Opinion Magazine
Number of visits: 9572902
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક ઈન્જેકશનની કિંમત ફક્ત ને ફક્ત 22 કરોડ રૂપિયા …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|15 February 2021

થોડા સમય પછી એવું બને કે સ્કૂટરમાં પેટ્રોલ ફૂલ કરાવવું હોય તો પેટ્રોલપંપને લાખેક રૂપિયા ચૂકવવાના થાય. કોઈ શાકવાળો કાંદાની બૂમ પાડે, “એ … કાંદા દસ હજાર રૂપિયે કિલો … પાંચ કિલોના ચાલીસ હજાર …” દૂધની કોથળી પાંચ હજારની … ડોક્ટરની કન્સલ્ટેશન ફી પચાસ હજાર ને દવા લેવા જાવ તો લાખેકમાં અઠવાડિયાની માંડ આવે. આપણો પગાર મહિનાનો કરોડ રૂપિયા હોય …

એવું શક્ય છે. ત્યારે પણ બધું મોંઘું જ લાગશે. મોંઘવારી સનાતન છે. એ રામરાજમાં હતી ને કોઈ હરામરાજમાં પણ હશે. સાચું તો એ છે કે મોંઘવારીને આપણે વિકાસની સૂચક માની બેઠા છીએ ને કદાચ વિનાશની પણ !

આજે પેટ્રોલ સેન્ચુરી મારવા પર છે ને સરકાર રોજ પૈસાઓમાં ભાવ વધારતી જ જાય છે. એ આમ ડરી  ડરી ને ભાવ વધારે છે તે જો જાણે કે લોકો ભાવ ખાઈ ખાઈને રીઢા થઈ ગયા છે તો રોજ રૂપિયામાં ભાવ વધારે એમ બને. સરકારને નિર્માલ્ય પ્રજા બહુ માફક આવતી હોય છે. એને આંદોલન કરતી પ્રજા ગમતી નથી. આજના નેતાઓ અને મંત્રીઓ ભલે આંદોલન કરીને સત્તા પર આવ્યા હોય, પણ સત્તા પર આવ્યા પછી બીજા લોકો એની સામે આંદોલન કરે તો તેની “આંદોલનજીવી” કહીને મશ્કરી થતી હોય છે. જો કે આજની પ્રજા શક્તિ અને ભક્તિ પ્રદર્શનમાં માને છે એટલે પેટ્રોલ હજાર રૂપિયે લિટર થાય તો પણ ચૂં કે ચાં કરે એમ નથી. આ સારું છે કે ખરાબ તેમાં ન પડીએ, પણ ઘણાંને લાગે છે કે લોકોને ગમે ત્યારે ઉલ્લુ બનાવી શકાય એમ છે ને ગમ્મત એ છે કે લોકો હોંશે હોંશે ઉલ્લુ બનવા તૈયાર પણ છે.

આજનો સૌથી મોટો રોગ અપ્રમાણિક્તાનો છે.

પ્રજા સાચું શું છે તે નક્કી જ ન કરી શકે એ રીતે તેને રમાડાય છે. દેશમાં તો ઠીક, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ રમત ચાલે છે. કોરોના ચીનથી ફેલાયો એવું જગતે જાણ્યું તો થોડા દિવસ પર વિશ્વ આરોગ્ય સંસ્થા(who-હુ)એ મમરો મૂક્યો કે કોરોના ચીનના વુહાનથી ફેલાયો નથી ને હવે એ જ “હુ” કહે છે કે તે વુહાનથી ફેલાયો હોવાની શક્યતા નકારી શકાય એમ નથી. કોઈ પીધેલો માણસ પણ ન કરે એવા લવારા આંતરરાષ્ટ્રીય કક્ષાએથી થતા હોય તો કોનો ભરોસો કરવો તે સમજાતું નથી. એમાં એવા સમાચાર પણ આવે છે કે કોરોના તો બચ્ચું છે, તેના કરતાં પણ ભયંકર વાઇરસ આવી રહ્યો છે. સમજ નથી પડતી કે આ લોકો ચેતવે છે કે ડરાવે છે. કોઈ એવું છે જે ઈચ્છે છે કે લોકો ડરેલા ને છેતરાયેલા જ રહે ને બીજું કશું વિચારે નહીં જેથી એનો લાભ ઉઠાવી શકાય.

તમને ખબર છે, મોંઘવારી ટી.વી.માં જ નથી !

તમારી હેલ્થની ઘણી કંપનીઓને ચિંતા છે. તમને ચોકઠું હોય તો પણ અનેક જડીબુટ્ટીઓવાળી એટલી ને એવી પેસ્ટ એ બતાવે છે કે તમને ચોકઠું બદલવાની ઈચ્છા થઈ આવે. હેલ્થ ઈન્સ્યોરન્સનો રાફડો ફાટ્યો છે. એક સમયે સિનિયર્સનો કોઈ હેલ્થ ઈન્સ્યોરન્સ ઉતારતું ન હતું, પણ હવે તો એમાં જ કમાણી દેખાય છે ને એટલી ચોઈસ અપાય છે કે હોસ્પિટલમાં દાખલ થવાનું શૂર છૂટે. આપણામાં તો અક્કલ જ નથી એટલે કેટલી બધી જાહેરાતો કહેતી ફરે છે કે આ લો અને પૈસા બચાવો. તે લો અને દવામાં ઓફ મેળવો. એ વળી એવા ડાન્સ સાથે કહેવાતું હોય છે કે એ “ઓફ” નહીં મેળવીએ તો જાણે “ઓફ્ફ” થઈ જઈશું !

આખું ચક્કર ચાલે છે. અમુક પાન મસાલા ખાવ કે શાકમાં અમુક મસાલો નાખો કે અમુક ચોકલેટ ખાવ … વગેરેની એવી જાહેરાત આવે છે કે દાંત બધું ભચડવા પર આવી જાય ને એમ કરતાં કદાચને દાંત બગડે તો ટૂથપેસ્ટ ક્યાં નથી? એની જાહેરાત પણ તમને તો શોધી જ કાઢે છે. કાર ખરીદવી છે, કાર વેચવી છે કે કારનો ઈન્સ્યોરન્સ લેવો છે તો બધાં જ તમારી સેવામાં હાજર છે. તમારા બાથરૂમમાં કયું લિક્વિડ ચાલશે તેની તમને ખબર નથી, પણ એક્ટરોને છે. કોઈ ડિટરજંટ તમે નાખશો તો તમે સાફ થઈ જશો, પણ બાથરૂમ સાફ નહીં થાય. હા, પેલો એક્ટર આવીને સાફ કરી જાય તો વાત જુદી છે. જાહેરાતનું ક્રીમ, મોડેલને આપે છે એવો ગ્લો આપણને નથી જ આપતું, પણ આપણે ખરીદીએ છીએ, કારણ આપણી પાસે પૈસા છે ને અક્કલ સિવાય બધું જ છે.

આ બધું એટલું બધું સસ્તું છે કે તમે ન લો તો મોંઘું પડે. આ બધાં જ આપણા પૈસા બચાવવા માંગે છે. ફરક એટલો જ છે કે ઘણા લોકો આપણું ભલું કરવા માંગે છે, આપણા પૈસા બચાવવા માંગે છે, પણ સરવાળે આપણે બચતા નથી તે હકીકત છે.

આમ છતાં આ બધું જ સસ્તું અને માફ કરવા જેવું લાગે એવા એક સમાચાર ગયે અઠવાડિયે આવ્યા. મુંબઈની એક બાળકી, પાંચ મહિનાની. તેને જિનમાં એવી તકલીફ થઈ કે તે વધુ જીવી શકે નહીં એવી વાત બહાર આવી. તેને એક ઈન્જેકશન વિદેશથી મંગાવીને આપો તો કદાચ બચી જાય, એવું ડોકટરોએ કહ્યું. એનાં માબાપ સારી એવી નોકરીમાં, પણ તે આખી જિંદગી મહેનત કરીને મરી જાય તો પણ, 22 કરોડ રૂપિયાનું ઈન્જેકશન કમાઈ ન શકે. ધારો કે એટલું કમાય તો પણ, દીકરી ત્યાં સુધી ટકે જ એની કશી ખાતરી નહીં. માબાપે દીકરી માટે જાહેર અપીલ કરી ને દીકરી એટલી નસીબદાર કે 16 કરોડ રૂપિયા ભેગા થયા ને સરકાર એટલી ભલી કે તેણે છ કરોડનો ટેક્સ માફ કર્યો.

ટૂંકમાં. અત્યારે તો એમ કહેવાય છે કે સમયસર બધુ થયું ને હવે દીકરી બચી જાય એમ બને. સૌ સારું થયું એનો આનંદ છે, પણ અંદરથી ચીરી નાખે એવો એક સવાલ એ આવે છે કે એક સાધારણ માણસે કેટલા અબજ રૂપિયા કમાવા જોઈએ કે તે પોતાનો ઈલાજ કરાવી શકે? એક ઈલાજના બાવીસ કરોડ રૂપિયા? એવું તે શું છે એમાં કે એક ઈન્જેક્શન બાવીસ કરોડનું થાય? સોનું નાખો તો પણ આટલા રૂપિયા ન થાય. વારુ, એમાં વળી છ કરોડનો ટેક્સ તે દાઝ્યા પર ડામ જેવો ! એવી દલીલ થઈ શકે કે ઈન્જેકશન વિદેશનું છે એટલે મોંઘું છે. માન્યું વિદેશનું છે, તો પણ શું? ત્યાં પણ એ લાખો ડોલરનું જ હશે ને ! બની શકે કે ત્યાં પણ એટલા ડોલર કાઢતાં માણસ હાંફી જાય. આ બરાબર છે?

મેડિકલ સાયન્સ અમુક તમુક સર્જરીની કે મેડિસિનની શોધની વાતો કરે છે ત્યારે આનંદ થાય છે કે ચાલો માનવ જીવનને સુરક્ષિત કરવાની દિશામાં કશુંક નક્કર તો થયું, એ સાથે જ સારી નાખતો પ્રશ્ન એ ઊઠે છે કે આ બધું કોને માટે છે? એનો સીધો જવાબ એ છે કે જે એટલા પૈસા ખર્ચી શકે એને માટે ! ક્યાંક ચેરિટી પણ થતી હશે, ક્યાંક ડિસ્કાઉંટ પણ અપાતું હશે ને ક્યાંક દયા પણ દાખવાતી હશે, તે છતાં સામાન્ય માણસે પૈસા ન હોવાને કારણે મરી જ જવું પડે એ હદે સારવાર ને દવાઓ મોંઘી છે એની ના પાડી શકાશે નહીં. દુનિયાએ તો ભલભલી શોધો કરી, લેટેસ્ટ સાધનો વિકસાવ્યાં ને ઘણું ઘણું કર્યું ને હજી કરશે, પણ ત્યાં સુધી જો સાધારણ માણસ પહોંચી શકે એમ જ ન હોય કે ન તો આ સારવાર કે દવા એના સુધી પહોંચી શકે એમ હોય તો આ બધું સાધન સંપન્ન માણસ માટે જ છે એમ માનવાનું રહે.

એમ લાગે છે કે આવનારા સમયમાં એટલો વિકાસ થવાનો છે કે એ દોડમાં સાધારણ કે ગરીબ માણસનું અસ્તિત્વ જ ન રહે એમ બને. એ જીવી શકે એટલી તકો જ એની પાસે કદાચ નહીં રહે. એટલા પૈસા જ નહીં હોય કે એ ટકી શકે.

આવનારા સમયમાં અબજોપતિ માબાપો સીધા અબજપતિને જ જન્મ આપે ને એ પછી શ્વાસ લેવાના કરોડ રૂપિયા ચૂકવીને જીવવાનું શરૂ કરે એમ બને.

આવું જીવન જોઈએ છે આપણને?

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 ફેબ્રુઆરી 2021

Loading

ન્યુઝીલૅન્ડના માઓરી આદિવાસી : આજે પણ ઉપનિવેશક વારસાથી પીડિત

રૂપાલી બર્ક|Opinion - Opinion|15 February 2021

વો સુબહ કભી આયેગી ક્યા?

સમગ્ર વિશ્વમાં આદિવાસીઓ ભૂતકાળમાં ઉપનિવેશી સત્તાઓથી અને હવે મૂડીવાદી તાકાતોથી પીડિત છે. મબલખ કુદરતી સંસાધનો અને વિશાળ જમીનો પર વસતાં આદિવાસીઓને હંમેશાં ભોગવવાનું આવ્યું છે. સાંપ્રત સમયમાં વિશ્વભરમાં આદિવાસીઓનાં પારંપરિક રહેઠાણ સ્થળો અને જીવનરીતિ પર હલ્લો બોલાયો છે એ સર્વવિદિત બાબત છે. આ અઠવાડિયે ન્યુઝીલૅન્ડની સંસદમાં બનેલી ઘટનાથી વિશ્વમાં એના પડઘા પડ્યાં અને આદિવાસીઓ અને એમના હકની ચર્ચાએ જોર પક્ડયું છે.

ન્યુઝીલૅન્ડની સંસદમાં ડિબેટીંગ ચેમ્બરમાં પુરુષ સંસદ સભ્યએ પ્રશ્ન પૂછવા માટે ટાઈ પહેરેલી હોવી ફરજિયાત છે. આ પ્રથા ન્યુઝીલૅન્ડમાં બ્રિટિશ રાજ વખતની છે. આવો જ કાયદો બ્રિટનમાં ૨૦૧૭માં રદ્દ કરવામાં આવેલો. ૯ ફૅબ્રુઆરી, ૨૦૨૧ના રોજ રાવિરી વાઈટિટીને પ્રશ્નો પૂછવાથી સ્પીકર ટ્રૅવર મલાર્ડે બે વખત રોક્યા. “આ બાબત ટાઈને લગતી નથી, સાંસ્કૃતિક ઓળખને લગતી છે”, વાઈટિટીએ ચેમ્બરમાંથી બહાર નીકળતા કહ્યું એમ સ્થાનિક સમૂહ માધ્યમોએ જણાવ્યું. આદિવાસી પ્રતિકારના ભાગરૂપે વાઈટિટીએ ટાઈ પહેરવાનો ઇનકાર કર્યો હતો. ટાઈને “ઉપનિવેશક ગાળિયો” કહી  એને બદલે એમણે ગળામાં “હેઇ-ટીકી” (પારંપારિક ગ્રીનસ્ટોનનું માઓરી પૅન્ડન્ટ) ધારણ કર્યું. પાંચ રાજકીય પક્ષોમાં કુલ ૧૨૦ સાંસદોના ૨૧% સાંસદો માઓરી છે. મિસ્ટર વાઈટિટી એમની લાક્ષણિક કાઉબૉય હૅટ અને આખા ચહેરા પરના ટૅટૂમાં સજ્જ (છૂંદણું, જેને માઓરી પરંપરામાં ‘ટા મોકો’ કહે છે) હોઈ પોતાની માઓરી હાજરી નોંધાવ્યા વિના રહેતા નથી.

બીજી વખત રોકવામાં આવ્યા બાદ, મિસ્ટર વાઈટિટીએ પ્રશ્ન પૂછવાનું ચાલુ રાખ્યું અને છેવટે મિસ્ટર મલાર્ડે એમને ચેમ્બર છોડીને બહાર નીકળી જવા ફરમાવ્યું. મિસ્ટર વાઈટિટીએ આ ફરમાનને “અયોગ્ય” ગણાવ્યું અને ઉમેર્યું કે એ માઓરી બિઝનસ વેશમાં સજ્જ છે. પોતે ટાઈમાં સજ્જ માઓરી પાર્ટીના સહઆગેવાન ડૅબી ગારેવા-પૅકરે એમના સાથીદારની તરફેણ કરી પરંતુ કંઈ કરી ન શક્યાં.

સાંસદ અને સ્પીકર વચ્ચે ટાઈ મામલે આ સૌથી તાજી બોલાચાલી છે. ગયા વર્ષે પણ મિસ્ટર વાઈટિટીને કહેવામાં આવેલું કે જો એ ટાઈ નહીં પહેરે તો એમને બહાર કાઢી મુકવામાં આવશે. સંસદમાં એમના પ્રથમ ભાષણમાં એમણે કહેલું, “મારા ગળામાંથી આ ગાળિયો કાઢી લો જેથી હું મારું ગીત ગાઈ શકું.” ‘ધ ન્યુઝીલૅન્ડ હૅરલ્ડ’માં મિસ્ટર વાઈટિટીએ લખ્યું છે કે મેં આવું પ્રતિરોધના ચિહ્નરૂપે કર્યું છે. “મેં ઉપનિવેશી ટાઈ એટલા માટે ફગાવી દીધી કે એ ઉપનિવેશક ગુલામી, ગૂંગળામણ અને દબાણનું ચિહ્ન છે.”

મોટા ભાગના દેશોમાં આદિવાસીઓ અને દેશના બિન-આદિવાસી સત્તાધીશો વચ્ચે ‘કૉન્ફ્લિક્ટ ઑફ ઇન્ટ્રૅસ્ટ’ને કારણે ઘર્ષણ થતું રહેતું હોય છે. ન્યુઝીલૅન્ડનો કિસ્સો પણ આવો જ છે. ન્યુઝીલૅન્ડના માઓરી આદિવાસી પૉલિનીસિયન આઇલૅન્ડ પરથી સદીઓ પહેલાં સ્થળાંતર કરીને ન્યુઝીલૅન્ડ આવેલાં. ૮ ઑક્ટોબર, ૧૭૬૯ના દિવસે યુરોપિયનોએ ન્યુઝીલૅન્ડ પર પ્રથમ ડગ માંડેલો. બ્રિટિશ ટૂકડી સાથે કૅપ્ટન કૂક ઘણાં પાછળથી આવેલા. કૅપ્ટન કૂક અને એમની ટૂકડી સાથે માઓરી આદિવાસીઓની લડાઈ થયેલી જેમાં કેટલાં ય માઓરીઓની કતલ થયેલી.

ટીના ગાટા જેવાં માઓરી આદિવાસી કર્મશીલો મુજબ આજે પણ માઓરી આદિવાસીઓ ઉપનિવેશક વારસાથી પીડિત છે. “અમારા લોકોની કતલ કરનારનો, અને હજુ પણ ચાલુ હોય એવી અનુભૂતિનો પ્રારંભ જેણે કર્યો હોય એનો ઉત્સવ મનાવવામાં આવે તે અમારા માટે ખૂબ અપમાનજનક છે. આ તો એક આક્રમણની અને સામ્રાજ્યના વિસ્તરણની ઘટનાનો સ્મારક-ઉત્સવ છે. માઓરી આદિવાસીઓ દયનીય સ્થિતિમાં જીવી રહ્યાં છે. આત્મહત્યાનું પ્રમાણ ખૂબ ઊંચું છે, રહેણાક વ્યવસ્થા નબળી છે, બાળ મૃત્યુદર ઊંચો છે, કેદમાં બંધ માઓરી વ્યક્તિઓનો આંકડો પણ દુનિયામાં સૌથી ઊંચો છે,” ટીના ગાટા વધુમાં કહે છે કે, “ઉપનિવેશક પ્રક્રિયા દ્વારા અમારું આત્મનિર્ધારણ છીનવી લેવામાં આવ્યું છે. આ બધા મુદ્દાઓ માટે જવાબદાર કારણોનો ઉત્સવ મનાવવા માટે લખલૂટ ડૉલર ખર્ચવામાં આવી રહ્યા છે. આ જોઈને લાગણી દુભાય છે અને ખૂબ માઠું લાગે છે.”

ન્યુઝીલૅન્ડનાં અમલદારોનું માનવું છે કે આ તિથિ દેશ માટે ખૂબ મહત્ત્વની છે. સાથે માઓરી અને અન્ય દરિયા ખેડનારાઓનો ઉત્સવ પણ મનાવવામાં આવી રહ્યો છે. Te Ha Trustના ગ્લૅનિસ ફિલિપ-બાર્બરા જણાવે છે, “ભૂતકાળમાં બન્ને પક્ષોને અનુકૂળ લાગે એવી રીતે માઓરી આદિવાસીઓ અને પાકેહા લોકો (ન્યુઝીલૅન્ડના શ્વેત નાગરિકો) વચ્ચે અવકાશ સર્જવામાં અમે બહુ સફળ નથી રહ્યાં. પોતાની કહાણીઓ એકબીજા સાથે વહેંચવા માટે લોકો તત્પર છે. બધાંને સારું લાગે અને બધાંને આદર મળે, આગામી દિવસોમાં અમારા એ જ પ્રયાસો રહેશે.”  પ્રત્યુત્તરમાં ટીના ગાટા કહે છે, “કૂકની કહાણી અને એની કહાણીની બર્બરતાને આટલો લાંબો સમય દબાવી રાખી છે એ હકીકતનો સંબંધ ન્યુઝીલૅન્ડે જે વધુ મોટો મુદ્દો આગળ કર્યો છે કે અમે સાચે બિન-માઓરીઓ સાથે સુસંગત છીએ એની સાથે છે. વળી, અમે જ એ વાતને સ્વીકારી છે એટલે અમારા ઉપનિવેશને નકારવાને લીધે અપરાધની તીવ્ર લાગણી અનુભવીએ છીએ. આઓટેરોઆમાં (ન્યુઝીલૅન્ડનું મૂળ નામ) ઉપનિવેશક વંશવાદના પાયા પર અન્ય વંશવાદના પ્રકારો આધારિત છે.

વડા પ્રધાન જૅસિન્દા આર્ડેને આખા મામલાથી દૂર રહેવાનો પ્રયાસ કર્યો છે. એમણે કહ્યું “આ એવી બાબત નથી જેના અંગે મારો કડક મત હોય. બીજા ઘણા મહત્ત્વના મુદ્દા છે. આ મામલાને નિપટાવી શકાય એમ છે. ન્યુઝીલૅન્ડના મોટા ભાગના નાગરિકોને ટાઈની પડી હોય એવું હું માનતી નથી.”

મિસ્ટર મલાર્ડે પોતાની લાચારી વ્યક્ત કરતા જણાવ્યું કે અંગત રીતે એ ફરજિયાત ટાઈ પહેરવાના નિયમમાં ફેરફારના પક્ષમાં છે, પરંતુ અન્ય સાંસદો સાથે વાત કર્યા બાદ એમને જાણવા મળ્યું કે મોટા ભાગના સાંસદો ફરજિયાત ટાઈની તરફેણમાં છે એટલે એમણે નિયમ કબૂલ રાખ્યો.

રસપ્રદ બાબત એવી બની કે બીજા જ દિવસે હંગામી સમાધાનના ભાગરૂપે મિસ્ટર મલાર્ડે મિસ્ટર વાઈટિટીને ગળામાં ટાઈ પહેર્યાં વિના પ્રશ્ન પૂછવાની અનુમતિ આપી અને મોડી સાંજે જાહેરાત કરી કે હવે ફરજિયાત ટાઈનો નિયમ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે છે. એમણે કહ્યું કે સર્વસંમતિ ન થઈ શકી, પરંતુ બહુમતી આ નિયમ નાબૂદ કરવાની તરફેણમાં હોઈ આ નિર્ણય લેવાયો છે.

બીજા ઘણાં દેશો આદિવાસીને લગતાં પ્રશ્નોનો સામનો કરી રહ્યાં છે. એમાંના અમુક નીતિ સુધારના માર્ગો અથવા પોતાના કાયદાઓ અને પરંપરાઓમાં ભેદભાવયુક્ત વલણો દૂર કરવાની પેરવીમાં છે. આદિવાસીઓ સાથેના બદવ્યવહાર અને શરમજનક ભૂતકાળ સાથે સંઘર્ષ કરતા ઑસ્ટ્રેલિયાએ દેશની સ્થાપના પૂર્વેથી વસતાં આદિવાસીઓની હાજરીનું સમર્થન કરવા પોતાના રાષ્ટ્રગીતમાંથી “for we are young and free” (કે અમે યુવાન અને સ્વતંત્ર છીએ) એવી લીટીમાંથી ‘young’ (યુવાન) શબ્દ દૂર કરી દીધો છે. આમ છતાં ૧૭૮૮માં ઑસ્ટ્રેલિયા પહોંચેલા બ્રિટિશની સ્મૃતિમાં ‘ઑસ્ટ્રેલિયા ડૅ’ મનાવવામાં આવે છે જેને ત્યાંના આદિવાસીઓ ‘ઇન્વેઝન ડૅ’ (આક્રમણ દિવસ) ગણે છે.

૨૦૧૬માં નાનાઈઆ મહુટા ન્યુઝીલૅન્ડની સંસદમાં સમગ્ર ચહેરાનું પવિત્ર ટૅટૂ, મૉકૉ કૌએ, ધારણ કરનાર પ્રથમ મહિલા સાંસદ હતાં. ગયા વર્ષે જ્યારે તેઓ વિદેશ મંત્રી બન્યાં ત્યારે એક રૂઢિવાદી ન્યુઝીલૅન્ડ લેખિકા ઓલિવ્યા પિયરસને ટૅટૂને “કદરૂપા, અસંસ્કૃત વોકડમ*ની (પરાકાષ્ટા” ગણાવી કહ્યું કે રાજદૂત માટે ટૅટૂ ધારણ કરવું અયોગ્ય ગણાય. જો કે લેખિકાની આ ટીપ્પણી વખોડી કાઢવામાં આવી અને એક પુસ્તકની દુકાનમાંથી એમના પુસ્તકો દૂર કરવાની ફરજ પડી.

ન્યુઝીલૅન્ડમાં આદિવાસીઓને પોતાની પરંપરાઓ જાળવવાથી રોકવામાં આવતાં હતાં. જો કે હાલ, માઓરી ભાષા, જેને ન્યુઝીલૅન્ડના આદિવાસીઓને બોલવાની મનાઈ હતી, એમાં પુન:જાગરણ થઈ રહ્યું છે. સમૂહમાધ્યમોમાં માઓરી અભિવાદનોનું ચલણ વધ્યું છે, માર્ગો પર સૂચનાઓ બેઉ ભાષાઓમાં મુકાય છે અને ઘણાં માઓરી યુવાનો પોતાનો વારસો પાછો મેળવવા સરકારી સહાયથી ચાલતાં માઓરી ભાષાના વર્ગોમાં પ્રવેશ મેળવી રહ્યાં છે.

ઑસ્ટ્રલિયાની સૌથી વિખ્યાત મોનાશ યુનિવર્સિટીના મોનાશ એશિયા ઇન્સ્ટિટ્યૂટના ઑસ્ટ્રેલિયા અને ગુજરાતના આદિવાસીઓની કવિતાના પ્રૉજૅક્ટ દરમ્યાન જાણવા મળ્યું કે મૂળનિવાસીઓની જમીન પર સંસ્થા ઊભી કરી એના બદલામાં દરેક જગ્યાએ નીચે મુજબ ઋણસ્વીકાર કરવામાં છે — ઈમેલના તળિયે, વૅબસાઈટ પર, વગેરે.

We acknowledge the Traditional Owners, and Elders past and present, of all the lands on which Monash University operates.

મોનાશ યુનિવર્સિટી જ્યાં સ્થિત છે તે તમામ જમીનોનાં પારંપરિક માલિકો અને પૂર્વેના અને વર્તમાનના વડવાઓનો ઋણસ્વીકાર કરીએ છીએ.

……………….

We acknowledge and pay respects to the Elders and Traditional Owners of the land on which our four Australian campuses stand.

અમારા ચાર ઑસ્ટ્રૅલિયન કેમ્પસ જે જમીનો પર ઊભા છે એનાં પારંપરિક માલિકો અને વડવાઓને અમારો આદર અને ઋણસ્વીકાર વ્યક્ત કરીએ છીએ.

* વોકડમ / wokedom – વોક / wokeનો અર્થ હતો જરૂરી સઘળી બાબતો પ્રત્યે સભાન, ત્યારબાદ અર્થમાં વધારો થયો  — વંશવાદ સંબંધી અથવા સામાજિક ભેદભાવ અને અન્યાય પ્રત્યે સભાન. ૨૦મી સદીની મધ્યથી અર્થમાં હજુ વધારો થયો છે — રાજકીય કે સાંસ્કૃતિક રીતે સભાન કે જાગૃત.

~

સંદર્ભ :

1. bbc.com

2. nytimes.com

Loading

લઘુતમ સુઘડ જીવનનો હક

રાજીવ ભાર્ગવ|Opinion - Opinion|15 February 2021

(ગઈ કાલે – ૭ ફેબ્રુઆરી ૨૦૨૧ – ઉત્તરાખંડમાં જે આપદા આવી, જેમાં ૧૦૦થી વધારે લોકોનાં મોત થયાં, તેને કુદરતી ન ગણતા સરકારની બેદરકારી ગણવી જોઈએ. કારણ કે અનેક પર્યાવરણવિદોએ પહોળા રસ્તા અને વીજમથકો બાંધવા માટે પહાડો અને જંગલો ન કાપવાની સલાહ આપેલી, તેને કારણે ભૂસ્ખલન, અતિવર્ષા, નદીઓમાં પૂર જેવી શક્યતાઓની આગાહીઓ પણ કરેલી, તેમ છતાં બન્ને પક્ષની સરકારોએ વિકાસના નામે આ કામો ચાલુ રાખ્યાં. સુપ્રીમ કોર્ટના આદેશોને પણ અવગણેલા. તે નિમિત્તે આ લેખ પ્રાસ્તવિક લાગે છે. ક્યાંક તો સરકારની જવાબદેહી નક્કી થાય અને જવાબદાર રાજકારણીઓને સજા થાય. − અનુવાદક)

•••

૨૦૧૯ના જૂન મહિનામાં બિહારના મુઝફ્‌ફરપુરની શ્રી ક્રિષ્ના મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં ૨૪ કલાકમાં ૧૦૦થી વધારે બાળકોનાં આરોગ્યસંભાળની સિસ્ટમની નિષ્ફળતાને કારણે મૃત્યુ થયાં, આ નિમિત્તે મારા મનમાં ત્રણ વિચાર આવ્યા. (આવું જ નજીકનાં વર્ષોમાં યુ.પી., મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં પણ બન્યું.)

પહેલા તો, જેમ સંવિધાનમાં મૂળભૂત ઢાંચા વિષે સિદ્ધાન્તો છે, તેવી રીતે પાયાના (basic) હકો વિષે પણ એટલી જ સ્પષ્ટતા સાથે વ્યાખ્યા થવી જોઈએ એ સમય હવે પાકી ગયો છે. બીજું આ પાયાના હકો પ્રત્યે રાજ્યએ હકારાત્મક દૃષ્ટિ રાખવી પડશે, તે રાજ્ય સામે અવરોધરૂપ (નકારાત્મક હકો) છે, તેમ માનવા કરતાં તે માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવી પડશે તેમ માનવું. ત્રીજું, કાયદાકીય કલમોની અવગણના માટે જેમ કોઈ વ્યક્તિને સજા થઈ શકે છે તેવી જ રીતે સરકારોને પણ નાગરિકોના પાયાના હકોની અવગણના કરવા માટે સજા થવી જોઈએ. આ સજા માટે હવે પછીની ચૂંટણીની રાહ જોયા વગર ત્વરિત સજા થવી જોઈએ. ટૂંકમાં, આ બાબતે નિષ્ફળ ગયેલી સરકારને કાયદાની રૂએ ગુનેગાર ગણવી જોઈએ. નાગરિકોના પાયાના હકોની નિયમસરની અવગણનાને સંવિધાનિક બાબતોની અવગણના સમકક્ષ ગણવી જોઈએ.

તાતી જરૂરિયાત

પણ પાયાના હકો કયા છે? તે અન્ય મૂળભૂત હકો (Fundamental Rights) કરતાં કેવી રીતે જુદા છે? પાયાના હકો પાયાની જરૂરિયાતોમાંથી આવે છે, જેવા કે, શારીરિક સલામતી અથવા જીવન ટકાવી રાખવું કે ગુજરાન કરવું. જરૂરિયાતો ઇચ્છાઓ કરતાં જુદી છે. તમારી ઇચ્છા હોય કે રોજ સવારે તમને ચૉકલેટ મળવી જોઈએ, પણ એ તમારી જરૂરિયાત નથી. તેના વગર કંઈ તમારી ઉપર આકાશ તૂટી પડવાનું નથી. પાયાની જરૂરિયાતો જુદી છે. તેમની અપૂરતી તમારા સ્વાસ્થ્યને મોટુ નુકસાન કરી શકે, તમારું મૃત્યુ પણ લાવી શકે. જો તમને બૅક્ટેરિયાનો ચેપ હોય અને જો તમને ઍન્ટિબાયોટિક ના મળે તો એ તમને બહુ ખરાબ અસર કરી શકે. તો તમારી પર સાચ્ચે જ આકાશ તૂટી પડે. વધારામાં, ઇચ્છાઓ વ્યક્તિગત છે. તમારી ચૉકલેટની ઇચ્છા એ તમારી ભૂલ નથી, પણ તમારી ગેરસમજ છે, કદાચ તમે તમારી પાયાની જરૂરિયાતથી અજાણ છો. તમે એ કહી શકવા સક્ષમ નથી કે ઍન્ટિબાયોટિક તમારી જરૂરિયાત છે, કારણ કે તમારું મન તમને બૅક્ટેરિયા અને વાઇરલ ચેપને સમજી શકતું નથી. આ નક્કી થાય છે કોઈ વાસ્તવિક કસોટીથી.

માનવશરીરોની રચનાને કારણે જરૂરિયાતો બની છે. તે સ્થૂળ આવશ્યકતાઓ છે; તેના વગર કોઈ આગળ વધી ન શકે. તેવી જ રીતે તે અન્ય કોઈ ઉપાયોથી પૂરી ન થઈ શકે. આપણા માટે પાણી, ખોરાક અને હવાની જગ્યા અન્ય કોઈ પદાર્થ ન લઈ શકે.

અલબત્ત, એ વાત સાચી છે કે, પાયાની જરૂરિયાતો અતિ આવશ્યક હોવા છતાં, આપણે માત્ર તેના માટે જીવતા નથી. તે આપણા જીવનને જીવવા જેવું નથી બનાવતી. પણ ખરેખર એવું કશુંક કે જેના માટે આપણે જીવીએ છીએ, તેનો આધાર તો આ પાયાની જરૂરિયાતો પૂરી થાય તેના પર જ છે. જો આપણે સતત તરસ્યા, ભૂખ્યા, બિમાર, ઠંડીમાં કે અસહાય પરિસ્થિતિમાં રહેતાં હોઈએ, ત્યારે આપણે શેના માટે જીવીએ છીએ તે નક્કી કરવા અક્ષમ હોઈશું, જે ઇચ્છીએ છીએ તે પામવાના પ્રયત્નોની તો વાત જ ન આવે. એવા લોકોની સ્થિતિનો વિચાર કરો, જે પાણીની એક ડોલ ભરવા કે નહાવા કે સંડાસ જવા માટે કતારમાં કલાકો સુધી ઊભાં રહેતાં હોય છે. જો પાયાની જરૂરિયાતો અપૂરતી હોય કે તેમાં મોડું થતું હોય, તો લોકો દુ:ખી થતાં હોય છે. આને કારણે તેઓ થોડીક પણ સુઘડ જિંદગી જીવી શકતાં નથી.

જ્યારે પાયાની જરૂરિયાતો પૂરી નથી થતી, ત્યારે આપણે નિર્બળતા અને અસહાયતા અનુભવીએ છીએ. તે વખતે આપણે માનસિક તાપ અનુભવીએ છીએ, કોઈ મદદ કરે તે માટે રડીએ છીએ. આપણે આપણા સમાજ પાસે, ખાસ તો રાજ્ય પાસે પ્રાથમિક ન્યાય મળે તે માટે માટે ફરિયાદ કરીએ. પ્રાથમિક ન્યાય આપવા માટે બીજું કશું કરતાં પહેલાં સરકારે પોતાની ક્ષમતા અનુસાર જે કંઈ હોય તે પાયાની જરૂરિયાત માટે નાગરિકોને આપવું પડે, ખાસ કરીને એવાં લોકોને, જે આપ મેળે તે મેળવી શકતાં નથી. જ્યારે સરકાર પોતાની આ જવાબદારી સ્વીકારતી નથી, ત્યારે આપણે દુ:ખી થઈએ છીએ.

સલામતી અને જીવન ટકાવી રાખવાની જહેમત

પાયાની જરૂરિયાતોના આ વિચારને સ્પષ્ટ કરવા કયા શબ્દો ઉમેરવા પડે ?

પહેલું, જરૂરિયાત એવી બાબત છે જે આપણા અસ્તિત્વ સાથે જોડાયેલી છે. તે દૈવી કે કોઈ કૃપા કરવાની બાબત નથી. તો, જરૂરિયાતો એ બાબતોને ઓળખવામાં મદદ કરે છે, જે વ્યક્તિનું જીવન ટકાવી રાખવાની પાયાની બાબત છે. સરકાર આપણને એ પદાર્થો અને સેવાઓ પૂરી પાડે, જે આપણા પાયાના હકો છે અને તે માગવાનો આપણને અધિકાર છે.

બીજું, જ્યારે કોઈ બાબત પાયાના હક તરીકે નક્કી થાય છે, ત્યારે સરકારને તે પૂરી પાડવાની જવાબદારી સોંપે છે. સરકાર તે આપવાની બાહેંધરી આપનાર બને છે. દા.ત., શારીરિક સલામતીનો હક, પહેલો પાયાનો હક, એ સામાજિક બાહેંધરી બને છે, જ્યારે સરકાર તાલીમ પામેલું, વ્યાવસાયિક પોલીસદળ આપે છે. જ્યારે સમાજ અને તેની સરકાર આ નિશ્ચયને નકારે છે, ત્યારે આપણે તેને જવાબદાર માનીએ છીએ. આ પાયાનો હક, તે મોટાં જોખમો, જેવા કે ભૂખમરો, બિમારી અને ચેપીરોગ સામે અસહાય લોકો માટે કવચ છે. ફિલોસૉફર હેન્રી શ્યુ કહે છે કે “આ હક શક્તિહીન લોકો માટે વિટો (કાયદાને નામંજૂર કરવાનો અધિકાર) છે જેને તેઓ તેમને હાનિ પહોંચાડતાં આર્થિક, સામાજિક અને રાજકીય બળો સામે વાપરી શકે છે.”

આ હકો પાયાના એટલા માટે પણ છે કે એક વાર આ હક માન્ય થઈ જાય પછી જ બાકીના તેને અંતર્ગત મહત્ત્વના અન્ય હકો ભોગવી શકાય. વિચારો કે આપણી પાસે સમાજમાં છૂટથી એકઠા થવાનો હક છે, પણ આ હક વાપરવાની શરૂઆત કરતા જ કોઈ એકલદોકલ વ્યક્તિ પર હુમલો કે બળાત્કાર કે હત્યા થવાનો ભય ઊભો થાય છે. આની સામે મોટા ભાગના લોકો પીછેહઠ કરે છે. તેનો સામનો કરવા અસમર્થ છે. શું આ શારીરિક સલામતિ સામે ખતરો નથી, જે સામાન્યપણે ગુંડાઓ, રાજકીય ઠગો અને દમનકારી સરકારોનું હાથવગું સામાન્ય હથિયાર છે ?

બીજો મહત્ત્વનો પાયાનો હક છે લઘુતમ આર્થિક સલામતી અને ગુજરાન ચલાવવાનો. તેમાં સામેલ છે ચોખ્ખી હવા, અપ્રદૂષિત પાણી, આરોગ્યપ્રદ ખોરાક, વસ્ત્રો અને રહેઠાણ. તેની ગેરહાજરીને કારણે મુઝફ્‌ફરપુરની કરુણાંતિકા સર્જાઈ. આ બાબત સારી રીતે સાબિત કરે છે કે પ્રાથમિક આરોગ્ય સારવાર પણ અસ્તિત્વ જાળવણીનો પાયાનો હક છે. કુપોષણ અને બિમારી વચ્ચે સીધો જ સંબંધ છે. ડૉ. ટી. જેકોબનો જૂન ૧૯, ૨૦૧૯ના ‘ધ હિંદુસ્તાન’માં લેખ છે કે આ બાયોકૅમિકલ રોગ છે, જેનું કારણ છે લીચી ફળનો આહાર, જે ખાસ કરીને કુપોષિત બાળકોમાં આ રોગ જન્માવે છે. એ તો સામાન્ય જ્ઞાન છે કે અલ્પપોષણ રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે. આમ રોગ, બેરોજગારી અને ગરીબી વચ્ચેનો સીધો સંબંધ પ્રસ્થાપિત થાય છે.

આ પાયાના હકો સામે રહેલાં આ વિશ્વસનીય જોખમો સામે સરકાર આવા અસહાય લોકોને મદદ કરવા માટે સંસ્થાઓ અને પ્રક્રિયાઓની સ્થાપના કરીને નિવારી શકે, દા.ત., પૂરતાં ડૉક્ટરો, નર્સો, પથારીઓ, મેડિકલ સાધનો અને સઘન સારવારકેંદ્રો, જરૂરી દવાઓ અને તાત્કાલિક સારવારની સગવડતા સાથેની હૉસ્પિટલોની સ્થાપના કરે. આને માટે રાજકીય પ્રાથમિકતા અને પ્રતિબદ્ધતા અનુસાર જરૂરી આયોજનો કરી શકે. જ્યારે સરકાર આ નબળા વર્ગો, જે એ માટે ખર્ચ કરવા સક્ષમ નથી, તેમને પ્રાથમિક આરોગ્યસંભાળ દેવામાં નિષ્ફળ જાય, ત્યારે તે નાગરિકના પાયાના હકને અવગણે છે. 

અસહાય, ઉત્તરદાયી

આ બે પાયાના હકો ઉપરાંત હું ત્રીજો હક ઉમેરું છું – જો લોકો પાયાના હકોથી વંચિત રહેતા હોય, તો તેમને પોતાની અસહાયતા અને નિરાશાને જાહેર કરવાની આઝાદીનો હક. અભિવ્યક્તિની આઝાદીના હકનો વ્યાપ બહુ વિશાળ છે અને હું નથી માનતો કે બધા જ પ્રકારની અભિવ્યક્તિને તેમાં સમાવાય, પણ લાગુ પડતા ભાગોને સમાવી શકાય. પોતાની અસહાયતાને જાહેર કરવાના હકમાં સામેલ હોય : સરકાર દ્વારા કરાતાં કામોને ઉમેરી કે બાદ કરીને તેની યાદી નક્કી થાય, તેનું ચોકસાઈપૂર્વક પરીક્ષણ થાય અને પછી સરકાર દ્વારા નિયુક્ત અધિકારીને આ હકોનું ધ્યાન રાખવા જવાબદાર બનાવાય, જે શારીરિક સલામતી અને જીવન ટકાવી રાખવાના હક વિષયે કામ થાય તે સાથે સંકળાયેલો હોય.

ત્યાર પછી સરકાર તેવી વ્યવસ્થા ગોઠવે, જેથી લોકો પોતાના પાયાના હકો સંતોષાય તેના વિષે માંગણી કરી શકે, જો ન સંતોષાય તો ફરિયાદ કરી શકે, તેમાં જે ખામી રહી હોય કે જેને સરકાર દ્વારા અવગણવામાં આવ્યા હોય, તેની જાણ કરી શકે, અસંવેદન અધિકારીઓ તરફ આંગળી ચીંધી શકે, આ કરવામાં નિષ્ફળ ગયેલી સરકારની કોઈ ભય વગર ટીકા કરી શકે.

આ ત્રણ પાયાના હકોને એક વાક્યમાં કહી શકાય : લઘુતમ સુઘડતા સાથે જીવવાનો હક. આ હકની એક સીમા હોય. સમાજ તેના માટે ઘસાય, તેને પામવા માટે સહિયારો ભવ્ય પુરુષાર્થ કરે. જો કે વધુ સારું જીવન જીવવાની આકાંક્ષાની કોઈ સીમા ન હોઈ શકે. પણ લઘુતમ સુઘડતાની એક હદ નક્કી થાય કે જેની નીચે માનવીના અસ્તિત્વનું સ્તર ન ઊતરે. આ લઘુતમ સીમાની નીચેનું સ્તર ક્યારે ય સ્વીકાર્ય ન હોઈ શકે. મુઝફ્‌ફરપુરમાં બરાબર આ બાબતે જ બિહારસરકારની અને તે સાથે ભારતસરકારની અસંવેદનશીલતા આપણને થથરાવી મૂકે છે. તેઓ લોકોની પીડાના સીધાં કે આડકતરાં કારણોમાં પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખે છે, એટલા માટે આપણે પૂછવું જોઈએ કે લોકોના પાયાના હકો સંતોષવામાં નિષ્ફળ ગયેલી સરકારને શા માટે તાત્કાલિક અને સખત સજા ન થાય?

લેખક જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્રના, વિકસતા સમાજના અભ્યાસ કેન્દ્રના પ્રોફેસર છે. તેમનો ૨૫ જૂન, ૨૦૧૯નો આ લેખ પ્રાસંગિક જણાતાં ઈન્ટરનેટ પરથી અહીં સાભાર ઉતાર્યો છે.

– મુનિ દવે, અનુવાદક

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2021; પૃ. 05-06

Loading

...102030...1,9951,9961,9971,998...2,0102,0202,030...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved