માનનીય મુખ્યમંત્રીશ્રીનાં ગઈ કાલનાં ને છેલ્લાં નિવેદન મુજબ છેલ્લા દસ દિવસમાં હોસ્પિટલોને સવા લાખ રેમડેસિવર ઇન્જેક્શનો પહોંચાડાયાં છે ને એપ્રિલની વાત કરીએ તો અત્યાર સુધીમાં બે લાખ દસ હજાર ઇન્જેક્શનોનો જથ્થો પહોંચાડાયો છે. અત્યાર સુધીમાં આખા રાજ્યમાં આટલા દિવસો દરમિયાન બે લાખ દસ હજાર વ્યક્તિઓ સંક્રમિત નથી થઈ ને જેમને જરૂર છે એની સંખ્યા તો બે લાખ દસ હજારની નથી જ નથી, તો આ બધાં ઇન્જેક્શનો ગયા ક્યાં? આંકડાઓ જોઈએ તો બધાંને ઇન્જેક્શન અપાય તો પણ ઇન્જેક્શનો વધે. છતાં ઇન્જેક્શનોની તંગી વર્તાય છે. ક્યાં તો સરકાર ટાઢા પહોરની હાંકે છે અથવા તો હોસ્પિટલો કે અન્ય કોઈ શક્તિ જથ્થો દબાવીને તંગી ઊભી કરી રહી છે ને આ બધાં પછી પણ ઇન્જેક્શનોના કાળાબજાર તો ચાલુ જ છે. એમાં નકલી ઇન્જેક્શનો નહીં પધરાવાય તેવી પ્રાર્થના કરવાની રહે.
જરૂર કરતાં વધારે ઇન્જેક્શનો પહોંચાડાયા હોય તો લોકોને કલાકો સુધી લાઈનમાં ઊભા રાખવામાં કે તડકામાં આમથી તેમ દોડાવવામાં કઈ માનવતા કામ કરે છે તે નથી ખબર. જે ચિંતામાં ને તકલીફમાં સંબંધીઓ ઇન્જેક્શનો માટે લોહીનું પાણી કરી રહ્યા છે એમની દયા ખાવા જેવી છે. માણસાઈ મરી ન પરવારી હોય તો તમામ ક્ષેત્રો તરફથી માનવતાનો હાથ લંબાવીએ ને લોકોને લોહીના આંસુ ન પડાવીએ. જીવીએ ને જીવવા દઈએ.
આભાર.