Opinion Magazine
Number of visits: 9680300
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભાજપી તરાહ બનામ બાંગલા રાહ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 May 2021

મમતા બેનરજીની ઝળહળતી ફતેહનો સીધો સંદર્ભ અલબત્ત કોલકાતાની રાજવટ છે, પણ એનાં મનોવૈજ્ઞાનિક આંદોલનો બેલાશક દેશવ્યાપી છે. ભા.જ.પ.ના અશ્વમેધ અભિલાષને દિલ્હીમાં આપ અને અરવિંદ કેજરીવાલે ક્યારેક ભોંઠામણનો જે અનુભવ કરાવ્યો હશે, પશ્ચિમ બંગાળમાં એવી જ આકરી ભોંઠામણ એને મમતા બેનરજીએ કરાવી છે : વ્હિલચૅરમાં અહીંતહીં સઘળે ફરી વળતાં મમતા અને બસો જેટલાં ચાર્ટર વિમાન ને હેલિકૉપ્ટરો વાટે ગરુડે ચડી ગિરધારી પેઠે દિલ્હીથી ઊતરી આવતી ન.મો.-અમિત મંડળી : આ બે સામસામાં ચિત્રો વચ્ચે મતદારને મમતા સ્વાભાવિક જ પોતાનાં પૈકી ને પોતાનાં લાગ્યાં.

જેવો છે તેવો, બંગાળનો પોતીકી તરેહનો એક પ્રબુદ્ધ મત છે. જેવી છે તેવી, બંગાળની એક પોતાની પરંપરા છે. દિલ્હીથી કિલર ઇન્સ્ટિંક્ટ સાથે બે સેનાનીઓ ને લાવલશ્કર જે રીતે ઊતરી પડ્યાં એમની આખી શૈલી, એમણે જાહેર પ્રચાર અને વિમર્શમાં વાપરેલી ભાષા, બધું જ બાંગલા ઓળખ અને અસ્મિતા સાથે ટકરામણ સરજતું હતું અને આમ માનસમાં આક્રોશ નહીં, ત્યારે પણ અકળામણ તો જગવતું જ હતું. ઓ…મા, ઓ-બા-માની તરજ ને તરાહ પરનો ‘દીદી ઓ દીદી’ એ જીભદાવ એક સન્માન્ય મહિલા સાથે બંગમતને નકરી છેડખાની જેવો સંભળાયો અને એણે જગવેલ પ્રત્યાઘાત ભા.જ.પ.ને ઠીકઠીક ભરખીને રહ્યો.

વ્હિલચૅર વિ. વિમાન કે દીદી ઓ દીદી સરીખો જીભદાવ, એ તો જો કે તરત કૌતુક જગવતા ને લાગલું ધ્યાન ખેંચતા દાખલા થયા. પણ એમને ઓછાં આંકીને નહીં, એમનાથી કંઈક હટીને જરી વ્યાપક ફલક પર જોવા કરીએ તો સમજાતી વાત એ છે કે ભા.જ.પે. રાષ્ટ્રવાદની જે ખાસ બ્રાન્ડ વિકસાવી છે, તે બંગમતને અપીલ કરવામાં ઓછી અને પાછી પડી છે. ભા.જ.પી. રાષ્ટ્રવાદનો સ્વરાજ-ચળવળ વખતનો વિભાજક વારસો હિંદુ-હિંદી-હિન્દુસ્તાન એ તરજ પરની ત્રિસૂત્રીનો છે. હિંદીભાષી હિન્દુસ્તાન તરીકેની રાષ્ટ્રીય ઓળખમાં નજીકનાં પાછોતરાં વરસોમાં જેની ફરતે વળ ને આમળા ચઢ્યા હોય, એવો નારો (લગભગ યુદ્ધનાદ) ‘જય શ્રીરામ’ છે. બાંગલા જનજીવનમાં, ઊલટ પક્ષે, દુર્ગાનું જે સ્થાન અને ભૂમિકા છે, એનો કોઈ વિકલ્પ નથી. દુર્ગા વાટે પ્રગટ થવા કરતો સહજ હિંદુભાવ અને ‘જયશ્રી રામ’નો હિંદુત્વ યુદ્ધનાદ, બે વચ્ચે મેળ તો નહીં જ પણ લગભગ છત્રીસનો સંબંધ વરતાયો એ હકીકત છે. સહજ હિંદુભાવ સામે હિંદુત્વ બુલડોઝર વલણ વિપરીતપરિણામી પુરવાર થયું.

ગમે તેમ પણ, દૃષ્ટાંતો અને નિમિત્તોમાં ઝાઝું ખોવાયા વગર અહીં જે મુદ્દો ઘૂંટવો રહે છે તે એ છે કે આપણા જેવા ભાતીગળ દેશમાં એકતાનો રસ્તો બીબાઢાળ જડબેસલાક તરેહનો નહીં, પણ સૌને અવકાશ-મોકળાશ આપતો સમવાયી તરેહનો જ હોઈ શકે. ભા.જ.પ.નો રાષ્ટ્રવાદ વચ્ચે-વચ્ચે જરી સભાનપણે સ્થાનિક વાનાંનું સહવરણ કરવાનો વિવેક દાખવતો હોય તો પણ  એકંદરે એની તાસીર ને તરાહ એકલઠ્ઠ અભિગમની છે, જે સરવાળે બીજાને પાછા પાડે, વેગળાપણું અનુભવાવે. કોણ સમજાવે, ઝંડાબરદારોને કે કુલકન્યા વિનય-અનુનયથી જ પ્રાપ્ત થઈ શકે, બલાત્‌ કબજો જમાવી શકો પણ આત્મીયતા મારી ફરે.

લાંબા ડાબેરી કાળ પછી બંગાળ બીજે છેડે જતું માલૂમ પડે છે – અને એ બીજા છેડાની રીતે ભા.જ.પ. આ કિસ્સામાં કોઈ આપોઆપ વિકલ્પ નથી. બલકે, દૃઢમૂલ ડાબેરીવાદ બાજુએ મૂક્યા પછી પણ ભાવજગત અને ભાવાવરણ જેવું કાંક કશુંક તો રહે છે જેને નરદમ ભા.જ.પી. માહોલ રાસ નથી આવતો તે નથી આવતો. લેફ્‌ટ-લિબરલ એવી ભદ્રલોક ધારા પશ્ચિમ બંગાળની રાજવટનાં માર્ક્સવાદી વર્ષોમાં સત્તાની નજીક, કંઈક અંગભૂત જેવી પણ હશે. પણ બધો વખત, ક્વચિત્‌ માનો કે નહીંવત્‌ પણ એને પક્ષે એક આલોચનાત્મક અંતર રહેતું આવ્યું છે. હમણાં જુદા નિમિત્તસર જે બહુ ચમક્યું તે નંદીગ્રામનો થોડાં વરસ પરનો ઘટનાક્રમ એનું ઉત્તમ ઉદાહરણ છે. સ્વતંત્ર બૌદ્ધિક વલણોવાળી લેફ્‌ટ લિબરલ ધારા પશ્ચિમ બંગાળના સી.પી.એમ. શાસનથી હટી અને સામે ગઈ તે નંદીગ્રામ ઘટનાનો એક વિશેષ હતો. આ લેફ્‌ટ-લિબરલ (પણ સ્થાપિત પક્ષોથી સ્વતંત્ર) ધારાએ ડાબેરી અતિવાદ સામે એક ભૂમિકા લીધી, જેણે પશ્ચિમ બંગાળમાં બિનડાબેરી સંભાવનાનો પથ પ્રશસ્ત કીધો. પણ આ જે વિકલ્પ ખૂલ્યો એમાં ભા.જ.પ.નો પ્રવેશ સ્વતંત્ર લેફ્‌ટ-લિબરલ ધારાના મતે ઇષ્ટ નહોતો ને નથી. ડાબેરી-કૉંગ્રેસ જોડાણ છતાં પરંપરાગત ડાબેરી મતો સરવાળે તૃણમૂલ તરફે ગયા એનું રહસ્ય આ વિગતમાં છે.

જેમ ડાબેરી હોઈ શકતા મતોએ ભા.જ.પ.વિરોધની ભૂમિકાએ વિજયની શક્યતા ધરાવનાર તૃણમૂલ તરફે ઢળવું પસંદ કર્યું, મુસ્લિમ મતોએ પણ કૉંગ્રેસ તરફે મતદાનના પ્રણાલિકાગત રવૈયાને બદલે તૃણમૂલ જોડે જવું પસંદ કર્યું. ભા.જ.પી. રાષ્ટ્રવાદની હંમેશની કોશિશ હિંદુ અને મુસ્લિમને ધોરણે ધુ્રવીકરણની હોય છે. પણ મુસ્લિમ મતોએ ધ્રુવીકૃત થતી વખતે તૃણમૂલ સાથે રહેવાનો જે વ્યૂહ લીધો, એણે કોમી વિભાજન મારફતે ભા.જ.પ.ને અપેક્ષિત બહુમતીવાદ (મૅજોરિટેરિયનિઝમ)ની બાજી બનવા ન દીધી. હિંદુ મતે ભા.જ.પ. જોડે એક જથ્થે જવાપણું ન જોયું એ સૂચક છે. ભા.જ.પ. ને તૃણમૂલ બેઉમાં એ લગભગ સરખા વહેંચાયા-મતલબ, ધ્રુવીકરણનો મોદી-અમિત રાબેતો બર ન આવ્યો. મુસ્લિમ મતોનો બે તૃતીયાંશ હિસ્સો તૃણમૂલ જોડે રહ્યો, અને સહેજે અર્ધોઅર્ધ હિંદુ મતો પણ. લેફ્‌ટ-લિબરલ ધારાનોયે ઝુકાવ તૃણમૂલ જોડે રહ્યો. અને હા, આ ચર્ચામાં રખે ચૂકીએ કે મહિલા મતદાન તૃણમૂલને સૂંડલામોંઢે ફળ્યું. ‘દીદી ઓ દીદી’ જેવી ફિલમઉતારુ પેરવી સામે મહિલાગૌરવે કચકચાવીને મતદાન કર્યું તેમ સમજાય છે. ઉપરાંત ‘સરકાર તમારે દ્વારે’ જેવા ઉપક્રમોની પણ ખાસી કુમક રહી.

શાસનશૈલીમાં મનમુરાદ વલણો સહિતના પ્રશ્નો મમતા બેનરજીના પક્ષે નથી એમ નથી. બલકે પૂરતા છે. બે મુદ્દત પછી ઍન્ટિ-ઇન્કમ્બન્સીનોયે સવાલ સ્વાભાવિક જ હોય. પણ જે સમજાય છે તે એ કે વ્હિલચૅર વિ. વિમાને મમતાને સહાનુભૂતિ મતનું ખાસું સુવાણ કરી આપ્યું. દૃઢમતિ મમતાનું નેતૃત્વ અને પ્રશાન્ત કિશોરની વ્યૂહકારી ભા.જ.પ.ની આક્રમક મુદ્રા તેમ જ ચૂંટણીપંચ, સી.બી.આઈ., એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટોરેટ, એક લાખ ત્રીસ હજાર જેટલા આર્મ્ડફોર્સ સામે કામિયાબ રહ્યાં એ હકીકત છે.

બેશક, બે – ખરું જોતાં ત્રણ-મુદ્દા સ્પષ્ટ કરવા જોઈએ. મમતાની લાગટ ત્રીજી ફતેહ, નવી ટર્મમાં પ્રત્યક્ષ કાર્યદેખાવ વિના ફળી શકશે નહીં. ભા.જ.પ.ની ધોબીપછાડ એણે જે હુંફાદ અને દાવેદારી દાખવી તેને કારણે નાટ્યાત્મકપણે, તુલનાત્મકપણે ખાસી આકરી લાગે છે. પણ ૨૦૧૬ની બંગાળ વિધાનસભાને મુકાબલે એ ૨૦૨૧ની વિધાનસભામાં ધોરણસરના વિપક્ષ રૂપે પ્રવેશેલ છે. અલબત્ત, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં એણે ૧૨૧ જેટલાં વિધાનસભા ક્ષેત્રોમાં સરસાઈ દાખવી હતી, એની સરખામણીમાં ૨૦૨૧માં મળેલી બેઠકો ઓછી છે, પણ એ વિપક્ષ તરીકે સ્થાનબદ્ધ થઈ શકેલ છે, તે ભૂલવા જેવું નથી.

છેલ્લો અને ત્રીજો મુદ્દો, પ્રશાન્ત કિશોરની વ્યૂહકારી. એમણે સર્વોચ્ચ વિજયની ક્ષણે હવે ચૂંટણીવ્યૂહમોરચે નિવૃત્તિ જાહેર કરી છે. યશની ટોચ પર નિવૃત્તિ લેવી એ એક સારી વાત છે, પણ પિસ્તાળીસમે વરસે એ યથાર્થમાં નિવૃત્ત ભાગ્યે જ થઈ શકે. જોઈએ, શું કરે છે, દરમિયાન એમની ખિદમતમાં તેમ એમના પ્રશંસકોનીયે ખિદમતમાં બાઅદબ એક સવાલ અધોરેખિતપણે કરવો રહે છે. નરેન્દ્ર મોદી અને નીતિશકુમાર કે મમતા બેનરજી, તમે એના કંત્રાટી કૌશલનવીસ તરીકે મતદારોમાં માલ ખપાવી આપો, એનું વાસ્તવિક મૂલ્ય શું. તમે માત્ર કૌશલથી ઓળખાવું પસંદ કરશો કે વિચારનિષ્ઠાથી. કૌશલકારી પોતાને ઠેકાણે ઠીક હશે, બલકે છે. પણ વિચારનું કોઈ મૂલ્ય જ નહીં ? વેચાઉ માલનું રાજકારણ કેવી રીતે સ્વીકાર્ય હોય? મમતા બેનરજીના વિજયના આનંદ ઉત્સાહમાં આ એક પાયાનો સવાલ વણસંભળાયો રહેશે તો તે આપણી કમનસીબી હશે.

હતું કે પ્રશાન્તકિશોર નિમિત્તે ઘોળાતી પ્રશ્નકારીનો અને કૌશલનવીસી બનામ વિચારનિષ્ઠાનો મુદ્દો છેલ્લો હશે. પણ ત્રીજી મેએ આ નોંધ લખાઈ રહી છે, ત્યારે રાજ્યમાં વ્યાપક હિંસાના હેવાલો ચિંતિત કરનારા છે. આઠ તબક્કામાં વહેંચાયેલી ચૂંટણી દરમિયાન કેન્દ્રની જે ભીંસ સતત રહી, એના પ્રત્યાઘાતના અંશો એમાં હોઈ શકે છે – અને જાહેર પ્રત્યાયનની રીતે તૃણમૂલ તેમ ભા.જ.પ. બેઉને પક્ષે પ્રત્યક્ષ ‘હિંસા’નો છોછ નથી, એ કોઈ ખાનગી વાત નથી. સી.પી.એમ.નીયે એ જ પ્રણાલી રહી છે. પણ, આ બધો હવાલો આપ્યા પછી અને છતાં કહેવાનું તો એ જ રહે છે કે દિલ્હીના હિંસા-સંચાર સામે ચાણાક્ષપણે પેશ આવવા સાથે મમતા બેનરજીએ પોતાના વળના સમુદાયને વારવો અનિવાર્ય છે. અન્યથા, કર્યું કારવ્યું ને મેળવ્યું નકોનકો બની રહેશે. અને એથી સરવાળે જે ભોગ લાગશે તે તૃણમૂલ અગર ભા.જ.પ.ના તો ઠીક પણ આપણા તો હશે જ હશે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2021; પૃ. 05-06

Loading

કોણ છે એ?

પરેશ દવે 'નિર્મન'|Opinion - Opinion|14 May 2021

કોણ જાણે કેટલાં ય લોકો
પ્રાણની દોરી પોતાની તરફ ખેંચતાં ખેંચતાં
થાકીને યમદૂતના પાડા પર ચઢી ગયાં છે

શહેર શહેર
ગામડે ગામડે
ખાખ ઊડવા માંડી છે
બળતી ચિતાઓની
ખોદાતી કબરોની

કેટલીક લાશો પોત પોતાનું મોત લઈને
ગંગાજીના કિનારે થાકીને પડી છે
એમના મોતને ડુબાડવાનું સામર્થ્ય ગંગાજીમાં પણ નથી

તો એ કોણ છે જે આ મોતોને દાટી દેવા માંગે છે?

e.mail : daveparesh1959@gmail.com

Loading

કટોકટીકાળમાં અગ્રદૂતોનો બોધ …

કિરણ કાપુરે|Opinion - Opinion|13 May 2021

કોરોનાએ અનેક સત્ય સપાટી પર લાવી દીધા છે. સામાન્ય સંજોગોમાં આ સત્ય આંખ સમક્ષ હોવા છતાં કોઈ જોઈ શકતું નથી. જે ચિત્ર માધ્યમો, આગેવાનો દ્વારા અને આસપાસના વિકાસના મોડલથી ઉપસાવવામાં આવે છે અને ત્યાં સુધી જ સૌની દૃષ્ટિ સીમિત થઈ જાય છે. આ સિલસિલો આજકાલનો નથી, અવિરતપણે સમાજમાં તેની ભજવણી થતી રહી છે. અને એટલે પૂર્વે સમાજના અગ્રદૂતો કહી શકાય તેવાંઓએ આ વિશે પોતાના અનુભવો શબ્દબદ્ધ કર્યાં છે. પ્રજા પ્રત્યે બેદરકારી દાખવવાની અને તેમને ખરા સમયે રઝળતી મૂકી દેવાનો ક્રમ અગાઉ પણ ચાલ્યો છે. પણ આ સ્થિતિ ક્યારે અને કેવી રીતે આવે છે તે વિશે તેમણે કરેલાં મંથન, મનનના થોડાં દાખલા જોઈએ; તો તેનાથી ભવિષ્ય અંગે બોધપાઠ જરૂર મેળવી શકાય.

જેમ કે ટૉલ્સટૉય લિખિત એક સુંદર પુસ્તક છે : ‘ત્યારે કરીશું શું?’ ગુજરાતીમાં આ પુસ્તકનો અનુવાદ નરહરિ પરીખ અને પાંડુરંગ વળામેએ કર્યો છે. નવલકથા હોવા છતાં તેની પ્રસ્તાવનામાં કાકાસાહેબ લખે છે તેમ, “ટૉલ્સટૉયે વર્ણવેલા પ્રસંગો કાલ્પનિક નથી, એણે કરેલી મીમાંસા ‘તાત્ત્વિક’નથી. પુસ્તકની શરૂઆત તો રસ્તા પર ભટકતા ભિખારીઓનાં સુખદુઃખથી થાય છે પણ એનો મુખ્ય વિષય તો આખા મનુષ્યસમાના કલ્યાણનો છે.” આ પુસ્તકમાં એક ઠેકાણે ટૉલ્સટૉય લખે છે તે આજની સ્થિતિનો ચિતાર આપતા હોય તેમ જોઈ શકાય છે. તેઓ લખે છે : “દાક્તરની સ્થિતિ તો એથીયે ખરાબ છે. તે આખી વિદ્યા જ એવી પાખંડ છે કે જે કશું કામ કરતાં ન હોય અ પોતાનું બધું કામ બીજા પાસે કરાવતા હોય તેવાને જ તે સાજા કરી શકે છે. તે શાસ્ત્રીય રીતે કામ કરી શકે તે માટે તેને પાર વિનાનાં ખર્ચાળ સાધનો જોઈએ, ખર્ચાળ દવાઓ જોઈએ, શાસ્ત્રીય અને સ્વચ્છ એવા મોટા ઓરડા જોઈએ, ખર્ચાળ ખોરાક જોઈએ અને ખર્ચાળ સંડાસ જોઈએ. તેની ફી ઉપરાંત આ બધું ખર્ચ ઊઠાવવું જોઈએ. એટલે એક દરદીને તે સાજો કરે તેટલામાં જેમને માથે આ બધા ખર્ચનો બોજો પડે છે તેવા સૌને તો તે ભૂખે મારે. મોટાં મોટાં શહેરોમાં નિષ્ણાતો પાસે અભ્યાસ કરીને તેણે બહુ નામના મેળવેલી હોય છે. ઇસ્પિતાલમાં ખાટલામાં પડી રહેવું જેમને પોસાય એવા જ દરદીઓની તે દવા કરી શકે છે. અથવા સાજા થયા પછી, સાજા રહેવા માટે જરૂરી સાધનો ખરીદ કરી શકે એવા અને છેક ઉત્તરમાંથી દક્ષિણમાં અને દક્ષિણમાંથી ઉત્તરમાં હવાફેર માટે જઈ શકે એવા હોય તથા અમુક પાણીવાળાં સ્થળોએ રહેવા જઈ શકે એવાં હોય, તેવાઓની જ તે દવા કરી શકે છે.”

ટૉલ્સટૉયની તમામ વાતથી વાચક સહમત ન થાય, પણ આજની આપણી સ્થિતિનું કંઈક અંશે થયેલું નિરૂપણ તેમના આ લખાણમાં જોવા મળે છે. આ પુસ્તકમાં માનવજીવનની કડવી વાસ્તવિકતાની રજૂઆત છે અને એટલે જ કાકાસાહેબે પુસ્તક વિશે લખ્યું છે : “એ બહુ ખરાબ ચોપડી છે. એ આપણને જાગ્રત કરે છે, અસ્વસ્થ કરે છે. ધર્મભીરુ કરે છે. આ ચોપડી વાંચ્યા પછી એશઆરામ અને મોજમજાનાં દૂધમાં પશ્ચાતાપનો ખારો કાંકરો પડે છે. જ્યારે પોતાનું જીવન કાંઈક સુધારીએ ત્યારે જ એ મનોવ્યથા ઓછી થાય. માણસાઈને જ સાવ ગૂંગળાવી મારીએ તો તો સવાલ જ નથી.”

માણસાઈને ગૂંગળાવી મારનારાં આપણા આગેવાનો છે અને અત્યારે આવેલી સ્થિતિ તેમની બેદરકારીને આભારી છે. ટૉલ્સટૉયે જેમ બજાર દ્વારા ઊભી થયેલી આપણી સ્થિતિને આલેખી છે, તેવી જ રીતે એરિક ફ્રોમે ‘શાણો સમાજ’ પુસ્તકમાં સત્તાવાદી મૂર્તિપૂજા નામના પ્રકરણમાં આગેવાનો વિશે લખ્યું છે. એરિક ફ્રોમનું આ પુસ્તક કાંતિ શાહ દ્વારા અનુવાદિત થયું છે. અહીં એરિક લખે છે : “ફાસીવાદ, નાઝીવાદ અને સ્ટાલિનવાદમાં સામ્ય એ છે કે તેઓએ વામણા ને વિચ્છિન્ન થઈ ગયેલ માણને એક નવો આશરો ને સહીસલામતી બક્ષ્યાં. આ સમાજવ્યવસ્થાઓમાં માનવીનું પરાયાપણું પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. વ્યક્તિને એવો અનુભવ કરાવાઈ રહ્યો છે કે તે શક્તિહીન અને તુચ્છ છે, પણ સાથે તેને એવું શીખવવામાં છે કે તેની બધી જ માનવીય શક્તિઓનું નેતામાં, રાજ્યમાં, પિતૃભૂમિતામાં આરોપણ કરવાનું. અ પોતે તેમને શરણે જવાનું છે તેમ જ તેમની પૂજા કરવાની છે. તે પોતાની સ્વતંત્રતાથી ભાગી છૂટે છે, અને એક નવી મૂર્તિપૂજાનું શરણું સ્વીકારે છે. … આ નવી વ્યવસ્થાઓનું ચણતર એમના કાર્યક્રમો તેમ જ એમના નેતાઓ વિશેના અત્યંત ખુલ્લંખુલ્લાં જુઠ્ઠાણાઓ પર થયું છે. એમના કાર્યક્રમોમાં તેઓએ કો’ક પ્રકારનો સમાજવાદ સિદ્ધ કરવાનો દાવો કર્યો છે, જ્યારે વ્યવહારમાં તેમણે જે કાંઈ કર્યુ તે આ શબ્દના અર્થથી વિરુદ્ધનું હતું. એમના નેતાઓનાં વ્યક્તિત્વો પણ અત્યંત છેતરામણાં હતાં.”

એરિક ફ્રોમની આ વાતનો ઉદ્દેશ આપણા દેશના સંદર્ભમાં સમજીએ તો જાણી શકાય કે કોરોનાનું જોર જ્યારે ઓછું થયું ત્યારે તેનો શ્રેય સરકારના નુમાંઈદગી કરનારાઓએ લીધો અને આજે કોરોના વકર્યો છે ત્યારે તેઓ પોતાની સત્તા વધુ વિસ્તરે તે માટે પ્રચાર કરી રહ્યા છે. વિદેશ ચિંતકોની જેમ આપણી ભાષાના સાહિત્યમાં આવા બોધ સાંપડે છે. મનુભાઈ પંચોળી ‘દર્શક’નું સૉક્રેટીસથી માર્ક્સ નામના પુસ્તકમાં ‘ઈશુ અને તેનો ધર્મ’ નામના પ્રકરણમાં લખે છે : “સમગ્ર રાજનીતિના કેન્દ્રમાં પ્રશ્ન એ છે કે રાજ્ય અનિવાર્ય છે, રાજ્યને દંડશક્તિ આપવી અનિવાર્ય છે. પણ તેને દંડશક્તિ કેટલી આપવી? તેના પર કેમ અંકુશ રાખવો? સત્તા એવો નશો ચડાવે છે કે, સત્તા મેળવનારા વધારે ને વધારે સત્તા પ્રાપ્ત કરવા હંમેશાં પ્રયત્નશીલ રહે છે અને બીજું, તેમને પોતાનાં કૃત્યોનો જવાબ આપવાનું પસંદ નથી.”

આ પુસ્તકમાં જ આગળ ‘રાષ્ટ્રવાદ : દુનિયાનું દોજખ’ નામના પ્રકરણમાં મનુભાઈ પંચોળી લખે છે : “આ દુનિયામાં કોઈ પણ નિમિત્તે કે જરૂરિયાતોના સંદર્ભમાં લોકપ્રિય નેતાઓ-સરમુખત્યારોનાં પ્રજાએ અંધઅનુયાયી થવું અને તેમને સર્વસત્તા સમર્પિત કરવી તે આત્મઘાતક છે. સત્તા હંમેશાં નશો ચડાવે છે અને લૉર્ડ ઍક્ટને ધ્યાન દોર્યું છે તેમ નિરંકુશ સત્તા નિરકુંશ નશો ચડાવે છે અને પછી મનુષ્ય સર્વ ભાન ભૂલી જાય છે. જર્મનો પણ માણસ જ હતા. તેમને સંતાનો-પરિવાર હતાં છતે તેમની અંધ દેશભક્તિના ખ્યાલે નેતાઓના પ્રભાવ સાવ જડ પશુથી પણ હીણાં બનાવ્યાં. એટલે માનવજાતે કોઈ પણ અંધભક્તિ કરવી ન જોઈએ અને હંમેશાં વિવેકનો દીવો પ્રજ્વલિત રાખવો ઘટે.”

કોરોના અગાઉ આવી કટોકટીની કોઈએ કલ્પના પણ નહોતી કરી. જો કે નાની નાની અનેક ઘટનાઓ કટોકટીના એલાર્મરૂપી તો દેશમાં બનતી જ હતી, પરંતુ તેનો બોધપાઠ ન લેવાયો અને આજે દેશ સ્વાસ્થની કટોકટીમાં આવી ચૂક્યો છે. રોજેરોજ કોરોનાનો આંકડો રેકોર્ડ બ્રેક કરી રહ્યો છે. મૃત્યુઆંક વધી રહ્યો છે. તેમ છતાં તેનાં અનુભવને ગાંઠે બાંધીને નિર્ણય લેવાઈ રહ્યા નથી. બંગાળમાં ગત્ મહિનામાં જે ચૂંટણી પ્રચાર થયો તે તેનું ઉદાહરણ છે. અગાઉ રાજ્યમાં પણ એ જ રાહે ચૂંટણી થઈ પછી ક્રિકેટ જલસો થયો.

હવે આ સ્થિતિ કેમ આવી તે વિશે એરિક ફ્રોમ ‘શાણો સમાજ’ પુસ્તકમાં ‘સમજશક્તિ, અંતરાત્મા અને ધર્મ’ નામના પ્રકરણમાં લખે છે : “આજે માણસની બુદ્ધિનો ઘણો વિકાસ થયો છે, પણ તેની સમજશક્તિ ઘણી ઘટી છે. વાસ્તવિક પરિસ્થિતિને એ જેમની તેમ સ્વીકારી લે છે. એ તેને ખાવા માગે છે, તેનો ઉપભોગ કરવા માગે છે, તેને સ્પર્શવા માગે છે, તેને અનુકૂળ બનાવીને પોતાના માટે તેનો ઉપયોગ કરવા માગે છે, પરંતુ એ પૂછતોયે નથી કે તેની પછવાડે શું છે, આજે તે જેવી છે, તેવી શા માટે છે, અને બધું ક્યાં જઈ રહ્યું છે. ગમારપણાનો અર્થ આપણે જો સમજશક્તિપણાનો અભાવ કરતા હોઈએ, તો તે આજે પહેલાં કરતાં વધ્યું છે. આજે લગભગ દરેક માણસ ગીતા કે કુરાનની જેમ છાપું વાંચે છે, તેમ છતાં રાજકીય બનાવી સમજણનો આજે અભાવ છે. આજે આપણને એવા શસ્ત્રાસ્ત્રો બનાવી આપે છે, જેના પર આપણી સમજશક્તિ અંકુશ રાખી શકતી નથી. આપણને ‘શું છે’ તેની ખબર છે, પણ ‘શા માટે’ છે તેની ખબર નથી.”

e.mail : kirankapure@gmail.com

Loading

...102030...1,9351,9361,9371,938...1,9501,9601,970...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved