Opinion Magazine
Number of visits: 9747239
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે!

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|6 May 2021

હૈયાને દરબાર

આત્મવિશ્વાસના એક હજાર સૂર્ય એક સાથે ઝગમગાવી શકે એવું અમર ગીત એટલે તારી જો હાક સૂણી કોઈ ના આવે તો એકલો જાને રે …! વિશ્વ કવિ રવીન્દ્રનાથ ટાગોરનો આવતીકાલે જન્મદિવસ.‌ ૭ મે ૧૮૬૧મા જન્મેલા આ કવિ, સંગીતકાર, લેખક, નાટ્યકાર, નિબંધ કાર અને ચિત્રકાર રવીન્દ્રનાથ ટાગોરે ત્રણ હજાર જેટલાં ગીતો રચ્યાં અને સ્વરબદ્ધ કર્યાં.‌ રવીન્દ્રનાથ ટાગોરે તેમના જીવનકાળમાં ઘણાં પુસ્તકો, નાટકો, નિબંધો, ટૂંકી વાર્તાઓ અને કવિતાઓ લખ્યાં છે. તેમનાં નાટકો, પુસ્તકો અને ટૂંકી વાર્તાઓ દ્વારા તેઓ લોકોને ખોટા રિવાજોના નકારાત્મક પ્રભાવ વિશે હંમેશાં કહેતા. સામાજિક જાગૃતિ વિશે એમણે ઘણું લખ્યું. 

રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલાં 'ગીતાંજલિ' કાવ્યસંગ્રહને વર્ષ 1913માં નોબેલ પુરસ્કાર મળ્યો. આ સાથે, તે ભારતીય મૂળ અને એશિયાના પ્રથમ વ્યક્તિ બન્યા, જેમને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો. વર્ષ 1915માં તેમને બ્રિટિશરોએ ‘સર’ની પદવી પણ આપી હતી.

આવા ગુરુદેવ ટાગોરની કવિતાઓ, ગીતો વર્તમાન સમયમાં પરમ શાંતિ આપી શકે એવાં છે.‌ રવીન્દ્રનાથ ટાગોરનો ગુજરાત સાથે પણ સંબંધ રહ્યો છે. એમના મોટાભાઈ સત્યેન્દ્રનાથ જ્યારે અમદાવાદમાં મેજિસ્ટ્રેટ હતા, ત્યારે રવીન્દ્રનાથ સત્તર વર્ષની વયે એમના ઘરે અમદાવાદ રહેવા ગયા. ભાભી જ્ઞાનદાનંદિની તથા બાળકો ઈંગ્લેન્ડ રહેતાં હોવાથી રવિ ઠાકુર એકલા હોઈ, ઘરની લાઈબ્રેરીનાં પુસ્તકો ઉથલાવતા, કવિતાઓ લખતા. અમદાવાદમાં જ એમણે એક ઉત્તમ વાર્તા 'ક્ષુધિત પાષાણ' લખી જેના પરથી ફિલ્મ પણ બની હતી.‌ 

રવીન્દ્રનાથની ગીતસૃષ્ટિ વિશે કહીએ તો બંગાળમાં આજે એક પણ અનુષ્ઠાન એવું નહીં હોય જ્યાં રવીન્દ્રનાથની હાજરી ન હોય. રવીન્દ્રનાથે પોતે જ એક સ્થાને લખ્યું છે કે, "ભવિષ્યમાં મારી કવિતા-વાર્તાનું જે થવાનું હશે તે થશે પણ મારાં ગીતો બંગાળી સમાજે અપનાવવાં જ પડશે, મારાં ગીતો બધાએ ગાવાં જ પડશે." આજે આ વાત બંગાળના સંદર્ભમાં કહીએ તો અક્ષરશઃ સાચી છે.‌

રવીન્દ્ર સંગીતનાં અદ્ભુત ગીતોની યાદીમાં સર્વોચ્ચ સ્થાને હકપૂર્વક બેસી શકે એવું ગીત એટલે ‘જોદી તોર ડાક શુની કેઉ ના આશે તોબે એકલા ચલો રે …!' બંગાળીમાં શ્રેયા ઘોષાલથી લઈને અનેક કલાકારોએ આ ગીત ગાયું છે તેમ જ આપણા મહાનાયક અમિતાભ બચ્ચનના અવાજમાં હિન્દીમાં આ ગીત સાંભળવું એ અદ્દભુત લહાવો છે. ગુજરાતીમાં મહાદેવભાઈ દેસાઈએ આ ગીતનો એવો સુંદર ભાવાનુવાદ કર્યો છે કે એ ગીત આપણને આપણું પોતીકું જ લાગે છે. ગુજરાતીમાં ય અનેક કલાકારોએ આ ગીત ગાયું છે પરંતુ, સૅન ફ્રાન્સિસ્કો સ્થિત ગાયક-સંગીતકાર યુગલ માધ્વી-અસીમ મહેતાએ થોડાં વર્ષો પહેલાં રવીન્દ્ર ગુર્જરી નામે એક સંગીત આલ્બમ કર્યું.‌ એ આલ્બમ અનાયાસે સાંભળીને એમાંનાં બધાં ગીતોએ અત્યારના કપરા કાળમાં ચંદનનો લેપ કર્યો. માધવીબહેનનાં કંઠની મીઠાશ રવીન્દ્ર સંગીતમાં સાંગોપાંગ ભળી ગઈ છે.‌

આ સંગીતકાર યુગલ મૂળ તો વડોદરાનું અને ઘણાં વર્ષોથી સૅન ફ્રાન્સિસ્કોમાં રહે છે. રવીન્દ્ર સંગીતનાં ગીતો વિશે અસીમભાઈ-માધવીબહેન સાથે વાત કરતાં એમણે બહુ ઉત્સાહપૂર્વક જણાવ્યું કે રવીન્દ્ર સંગીત અમને બંનેને ખૂબ પ્રિય છે.‌ આ સંગીત ખરેખર માનસિક શાંતિ પ્રદાન કરનારું છે.‌ એમાં ય ‘એકલો જાને રે …’ ગીત તો હતાશ-નિરાશ વ્યક્તિઓમાં પણ જોમ પૂરી શકે છે.‌ ખૂબ પ્રેરણાદાયી ગીત છે.

માધ્વી મહેતા નવ વર્ષની ઉંમરથી જ વડોદરાના સંગીતકાર જયદેવ ભોજક પાસે સંગીત શીખતાં હતાં.‌ એમણે બરોડા મ્યુઝિક કૉલેજમાંથી કંઠ્ય સંગીતમાં ડિગ્રી મેળવી છે.‌ એ વખતે અગ્રેસર તબલાંવાદક સ્વ. વિકી પાટીલનાં ગરબા ગ્રુપમાં માધ્વીબહેન અગ્રગણ્ય ગાયિકા હતાં. દરમ્યાન વડોદરાના જ એન્જિનિયર અસીમ મહેતા સાથે એમનાં લગ્ન થયાં. નસીબ કેવું કે અસીમભાઈને પણ સંગીતનો ખૂબ શોખ હતો. તેઓ પોતે બહુ સારા મ્યુઝિક એરેંજર અને હાર્મોનિયમ પ્લેયર હતા. ત્યારબાદ અસીમભાઈએ લક્ષ્મીકાંત બાપટ પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી. પછી તો આ સંગીતપ્રેમી યુગલ સૅન ફ્રાન્સિસ્કો જઈને વસ્યું અને ટૂંક સમયમાં 'બે એરિયા'માં પણ સંગીતના કાર્યક્રમો આપવા માંડ્યા હતાં.

"એકવાર રવીન્દ્રનાથ ટાગોરની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે સેન ફ્રાન્સિસ્કોમાં બહુ મોટું સંમેલન હતું જેમાં કલાપ્રેમી શુભચિંતક મહેન્દ્ર મહેતાને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. એમણે અમને રવીન્દ્ર સંગીતનાં ગીતો ગુજરાતીમાં રજૂ કરવા માટે આગ્રહ કર્યો. મારાં મમ્મી મેઘલતા મહેતા બંગાળી શીખ્યાં હોવાથી ટૂંક સમયમાં જ એમણે કેટલાંક ગીતોનો અનુવાદ કરી આપ્યો અને અમે બંનેએ એ તૈયાર કરી રવીન્દ્ર ગીતો પ્રસ્તુત કર્યાં તો અમને બહુ સુંદર પ્રતિસાદ મળતા અમે ગીતોનું આલ્બમ કરવાનું નક્કી કર્યું. અમારા સપ્તક વૃંદના સભ્યોએ પણ એમાં કેટલાંક કોરસમાં સાથ પુરાવ્યો છે તેમ જ વ્યક્તિગત પણ ગાયું છે. અમારો ઉદ્દેશ એ જ છે કે આવા મહાન કવિની રચનાઓ આપણા ગુજરાતીઓ સુધી પહોંચે." કહે છે માધ્વી મહેતા.

ટાગોર લય અને તાલના નિષ્ણાત હતા.‌ એશિયાના બન્ને દેશ ભારત અને બાંગ્લાદેશને રાષ્ટ્ર ગીતની ભેટ આપનાર ટાગોરે બ્રિટિશ પરાધીન ભારતને ૧૯૩૮માં રેડિયો પ્રસારણ કરનાર કેન્દ્રોને એક સુંદર નામ આપ્યું આકાશવાણી. 'રવીન્દ્રનાથનો કલા વૈભવ' પુસ્તકના લેખક લેફ્ટેનન્ટ ડૉ. સતીષચંદ્ર વ્યાસ એમાં લખે છે, "સામાન્ય રીતે જોમ અને જુસ્સો ચડાવવા માટે લખાતાં પ્રયાણ ગીત એટલે કે 'માર્ચ સોંગ'માં કવિઓનાં કાવ્યતત્ત્વ પાતળાં પડી જાય અથવા નહિવત થઇ જાય છે. કવિત્વ શક્તિ કોરાણે મૂકાઈ જાય છે. સંગીત એકવિધ બની જાય છે. પરંતુ, ટાગોર તેવી કસોટીમાં પણ અક્ષુણ્ણ બહાર નીકળ્યા છે. એકલો જાને રે ગીત તેનું ઉત્તમ ઉદાહરણ છે. સાહિત્યિક દ્રષ્ટિએ એનું જરા પણ ઓછું મૂલ્ય આંકી શકાય તેમ નથી."

આ ગીત દ્વારા કવિ કહે છે કે તારે જ તારા પોતાના ઉદ્ધારક બનવાનું છે, ઉદ્દીપક બનવાનું છે. કોઈ દીવો ધરે કે ના ધરે, મારગ બતાવે કે ના બતાવે, મંઝિલ સુધી હિંમત હાર્યા વિના તારે એકલા જ આગળ વધવાનું છે. અંધારી રાતે વીજળીના ચમકારા જેટલા સમયમાં દીવો પ્રગટાવવાનો છે અને આગળ વધવાનું છે. આપણી સાથે કોણ આવશે? કોણે આવવું જોઈએ? એ વિચાર કરવાને બદલે એમ વિચારો કે રસ્તો આપણો છે, કુદરત આપણી સાથે છે અને પ્રમાણિકતાથી જીવીએ તો સિદ્ધિ અને સફળતા પણ આપણી સાથે જ છે. એકલા હોવાથી ડરવાની જરૂર નથી. વૃક્ષ પણ એકલું જ છે ને છતાં એ વરસાદ આપે છે, પંખીઓને ઘર આપે છે અને મનુષ્યને છાંયો આપે છે. એ જ રીતે આપણે ભલે એકલા હોઈએ, કોઈ સાથ આપે કે ના આપે છતાં આગળ વધવાનું છે.‌ હારવાનું તો નથી જ.‌

પીડા અને યાતનાના આ કપરા સંજોગોમાં આવાં ગીતો સાચે જ નવી ઉર્જા આપે છે. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને ૧૬૦મી જન્મ જયંતીએ યાદ કરી આપણે પણ આ ગીત ગાઈને એમની પરમ ચેતનાને વંદન કરીએ; તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે …!

*****

તારી જો હાક સુણી
કોઇ ના આવે તો,
એકલો જાને રે

એકલો જાને, એકલો જાને, એકલો જાને રે
તારી જો હાક સુણી
કોઇ ના આવે તો,
એકલો જાને રે

જો સૌનાં મોં સીવાય
ઓરે ઓરે ઓ અભાગી 
સૌનાં મોં સીવાય

જ્યારે સૌએ બેસે મોં ફેરવી
સૌએ ડરી જાય
ત્યારે હૈયું ખોલી અરે તું મન મૂકી
તારાં મનનું ગાણું એકલો ગાને રે

તારી જો હાક સુણી
કોઇ ના આવે તો,
એકલો જાને રે

જો સૌએ પાછાં જાય
ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય
જ્યારે રણવગડે નીસરવા ટાણે
સૌ ખૂણે સંતાય
ત્યારે કાંતા રાને
તું લોહી નીંગળતે ચરણે
ભાઇ એકલો ધા ને રે  

તારી જો હાક સુણી
કોઇ ના આવે તો,
એકલો જાને રે

જો દીવો ન ધરે કોઇ
ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઇ

જ્યારે ઘનઘેરી તુફાની રાતે
બાર વાસે તને જોઈ
ત્યારે આભની વીજે, તું સળગી જઈ
સૌનો દીવો એકલો થાને રે
તારી જો હાક સુણી
કોઇ ના આવે તો,
એકલો જાને રે

•   કવિ-સ્વરકાર : રવીન્દ્રનાથ ટાગોર    •    અનુવાદ : મહાદેવભાઇ દેસાઇ    • કલાકાર : માધ્વી મહેતા-અસીમ મહેતા અને ગ્રુપ

પ્રગટ : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 06 મે 2021

Loading

આજના કટોકટી ભર્યા કાળમાં ગાંધી હોત તો શું કરત?

લેખકઃ ડોક્ટર અભય બંગ — અનુવાદક: આશા બૂચ, લેખકઃ ડોક્ટર અભય બંગ — અનુવાદક: આશા બૂચ|Gandhiana|4 May 2021

ડૉ. અભય બંગ વ્યવસાયે ડોક્ટર અને કર્મશીલ. એ ક્ષેત્રમાં સંશોધન કાર્ય સાથે જોડાયેલા.

ઉપર જણાવેલ વિચારોને વરેલા હોવાને લીધે ડૉ. અભય અને રાની બંગે મહારાષ્ટ્રના ગઢચિરોલી વિસ્તારમાં વંચિતો અને ગરીબીની રેખા પર જીવતા લોકોનાં સ્વાસ્થ્ય અને સારવારની સવલતોમાં ધરખમ સુધારા કર્યાં, જેને કારણે બાળમરણનું પ્રમાણ નોંધપાત્ર પ્રમાણમાં ઘટ્યું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યુનિસેફ દ્વારા તેમના નવજાત શિશુના સ્વાસ્થ્ય માટેના આ કાર્યક્રમને બહાલી મળી છે અને પૂરા ભારત તથા આફ્રિકાના દેશોમાં તેનો અમલ થઇ રહ્યો છે. તેમના પત્ની ડૉ. રાની બંગને સથવારે સોસાયટી ફોર એડ્યુકેશન, એક્શન એન્ડ રિસર્ચ સંગઠન સ્થાપ્યું. આ યુગલ મહારાષ્ટ્ર ભૂષણ અને અન્ય અનેક પુરસ્કારોથી વિભૂષિત થયું છે. મેડિકલ જર્નલ ‘લાન્સેટે’ તેમને ‘ભારતના ગ્રામ્ય વિસ્તારમાં સ્વાસ્થ્ય સેવાના સ્થાપક’ તરીકે નવાજ્યા. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટેનો પ્રતિષ્ઠિત પુરસ્કાર અને તેની સ્કોલર્સ સોસાયટીમાં પણ પ્રવેશ અપાયેલો છે. આ બધા ઉપરાંત ડૉ. અભય બંગ ગાંધી-વિનોબાના વિચારોથી રંગાયેલા, અને તેથી જ તો જૂન 2020માં એક મનનીય લેખ લખ્યો, જેનો અનુવાદ અહીં પ્રસ્તુત છે.

— આશા બૂચ

હાલની વૈશ્વિક કટોકટીથી આપણે ખૂબ જ ભયભીત થઇ ગયા છીએ અને મૂંઝાઈ ગયા છીએ. આ કટોકટી ત્રિપાંખી છે – કોવીડ 19ની મહામારી, વિશ્વ ભરમાં પ્રસરેલી આર્થિક મંદી અને વધતા તાપમાનને કારણે પર્યાવરણમાં સર્જાયેલી કટોકટી. ચાલો આપણે આ પડકાર ગાંધી સામે મૂકીએ. આજના કટોકટી ભર્યા કાળમાં ગાંધી હોત તો શું કરત? એમના ઉત્તર આપણે ક્યાં શોધવા જઈશું? એમણે તો કહેલું “મારું જીવન એ જ મારો સંદેશ છે” તો ત્યાં જ તેમના ઉત્તરો મળી આવશે. 

ગાંધીના ઉકેલની કેટલીક લાક્ષણિકતાઓ હશે. સહુ પ્રથમ તેમણે માત્ર ઉપદેશ ન આપ્યો હોત, તેમણે પોતે જ આ રોગનો સામનો કરવા તકેદારી લેવાની બાબતો અમલમાં મૂકી હોત. તેથી જ તો “મારું જીવન એ જ મારો સંદેશ છે’ એવું હિંમતભર્યું વિધાન કરી શક્યા હતા. આપણે એવું વિધાન ન કરી શકીએ. બીજું, તેમણે એ કાર્ય સ્થાનીય સ્તર પર શરૂ કર્યું હોત, દુનિયાને બદલવા પાછળ દોડ્યા ન હોત. વિલિયમ બ્લેકે સુંદર રીતે કહેલું તેમ તેમની શ્રદ્ધા તેમને ધૂળના રજકણમાં આખું વિશ્વ જોઈ શકવાને શક્તિમાન બનાવતી હતી. ત્રીજું, તેમણે નાનાં અને નાદાન લાગે તેવાં પગલાંઓ પહેલાં ભર્યાં હોત; જેમ કે ચપટી ભર મીઠું ઉપાડવું, જેનાથી ભારતનો અને દુનિયાનો સવિનય કાનૂનભંગનો આખો ઇતિહાસ બદલાઈ ગયો. 

જ્યારે મારા મનમાં ગાંધી આજે હોત તો શું કરત એ વિચાર સ્ફૂર્યો ત્યારે મારી નજર સમક્ષ કાર્યસૂચિ રૂપે નવ મુદ્દા ખડા થયા.

1. ભયમાંથી મુક્તિ:

આપણે કોરોના વાયરસ કરતાં ભયના રોગથી વધુ ઝડપાઈ ગયાં છીએ. અને આ ભયના વાયરસે તો આખી દુનિયાને જાણે લકવાગ્રસ્ત કરી મુક્યો છે. ગાંધીએ આપણને આ ભયમાંથી મુક્ત થવાનું કહ્યું હોત, જેમ તેમણે આપણને બ્રિટિશરોના ભયમાંથી મુક્તિ મેળવવાનું કહેલું. તેમણે એવી દલીલ કરી હોત કે કોરોનાથી પેદા થયેલ બિમારી કરતાં તેનો ભય વધુ પડતો ડરામણો છે. ખરેખર આપણને અંતે તો મૃત્યુનો ભય હોય, જેની શક્યતા આ મહામારીમાં પ્રમાણમાં ઓછી છે. એ ભય વૃદ્ધો અને સારવાર કરનારાઓ માટે વધુ લાગુ પડે છે. વસતીના કુલ પ્રમાણમાં મૃત્યુ આંકડાઓને મુક્યા વિના આપણી સામે માત્ર મૃત્યુ પામેલાઓની સંખ્યા મુકવામાં આવે છે. જો તમે કુલ વસતીના પ્રમાણમાં મૃત્યુ પામેલાની સંખ્યા મૂકો તો સહુથી વધુ અસર પામેલા અમેરિકામાં પણ મૃત્યુ પામવાની શક્યતા 0.03 % જ છે. ગાંધીએ આથી જ તો આપણને કહ્યું હોત, ભય છોડો અને હકીકતને જાણો. તેમની બીજી દલીલ એ પણ હોત કે પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભય એક વિપરીત અસરકર્તા પરિબળ બને છે. આપણને માર્ગદર્શક બનવાને બદલે એ લકવાગ્રસ્ત કરી મૂકે છે. અંતે તો મૂળ તેમની દલીલ આધ્યાત્મિક મુદ્દા પર આવી ગઈ હોત. માનવ શરીર નાશવંત છે, આત્મા જ અમર છે, તો ભય શાને? આ ભય સાચો ન હોવાને કારણે ઓગળી ગયો હોત.

2. બિમારોની ચાકરી:

ગાંધી માટે બિમારોની સારવાર કરવી એ તેમની સહજ વૃત્તિ હતી, જે બોઅરની લડાઈ, પ્રથમ વિશ્વયુદ્ધ, ભારતમાં થયેલ મહામારીના સમયે અને પોતાના આશ્રમમાં રક્તપિત્તના દરદી સ્વ. પરચુરે શાસ્ત્રીની સારવાર જેવા અનેક પ્રસંગોએ તાદ્રશ થયેલ. કોવીડ-19ને કારણે સેંકડો પ્રજાજનો બિમાર છે, જેમને મેડિકલ સારવાર, શારીરિક સંભાળ અને નર્સીંગની જરૂર છે. ગાંધી કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા વિના જાતે એવા લોકોની સારવાર કરવા લાગ્યા હોત. તેઓએ સ્વચ્છતા અને આરોગ્યના નિયમો પાળવા, હાથ ધોવા અને માસ્કના ઉપયોગની બાબતમાં ખૂબ જ આગ્રહ સેવ્યો હોત. હાલમાં મેડિકલ સાયન્સ પાસે કોવીડ-19 માટે પૂરવાર થયેલ કોઈ સારવાર ઉપલબ્ધ નથી, તો એવા સંજોગોમાં ગાંધીએ કુદરતી ઉપચારનો ઉપયોગ કર્યો હોત અને શરીરની પોતાની સાજા થવાની શક્તિને કુદરતી રીતે કામ કરવાની તક આપી હોત. આપણને વેન્ટિલેટર્સ કરતાં કુદરતી હવાની આવનજાવનની વ્યવસ્થાની વધુ જરૂર છે (વેન્ટિલેટર્સ ઉપર રાખવામાં આવેલા દરદીઓમાંથી 70થી 80% દરદી મૃત્યુ પામતા જણાય છે). જ્યાં સુધી વધુ અસરકારક રસીની શોધ ન થાય, કે જે હજુ તરતમાં આવવાની શક્યતા નથી, (આ લેખ જૂન 2020માં લખાયેલ તેની નોંધ લેવી રહે) ત્યાં સુધી કોરોના અને તેના જેવી બીજી બિમારીઓના ઈલાજ તરીકે કુદરતી ઉપચાર એક સારો વિકલ્પ ગણી શકાય. 1946માં જ્યારે ગાંધીજી ભારત માટે સ્વાસ્થ્યની યોજના વિષે વિચાર કરી રહ્યા હતા, ત્યારે તેમને આ હકીકત સમજાયેલી. કુદરતી ઉપચાર સાથે પ્રેમથી કરાયેલી સારવાર તમને ડોકટરો, નિદાન કરનારાં સાધનો અને દવાઓ પર આધારિત રહેવામાંથી તથા ઘણા ભારે ખર્ચમાંથી બચાવી શકે.

કોવીડ-19ના ભોગ બનેલા દરદીઓની સારવારને પ્રાથમિકતા મળવાને કારણે અન્ય દરદીથી પીડાતા દરદીઓની સારવાર નથી થઇ શકતી એટલું જ નહીં, સારવાર માટેના સાધનો પણ અપૂરતાં સાબિત થયાં છે. તેવે વખતે સ્વાસ્થ્યપ્રદ જીવન પદ્ધતિ અપનાવવી, પોતાની જાતની કાળજી જાતે લેવા શક્તિમાન બનવું અને સમાજમાં એકબીજાની સંભાળ લેવાની ફરજ પાળવાનો આગ્રહ સેવવો જેવા ગાંધીના મુદ્દાઓ કે જેને ‘આરોગ્ય સ્વરાજ્ય’ તરીકે ઓળખી શકાય તે આજે વધુ અર્થસભર લાગે છે.

3. નવીન પ્રકારની દાંડી કૂચ:

ગાંધીએ આપણેને આપણી ફરજોને દિશા બતાવવા આપેલ તાવીજ આપેલું જેમાં સહુથી વધુ અસહાય અને ગરીબ વ્યક્તિ જોઈ હોય તેને લક્ષ્યમાં રાખીને કાર્ય કરવાનો આદેશ હતો. એ અદ્દભુત સંદેશ હતો જેનું તેમણે હંમેશ પાલન કર્યું. છે. એ તાવીજ એક વ્યક્તિ અને સારી ય માનવતા માટે ઉપયોગી છે. છેવાડાના માણસની ભલાઈ એ તમારી ફરજ છે. હાલની સ્થિતિમાં ગાંધીના તાવીજમાં કયા લોકો કેન્દ્રમાં હોઈ શકે?

વિસ્થાપિત થયેલા શહેરી મઝદૂરો, ભૂખ્યા અને માનહીન થયેલા અને ગામડાંઓ તરફ કૂચ કરતાં નીકળેલા, પરંતુ રસ્તામાં મોતને ભેટતા જતા લોકો ગાંધીના નવા તાવીજમાં સામેલ હોય તેમાં કોઈ પ્રશ્નને સ્થાન નથી. ગાંધીને તેમના અંતિમ દિવસો દરમ્યાન ભારતના વિભાજનને પરિણામે વિસ્થાપિત થયેલા લાખો લોકો વચ્ચે ગાળેલા સમયને કારણે તેમની યાતનાઓનો પૂરેપૂરો અહેસાસ હતો. આપણે તેવી જ યાતનામય પરિસ્થિતિ ફરીથી કેવી રીતે પેદા કરી શક્યા એ જ સમજાતું નથી.

દિલ્હીની ઝાકઝમાળ છોડીને ગાંધી એ વિસ્થાપિતો પાસે દોડી ગયા હોત. આપણને સ્મરણમાં રહે કે સ્વાતંત્ર્યની આગલી સંધ્યાએ તેમણે સરદાર, નહેરુ અને વાઇસરોયની સાથે દિલ્હીમાં રહેવાને બદલે કલકત્તામાં રહેવાનું પસંદ કરેલું. આજે વિસ્થાપિત થયેલા લોકો માટે તેમણે શું કર્યું હોત ? એ લાખો લોકો માટે ખોરાક, પાણી, આશ્રય અને દવાઓની સુવિધા ઊભી કરી હોત; અને સહુથી વધુ તો તેમની ગરિમા અને આશાઓની જાળવણી કરી હોત. તેમને આજીવિકા રળવા માટે ગાંધીનો જાદુઈ યંત્ર સમો ચરખો આપ્યો હોત. અને તેમણે શહેરી લોકોને ખાદી ખરીદી ને પહેરવા વિનવ્યા હોત. અને અંતે તેઓ એ વિસ્થાપિતો સાથે એકતાના પ્રતીક તરીકે તેમની કૂચમાં જોડાયા હોત અને સરકારની સંવેદનશૂન્યતા અને બેજવાબદારીપણા સામે વિરોધ નોંધાવ્યો હોત. આ તેમની નવીન દાંડી કૂચ હોત.

4. આંતરધર્મીય એકતા:

ગાંધીનું આ અંતિમ અને અપૂર્ણ રહેલ જીવન કાર્ય હતું. ભારતના વિભાજન સમયે હિંદુઓ અને મુસ્લિમો એકબીજા પ્રત્યે હિંસા આચરી રહ્યા હતા તેથી ગાંધી ખૂબ જ વ્યથિત હતા. ધર્મને આધારે થયેલ વિભાજનને પરિણામે ભારતના ભાગલા પડયામ તેના તેઓ સાક્ષી હતા. જ્યારે SARS-CoV-2 શ્વસનતંત્રને ઘાતક અસર કરતો વાયરસ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 2020માં ભારતના બારણે ટકોરા મારી રહ્યો હતો ત્યારે કેટલાક રાજકારણીઓ કોમી વૈરભાવનાને પોષવામાં વ્યસ્ત હતા અને ‘સાલાઓને ગોળીએ મારો’ના નારા લગાવતા હતા. એ લોકોએ વાયરસથી ઊભા થયેલ જોખમ તરફ કંઈ ધ્યાન ન આપ્યું. વાયરસ ઝડપથી ફેલાવા લાગ્યો પણ સરકારી અધિકારીઓ એક ધાર્મિક સમુદાયને એ ચેપ ફેલાવવા માટે દોષિત ઠરાવવા લાગ્યા. આ બે કોમના હૃદય વચ્ચેની દિવાલ રાજકારણીઓએ ઊભી કરેલી છે; જેમ 1947માં કરાયેલી તેમ જ.

આ કોમી વિભાજન ગાંધીનું સર્વ પ્રથમ લક્ષ્ય બન્યું હોત. તેમણે પોતાનાં કાર્યો અને પ્રાર્થના દ્વારા વિશ્વ માટે પ્રેમનો સંદેશો પાઠવ્યો હોત. તેઓ હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, દલિતો અને આદિવાસીઓની સાથે તેમના જ નિવાસોમાં રહીને તેમને એક કરવા મથ્યા હોત, એટલું જ નહીં, તેઓને એકબીજાના વિસ્તારોમાં સ્વયંસેવક તરીકે જઈને પરસ્પરને મદદ કરવા મોકલ્યા હોત, પછી ભલેને તેમને બીજી વખત હત્યાનો ભોગ બનવું પડ્યું હોત.

5. મારા પાડોશીની જવાબદારી મારે શિરે છે:

કોવીડ-19નો ભય અને લોકડાઉનના નિયમોને કારણે લોકોને પોતાના બારણાં બંધ કરીને પાડોશીઓ સાથેનો સંપર્ક તોડી નાખવાની ફરજ પડી છે. ગાંધીએ તેને માન્ય ન રાખ્યું હોત. ગાંધીએ કહ્યું હોત, મારા પાડોશીની સેવા કરવી એ મારો સ્વધર્મ છે – તેમની પ્રેમથી સેવા કરવી, ખાસ કરીને આવા કપરા કાળમાં. સંપર્કથી પેદા થયેલ ભયને કારણે વિખૂટા પડી ગયેલા અને એકલતા અનુભવતા લોકોને સેવા પૂરી પાડવા સરકારો સક્ષમ નથી.  પરસ્પરનો સંપર્ક રાખ્યા વિના પાડોશી અને પડોશીઓ વિના સમાજ કેવી રીતે ટકે? હું માનું છું કે ગાંધીએ કદાચ લોકડાઉનને કારણે ઊભી થયેલ વાડાબંધીનો વિરોધ કરવા તેમણે સત્યાગ્રહ કે સવિનય કાનૂન ભંગ આદર્યો હોત અને એકબીજાનો સંપર્ક કરવાના અને પાડોશીની ચાકરી કરવાના અધિકારનો આગ્રહ રાખ્યો હોત. આવું નૈતિક પગલું ભરવા ગાંધી બનવું પડે. જ્યારે તેઓ આવું પગલું ભરત ત્યારે અચાનક ડરનો પડદો ખસી ગયો હોત, અને લોકોને મહામારીને કારણે ભય અને અજાણપણાની કેવી લાગણી ફેલાઈ છે તે સ્પષ્ટ દેખાવા લાગ્યું હોત. આ પરિસ્થિતિએ તો જાણે આપણને બધાને અસ્પૃશ્ય બનાવી દીધા છે.

6. હિમાલય જેવડી ભૂલ:

ગાંધી સત્યને વળગી રહેત અને પોતાની ભૂલ સ્વીકારી લેત. 1920માં બ્રિટિશ રાજ સામે અહિંસક લડાઈ લડવા માટે ભારતની પ્રજા તૈયાર છે તેમ માનીને સત્યાગ્રહ કર્યો તે એમની હિમાલય જેવડી ભૂલ છે એ કબૂલ કરવા જેટલી હિંમત તેમનામાં હતી. ભારત એ માટે હજુ તૈયાર નહોતું. તેમણે કહેલું કે એ તેમની નિર્ણયશક્તિની કસૂર હતી. એ ભૂલ પોતાની જ હતી એમ કબૂલ કર્યું. આખી દુનિયા તેમના આ નિશ્ચયથી મોં ફેરવી ગઈ છતાં તેમણે એ રાષ્ટ્રીય ચળવળ પછી ખેંચી લીધી. 

કોવીડ-19ના ભયનો સામનો કરનારા દેશ અને દુનિયાના નેતાઓએ મૂર્ખામી ભરી ભૂલો કરી. પ્રથમ તો જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ દરમ્યાન લગભગ ચાર મિલિયન વિમાનમાર્ગે આવેલ મુસાફરોને ભારતમાં પ્રવેશ આપ્યો. કનિકા કપૂર જેવા અનેકોને PCR ટેસ્ટ અને ચુસ્ત ક્વરન્ટીન વિના ભારતમાં પ્રવેશ કરવા પરવાનગી આપી. તેને બદલે 134  કરોડ પ્રજાજનોને લોકડાઉનના કઠોર નિયમો પાળવાની ફરજ પડી અને આઠ કરોડ સ્થળાંતરિત મજદૂરોને સલામત રીતે પોતાને ગામ પહોંચવાની તક ન આપી. સૌ પ્રથમ શહેરોમાં તેમને બેરોજગાર બનાવાયા, પછી તેમની જરૂર ન હોય તેવો અનુભવ કરાવ્યો અને પોતાના મૂળ વતન જવા ફરજ પાડી અને સહુથી વધુ કરુણ તો એ છે કે પાછા શહેરમાં જવાના તમામ માર્ગો બંધ કરી દીધા. આને પરિણામે વિસ્થાપિત થયેલ મઝદૂરોની હિમાલય જેવડી કરુણતા ઊભી થઇ.

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના નેતાઓ લક્ષ્યાંકો અને અધિકૃત માહિતી બદલતા રહ્યા; જેમ કે ક્યારેક ચેપ પ્રસરે છે, તો ક્યારેક કાબૂમાં છે તેમ કહે, તો વળી ક્યારેક બમણા કિસ્સા થવાની સમય મર્યાદા અલગ બતાવે. પહેલાં જાહેર કર્યું કે હાલની સ્થિતિમાં આપણે આટલું શીખ્યા અને બાદમાં કબૂલ કર્યું કે SARS-CoV-2ના વાયરસ સાથે કાયમ જીવવાનું રહેશે. કોઈ નવા રોગની પૂરતી માહિતી ન હોવાને પરિણામે નિર્ણયો લેવામાં ચૂક થાય તે સ્વાભાવિક છે, પરંતુ એવી શરતચૂકનો પ્રમાણિકતાથી એકરાર કરવાનું ક્યાં બન્યું છે? આજે એ હિંમત જોવા નથી મળતી. ગાંધીએ એ કબૂલ કર્યું હોત. અને નવાઈ લાગે, પણ એ જ કારણસર લોકોએ તેમના પર વધુ વિશ્વાસ મુક્યો હોત. આવી કબૂલાતથી તેઓ બીજાથી અલગ તરી આવ્યા હોત અને બીજાથી ઊંચે ઊઠ્યા હોત.

7. ગ્રામ સ્વરાજ, નાના પાયા પર આધારિત અર્થવ્યવસ્થા:

2008માં આવેલી મંદીથી માંડીને 2020 સુધીનાં બાર વર્ષો દરમ્યાન આપણે જોયું છે કે અર્થકારણ ઘડીમાં ભાંગી પડે તેવું નાજુક થઈ ગયું છે. એ યુ.એસ.એ.માં આવેલ સ્થાવર મિલકતના થયેલ છેતરપિંડી જેવા સ્થાનિક નાના ધ્રુજાવી નાખનારા આંચકાથી કે વુહાનમાં પ્રસરી ગયેલા નવા વાયરસથી ભાંગી પડે. વૈશ્વિક અર્થવ્યવસ્થાનો નમૂનો નિષ્ફળ ગયો. ગાંધીએ આપણને સ્થાનિક ઉત્પાદન અને ઉપભોગની વ્યવસ્થામાં અને સ્થાનિક સમુદાયો વચ્ચેના સંબંધોમાં રહેલ માનવતા અને સ્થિરતાની યાદ અપાવી હોત. એમણે એ વ્યવસ્થાને ગ્રામસ્વરાજ તરીકે ઓળખાવી. એમણે ખાદી ગ્રામોદ્યોગ અને MNRGAને પણ બહાલી આપી હોત. આપણે જે વાપરીએ તે વસ્તુઓનું ચાઈના અને અમેરિકા ઉત્પાદન કરે, અને એ રીતે પરાવલંબી અર્થવ્યવસ્થા ઊભી કરે કે જે છેવટ શોષણ અને અનીતિને પોષવા લાગતી હોય તેને બદલે તેમણે આપણને સ્થાનિક અને નાના સ્તરે ઉત્પાદન કરતી અર્થવ્યવસ્થા ઊભી કરવા સૂચવ્યું હોય.

અર્થવ્યવસ્થામાં આવેલ આ બદલાવની સાથે અનિવાર્યપણે રાજકીય સત્તામાં પણ વિકેન્દ્રિતતા આવી હોત. વૈશ્વિકરણે દુનિયા આખીમાં આપખુદ નેતા દરેક જગ્યાએ પેદા કર્યા છે. આપણને વધુ સ્વતંત્રાનું વચન આપવાને બદલે આ નેતાઓએ પ્રજાને બંધનમાં જકડી નાખ્યા છે. કોવીડની મહામારીએ દુનિયાની વ્યવસ્થાને હલબલાવી મૂકી છે. ગાંધી આપણને હળવેકથી આ ચહેરા વિનાના અને ક્રૂર વૈશ્વિક ક્રમથી છોડાવીને માનવીય અને જવાબદાર સ્થાનિક તંત્ર તરફ દોરી ગયા હોત. ગાંધીના મતે સાચી લોકશાહી, પરસ્પર માટેની જવાબદારી અને સામાજિક-આર્થિક સંબંધો સ્થાનિક સ્તરે જ ઉત્તમ રીતે અમલમાં મૂકી શકાય.

8. દુનિયામાં સહુને માટે પૂરતું થઇ રહે તેટલું છે:

“પણ, તો અમારી જરૂરિયાતોનું શું?” કોઈ મહાકાય વૈશ્વિક ઉત્પાદક એકમના આધુનિક ગ્રાહક કદાચ આ સવાલ પૂછે. ગાંધી તેમને સમજાવત કે આ ભોગવટાની અમર્યાદિત લાલસા, આ કદી ન સંતોષાય તેવી, ઇન્દ્રિયોને 24 કલાક આળપંપાળ કરનાર આનંદપ્રમોદની માંગણી એ આપણી કુદરતી જરૂરિયાત નથી, પરંતુ કૃત્રિમ રીતે આપણા દિમાગમાં પેદા કરેલી કુટેવો છે. ઘડીભર ઊભા રહીને વિચારો, આમાંની કેટલી વસ્તુઓ કે સેવાઓ આપણી ખરી જરૂરિયાતો છે? કેટલી વસ્તુઓ આપણા શરીરને જીવિત અને તંદુરસ્ત રાખવા અને દિલ દિમાગને  ક્રિયાશીલ અને કરુણાસભર બનાવવા અનિવાર્ય છે? ગાંધીએ કહ્યું જ હોત કે દુનિયામાં દરેકની જરૂરિયાતો સંતોષાય તેટલી વસ્તુઓ પૂરતા પ્રમાણમાં છે, પણ આપણા લોભને પોષવા પૂરતું નથી. જરૂરિયાત અને લોભ વચ્ચેનો ભેદ સમજવો, દરેકની જરૂરિયાતો પૂરી પાડવા શક્તિમાન બનવું, પણ લોભને ખાળવા એવી સામાજિક-આર્થિક વ્યવસ્થા કરવી કે જેમાં લોભને નિયંત્રિત કરી શકાય એના તરફ ગાંધી આપણને દોરી ગયા હોત. એમણે સ્વરાજની વ્યાખ્યા આપી ‘સ્વરાજ એટલે પોતાનું રાજ્ય નહીં પોતાના ઉપર રાજ્ય’ મનની એષણાઓને અવશપણે શરણે થઇ જવા સામે કેવી કુશળતા ભરી ચેતવણી! મન એક દુષ્ટ માલિક છે

જ્યારે આપણે આપણા લોભને થોભાવી દઈએ ત્યારે વસ્તુઓનું વધુ પડતું ઉત્પાદન, વધુ પડતો ઉપભોગ, બાહ્ય સુખને માટે કરવામાં આવતી મુસાફરીઓ, પાગલ કરી મૂકે તેવો વાહન વ્યવહાર, ધૂળ અને ધુમાડા બધું જ આપોઆપ સાફ થવા લાગશે. જીવન શાંતિમય બનશે. આકાશ અને નદીઓ ફરી સ્વચ્છ અને વાદળી રંગના થઇ જશે. આપણને ભાન થશે કે આપણે આધુનિક સમાજની કેટલીક વસ્તુઓ વિના આરામથી જીવી શકીએ છીએ.  છેલ્લા કેટલાક મહિનાઓમાં જ્યારે દુનિયા થંભી ગઈ છે ત્યારે આપણને આની ઝાંખી થઇ છે. 

અને સહુથી મહત્ત્વની વાત તો એ કે દુનિયાનું તાપમાન ઓછું થવા લાગશે!

9. પ્રાર્થના:

અને છેલ્લે ગાંધી આપણને પ્રાર્થના કરવાની સલાહ આપત. આખા દિવસ દરમ્યાન આપણે બધી શક્તિઓ કામે લગાડીને બધા પ્રયત્નો કરી ચુક્યા હોઈએ, ત્યારે શાંતિથી બેસીને આખા દિવસ પર ચિંતન કરવું અને પોતાની જાતને કરવી. સમર્પિત કોને કરવું? એ આપણી પસંદગી છે. ઈશ્વરને, જીવનને, પ્રકૃતિને, સત્યને કે ઇતિહાસને સમર્પિત થવું. સમર્પિત થાઓ, શરણે જાઓ. તમારાથી થઇ શકે તે બધું જ તમે કર્યું. હવે તમારા ખભ્ભા પર બોજો ઉઠાવીને ન ચાલો. એ તમને ગધેડો બનાવી દેશે. અનંત વિશ્વમાં તમારા પ્રયત્નોની સૂક્ષ્મતાનો અહેસાસ કરાવશે. હવે તેના પર છોડી દો. તેની ઈચ્છા પ્રમાણે થશે. ઇન્શા અલ્લાહ. હે રામ – એમના છેલ્લા શબ્દો, જ્યારે ગોળીએ તેમને વીંધ્યા. 

આપણે ગાંધીના અવતારની રાહ નહીં જોઈએ. તેમણે જે કર્યું હોત તેનો અમલ કરતા થઈશું.

e.mail : 71abuch@gmail.com

Loading

આ મુશ્કેલ સમયમાં (56)

સુમન શાહ|Opinion - Opinion|4 May 2021

પોસ્ટમૉડર્નિસ્ટ ગણાયેલા પ્રશસ્ત અમેરિકન વાર્તાકાર ડોનાલ્ડ બાર્થેલ્મ મારા પ્રિય વાર્તાકાર છે. જન્મ ફિલાડેલ્ફિયામાં, 1931. ભલે એમ ગણાયા પણ તેઓ પોતે પોસ્ટમૉડર્નિઝમ અને ડીકન્સ્ટ્રક્શનમાં ન્હૉતા માનતા. એમનું લેખન પિતાજીને ન્હૉતું ગમતું, પિતાજી આર્કિટેક્ચરના પ્રૉફેસર પણ અડિયલ સ્વભાવના અને આ ભાઈ ઉદણ્ડ.

પણ બાર્થેલ્મે પિતા-પુત્રના સમ્બન્ધ અનુષંગે એક સરસ વાર્તા લખી છે, ‘વ્યૂઝ ઑફ માય ફાધર વીપિન્ગ’. મેં એનો અનુવાદ શરૂ કરેલો, અધૂરો પડ્યો છે, વરસો થઈ ગયાં. પણ મેં એમની બીજી બે-ત્રણ વાર્તાઓના અનુવાદ કરેલા ને મારા ‘ખેવના’-માં કે કોઈ બીજા સામયિકોમાં પ્રકાશિત થયા હતા.

એક વાર્તા છે, Glass Mountain, મેં અનુવાદ કરેલો ‘કાચડુંગરો’. વાર્તા એનો નાયક પોતે જ કહે છે – ફર્સ્ટ પર્સન નૅરેશન. આજે એ વાર્તાની વાત કરવી છે.

ડોનાલ્ડ બાર્થેલ્મ / Donald Barthelme 

Picture Courtesy : Wall Street Journal

બાર્થેલ્મ ભારે પ્રયોગશીલ વાર્તાકાર છે. આ વાર્તા એમણે ૧૦૦ વાક્યોમાં લખી છે, અને તે પણ 1 2 3 4 … એમ નમ્બર નાખીને.

પહેલું વાક્ય છે, હું કાચના ડુંગર પર ચડવા મથી રહ્યો છું. પછીનાં વાક્યોમાં વીગતો મળે છે કે –કાચડુંગરો ૧૩-મી સ્ટ્રીટની ૮-મી ઍવન્યૂના એક છેડે છે – લોકો એને ચડતો જોઈ રહ્યા છે – પોતે પાડોશીઓમાં નવોસવો હતો – જો કે કેટલાંક એને ઓળખે છે – પગ હાથ બધું પોતે બરાબ્બર બાંધ્યું છે – ૨૦૦ ફીટ તો ચડી જવાયું છે – ઓળખીતાં એ બધાં પરિચિતો હિમ્મત આપવાને નીચે ભેગાં થયાં છે, વગરે. જો કે એને – શિથહેડ, ઍસહોલ, વગેરે પણ સાંભળવા મળે છે.

કહે છે : કાચડુંગરો શ્હેર આખામાં જાણીતો છે. અહીં રહેનારાં પાસે ડુંગરાની ઘણી વાર્તાઓ છે. મુલાકાતીઓને ડુંગરો આંગળી કરીને બતાડાય છે. ડુંગરાને અડનારો ઠંડક અનુભવે છે. અંદર ઝાંખનારને ચળકતાં સફેદ-ભૂરાં ઊંડાણો જોવા મળે છે. ડુંગરાનું ટૉપ વાદળાંમાં ભળી જાય છે, અને વાદળાં ન હોય એવા દિવસોમાં સૂર્યમાં … વગેરે. પેલાં ઓળખીતાંઓ હવે ‘ડમ્બ મધરફકર’ પણ કહે છે, ‘જાળવજે ભઈલા’ પણ કહે છે, વળી જાતભાતનું કહ્યા કરે છે.

એક વાર એ દર્શાવે છે કે મને ચેતવવાને એ લોકો જે કારણો આપે છે એ બરાબર નથી. પછી તરત ઉમેરે છે કે – પણ સારાં કારણો હમેશાં હોય છે.

સંભવ છે કે બાર્થેલ્મનો વ્યંગ ગ્લાસ માઉન્ટેઇન ઉપરાન્ત, મહાનગરોમાં કાચથી મઢેલાં હાઈરાઈઝ્ડ બિલ્ડિન્ગો વિશે પણ હોય. કેમ કે નાયક કહે છે એમ એની નીચે ઘણી દર્દનાક વાસ્તવિકતાઓ દટાયેલી સૂતી હોય છે. એક વાર એ કહે છે : ૨૦૬ ફીટે ઠંડી હતી ને મેં નીચે જોયું તો હું નિરાશ થઈ ગયો. ઘોડા અને એમના અસવારોનાં શબ ડુંગરાને તળિયે હતાં ને મરી રહેલા કેટલાક માણસો ઊંહકારા ભણતા’તા.

એમ વાર્તા ક્રમે ક્રમે પ્રતીકામક ગામ્ભીર્ય પકડે છે.

એક વાર એ આવા મતલબનું કહે છે : શું પ્રતીકથી નિર્ભ્રાન્ત થવા માટે માણસે કાચ ડુંગરો ચડવાનો? ને તે ય આવી અંગત તકલીફ વેઠીને? શું આજના સશક્ત હું-ધારકોને હજી પણ પ્રતીકોની જરૂરત છે? પછી જણાવે છે કે – મેં માની લીધું કે આ પ્રશ્નોના ઉત્તર ‘હા’-માં જ મળવાના …

Xiaohua Wen નામની એક ચીની પ્રૉફેસરે આ વાર્તાનો સુન્દર અભ્યાસ કર્યો છે. એણે વાર્તાને ત્રણ પરિપ્રેક્ષ્યથી જોઇ છે : વાર્તાની સંરચના, ભાષા અને કથાકથન. એ કહે છે કે – વાર્તામાં છે એ ઍબ્સર્ડિટીની નીચે છે, સૉશ્યલ રીયાલિટી : જેમ કે, સિસ્ટમ્સમાં – કૅપિટાલિસ્ટ સિસ્ટમમાં – પ્રવર્તતી અવ્યવસ્થા. ભાવનાત્મક અથડામણ અનુભવતા લોકો. શાન્તિ અને વ્યવસ્થા માટેના પ્રજાના સંઘર્ષો. જાતભાતની બેઢંગ પરિસ્થિતિઓ, ને વળી એકબીજાં સાથેના એમનાં મતભેદ, અતડાઈ, તાટસ્થ્ય.

પ્રૉફેસર બાનુ જણાવે છે કે – આ બધાંને કારણે બાર્થેલ્મ આજની એ સામાજિક વાસ્તવિકતાથી વ્યથિત દીસે છે, પરન્તુ છેવટે તો બાર્થેલ્મ સહજ સરળ સમાજ ઇચ્છે છે, સંવાદ ઝંખે છે.

બાર્થેલ્મની એ ઇચ્છા ન જ ફળી અને એ અનુભવવાને એઓ ન બચ્યા, 1989માં એમનું અવસાન થયું.

આ સરળ લાગતી પણ ‘અઘરી’ વાર્તા સૌ વાંચે તો અંદાજ આવશે કે કોરોના પ્રગટ્યો અને હાલ ભારતમાં અતિ વકર્યો છે તે વાસ્તવ સાવ જ ઍબ્સર્ડ છે પણ તેની પાછળ સ્ટેટ, સમાજ અને પ્રજા કેટલાં જબાવદાર છે …

= = =

(May 3, 2021: USA)

Loading

...102030...1,9741,9751,9761,977...1,9801,9902,000...

Search by

Opinion

  • ગઝલ
  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved