Opinion Magazine
Number of visits: 9572910
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

૨૦૧૯માં ગુજરાતમાં કોમી હિંસા

હિરેન ગાંધી|Samantar Gujarat - Samantar|14 March 2021

એક તરફ ‘કોરોના મહામારી’ સામેનું દ્વંદ્વ અને બીજી તરફ દેશની રાજધાનીને ચોતરફથી ઘેરીને ત્રણ નવા કૃષિ કાનૂનોના વિરોધમાં દેશના કિસાનોના આંદોલનનો વાસંતી વાયરો. આવા સમયમાં છેલ્લા ચાર દાયકાથી ગુજરાતમાં ધમધમતી સામાજિક-સાંસ્કૃતિક ફાસીવાદની પ્રયોગશાળા વિશે વાત કરવી કેટલી જરૂરી છે ? અલબત્ત જરૂરી છે. કેમ કે એનાં પરિણામો આજે દેશભરમાં પડઘાવા માંડ્યાં છે. એનું બીજું અત્યંત મહત્ત્વપૂર્ણ કારણ એ પણ છે કે, ગુજરાતમાંની એ પ્રયોગશાળા બંધ નથી થઈ ગઈ. દેશભરની રાજનીતિ ઉપર પોતાની સત્તા અને વર્ચસ્વની સ્થાપના કર્યા પછી પણ એ પોતાની સત્તાને હંમેશ માટે એકચક્રી બનાવવાની યોજનાઓ ઘડવાના અવિરત પ્રયાસો ચાલુ રાખવા માંગે છે.

‘બુનિયાદ’. ગુજરાતનું ભાંખોડિયા ભરતું નાનકડું સ્વૈચ્છિક સંગઠન. ગુજરાતનો નાગરિક સમાજ પણ એનાથી હજુ ખાસ પરિચિત નથી. હા, એનું નેતૃત્વ કરનાર યુવા સાથીઓને એ જરૂર ઓળખે છે, કેમ કે લગભગ ૨૦૦૨માં સર્જવામાં આવેલા ‘ગુજરાત જનસંહાર’ના સમયથી એ સાથીઓ કોમી એક્તા, ન્યાય, શાંતિ અને પ્રજાતંત્રની પુનઃસ્થાપનાના ઉદ્દેશ્યોને પોતાનું જીવન સમર્પિત કરી ચૂક્યા છે. આ જ ઉદ્દેશ્યોને માટે છેલ્લાં ત્રણેક વર્ષથી એમણે આ સંગઠન સક્રિય કર્યું છે. સાથે સાથે ‘અલ્પસંખ્યક અધિકાર મંચ’ નામનું એક અનૌપચારિક ખુલ્લું પ્લેટફોર્મ પણ કાર્યરત કર્યું છે. ગુજરાતમાં ક્યાં ય પણ સાંપ્રદાયિક હિંસાની કોઈ ઘટનાની ખબર મળે તો એકઠી કરે છે, એનો અભ્યાસ અને વિશ્લેષણ કરે છે તથા શક્ય હોય તો એક સમિતિ બનાવી એ ઘટનાનું ‘ફૅક્ટ ફાઇન્ડિંગ’(તથ્યોની શોધ) કરીને એ વિશે અહેવાલ અને વિશ્લેષણ તૈયાર કરે છે. છેલ્લાં બે વર્ષથી તેઓ ગુજરાતમાં બનતી સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ વિશે સવિસ્તર વાર્ષિક અહેવાલ પણ તૈયાર કરે છે. ‘કોરોનાની મહામારી’ અને સંસાધનોની મર્યાદાના કારણે ૨૦૧૯ દરમિયાન ગુજરાતમાં થયેલ સાંપ્રદાયિક હિંસાની કેટલીક ઘટનાઓ વિશેનો ખૂબ જ નોંધપાત્ર અહેવાલ તેમણે ૨૦૨૦ના ડિસેમ્બર અંતમાં પ્રકાશિત કર્યો. એ અહેવાલ ગુજરાત અને દેશભરના નાગરિક સમાજની આંખ ઉઘાડનારો છે અને સંવેદનશીલ આમ જનતાને ચોકાવનારો છે, કેમ કે ૨૦૦૨ પછી આજ સુધી ગુજરાત ‘શાંત’ છે, ‘વિકાસ’ની હરણફાળ ભરીને દેશના અન્ય રાજ્યો માટે ‘વિકસિત રાજ્ય’નું મોડેલ બની ચૂક્યું છે એવો પ્રચાર દેશભરના રાજકારણીઓ ઢોલ પીટી પીટીને કરી રહ્યાં છે.

આ ચિંતાજનક પરિદ્રશ્યની વચ્ચે ‘બુનિયાદ’નો ગુજરાતમાં કૌમી હિંસા વિશેનો ૨૦૧૯નો અહેવાલ શાંત પાણીમાં પથરાની જેમ પડે છે. શીર્ષક છે ‘પીસફુલ ગુજરાતઃ ઍન ઇલ્યુઝન ઑર ટ્રુથ?’ (‘શાંત ગુજરાતઃ ભ્રમણા કે સચ્ચાઈ?’).

અહેવાલની શરૂઆત ગુજરાતમાં સાંપ્રદાયિક હિંસા વિશેની કેટલીક પાયાગત માહિતીથી થાય છે. તેમાં ૨૦૧૯ની ઘટનાઓ અને ૨૦૧૮ની એવી ઘટનાઓના મહત્ત્વપૂર્ણ આંકડા રજૂ કરાયા છે. એ આંકડાઓનો એન.સી.આર.બી.(નેશનલ ક્રાઇમ રિપોટ્‌ર્સ બ્યૂરો)માં રજૂ થયેલ એ પ્રકારના ગુજરાતનાં આંકડાઓ સાથેનો તુલનાત્મક અભ્યાસ સ્પષ્ટ કરાયો છે. સંસ્થાની અભ્યાસ પદ્ધતિ તથા તેની મર્યાદિત પહોંચ અંગેની સ્પષ્ટતા કરાઇ છે. અહેવાલમાં જેની વિગતે ચર્ચા કરાઇ છે એવા સાંપ્રદાયિક હિંસાના બે મુખ્ય સ્વરૂપો – રમખાણ અને ભીડ દ્વારા હુમલો(મૉબ લિંચિંગ)ની વ્યાખ્યાઓ અને સમજૂતી રજૂ કરાઇ છે. આ ઉપરાંત એમાં આ પ્રકારની હિંસા પાછળનાં તત્કાળ કારણોની યાદી બનાવાઇ છે. તેમ જ માહિતી એકત્રીકરણ માટેનાં તેમનાં સંસાધનો અને પદ્ધતિની વાત કરી છે. મુખ્ય ધારાનાં બે અંગ્રેજી અખબારોમાં પ્રકાશિત થયેલ ખબરો ઉપરાંત કેટલાંક સ્થળે ‘તથ્ય તપાસ સમિતિ’ બનાવી પ્રત્યક્ષ રીતે પણ માહિતી એકઠી કરી છે. અલબત્ત એક દ્રષ્ટિએ આ અહેવાલ ‘સંશોધન અહેવાલ’ (રિસર્ચ પેપર) જેટલી ઝીણવટભરી અને તમામ માહિતીઓને નથી સમાવતો, પરંતુ એ પ્રતીકાત્મક અને ગુજરાતમાં સાંપ્રદાયિક હિંસાનાં વ્યાપક પરિદૃશ્યનો ઘણો ઉપયોગી અંદાજ જરૂર આપે છે.

અહીં ૨૦૧૯માં ગુજરાતમાં ‘કોમી હિંસા’માં કુલ છ બનાવોની છણાવટ કરાઇ છે. તેમ જ બે ‘મૉબ લિંચિંગ’ની ઘટનાઓ સમાવાઇ છે. એન.સી.આર.બી.ના આંકડા જોઈએ તો કુલ ૩૯ સાંપ્રદાયિક રમખાણો ગુજરાતમાં ૨૦૧૮માં નોંધાયા છે. જો કે ૨૦૧૯માં ‘કોમી હિંસા’ કે ‘મૉબ લિંચિંગ’નાં આંકડા રજૂ નથી કરાયાં. ૨૦૧૮ના આ સંદર્ભના આંકડાઓ ઉપર નજર કરીએ – સાંપ્રદાયિક રમખાણો ‘બુનિયાદ’ની નોંધ પ્રમાણે કુલ ૧૩ છે, અને ‘મોબ લિંચીંગ’ની ઘટનાઓ કુલ ૫ છે, જ્યારે એન.સી.આર.બી.ના અહેવાલ પ્રમાણે રમખાણો ૩૯ છે, ‘મૉબ લિંચિંગ’ કુલ ૪ છે. અહેવાલમાં જણાવ્યા મુજબ એન.સી.આર.બી. પોલીસ સ્ટેશનો તથા ક્રિમિનલ જસ્ટીસ સિસ્ટમ આંકડા દ્વારા એકઠા કરે છે. એ ‘મૉબ લિંચિંગ’ના આંકડા અલગથી નથી એકત્રિત કરતું. ‘બુનિયાદ’ની નોંધ પ્રમાણે ૨૦૧૯માં કુલ ૧૬ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયેલ અને ૨૦૧૮માં ૩૩ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઈ હતી. જ્યારે ‘એન.સી.આર.બી.’ પ્રમાણે ૨૦૧૮માં ૫૯ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયેલ. તેમ જ ૨૦૧૮માં ૩ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો અને ૨૦૧૯માં એક પણ વ્યક્તિનું મૃત્યુ નોંધાયું નથી.

‘બુનિયાદ’ના ગુજરાતમાં સાંપ્રદાયિક હિંસા સંદર્ભે પ્રકાશિત થયેલ અહેવાલમાં રજૂ થયેલ ઘટનાઓ ઉપર એક નજર નાંખીએ તો –

૧) ખંભાતઃ અહીં ૨૨ ફેબ્રુઆરી, ૨૦૧૯ના દિવસે ત્રણ દરવાજા વિસ્તારમાં હિન્દુ-મુસ્લિમ સમુદાયો વચ્ચે એક રાષ્ટ્રીય મુદ્દાને લઈને સોશ્યલ મીડિયા ઉપર થયેલ વાદ-વિવાદના કારણે રમખાણ થયું હતું. મુદ્દો હતો – એ જ માસમાં કાશ્મીરના પુલવામા ખાતે ભારતીય જવાનો ઉપર થયેલ આતંકવાદી હુમલો. આ ઘટના ઉપરથી બે મહત્ત્વપૂર્ણ તારણો સ્પષ્ટ થાય છે.

(અ) સોશ્યલ મીડિયા સાંપ્રદાયિક તણાવ – તોફાનો વધારવા માટે એક નોંધપાત્ર સાધન બની શકે છે. અને તેનો એ પ્રકારનો ઉપયોગ છેલ્લાં થોડાં વર્ષોમાં સતત વધી રહ્યો છે.

(બ) રાષ્ટ્રીય સ્તરના મુદ્દા અને નફરતભરેલ સંદેશાઓ સ્થાનિક તંગદિલીમાં અંગારાનું કામ કરે છે.

આ પ્રસંગ પછીના બે જ દિવસમાં ત્યાં બે અલગ અલગ કોમનાં નાનાં બાળકો વચ્ચે ઝઘડો થયો અને એમાંથી હુલ્લડ ફાટી નીકળ્યું. થોડાં વર્ષ અગાઉથી ખંભાત ઉપર નજર નાખીએ તો સાંપ્રદાયિકતાના સંદર્ભે એ અત્યંત સંવેદનશીલ પુરવાર થતું રહ્યું છે.  

• ૨૦૧૨માં વકફ બોર્ડની જમીનો ઉપર દુકાનો બાંધવાના મુદ્દે ચુનારા (દલિત) અને મુસ્લિમો વચ્ચે રમખાણો થયાં હતાં અને પાંચ ઘરોને એસીડ બલ્બ્સ, પેટ્રોલ બૉંબ વડે ખેદાન-મેદાન કરી નંખાયાં હતાં.

• ૨૦૧૬માં પીઠ બજાર નામના વિસ્તારમાં બાઇક અને ટેમ્પો વચ્ચે અકસ્માત થતાં બે કોમો સામસામે આવી ગઈ હતી. એમાંથી થયેલાં હુલ્લડો કેટલાંક વિસ્તારોમાં પ્રસર્યાં હતાં તેમ જ કેટલાંક ઘરો ઉપર પણ હુમલા થયા હતા. તથા એક મંદિર, મસ્જિદ અને દરગાહને પણ આગ ચંપાઈ હતી. ૨૦૧૭-૧૮માં પણ કેટલીક છૂટીછવાઈ ઘટનાઓ ત્યાં નોંધાઈ હતી.

૨) કોટડા ગડી (સાબરકાંઠા જિલ્લો) : ગામમાં એક આદિવાસી કિશોરી અને મુસ્લિમ યુવક લાંબા સમયના પ્રેમસંબંધને કારણે ગામ છોડીને ભાગી ગયેલ. સમય જતાં તેઓ ગામમાં પરત આવેલ. આ કારણે બંને સમુદાયો વચ્ચે ‘સમાધાન’ કરાવાયું હતું. શરતો મુજબ યુવક ફરી કદી ગામમાં પ્રવેશી ના શકે અને એના પરિવારે કિશોરીના પરિવારને રૂપિયા ૩૫,૦૦૦ ચૂકવવાના હતા. થોડા દિવસ પછી ફરીથી કિશોરી અને એ જ યુવક ફરાર થઈ ગયાં. પરિણામે આદિવાસી સમુદાયે ગામનાં મુસ્લિમ સમુદાય ઉપર હુમલો કર્યો અને બાર મુસ્લિમ પરિવારોએ હંમેશ માટે ગામ છોડીને ચાલ્યા જવું પડ્યું.

૩) ધૂનાદ્રા (ઠાસરા જિલ્લો) : અહીં રમખાણ એક બિન-હિન્દુ યુવતીની જાનના કારણે થયું હતું. જાન બેન્ડ-વાજાં વગાડતી અને ફટાકડા ફોડતી હતી. એ જ્યારે એક મસ્જિદ પાસે પહોંચી ત્યારે ત્યાંના સ્થાનિક રહીશોએ બેન્ડવાજાં ના વગાડવાની અને ફટાકડાં ના ફોડવાની વિનંતી કરી. આ કારણે ત્યાં બંને સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી.

૪) નાંદોલિયા (તાલુકો – કડી) : ઉત્તરાયણ દરમિયાન અહીં એક મુસ્લિમ યુવાને ભરવાડ યુવાનની પતંગ કાપી. એમાંથી ઝઘડો શરૂ થયો. મુસ્લિમ યુવક ઉપર ગાળાગાળી કરવાનો આક્ષેપ મૂકાયો. ઝઘડો વધ્યો ગામમાં વાતાવરણ તંગ થઈ ગયું. ગામના આગેવાનોએ મુસ્લિમ યુવકને ગામની બહાર કાઢી મૂક્યો. થોડા સમય પછી એ ગામમાં પાછો આવ્યો અને ભરવાડ યુવક સાથે ઝઘડવા માંડ્યો. પરિણામે ભરવાડ યુવકોએ ભેગા મળી ત્યાંના મુસ્લિમ રહીશો ઉપર હુમલો કર્યો અને એમનાં ઘરોમાં તોડફોડ કરી. પરિણામે ૩૫ મુસ્લિમ પરિવારો ગામ છોડી અન્યત્ર ચાલ્યા ગયાં.

૫) મોટી ખાવડી (જિ. જામનગર ) : અહીં પાંત્રીસેક વર્ષની માનસિક રીતે અસ્થિર વ્યક્તિ ઉપર સાત જણાનાં ટોળાએ ચોરીનો આક્ષેપ મૂકી લાકડાં અને પ્લાસ્ટીકની લાઠીઓ વડે માર મારતાં મારતાં એને સ્થળ ઉપર જ મોતને ઘાટ ઉતારી દીધો હતો.

૬) શાહીબાગ (અમદાવાદ) : મહેશ પરમાર નામના અઢાર વર્ષના એક દલિત ઉપર ચોરીનો આરોપ મૂકી ટોળાએ એને ઘાયલ કર્યો હતો. પોલીસે તેને સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાવી જેલમાં પૂર્યો હતો. એની ખૂબ વિનવણીઓ પછી પોલીસે એને સિવિલમાં દાખલ કરાવ્યો હતો. મામલામાં કોઈના ઉપર ગુનો નોંધાયો નહોતો.

૭) એમ.એસ. યુનિવર્સિટી (વડોદરા) : આ યુનિવર્સિટીના કેમ્પસમાં એક સ્ટુડન્ટ યુનિયન ‘એન્ટી રેગીંગ (મહિલાઓની છેડછાડના વિરોધમાં) આંદોલન કરી રહ્યું હતું ત્યારે એ આંદોલનને યુવતીઓને આકર્ષવાનો મુદ્દો બનાવી એને ‘લવ જેહાદ’માં ખપાવી કેટલાંક હિન્દુ વિદ્યાર્થીઓએ પ્રચારિત કરવા માંડ્યો, કેમ કે આંદોલન કરનાર યુનિયનનાં ઘણાંબધાં વિદ્યાર્થીઓ મુસ્લિમ હતાં. મામલો બીચક્યો. પરસ્પર અથડામણો થઈ. અને છેવટે આઠ મુસ્લિમ વિદ્યાર્થીઓ સામે પોલીસે એફ.આઈ.આર. દાખલ કરી.

૮) ધોળકાઃ અયોધ્યાની બાબરી મસ્જિદ અને રામ જન્મ સ્થળ નિમિત્તે લાંબા સમયથી ચાલતા કેસનો ચુકાદો સુપ્રીમ કોર્ટે જાહેર કર્યો. એના અનુસંધાને અમદાવાદ જિલ્લાના ધોળકામાં ૧૩૬૧ની સાલમાં બંધાયેલી ટાંકા મસ્જિદ સંદર્ભે કેટલાંક અસામાજિક તત્ત્વોએ એક જબરદસ્ત વિવાદ ઊભો કર્યો. એમણે સોશ્યલ મીડિયાનાં માધ્યમથી એવી અફવા ફેલાવવા માંડી કે આ મસ્જિદની જગ્યાએ એક મંદિર હતું અને તેને તોડી પાડીને મસ્જિદ બનાવાઇ છે. એ તત્ત્વો ૨૯ અને ૩૦ ઑગસ્ટ દરમિયાન મસ્જિદમાં ઘૂસી પણ ગયાં. છેવટે નાગરિક સમાજની એક સંસ્થાના હસ્તક્ષેપને કારણે પોલીસે મસ્જિદને રક્ષણ પૂરું પાડ્યું. સ્થાનિક વિશ્વ હિન્દુ પરિષદે શાસનકર્તાઓને એક મેમોરેન્ડમ આપ્યું અને દાવો કર્યો કે આ મસ્જિદના સ્થળે અગાઉ ‘ભીમનું રસોડું’ હતું અને ‘પાંડવોની શાળા’ હતી.

૯) શેહરા (જિ. પંચમહાલ) : અહીંની એક હિન્દુ યુવતી તેની માતાની સારવાર માટે માતા-પિતા સાથે અમદાવાદ ગઈ હતી અને ગુમ થયેલ. એને ‘લવ જેહાદ’નો ભોગ બનેલ યુવતી બનાવી કેટલાંક હિન્દુ સંગઠનોએ ‘હિન્દુ સમાજ’ના બૅનર નીચે એને શોધી લાવવાની હાકલ કરતી અને હિન્દુ સમુદાયને ઉશ્કેરણી કરતી એક રેલી કાઢી હતી તેમ જ ‘બંધ’નું એલાન પણ આપ્યું હતું.

૧૦) મહેસાણા : એક કૉલેજમાં અભ્યાસ કરતા એક મુસ્લિમ યુવાન અને હિન્દુ યુવતી વચ્ચે પ્રેમસંબંધ હોવાને લઈને ‘વિશ્વ હિન્દુ પરિષદનો’ એક યુવા કાર્યકર ધમકીઓ આપતો હતો. એ અરસામાં અન્ય કોઈ ઝઘડાના કારણે કોઈએ એ કાર્યકરને માર્યો. માર ખાધેલ યુવકે સોશ્યલ મીડિયા અને અખબારો, ઈલેક્ટ્રોનિક મીડિયા ઉપર એવો પ્રચાર ફેલાવ્યો કે હિન્દુ યુવતી ‘લવ જેહાદ’નો ભોગ બની છે. માધ્યમોએ એ પ્રચાર કરનારને ‘હીરો’ ગણાવવા માંડ્યો. સ્થાનિક વાતાવરણ આ ઘટનાથી ખાસ્સું તંગ થઈ ગયું. છેવટે પોલીસે એને વ્યક્તિગત ઝઘડાનો મુદ્દો જાહેર કરી મામલો  થાળે પાડ્યો.

૨૦૧૯ દરમિયાન ગુજરાતમાં બનેલ કોમી હિંસા અંગેની આ માહિતી ઉપર નજર નાંખતાં જ આપણને ખ્યાલ આવે છે કે. ‘શાંત’ ગુજરાતની જાહેરાતો કેટલી પોકળ અને ગેરમાર્ગે દોરનારી છે!

સોશ્યલ મીડિયાની ભૂમિકાઃ

આજના સમયમાં સોશ્યલ મીડિયા પ્રચાર માટેનું એક હાથવગું સાધન બની ચૂક્યું છે. જનતાની માનસિકતા ઘડવાની એની તાકાત મુખ્ય ધારાનાં સંચાર માધ્યમો જેટલી જ પ્રભાવશાળી બની ગઈ છે. ઉપર નોંધેલ મોટા ભાગની ઘટનાઓ માટે ઘણે અંશે સોશ્યલ મીડિયા જવાબદાર રહ્યું છે. ધોળકાની ટાંકા મસ્જિદનો વિવાદ હોય કે મહેસાણાનો ‘લવ જેહાદ’નો વિવાદ હોય. ભ્રામક અને ગેરમાર્ગે દોરનારી ‘માહિતી’ વાયુવેગે આમ જનતા સુધી પહોંચી જાય છે. વાતાવરણ પળવારમાં ઉશ્કેરાટભર્યું તથા હિંસક બની જાય છે. આજનો શાસક પક્ષ અને એની જનેતા સમાન સંગઠન દ્વારા અસ્તિત્વમાં આવતાં સંગઠનો, સંસ્થાઓ અને જૂથો એનો ઉપયોગ બખૂબી જાણે છે. માત્ર સોશ્યલ મીડિયા જ નહીં લગભગ તમામ પ્રકારનાં સંચાર માધ્યમો ઉપર એમણે કબ્જો જમાવી દીધો છે.

વર્ચસ્વવાદી સંગઠનોઃ

ગુજરાતને તો ગઈ સદીના આઠમા દાયકથી આ સંગઠનો પોતાની સાંપ્રદાયિક ફાસીવાદની પ્રયોગશાળા બનાવી ચૂક્યાં છે. છેલ્લાં અઢી દાયકાથી તો રાજકીય સત્તાની ધુરી પણ એમની જ રાજકીય પાર્ટી – બી.જે.પી.ના હાથમાં રહી છે. અહીંના એમના પ્રયોગોને કારણે આજે છેલ્લાં છ વર્ષથી દેશની સત્તા પણ તેઓ ભોગવી રહ્યાં છે. દેશભરમાં આજે તેઓ સાંપ્રદાયિક ફાસીવાદના જે પ્રયોગો અજમાવી રહ્યાં છે એ તમામ ગુજરાતની પ્રયોગશાળામાં સફળ પુરવાર થઈ ચૂકેલા પ્રયોગો છે. ગુજરાતમાં થયેલી ૨૦૧૯ની કૌમી હિંસાના સંદર્ભમાં જોઈએ તો શહેરામાં બનેલા કાલ્પનિક ‘લવ જેહાદ’નો પ્રસંગ હોય કે ધોળકાની ટાંકા મસ્જિદનો પ્રસંગ હોય, સાબરકાંઠાના કોટડા ગડી ગામમાં ઊભી કરાયેલ ‘લવ જેહાદ’ની ઘટના હોય કે મહેસાણાની કૉલેજની ઘટના – આ તમામ હિંસા આ સંગઠનોએ જ સાકાર કરેલી છે.

પોલીસની ભૂમિકાઃ

કોમી હિંસાના પ્રસંગોમાં પોલીસની ભૂમિકા મોટે ભાગે ભેદભાવપૂર્ણ રહી છે. અને મુસ્લિમ સમુદાય એનો ભોગ બનતો રહ્યો છે. એ સમુદાય એક તરફથી જાન-માલનું નુકસાન ભોગવતો રહે છે તો બીજી તરફ પોલીસ એને અપરાધી ઠરાવી જેલોમાં ધકેલતી રહી છે. અગાઉ નોંધેલા ત્રણ કિસ્સામાં (વડોદરા, ખંભાત અને ધુનાદ્રામાં) પોલીસે કુલ ૮૫ ધરપકડો કરી હતી. તેમાંથી ૬૩ મુસ્લિમોની હતી. વળી ગુનો નોંધાયા પછી ન્યાય મેળવવો પણ એ સમુદાય માટે ખૂબ જ મુશ્કેલ બની રહે છે. પરિણામે એ સમુદાયે નાછૂટકે ‘સમાધાનો’ કરાવવાં પડે છે.

આ અહેવાલમાં નોંધાયેલ એક કિસ્સો તો ચોંકાવનારો છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના સેમરડી ગામમાં રહેતા એક મુસ્લિમ બૂટલેગરને ધારીના પોલીસ સાથે કોઈક બાબતે ઝઘડો થયો હતો. અને પોલીસે તેની અને તેના પિતાની ધરપકડ કરી હતી. બીજે દિવસે ધારીના પોલીસે અમરેલીના બીજા પોલીસદળો અને જંગલ ખાતાના કર્મચારીઓને સાથે લઈ સેમરડી ગામમાં રહેતાં બલોચ-મુસ્લિમોના ઘરોમાં ખાસ્સી તોડફોડ કરી અને સ્ત્રીઓ, બાળકો અને પુરુષોને ધક્કે ચડાવ્યા હતા. હજુ આટલું ઓછું હોય તેમ પશ્ચિમ ગુજરાતના વીજળી વિભાગને સાધી મુસલમાનોના વિસ્તારમાં બે દિવસ સુધી વીજળી ગુલ કરી દીધી હતી. આ ઘટનાથી મુસ્લિમો એટલા ડરી ગયા હતા કે તેઓ ગામ છોડીને એમનાં સગાં-સંબંધીઓના ત્યાં આશ્રય લેવા જતાં રહ્યાં હતાં.

ગુજરાતની પોલીસની માનસિકતા અને વર્તણૂકને સમજવા આ ઉદાહરણ પૂરતું છે.

રાજ્યની ભૂમિકાઃ

ગુજરાતને સાંપ્રદાયિક ફાસીવાદની સફળ પ્રયોગશાળા તરીકે વિકસાવવામાં રાજ્યની ભૂમિકા સૌથી નોંધપાત્ર રહી છે. છેલ્લા સાડા ત્રણ દાયકાથી કોમી હિંસાને બેલગામ બનાવવામાં રાજય એક રીતે સીધું સંડોવાયેલું રહ્યું છે. ૨૦૦૪માં ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાને (હાલમાં દેશના વડા પ્રધાને) ‘ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્‌ડ ક્રાઇમ’ (ગુજકોક) નામના કાનૂનનો મુસદ્દો તૈયાર કર્યો હતો, પરંતુ રાષ્ટ્રપતિએ એના ઉપર મંજૂરીની મહોર મારી નહીં. ત્રણ વાર સરકારે એ માટે પ્રયાસો કર્યા, પરંતુ એ સફળ ના થઈ. એ પછી ૨૦૧૫માં ગુજરાત સરકારે એ જ વિધેયકને નામ બદલીને ‘ગુજટોક’ના નામે ફરીથી રજૂ કર્યું. એમાં એક નવી જોગવાઈ ઉમેરવામાં આવી હતી. એ જોગવાઈ મુજબ પોલીસ કોઈ પણ વ્યક્તિનો ફોન ટેપ કરીને, એમાંની વાતચીત અદાલતમાં પુરાવા તરીકે રજૂ કરી શકે. આખરે ૨૦૧૯માં આ કાયદાને મંજૂરી મળી ગયેલ છે.

એ જ રીતે ૨૦૧૯ના ડિસેમ્બર મહિનામાં તત્કાલીન ગૃહ ખાતાના રાજય પ્રધાને વિધાનસભામાં ‘ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ’ (ડી.એ.) રજૂ કરી મંજૂર કરાવ્યો હતો. આ કાયદા મુજબ સરકાર જેને ‘ડિસ્ટર્બ્ડ એરિયા’ જાહેર કરે ત્યાં માલ-મિલકત, મકાન/દુકાનની લેવડ-દેવડની બાબતો જિલ્લા કલેક્ટરની મંજૂરી મેળવ્યા પછી જ થઈ શકે. હાલમાં આ કાયદા મુજબ અમદાવાદ, વડોદરા, સુરત, હિંમતનગર, ગોધરા, કપડવંજ અને ભરુચમાં કુલ ૭૭૦ વિસ્તારોને આવરી લેવાયાં છે. ખંભાતમાં પણ આ કાયદાનો અમલ લાગુ કરવામાં આવ્યો છે. આમાંના મોટાભાગના વિસ્તારો મુખ્યત્વે મુસ્લિમ વસ્તી ધરાવે છે. આ કાયદાના પરિણામે ગુજરાતમાં ધાર્મિક સમુદાયોનું ધ્રુવીકરણ વધુ ઝડપી અને મજબૂત બન્યું છે. સમુદાયો વચ્ચેનું પારસ્પરિક સાંસ્કૃતિક આદાન-પ્રદાન લગભગ નહિવત્‌ બનતું જાય છે. અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે – આ કાયદાને કારણે સાંપ્રદાયિક તણાવ અને હિંસાની જમીન વધારે ફળદ્રુપ અને ઉપજાઉ બને છે. વળી આ પ્રકારના કાયદા લોકતાંત્રિક માળખાનાં સંસ્થાનોના પાયા પણ હચમચાવી નાંખતા પુરવાર થાય છે.

આ અહેવાલમાં રજૂ થયેલ તારણો વિશે નાગરિક સંગઠનો અને સંવેદનશીલ, બુદ્ધિજીવી નાગરિકોએ ઊંડું મનોમંથન કરવાની ખૂબ જ તાતી જરૂરત છે. આ અહેવાલમાંના આધારે થતા સ્પષ્ટ કેટલાંક અત્યંત વિચારણીય તારણો નીચે મુજબ છે.

૧) ૨૦૦૨ના મુસ્લિમ જનસંહાર પછી ગુજરાતમાં કોમી હિંસા ગ્રામીણ વિસ્તારો તરફ આગળ વધી રહી છે.

૨) કોમી હિંસા અવનવાં સ્વરૂપો ધારણ કરવા માંડી છે.

૩) શહેરોમાં તો પહેલેથી હતું જ, પરંતુ હવે તો નાનાં નગરો અને ગામડાંઓમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણ ઝડપથી થવા માંડ્યુ છે.

૪) મુસ્લિમ સમુદાય જબરદસ્ત અસલામતી અને ગૂંગળામણ અનુભવી રહ્યો છે.

૫) ગુજરાતના દલિત અને પછાત ગણાતા સમુદાયો પણ એક તરફથી સાંપ્રદાયિક હિંસાનો હાથો બની રહ્યાં છે બીજી તરફથી એનો ભોગ પણ બની રહ્યાં છે, અને સાથે સાથે હાંસિયાકૃત (માર્જિનલાઇઝ્‌ડ) પણ થઈ રહ્યાં છે.

૬) માનવઅધિકાર પંચ જેવાં લોકતાંત્રિક સંસ્થાનો લગભગ નિષ્ક્રિય અને સુષુપ્ત બની ચૂક્યાં છે. કેટલાંક સંસ્થાનોને સંપૂર્ણપણે નાબૂદ કરી દેવાયાં છે.

આજના સમયમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ પુરવાર થતો આ દસ્તાવેજ તૈયાર કરવા બદલ ‘બુનિયાદ’ને અભિનંદન આપવાની સાથે સાથે હું બે સૂચનો પણ આપવા માંગું છું.

૧) અહેવાલની નકલ ગુજરાતીમાં તૈયાર કરી ગુજરાતભરમાં પહોંચાડવાની જરૂર છે.

૨) આ પ્રવૃત્તિ સતત ચાલુ રાખવી જોઈએ.

* આ લેખ પૂરો કરતો હતો ત્યારે જ ગુજરાતના વરિષ્ઠ અને નિસબત ધરાવતા પત્રકાર રાજીવ શાહ દ્વારા સોશ્યલ મીડિયા ઉપર રજૂ થતી ‘કાઉન્ટરવ્યૂ’ નામની પત્રિકાનો ૮ ડિસેમ્બરનો અંક મળ્યો. એમાં એમણે આ અહેવાલ વિશે ખૂબ જ મહત્વપૂર્ણ ટિપ્પણી મૂકી છે. ‘બુનિયાદ’ના અહેવાલમાં એક નાની નોંધ એ મુજબની છે કે ૨૦૧૪થી ગુજરાતનાં ગ્રામીણ પ્રદેશોમાં કોમી હિંસા અને ધ્રુવીકરણ વધવા માંડ્યાં જ્યારે રાજીવભાઈએ ૨૦૦૪માં સુરતના ‘સેન્ટર ફૉર સોશ્યલ સ્ટડીઝ’ના સંશોધક બિશ્વરૂપ દાસ અને વડોદરાના ‘સેન્ટર ફૉર કલ્ચર એન્ડ ડેવલોપમેન્ટ’ના સ્થાપક ફા. લાન્સી લોબો દ્વારા ૨૦૦૪માં મધ્ય ગુજરાતનાં ગ્રામીણ વિસ્તારોમાં કરાયેલ પ્રત્યક્ષ ઈંટરવ્યૂઝમાં તેમણે સ્પષ્ટ રીતે નોંધ્યું હતું કે ગામડાનાં સુખી પરિવારોમાં “કોમવાદ” વિશેનાં ખ્યાલો તથા વલણો ખાસ્સાં ઊંડે સુધી ઊતરી ગયેલાં હતાં. એમના એ સંશોધન પેપરનું નામ હતું ‘જ્યોગ્રાફી ઓફ ગુજરાત રાયટ્‌સ’.

ફા. લાન્સીએ આપેલ માહિતી મુજબ એ પેપર ૨૦૦૬માં ‘કોમ્યુનલ વાયોલન્સ એન્ડ માઈનોરિટી’ નામની પુસ્તિકામાં રાવત પ્રકાશને ઉપલબ્ધ કરાવેલ છે.

૯ જાન્યુઆરી, ૨૦૨૧

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2021; પૃ. 07-09

Loading

ચલ મન મુંબઈ નગરી—86

દીપક મહેતા|Opinion - Opinion|13 March 2021

જાવું જરૂર છે, બંદર છો દૂર છે

પાલવા બંદરને અંગ્રેજોએ બનાવ્યું એપોલો બંદર

ગેટવે ઓફ ઇન્ડિયા કરતાં વધુ જૂની છે તાજ મહાલ હોટેલ

એપોલો બંદર પરથી પ્રસારિત થયેલો પહેલો રેડિયો કાર્યક્રમ   

જાવું જરૂર છે,
બંદર છો દૂર છે.
બેલી તારો, બેલી તારો,
બેલી તારો તું જ છે,
બંદર છો દૂર છે.

કવિ સુંદરજી બેટાઈના કાવ્યની આ પંક્તિઓ આજે યાદ આવવાનું કારણ? કારણ આજે આપણે મુંબઈના એક જૂના બંદરની મુલાકાત લેવાનાં છીએ. પણ આપણે પહેલાં થોડો વિચાર કરીએ ‘બંદર’ શબ્દ વિષે. અંગ્રેજીના port માટે ગુજરાતી ઉપરાંત મરાઠી, હિન્દી, બંગાળી, અને અસમિયા ભાષામાં આ શબ્દ વપરાય છે. હા, હિન્દીમાં તેમાં ‘ગાહ’ ઉમેરીને બંદરગાહ’ વપરાય છે અને બંગાળી-અસમિયામાં ઉચ્ચાર ‘બોન્દર’ જેવો થાય છે. આપણા સાર્થ ગુજરાતી શબ્દકોશ અને ભગવદ્દગોમંડળ કોશ આ શબ્દ ક્યાંથી આવ્યો તે જણાવતા નથી. સંસ્કૃતમાં આને મળતો કોઈ શબ્દ હોય તેવું જાણ્યું નથી. કોઈ કોઈ શબ્દકોશ ‘પોતાશ્રય’ અને ‘નૌકાશ્રય’ જેવા શબ્દો નોંધે છે, પણ દેખીતી રીતે જ તે ઉપજાવી કાઢેલા છે. વ્યવહારમાં વપરાતા હોય તેવા નથી. બંદર માટે સંસ્કૃત લખાણોમાં ‘વેલાકૂલ’ શબ્દ વપરાયો છે, ખાસ કરીને દસ્તાવેજોમાં. એટલે આજે આપણે મુંબઈના એક વેલાકૂલની મુલાકાત લેવાના છીએ.

ગેટવે ઓફ ઇન્ડિયા બંધાયા પહેલાંનું એપોલો બંદર

સૌથી પહેલાં જશું પાલો બંદર કે પાલવા બંદર. આજે હવે આ નામ ભૂલાઈ ગયું છે, પણ આજથી ૬૦-૭૦ વરસ પહેલાં શહેરના મોટા ભાગના ‘દેશી’ લોકો આ જ નામ વાપરતા. ઘણી વાર તો ‘બંદર’ પણ નહીં, ફક્ત ‘પાલો’ કે પાલવા’ જવાનું છે એમ જ બોલતા. આપણી ભાષાના શબ્દકોશોની એક મુશ્કેલી એ છે કે તેમાં મોટે ભાગે શહેરી ઉજળિયાત વર્ગોમાં વપરાતા શબ્દો જ નોંધાય છે. જુદા જુદા વ્યવસાયો, ધંધારોજગાર વગેરેમાં વપરાતા શબ્દો ભાગ્યે જ તેમાં જોવા મળે છે. વહાણવટાની પરિભાષામાં ‘પાલ’ એટલે શઢ, અને તેથી ‘પાલવ’ કે ‘પાડવ’ એટલે શઢવાળું વહાણ. એટલે જ્યાં આવાં વહાણો નાંગરતાં તે પાલવા બંદર. આજથી ૬૦-૭૦ વરસ પહેલાં પણ અહીં શઢવાળાં વહાણ જોવા મળતાં. અલબત્ત, ત્યારે તે મોટે ભાગે  સહેલાણીઓને ચાર-આઠ આનામાં દરિયાઈ સહેલ કરાવવાનું કામ કરતાં. ૧૯૬૫ સુધીના અરસામાં આ લખનારે આવી સહેલો કરેલી તે બરાબર યાદ છે. જો કે તે વખતે આ વહાણોની સાથે સ્ટીમલોન્ચ પણ આવી ગઈ હતી. પણ ધૂમાડો ઓકતી અને સતત ઘરઘરાટી કરતી આ સ્ટીમલોન્ચ કરતાં વધુ મજા તો વહાણોમાં જ આવતી. વળી સ્ટીમ લોન્ચ કરતાં વહાણોનું ભાડું લગભગ અડધું. આજે જેનું નામ જગન્નાથ શંકરશેઠ રોડ છે તેનું નામ અગાઉ ગિરગામ રોડ હતું. પણ તેનાથીયે પહેલાં તે રસ્તો પાલ કે પાલો બંદર રોડ તરીકે ઓળખાતો. એટલે કે તે માત્ર ધોબી તળાવ સુધીએ નહિ, ઠેઠ આ બંદર સુધી જતો હોવો જોઈએ.

અંગ્રેજોને આ ‘પાલ’ કે પાલો’ શબ્દ પલ્લે પડ્યો નહીં. એટલે તેમણે એનું નામ કરી નાખ્યું એપોલો બંદર. પણ હકીકતમાં પાલવા કે એપોલો બંદરને ગ્રીકોરોમન દેવ એપોલો સાથે સનાનસૂતકનો ય સંબંધ નથી. આવું અંગ્રેજો જ કરે છે એમ માનવું નહિ. સેન્ટ્રલ રેલવેમાં મુસાફરી કરતાં ઘણા શ્રમજીવીઓ ‘સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશન’ને ‘સંડાસ રોડ સ્ટેશન’ કહે છે તે કાનોકાન સાંભળ્યું છે. વાંદરામાં માઉન્ટ મેરીના ચર્ચને ઘણા ‘મોત માવલી’ તરીકે ઓળખે છે. ખેર, જ્યારે અંગ્રેજોએ મુંબઈનો કિલ્લો બાંધ્યો ત્યારે તેના ત્રણ મુખ્ય દરવાજા રાખ્યા. કિલ્લાની બહાર આવેલ ‘દેશી’ઓની બજાર તરફ જવા માટે બજાર ગેટ, કિલ્લાની અંદર આવેલા સેન્ટ થોમસ કેથીડ્રલ તરફ લઈ જાય તે ચર્ચગેટ, અને એપોલો બંદર તરફ લઈ જાય તે એપોલો ગેટ. અને આ ત્રણ ગેટ સાથે જોડાયેલા ત્રણ રસ્તાને નામ આપ્યાં બજારગેટ સ્ટ્રીટ, ચર્ચગેટ સ્ટ્રીટ, અને એપોલો સ્ટ્રીટ. આજે હવે એ ત્રણેનાં સત્તાવાર નામ બદલાઈ ગયાં છે, પણ લોકજીભે તો હજી એ જૂનાં નામ જ વસે છે. આ ત્રણ દરવાજા સાથેનો કિલ્લો બાંધવાનું કામ ૧૭૧૫માં શરૂ થયું હતું અને ૧૭૨૨માં પૂરું થયું હતું. એટલે કે એ અરસામાં પાલવા કે એપોલો બંદર એ કિલ્લા બહારનું એક મહત્ત્વનું સ્થળ હતું. અને ત્યાં સુધીમાં અંગેજોએ પાલવાનું એપોલો કરી નાખ્યું હતું. આ જગ્યાનું એક ત્રીજું નામ પણ છે, પણ તે ક્યારે ય વ્યવહારમાં વપરાતું થયું નથી. એ છે વેલિંગ્ટન પિયર.

એક જમાનામાં પાલવા બંદર વેપારથી ધમધમતું હતું. વહાણોમાં પરદેશથી માલ આવતો અને અહીંનો માલ, મુખ્યત્વે કપાસ, વહાણોમાં ભરાઈને પરદેશ જતો. પણ પછી આ બંદરનો વપરાશ ઓછો થતો ગયો. તેનું મુખ્ય કારણ એ કે સ્ટીમશીપ કહેતાં સ્ટીમર આવી જે અહીંના છીછરા દરિયાને કારણે એપોલો બંદર સુધી આવી શકતી નહીં, જ્યારે બીજી ગોદીઓમાં એવી સગવડ હતી. એટલે પછી એપોલો બંદરનો ઉપયોગ એલિફન્ટા જનારા સહેલાણીઓ પૂરતો મર્યાદિત રહ્યો. સ્ટીમલોન્ચ આવી તે પહેલાં નાની સ્ટીમર એપોલોથી થોડે દૂર દરિયામાં ઊભી રહેતી. પાલવાથી શઢવાળાં વહાણ મુસાફરોને સ્ટીમર સુધી લઈ જતાં. એ જ રીતે એલિફન્ટા ટાપુથી થોડે દૂર સ્ટીમર ઊભી રહેતી. મુસાફરો ઊતરીને વહાણમાં બેસીને કિનારે જતા. પછી સ્ટીમલોન્ચ આવતાં આ મુસાફરી સરળ બની. વહાણની જરૂર રહી નહિ. આજે પણ એપોલોથી એલિફન્ટાની સ્ટીમલોન્ચ ચોમાસાને બાદ કરતાં નિયમિત રીતે ચાલે છે.

સર જમશેદજી તાતા

એપોલો બંદર નજીક આવેલી બે ઇમારતો દેશમાં જ નહિ, દુનિયામાં જાણીતી છે, પણ એ બંને વીસમી સદીની પહેલી પચ્ચીસીમાં બંધાયેલી છે, જ્યારે પાલવા બંદર કંઈ નહિ તો ૧૮મી સદી કરતાં જૂનું છે જ. આ બે ઈમારતમાંની પહેલી તાજ મહાલ પેલેસ હોટેલ, જે સર જમશેદજી તાતાએ બંધાવેલી. તેનું ઉદ્ઘાટન ૧૯૦૩ના ડિસેમ્બરની ૧૬મી તારીખે થયું હતું. ખાસ નોંધપાત્ર વાત એ છે કે આ હોટેલના મકાનના સ્થપતિ બે હિંદીઓ હતા: સીતારામ ખંડેરાવ વૈદ્ય અને ડી.એન. મિરઝા. મકાનનું બાંધકામ ખાનસાહેબ સોરાબજી રતનજી કોન્ટ્રેકટરે કર્યું હતું. અને એ બાંધવાનો ખરચ થયો હતો અઢી લાખ પાઉન્ડ, જે એ વખતે અધધ રકમ ગણાય. આજે આપણને નવાઈ લાગે, પણ એ વખતે જમશેદજીની બહેનોએ આ હોટેલ બાંધવાનો વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું આપણા મોભાદાર કુટુંબનો નબીરો ભટારખાનું ખોલે તો તો ખાનદાનની આબરૂ પાણીમાં જાય. મુંબઈની આ સૌથી મોંઘી હોટેલ શરૂ થઈ ત્યારે તેના રૂમનું એક દિવસનું ભાડું હતું રૂપિયા દસ! અને પંખાવાળો રૂમ જોઈએ તો ત્રણ રૂપિયા વધારે આપવાના! અને છતાં શરૂઆતમાં હોટેલ લગભગ ખાલી રહેતી. કારણ? ‘દેશી’ઓને એ બહુ મોંઘી લાગતી. અને ગોરાઓને આ ‘દેશી’ હોટેલનો ભરોસો પડતો નહોતો. તેઓ તો ગોરાઓની માલિકીની હોટેલ જ પસંદ કરતા. પણ એકવાર બિકાનેરના મહારાજા આ હોટેલમાં ઊતર્યા તે પછી તવંગર લોકોને ભરોસો બેઠો અને તેઓ અહીં ઉતરવા લાગ્યા. પછી તો ૧૯૧૧માં પ્રિન્સ ઓફ વેલ્સ અને ક્વીન મેરી મુંબઈ આવ્યાં ત્યારે તેમના માનમાં આ હોટેલમાં બેન્કવેટ યોજાયું હતું. પહેલા વિશ્વ યુદ્ધ વખતે આખી હોટેલને હોસ્પિટલમાં ફેરવી નાખવામાં આવી હતી. લગભગ બે દાયકા સુધી શ્રીમતી સરોજિની નાયડુ મુંબઈ આવે ત્યારે આ હોટેલમાં, અને તેના એક ચોક્કસ રૂમમાં જ ઉતરતાં. એક એવી વાયકા પ્રચલિત છે કે ભૂલ ભૂલમાં આ હોટેલ મૂળ યોજના કરતાં ઊંધી બંધાઈ ગઈ છે. પણ હકીકત એ છે કે તે બંધાઈ ત્યારે દરિયા કિનારાને અડીને આવેલી હતી. એટલે દેખીતી રીતે જ તેનો મુખ્ય દરવાજો બીજી બાજુ, આજે જ્યાં સ્વીમિન્ગ પૂલ છે એ તરફ હતો. પણ પછી સરકારે ગેટવે ઓફ ઇન્ડિયા બાંધવાનું નક્કી કર્યું ત્યારે હોટેલની પાછળનો દરિયો પૂરીને જમીન મેળવી, અને એટલે દરિયો હોટેલથી  દૂર ગયો. અને મુખ્ય દરાવાજો દરિયા કિનારા તરફ ખસેડાયો. 

દરિયા કિનારાને અડીને બંધાયેલી તાજ મહાલ હોટેલ

હા, જી. આ તાજ મહાલ હોટેલ ગેટવે ઓફ ઇન્ડિયા કરતાં વધુ જૂની છે. ૧૯૧૧ના ડિસેમ્બરની બીજી તારીખે પ્રિન્સ ઓફ વેલ્સ અને ક્વીન મેરી એપોલો બંદર પર ઊતર્યાં ત્યારે ગેટવે ઓફ ઇન્ડિયા બંધાયો નહોતો. માત્ર પૂંઠાનો ગેટવે ઊભો કરી દેવામાં આવેલો. ગેટવેનું બાંધકામ તો છેક ૧૯૧૫માં શરૂ થયું. અને ૧૯૨૪ના ડિસેમ્બરની ચોથી તારીખે તેને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. આ ઇમારત બાંધતાં કુલ ૨૧ લાખ રૂપિયાનો ખરચ થયો હતો. પણ તે બાંધવામાં જ બજેટમાંના બધા પૈસા વપરાઈ ગયા એટલે મૂળ યોજનામાં ગેટવે સામે જે ભવ્ય રસ્તો બાંધવાની યોજના હતી તે રસ્તો બાંધવાનું પડતું મૂકવું પડ્યું હતું! આજે પણ ગેટવેની બરાબર સામે રસ્તો જ નથી. તેની આસપાસના દરિયા કિનારામાં થોડો ફેરફાર કરીને જે પ્રોમોનેડ બંધાયો તે જ અવરજવર માટે વાપરવો પડે છે. મૂળ યોજનામાં ગેટવે સામેના રસ્તાની વચ્ચોવચ રાજા પંચમ જ્યોર્જનું કાંસાનું પૂતળું મૂકવાનું ઠરાવ્યું હતું તે પૂતળું તો મૂકવામાં આવ્યું જ. આઝાદી પછી શહેરમાંનાં બીજાં બ્રિટિશરોનાં પૂતળાં કાઢી નાખવામાં આવ્યાં તેમ આ પૂતળું પણ ખસેડાયું અને તેની જગ્યાએ ૧૯૬૧ના જાન્યુઆરીની ૨૬મી તારીખે છત્રપતિ શિવાજી મહારાજનું અશ્વારોહી પૂતળું મૂકવામાં આવ્યું.

ગેટવે ઓફ ઇન્ડિયાની સામેનું રાજા પંચમ જ્યોર્જનું પૂતળું

એપોલો બંદર પર કુલ પાંચ જેટી છે. તેમાંની પહેલી ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર માટે અનામત રાખેલી છે. બીજી અને ત્રીજી જેટી જાહેર જનતા માટે છે, અને અહીંથી મોટે ભાગે એલિફન્ટા, રેવાસ, માંડવા, અલિબાગ વગેરે સ્થળોએ જવા માટે સ્ટીમલોન્ચ ઊપડે છે. ચોથી જેટી બંધ કરી દેવામાં આવી છે, અને પાંચમી ફક્ત યોટ કલબના વપરાશ માટે છે. આ ક્લબ ગેટવે અને તાજ હોટેલ, બન્ને કરતાં ઘણી જૂની છે. તેની શરૂઆત છેક ૧૮૪૬માં હેન્રી મોરલેન્ડે કરી હતી. શરૂઆતમાં તેનું નામ ફક્ત બોમ્બે યોટ ક્લબ હતું. ત્રીસ વરસ પછી, રાણી વિક્ટોરિયાએ નામની આગળ ‘રોયલ’ શબ્દ ઉમેરવાની પરવાનગી આપી હતી. આજે હવે મુંબઈની ઘણી ખરી સંસ્થાઓનાં નામમાં બોમ્બેને બદલે મુંબઈ નામ મૂકવામાં આવ્યું છે, પણ આ ક્લબ આજે ય બોમ્બે નામ સાચવીને બેઠી છે. એટલું જ નહિ, બ્રિટિશ જમાનાની ઘણીખરી નિશાનીઓ ભૂંસી નાખવામાં આવ્યા પછી આ કલબના નામમાં ‘રોયલ’ શબ્દ સચવાઈ રહ્યો છે.

રોયલ બોમ્બે યોટ ક્લબ

પોતાના નામમાં આજે પણ બોમ્બે નામ સાચવીને બેઠેલી બીજી એક ક્લબ પણ આ જ વિસ્તારમાં આવેલી છે. એ છે ધ બોમ્બે પ્રેસિડન્સી રેડિયો ક્લબ. ૧૯૨૪માં તેના લો ફ્રિકવન્સી ટ્રાન્સમિટર પરથી રેડિયો કાર્યક્રમ પહેલી વાર પ્રસારિત થયો હતો. ૧૯૨૬માં ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપનીની સ્થાપના થઈ, જેના સ્ટુડિયો  એપોલો બંદર પરના રેડિયો હાઉસમાં હતા. ૧૯૨૭ના જુલાઈની ૨૩મી તારીખે સાંજના છ વાગ્યે તેનો પહેલો કાર્યક્રમ પ્રસારિત થયો હતો. આ સ્ટેશનનું ઉદ્ઘાટન વાઈસરોય લોર્ડ ઈરવિને કર્યું હતું. પણ આ કંપની સતત ખોટમાં જતી હતી તેથી ૧૯૩૦માં બ્રિટિશ ગવર્નમેન્ટે તે લઈ લીધી હતી અને તેનું નામ બદલીને ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસ રાખ્યું હતું. ૧૯૩૮માં તેની ઓફિસ અને સ્ટુડિયો ક્વીન્સ રોડ પર આવેલા સરકારી મકાનમાં ખસેડાયાં. ૧૯૬૮ના નવેમ્બરમાં બેકબે રેકલમેશન ખાતે બંધાયેલા નવા અલાયદા મકાનમાં તે બધું ખસેડાયું. ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસનું નામ પછીથી બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું, જે આઝાદી પછી બદલાઈને આકાશવાણી થયું.   

આ તો હજી પાશેરામાં પહેલી પૂણી થઈ. આવા તો બીજાં ઘણાં બંદર છે મુંબઈમાં. જાવું જરૂર છે, બંદર છો ઘણાં છે.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 13 માર્ચ 2021

Loading

ઉકેલ

રવીન્દ્ર પારેખ|Opinion - Short Stories|13 March 2021

‘આ ઠીક નથી !’ આરતી બોલી.

‘હું પણ સમજું છું, પણ …’

આશય આગળ બોલી ન શક્યો. એ જાણતો હતો કે આરતી ખોટી નથી, પણ પપ્પાને કંઈ પણ કહેવાની તેની હિંમત નો’તી.  

એને સમજાતું નો’તું કે પપ્પાને રોકવા કઈ રીતે? આજ સુધી પપ્પાએ કોઈ વાતે આશયને રોક્યો નો’તો. તે આરતી જોડે પરણવાની વાત લઈને આવ્યો ત્યારે મમ્મીએ સાફ ના પાડી દીધેલી, ’એ મરાઠી છોકરી આપણને નહીં ચાલે. એનાં આમટી ને અનારસા …’

પણ, પપ્પાએ મમ્મીને સમજાવેલી, ’દીકરાએ આપણને જાણ કરી તે એણે ભૂલ કરી છે? એને આશીર્વાદ આપ!’

‘પણ, એના ખંડોબા ને હલદીકુંકુ … એના રીતરિવાજો ને …’

‘એ બધું હોય છે તો જીવવા માટે જ ને? અહીં આવીને આપણું શીખી જશે ને ન શીખે તો ભલે ! એની સાથે જીવવાનું આશયે છે … એને વાંધો ન હોય તો …’

– ને મમ્મી માની ગયેલી. એણે આશિષ આપેલા આરતીને!

એ આરતી કહેતી હતી, ‘આ ઠીક  …’

આમ તો કશું નક્કી નો’તું, પપ્પાએ તો જસ્ટ એક વિચાર મૂક્યો હતો, ’આશય, બેટા, મને એવું થાય છે કે … હું …’ પપ્પા અટકેલા.

આશય બોલેલો, ’બોલી નાખો, અતુલભાઈ! તમે વળી અચકાતા ક્યારથી થયા?’

પણ અતુલભાઈ ખરેખર અચકાયેલા. વાત જ એવી હતી કે –

એ સાચું હતું કે કોઈ વાતે કંઈ ઓછું નો’તું. આશય બધી જ જરૂરિયાતો પૂરી કરતો હતો. અતુલભાઈ ઘણીવાર કહેતા પણ ખરા, ‘મારાં પેન્શનમાંથી લઈ લેને ! તું શું કામ આપે, મારું બિલ? લે, આ ડેબિટકાર્ડ!’

આશય એ કાર્ડ લેતો નહીં, ગમ્મત કરતો, 'આજે નથી લેતો, કારણ,પછી તો બધું મારું જ …’બંને હસતા. આરતી પણ હસતી, ‘પપ્પા, તમારો દીકરો જ નથી ઈચ્છતો કે તમે લાંબું …’

‘તું છે, પછી એ એવું ઈચ્છી જ કઈ રીતે શકે?’

‘પપ્પા !’ આરતી ચિડાતી.

‘ગમ્મત કરું છું, દીકરા !’ અતુલભાઈ હસતા.

‘દીર્ઘાયુ ભવ !’ આરતી પણ આશીર્વાદની મુદ્રામાં હાથ ઊંચો કરતી ને સૌ હસતાં.

આરતી ઘણીવાર તેના પિયરમાં કહેતી પણ ખરી, ’મને તો લાગતું જ નથી કે મલા સાસરે આહે … એમ લાગે છે કે એક પપ્પા માહેરમાં છે ને એક સાસરીમાં ..’ પછી ઉમેરતી, ’પપ્પા સામે કહેતા સંકોચ થાય, પણ સાસરીના પપ્પા સામે? જરા ય નહીં!’

એ આરતી કહેતી હતી, ‘આ ઠીક …’

*

ડોરબેલ વાગ્યો. અતુલભાઈ વોટ્સ એપ મેસેજ ટાઈપ કરતા કરતા ઊઠ્યા. બારણું ખોલ્યું, ’આવી ગયો, બેટા?’

‘હા, દાદા, તમે જમી લીધું?’

‘ના. તારી રાહ જોઉં છું, બેટા !’

‘હું જમીને આવ્યો છું. કાલે કહેલું તો ખરું! સ્કૂલમાં પાર્ટી છે -’

‘અરે ! હું તો ભૂલી જ ગયો.’

‘તમારી થાળી કરી આપું?’

‘તું થાળી કરશે?’ અતુલભાઈ હસી પડ્યા,’ રહેવા દે, હું લઈ લઈશ ! તારે ટયૂશને જવાનું હશે ને!’

‘વાર છે, પણ માસીને ત્યાં જાઉં છું. ત્યાંથી જ ટ્યૂશને -’

‘તું જપીશ જરા? ઘરમાં તો ટકતો જ નથી. મારી પાસે થોડું બેસે તો …’

‘દાદુ, પાસે બેસીશને તો તમે મેસેજ સેન્ડ નહીં કરી શકો.’

‘તું બેસે તો મારે મેસેજ કરવા જ શું કામ પડે? નાનો છે તો નાનો જ રહે ને!’ અતુલભાઈ હસવા ગયા, પણ હસાયું નહીં, ‘સારું, ધવલ, જ્યાં જવું હોય ત્યાં જા, પણ પાણી પીને જા!’

‘સારું’, બોલતો ધવલ ગયો ને અતુલભાઈ વોટ્સ એપ લઈને બેઠા. થોડા મેસેજ એમણે ડિલિટ કર્યા. વોલક્લોકમાં એક વાગ્યો હતો … હજી એક જ …?’

અતુલભાઈથી નિસાસો નખાઈ ગયો. રસોડામાં કારણ વગર એમ જ આંટો મારી આવ્યા. ડ્રોઈંગરૂમમાં જઈ આવ્યા તો લાગ્યું કે ત્યાં પણ ત્રણેક આંટા તો થયા જ હતા. નેટ બંધ હતું એટલે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામનું ઠેકાણું પડ્યું ન હતું. જો કે મોબાઈલમાં પણ એ બધું હતું જ, પણ આંખો બહુ ખેંચાતી હતી. હવે ૭૮ વર્ષની આંખો તો કેવીક હોય? એટલું સારું હતું કે દેખાતું તો હતું, પણ એ દેખાતું ન હતું કે પોતે વિચારે છે તે બરાબર …

*

આશયને કહેવા તો ગયા અતુલભાઈ, પણ એને બેંકમાં જવાનો ટાઈમ થતો હતો ને આરતી તો વહેલી જ નીકળી ગઈ હતી એટલે સાંજે એ આવ્યો ત્યારે કહેવાની કોશિશ કરી જોઈ, પણ આરતી આવી ચડી એટલે વાત અટકી. આરતી સમજી ગઈ ને રસોડામાં જતી રહી ત્યારે માંડ જીભ ઊપડી હતી. અતુલને પહેલાં તો ભરોસો જ ન પડ્યો કે પપ્પા આવી વાત કરશે ! એણે રાત્રે અંધારામાં આરતીને કહ્યું તો આરતીએ સ્વિચ ઓન કરી. આશયને એણે ધારીને જોયો. એ પૂરો ગંભીર હતો.

‘આ ઠીક નથી!’ આરતી બોલી હતી.

*

એક રાતે અતુલભાઈને એકદમ જ સણકો ઊઠ્યો ને પછી પીઠમાં એટલું દુખ્યું કે મરવાથી થોડુંક જ છેટું રહી ગયાનું લાગ્યું. એમને થયું ય ખરું કે આશયને બૂમ મારીને ઉઠાડે, પણ એ દિવસોમાં એ ટ્રેઈનિંગમાં હતો એટલે મોબાઈલ થઈ ગયો તે પણ કટ કર્યો. જાતે કોશિશ તો કરી, પણ હાથ દુખાવા સુધી પહોંચતો નો’તો. ક્રીમ આંગળી પર લીધું ય ખરું, પણ હાથ ટૂંકો જ પડ્યો. આરતીને ઉઠાડવાનો વિચાર આવ્યો. આમ તો બાજુની રૂમમાં જ હતી, એમણે નંબર પણ લગાડ્યો, પણ ઠીક ન લાગતા અટક્યા. જીવ નીકળી જશે એવું લાગ્યું, પણ વેઠવાનું જ હતું એટલે …

સવારે આરતીને કહ્યું ય ખરું, ‘કાલે રાતના એટલું દુખ્યું કે -‘

‘મને ઉઠાડવી’તી ને!’

‘તને જગાડવાનું ઠીક ન લાગ્યું.’

‘મારા પપ્પાએ ઉઠાડી હોત તો એમને ના પાડી હોત?’ આરતી હસી પડી,’ કાય તુમી પણ, પપ્પા!’

‘પણ પીઠ પર ક્રીમ …’

અતુલભાઈએ વાત હસવામાં ઉડાવી દીધી. જો કે એ આખી રાત અતુલભાઈને સતત એમ જ થયું હતું કે આવે વખતે આશયે અહીં હોવું જોઈતું હતું, પણ એ નો’તો ને … આરતીને કહ્યું હોત તો એણે ના ન પાડી હોત, પણ મોડી રાતે જીભ ઊપડી નો’તી.

જો કે દિવસે કહેવાનું હોત તો પણ જીભ ઊપડી હોત કે કેમ તે …

ને કહેતે પણ કોને? કોઈ હોવું ય જોઈએ ને ! અગિયારેક પછી તો ઘરમાં જ કોઈ … આશય ને આરતી તો નોકરીએ નીકળી ગયાં હોય ને ધવલ સ્કૂલે હોય એટલે …

એ તો સારું હતું કે મોબાઈલ હતો તો ફેસબુક કે વોટ્સએપ પર ચેટિંગમાં વખત જતો હતો. બેચાર સારા મિત્રો મળી ગયા હતા સોશિયલ મીડિયા પર, પણ એ પણ આરસીમાં દેખાતા ચહેરા જેવું જ હતું. આરસી સામે હો એટલી જ વખત સામે કોઈ હોય, પછી તો એ ય ખાલી જ –

આવે વખતે કોઈ ઘરમાં હોય તો બે ઘડી …

પહેલી વાર વિચાર આવ્યો તેવો જ દાબ્યો, સજ્જડ રીતે. પોતાને જ એટલું અજુગતું લાગ્યું કે ….

પછી બહુ જ નિર્મમતાથી વિચારતાં લાગ્યું કે કમસે કમ દીકરાને કાને વાત તો નાખવી જ જોઈએ ને એમણે કહ્યું જ, ‘આશય મને એમ લાગે છે કે -‘

અતુલભાઈ અચકાયા. આશયે કહ્યું પણ ખરું, ‘બોલી નાખો, અતુલભાઈ! તમે વળી અચકાતા -‘

*

રાત્રે આરતીને કહ્યું, ‘પપ્પા લગ્ન કરવાની વાત કરે -’

આરતીએ સ્વિચ ઓન કરી, ’ગમ્મત કરે છે?’

‘ના.’

‘આ ઠીક નથી,’ આરતી બોલી.

‘હું પણ સમજું છું, પણ -‘

‘આ ઉંમર લગ્નની છે?’

‘નથી જ. લગ્નની ઉંમરે પણ ન પરણ્યા. એકાવનના હતા, મમ્મી ગઈ ત્યારે.’

‘ત્યારે કૈંક ઠીક પણ હોત!’

‘એ ઠીક એમણે ન કર્યું ને છેક આ ઉંમરે -‘

‘ઠીક નથી!’

*

ધવલ રમવા ગયો હતો ને આવતાંની સાથે જ આશયે વાત છેડી હતી, ‘પપ્પા, હું જાણું છું કે તમે વિચાર્યું જ હશે, પણ આ ઉંમરે લગ્ન-‘

‘તને એમ લાગે છે કે હું પિતા બનવા આવું …’

‘એવું નથી,પપ્પા,’ આરતી સોફા પર સામે બેસતાં બોલી, ‘કારણ ગમે તે હોય, પણ આ ઉંમરે પરણો તો વાતો તો થાય.’

‘તે તમે પરણ્યાં ત્યારે ય ક્યાં નો’તી થઈ?’ અતુલભાઈ ટેવ જેવું હસ્યા.

‘અમારી વાત જુદી હતી,પપ્પા.’ આશયે સમજાવવાની કોશિશ કરી જોઈ,’ પ્રશ્ન ઉંમરનો છે.’

‘તે તો ઘટે એમ નથી.’ અતુલભાઈ વળી હસ્યા.

‘માઝે વડીલ કરતાં તમને મેં વધારે માન્યા છે,’ આરતીએ બહુ જ ભાવથી કહ્યું, ‘તમને શું ઓછું પડ્યું કે -‘

‘કૈં જ ઓછું નથી પડ્યું, આરતી, તમે લોકો પૂરતું ધ્યાન રાખો જ છો, પણ એમ લાગે છે કે મારે -‘

‘વારુ, કોઈ પાત્ર નક્કી કર્યું છે? કોઈ જોડે વાત કે એવું કંઈ …?’

અતુલભાઈ હળવાશથી બોલ્યા, ’કંઈ નક્કી કરી બેઠો છું એવું નથી, આશય ! ધારો કે તમે લોકો ‘હા’ પાડો તો પણ, એ નથી જાણતો કે શું કરીશ? કોઈ મને પરણવા તૈયાર થશે કે કેમ એ પણ … ને મારી તૈયારી હોય તો પણ સામે …?  અરે !  કોઈ તૈયાર થશે પણ કે કેમ તે …’

‘તો પછી કેમ આવું વિચારો છો?’

‘ઓકે. નથી વિચારતો, બસ!’

અતુલભાઈએ પૂર્ણવિરામ મૂકી દીધું ને પોતાની પાછળ ફરીને જોયું. ક્યાંક કોઈ ઉગ્રતા તો નથી આવી ગઈને, અવાજમાં ! પણ એવું નો’તું. આશય સામેથી ઊઠીને અતુલભાઈની પાસે બેઠો. એમનો હાથ હાથમાં લીધો. બહુ જ વહાલથી એમની હથેળી પોતાની હથેળીઓ વચ્ચે હળવેથી દબાવી, ’પપ્પા, તમે અમારું સારું જ કર્યું છે. મમ્મીને ગયાંને ૨૭ વર્ષ થયાં ત્યારે તમે પરણી શક્યા હોત, પણ ત્યારે તમને ઠીક ન લાગ્યું ને આજે -’

‘અમારી ત્યારે ય ના ન હતી ને આજે ય નથી, પપ્પા.’ આરતીએ પૂરા સદ્દભાવથી કહ્યું.

અતુલભાઈએ આરતીની સામે જોયું. પછી આભારવશ હસ્યા. આશય કશુંક પૂછવા જતો હતો પણ  અટક્યો. અતુલભાઈએ એ જોયું ને એનો સવાલ કળી ગયા હોય તેમ સ્વગત બોલ્યા, ‘તમે કોઈ નથી હોતાં એવા ઘણા કલાકો હું ઘરમાં વીતાવું છું. મને ખબર છે કે કોઈ મને એકલો પાડવા માંગતું નથી,  પણ …’ અતુલભાઈના અવાજમાં ભીનાશ ઊતરી આવી, ’હું બહુ એકલો …’

ચારે તરફથી આ ત્રણની વચ્ચે મૌન આવીને ગોઠવાઈ ગયું ને પળવારમાં તો બરફની જેમ જામવા માંડ્યું. અતુલભાઈને એમ પણ લાગ્યું કે વચ્ચે ખડક થઈ ગયું તો મૌન તોડવાનું પછી અઘરું થઈ પડશે. એટલે ડૂસકું બનવા લાગે તે પહેલાં જ તે બોલ્યા, ‘તમે સૌ મારા છો, તો ય એવું લાગે છે કે કોઈ મારું …’

‘પપ્પા,’ આરતીને કંઈક સમજાતું હતું, પણ તેના શબ્દો બનતા ન હતા, તો ય બોલી,’ હું નોકરી છોડી દઉં, પપ્પા?’

‘ના, દીકરા’, અતુલભાઈ તરત જ બોલ્યા, ’નોકરી તને ફાવે છે તો -’

‘ફાવે એટલે ન છોડાય એવું નથી.’ આરતી મલકાઈ.

‘તને યાદ છે ને તે રાત્રે મને દુખાવો ઉપડ્યો ત્યારે તું ઘરમાં જ હતી, પણ …’

ત્યાં જ ‘મમ્મી’ બોલતો ધવલ દોડતો આવ્યો. તે રડતો હતો ને આંખો ચોળતો હતો. આશયે તેને રોકતા પૂછ્યું, ’શું થયું?’

તેને નજીક ખેંચવા તેણે હાથ લંબાવ્યા.

પણ, ઉઘાડબંધ આંખે ધવલ મમ્મી તરફ દોડ્યો ને તેને વળગી પડતા બોલ્યો, ‘નીચે મારામારી થઈ તેમાં -’

આરતીએ તેને માથે હાથ ફેરવતાં કહ્યું, ‘જોવા તો દે,’ ને તેની આંખો જોવા લાગી,’ થેંક ગોડ ! આંખો તો ઠીક  છે … ’

‘બધું ઠીક થઈ જશે’, અતુલભાઈએ હસતા હસતા કહ્યું, ‘મમ્મીનો હાથ માથે છે પછી … ચિંતા શું કરે છે …?’

આશય બોલ્યો તો નહીં, પણ તેને થયું તો ખરું કે માથે હાથ ફેરવનારું કોઈ …

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : “નવનીત-સમર્પણ”નાં માર્ચ, 2021માં આવેલી વાર્તા

Loading

...102030...1,9671,9681,9691,970...1,9801,9902,000...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved