવિધ્ય પ્રત્યે જુદા જુદા અભિગમો તપાસીને એમાંથી કોઈ અભિગમનું સમર્થન કરવાનું છે.

‘હું સાંસ્કૃતિક અને નૈતિક વૈવિધ્યને સમાનાર્થી ગણવા સામે પણ લાલબત્તી ધરું છું. એ બંને સંકળાયેલા હોવા છતાં એમને જુદા પાડવા આવશ્યક છે. જુદા જુદા સમાજો મનુષ્યજીવનને કેવી રીતે સમજે છે અને જીવનનું આયોજન કેવી રીતે કરે છે. વિવિધ માનવીય પ્રવૃત્તિઓને જુદી જુદી રીતે અર્થપૂર્ણ બનાવે છે, જુદી જુદી ક્ષમતાઓ, લાગણીઓ અને સમજણ વિકસાવે છે, અને મનુષ્યજીવનની અનિશ્ચિતતાઓ અને પીડાઓ સાથે જુદી જુદી રીતે સમજૂતી કરે છે. આ બધાનો નિર્દેશ સાંસ્કૃતિક વિવિધતા કરે છે. નૈતિક વિવિધતા એ મૂલ્યોના, સદ્દગુણોના અને સુખી જીવનના વિભાવનના વૈવિધ્યનું સૂચન કરે છે. કોઈ સમાજ સાંસ્કૃતિક દૃષ્ટિએ સમશીલ હોવા છતાં એમાં નૈતિક વૈવિધ્ય જુદા જુદા પ્રમાણમાં હોઈ શકે અને એનાથી ઊલટું પણ હોઈ શકે, જ્યારે વિવિધ સંસ્કૃતિઓની સંમતિ સમાન મૂલ્યો પર કેન્દ્રિત થાય. આપણે સાંસ્કૃતિક વૈવિધ્યને આવકારીએ, અમુક હદથી આગળ નૈતિક વૈવિધ્યને ન સ્વીકારી શકીએ. એ બંનેનું મૂલ્યામકન કરવાના માપદંડો જુદા છે.

‘મારા મતાનુસાર વ્યક્તિવાદ સાંસ્કૃતિક વૈવિધ્યને અમુક હદ સુધી આવકારે છે પરંતુ નૈતિક વૈવિધ્યને એટલી હદે સ્વીકારતો નથી. એ ખાનપાનના, કલાઓના, સાહિત્યના, સંગીતના, કલ્પનાવિહારનાં સ્વરૂપોના, વિનોદવૃત્તિના, દંતકથાઓના અને રિવાજોના વૈવિધ્યને આવકારે છે, એટલું જ નહીં, એમને મહત્ત્વનાં પણ ગણે છે. પરંતુ મૂલ્યોના વૈવિધ્યનો અથવા સુખી જીવનના કલ્પનના વૈવિધ્યનો સ્વીકાર નથી કરતો. વ્યક્તિવાદ એ નથી સ્વીકારતો કે કેટલીક કહેવાતી બિનવ્યક્તિવાદી જીવનશૈલીઓ પણ સાર્થક નૈતિક મૂલ્યો અને કલ્પનો રજૂ કરે છે અને એ બધામાંથી પણ એ કંઈક શીખી શકે. દરેક સાંપ્રત પાશ્ચાત્ય બહુસાંસ્કૃતિક સમાજમાં સાંસ્કૃતિક વૈવિધ્યનું મૂલ્ય છે, એટલું જ નહીં, એનું એમને ગૌરવ છે, પણ નૈતિક વૈવિધ્યને શંકાની નજરે જોવાય છે, એટલું જ નહીં, એને રોગસમાન ગણવામાં આવે છે અને દરેક સમાજની આગવી નૈતિક ઓળખ હોવી જોઈએ અથવા વ્યક્તિવાદી જીવનપદ્ધતિ સર્વસામાન્યપણે તેમ જ જે તે સમાજ માટે શ્રેષ્ઠ છે એવાં ગોળગોળ કારણો આપીને લઘુમતી સંસ્કૃતિઓ પર મુખ્ય પ્રવાહનાં વ્યક્તિવાદી મૂલ્યો અપનાવવાનું દબાણ થાય છે.’

અને પછી બન્ને વિદ્વાનો વચ્ચે બહુસાંસ્કૃતિક મુદ્દે દીર્ઘ પટે વિચારવિમર્ષ થાય છે. એમણે જીવનની વિવિધ વિભાવન બાબતને ય આવરી લીધી છે. આ વિમર્ષમાં ઈસ્લામ અને યુરોપ તેમ જ ઈસ્લામ અને અહિંસા બાબતની પણ વિચારણાને આવરવામાં આવી છે.

ભીખુ પારેખ

એ પછીનું પ્રકરણ છે : ‘શું ગાંધી આજે પ્રસ્તુત છે ?’ આથી જ રમીન જહાનબેગલુ ભીખુભાઈને પૂછે છે : ‘ભારતીય વિચારકો પૈકી ટાગોર કે રાજા રામમોહન રૉય જેવા ચિંતકો કરતાં તમને ગાંધીમાં વધુ રસ પડ્યો ?’ જવાબમાં, ભીખુભાઈ જણાવે છે, ‘વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે વાર્તાલાપ કરનારાનાં આ ત્રણે ઉત્તમ ઉદાહરણો છે. એ બધામાં એ ત્રણે અંત:સાંસ્કૃતિકતાને જુદાંજુદાં પરિપેક્ષ્યથી જુએ છે. એ બધામાં મને રસ છે. અને મેં એમના વિશે લખ્યું છે, તેમમ છતાં ગાંધી મારા વિચારોના કેન્દ્રમાં રહ્યા છે. એમનો વિચારદેહ વિશાળ છે, એમનો પ્રભાવ વધુ છે, અને એમની રાજકીય સંવેદિતા વધુ ઊંડી છે. બીજુ એક વધુ વ્યવહારુ કારણ પણ છે. ટાગોર, જેમને હું ગાંધી અને નેહરુ સાથેના આધુનિક ભારતના ત્રીજા મહાન ઘડવૈયા ગણું છું. એમણે મોટા ભાગનાં એમનાં સર્જનો બંગાળીમાં કર્યાં. જો એમને પૂરતો ન્યાય કરવો હોય તો મારે એમની ભાષા શીખવી પડે, જે કમનસીબે મને નથી આવડતી. ગાંધીએ એમનાં મોટા ભાગનાં લખાણો ગુજરાતીમાં કર્યાં, જે મારી માતૃભાષા છે.

ગાંધીની પ્રસ્તુતાની તરફેણમાં ભીખુભાઈ ‘રાજકીય વિચારને ગાંધીનું પ્રદાન’, ‘ગાંધી અને ખિલાફત આંદોલન’, ‘ગાંધી : રૂઢિવાદી કે સુધારક ?’, ‘ગાંધી અને આધુનિકતા’, ‘ગાંધી અને રાજકારણમાં અધ્યાત્મ’, ‘ગાંધી અને ધર્મનિરપેક્ષતા’, તેમ જ ‘ગાંધીના શાશ્વત્‌ વિચારો’ બાબત પોતાના વિચારોને સરસ પ્રમાણમાં કંડારી આપ્યા છે. આ બાબત આ બન્ને પંડિતોએ વિચારોની રોચક આપ-લે કરી છે. 

અને, છેવટે, રમીન જહાનબેગલુ ભીખુભાઈને ભારતનું પુનરવલોકન અંગેની ચર્ચાવિચાારણામાં દોરી જાય છે. ભીખુભાઈને એમનો પહેલો સવાલ છે : ‘ભારતીય અસ્મિતા એટલે શું ?’ ભીખુભાઈનો જવાબ રસપ્રદ છે. એ જણાવતા હતા,

‘સ્વતંત્ર ભારતે એના જુદા જુદા સમુદાયો અને મુસ્લિમો સહિત સૌને આવરી લેતી પોતાની ભારતીય અસ્મિતાને સતેજ અને એકત્ર કરવાની પ્રક્રિયા આગળ ધપાવી. ભારતના બંધારણનું ઘડતર એ આ દિશામાં પહેલું ડગલું હતું. અને પછી કહી બેસે છે : ‘સામાન્ય ભારતીય અસ્મિતા હવે વ્યક્તિગત અસ્મિતાના સ્વરૂપમાં ઊભરી રહી છે, અને ભારતીયોને મન એનું મહત્ત્વ છે. ભારતીયતાનું મૂલ્ય થાય છે, અમુક ગુણો અને કર્તવ્યોના મૂળ તરીકે એને ઓળખવામાં આવે છે, અને એનું એક આદર્શમૂલક પરિમાણ છે. ભારતીય હોવું એટલે બીજા ભારતીયો પાસેથી અમુક અપેક્ષાઓ સેવવી, અને એમના પર અને રાજ્ય પર કેટલાક અધિકાર હોવા. હવે ભારતીયતાનું નૈતિક અને ભાવનાત્મક ગૌરવ છે જે બીજી અસ્મિતાઓએ ધ્યાનમમાં લેવું પડે છે. આ જાગૃતિ હવે સમાજના જુદા જુદા વર્ગોમાં ઓછે-વધતે અંશે આવી છે, તેમ છતાં એ સમજણ આવી રહી છે અને એ એક સામાન્ય આદર્શમૂલક માળખું ઊભું કરી આપે છે જેના વિના કોઈ પણ રાજકીય સમુદાય લાંબા સમય સુધી સ્થિર રહી ન શકે.’

પુસ્તકના અંત ભાગે ‘પરિશિષ્ટ’માં ત્રીસ જેટલા અગત્યના તેમ જ ઠેર ઠેર ઉપયોગમાં લેવાયેલા શબદસમૂહોનો સમાવેશ કરાયો છે. મૂળ અંગ્રેજીના પારિભાષિક અને વહીવટી શબ્દોને ગુજરાતીમાં લેવાયાની અહીં યાદી અપાઈ છે. આવા પારિભાષિક અને વહીવટી શબ્દસમૂહ જોડે કૌંશમાં જો મૂળ અંગ્રેજી શબ્દો મુકાયા હોત તો આ વિચાર વિમર્ષને સમજવામાં વિશેષ સરળતા મળી હોત.

ભીખુભાઈને વિશેષે સમજવા માટે પુસ્તકમાં, લગભગ છેવાડે, ‘જીવનના આંતરિક પ્રવાહો’ની રજૂઆત થઈ છે. એ રોચક છે. ભીખુભાઈને વિશેષપણે સમજવા સારુ ઊંડાણભરી વિગતોથી તે ભરીપડી છે.  

06 ફેબ્રુઆરી 2૦26
હેરૉ, મિડલસેક્સ, યુનાઇટેડ કિંગ્ડમ
E.mail : vipoolkalyani.opinion@btinternet.com

Loading

નાનમ પણ ન લાગે …?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion, Samantar Gujarat|6 February 2026

રવીન્દ્ર પારેખ

આપણામાં હવે નાનમ, સંકોચ કે શરમ શોધવાં પડે એ સ્થિતિ છે. એનું મુખ્ય કારણ પ્રજા તરીકેનું આપણું મૌન છે. ગમે તે થાય, પણ એની સાથે કોઈ લેવાદેવા ન હોય એમ આપણે કતરાતું જીવીએ છીએ. એમ જીવવાનો પુરાવો જ એ કે શ્વાસ ચાલે છે. એથી વધારે જીવવાની જરૂર ન હોય એમ આ દેશના વિકાસમાંથી, તેના વ્યવહારમાંથી, તેનાં પરિણામોમાંથી આપણે, આપણી જાતને બહાર કાઢી લીધી છે. દેશ, દુનિયામાં કંઇ પણ થાય, આપણને કોઈ ફરક પડતો નથી. આપણને ચશ્માંની જેમ જ સંવેદનનાં નમ્બર આવ્યા હોય તેમ, કંઇ જ સ્પર્શતું નથી. એમાં પણ શિક્ષણની બાબતમાં આપણે સર્વનાશને જ નોતર્યો હોય એવી હાલત છે. કોઈ ઇચ્છતું નથી કે આપણે શિક્ષિત થઈએ. તે એટલે કે ભણે તો સામે શિંગડાં કરે, એટલે પ્રજા ભણે જ નહીં એવું તંત્ર ગોઠવાયેલું છે. સરકાર લોકશાહીનું મહોરું પહેરીને પ્રજાને બોલતી બંધ કરવા માંગે છે ને અત્યારે તો બોલે તો બે ખાય એવી સ્થિતિ છે. સરકારને કદાચ વિરોધ ખપતો નથી. નથી ખપતો એટલે ખુશામત કેન્દ્રમાં આવી રહે છે.

કેન્દ્ર સરકાર કે ઇવન રાજ્ય સરકારો પ્રમાણિક રીતે આંકડાઓ આપીને વિકાસ કે પ્રગતિનો ખ્યાલ આપતી રહે છે, પણ હકીકત કહી દેવાથી જે હાનિ પહોંચે છે, એમાં ફેર પડતો નથી. ઘાની જાણકારી, તે ઘાનો ઈલાજ નથી. આજનું વાતાવરણ નબળાઈઓને બચાવમાં ફેરવનારું છે. એક સમયે ગુનો ગણાતું કૃત્ય ગુણ ગણાય ને તેને સમર્થન આપનારા મળી રહે એ પણ બુદ્ધિની બલિહારી જ ને ! ઘણીવાર તો કોઈ પ્રતિક્રિયા પણ આવતી નથી. ગુજરાત રાજ્ય એમાં અવ્વલ નંબરે આવે એમ છે. થોડા વખત પર શિક્ષણ સંદર્ભે એવી વાત બહાર આવી કે ગુજરાત શિક્ષણ સંદર્ભે શ્રેષ્ઠ દસમાં તો નથી જ, પણ નબળા દસમાં પણ છેલ્લે છે. આવી સ્થિતિમાં સરકાર તરફથી કોઈ ખુલાસો નથી આવ્યો, એટલું જ નહીં, જે સ્થિતિ છે એમાં સુધાર થશે એવું આશ્વાસન પણ ક્યાંયથી મળ્યું નથી.

શિક્ષણની બાબતમાં શિક્ષણ વિભાગનું મૌન ઘાતક છે. દુનિયા કંઇ પણ કહે, તેને ફરક પડતો નથી. તેને જીવ જ બચ્યો ન હોય તેમ, ગમે તે થાય, કોઈ અસર નથી. લખલૂટ ખર્ચ થતો રહે, અધિકારીઓનાં પગાર પેન્શન થતાં રહે, રોજ પરિપત્રો ને ડેટાનો કારભાર ચાલ્યા કરે, ત્યારે જ શિક્ષણ વિભાગ સજીવ હોય છે, છતાં શિક્ષક અને શિક્ષણની ગુણવત્તા અંગે કોઈ ખુલાસો થતો નથી તે પ્રજાનું કમભાગ્ય છે.

વિદ્યાર્થીઓ નથી મળતા એવા બહાના હેઠળ સરકારી સ્કૂલો બંધ થતી રહે છે ને કોઈનું રૂંવાડું ય ફરકતું નથી. કોઈ પુરસ્કારની જાહેરાત હોય તેમ સ્કૂલો બંધ થવાના આંકડા અપાતા રહે છે ને એની કોઈ ચિંતા ગુજરાતમાં નથી. ગુજરાત સૌથી વધુ ઉદાસીન શિક્ષણ બાબતે છે. વસ્તી વધે છે, બાળકો વધે છે ને સ્કૂલો બંધ થાય છે. ડ્રોપ આઉટ રેશિયો વધતો જ આવે છે ને તેની ટકાવારી પણ સરકાર જ આપે છે. ગુજરાતમાં કરોડોની વસ્તી છતાં, વિદ્યાર્થીઓ નથી મળતા, એ બહાના હેઠળ સ્કૂલો બંધ થાય છે તે ચિંત્ય છે.

યુનિફાઈડ ડિસ્ટ્રિકટ ઇન્ફર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન (UDISE+) તરફથી ૩ સપ્ટેમ્બર, 2025ને રોજ વિગતો આવી તે જોઈએ. યુનિવર્સિટી મિનિસ્ટ્રી દ્વારા 2024-’25નાં શૈક્ષણિક વર્ષ માટે જાહેર થયેલ ડેટા એવું કહે છે કે દેશભરમાં 2021માં 15,09,136 સ્કૂલો હતી, જે છેલ્લાં પાંચ વર્ષમાં ઘટીને 14,71,473 થઈ છે. મતલબ કે 37,663 સ્કૂલો બંધ થઈ છે. આમાં 23,000 સરકારી અને ગ્રાન્ટ પર નભતી સ્કૂલો છે. 2024-‘25માં 5,30૩ સરકારી અને સહાય પર નભતી સ્કૂલો બંધ થઈ છે.

ગુજરાતમાં છેલ્લાં 8 વર્ષમાં 525 સરકારી સ્કૂલો બંધ થઈ છે, તે ઉપરાંત વિદ્યાર્થીઓની સંખ્યા નહિવત હોવાને બહાને સરકાર 5,912 સ્કૂલો બંધ કરવાની વેતરણમાં છે. વિદ્યાર્થીઓમાં ડ્રોપ આઉટ રેશિયો ગુજરાતમાં સૌથી વધુ છે. 2024-’25માં 54,541 બાળકો શાળા છોડી ગયાં હતાં. આમ તો એ આંકડો 2,40,486 હતો, પણ સરકારે 2,30,196 વિદ્યાર્થીઓને ફરી જોડ્યા એવું કહેવાય છે. એવું હોય તો એ સારી વાત છે. એ આંકડો 2025-’26માં ભારે ઉછાળા સાથે 2,40,809 પર પહોંચ્યો છે. એનો સાદો અર્થ એવો થાય કે ગરીબ અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને તો શિક્ષણની કોઈ તક જ રહેતી નથી. ક્યાં તો એમણે ભણતર છોડવું પડે અથવા તો ખાનગી સ્કૂલોમાં ભારે ફી ભરીને એડમિશન લેવું પડે. હવે એટલી તાકાત હોત તો તે ગરીબ કે નબળો હોત જ શું કામ?

એક તરફ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થઇ રહી છે, તો બીજી તરફ ખાનગી સ્કૂલો શરૂ થઈ રહી છે. 2024-‘25માં જ 5,30૩ સ્કૂલો બંધ થઇ છે, તો સામે 8,475 ખાનગી સ્કૂલો શરૂ થઈ છે. આ આંકડો 2023 -’24માં 7,678 હતો. મતલબ કે એક વર્ષમાં 797 પ્રાઇવેટ સ્કૂલો ખૂલી અને 5,30૩ સ્કૂલો બંધ થઈ. એવું નથી લાગતું કે શિક્ષણ વિભાગની જ દાનત નથી કે સ્કૂલો ચાલુ રહે? વિદ્યાર્થીઓ નથી એમ સરકાર કહે છે, તો 797 ખાનગી સ્કૂલો એક જ વર્ષમાં ખૂલે એવું બને ખરું? સરકારી સ્કૂલોમાં મફત ભણવાનું છે ને ત્યાં વિદ્યાર્થીઓ જતાં નથી ને ખાનગી સ્કૂલોમાં મોંઘી ફી ભરીને દાખલ થાય એમાં કયો તર્ક કામ કરે છે, તે નથી સમજાતું. લોકોના ટેક્સમાંથી સરકારી સ્કૂલો ચાલે છે, તે દયા દાન ધરમથી નથી ચાલતી ને તોય સરકારી સ્કૂલો બંધ થાય છે, એમાં સરકારની દાનત એ છે કે સરકારી સ્કૂલો બંધ થવા દેવી ને ખાનગી સ્કૂલોને ઉત્તેજન આપવું. જેથી સરકારી સ્કૂલો ગમે ત્યારે ઓવારી દઈ શકાય.

વારુ, દેશમાં જે સરકારી સ્કૂલો ચાલે છે તેમાં પ્રાથમિક સુવિધાઓનાં પણ ઠેકાણાં નથી. 1.54 લાખ સ્કૂલોમાં પુસ્તકાલય નથી. 14.21 લાખ સ્કૂલોમાંથી 13.72 લાખમાં જ કન્યાઓને શૌચાલયની સગવડ છે. છોકરાઓ માટે 13.90 લાખ સ્કૂલોમાં શૌચાલય છે, પણ ચાલુ હાલતમાં 13.34 લાખ જ છે. 14,432 સ્કૂલોમાં પીવાના પાણીની સગવડ નથી. 2,48,822 સ્કૂલોને રમતનું મેદાન જ નથી. 850થી વધુ શાળાઓ 1-1 શિક્ષકથી ચાલે છે. કાયમી શિક્ષકોની ભરતી થતી નથી અને બીજી તરફ સ્કૂલોમાં ભણાવવા પૂરતા શિક્ષકો નથી. બધી જ અછત ને કરકસર શિક્ષણમાં જ છે ને કેન્દ્ર કે રાજ્ય સરકારોને એનો જરા ય અફસોસ કે સંકોચ નથી તે દુ:ખદ છે. સ્કૂલ હોય ને શિક્ષક ન હોય એ તે કેમ ચાલે? વગર શિક્ષકે ભણાવવાનો સરકાર વિક્રમ કરવા માંગતી હોય તેમ તે વર્તે છે. છેલ્લે ૩ ફેબ્રુઆરીએ એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રીએ જે આંકડાઓ જાહેર કર્યા છે તે જોવા જેવા છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે છેલ્લાં 10 વર્ષમાં 93,00૦ શાળાઓ બંધ થઈ છે. એમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 24,60૦ છે. બીજા નંબરે મધ્ય પ્રદેશમાં એ આંકડો 22,40૦નો છે. આ આંકડાઓ વસ્તીનાં પ્રમાણમાં અન્ય રાજ્યોમાં પણ દયનીય છે. આવા બધા આંકડા સરકાર જાહેર કરે છે, એમાં અફસોસ કે હતાશાનો સૂર નથી. એમાં સચ્ચાઈ હોય તો પણ, તે એવી રીતે રજૂ થાય છે કે દેશે જાણે કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય. 93,00૦ સ્કૂલો બંધ થાય ને ચામડી તતડે નહીં તો એમાં નીમ્ભરપણું જ પ્રગટ થાય છે. એ આંકડાઓ ઘટે એ માટે કોઈ પ્રયત્ન થતા હોય એવું લાગતું નથી. એવું હોત, તો આંકડાઓ વધવાને બદલે ઘટ્યા હોત, પણ એવું લાગતું નથી.

શિક્ષણને મામલે આખો દેશ ખંધો પુરવાર થઈ રહ્યો છે. શરમ તો દૂર દૂર સુધી ક્યાં ય જણાતી જ નથી. આટલી નિર્લજ્જતા ને નફ્ફટાઈ દેશમાં અગાઉ ક્યારે ય ન હતી … 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 ફેબ્રુઆરી 2026

Loading

1234...102030...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • નાનમ પણ ન લાગે …?
  • સેનાપ્રમુખની નિર્ણય -કટોકટી : રાષ્ટ્રીય નેતૃત્વની આઘાપાછી?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved