Opinion Magazine
Number of visits: 9572319
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોનાના આ સમયમાં બે વાતે મને ઝંઝોડી

સરિતા જોષી|Opinion - Opinion|17 March 2021

આંગિકમ ભુવનમ યસ્ય

વાચિકં સર્વ વાડ્ગ્મયમ

આહાર્યં ચન્દ્ર તારાધિ

તં નમઃ સાત્ત્વિકં શિવમ્

તં નમઃ સાત્ત્વિકં શિવમ્

તં નમઃ સાત્ત્વિકં શિવમ્

ઓમ શાંતિ: શાંતિ: શાંતિ: 

નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.

નમસ્કાર. સરિતા જોષીના વંદન વાંચજો. આ અમારા નાટકવાળાઓની સ્તુતિથી આપણે શરૂઆત કરી છે. આને આંગિકમ કહેવાય. હું કોઈ પણ કામ શરૂ કરું તો મને પહેલાં આ સ્તુતિની તો જરૂર હોય જ ને એમાં ય મારા પ્રિય પ્રેક્ષક, સૉરી, હવે પ્રિય વાચક સાથે વાતો કરવાની છે તો આ નવા કામ માટે મને એની ખૂબ જરૂર પડવાની છે. તેમની શુભેચ્છા, તેમના આશીર્વાદ અને મારી મનોકામના. આ બધાનો સુમેળ થવો જોઈએ એવી મારી ઇચ્છા છે અને એ ઇચ્છા ફળશે એનો મને વિશ્વાસ છે. 

તો ચાલો શરૂઆત કરીએ આપણે.

એક લટાર યાદોની કુંજગલીમાં, 
એક વિહાર સ્વપ્નોની કલ્પભૂમિમાં,

એકમાત્ર સરિતા. હા, એકમાત્ર સરિતા, ચાલો, એની સાથે વાતો કરીએ. 

***

હું સરિતા જોષી, અહીં, આ જગ્યાએથી તમને એક સ્ત્રીના મનની વાત કરીશ, તેના બાળપણની, જેનું નામ હતું ઇન્દુમતી ભીમરાવ ભોસલે. એ નાનકડી છોકરી, જે એક-બે સ્ટેન્ડર્ડ સુધી ભણેલી છે અને તમારી સમક્ષ પદ્મશ્રી સરિતા જોષી બનીને કેટલી વાર નાટકો કર્યાં, નાના સ્ક્રીનમાં અભિનય કર્યો એટલે હું અહીં ટી.વી.ની વાત કરું છું. કોઈ કોઈ વાર તમે મને ગુજરાતી કે હિન્દી ફિલ્મોમાં જોઈ હશે, પણ પ્રેક્ષકો, તમારા પ્રેમ સાથે મને સતત પ્રોત્સાહન મળ્યું છે, સતત આશીર્વાદ મળ્યા છે. જ્યારે હું નાની હતી ત્યારે પણ, મોટી થઈ ત્યારે અને આ ઉંમરે પહોંચી ત્યારે પણ તમારો જે પ્રેમભાવ ‘સંતુ રંગીલી’ માટે હતો એ જ પ્રેમભાવ, એ જ વહાલ અને લાગણી આજે પણ મળતી રહે. મારી એવી ઇચ્છા છે કે હું આ જે કંઈ લખી રહી છું, લખવાની છું એમાં ક્યાં ય પણ કંઈક ભૂલચૂક થાય તો તમે તમારી રીતે એમાં સુધારો કરીને, ઉમેરો કરીને એને સરસ કરીને વાંચજો. લખવાની આ પ્રક્રિયા સાવ નવી છે, પહેલી વારની છે, પણ શીખ્યું એ જ છે હંમેશાં, નવું કરવાનું અને સતત નવું કરતા રહેવાનું અને નવું કરવા માટે ક્યારે ય કોઈ ઉંમર મોટી નથી હોતી.

આપણે અહીં કરીશું મારા મનની વાત. મારા જીવનમાં ઘડાયેલા પ્રસંગોની વાતો પણ થશે તો નાટકોની વાત પણ માંડીશું અને એ બધા માતબર કલાકારોની વાત, જેઓ મારા જીવનમાં આવ્યા અને મને આ, જ્યાં હું છું ત્યાં એક શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનું જે બિરુદ મળ્યું એ સ્તરે લઈ જવાનું કાર્ય કરી ગયા, જેઓ સૌ મારા આ યશના ભાગીદાર છે એ અમારા બૅકસ્ટેજ વર્કર, એ મેકઅપમૅન, એ મ્યુઝિશ્યન અને એ મારો પ્રેક્ષક. હા, એ બધા ભાગીદાર છે મારા કામ માટે, કામ દ્વારા પ્રાપ્ત કરેલી ખ્યાતિ માટે.

યાદીની આ કુંજગલીમાં વિહરતાં-વિહરતાં જીવનની એ સંધ્યા પણ યાદ કરીશું જેણે મારું જીવન માતબર બનાવ્યું, જેણે મારા જીવનને રાતરાણી જેવી મહેક ધરાવતી યાદો આપી અને જેણે આ આયખું, આ જીવન ખમતીધર બનાવ્યું, પણ એ બધી વાતો કરતાં પહેલાં આપણે વાત કરવાની છે હમણાંના છેલ્લા થોડા સમયની.

***

આ વર્ષની બે વાતે મને ઝંઝોડી, હા, રીતસર ધ્રુજાવી દીધી. પ૭ વર્ષ. ઉંમરની દૃષ્ટિએ પ૭ના વર્ષની વાત નથી કરતા આપણે, આપણે વાત કરીએ છીએ ઈસવી સન ૧૯પ૭ની. હા, ૧૯પ૭થી હું કામ કરું છું. બાળકો થયાં ત્યારે મેં પહેલાંના બેત્રણ મહિનાનો રેસ્ટ લીધો અને પછીના બેત્રણ મહિના એમ અંદાજે ૬-૭ મહિના જે રેસ્ટ જરૂરી હોય અને લેવા પડે એ રેસ્ટ લીધો, પણ બાકીના સમયમાં હું સતત કામ કરતી રહી છું, કોઈ બ્રેક નહીં, કોઈ રજા નહીં. કોઈ વેકેશન નહીં અને કોઈ પિકનિક નહીં. કામ જ મારું વેકેશન અને કામ જ મારો આરામ, પણ સડનલી એવું થયું કે ઓહોહોહોહો … 

કોરોનાબહેન આવ્યાં કે પછી કહો કે કોરોનાભાઈ આવ્યા. આવીને મને કહ્યું, ‘ચાલ સરિતા, તું બહુ, બહુ, બહુ કામ કરે છે. જરા આરામ કર અને હમણાં ઘરની બહાર નીકળવાનું નથી.’ 

‘ઓકે …’

કહી દીધું આપણે હસતાં-હસતાં અને વાત પણ એવી જ સહજ રીતે, હસતાં-હસતાં જ લઈ લીધી અને પછી તો તાળીઓ પણ પાડી અને થાળીઓ પણ વગાડી. મંદિરમાં ઘંટ વાગે એમ ઘંટ પણ વગાડ્યા અને સાચું કહું, આનંદ મળ્યો, ખૂબ, ખૂબ ખૂબ આનંદ મળ્યો. પોતાના વડા પ્રધાન માટે આદર છે. ૨૫ માર્ચથી તેમણે લૉકડાઉન જાહેર કર્યું અને ૩૧ માર્ચે તેમણે બધાને આદર-સત્કાર માટે થાળી અને તાળી વગાડવાનું આહ્‍વાન કર્યું. આદર હોવો જ જોઈએ નરેન્દ્રભાઈ માટે. તેઓ આપણે માટે કામ કરે, સેવક બનીને કામ કરે. તેમનું માન તો રાખવું જ પડે.

લૉકડાઉન થયું એ પછી હું તો આનંદમાં હતી, મજા કરી બહુ સરસ રીતે. આરામ કર્યો અને પછી તો ધીરે-ધીરે ખાવાનું બનાવવા લાગ્યાં. નોકર-ચાકર તો બંધ હતા બધા પોતપોતાના ઘરમાં. હા, મારો ઘરમાં રહેતો બાળુ છે, તેનું નામ રામ ઝામણે, પણ હું તેને બાળુ કહું. તે એક ઘરમાં મારી સાથે રહે અને તે મને સતત સહાય કરે. પછી તો હું ઘરમાં વાસણ માંજવા જાઉં તો આવીને મને કામ કરતી રોકવા માટે કહે, ‘બહેન, તમે વાસણ માંજશો તો પછી હું નહીં માંજુ હોં …’

આ પ્રેમ છે સાહેબ, આ લાગણી છે, આ માયા છે. અજાણ્યા પોતીકા બન્યા અને પોતીકા વધુ નજીક આવ્યા. આ બધા અનુભવો અને બીજા પાસેથી સાંભળેલા અનુભવો, જેને દૃષ્ટાંત કહેવાય એ જ તમારું ઘડતર કરે છે. આવી વાતો તમને ઝંઝોડે અને કુદરતે આપેલા આ ઝંઝાવાતમાંથી જ અંદરની લાગણી જન્મે, પરસ્પર પ્રત્યે પ્રેમ સ્ફુરે.

કોરોનાએ આ સમયગાળામાં મને ઝંઝોડી તો એવી જ રીતે મને ઝંઝોડવાનું કામ બીજી પણ એક ઘટના કરી ગઈ, જેની વાતો આપણે આવતા મંગળવારે કરીશું.

સૌજન્ય : “ગુજરાતી મિડ-ડે”, 16 માર્ચ 2021

Loading

૨૧મી સદીનું યુદ્ધ મેદાનોમાં નહીં, કમ્પ્યુટર સિસ્ટમ્સમાં ખેલાવાનું છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|17 March 2021

ગયા વર્ષે ૧૨મી ઓક્ટોબરે, ગ્રીડ ફેલ્યરના પગલે નાણાંકીય રાજધાની મુંબઈમાં મોટા પ્રમાણમાં  વીજળી ગાયબ થઇ ગઈ હતી, જેના પગલે ટ્રેનો પાટા પર રોકાઈ ગઈ હતી, કોરોના મહામારી વચ્ચે માંડ-માંડ કામ કરી રહેલા લોકોની ગતિવિધિઓ બંધ થઇ ગઈ હતી, હોસ્પિટલો સેવાઓ અટકી પડી હતી અને હજારો કમ્પ્યુટરો ખોટકાઈ ગયાં હતાં. વીજળી જતી રહેવી એ ભારતમાં સામાન્ય વાત છે. મુંબઈ જેવા મોટાં શહેરો, જ્યાં ૨૪ કલાક વીજ પુરવઠાની વ્યવસ્થા છે, ત્યાં પણ ક્યારેક વીજળી ગાયબ થઇ જવાની ઘટનાઓ બને છે. ગામડાં અને નાના શહેરોમાં તો આ છાશવારે બને છે.

આપણા માટે તો વીજળી હોવી જ એક ચમત્કાર જેવું છે, એટલે મુંબઈમાં છેલ્લા એક દાયકામાં ચાર કલાક માટે વીજળી જતી રહેવાની ઘટના બની તે તકનીકી ખરાબીથી વિશેષ કશું ન હોય, એમ માનીને આપણે પૂર્વવત જીવવા લાગી જઈએ તે પણ સ્વાભાવિક છે, પરંતુ આ ઘટના કદાચ એટલી સાધારણ ન હતી. અમેરિકાના પ્રતિષ્ઠિત સમાચારપત્ર ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ના એક ચોંકાવનારા સમાચાર અનુસાર, ચાઇનીઝ સરકાર સાથે સંકળાયેલા રેડ ઇકો નામના એક હેકર ગ્રૂપે મુંબઈની પાવર ગ્રીડમાં ઘૂસ મારી હોય અને માલવેર છોડીને સિસ્ટમને ખોરવી નાખી હોય તેવું સંભવ છે.

મહારાષ્ટ્રના સાઈબર-સેલના અહેવાલના આધારે રાજ્યમાં ગૃહ પ્રધાન અનિલ દેશમુખે પણ મુંબઈના વીજ પુરવઠામાં સાઈબર-સેબોટેજની સંભાવના વ્યક્ત કરી છે. અમેરિકા સ્થિત રેકોર્ડેડ ફ્યુચર નામની સંસ્થાએ (જેના આધારે ટાઈમ્સમાં અહેવાલ આવ્યો હતો) એવી શંકા વ્યક્ત કરી હતી કે લડાખમાં ગલવાન ઘાટીમાં ભારત-ચીનનાં સૈન્યો વચ્ચેના ઘર્ષણના જવાબમાં હેકર ગ્રૂપે ભારતની પાવર ગ્રીડ્સને નિશાન બનાવી હોવાનું સંભવ છે. કેન્દ્રીય ઉર્જા રાજ્યમંત્રી રાજ કુમાર સિંહે સાઈબર-એટેકના અહેવાલોને ખોટા ગણાવ્યા છે અને કહ્યું છે કે મુંબઈમાં માનવીય ભૂલના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો.

એ જ વખતે તેલંગણામાંથી સમાચાર આવ્યા કે ગયા અઠવાડિયે બીજી માર્ચના રોજ કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ ઓફ ઇન્ડિયાની સમયસર ચેતવણીને પગલે તેલંગણાની વીજ વ્યવસ્થાને હેક કરવાના ચીન સ્થિત હેકર ગ્રૂપનો પ્રયાસ નાકામ બનાવાયો હતો. આ કિસ્સામાં 'થ્રેટ એક્ટર ગ્રૂપ કમાન્ડ એન્ડ કંટ્રોલ' નામનું ચાઇનીઝ ગ્રૂપ તેલંગણા સ્ટેટ લોડ ડીસ્પેચ સેન્ટર અને ટ્રાન્સમીશન કોર્પોરેશન ઓફ તેલંગણાની કમ્પ્યુટર સિસ્ટમ સાથે સંપર્ક કરવા પ્રયાસ કરી રહ્યું હતું.

આ બે કિસ્સા પરથી એટલું સાબિત થાય છે કે વીજળી ગાયબ થઈ જવી એ ૨૧મી સદીમાં સાધારણ ઘટના ન હોવી જોઈએ. એ આધુનિક યુદ્ધનો અંતરંગ હિસ્સો હોઈ શકે છે. આપણે જ્યારે રિયા ચક્રવર્તી જેવી એક્ટરની વોટ્સએપ ચેટ્સ કે પર્યાવરણ કાર્યકર દિશા રવિની ગૂગલ ટૂલકીટને રાષ્ટ્રીય સંકટ ગણીને દિવસોના દિવસો સુધી આટલો બધો રસ લેતા હોઈએ, તો પછી સાઈબરની દુનિયામાં દેશ સામે કેવું અસલી જોખમ છે, તેના પર દિવસો-મહિનાઓ સુધી નહીં, પણ આવનારાં વર્ષોના વર્ષો સુધી ધ્યાન આપવું જોઈએ, કારણ કે ૨૧મી સદીનું યુદ્ધ મેદાનો અને ખીણોમાં માણસો વચ્ચે નહીં, કમ્પ્યુટર સિસ્ટમ્સમાં ખેલાવાનું છે. આપણે તેના માટે તૈયાર છીએ?

૨૦મી સદીમાં પરંપરાગત યુદ્ધના સ્થાને પરમાણું યુદ્ધની સંભાવના આવી ગઈ હતી, પણ પરમાણું બોમ્બમાં બધાના સાગમટે વિનાશની ક્ષમતા હોવાથી તેના ઉપયોગની શક્યતા ઉત્તરોત્તર ઘટતી જાય છે, અને બીજું એ કે નાનામાં નાના દેશનો એક પરમાણું બોમ્બ એટલો જ વિનાશ વેરી શકે તેમ છે, જેટલો મોટા દેશના બોમ્બ વેરી શકે છે. પરમાણું યુદ્ધ સામૂહિક આત્મહત્યા છે. એટલે ૨૧મી સદીમાં બોમ્બ સામે લડવા માટે ટેકનોલોજી વધુ કારગત નીવડવાની છે. દેશોની સરહદો પર નાના-મોટા છમકલાંને બાદ કરતાં મોટું યુદ્ધ જો ફાટી નીકળે, તો તેમાં લાખો સૈનિકો નહીં, પણ ગણ્યાગાંઠ્યા ટેકનોલોજીના જાણકાર લોકો એક સૈન્યને ભારે પડી જશે. એટલા માટે વિકસિત દેશો આર્ટિફિશલ ઇન્ટેલિજન્સ વિકસાવવા માટે મહેનત કરી રહ્યાં છે.

ભવિષ્યમાં કોઈ દેશને હરાવવા માટે તોપગોળા અને ફાઈટર પ્લેનની કે મોટી સંખ્યામાં માણસોને મારી નાખવાની જરૂર નહીં પડે. દેશના અર્થતંત્રને ખોરવી નાખો, તો દેશ આપોઆપ પાયમાલ થઇ જશે. દાખલા તરીકે, એક દેશ બીજા દેશનાં ન્યુક્લિયર પાવર સ્ટેશન, શેર બજાર, ટ્રેન અને વિમાનોની કમ્પ્યુટર સિસ્ટમ કે તેની પાવર કંટ્રોલ સિસ્ટમને હેક કરી નાખે, તો યુદ્ધ જેવી જ તારાજી થાય.

દુનિયામાં મોટાભાગના દેશોનાં નાગરિક, લશ્કરી અને સુરક્ષાનાં માળખાં કમ્પ્યુટર સિસ્ટમ આધારિત થઇ ગયાં છે. સાઈબર સ્પેસ એક નવી સરહદ છે, જ્યાં યુદ્ધો લડાવાની સંભાવનાઓ વધતી જાય છે. ટેકનોલોજી અને પૈસાની ક્ષમતાવાળા દેશો તેમાં વધુને વધુ ધ્યાન આપી રહ્યા છે. સોવિયત સંઘ પર અમેરિકાનો વિજય પરંપરાગત યુદ્ધ સિવાયના અનેક વિકલ્પોમાંથી આવ્યો હતો. અમેરિકા ઈરાક અને અને અફઘાનિસ્તાનમાં યુદ્ધ છેડીને તોબા પોકારી લીધી છે. વિયેતનામમાં હાથ બાળ્યા પછી, ચીન સશસ્ત્ર સંઘર્ષમાં પડતું નથી. ઈરાન અને અમેરિકાએ સાર્વજનિક રીતે કબૂલ્યું છે કે તેઓ એકબીજા પર સાઈબર-એટેક કરવા માટે  સજ્જતા કેળવી રહ્યા છે.

તમે નિયમિત એવા સમાચાર વાંચ્યા હશે કે ફલાણી વેબસાઈટને પાકિસ્તાને હેક કરી અથવા ઢીંકણી સાઈટને ડીફેસ (વિકૃત) કરી નાખી. આ તો છોકરમત જેવું છે. દુનિયામાં તેનાથી વધુ ગંભીર પ્રયાસો થઇ રહ્યા છે. રશિયાએ ઉક્રેનમાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પહેલાં સાઈબર-એટેક કરીને અઢી લાખ લોકોનો વીજ પુરવઠો ખોરવી નાખ્યો હતો. ૨૦૦૭માં એસ્ટોનિયાની બેન્કિંગ અને કમ્યુનિકેશન સિસ્ટમને ખોરવી નખાઈ હતી, પરિણામે દેશમાં ૨૨ દિવસ સુધી અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી.

૧૯૪૫ પછી, દુનિયામાં સત્તા માટે કોઈ મહાયુદ્ધ થયું નથી, કારણ કે યુદ્ધમાં સરવાળે કોઈ જીતતું નથી. તેની આર્થિક અને જાનમાલની પાયમાલી બંને પક્ષે સરખી જ હોય છે. તેના બદલે, બીજા વિશ્વયુદ્ધ પછી દેશો આર્થિક અને નોલેજની તાકાત પર ધ્યાન આપી રહ્યા છે. તમારી પાસે આર્ટિફિશલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, બાયો-એન્જિનિયરિંગ જેવું જ્ઞાન હોય, તો તેને સૈનિકો મોકલીને કે તોપ ફોડીને ખતમ કરી ન શકાય. ભૂતકાળમાં સૈન્યો દુશ્મન દેશનાં સંશાધનો પર કબજો કરીને સામ્રાજ્યનો ફેલાવો કરતાં હતાં. આજે તમારે  તમારી જગ્યાએથી ઊભા થયા વગર ખાલી એ દેશોની નિર્ણાયક કમ્પ્યુટર સિસ્ટમ્સમાં જ ઘૂસ મારવાની જરૂર છે.

અમેરિકન સુરક્ષા નિષ્ણાતો માને છે કે આજે જો યુદ્ધ થાય, તો ચાઇનીઝ જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ પાસે દુશ્મન દેશની ત્રણ ‘સી-સિસ્ટમ’ (કોમ્બેટ, કંટ્રોલ, કમ્યુનિકેશન) પર સીધો હુમલો કરવાની અને  ટેકનોલોજી આધારિત યુદ્ધ શરૂ કરવાની ક્ષમતા છે. ચીનને પણ અમેરિકાની ક્ષમતાનો અંદાજ છે. માર્ચ ૨૦૨૦માં એક ચાઇનીઝ સાઈબર સિક્યુરિટી કંપનીએ આરોપ મુક્યો હતો કે સી.આઈ.એ. અનેક ચાઇનીઝ કંપનીઓને હેક કરી રહ્યું છે. ચીન ૨૧મી સદીમાં સાઈબર-યુદ્ધ માટે આક્રમક રીતે આગળ વધી રહ્યું છે.

ચીન પાસે દુનિયાનું સૌથી મોટું પરંપરાગત સૈન્ય પીપલ્સ લિબરેશન આર્મી (પી.એલ.એ.) છે, અને ચીને તેમાં સાઈબર સિક્યુરિટી તેમ જ ટેકનોલોજીકલ કંપનીઓને જોડીને સાઈબર બટાલિયનો ઊભી કરી છે. એક અંદાજ પ્રમાણે પી.એલ.એ.ની વેસ્ટર્ન કમાન્ડ જ્યાં આવેલી છે તે ચેંગડુમાં ૫૦,૦૦૦ હાજર વિશ્લેષકો ભારતની સાઈબર સ્પેસ પર નજર રાખી રહ્યા છે.

કહેવાનો મતલબ એ છે કે ભારત સામે અસલી સંકટ સાઈબર-સ્પેસમાં છે. તેની સામે ફેસબુક, ટ્વીટર કે વોટ્સએપ કોણ શું કરી રહ્યું છે તે તો બાળકોની રમત છે.

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 14 માર્ચ 2021

Loading

સમ્યક સાહિત્યની વિભાવના

રતિલાલ રોહિત|Opinion - Literature|16 March 2021

‘હયાતી’(તંત્રી, હરીશ મંગલમ્‌)ના સમ્યક સાહિત્ય વિવેચન વિશેષાંક(સપ્ટેમ્બર-ડિસેમ્બર ૨૦૨૦)માંથી ડૉ. રતિલાલ રોહિતનો આ લેખ અહીં સાભાર ઉધ્ધૃત કર્યો છે. સ્થાપિત, શિષ્ટ અને સરજાતા સાહિત્યને પરંપરાથી ઉફરાટે તપાસવાના એક ઉપક્રમ તરીકે (જેમ વિવેચન તેમ આંદોલન તરીકે) પણ આ વિચારરૂખ સમજવા જોગ છે. અહીં જે ઓજાર-મૂલ્યો નિર્દેશાયાં છે એ ધોરણે સ્થાપિતની જેમ જ દલિત સાહિત્ય સર્જન વિશે પણ નિરીક્ષા ને નુક્તેચીની ઈષ્ટ છે. વયસ્કતાનું ઉખાણું, આખરે તો, હર ધારાએ છોડાવવું રહે છે. બને કે બે અલગ છેડેથી કોઈ નીતર્યા સમ પર ઠરવાનું બની આવે. બને કે સમ પર ઠરવા જેવું લાગે ન લાગે અને નવેસર તપાસદોર વળી દુર્નિવાર બની રહે. સર્જન અને સમીક્ષાની જે રમણા, એને વળી પૂર્ણવિરામ શાં.

— “નિરીક્ષક” તંત્રી

“આપણી પાસે વ્યાપારી કે ધનિક વર્ગમાં રસિકતાની દ્રષ્ટિ હોતી નથી. આ તેમનો દોષ હોતો નથી, ચાતુર્વણ્યનો છે. ચાતુર્વણ્યમાં જે વર્ણભેદ પડેલો છે તેમાં કોણે શું કરવું તેનો ખુલાસો કરેલો છે. બ્રાહ્મણોએ સંસ્કૃતિ અને કળાનું સંવર્ધન કરવું, વૈશ્ય લોકોએ વ્યાપાર કરવો એવા ધાર્મિક સમજણના નિયમોને હોવાને કારણે પ્રત્યેક જણ નક્કી કરેલી દિશા તરફ જુએ છે … આપણી પાસે કળા વિશે અનાસ્થા જોવા મળે છે તેનું કારણ ચાતુર્વણ્યને કારણે હિંદુ ધર્મના લોકોની રસિકતાનું પણ અપહરણ થયું છે.”૧

સાહિત્યસર્જન માનવજીવનની સર્વસમસ્યાઓને તથાગત રીતે ઉજાગર કરીને એક સમ્યક સમાજરચના નિર્માણ કરવામાં પાયાની ભૂમિકા રચી આપનારું હોવું જોઈએ. સર્જનનું કાર્ય જ નવી સમાજરચના દ્વારા માનવતાવાદને વધુને વધુ સુદ્રઢ અને સમ્યક ભાવ-વિચારથી સમૃદ્ધ કરવાનું છે. સાહિત્યને સમ્યક દ્રષ્ટિકોણથી મૂલવવાના કે સર્જવાના પ્રયાસો આજ સુધી આપણે ત્યાં નથી થયા કે અંશતઃ જોવા મળે છે ત્યારે ફરી એક વાર સમ્યક ભાવ-વિચાર દ્વારા સાહિત્યને વધુને વધુ ખેડી શકાય તેવા પ્રયાસો કરવા જોઈએ. ગઈ કાલનું દલિત સાહિત્ય આજનું સમ્યક દિશા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તેમાં કેવા પ્રકારના બદલાવની અપેક્ષા રાખવામાં આવે છે તેનો વિચાર કરવો અતિ આવશ્યક બને છે.

વીસમી સદીના ઉત્તરાર્ધમાં જે નવા પ્રવાહરૂપે સાહિત્યનો ઉદ્‌ભવ થયો તે દલિત સાહિત્યની ભૂમિકા ડૉ. બાબાસાહેબ આંબેડકરની વિચારધારાના પ્રભાવને કારણે ક્રમશઃ વિકસિત અને વધુ દ્રઢ બની છે. દલિત સાહિત્યના વ્યાપક પ્રભાવ અને વિસ્તારને કારણે હિંદુ ધર્મ પ્રણિત અમાનવીય અને ક્રૂર સામાજિક વિષમતા, ઊંચનીચના ભેદભાવ, અંધશ્રદ્ધા, કર્મકાંડ, સ્વર્ગ-નરકની મિથ્યા કલ્પનાઓની અંધકારમય અને દિશાહીન જીવનપદ્ધતિ દ્વારા શોષિત, પીડિત, અને માનવીય અધિકારોથી પૂર્ણપણે વંચિત દાયકામાં માનવ અધિકારોનું આંદોલન શરૂ થયું. મહારાષ્ટ્રમાં મહાડના ચવદાર તળાવ સત્યાગ્રહ, નાસિક કાલારામ મંદિર સત્યાગ્રહ માનવમુક્તિના પ્રવેશદ્વાર સમાન સાબિત થયાં. મહાત્મા જોતિબા ફૂલેની સામાજિક ક્રાંતિનો પ્રભાવ વીસમી સદીમાં વધુને વધુ પ્રગાઢ બનતો ગયો. સામાજિક, ધાર્મિક, આર્થિક વિષમતાની સામે જનઆંદોલનની સાથે સાથે સાહિત્યિક ચળવળનો પણ આરંભ થયો. મહાત્મા  જોતિરાવ ફૂલેના વૈચારિક પ્રભાવને કારણે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધથી જ માનવસર્જિત વર્ણ અને જાતિવ્યવસ્થા દ્વારા થતાં અમાનવીય શોષણ વિરુદ્ધ સાહિત્યિક ચળવળનો આરંભ થઈ ચૂક્યો હતો. ઈ.સ. ૧૮૮૫માં પૂના મુકામે કૃષ્ણશાસ્ત્રી રાજવાડેના અધ્યક્ષસ્થાને ભરાયેલ ગ્રંથસંમેલનના ન્યાયમૂર્તિ રાનડેએ આપેલા નિમંત્રણનો સટીક પ્રત્યુત્તર જોતિબા ફૂલેએ આ રીતે આપ્યો હતો જે આજે પણ એટલો જ ઉચિત લાગે છે : જે લોકો દ્વારા સમગ્ર માનવજાતિના માનવ અધિકારો વિશે સાચા અર્થમાં વિચાર કરીને દરેક વ્યક્તિને તેના પોતાના અધિકાર ખુશીથી તેમ જ ખુલ્લા મનથી આપી નથી શકાતા તથા તેમના હાલના વર્તનથી લાગે છે કે, ભવિષ્યમાં પણ તેઓ આપી શકશે નહીં, એવા લોકોએ બોલાવેલી સભાઓ અને એમનાં દ્વારા લખેલાં પુસ્તકોના ભાવાર્થ સાથે અમારાં પુસ્તકો અને સભાઓનો કોઈ મેળ બેસતો નથી. કેમ કે એમના પૂર્વજોએ અમારો બદલો લેવાના ઈરાદાથી અમને દાસ બનાવ્યા અને આ વાત પોતાના જૂઠા ગ્રંથોમાં જાણીબૂઝીને દબાવી દીધી. એના સાક્ષી એમના જૂના ગ્રંથો જ છે. અમારા જેવા શુદ્ર-અતિશુદ્રોને કેવી કેવી આપત્તિઓ તથા તકલીફો સહન કરવી પડે છે એ વાત ઊંટ પર સવાર થઈને ઘેટાં ચરાવનાર ગ્રંથકારો (લેખકો) અને મોટી મોટી સભાઓમાં ભાષણ આપનારાઓને કેવી રીતે સમજાશે? ખરેખર તો આ સાર્વજનિક સભાના આયોજકો આ બધી વાતોથી સારી રીતે પરિચિત છે … સંક્ષેપમાં, એમનો સાથ આપવાથી અમારા શુદ્રાતિશુદ્ર સમાજને કોઈ લાભ થવાનો નથી, એ વિશે અમારે પોતે જ વિચારવું પડશે. જો આ મોટાભાઈ (!) સાચે જ બધાની એકતા ઈચ્છતા હોય તો જરૂરી છે કે તેઓ તમામ માનવજાતિ વચ્ચે અતૂટ ભાઈચારો સ્થાપિત કરવાનો નક્કર ઉપાય શોધે તથા પુસ્તક દ્વારા એ વિચારને પ્રકાશિત કરે. આવા સમયે આંખો બંધ કરવી યોગ્ય નથી.૨ મહાત્મા જ્યોતિરાવ ફૂલેના આ વિચારોથી સ્પષ્ટ થઈ જાય છે કે, કપોળકલ્પિત સાહિત્ય સામાજિક ક્રાંતિનો પર્યાય બની શકતું નથી. સામાજિક વાસ્તવ જ્યાં સુધી સાહિત્યમાં નિરૂપિત ન થાય અને સામાજિક પ્રતિબદ્ધતા જ્યાં સુધી સાહિત્યમાં પ્રગટે નહીં ત્યાં સુધી સાહિત્ય માત્ર મુઠ્ઠીભર સામંતીઓ અને જાગીરદારો બ્રાહ્મણોના મનોરંજનનું સાધન બનીને રહી જશે. સાહિત્ય એ સામાજિક પરિવર્તનનું અત્યંત પ્રભાવક પરિબળ છે, તેના દ્વારા સામાજિક ક્રાંતિ સંભવ છે એમ દ્રઢપણે માનતા જોતિરાવ ફૂલે માનવીય શોષણ કરતી અમાનવીય પરંપરાને મૂળથી નષ્ટ કરવા તત્પર બને છે. સાહિત્ય વિશેની એમની સમજણ એક વિચક્ષણ મર્મી અને પ્રખર સંશોધકની રહી છે. સત્યશોધક સમાજની રચના જ એક ઉત્તમ સંશોધકની ગરજ સારે છે. એક નિષ્ઠાવાન સમાજહિતચિંતક અને ગહન અભ્યાસુ તરીકેની તેમની છબિ સામાજિક પ્રતિબદ્ધતાની દ્યોતક છે. સમ્યક વિચારનો મહિમા આ રીતે તેમના જીવનનો મંત્ર બની ગયો હતો. સાહિત્યનું સમ્યક મૂલ્યાંકન સર્જકની માનસિકતાને ઘડે છે. સર્જકની સમ્યક ભાવના વધુ પાકટ બનતી અનુભવાય છે. સામાજિક વિષમતા સામે ઝીંક ઝિલતાં પાત્રોની ખુમારી અને માનવીય પરિબળોને સર્જક માનવીય સંવેદનાની નજરે જુએ તો જ સકારાત્મક સર્જકતા પ્રગટે છે. એ અર્થમાં સમ્યક સાહિત્યની ચર્ચા અસ્થાને નહીં ગણાય. દલિત સાહિત્યમાં દલિત સમાજની વાસ્તવિક્તાનું ચિત્રણ, વિષમ સામાજિક વ્યવસ્થા, પરંપરાગત વિધિનિષેધો, તમામ કાલ્પનિક શાસ્ત્રો-મહાકાવ્યો દ્વારા સ્થાપિત લાદવામાં આવેલી મનુવાદી વર્ણ-જાતિવ્યવસ્થા સામેનો પ્રતિકાર, વિદ્રોહની અભિવ્યક્તિ જોવા મળી હતી જ્યારે સમ્યક સાહિત્ય દ્વારા નવી સમાજરચનાનો પુરસ્કર, સામાજિક સમાનતા, સ્વતંત્રતા, બંધુત્વભાવાદિની સાથે પ્રજ્ઞા, શીલ અને કરુણા દ્વારા સાહિત્યમાં નૈતિક મૂલ્યોની માવજત કરી સમતામૂલક સમાજરચનાનો આવિષ્કાર કરવાનો દ્રઢ નિર્ધાર સમ્યક વિચારમાં નિહિત છે.

ગુજરાતી સાહિત્યના સંશોધક-વિવેચક જયંત કોઠારીએ પણ ગુજરાતી વિવેચન વિશે શંકા વ્યક્ત કરી છે. ગુજરાતીમાં સાહિત્યતત્ત્વની મીમાંસા વૈજ્ઞાનિક રીતે થતી નથી.૩ ગુજરાતીવિવેચન વિશેનો વિવેચકોનો દ્રષ્ટિકોણ પ્રસ્થાપિત વિચારસરણીને કેન્દ્રમાં રાખીને જ હંમેશા થતો રહ્યો છે. સર્જનની અને વિવેચનની માળખાગત ઓળખ આપવાની અસમતોલ પરંપરા સર્જનને વધુને વધુ રૂઢિવાદી બનાવે છે. સાહિત્યસર્જનની સંકુચિત દ્રષ્ટિને પોષતું વિવેચન પણ તાર્કિક સ્તરની દિશાને વધુ ધૂંધળી બનાવે તે સ્વાભાવિક છે. સર્જનમાં જેમ કોઈ જાતિવર્ગભેદને સમર્થન કરનારી વિચારસરણી કામ કરતી હોય અને તે જ વિચારસરણી જો વિવેચનમાં પણ પ્રવૃત્ત હોય તો વિવેચનની સાર્થકતાનો છેદ ઉડી જાય છે. સર્જનમાં વ્યક્ત થતો વિચાર માનવીય મૂલ્યોની ખેવના કરે છે કે નહીં એનું આકલન કરવાનું કાર્ય વિવેચનનાં કાર્યક્ષેત્રની બહારનું હોઈ શકે. વિવેચનની તર્કવિહીન વિચારણાને કારણે સર્જનની સાચી દિશા હજુ સુધી નક્કી થઈ શકી નથી. સર્જનમાં સમ્યક દ્રષ્ટિનો અભાવ જોવા મળે છે. સાહિત્યકૃતિને ઉત્તમ કહેવા પાછળના વિવેચનના કયા માપદંડો ખપમાં લેવાય છે? શું કોઈ પણ રચના માનવીય ભાવોથી મુક્ત હોઈ શકે ? કૃતિને ઉત્તમ કે શ્રેષ્ઠ કહેવા પાછળ વિવેચકનો કોઈ વ્યક્તિગત વિચારસંદર્ભ તો કામ નથી કરતો ને ! જાતિગત શ્રેષ્ઠતાના પ્રભાવમાંથી ગુજરાતી સર્જન અને વિવેચન હજી સુધી મુક્ત નથી થઈ શક્યું એ હકીકત છે ત્યારે વંચિતોના સાહિત્યની પીઠિકાને કોઈ જાતિ-વર્ગ-વર્ણના વર્તુળમાં વિભાજિત ન કરતાં માનવીય મૂલ્યોનાં કેન્દ્રમાં મૂકીને તપાસવું હિતાવહ છે. અમાનવીય પરંપરાની અપાર યાતનાઓને પાર કરીને પોતાના અસ્તિત્વની આગવી ઓળખ માટે માનવીય મૂલ્યોની પ્રસ્થાપના કળાત્મક અભિનિવેશ સાથે પ્રગટાવતી સામાજિક ન્યાય અને ઉચ્ચ નૈતિક વિચારદ્રષ્ટિ સમ્યક સાહિત્યની આધારશિલા છે.

મરાઠી ભાષાના જાણીતા સાહિત્યકાર મર્ઢેકર સાહિત્યની ઉત્તમ રચનાના માપદંડ શા હોઈ શકે એની ચર્ચા કરતા કહે છેઃ ભારતીય સંવિધાનની પ્રસ્તાવનામાં જે માનવીય મૂલ્યો અને તત્ત્વજ્ઞાન દર્શાવ્યું છે તે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી, ગણરાજ્ય, સામાજિક-આર્થિક ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, વિશ્વાસ, શ્રદ્ધા અને ઉપાસનાનું સ્વાતંત્ર્ય, દરજ્જા અને તકની સમાનતા, વ્યક્તિની પ્રતિષ્ઠા, રાષ્ટ્રીય એક્તા, એકાત્મકતા અને બંધુતા આ તમામ મૂલ્યો એની ગહન વિચારણા સાથે, તેનું પરિશીલન કરીને, એકરસ થઈને લેખન થયું હોય તેવી કૃતિને ઉત્તમ કળાકૃતિ કહી શકાય એમાં શંકા નથી.૪ સાહિત્યકૃતિની સફળતાનો માપદંડ શો હોઈ શકે તેનો સર્વગ્રાહી પ્રયત્ન અહીં થયો છે. કોઈ પણ વિચારક આ પ્રયાસને નકારી શકે તેમ નથી, સાહિત્યના મૂળ ઉદ્દેશને અહીં ચિહ્નિત કરવામાં આવ્યો છે. એક ઉત્તમ રચનાને મૂલવવા માટે જે લક્ષણોની ચર્ચા કરવામાં આવે છે તે પ્રચલિત કે સ્થાપિત લક્ષણોથી સાવ ભિન્ન છે. કદાચ એટલે જ સાહિત્યનો ઉદ્દેશ હજી સુધી કારગત નિવડ્યો નથી એ એટલું જ સત્ય છે. સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વની ભાવના સામાજિક ધરાતલ પર તૈયાર થયેલી છે. સામાજિક નૈતિક્તાનો આવિર્ભાવ દર્શાવતાં આ માનવીય મૂલ્યો સાહિત્યમાં પાયાની ભૂમિકા પૂરી પાડે છે.

તો, શરણકુમાર લિંબાળે પણ ઉત્તમ કળાકૃતિની વ્યાખ્યા કરતી વખતે પણ આંબેડકરી વિચારને કેન્દ્રમાં રાખે છે. તેઓ કહે છે કળાકારની કળાકૃતિમાંનો વિચાર ભાવકના મનને કેટલું અને કેવી રીતે પ્રભાવિત કરે છે તેના પર કૃતિનું સ્તર નિર્ભર રહે છે. જો દલિત સાહિત્યકૃતિ સુંદર અને પરિણામતઃ સ્તરવાળી સાબિત થશે તો દલિત લેખકોએ તેના પરથી નક્કી કરવું પડશે કે, એની સાહિત્યકૃતિમાં આંબેડકરી વિચારને કેવી રીતે વ્યક્ત કરી શકાય. જે કળાકૃતિ વધુને વધુ ‘દલિત ચેતના’ પ્રકટાવશે તે કળાકૃતિ સર્વશ્રેષ્ઠ ગણાશે.૫ એટલે શરણકુમારના આ વિધાનથી એક બાબત સ્પષ્ટ થાય છે કે, દલિત કળાકૃતિનાં વૈચારિક તત્ત્વો આંબેડકરી દર્શનમાં રહેલાં છે. આંબેડકરી વિચારદર્શન શોષિત, વંચિત, પીડિત માનવી સમુદાયનું સાચુકલું પ્રતિનિધત્વ કરે છે. માનવીય મૂલ્યોને ઉજાગર કરવા માટે આજે અને આવતી કાલે પણ આંબેડકરી વિચારધારા જ સાહિત્ય અને વ્યવહારમાં એકમાત્ર માર્ગ છે. સાહિત્યકૃતિની વૈચારિક પીઠિકામાં માનવીય અધિકારોનું જતન અને સંવર્ધન જરૂરી છે. અમાનવીય વિચારધારાને કદી કોઈ કાળે સાહિત્યકૃતિમાં નિરૂપિત કરી શકાય નહીં. માત્ર વ્યક્તિવાદી, અધ્યાત્મવાદી, ગૂઢવાદી, રહસ્યમય, કાલ્પનિક અને ભ્રામક કથાઓ સામાજિક અને નૈતિક ચેતનાનો નાશ કરે છે. માનવીય મૂલ્યોનું હનન કરે છે. અમાનવીયતા અને સામાજિક ભેદભાવને પ્રોત્સાહન અને દ્રઢ બનાવતી વિચારધારા માનવતાને હણે છે. સાહિત્ય તો ભેદભાવની સીમાઓને લાંઘીને માનવજીવનનાં કલ્યાણ અને ઉદાર ચરિત્રને પ્રગટાવતું હોવું જોઈએ. સામાજિક ન્યાય અને કરુણાના વ્યાપક અને ગહન સ્તરને આંબતું હોવું જોઈએ. આંબેડકરી વિચારને વ્યક્ત કરતી કળાકૃતિ માનવીય સંવેદનાઓની સાથે સાથે માનવીય મૂલ્યોની પ્રમાણભૂતતાને સ્પષ્ટ રીતે ચીંધી આપતી હોવી જોઈએ. વર્ણ-લિંગ-જાતિ-ભેદ વિનાના સમાજની વિભાવના તૈયાર કરવાનું એક માત્ર ધ્યેય આંબેડકરી વિચારનો શંખનાદ છે. આ આંબેડકરી વિચાર એટલે જ સમ્યક દ્રષ્ટિ.

આંબેડકરવાદી સાહિત્ય વિશેની સ્પષ્ટ ભૂમિકા આપનાર મરાઠી ભાષાના કવિ વિવેચક યશવંત મનોહર સમાજ અને સાહિત્યના સંબંધને સ્પષ્ટ કરતાં કહે છે તેમ સમાજ એટલે માણસોના સંબંધોની રચના. અને સાહિત્ય એટલે માત્ર આ સંબંધોનું તટસ્થ વર્ણન જ નહીં પરંતુ આ સંબંધો પર કરેલું ભાષ્ય, તેનાથી જ એક નવું સાહિત્યરૂપ પ્રાપ્ત થાય છે. માણસોના સંબંધોની પુનઃરચના એવું આ ભાષ્યનું રૂપ હોય છે. આ ભાષ્યના અદ્રશ્ય ભાવો માનવીય સંબંધોના અધિક નિરામય રૂપ તરફ ગતિ કરતા હોય છે. આ નિરામયતાને જ સૌંદર્ય કહેવામાં આવે છે. એટલે કે માનવીય સંબંધો પર ભાષ્ય કરનારાં મૂલ્યો સૌંદર્યની નિર્મિતિ કરે છે એમ કહેવું જોઈએ. સાહિત્યકારની મૂલ્યદૃષ્ટિને જ આપણે જીવનદ્રષ્ટિ અને સૌંદર્યદ્રષ્ટિ કહીએ છીએ. સાહિત્યકારની ભાવના, વિચાર, તેનાં જીવનનું આકલન અને મૂલ્યાંકન આ તમામ પરિબળો મૂલ્યો સાથે જોડાયેલાં હોય છે. સાહિત્યકારનો શબ્દ આ મૂલ્યોનું જ પ્રતિનિધિત્વ કરે છે.૬

સાહિત્ય જીવનની અનેક સમસ્યાઓની સાથે સાથે તેનાં મૂલ્યોની ઝીણવટપૂર્વક તપાસ આદરે છે. જીવનનો પ્રવાહ સતત વહેતા રાખવાની સાહિત્યની પ્રક્રિયામાં માનવીય સ્વભાવ અને એ સ્વભાવની પડછે રહેલા માનસિક બદલાવોની પણ ચિકિત્સા કરે છે. એ અર્થમાં સાહિત્ય માનવજીવનની સભ્યતાને, એના મૂળભૂત સ્વરૂપની ઓળખને પ્રગટ કરે છે. સાહિત્યકાર ધર્મના ઓછાયામાં જીવતો હોય ત્યારે તેના સર્જનમાં ધર્મનો તંતુ જોડાયેલો હોય છે. કોઈ એક ધર્મની વિચારણાને વિકસિત કરવાને બદલે ધાર્મિક સંસ્કારોનું પ્રાબલ્ય વધતું જોવા મળે ત્યારે તાર્કિક રીતે તેના વૈચારિક સંદર્ભો મેળવીને અવ્યવહારિક બન્યા વિના માનવીય વિશેષોને પ્રગટ કરવાની આકલનશક્તિ વિવેચક માટે અપરિહાર્ય બને છે. વિવેચન તો માનવજીવનની બદલાતી સ્થિતિઓનું સૂક્ષ્મ મૂલ્યાંકન કરે છે. પ્રતિક્ષણ બદલાતા માનવીય સ્વભાવને તંતોતંત પ્રત્યક્ષ કરી આપવાનું અને મૂળભૂત કારણોની તપાસ આદરવાનું સમર્થ કાર્ય વિવેચનની આદર્શ શરત હોય છે. જો વિવેચન એકપક્ષીય બને તો તે સર્જન માટે પણ અમર્યાદ અને તેથી અતિરેકી બનવાની શક્યતાઓ નકારી શકાય નહીં. આંબેડકરવાદી સાહિત્યનું પોતાનું આગવું વિવેચનશાસ્ત્ર છે. અને તેથી પોતાનું આગવું સૌંદર્યશાસ્ત્ર છે. દલિત સાહિત્યના સૌંદર્યશાસ્ત્રમાં શરણકુમાર લિંબાળે દલિત સાહિત્ય અધ્યાત્મવાદ અને ગૂઢવાદને નકારે છે એ કારણે માનવું પડશે કે, આ સાહિત્યનું સૌંદર્યશાસ્ત્ર અધ્યાત્મવાદી નહીં પરંતુ ભૌતિકવાદી છે૭ એમ કહે છે ત્યારે એટલું તો સ્પષ્ટ છે કે, અહીં વાસ્તવજીવનનો મહિમા અને એને અનુષંગે માનવજીવનમાં વ્યાપ્ત કપોળકલ્પિત, વાયવી સૃષ્ટિનો સદંતર છેદ ઊડે છે. કાળનો આધાર કલ્પના નથી પણ વાસ્તવ છે. વાસ્તવને સમૃદ્ધ કરવાના સર્જકના પ્રયાસો, માનવીય મૂલ્યો જેવાં કે કરુણા, પ્રજ્ઞા, શીલ વગેરે ઉદાત્તતત્ત્વોનું નિરૂપણ સમ્યક સાહિત્યમાં નિહિત છે. ‘અવિદ્યાનો નાશ’ એ સમ્યક દ્રષ્ટિનો અંતિમ ઉદ્દેશ છે. અહીં મિથ્યા-દ્રષ્ટિનો તીવ્ર વિરોધ છે. અવિદ્યાનો અર્થ છે કે, મનુષ્ય દુઃખને જાણી ન શકે, મનુષ્ય દુઃખના નિર્મૂલનના ઉપાયો ન જાણી શકે, મનુષ્ય આ આર્યસત્યને ન જાણી શકે. સમ્યક દ્રષ્ટિનો અર્થ છે કે, મનુષ્ય કર્મકાંડના ક્રિયાકલાપોને વ્યર્થ સમજે. મનુષ્ય શાસ્ત્રોના મિથ્યા વિશ્વાસમાંથી મુક્ત બને. મનુષ્ય મિથ્યા વિશ્વાસથી મુક્ત બને. મનુષ્ય એમ ન માની લે કે કોઈ પણ બાબત પ્રકૃતિના નિયમો વિરુદ્ધ બની શકે છે. સમ્યક દ્રષ્ટિનો મતલબ છે કે, મનુષ્ય એવી તમામ મિથ્યા ધારણાઓથી મુક્ત થાય જે માત્ર માનવીના મનની કલ્પનાઓ જ છે, અને તેનો અનુભવ અને વાસ્તવજીવન સાથ કોઈ સંબંધ નથી. સમ્યક્‌ દ્રષ્ટિનો અર્થ છે કે મનુષ્યનું મન સ્વતંત્ર બને. મનુષ્યના વિચારો સ્વતંત્ર બને.૮ વિવેચન-સંશોધન માટે તર્કપૂર્ણ વિચાર અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો જ આગ્રહ રાખવામાં આવે છે. તર્ક એ વિવેચનની કે સંશોધનની પ્રાથમિક અવસ્થા છે જેના વિના વિવેચન કે સંશોધનના જટિલ વિસ્તારમાં પ્રવેશવું લગભગ અસંભવ બને છે. ‘જેવું સર્જન તેવું વિવેચન’ એમ કહીએ છીએ ત્યારે વિવેચનમાં સમ્યક દ્રષ્ટિનો અભાવ વર્તાઈ આવે છે. માત્ર જન્મ, વંશ, જાતિ કે વર્ણના કારણે પાત્રોને મહાન ચિતરવાના કાલ્પનિક પ્રયાસો અવિરત થતા રહ્યા છે. વર્ણવ્યવસ્થાના ક્રમમાં પાત્રોને જડબેસલાખ મૂકીને તેમની પાસેથી કોઈ ઉત્તમ વિચારની અપેક્ષા રાખવી તે નરી મૂઢતા છે. આવું સર્જકકર્મ અવિદ્યાનું દ્યોતક બની રહે છે. દા.ત. સરસ્વતીચંદ્રનાં પાત્રોની ચર્ચા થઈ શકે. સર્જક પાત્રોમાં પ્રવેશે છે ત્યારે તે પોતાના અંગત ગણા-અણગમાને પણ તેમાં મૂકી આપે છે. ભેદભાવપૂર્ણ વાસ્તવને ઉજાગર કરવામાં કોઈ પક્ષપાતને સ્થાન ન હોવું જોઈએ. સમ્યક વિચાર સાહિત્યસર્જન માટે પ્રેરકબળ સમાન છે. સમાજમાં સામાજિક વિષમતાના અવૈજ્ઞાનિક વિચારને નષ્ટ કરવા માટે સમ્યક દૃષ્ટિ અત્યંત જરૂરી છે. નૈતિક મૂલ્યો હોવા છતાં સામાન્ય ગણાતાં પાત્રની અવહેલના અને અનૈતિક આચરણ હોવા છતાં ઉચ્ચ જાતિ હોવાને કારણે થતી અદૃબ સલામી સર્જકત્વ માટે કલંકરૂપ ઘટના બની રહે છે.

સમ્યક દ્રષ્ટિ નીરક્ષીર વિવેકપૂર્ણ રીતે વિચાર અને આચરણ કરતાં શીખવે છે. તાર્કિક વિચારથી કોઈ પણ ઘટનાને મૂલવવાનો પ્રથમ અને અંતિમ ઉપાય સૂચવે છે. કાર્ય અને કારણના સંબંધથી જ કોઈ પણ ક્રિયાનું આકલન-મૂલ્યાંકન-વિવેચન કરવાનો એક માત્ર ઉદ્દેશ સમ્યક વિવેચનનો છે. ઘટનાના મૂળમાં જઈને તેનાં કારણોની મીમાંસા કરવાની અને તે દ્વારા તથ્યને પ્રગટ કરવાની પ્રક્રિયા એટલે જ સમ્યક દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિ દ્વારા જ સમ્યક વિચાર પ્રગટી શકે અને સમ્યક વિચાર દ્વારા જ સમ્યક કાર્ય સંભવ બની શકે. આમ સમાનતામૂલક સમાજરચના માટે સમ્યક દ્રષ્ટિમાંથી નિપજતી કરુણા અને સમાન વ્યવહાર દ્વારા ઘટતી સમ્યક કાર્યશૈલી માનવજીવનને ઉર્જિત કરે છે. નૈતિક મૂલ્યોનું પ્રાગટ્ય અને ક્રમશઃ તેના સંવર્ધન માટે સમ્યક દર્શન જ એક માત્ર પર્યાય બની રહે છે ત્યારે સાહિત્ય દ્વારા સમાજને સમાજ દ્વારા સાહિત્યને સમૃદ્ધ કરવાના પ્રયત્નોની સાર્થકતા તો ભેદભાવવિહીન, અવિદ્યાનો નાશ કરતી, વિવેકપૂર્ણ દ્રષ્ટિ દ્વારા જ સંભવી શકે છે.

પૂંજીવાદ-સામંતવાદનો એકાધિકાર ધરાવતી વિચારધારાનું સમ્યક વિચારમાં કોઈ સ્થાન નથી. સમ્યક સાહિત્યની વૈચારિક વિભાવનામાં વૈમનસ્ય કે કોઈ પણ પ્રકારના ભેદભાવને સ્થાન નથી. અને જે સાહિત્યમાત્ર કોઈ એક વર્ગનું જ પ્રતિનિધિત્વ કરતું હોય તે કદી સમ્યક ન બની શકે. સમાજના વિવિધ વર્ગની સામાજિક ચેતનાને પ્રગટ કરવાની અને એને અનુષંગે એ સમાજનાં નૈતિક મૂલ્યોની માવજત કરવાનું કાર્ય સમ્યક વિચાર દ્વારા જ સંભવી શકે છે. સાહિત્ય પણ સમ્યક દ્રષ્ટિથી સમૃદ્ધ બને એવા સર્જનાત્મક પ્રયાસો થાય તો શોષણવિહીન, જાતિવિહીન સમાજરચના તરફ પ્રયાણ કરી શકાય.

શું કોઈ એક કૃતિ એટલા માટે અસ્પૃશ્ય છે કે તેમાં તથાકથિત ઉચ્ચવર્ણીય પાત્રો નથી? થોડાં ઉદાહરણોથી સમજીએ. પન્નાલાલ પટેલ કૃત ‘મળેલા જીવ’ વિશેનો કવિ ન્હાનાલાલનો વિચાર, રા.વિ. પાઠકકૃત ‘ખેમી’ વાર્તા વિશેનો ર.છો. પરીખનો વિચાર કે પછી ન્હાનાલાલ કવિ વિશેનો ઉમાશંકર જોશીનો વિચાર સમ્યક દ્રષ્ટિનો મૂળથી છેદ ઉરાડે છે. જીવી અને ખેમી અને ઝમકુંનાં પાત્રોની અવહેલના એટલા માટે થઈ છે કે જેઓ પોતાને તથાકથિત ઉચ્ચવર્ણના માને છે તેમની નજરમાં આ પાત્રો નિમ્ન જાતિ છે. તો ન્હાનાલાલ કવિ વિશેનો ઉમાશંકર જોશીનો હૃદયોદ્‌ગાર માત્ર સંકુચિત દ્રષ્ટિનો પર્યાય બની રહે છે. જે કવિમાં સમ્યક ભાવ કે વિચારનું કોઈ સ્થાન નથી તેવા કવિશ્રીની દ્રષ્ટિ વિશ્વકવિ (કોસ્મિક વિઝન) વાળી૯ કંઈ રીતે હોઈ શકે? શું માનવજીવનના પાયાના પ્રશ્નો અને માનવહૃદયના સનાતન(?) મંથનોમાં વંચિત સમાજને કોઈ જ સ્થાન નથી? તો, આવી એક વર્ગીય અને સંકુચિત દ્રષ્ટિને વિશ્વદ્રષ્ટિ કેવી રીતે કહેવી? જે દ્રષ્ટિમાં વંચિત સમાજની ઉપેક્ષા થતી હોય! આ સંકુચિત અને જાતિવાદી દ્રષ્ટિ કદી વિશ્વષ્ટિ બની ન શકે. આ અને આવા તો એકાંગી મૂલ્યાંકનનો સાહિત્યની પારદર્શકતા અને માનવીય મૂલ્યોની વિશ્વસનીયતા સામે એક પડકાર બની રહે છે. તમામ ગુણ-દોષને મુક્તપણે ઉજાગર કરતી અને માનવતાવાદી મૂલ્યોનું સંવર્ધન-સર્જન કરતી જ રચના જ સમ્યક સાહિત્ય બની શકે અન્યથા નહીં.

સંદર્ભ સૂચિ :

૧. ભીમરાવ રામજી આંબેડકર ચરિત્ર ખંડ-૯, લેખક ચાંગદેવ ખૈરમોડે, પૃ. ૯૫.

૨. મહાત્મા ફૂલે : સાહિત્ય ઔર વિચાર : સંપાદક હરિ નરકે, પૃ. ૩૦૭

૩. જયંત કોઠારી કાવ્યમાં શબ્દની મીમાંસા કરતી વખતે પોતાની અગાઉ કરેલી ટકોરને પુનઃ યાદ કરતા કહે છે કે : સાહિત્યત્ત્વ વિશેના સર્વમાનવ ચીલાચાલુ અર્ધસત્યોનાં ગોળગોળ અને ઘણીવાર કહેવાતી ઉચ્ચારણોથી આપણે પહુધા સંતુષ્ઠ રહીએ છીએ. અને કોઈવાર આવેશમય પક્ષિલ આત્યંતિક વાદસૂત્રો સાંભળવા મળે છે તો તેથી આપણે અંજાઈ જઈએ છીએ. જુઓ તત્ત્વલક્ષી પારદર્શકતા : સંપાદક રમણ સોની, પ્ર. આ. ૨૦૧૬, પૃ. ૧૫

૪. મરાઠી વાડમચાયા ઇતિહાસ, ખંડ ૭, ભાગ ૧, પૃ. ૧૯

૫. દલિત સાહિત્યનું સૌંદર્યશાસ્ત્ર : ‘હયાતી’ ત્રૈમાસિકનો વિશેષાંક-માર્ચ ૨૦૧૦ પૃ. ૮૩

૬. સાહિત્યની સંસ્કૃતિ અને સંસ્કૃતિનું સાહિત્ય લેખક યશવંત મનોહર, અમૃત મહોત્સવ નિમિત્તે આપેલું વક્તવ્ય, પૃ.૫

૭. દલિત સાહિત્યનું સૌંદર્યશાસ્ત્ર : ‘હયાતી’ ત્રૈમાસિકનો વિશેષાંક-માર્ચ ૨૦૧૦, પૃ. ૮૩

૮. “डॉ. बी.आर. आंबेडकर का नैतिक-दर्शन” लेखक : डॉ. डी.आर. जाटव, प्रकाशक : समता साहित्य सदन, जयपुर, पृ.  ૧૭૬

૯. ન્હાનાલાલ કવિ વિશે ઉમાશંકર જોશી કહે છે : કવિની દ્રષ્ટિ વિશ્વદ્રષ્ટિ (Cosmic Vision) હતી. ગુજરાતને ખૂણે ખૂણે એ રખડ્યા હોઈ, ગુજરાતના પ્રાકૃતિક સૌંદર્યને તો એમની કવિદ્રષ્ટિ ઝડપી લેતી જ, પણ બ્રહ્માંડને ઊંડણમાં લીધા વિના એને ચેન ન પડતું. કૌટુંબિક અને સામાજિક પ્રશ્નો પર તે અવશ્ય મનન અને સૂચન વેરતી. પણ માનવહૃદયનાં સનાતન મંથનો – માનવી જીવનના પાયાના પ્રશ્નો – પર જઈને એ ઠરતી. એ અર્થમાં ન્હાનાલાલને વિશ્વકવિ કહી શકાય. (શ્રેષ્ઠ ઉમાશંકરઃ સંપાદક : નિરંજન ભગત અને બીજા, પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પુનર્મુદ્રણ : જુલાઈ ૨૦૧૦, પૃ. ૩૪૧)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2021; પૃ. 14-16

Loading

...102030...1,9621,9631,9641,965...1,9701,9801,990...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved