Opinion Magazine
Number of visits: 9680473
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ મુશ્કેલ સમયમાં (54)

સુમન શાહ|Opinion - Opinion|21 April 2021

આજકાલ ભારતમાં ભમી રહ્યો છે એ કોરોના મહા રાક્ષસ છે. નાનપણમાં ‘ટચૂકડી ૧૦૦ વારતાઓ’-ની ચૉપડી વાંચેલી. એમાં કેટલીયે વારતાઓમાં રાક્ષસની વાત આવે, બોલતો ને હાંફતો ને ધૂણતો ને ફાંફાં મારતો જતો હોય – માણસ ગંધાય માણસ ખાઉં, માણસ ગંધાય માણસ ખાઉં. આ કોરોના એવો છે, કહો કે એથીયે ભૂંડો છે.

‘ધ વૉશિન્ગ્ટન પોસ્ટ’ આજે લખે છે કે ભારતમાં કોરોનાનો ઉછાળ અતિ ગમ્ભીર સ્વરૂપ પકડી રહ્યો છે. એ વિશ્વવ્યાપી ત્રીજો નવો ચેપ છે. સૂરતના એક સ્મશાનગૃહે એ છાપાના પ્રતિનિધિને જણાવ્યું કે રોજ ૧૦૦ શબ આવે છે, અમારી ચિમનીઓના સ્ટિલના બે પાઇપ નિરન્તરના વપરાશે કરીને પીગળી ગયા છે …

કોરોના-કોવિડની માહિતી WorldOmeter દર્શાવે છે :

વિશ્વમાં : કુલ કેસ : ૧૪,૩૧,૦૩,૭૯૫ : કુલ મૃત્યુ : ૩૦,૪૮,૯૦૧

ભારતમાં : કુલ કેસ : ૧,૫૫,૨૮,૧૮૬ : : નવા કેસ : ૨,૧૩,૪૭૨ કુલ મૃત્યુ : ૧,૮૧,૮૭૦ : નવાં મૃત્યુ : ૧,૩૨૦

આ આંકડા આ ક્ષણના છે, લખાતાં, પ્રકાશિત થતાં અને વંચાઈ રહેતાં, વધ્યા જ હોય, કેમ કે સર્વત્ર કોરોનાસંલગ્ન તમામ આંકડા નિત્યવર્ધમાન છે – સરકારો ખોટા આપે ને છાપાં છાપે, તે પછી પણ.

પહેલા વિશ્વયુદ્ધમાં ૨૦ મિલિયન મૃત્યુ થયેલાં, બીજમાં ૭૫ મિલિયન. ૧ મિલિયન = ૧૦ લાખ. આ આંકડા કોરોનાના આંકડા કરતાં મોટા છે !

કોરોનાને ઈશ્વરદત્ત ગણીએ ને યુદ્ધને માનવસરજિત કહીએ તો બધા દોષ સંસ્કૃતિઓમાં, સભ્યતાઓમાં અને પ્ર-ગતિશીલ આાચરવિચારમાં જોવા જોઈશે. કોરોનાને મૅનમેડ કહેવાયો છે, મનુષ્ય-સરજિત. કોઈકે તો એ માટે ચિનને દોષી ઠેરવ્યું છે. આ જો સાચું હોય તો એથી વધારે નઠારું ને ઘોર અ-માનવીય શું હોઈ શકે?

જો કે, ઈશ્વરમાં માનનારા ઘણા બધાઓ રોજ પ્રાર્થનાઓ કરે છે – હે ઈશ્વર ! બહુ થયું, બસ કર. પણ ઈશ્વરમાં માનનારા કેટલાક એમ પણ કહે છે કે જે થઈ રહ્યું છે એ ઈશ્વરની જ યોજનાથી થઈ રહ્યું છે, સહી લો.

વિજ્ઞાનમાં માનનારા અને વિજ્ઞાનીય દૃષ્ટિમતિ ધરાવનારાઓ એમ કહે છે કે જે થઈ રહ્યું છે એનાં ચૉક્કસ કારણો છે. એ કારણો મળી ગયાં છે ને રસી શોધાઈ ગઈ છે. અમુક સમયના અન્તરે હર્ડ ઈમ્યુનિટી વધશે ને લગભગ બચી જવાશે. 'લગભગ' એટલા માટે કે સૌએ જીવનશૈલી બદલવી પડશે, નહીં બદલે એમના બારામાં રસી કે કોઈ પણ ઔષધ નિષ્ફળ નીવડશે.

સમાજવિજ્ઞાનીઓ પ્રજાજનોનો વાંક જુએ છે – માસ્ક પ્હૅરતા નથી, સોશ્યલ ડિસ્ટન્સ જાળવતા નથી. એ લોકો સરકારોના પણ દોષ જુએ છે – કારગત ઉપાયો કરતી નથી. પ્રજાને માટે થાય એ કરે છે પણ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે સરકારોનાં લટિયાં એકબીજાં સાથે ઘણાં ગૂંચવાયેલાં છે.

એક જ રસ્તો છે : તમામ બાબતોથી શક્ય તેટલા દૂર થઈ જવું ને બસ ઘરમાં રહેવું. પણ સામો સવાલ એ છે કે જેઓ રોજે રોજ જાતમહેનતથી કમાયા પછી જ પેટનો ખાડો ભરી શકે છે એમને તો બહાર જવું જ પડવાનું, એમનું શું? મુમ્બઈના ધારાવીમાંથી ૨૫ હજાર જેટલા શ્રમજીવીઓએ વતનની વાટ પકડી છે. સામો સવાલ એ પણ છે કે વતનમાં ય એમને આશરો કેટલો ને કેવોક મળશે.

આ બધું જણાવનારા સૌ અંશત: સાચા છે. પણ કોરોના સ્વાયત્ત છે, નિરંકુશ છે, બેફામપણે પોતાનું કામ કરી રહ્યો છે. એ સંજોગોમાં કોઈને કશું પણ ચૉક્કસ – લાજવાબ – સૂઝતું નથી એ કરુણતા છે, એ મહા મોટી વાસ્તવિકતા છે.

કાવ્યો ને ગઝલો કરવાથી ગાયનો ગાવાથી નવલકથાઓ વાંચવાથી ફિલ્મો જોવાથી ઘડીભર સારું લાગે, પણ એ એક પ્રકારે તો પલાયન જ છે; અને એ પલાયન પણ ક્યાં લગી?

મેં હમણાં જ એક ફિલ્મ જોઈ ‘ધ પિયાનિસ્ટ’. ૧૯૩૯થી ૧૯૪૫ સુધી વિસ્તરેલા બીજા વિશ્વયુદ્ધમાં એક પોલિશ પરિવાર ફસાયું હોય છે. પુત્ર, સુખ્યાત પિયાનોવાદક, વિખૂટો પડી જાય છે ને બૉમ્બાર્ડિન્ગથી ધ્વસ્ત શેરીઓમાં ને ઘરોમાં આશરા ને મદદો શોધતો અથાક ભટકે છે … વગેરે, વગેરે.

સત્તાથી થતા હજારો નિર્દોષોની નિર્ઘૃણ હત્યાઓને હું સહી શકેલો નહીં. લાઈનમાં ઊભા રાખે, તું બહાર આવ, તું બહાર આવ, કરી લાઈનની બહાર કરે ને એ દરેકને વારાફરતી ગોળી મારે. પેલાઓ ઢળી પડે. લાશોનો ઢગલો કરાય ને પછી બાળી નંખાય.

એ અમેરિકન ઍક્ટર ઍડ્રિયન બ્રોડીની સર્જકતાભરી કલાએ મને ખુશ કરેલો. બ્રોડીને આ ફિલ્મમાં ૨૦૦૩માં લીડિન્ગ રોલ માટે ઍકેડેમી અવૉર્ડ અપાયેલો, ત્યારે એ માત્ર ૨૯-નો હતો, ૧૯૭૩માં જન્મ્યો છે.

પણ છેલ્લે હું ખૂબ વ્યથિત હતો.

ધર્મ, સાહિત્ય કે કલાઓ આજે સમ્મૂઢ ભાસે છે – સત્પ્રયાસ ભરપૂર કરે છે, તો પણ. આંશિક સત્ય, જૂઠાણાં અને પોસ્ટ ટ્રુથ વચ્ચેનો ભેદ ભુસાઈ ગયો છે. આ બધાનો આડકતરો અર્થ એ છે કે માણસ ઇચ્છે તો પણ અર્થ શોધી શકતો નથી. અનર્થની આ પરમ કોટિ છે.

મેં એક ઍપિગ્રામ લખ્યો છે :

અનર્થમાં અર્થ ન શોધ
આકાશને ન માપ
અર્થ પણ ક્યારેક અનર્થ હતો
આકાશ આકાશી ખયાલ છે

= = =

(April 20, 2021: USA)

Loading

અભિવ્યક્તિની રૂંધામણને ટાઢી પાડતી નાગરિક હિલચાલ

આશા બૂચ|Opinion - Opinion|21 April 2021

‘ઓપિનિયન’ દોઢ દાયકા સુધી મુદ્રિત રૂપે, ત્રણ વર્ષ ડિજિટલ અવતારે અને છેલ્લાં સાત વર્ષથી ઓનલાઇન સામાયિક રૂપે સતત પ્રગટ થતું રહ્યું. તેની સર્વસમાવેશી નીતિ અને લેખકોની સ્વાયત્તતા જાળવી રાખવાનું ધ્યેય દાદ માગી લે તેવું ખરું. નિબંધો, લેખો, કાવ્યો અને વાર્તાઓનાં માધ્યમથી ડાયસ્પોરિક સાહિત્યને સંગોપીને સુરક્ષિત રાખવાનું કાર્ય પા સદીથી ચાલ્યું આવે એ નાની સૂની સિદ્ધિ નથી. તે માટે તેના સંસ્થાપક અને સંચાલક તેમ જ તેને ધબકતું રાખનારા સહુ ધન્યવાદને પાત્ર ઠરે.

સાહિત્ય, પત્રકારત્વ અને સામૂહિક પ્રસાર માધ્યમો વિચારોને અભિવ્યક્ત કરવાનાં  સબળાં  માધ્યમો. કુદરતે વિચારશક્તિ અને તેને વ્યક્ત કરવા વાચાની બક્ષિસ આપીને માનવીને પોતાની જરૂરિયાતો, લાગણીઓ અને મંતવ્યોની અભિવ્યક્તિનો જન્મસિદ્ધ અધિકાર આપી જ દીધો છે. હા, એક સામાજિક પ્રાણી હોવાને કારણે દરેક વ્યક્તિ બાળક મટી કિશોર અને પુખ્ત વયનો થાય ત્યાં સુધીમાં બીજાના અધિકારોની સુરક્ષા કરતા શીખે, જેને આપણે સંસ્કાર ઘડતર કહીએ છીએ. વિચાર અને વાણીને સંયત કરવાની પ્રક્રિયા સ્વૈચ્છિક હોય તેને મુક્ત જીવન કહેવાય. કેટલાક રૂઢિગ્રસ્ત કુટુંબો અને સમાજ વ્યવસ્થામાં વ્યક્તિગત અભિવ્યક્તિને પણ ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાને નામે રૂંધી નાખવામાં આવે છે. તેવે વખતે વ્યક્તિઓ કે સમાજ તેના વિરુદ્ધ અવાજ ઉઠાવે અને આંદોલનો કરે તેની ગવાહી ઇતિહાસના પાને નોંધાયેલી છે.

રહી વાત જાહેરમાં પોતાના વિચારો અને મંતવ્યોને અભિવ્યક્ત કરવાના સ્વાતંત્ર્યની. લોકશાહી શાસન ધરાવતા દેશોના નાગરિકોને મન મુક્તપણે વિચારો ધરાવવાના અને વ્યક્ત કરવાના અધિકારોનું મૂલ્ય અત્યાધિક હોય છે. આ અધિકારની સુરક્ષાની જોગવાઈ ભારતના બંધારણ તેમ જ આંતરરાષ્ટ્રીય કરારો, કે જેનું ભારત ભાગીદાર છે તેમાં છે જ.

આથી જ તો સ્વતંત્રતા બાદ રાજકારણીઓ, કર્મશીલો અને આમ જનતા પણ કોઈ પણ લાગતા વળગતા મુદ્દાઓ ઉપર સમાચારપત્રો, રેડિયો, ટેલિવિઝન અને હવે તો ઈન્ટરનેટ તેમ જ સોશ્યલ મીડિયા મારફત છૂટથી ચર્ચા કરે છે. છેલ્લાં 70 વર્ષથી મોટા ભાગની સરકારોએ નાગરિકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા જાળવી રાખવાના અધિકારોની જાળવણીનો આપેલ કોલ અકબંધ સાચવ્યો છે; સિવાય કે એક બે અપવાદો બાદ કરતાં. ખાસ કરીને તાજેતરની રાજ્ય અને કેન્દ્ર સરકારો આ મૂલ્યોને જાળવવા વચનબદ્ધ નથી રહી તે એક હકીકત છે. પ્રજા જ્યારે પોતાના અધિકારોની માગ શાંતિપૂર્ણ માર્ગે કરતી હોય ત્યારે તેને અટકાવવા દમનકારી પગલાં ભરવાં, કઠોર કાયદાઓ બિનબંધારણીય રીતે ઘડવા, અને નાગરિકોના અસંતોષને વ્યક્ત કરતા અવાજને દબાવી દેવા માટે મધ્યયુગીન વિચારો પર આધારિત દેશદ્રોહ અને બદનક્ષીના દાવાઓ ઉપયોગમાં લેવા, તે વિચાર અને વાણી સ્વાતંત્ર્યને રૂંધીને પ્રજાને અવાચક બનાવી દેવાની જ યુક્તિ છે.

વિચાર અને વાણી સ્વાતંત્ર્ય બંધારણીય માર્ગે ઘડાયેલા કાયદાની દેણગી હોવાને કારણે તેને રાજકારણીય રંગ તો ચડવાનો જ. સાહિત્ય સર્જન, પત્રકારત્વ અને અને પ્રસાર માધ્યમોનાં ક્ષેત્રોમાં વ્યવસાય કરનારાઓને અભિવ્યક્તિની રૂકાવટની સહુથી વધુ ઘેરી અસર થાય. સાહિત્ય સર્જન ક્ષેત્રે તેની સ્વાયત્તતા પર થયેલ દખલગીરી પર નજર કરીએ.

1981માં ગુજરાત સરકાર દ્વારા ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ની સ્થાપના થઇ. મૂળે તો સાહિત્યના સંરક્ષણ અને સંવર્ધનનો હેતુ. અકાદમી સ્વાયત્ત સંગઠન હોવાથી તેના અધ્યક્ષની ચૂંટણી સામાન્ય સભાના સભ્યોના મતદાનથી થતી. અનેક નામાંકિત સાહિત્યકારોએ અકાદમીનું અધ્યક્ષ પદ શોભાવેલું. 1991માં સ્વ. મનુભાઈ પંચોલીની નિમણૂક સરકાર દ્વારા કરવામાં આવી. દર્શક બીજી મુદ્દત માટે બિનહરીફ ચૂંટાઈ આવેલા અને તેમના પછી પણ અકાદમીને ચૂંટાયેલા પ્રમુખો મળેલા. તેમણે પોતાના કાર્યકાળ દરમ્યાન અન્ય સાહિત્યકારોનો સાથ લઈને સ્વાયત્ત અકાદમીનું બંધારણ ઘડ્યું, જે મંજૂર પણ થયું. મુશ્કેલી એ થઇ કે બંધારણ ધારાસભામાં પસાર થયેલું ન હોવાથી તેને સરકાર બદલી શકે તેમ હતું; અને થયું પણ તેમ જ. મનુભાઇના કાર્યકાળ દરમ્યાન અર્જિત થયેલી મહત્તમ કક્ષાએ પહોંચેલી સ્વાયત્તત હાથમાંથી સરી ગઈ. 2003થી 2015 સુધી સરકારે ચૂંટણીનું આયોજન ન કર્યું હોવાને લીધે કામ ચાલુ રજિસ્ટ્રાર અને ખેલકૂદ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સેક્રેટરી દ્વારા અકાદમીનું સંચાલન થતું રહ્યું. 2015માં ગુજરાતીના લેખક અને નિવૃત્ત આઈ.એ.એસ. ઓફિસર ભાગ્યેશ ઝ્હાની ચૂંટણી યોજ્યા વિના નિમણૂંક થઇ. તેના પ્રતિભાવ રૂપે ગુજરાતી સાહિત્ય પરિષદ અને બીજા નામાંકિત સાહિત્યકારોની આગેવાની હેઠળ Autonomous Academy Agitation – સ્વાયત્ત અકાદમી આંદોલન શરૂ થયું.

ગુજરાતી સાહિત્ય પરિષદે વિરોધ નોંધાવવા અકાદમીની પ્રવૃત્તિઓનો બહિષ્કાર કર્યો 2016માં કવિ હર્ષ બ્રહ્મભટ્ટે અકાદમીએ આપેલ પુરસ્કાર સ્વીકારવાનો ઇન્કાર કર્યો તથા અન્ય લેખકોએ પણ પોતાને મળેલ પુરસ્કારો પરત કર્યા. ધીરુ પરીખ અને બીજા લેખકોએ ગુજરાત હાઇકોર્ટમાં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશનની અરજી દાખલ કરી. બિપિન પટેલે અકાદમીની સ્વાયત્તતાને પુનઃ સ્થાપિત કરવા વિશેની સરકારની નિષ્ક્રિયતાને કારણભૂત ગણાવીને પોતાના વાર્તા સંગ્રહ ‘વાંસના ફૂલ’ માટે મળનાર પુરસ્કારનો અસ્વીકાર કર્યો. એક બળૂકી સાહિત્ય સંસ્થાની સ્વાયત્તતા ઝુંટવી લેવાના સરકારના પ્રયાસો સામે લેખક સમુદાયે અસરકારક જવાબ વાળ્યો.

જેમ એક સાહિત્ય સંગઠનની સ્વાયત્તતા જોખમાઈ તે રીતે એક કરતાં વધુ લેખકો અને પત્રકારોની સત્યદર્શી પરંતુ ધારદાર કલમે તેમના જાન લીધાના બનાવો પણ બન્યા, જે એક લોકશાહી દેશ માટે અત્યંત શરમજનક ઘટના કહેવાય. છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતનાં લેખકો, કર્મશીલો અને પત્રકારોને ધાર્મિક અને રાજકીય અસહિષ્ણુતા સામે લડાઈ આપવી પડે છે. અંતિમવાદી વિચારો ધરાવતા સમૂહોની અસહિષ્ણુતા અને વાણી સ્વાતંત્ર્ય ઉપરની તરાપ સામે વિરોધ નોંધાવવા 40થી વધુ સર્જકોએ સાહિત્ય પુરસ્કારો પરત કર્યા એ જાણીએ છીએ.

ડૉ. કાલબુર્ગી કર્ણાટકના ઉદાર અને મુક્ત મત ધરાવનાર લેખક

તેમની વિદ્વત્તા હકીકતો સાથે તડજોડ ન કરનારી હોવાને લીધે લિંગાયત જ્ઞાતિના સભ્યોને તેમની કલમ દુભવી જતી. 2014માં તેઓએ હિન્દુ ધર્મમાં પ્રચલિત અંધશ્રદ્ધા વિરુદ્ધ મત દર્શાવ્યો, જેનો અનર્થ કરીને તેમને મૂર્તિપૂજા વિરોધી ગણવામાં આવ્યા. પોતાના વક્તવ્યને પાછું ખેંચી લીધા બાદ કાલબુર્ગીએ કહેલું, “મેં મારા પરિવારની સુરક્ષા ખાતર આમ કહેલું, પરંતુ તે જ દિવસે મેં બૌદ્ધિક આત્મહત્યા કરી.” જ્યારે કોઈ વિદ્વાનને પોતાના વિચારો વ્યક્ત કરવા આવી યાતના સહન કરવી પડે અને આખરે જિંદગીનો સોદો કરવો પડે એ તો વાણી સ્વાતંત્ર્યનું ગળું ઘૂંટવા બરાબર છે તે નિઃશંક છે. અલબત્ત, કાલબુર્ગીની હત્યા બાદ ઘણા રાજકીય નેતાઓ, કર્મશીલો અને વિદ્યાર્થીઓએ વિરોધ દર્શાવેલો. તે ઉપરાંત ઉદય પ્રકાશ, નયનતારા સહગલ અને ચંદ્રશેખર પાટિલ જેવાં માનનીય લેખકોએ પોતાના સાહિત્ય પુરસ્કારો પરત કરવાના કારણમાં જણાવેલું કે જે લોકો શાસન કરનારા પક્ષના આદર્શો સાથે સહમત ન થાય તેમની હત્યા કરવામાં આવે છે. આ વિધાન તેમની વેદનાને ઘનીભૂત કરે છે. આ ઉપરાંત અકાદમીના ઉચ્ચ પદાધિકારીઓએ રાજીનામાં આપીને વાણી સ્વાતંત્ર્યની મહત્તાનું માન જાળવ્યું. 77 વર્ષીય નિર્ભય અને સિદ્ધહસ્ત લેખકનું સર્જન જમણેરી વિચારધારા ધરાવતા હિંદુઓ સહન ન કરી શક્યા માટે તેમના જ ઘરમાં તેમની હત્યા કરવામાં આવી.

ડૉ. કાલબુર્ગીની હત્યા બાદ સાહિત્ય અકાદમી સામે વિરોધ નોંધાવવા દેશના અનેક લેખકો એકજૂટ થઇ ગયેલા. પંજાબના પ્રિય કવિ દુજીત પત્તરે પોતાનો પુરસ્કાર પાછો વળતા કહ્યું, “લેખકોની હત્યા કરવી એ આપણા જેવા બહુભાષી, બહુસાંસ્કૃતિક અને વિવિધ ધર્મોને સંગોપનાર દેશ માટે અત્યંત દુઃખદ બાબત છે.” હિન્દી કવિ રાજેશ જોશીએ તો પોતાનો ફાસિઝમ સામેનો સંઘર્ષ વધુ બળવત્તર બનતો રહેશે તેવી ઘોષણા હિંમતપૂર્વક કરી જ છે. તેમણે દુઃખી હૃદય સાથે ઉમેર્યું કે “સાહિત્ય સર્જક માટે શ્વાસ લેવાની અને અભિવ્યક્તિની કોઈ ગુંજાઈશ નથી. જાણે અમે લેખકો છીએ માટે અમને પ્રાણવાયુ નથી મળતો. મારે જીવિત રહેવા માટે પુરસ્કારો રૂપી પ્રાણવાયુના સિલિન્ડરની જરૂર નથી.” લેખકો પર આવી પડેલા આવા પ્રતિબંધોના જવાબ રૂપે ધર્માંધ અને ઝનૂની કહી શકાય તેવા ભારતના સાંસ્કૃતિક બાબતોના પ્રધાને વિધાન કર્યું, ‘જો એ લોકો લખી ન શકે તો ભલે લખતા બંધ થઇ જાય.” વાણી સ્વાતંત્ર્યના હનનનો આથી મોટો પુરાવો કયો હોઈ શકે? 

વાચકોને યાદ હશે કે ડૉ. કાલબુર્ગીની હત્યા પહેલાં ડૉ. નરેન્દ્ર દાભોલકરની હત્યા કરવામાં આવી હતી.

બિમાર લોકોને તાંત્રિક વિધિઓ દ્વારા સજા કરી આપવાના અંધવિશ્વાસ ભર્યા દાવાઓ કરનારાઓના નિર્મૂલનની ચળવળમાં જોડાવાને કારણે અને દલિતોને સમાન દરજ્જો આપવાની તરફેણમાં હોવાના ‘ગુના’ હેઠળ તેમની હત્યા એક મંદિર પાસે કરવામાં આવી. દાભોલકરે શરૂ કરેલ મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિનું કાર્ય આવા વિપરીત સંયોગોમાં પણ તેમની હત્યા બાદ વધુ ઊંડા મૂળ જમાવતી જાય છે. મહારાષ્ટ્રના 36 જિલ્લાઓમાં તેની શાખાઓ છે. પાંચેક હજાર જેટલા કાર્યકરો એ જ્યોત જલતી રાખી રહ્યા છે. અંધશ્રદ્ધા દૂર કરવા કટિબદ્ધ થનારના આત્માને રૂંધી નાખવા બદલ આ હતો જનતાનો પ્રતિસાદ.

જ્યારે કહેવાતા ધર્મોનો આધાર લઈને આર્થિક અને રાજકીય પરિબળો સમાજમાં વર્ચસ્વ જમાવવા લાગ્યા હોય ત્યારે ભારતના બુદ્ધિજીવી વર્ગને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું એ એક મોટો પડકાર છે. વર્તમાન સમયમાં દરેક નાગરિકે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવો, માનવતાવાદી વલણ અપનાવવું અને દરેક કાર્ય પાછળનો તર્ક જાણીને અયોગ્ય અને અન્યાયી કર્મો થતા ટકાવવા અને દરેક ક્ષેત્રમાં સુધારા લાવવા એ તેની ફરજ થઇ પડે છે.

સ્વતંત્ર વિચારો ધરાવતા હજુ એક બીજા વિરલાનો ભોગ ડૉ. નરેન્દ્ર દાભોલકરની હત્યા બાદ તુરંત લેવાયો. ગોવિંદ પાનસરે.

સામ્યવાદી પક્ષના સભ્ય. આંતરજ્ઞાતિય લગ્નોને પ્રોત્સાહન આપનાર. પુત્ર કામયેષ્ટી યજ્ઞોને વખોડનાર. ગોડસેની મહિમા ગાનારાઓની ટીકા કરનાર. તેમણે સામાજિક દૂષણો પર વિવેચન કરતાં 21 પુસ્તકો લખ્યા. શિવાજી કોણ હતા? એ પુસ્તકમાં તેમણે દર્શાવ્યું કે શિવાજી હકીકતમાં ધર્મ નિરપેક્ષ હતા. તેમના લશ્કરી વડાઓમાં મુસ્લિમો પણ હતા. તેઓ મહિલાઓનો આદર કરતા. તેમણે ખેત ગુલામી પ્રથા નાબૂદ કરી. આ પુસ્તક હિન્દી, ઇંગ્લિશ, કન્નડ, ઉર્દૂ અને ગુજરાતીમાં અનુવાદિત થયું. આ વાત હિંદુત્વવાદના પ્રચારકોની માન્યતા વિરુદ્ધ હોવાને કારણે ગોવિદ પાનસરેની હત્યા કરાઈ. અંતિમવાદી વિચાર ધરાવનારાઓ સામે સત્ય હકીકત રજૂ કરવાની આ સજા. લોકોએ આ ક્રૂરતાનો જવાબ પાનસરેના પુસ્તકો વધુ સંખ્યામાં ખરીદીને વાળ્યો.

પત્રકારત્વ અને લેખનના દાયરામાં નામના મેળવી ચૂકેલાઓની હત્યાની શૃંખલામાં હજુ એક મણકો સખેદ ઉમેરવો રહ્યો. લંકેશ પત્રિકાના સંપાદક બેંગ્લોરનાં ગૌરી લંકેશ. 

ગૌરી લંકેશના ઘરની બહાર જ તેમની હત્યા કરાઈ. કારણ? જમણેરી અંતિમવાદી હિન્દુ વિચારોનું ખંડન કરવાની હિંમત દાખવવી, જેને માટે તેમને Anna Politkovskaya પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તેઓ મહિલાઓના અધિકારો માટે ઝુંબેશ ચલાવતાં અને જ્ઞાતિ આધારિત ભેદભાવ વિરુદ્ધ ચળવળ કરતાં. સંઘ પરિવારના સૂફી પવિત્ર સ્થાનને હિન્દુ સ્થાનકમાં ફેરવી નાખવાના પ્રયાસને તેઓએ વખોડેલો. જ્ઞાતિ અને લિંગભેદના સંદર્ભમાં તેમણે કહેલું, હિન્દુઈઝમ એ કોઈ ધર્મ નથી, એ તો સમાજની સ્તરીકરણની વ્યવસ્થા છે. ભારતીય જનતા પક્ષના ત્રણ સભ્યો સામે ઝવેરીઓને છેતરવા બદલ કેઈસ કરવા માટે તેમના પર બદનક્ષીનો દાવો કરવામાં આવેલ.

સમાજ, ધર્મ અને રાજકારણમાં કોઈ પણ ત્રુટિ જણાય તો જવાબદાર નાગરિક પોતાનો મત અને હકીકત જાહેરમાં વ્યક્ત કરી શકે એ વાત જ જાણે વિસરાઈ ગઈ. ડૉ. કાલબુર્ગી, દાભોલકર, પાનસરે અને ગૌરી લંકેશ જેવાં લેખકો, પત્રકારો અને કર્મશીલોની હત્યા કોણે કરી એ સવાલ હજુ નિરુત્તર જ રહ્યો છે.

સમાચાર અને સંચારમાધ્યમોની સ્વતંત્રતાની જોગવાઈ આપણા બંધારણમાં છે આમ છતાં બદનક્ષીના દાવાના કાયદાની જોગવાઈ ચેતવણી આપનારાઓ માટે સુરક્ષાનો અભાવ, પ્રજાને સત્ય હકીકત મેળવવા પર મુકાતા અંકુશો અને તટસ્થ પત્રકારો પ્રત્યે જનતા અને સરકરની વેરભાવના જેવા અડચણોનો સામનો કરવો પડે છે. ચોંકાવનારી હકીકત એ છે કે 2020ની સાલમાં કુલ 180 દેશોની યાદીમાં ભારતનું સંચાર માધ્યમોની સ્વતંત્રતાનું સ્થાન 142મી ક્ષમા પર ગબડી ગયું છે! કેટલાક પત્રકારોની થયેલ હત્યા, સંચાર પ્રસારણ કરતી ટેલિવિઝન ચેનલો પર મુકાયેલ અંકુશો, જમ્મુ-કશ્મીરના મુદ્દે સમાચાર આપવા પર લદાયેલા પ્રતિબંધો અને ભારત-પાકિસ્તાન સમસ્યા વિષે સેવેલી ચુપકીદીએ દુનિયામાં ભારતને નીચાજોણું કરાવ્યું. દેશમાં ક્યાં ય પણ મુસ્લિમો ઉપર હિન્દુ ટોળાંઓએ હિંસક હુમલાઓ કર્યા હોય તેના સમાચાર અપાય, કે સરકારી નીતિઓને પડકારતા પ્રશ્નો ઉઠાવવામાં આવે, કે પછી જમ્મુ-કશ્મીરના ફરી સળગી ઊઠેલા વિવાદને પ્રકાશમાં લાવવાની કોશિશ કરવામાં આવે તો એવા પત્રકારોની પૂછતાછ કરવી, તેમના પર બદનક્ષીનો દાવો માંડવો અને દેશની સુરક્ષાને તેઓ જોખમમાં મૂકે છે તેમ ઠરાવીને તેમની ધરપકડ કરવી એ સામાન્ય ઘટના બની રહી છે. સ્થાનિક સમાચાર પ્રસારણ કરતી સંસ્થાઓ માત્ર સરકારી તરફદારી કરતા સમાચારો જ પ્રસારિત કરે તેની કાળજી રખાય છે; અને ભૂલે ચૂકે પણ દેશની આર્થિક કે રાજકીય સમસ્યાઓનો ઉલ્લેખ કરે તો તેમને સરકાર દ્વારા ચેતવણી અપાય છે, તેના આપણે સાક્ષી છીએ. મુદ્રિત અને ધ્વનિ પ્રસારિત સમાચારો માત્ર લોકોની લાગણીઓને ઉશ્કેરે અને શાસક પક્ષના સમર્થનને જ બહાલી આપે એવો તાલ આજે જોવા મળે છે.

ભારતીય સરકારની સત્યનિષ્ઠાનો અભાવ અને અન્યોના મત પ્રત્યેની અસહિષ્ણુતા દિવસો દિવસ વધુ પ્રગટ થતી જાય છે. સરકારે ન્યુયોર્ક ટાઈમ્સ, ધ ગાર્ડિયન, અલ જઝીરા, વોશિંગટન ટાઈમ્સ અને બી.બી.સી. જેવા વિશ્વસનીય સમાચાર સ્રોતને ભારતની પ્રતિમાને હાનિ પહોંચાડવાના તહોમત હેઠળ ચેતવણી આપી, એ શું સૂચવે છે? રેમોન મેગ્સેસે પુરસ્કાર વિજેતા રવીશ કુમારે ભારતની સમાચાર ચેનલો પરથી સમાચાર ન જોવા ભલામણ કરી એ સૂચવે છે કે નિષ્પક્ષ રહીને સરકારને આયનો દેખાડનારના અવાજને રૂંધી નાખવામાં આવશે અને તેની આ ચેતવણી છે.

થોડાં વર્ષોમાં ભારત લોકશાહી શાસનનું પાલન કરનારો દેશ કહેવડાવવાને લાયક નહીં રહે કે શું તેવી વિમાસણ થાય. જ્યાં દેશની મુખ્ય સાત ટેલિવિઝન ચેનલોની માલિકી રાજકારણીઓના હાથમાં હોય ત્યાં વાડ ચીભડાં ગળે તેવો ન્યાય જ હોય. સરકાર તરફ પક્ષપાતી વલણ રાખવું, જુઠ્ઠા અને પ્રચારત્મક સૂત્રોથી ભરપૂર સમાચારો વહેતા મુકવા વગેરે આથી જ તો સુગમ બને. આમ થવાથી દુનિયામાં ભારતની પ્રતિમા ઝાંખી પડી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં જાણે જમણેરી વિચારો ધરાવતા શિકારીઓનું ટોળું છુટ્ટું ફરતું થયું છે, જે બીભત્સ ભાષા વાપરીને અને તેવું જ આચરણ કરીને આતંક ફેલાવવામાં અચકાતું નથી. મહિલા પત્રકારોને પણ તેમાંથી બાકાત નથી રખાતી. પરિસ્થિતિ એવી કક્ષાએ પહોંચી છે કે વિદેશોમાં મોટા ભાગના લોકો ભારતીય સંચાર અને સંચાર માધ્યમોને વિશ્વસનીય નથી માનતા.

ગુજરાતી સાહિત્યનું રખોપુ કરતી સંસ્થા હોય, લેખકો કે પત્રકારો હોય, વકીલ કે ન્યાયધીશ હોય, જો તેમાંની કોઈ વ્યક્તિ કે સમૂહ પોતાના અધિકારોની માગ કરે કે પોતાને થતા અન્યાયો સામે આંગળી ચીંધે તો તેમની અભિવ્યક્તિને રૂંધી નાખવામા આવે છે. એની સામે લેખકો, સાહિત્યકારો, વકીલો, મહિલાઓ અને લઘુમતી કોમના સભ્યો એવા માનવ અધિકારોથી વંચિત થયેલા તમામ નાગરિકો સંપૂર્ણપણે અહિંસક રીતે પોતાનો વિરોધ દર્શાવતા રહ્યા છે.

હવે, આ અને આવી નાગરિક હિલચાલોને ગણનામાં લઈને તે વિષે ન્યાયી પગલાં ભરવામાં નહીં આવે તો ભારત એક લોકશાહી શાસનમાં માનવ અધિકારોની રક્ષા કરનાર તંત્રને બદલે આપખુદ તંત્ર બનશે, અને તે માટે માત્ર અને માત્ર તેની પ્રજા જવાબદાર ગણાશે.

ચાઈનીઝ કલાકાર અને કર્મશીલ આઈ વેઇવેઇનું આ વિધાન અભિવ્યક્તિની સ્વતંત્રતા અને માનવ જીવનના મક્સદને એક જુદા જ પરિપેક્ષ્યમાં મૂકી આપે છે.

e.mail : 71abuch@gmail.com

(‘રજત રાણ પડાવે ઓપિનિયન’ અવસરે, “અભિવ્યક્તિની રૂંધામણને ટાઢી પાડતી નાગરિક હિલચાલ” નામક અવકાશી બેઠકમાંની રજૂઆત; રવિવાર, 11 ઍપ્રિલ 2021)

Loading

બેજુબાનોની જુબાન : જાહેરહિતની અરજી

ચંદુ મહેરિયા|Opinion - Opinion|21 April 2021

ભારતીય ન્યાયતંત્રનું એક મહત્ત્વનું અને અનોખું અંગ પી.આઈ.એલ. (પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન) કે  જાહેરહિતની અરજીઓ છે. આ એક એવું કાયદાકીય અને ન્યાયિક ઉપકરણ છે જેના દ્વારા મોંઘા ન્યાયથી વંચિત, સમાજના નબળા વર્ગો સામાજિક-આર્થિક ન્યાય મેળવી શક્યા છે. સાચો, સટીક, સસ્તો ન્યાય તેના દ્વારા સુલભ થયો છે. જનહિતની અરજીઓ પરના દેશની સર્વોચ્ચ અદાલત અને રાજ્યોની વડી અદાલતોના ચુકાદાઓમાં અદાલતોની ન્યાયિક સક્રિયતાનો વિસ્તાર જોવા મળે છે. સામાન્ય અદાલતી મુકદ્દમાથી અલગ, જેમાં જાહેર હિત કે જનહિત સમાયેલું હોય તેવી આ અરજી, અદાલતોમાં ન માત્ર પીડિત પક્ષ દાખલ કરી શકે છે, કોઈ પણ નાગરિક, સંસ્થા-સંગઠન  કે ખુદ અદાલત જાતે પણ પીડિતના પક્ષે દાખલ કરી શકે છે.

જનહિત યાચિકાનો મૂળ ખ્યાલ અમેરિકાનો છે પણ ભારતમાં તેનો જે વિકાસ અને ઉપયોગ થયો છે તેનો દુનિયામાં ક્યાં ય જોટો જડે તેમ નથી. ભારતના બંધારણમાં કે કોઈ કાયદામાં પી.આઈ.એલ.ની સ્પષ્ટ પરિભાષા નથી. પણ બંધારણના અનુચ્છેદ ’૩૯-એ’માં તેના મૂળ જોઈ શકાય છે. સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ ૩૨ અને હાઈકોર્ટોમાં ૨૨૬ મુજબ જાહેર હિતની અરજી દાખલ થઈ શકે છે. જસ્ટિસ પી.એન. ભગવતી પી.આઈ.એલ.ના જનક છે. જાહેર હિતની અરજી દ્વારા વંચિતો અને કમજોર મનાતા વર્ગોને ન્યાય મળ્યો છે. પી.આઈ.એલ.ને કારણે ખુદ અદાલતોની ભૂમિકા અને ચેતનાનો વિસ્તાર થયો છે. મૂળભૂત આધિકારોનું ક્ષેત્ર વિસ્તૃત થયું છે. નવા મૌલિક અધિકારો ઉમેરાયા છે કે જૂના વ્યાખ્યાયિત થયા છે. પી.આઈ.એલ.ને લીધે સરકારી તંત્ર લોકોના કામ માટે અને વિધાનગૃહો તે પ્રમાણેના કાયદા માટે બાધ્ય થયા છે.

લોકોના કલ્યાણ અને અધિકારોને સરકાર નકારે કે લોકોની ઈચ્છાને અનુરૂપ કામ ન કરે તો અદાલતમાં દાખલ થતી જનહિત યાચિકાઓ દ્વારા અનેક મહત્ત્વના સુધારા થઈ શક્યા છે અને ન્યાય મળ્યો છે. દેશમાં પહેલી પી.આઈ.એલ. તો ૧૯૭૬માં દાખલ થયેલી પણ ૧૯૭૯માં બિહારની જેલોની દયનીય હાલત, ખાસ તો ત્યાં કાચાકામના કેદીઓની સ્થિતિ પરની પી.આઈ.એલ.નો અદાલતી ચુકાદો, પ્રથમ મનાય છે. એક પી.આઈ.એલ.ને કારણે બિહારની જેલોમાં સબડતા ચાળીસ હજાર કેદીઓની મુક્તિ શક્ય બની હતી. તે પછી આ સિલસિલો ચાલુ જ રહ્યો છે અને અનેક મહત્ત્વના ફેરફારો થઈ શક્યા છે. એસિડ એટેકની પીડિતાઓ, કામનાં સ્થળે યૌન હિંસાનો શિકાર બનેલી સ્ત્રીઓ, હાથથી મળસફાઈના કામમાં જોતરાયેલા દલિતો, સમલૈગિકો, બળાત્કારની પીડિતાઓ, અત્યાચારનો ભોગ બનેલા દલિત-આદિવાસીઓ, આતંકનો ભોગ બનેલા નિર્દોષો, વેઠિયા મજૂરો, બાળ મજૂરો, સેક્સ વર્કર્સ, કામદારો-કિસાનો અને વિદ્યાર્થીઓને જાહેર હિતની અરજી દ્વારા સામાજિક-આર્થિક ન્યાય અને અધિકારો મળ્યાં છે.

ભારતની અદાલતોએ જાહેરહિતની અરજીઓ પર અનેક પ્રગતિશીલ અને દૂરોગામી અસર ધરાવતા ચુકાદા આપીને બેજુબાનોની જુબાન બનવાનું કામ કર્યું છે. રાજધાની દિલ્હીમાં આજે જોવા મળતાં સી.એન.જી. વાહનો, કાર્ય સ્થળે મહિલાઓ પરની જાતિય હિંસા અટકાવવા માટેનું વિશાખા જજમેન્ટ, એન્કાઉન્ટર અને કસ્ટોડિયલ ડેથની તટસ્થ તપાસ અને વળતર, ગટર કામદારો અને માથે મેલું ઉપાડવા મજબૂર દલિતોના પુનર્વસન અને વળતર, માહિતી અને શિક્ષણનો અધિકાર તથા ખાધ્ય સુરક્ષા, અકસ્માત પછી તરત સારવાર, ગ્રાહકોના અધિકારો, પર્યાવરણ અને જંગલોનું રક્ષણ, ગંગા શુદ્ધિકરણ, વિસ્થાપિતોના અધિકારો અને કોમી રમખાણોના ભોગ બનેલાને ન્યાય; મહિલા કેદી માટે અલગ કસ્ટડી અને સાંજ પછી મહિલાઓને પોલીસ સમક્ષ ન બોલાવવાની જોગવાઈ, ભૂમિસંપાદન પછી ખેડૂતોને યોગ્ય વળતર – જાહેરહિતની અરજીઓ પરના ચુકાદાઓના કારણે શક્ય બન્યાં છે.

કાયદા થકી સમાજમાં બદલાવ આણવા માંગતા લોકો માટે જનહિતની અરજી એક અસરકારક અને શક્તિશાળી સાધન છે. અદાલતોમાં રજૂ થતી પી.આઈ.એલ. પૈકીની ૩૦થી ૬૦ ટકા જ સ્વીકારાય છે. જો કોર્ટને અરજીમાં જાહેરહિત સંકળાયેલું ન લાગે કે મુદ્દો મહત્ત્વનો ન હોય તો તેનો સ્વીકાર કરવામાં આવતો નથી. વળી બધી જ પી.આઈ.એલ. તરત અદાલતો સુનાવણી માટે હાથ પર લે તે પણ શક્ય નથી. જે પી.આઈ.એલ.માં માનવ અધિકારનો ભંગ થતો હોય કે કોઈ વ્યક્તિના જીવન સાથે જોડાયેલી બાબત હોય તો જ તેની તરત સુનાવણી થાય છે. અન્યથા યથા સમયે તે કોર્ટ સમક્ષ આવે છે.

જેમ દરેક બાબતના સારાનરસાં પાસાં હોય છે તેવું જાહેરહિતની અરજી બાબતે પણ છે. જાહેર હિતની અરજીના દુરુપયોગની પણ ઘણી ફરિયાદો છે. તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે  વડા પ્રધાનના અત્યંત મહત્ત્વાકાંક્ષી એવા વીસ હજાર કરોડના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ સામેની જાહેર હિતની અરજી નકારતાં જણાવ્યું હતું કે ‘જનહિતની અરજીઓ આમ નાગરિકના બંધારણીય અધિકારોના રક્ષણ માટે છે. કોર્ટની એ ફરજ અને જવાબદારી છે કે તે સરકારના નિર્ણયને કારણે સામાન્ય નાગરિકના કાનૂની અને બંધારણીય અધિકારો જોખમાય નહીં તેની કાળજી લે. પરંતુ આજકાલ પી.આઈ.એલ.નો ઉપયોગ સરકારો પ્રત્યે અસંમતિ દર્શાવવા માટે કરવામાં આવે છે.’ અગાઉ ૨૦૧૦માં સુપ્રીમ કોર્ટે વ્યક્તિગત હિતની અને અપ્રાસંગિક એવી જનહિત યાચિકાઓની ટીકા કરી, પી.આઈ.એલ. સ્વીકારના દિશાનિર્દેશો જારી કર્યા હતા.

અદાલતોએ જનહિતની ખોટી અરજીઓ અંગે કડક અને દંડનીય વલણ પણ અપનાવ્યું છે. હરિયાણાના એક આયુર્વેદ તબીબે તેમણે શોધેલી કોરોનાની દવાનો સરકાર ઉપયોગ કરે તે અંગે અદાલતી આદેશ માંગતી પી.આઈ.એલ. દાખલ કરી ત્યારે આ માંગણીને સંપૂર્ણ અયોગ્ય ગણી પી.આઈ.એલ.ના દુરુપયોગ માટે રૂ. ૧૦,૦૦૦/- દંડ કર્યો હતો. રામજન્મભૂમિ સ્થળના પાયા ખોદવાનું કામ પુરાતત્વ વિભાગની દેખરેખમાં કરવા અને પાયામાંથી મળનારી કલાકૃતિઓનું સંરક્ષણ કરવાની માંગણી ફગાવતા અદાલતે યાચિકાકર્તાને એક લાખ દંડ કર્યો હતો. થમ્સઅપ અને કોકાકોલા એ બે ઠંડાં પીણાં આરોગ્ય માટે હાનિકારક હોવાની પી.આઈ.એલ.ને કશા તકનિકી આધારો વિનાની ગણાવી અરજદારને ૫ લાખનો દંડ ફટકાર્યો હતો.

જાતભાતની અને ઢંગધડા વગરની જાહેર હિતની અરજીઓ પર પણ અદાલતમાં દાદ મંગાય છે. મધ્ય પ્રદેશની ધારાસભા ચૂંટણીની સાધન સામગ્રીમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરી તેનો યોગ્ય નિકાલ ન કરવો, ભોળા કે મૂર્ખ લોકો માટે વપરાતી કહેવત ‘અલીબાગ સે આયા હૈ ક્યા’ને અપમાનજનક ગણાવતી અલીબાગના રહેવાસીની અરજી, કોરોનાકાળમાં પૂજા સ્થળો ખોલવા, રાષ્ટ્રીય ફૂલ કમળને ભા.જ.પા.ના ચૂંટણી પ્રતીક તરીકેની બંધી, જાનવરોને વધુ કષ્ટદાયક હલાલને બદલે ઓછા કષ્ટદાયક ઝટકાથી જ મારવા અને ઝટકા માંસને જ મંજૂરી આપવા, ૭૫ વરસથી વધુ ઉંમરના અને સ્નાતક ન હોય તેમને ચૂંટણીમાં ઉમેદવારી કરવા પર પ્રતિબંધ, તમિલનાડુના દિવંગત મુખ્ય મંત્રી જયલલિતાને ભારતરત્ન આપવા, અરબી સમુદ્રનું નામ હિંદ મહાસાગર રાખવા, ભારતનું રાષ્ટ્રગાન બદલવા, દેશનું નામ ભારતને બદલે હિંદુસ્તાન કરવા – જેવી જાહેર હિતની અરજીઓ અદાલતો સમક્ષ આવી હતી.

પી.આઈ.એલ.નો ઘણીવાર વ્યક્તિગત પ્રસિદ્ધિ માટે અને વ્યાપારિક કે રાજકીય હિતો માટે ઉપયોગ થવાની પણ ફરિયાદો છે. સાંસદો અને ધારાસભ્યોને આપવામાં આવતા પેન્શન અંગેની પી.આઈ.એલ. લગભગ એક દાયકાથી પડતર છે. સમાન શિક્ષણ માટે સમગ્ર દેશમાં એક સમાન અભ્યાસક્રમ અને પરીક્ષા બોર્ડ દાખલ કરવા, જટિલ, ક્લિષ્ટ અને રહસ્યમય ભાષાને બદલે સરળ અને અસંદિગ્ધ ભાષામાં કાયદા અને સરકારી નિયમો બનાવવા પણ જનહિતની અરજી થયેલી છે. સરકારી ભ્રષ્ટાચાર અને કૌભાંડો પી.આઈ.એલ. દ્વારા જ ઉજાગર થયા છે. કેદી પતિ-પત્નીની મુલાકાત સમયે જેલ અધિકારીની હાજરીથી દાંપત્યના અધિકાર પર તરાપ, હેટસ્પીચ, ફેકન્યૂઝ, પેડ ન્યૂઝ્, સોશ્યલ મીડિયા પર કાયદાકીય લગામ અને ચૂંટણી, પોલીસ તથા વહીવટી સુધારા માટેની વિવિધ પી.આઈ.એલ. પણ અદાલતોની વિચારણા હેઠળ છે. 

સેન્ટર ફોર પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન, પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ, પીપલ્સ યુનિયન ફોર ડેમોક્રેટિક રાઈટ્સ, નેશનલ એડવાઈઝ ફોર પીપલ્સ મુવમેન્ટ, નર્મદા બચાવો આંદોલન, બંધુઆ મુક્તિ મોર્ચા, લોક અધિકાર સંઘ અને અન્ય સંસ્થાઓએ પી.આઈ.એલ.ના ક્ષેત્રે ગણનાપાત્ર કામ કરીને આમ આદમીના અવાજને વાચા આપી ન્યાય મેળવ્યો છે.

જાહેર હિતની અરજીઓ લોકતંત્રમાં શ્વાસ લેવાની જગ્યા અને લોકવિશ્વાસ કાયમ રાખવાનું સાધન છે. વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે આમ આદમીનો અવાજ પી.આઈ.એલ. મારફતે વ્યક્ત થઈને અદાલતી ન્યાય મેળવે છે. અનેક જાહેર હિતની અરજીઓ પર અદાલતોએ મહત્ત્વના ચુકાદા આપીને ભારે સરાહનીય કામ કર્યું છે. એટલે તેનો સમુચિત ઉપયોગ થાય તે સૌના હિતમાં છે. ભારતની અદાલતો હજારો અને લાખો પડતર કેસોથી ઉભરાય છે ત્યારે બિનજરૂરી પી.આઈ.એલ.નો બોજ અદાલતો પર નાંખવાથી બચવું જોઈએ. આડેધડ પી.આઈ.એલ. દાખલ થવાથી ન્યાય  વ્યવસ્થા પર અનાવશ્યક દબાણ ઊભું થવાની કે વાસ્તવિક અને પ્રાસંગિક કેસોના નિકાલમાં વિલંબ થવાની શક્યતાઓ ઊભી થાય થાય છે તે દિશામાં પણ વિચારવું રહ્યું. બિન-મહત્ત્વની પી.આઈ.એલ. સામાન્ય ન્યાય પ્રક્રિયામાં બાધા ન બની રહે તેમ પણ કરવું રહ્યું. જાહેર રાજકીય મુદ્દાઓ પર જનહિત યાચિકા દાખલ કરીને ન્યાયની દેવડીએ દસ્તક દેવા તે ગેરબંધારણીય કે અનૈતિક નથી. પરંતુ તેમાં યોગ્ય વિવેકની જરૂર છે. જન આંદોલનનો વિકલ્પ પી.આઈ.એલ. ન બની જાય તે પણ જોવાની જરૂર છે. જાહેર હિતની અરજીઓ પ્રગતિશીલ લોકતાંત્રિક વ્યવસ્થાનો પ્રાણ છે. પણ તેનો દુરુપયોગ રોકવો પણ એટલો જ જરૂરી છે. યોગ્ય પદ્ધતિથી તેને નિયંત્રિત કરવામાં નહીં આવે તો તે રાજકીય સ્વાર્થનું હથિયાર પણ બની શકે છે. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...1,9631,9641,9651,966...1,9701,9801,990...

Search by

Opinion

  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved