Opinion Magazine
Number of visits: 9747015
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેશમાં સાક્ષરતા વધી પણ પુસ્તકાલયો ન વધ્યાં !

ચંદુ મહેરિયા|Opinion - Opinion|11 May 2021

નવતર કોરોના વિષાણુ ઓગણીસ મહામારીથી દુનિયા ત્રસ્ત છે. કોરોનાને કારણે માનવ જીવનનાં સર્વ ક્ષેત્રો પ્રભાવિત થયાં છે. શિક્ષણ સંસ્થાઓને મહિનાઓથી બંધ રાખવાની ફરજ પડી છે. અનૌપચારિક શિક્ષણની પાઠશાળા એવાં પુસ્તકાલયો પણ સૂનાં છે. કોરોનાના પ્રસારને ડામવા અપનાવાતી સમૂહ તાળાબંધી-સંચારબંધી અને કોરોનાગ્રસ્તની વ્યક્તિગત ઘરબંધીમાં ટી.વી., મોબાઈલ, ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાનાં માધ્યમથી વ્યક્તિની એકલતા કંઈક હળવી થાય છે. નવા જમાનાના આ માધ્યમો ઉપરાંત પુસ્તકો માનવના સુખ-દુ:ખના કાયમી સાથી રહ્યાં છે. ‘જીવીશ  બની શકે તો એકલાં પુસ્તકોથી’, એ કવિ ‘કલાપી’ની અમર પંક્તિની જેમ ભલે માત્ર પુસ્તકોનાં વાચનથી જીવી ના શકાય, પણ એ સહારો જરૂર બની શકે છે.

વિચારોનાં આદાનપ્રદાનનું તેમ માનવીય સંવેદના અને લાગણીઓને ઘડવા-સમજવાનું સશક્ત માધ્યમ પુસ્તકો છે. તમામ વિષમ પરિસ્થિતિના મુકાબલા માટે, પડકાર માટે, પુસ્તક એક સક્ષમ સાથી છે. હા, એ વાત સાચી કે આજે મુદ્રિત શબ્દનું મહત્ત્વ ઘટ્યું છે અને પુસ્તકોના ડિજિટલ રૂપ, ઈ-બુક્સ, ઓડિયો બુક્સનું ચલણ વધ્યું છે. પરંતુ પુસ્તકો સાવ અપ્રસ્તુત બન્યાં નથી. દર વરસે દિલ્હીના પ્રગતિ મેદાનમાં એશિયાનો સૌથી મોટો વિશ્વ પુસ્તક મેળો યોજાય છે. કોરોના મહામારીને કારણે તે પ્રત્યક્ષ રીતે યોજી ન શકાયો એટલે પરોક્ષ યોજાયો. દિલ્હીના આ વર્ચ્યુઅલ બુક ફેરમાં ૧૦૦ પ્રકાશકોનાં ૯૦૦ પુસ્તકો રજૂ થયાં હતાં. બે લાખ લોકોએ તેના માટે રજિસ્ટ્રેશન કરાવતાં તે વિશ્વનો સૌથી મોટો આભાસી પુસ્તક મેળો બની રહ્યો. તેથી સાબિત થયું કે વાચનની ભૂખ બરકરાર છે.

કોરોનાએ જીવનનાં ઘણાં ક્ષેત્રોમાં બદલાવ આણ્યો છે, લોકોની જીવનશૈલી અને વાચન અભિરુચિ પણ બદલાઈ છે. પણ લોકો વાચનથી વિમુખ થયાં નથી, શાયદ થઈ પણ ના શકે. આ સંજોગોમાં સમાજ અને સરકાર પુસ્તક અને પુસ્તકાલયને કઈ નજરે જુએ છે, તેનું ઉદાહરણ તાજેતરની કેટલીક ઘટનાઓ થકી જાણી શકાય છે.

વિધાનસભાની લાઈબ્રેરી કમિટીની બેઠકની કાર્યવાહીનો હવાલો આપીને બિહાર વિધાનસભાના સી.પી.આઈ.એમ.(એલ.)ના ધારાસભ્ય સંદીપ સૌરભ સરકાર પુસ્તકાલયો મુદ્દે ભયાનક બેદરકાર હોવાનું જણાવે છે. બિહારમાં પુસ્તકાલયો ખતમ થઈ રહ્યાં છે કે આખરી શ્વાસ લઈ રહ્યાં છે તેમ જણાવી ધારાસભ્ય અને જે.એન.યુ.ના આ પૂર્વ વિધાર્થી નેતા સરકાર પટણામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું નવું પુસ્તકાલય બનાવવા વિચારતી હોવાનું પણ જણાવે છે.  બિહાર સરકાર નવી ઈન્ટરનેશનલ લાઈબ્રેરી ઊભી કરે, ત્યારે ખરી પણ હાલ તો સવાસો વરસ કરતાં વધુ જૂની પટણાની ‘ખુદા બખ્શ ઓરિએન્ટલ લાઈબ્રેરી’નો મોટો ભાગ ફ્લાયઓવર બાંધવા માટે ધરાશાયી કરવાની છે! ૧૮૯૧માં શરૂ થયેલી આ લાઈબ્રેરીને કેન્દ્ર સરકારનું રાષ્ટ્રીય ધરોહરનું સંરક્ષણ પ્રાપ્ત છે. અઢી લાખ પુસ્તકો અને એકવીસ હજાર અલભ્ય હસ્તપ્રતો ધરાવતી ખુદા બખ્શ લાઈબ્રેરીનો વિકાસના નામે ભોગ લેવાઈ રહ્યો છે.

કર્ણાટકના બાસઠ વરસના ગરીબ, અભણ અને રોજમદાર સૈયદ ઈસ્સાક કન્નડ ભાષાના વિકાસ અને લોકોની વાચન અભિરુચિ કેળવવા ગાંઠના પૈસે મૈસુર શહેરના મહેનતકશ રાજીવનગર વિસ્તારમાં ‘જનતા લાઈબ્રેરી’ ચલાવે છે. હમણાં કેટલાક તોફાની તત્ત્વોએ આ લાઈબ્રેરીને આગ ચાંપી સળગાવી મૂકી છે. આ ગ્રંથાલયમાં ૧૧,૦૦૦ પુસ્તકો હતાં અને રોજ  ૧૭ અખબારો આવતા હતા. સરેરાશ રોજના દોઢસો વાચકો તેના મુલાકાતી હતા. એક નિરક્ષર વ્યક્તિ દ્વારા જનસહયોગથી ચાલતા જનતા પુસ્તકાલયના કાટમાળ અને પુસ્તકોની રાખ સામે જોઈને સૈયદ ઈસ્સાક કહે છે : ‘હું નિરાશ જરૂર થયો છું, પણ હતાશ નથી થયો. હું ફરી લાઈબ્રેરી ઊભી કરીશ.’

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે દેશમાં ૮૩ કરોડ ગ્રામીણ વસ્તી માટે ૭૦,૮૧૭ અને ૩૭ કરોડ શહેરી વસ્તી માટે ૪,૫૮૦ પુસ્તકાલયો છે. એ હિસાબે સાડા અગિયાર હજાર ગ્રામીણે અને એંસી હજાર શહેરીએ એક લાઈબ્રેરી છે. ૧૦ કરોડ ૪૦ લાખની વસ્તીના બિહારમાં ૫૧, ૨૦ કરોડની વસ્તીના ઉત્તર પ્રદેશમાં ૭૦ અને ૬.૦૪ કરોડની વસ્તીના ગુજરાતમાં ૨૯૮ સરકારી પુસ્તકાલયો છે. માંડ સવા કરોડની આબાદીના અવિભાજિત જમ્મુ અને કશ્મીરમાં ૧૪૦ તો ૬ કરોડના કર્ણાટકમાં ૭,૦૦૦ પબ્લિક લાઈબ્રેરી આવેલી છે. દેશમાં જે ઝડપે સાક્ષરતાનો વિકાસ થયો છે તે ઝડપે ગ્રંથાલયોનો વિકાસ થયો નથી. એક હજારની વસ્તીએ એક લાઈબ્રેરી હોવી જોઈએ તેને બદલે એક લાખે પણ એક નથી. બિહારમાં ૧૯૫૦માં ૫૪૦ સરકારી પુસ્તકાલયો હતાં હવે માંડ ૫૦ છે. દેશના અન્ય રાજ્યોની તુલનામાં દક્ષિણના રાજ્યોમાં પુસ્તકાલયો વધારે છે. દેશના સૌથી મોટા રાજ્ય કેરળમાં પુસ્તકાલય પ્રવૃત્તિ લોક આદોલન છે. કેરળ સરકાર શિક્ષણના બજેટમાંથી ૩ ટકા અને બિહાર સરકાર ૦.૦૧ ટકા પુસ્તકાલયો માટે ખર્ચે છે.

વડોદરા નરેશ સયાજી રાવ ગાયકવાડે અમેરિકી તજ્જ્ઞ ડો. ડબલ્યુ.એ. બોર્ડનની નિગેહબાનીમાં ઈ.સ. ૧૯૧૦માં ગુજરાતમાં સૌ પહેલું પુસ્તકાલય શરૂ કર્યું હતું. પરંતુ આઝાદ ભારતના ગુજરાત રાજ્યમાં એની રચનાના ચાળીસ અને ૧૯૪૮માં પહેલીવાર ગ્રંથાલય ધારો ઘડાયાના ત્રેપન વરસો પછી, ૨૦૦૧માં, ગુજરાત ગ્રંથાલય ધારો ઘડાયો હતો. રાજ્યના કુલ ૩૩માંથી ૨૬ જિલ્લામાં, ૨૫૦માંથી ૮૪ તાલુકામાં અને ૧૮,૨૨૫માંથી ૧૪૨ ગામોમાં જ સરકારી પુસ્તકાલયો છે. જે રાજ્યમાં ૩૭ ગ્રંથાલયો તો સો વરસ જૂના હોય અને જ્યાં ૨૦૧૦થી ‘વાંચે ગુજરાત’નું અભિયાન આદરવામાં આવ્યું છે, ત્યાં સરકારી પુસ્તકાલયો નામ માત્રના છે. ‘અસર’ (એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ)ના ૨૦૧૮ના સર્વે અહેવાલમાં ગુજરાતની ૧૪.૭ ટકા પ્રાથમિક શાળાઓમાં લાઈબ્રેરી ન હોવાનું અને જ્યાં છે ત્યાં ૪૪.૮ ટકા શાળાઓમાં બાળકો તેનો ઉપયોગ ન કરતા હોવાનું કે ન કરવા દેવાતો હોવાનું તારણ હતું. મહાનગર અમદાવાદની સાડા ચારસોમાંથી માંડ પંદરેક પ્રાયમરી સ્કૂલોમાં જ લાઈબ્રેરી માટે અલાયદો ખંડ છે !

અધિકૃત વિગતોના અભાવમાં એક અંદાજ મુજબ ભારતમાં સરકાર દર વરસે વ્યક્તિ દીઠ  પુસ્તકાલય માટે માત્ર સાત પૈસા જ ખર્ચે છે. અમેરિકામાં વસ્તીના પંચાણુ ટકા ભાગ સુધી પબ્લિક લાઈબ્રેરીની પહોંચ છે ભારતના ગામડાંઓ તો ઠીક જિલ્લા મથકો સુધી પણ તે પહોંચી નથી. સરકારની ઉપેક્ષા છતાં વાચનરસિયાઓ અને પુસ્તક ચાહકો હર વાચકને તેનું પુસ્તક મળી રહે તે માટે દ્રઢ પ્રયાસો કરે છે. અગાઉના જમાનામાં હોડી કે બળદગાડાં પર પુસ્તકાલયો ચલાવનારા હતા. આજે સાઈકલ કે સ્કૂટર લાઈબ્રેરીઓ છે, અનેક શહેરોમાં અને ગામો-કસ્બાઓમાં પુસ્તક પરબો અને વાચનયાત્રાઓ ચાલે છે. મહારાષ્ટ્રમાં પુસ્તકોનું ગામ છે તો સુદૂર અરુણાચલમાં રસ્તાની ધારે પુસ્તકાલય છે.

દેશના ૧૯ જ રાજ્યોમાં ગ્રંથાલય ધારા ઘડાયા છે. તે પૈકીના પાંચ જ રાજ્યોએ સંપત્તિ કરમાં પુસ્તકાલય કરનો સમાવેશ કર્યો છે. રાજ્યોમાં પુસ્તકાલયો માટે અલગ સરકારી વિભાગ નથી. એક માત્ર અરુણાચલમાં જ પુસ્તકાલય વિભાગના કેબિનેટ મંત્રી છે. કેરળની જેમ પુસ્તકાલયો પીપલ્સ મુવમેન્ટ બની નથી પણ સરકાર આશ્રિત છે. દેશની મોટા ભાગની શાળાઓમાં પુસ્તકાલયોના નામે સરકારી અનુદાનથી ખરીદાયેલાં ઘણાં નકામાં પુસ્તકોના કાયમ બંધ રહેતાં કબાટો જ છે. આપણે પુસ્તકાલયના નામે પસ્તીખાનાં ઊભાં કર્યાં છે.

હવે નવી ટેકનોલોજીને અનુસરીને ગ્રંથાલયોના આધુનિકીકરણ અને પુસ્તકોના ડિજિટાઈઝેશનની અનિવાર્ય જરૂર છે. તેનાથી લેખક-વાચક વચ્ચેનું અંતર ઘટશે અને હરેક વાચકને તેનું પુસ્તક અને પુસ્તકને તેનો વાચક મળી રહેવાની સંભાવના વધશે. વાચનને વિલાસિતા કે કથિત ઊંચી જાતિના લોકો માટે સીમિત માનવાને બદલે લાંબાગાળાની અસરોના સંદર્ભે જોઈ વાચન અને ગ્રંથ સંસ્કૃતિ વિકસાવવી પડશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

ગુરુદેવ ટાગોર, વિક્ટોરિયા ઓકામ્પો અને ‘થિંકિંગ ઑફ હીમ’

સોનલ પરીખ|Opinion - Opinion|11 May 2021

વિક્ટોરિયા ઓકામ્પો પરના એક પત્રમાં ટાગોર લખે છે, ‘હું જ્યારે એકસાથે યુવાની અને વૃદ્ધત્વ બન્નેનો અનુભવ કરી રહ્યો હતો ત્યારે એક માત્ર તું જ હતી જેણે આટલી નિકટતાથી મને જાણ્યો.’ સેલિબ્રેટી તરીકેની પોતાની વિરાટ એકલતાની અને પ્રેમની ઝંખનાની વાત ટાગોરે તેને કરી હતી. વિક્ટોરિયા હૃદય ઠાલવે છે, ‘હું તમને કેટલા ચાહું છું તે કદાચ તમે પૂરેપૂરું જાણવા નહીં પામો. ગુરુદેવ, તમે અહીં એ સ્ત્રીને છોડી ગયા છો જે અભિવ્યક્તિ માટે શબ્દો શોધી રહી છે.’ ટાગોર લખે છે, ‘મને લાગે છે કે તારામાં લેટિન અમેરિકાનો આત્મા વસે છે.’ અને વિક્ટોરિયા જવાબ આપે છે, ‘મારા માટે તમે જ ભારત છો.’

‘લેટિન અમેરિકન સ્ત્રીઓની પ્રેમ વ્યક્ત કરવાની એક ખાસ રીત છે.’ આ વાક્ય ટાગોરે જેને માટે કહ્યું હતું એ હતી વિક્ટોરિયા ઓકામ્પો. તેણે ટાગોરને એક આરામખુરશી ભેટ આપેલી. 1924માં ટાગોર વિક્ટોરિયા ઓકામ્પોના અતિથિ હતા ત્યારે આ આરામખુરશી પર બેસતા. આ ખુરશી ટાગોર બ્યુએનોસ એરિસથી ભારત લઈ જાય એવી વિક્ટોરિયાની ઈચ્છા હતી. પણ ખુરશી એટલી મોટી હતી કે ટાગોરની સ્ટીમર-કૅબિનમાં ગઈ નહીં. વિક્ટોરિયાએ કૅપ્ટનને બોલાવી કૅબિનનો દરવાજો તોડી મોટો બનાવવાનું ફરમાન કર્યું. એટલું જ નહીં, પોતાની વગનો ઉપયોગ કરી ટાગોર માટે બે બેડરૂમવાળી ખાસ કૅબિનની વ્યવસ્થા કરી. આ બધું જોઈ ટાગોરે ઉપરનું વાક્ય કહ્યું હતું.

આ ખુરશી હજી શાંતિનિકેતનમાં છે. મૃત્યુ પહેલા આ ખુરશી પર બેસીને ટાગોરે લખ્યું હતું,

શું એવું ન બને, કે ફરી વાર શોધી લઉં હું
મને આવરી લેતો દરિયાપારનો પ્રેમસ્પર્શ?
એની ભાષા હું જાણતો નહોતો, પણ એ આંખો બધું જ કહેતી હતી
ઉદાસીભર્યો એ સંદેશ આજે પણ જીવે છે …

ટાગોરના મૃત્યુનો સંદેશો મળ્યો ત્યારે વિક્ટોરિયાએ ટાગોરના પુત્ર પર તાર મૂક્યો. એમાં ત્રણ જ શબ્દો લખ્યા હતા, ‘થિંકિંગ ઑફ હીમ.’ ટાગોર અને વિક્ટોરિયા ઓકામ્પો પર બનેલી ફિલ્મ માટે આનાથી વધારે યોગ્ય નામ બીજું કયું હોઈ શકે? આ ફિલ્મ એક સાથે ચાર ભાષાઓમાં તૈયાર થઈ છે. તેનું દિગ્દર્શન આર્જેન્ટિનાના પ્રખ્યાત ફિલ્મસર્જક પાબ્લો સિઝરે કર્યું છે.

ટાગોર ત્યારે પેરુ જવા નીકળ્યા હતા. તબિયત બગડતાં તેમને બ્યુએનોસ એરિસ રોકાવાનું થયું. વિક્ટોરિયા ઓકામ્પોએ તેમની સંભાળ લેવાની જવાબદારી લીધી. તેણે ટાગોરની ‘ગીતાંજલિ’ વાંચી હતી. પોતાનાં ઘરેણાં ગિરવે મૂકી તેણે સેન અસીડ્રામાં એક ભવ્ય, બગીચાઓવાળું મકાન ભાડે લીધું અને ટાગોરને ત્યાં રાખ્યા. મકાનના ઝરુખામાંથી પ્લેટ નદીનો વિશાળ પટ દેખાતો. 1924ની 6 નવેમ્બરથી 1925ની 3 જાન્યુઆરી સુધી તેઓ ત્યાં હતા.

1922માં વિક્ટોરિયાએ પતિને છોડ્યો હતો. ટાગોર આવ્યા ત્યારે વિક્ટોરિયાના ઘા તાજા હતા. ટાગોર તેને પૂર્વથી આવેલા દેવદૂત સમા લાગ્યા. તે ટાગોરને અસાધારણ ઉત્કટ એવા પ્રેમભક્તિભાવે જોવા લાગી. એ દિવસોમાં ટાગોરે ‘શેષ બસંત’ નામનું કાવ્ય લખ્યું હતું,

મારા એકાંત માર્ગ પર
ઊતરતી રાત વેળાએ હું તને મળ્યો
હું કહેવા ગયો, ‘મારો હાથ પકડ’
પણ તારો ચહેરો જોઈ હું ભય પામ્યો
એ ચહેરા પર હૃદયના ઊંડાણમાં વસતા ગાઢ મૌનમાં રહેલા અગ્નિનો પ્રકાશ હતો …

ટાગોરની ઉંમર ત્યારે 63 વર્ષની. 34 વર્ષની વિકટોરિયાના સંપર્કથી તેમનામાં નવી ઊર્જાનો સંચાર થયો. તેમની સર્જકતા પ્રજ્વલિત થઈ ઊઠી. વિક્ટોરિયા ઓકામ્પો લેખિકા હતી, પિતૃસત્તાક આર્જેન્ટિનાની એકેડમી ઑફ લેટર્સની તે પ્રથમ સ્ત્રીસભ્ય હતી, એક સાહિત્યસામયિક ચલાવતી અને તેના વિચારો પોતાના સમયથી આગળ હતા. તે દુનિયાભરમાં ફરતી અને યુરોપના, ખાસ કરીને ફ્રાંસના કલાવિશ્વમાં પંકાતી. ‘ગીતાંજલિ’ વાંચીને તેને સળગતા હૃદય પર ઝાકળબિંદુઓનો છંટકાવ થયો હોય તેવી રાહત થઈ હતી. ટાગોરની રચનાઓને તે ‘મેજિકલ મિસ્ટિસિઝમ’ કહેતી. તે બાળપણથી જે ઈશ્વરને ઓળખતી હતી તે કઠોર માગણીઓ કરતો ને બદલો લેતો જાલિમ હતો. ટાગોરે વર્ણવેલું ઈશ્વરનું સૌમ્ય, પ્રેમપૂર્ણ, આનંદ અને પવિત્રતાનાં કિરણો પ્રસારતું કલ્યાણકારી રૂપ તેને ગમી ગયું. ટાગોરની બૌદ્ધિક અને આધ્યાત્મિક ઊચ્ચતાથી તે અભિભૂત હતી અને તેમની પાસે નાના બાળકની જેમ શરમાતી, ભાગ્યે જ બોલતી અને ચાતકની જેમ તેમની વાતો સાંભળ્યા કરતી. પછીથી તેણે ટાગોરના સેન અસીડ્રા નિવાસ પર એક લેખ અને એક પુસ્તક લખ્યાં હતાં. વિક્ટોરિયા ટાગોરના પૂરબી કાવ્યોની પ્રેરણા હતી, તેમાં તેમણે તેને ‘વિજયા’ કહી છે અને આ કાવ્યો તેને અર્પણ કર્યાં છે. એક કાવ્યમાં તેઓ કહે છે,

ઉદાત્ત રહસ્યમય પુષ્પ
તારા કાનમાં ફરી કોઈ ગુંજન કર્યું મેં
તારી ભાષા કઈ છે, પ્રિય?
તું સ્મિત કરે છે, ગરદન હલાવે છે, અને પર્ણો મર્મરધ્વનિ કરે છે.

ફિલ્મમાં સંવેદનશીલ પળોનું સુંદર આલેખન થયું છે. ટાગોર વિક્ટોરિયાને પહેલી વાર જોઈને વિચારે છે, ‘જૂના શબ્દો મૃત્યુ પામ્યા છે. હૃદયમાંથી નવી સૂરાવલી ફૂટી રહી છે.’ વિક્ટોરિયા અનુભવે છે, ‘હું કેટલી નજીક છું, ને દુ:ખી છું કે તમે મારી નિકટ નથી.’ ટાગોર લખે છે, ‘હું નિકટતાનો અનુભવ કરું છું. તું પીડાય છે, કારણ કે તને એની જાણ નથી.’

ટાગોર એક પત્રમાં લખે છે, ‘હું જ્યારે એક સાથે યુવાની અને વૃદ્ધત્વ બન્નેનો અનુભવ કરી રહ્યો હતો ત્યારે એક માત્ર તું જ હતી જેણે આટલી નિકટતાથી મને જાણ્યો.’ સેલિબ્રેટી તરીકેની પોતાની વિરાટ એકલતાની અને પ્રેમની ઝંખનાની વાત ટાગોરે તેને કરી હતી. વિક્ટોરિયા હૃદય ઠાલવે છે, ‘હું તમને કેટલા ચાહું છું તે કદાચ તમે પૂરેપૂરું જાણવા નહીં પામો. ગુરુદેવ, તમે અહીં એ સ્ત્રીને છોડી ગયા છો જે પ્રેમની અભિવ્યક્તિ માટે શબ્દો શોધી રહી છે.’ ટાગોર લખે છે, ‘મને લાગે છે કે તારામાં લેટિન અમેરિકાનો આત્મા વસે છે.’ અને વિક્ટોરિયા જવાબ આપે છે, ‘મારા માટે તમે જ ભારત છો.’

ટાગોરની ભૂમિકા વિકટર બેનર્જીએ અને વિક્ટોરોયાની ભૂમિકા આર્જેન્ટિનાની અભિનેત્રી એલેન્યોરા વેક્સલરે કરી છે. ફિલ્મમાં બે કથાઓ સમાંતર ચાલે છે. એક કથામાં પ્રોફેસર ફેલિક્સ અને તેની વિદ્યાર્થિની કમલીની કહાણી છે. આ ભાગ રંગીન છે અને ટાગોર-વિક્ટોરિયાની કહાણી શ્વેતશ્યામ ફોટોગ્રાફીમાં છે.

ફિલ્મ 2017માં ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવાઈ અને 2018માં આર્જેંન્ટિનામાં રિલિઝ થઈ. ફિલ્મનો રિવ્યૂ વાંચ્યા પછી ઘણાંને કુતૂહલ થયું કે આ આધ્યાત્મિક પ્રેમનો કોઈ શારીરિક આવિર્ભાવ હતો ખરો ? સ્ત્રીએ એક રેખા દોરી, પુરુષે તેનું ઉલ્લંઘન ન કર્યું. પણ તે ઈચ્છતો હતો કોઈ સ્પર્શ, રેખા ઓળંગ્યા વિના?

હવે વિક્ટોરિયા ઓકામ્પોની આત્મકથા ખોલવી પડે. તેણે લખ્યું છે, ‘એક બપોરે હું એમના ખંડમાં ગઈ. તેઓ લખતા હતા. હું કુતૂહલથી ટેબલ પાસે ગઈ. માથું ઊંચું કર્યા વિના તેમણે હાથ લાંબો કર્યો. તેમની હથેળી, વૃક્ષ પરના ફળને સ્પર્શતી હોય તેમ મારા સ્તનને અડી. ચાબુક પડે અને ઘોડાની પીઠ થથરી ઊઠે એમ મારી અંદર આદિમ તરસ જાગી. પણ મારામાં રહેતી બીજી વિક્ટોરિયાએ મને રોકી, ચેતવી. હાથ ઊંચકાઈ ગયો. ફરી કદી એવું બન્યું નહીં.’ વિક્ટોરિયાએ ટાગોર માટેની પોતાની લાગણીને ‘અત્યંત કોમળ પવિત્ર સંવેદન’ એવા  શબ્દોમાં વર્ણવી છે, જેનું માત્ર આત્મિક સ્તર હોઈ શકે. ટાગોરે તેના પ્રત્યેના પ્રેમ અને પ્રતીક્ષાને વ્યકત કરતાં જે કાવ્યો, જે પત્રો લખ્યાં છે તે ઘણું સૂચવે છે.

દક્ષિણ અમેરિકાના પ્રવાસ વખતે ટાગોરે એક સેક્રેટરી રાખ્યો હતો, લિયોનાર્ડ એલ્મહર્સ્ટ. આ એલ્મહર્સ્ટ અને વિકટોરિયા વચ્ચે મૈત્રી હતી. વિક્ટોરિયાએ ટાગોર પર લખેલું પુસ્તક એલ્મહર્સ્ટને અર્પણ કર્યું હતું, ‘એ મિત્રને, જે ટાગોરનો અને ભારતનો મિત્ર છે’.

વિક્ટોરિયા પહેલા અને પછી અનેક ભારતીય અને વિદેશી સ્ત્રીઓ ટાગોરના જીવનમાં આવી. ટાગોરને પણ એમનામાં ઓછો-વધારે રસ પડ્યો. પણ વિક્ટોરિયા 1925થી માંડીને 1941માં તેઓ મૃત્યુ પામ્યા ત્યાં સુધી તેમની મુખ્ય પ્રેરણા બની રહી. પૂરબી કાવ્યો ઉપરાંત અન્ય કાવ્યો, વાર્તાઓ અને ચિત્રોના મૂળમાં વિક્ટોરિયા હતી. વિક્ટોરિયાની ત્યારના ઉચ્ચ બુધિમત્તા ધરાવતા પુરુષો સાથે મૈત્રી હતી. પણ ટાગોર જેટલા પ્રેમ-શ્રદ્ધાથી તેને બીજા કોઈને જોયા નથી.

ટાગોરમાં રહેલા ચિત્રકારને બહાર લાવનાર પણ વિક્ટોરિયા જ હતી. બ્યુએનોસ એરિસમાં ટાગોરના રેખાંકનો જોઈને તેણે ટાગોરને ગંભીરતાપૂર્વક ચિત્રો કરવા પ્રેર્યા. તેણે ટાગોરનાં ચિત્રોનું પહેલું પ્રદર્શન પેરિસમાં મે 1930માં પોતાના ખર્ચે દબદબાપૂર્વક યોજ્યું હતું. આ તેમની બીજી અને છેલ્લી મુલાકાત હતી. ત્યાર પછી બન્ને કદી મળ્યાં નહીં, પણ ટાગોરના મૃત્યુ સુધી બન્ને વચ્ચે પત્રવ્યવહાર ચાલુ હતો,

ટાગોર-વિકટોરિયાના સંબંધો વિશે વધારે જાણવું હોય તે કેતકી કુશારી ડાયસનનું ઘણા સંશોધન પછી લખાયેલું પુસ્તક ‘ઈન યૉર બ્લોસમિંગ ગાર્ડન’ વાંચી શકે છે. તેનું પ્રકાશન સાહિત્ય અકાદમીએ કર્યું છે. આર્જેન્ટિનાના એક વર્ગ માટે ટાગોર અને વિક્ટોરિયાના સંબંધો ‘ટેન્ગો ડાન્સ’ જેવા હતા – ધ મેન એન્ડ  વુમન ટચ ઈચ અધર્સ બોડીઝ ‘ક્રિએટિંગ સ્પાર્ક્સ’ બટ ‘વિધાઉટ ગેટિંગ બર્ન્ટ’ …

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 09 મે 2021

Loading

સબ કુછ ચંગા-ચંગા

પારુલ ખખ્ખર|Poetry|11 May 2021

એક અવાજે મડદા બોલ્યાં ‘સબ કુછ ચંગા-ચંગા’

રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

 

રાજ, તમારા મસાણ ખૂટયા, ખૂટયા લક્કડભારા,

રાજ, અમારા ડાઘૂ ખૂટયા, ખૂટયા રોવણહારા,

ઘરેઘરે જઈ જમડાંટોળી કરતી નાચ કઢંગા

રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

 

રાજ, તમારી ધગધગ ધૂણતી ચીમની પોરો માંગે,

રાજ, અમારી ચૂડલી ફૂટે, ધડધડ છાતી ભાંગે

બળતું જોઈ ફીડલ વગાડે ‘વાહ રે બિલ્લા-રંગા’!

રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

 

રાજ, તમારા દિવ્ય વસ્ત્ર ને દિવ્ય તમારી જ્યોતિ

રાજ, તમોને અસલી રૂપે આખી નગરી જોતી

હોય મરદ તે આવી બોલો ‘રાજા મેરા નંગા’

રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

સૌજન્ય : કવયિત્રીની ફેઈસબૂલ દિવાલેથી સાભાર

Loading

...102030...1,9681,9691,9701,971...1,9801,9902,000...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved