Opinion Magazine
Number of visits: 9571868
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘જાહેર બૌદ્ધિક’ કોને રે કહીશું?

ડંકેશ ઓઝા|Opinion - Opinion|16 April 2021

પ્રતાપ ભાનુ મહેતાએ અશોક યુનિવર્સિટીમાંથી રાજીનામું આપ્યું અથવા તો આપવું પડે એવા સંજોગો ઊભા થયા ત્યારથી ‘પબ્લિક ઇન્ટેલેક્ચુઅલ’ એ શબ્દપ્રયોગ ખૂબ નજરે ચઢ્યો છે.

‘જાહેર બૌદ્ધિક’ એવું ગુજરાતી પણ જાણીતું છે. હવે એ કોણ અને કેમ કહેવાય તે વિશે વિચાર કરવાનું થાય. બધા શિક્ષિતજનોને જેમ બુદ્ધિશાળી ન કહેવાય તેમ બધા બુદ્ધિશાળીઓ માટે બૌદ્ધિક શબ્દ પણ ન પ્રયોજાય. આવા સંજોગોમાં ‘જાહેર બૌદ્ધિક’ કોને કહેવાય તે વિચારવા જેવું તો ખરું. સારું છે કે પ્રતાપ ભાનુ મહેતા બાબતે કોઈએ આવો સવાલ ઊભો કર્યો નથી અને હું પણ તેમ કરવા માંગતો નથી પણ થોડી જાહેર સ્પષ્ટતા થાય તો સારું એવું જરૂર ઇચ્છું.

જાહેર એટલે પ્રજા એવો એક અર્થ ખરો. વ્યાપક પ્રજાને સ્પર્શતી બાબતો એટલે જાહેર બાબતો. બહુ બધા પ્રજાજનો છે અને બહુ થોડા નાગરિકો છે. પ્રતાપ ભાનુ મહેતાનો કિસ્સો જાણનારા અને સમજનારા પણ બહુ થોડા જ. એમને વાંચે તે કદાચ એમના વિશે થોડું જાણે. હવે જાહેર બૌદ્ધિક એવો હોય ખરો જેને જાહેર જનતા જાણતી પણ ન હોય ?

બૌદ્ધિકજગત પ્રેમ ગલીની માફક અતિ સાંકડું બની ગયું છે. લોકોને ખબર જ નથી કે લોકોના પ્રશ્નો વિશે ચિંતા કરનારા અને લખનારા કોણ છે ? તેમની સાચી ખોટી વિશ્વસનીયતાનો પ્રશ્ન તો પછી આવે! લોકો તો સાચા ખોટા રાજકીય વર્ગને જ ઓળખે છે.

હર્ષદ દવે મારા સ્મરણસ્થ વડીલમિત્ર મને પડકારતા અને કહેતા કે તમે પાનના ગલ્લે ઊભા રહેતા નથી, બસમાં ફરતા નથી, ચોરે ચૌટે બેસતા નથી અને જાહેર બાબતો વિશે લખો છો તે તમને શી ખબર પડે ? આ વાત પણ ખોટી તો નહીં.

‘જાહેર બૌદ્ધિક’ જાહેર બાબતોનો કેટલો જાણકાર એ પ્રશ્ન તો સાચો. તે પ્રજાની નાડ કેટલી પારખે એ પણ ખરું. આ જુવારું કેમ ઊભું થાય છે તેની જાહેર ચિંતા કરવાનો પણ આ અવસર છે એવું મને તો સમજાય છે.

આ ચર્ચા ચાલે, મંથન થાય અને કંઈક નવનીત સાંપડે તો લાભ બન્ને પક્ષે થાય એવું લાગ્યા કરે છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2021; પૃ. 14

Loading

આપણે જય શ્રી રામથી રામનામ સત્ય હૈ – તરફ જઈ રહ્યાં છીએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|16 April 2021

હું જન્મે હિંદુ છું ને હિંદુ હોવાનું મને ગૌરવ છે, પણ હું કટ્ટર અને ધર્માંધ નથી. એક તબક્કે વિધર્મીઓએ તેમની કટ્ટરતા ને વટાળ પ્રવૃત્તિઓનો હિંસક પ્રચાર કર્યો ને આપણાં મંદિરો તોડ્યાં. આપણી આસ્થા પર એટલા પ્રહારો થયા કે હજી સુધી એમાંથી બહાર આવવાનું પૂરું નથી થયું. એ જો ખરાબ હતું તો હિંદુ ધર્માંધતા પણ બરાબર નથી. આપણી અત્યારની આસ્થા કુદરતી ઓછી ને રાજકીય વધારે છે. આ સાચું હોય તો તે પુનર્વિચારને પાત્ર છે.

રામ મંદિર અયોધ્યામાં થઈ રહ્યું હોય તો તેનો અપાર આનંદ જ હોય કે કાશી કે મથુરાનાં મંદિરો વિવાદમાં હોય તો તેનો કાનૂની રાહે ઉકેલ આવે ને મંદિરોનું સ્વતંત્ર અસ્તિત્વ નિર્માણ થાય તે જોવાવું જ જોઈએ, પણ રામ મંદિર કેટલું ભવ્ય હોય તે અંગે પણ વિચારવાનું રહે. જ્યાં લાખો ગરીબો બે ટંકનો રોટલો પામવા કૂતરાંબિલાડાંથી પણ બદતર જીવન જીવતાં હોય ત્યાં કેટલી ભવ્યતા શોભે તે નક્કી કરવાનું રહે. રામ મંદિર ભવ્યાતિભવ્ય હોય, તેની ના જ નથી, પણ રાજા તરીકે જે મહેલમાં રહ્યા તેનાથી ભવ્ય મંદિર તો રામ પણ ન જ ઇચ્છે ને ! ધોબી જેવા સામાન્ય માણસનો અપવાદ કરીને રામે પ્રાણથી પણ અધિક પ્રિય એવી અર્ધાંગિનીનો ત્યાગ કરી સાધારણ ધોબીનો મહિમા કર્યો હોય એ રામ એ મંદિરમાં રહેવા તૈયાર થશે જેની પ્રજા ભૂખ તરસથી પીડાતી હોય? આ આખો વ્યાયામ આપણે રામ કરતાં વધારે મહાન સાબિત થવા તો નથી કરી રહ્યાંને એ પ્રશ્ન જાતને પૂછવા જેવો છે.

એક સમય હતો જ્યારે ગાંધીને નામે રાજકીય પક્ષોએ રાજનીતિ કરી એ પછી ઇન્દિરા ગાંધીને નામે કે સરદારને નામે સત્તા મેળવવાની રાજરમતો ચાલી ને અત્યારે રામને નામે મત માંગવાનું ચાલે છે. વડા પ્રધાન ને મુખ્ય મંત્રી, પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં “જય શ્રી રામ“ના નારાથી હજારોની ભીડને આકર્ષી રહ્યાં છે ને વિજયી થવાનો દાવો કરી રહ્યાં છે. એનાં પરિણામો તો આવતાં આવશે, પણ ત્યાં સુધીમાં કોરોનાને નામે કેટલાંનું રામ નામ સત્ય થઈ જશે તે નથી ખબર. વડા પ્રધાન ને ગૃહ મંત્રી તો ભૂલી જ ગયા છે કે તેઓ ભારતના વડા પ્રધાન અને ગૃહ મંત્રી છે. એટલી હદે બંને બંગાળી ચૂંટણી પ્રચારમાં ઓતપ્રોત છે. દેશમાં બે લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે ને મરણનો આંક રોજનો હજારને પાર થઈ રહ્યો છે ત્યારે વડા પ્રધાન કોઈ બીજા જ દેશમાં હોય તેમ તટસ્થ ભાવે મંત્રીઓને વીડિયો કોન્ફરન્સમાં ટીકા ઉત્સવ કે કોરોના કરફ્યુની વધામણી ખાઈને સંતુષ્ટ છે. વડા પ્રધાનનું તાટસ્થ્ય કોઈ સંતને શરમાવે એવું છે. જો કે એ કેટલું બોદું છે તે એ રેલીને સંબોધે છે ત્યારે ખબર પડે છે. એમને એ પણ ખબર છે કે લોકોને માસ્ક પહેરવાની અને સોશિયલ ડિસ્ટન્સિંગની સલાહ અપાય છે ત્યારે સામે જ હજારો લોકો સભામાં જોખમ લેવા ને જોખમ વધારવા ઊભા દેખાય છે. વડા પ્રધાન એ પણ જાણે છે કે લગ્ન કે મૃત્યુ કે મેળાવડામાં નિયત સંખ્યાથી વધુ લોકો ભેગા થવા પર બંધી છે, પણ સામે હજારો લોકો ભેગા થાય છે તો તે સંખ્યા જોઈને સંકોચાવાને બદલે પોરસાય છે. એવે વખતે સીધું પૂછવાનું થાય કે ચૂંટણીસભામાં નિયમો પાળ્યા વગર ભેગા થતાં લોકોની કોઈ ગાઈડલાઇન નક્કી થઈ છે ખરી? ને તે મુજબ જ ભીડ ભેગી કરવામાં આવે છે કે એ પણ રામ ભરોસે જ ચાલે છે? સામાન્ય માણસ માટે માસ્ક ન પહેરવા માટે દંડની જોગવાઈ છે ને રેલી, સભા માટે કોઈ નિયમ નથી, એ બરાબર છે?

તાજેતરમાં જ ચૂંટણી પંચે ફરમાન કાઢ્યું હતું કે હવે પછી ગાઈડલાઇનનું પાલન નહીં થાય તો સભા-રેલી પર પ્રતિબંધ મૂકાશે. એ ફરમાન પછી પણ પશ્ચિમ બંગાળમાં ઘણી રેલીઓ – સભાઓ થઈ પણ પંચને એની ખબર જ ન હોય તેમ ભેદી રીતે મૌન છે.

કોરોનાએ એટલું તો સાબિત કરી જ આપ્યું છે કે રાજકારણીઓ અને તેનાં તંત્રો વિશ્વાસ તોડીને જ શ્વાસ લેતા હોય છે. એ જીવ બચાવવા ઇન્જેક્શનો આપતાં નથી, પણ પક્ષના લાભાર્થે આપે છે, એમાં કોઈનો જીવ બચી જતો હોય તો ઠીક છે, બાકી એમની કોઈ પણ મદદ ગણતરી વગરની નથી. ટૂંકમાં, એમાં સેવા સિવાય બધું જ છે. ગુજરાતનું આખું રેમડેસિવિર પ્રકરણ લોકોને કારણ વગર દોડાવવા જ ઊભું થયું હોવાનો વહેમ પડે છે. હાઇકોર્ટે પણ સરકારને પૂછ્યું છે કે જો ઇન્જેક્શનો પૂરતાં છે તો દરદીને તે મળતાં કેમ નથી? કોર્ટે સરકારની કામગીરી સામે ઘણા સવાલો ઉઠાવ્યા છે. સવાલ તો એ પણ છે કે ઇન્જેકશનો દરદીને જ આપવાના હોય તો હોસ્પિટલો દ્વારા તે સીધા દરદીને જ અપાય એ વધુ યોગ્ય નથી? જો સંબંધીઓ તે ન આપવાના હોય તો એમને દોડાવવા કરતાં એ જથ્થો સીધો ખાનગી કે સરકારી હોસ્પિટલોને પહોંચે એટલું જોવાય તો ય ઘણું !

એ પણ છે કે ગુજરાતમાં રોજના સાતેક હજાર કેસ નોંધાય છે. ગુજરાતની કુલ વસતિના પ્રમાણમાં આ ટકાવારી નગણ્ય છે. આ હાલતમાં અત્યારથી જ જો હોસ્પિટલોમાં જગ્યા ન રહે, ઇન્જેક્શનો ખૂટી પડે, ઓક્સિજનનો પૂરતો જથ્થો ન હોય, એમ્બ્યુલન્સ મળતી ન હોય ને સ્મશાનમાં ચોવીસ કલાક અગ્નિ સંસ્કારોમાં ચીમનીઓ પીગળી જતી હોય તો આનાથી વધુ કેસ આવતાં શું થશે તેની કલ્પના જ કાળજું કંપાવી દે તેવી છે. જો પ્રશાસન અને લોકો ગંભીર નહીં થાય તો જીવવાનું મુશ્કેલ થવાનું છે. થોડો વખત રાજકારણ બાજુ પર નહીં મૂકાય તો મત આપનારા જ નહીં રહે એમ બને. મત માટે પણ મતદારો તો જોઈશે ને ! અત્યારે સૌથી વધારે ખૂટે છે તે માણસાઈ. એની અપેક્ષા કેન્દ્રથી માંડીને સ્થાનિક સુધીના તમામ અધિકારીઓ પાસેથી રહે છે ને એ જ અપેક્ષા પ્રજા પાસેથી પણ રહે જ છે. નકલી નોટો, નકલી દવાઓ, કાળાબજાર આ બધું પ્રજાને નામે ચડે છે. પ્રજા ભ્રષ્ટ હોય તો સરકારની ભ્રષ્ટતા વકરે એમાં નવાઈ નથી ને અત્યારના સંજોગોમાં તો વ્યવહાર પારદર્શી હશે તો જ ટકી શકાશે એમ લાગે છે.

એમ પણ લાગે છે કે કોરોના મહારાષ્ટ્રની જેમ ઉત્તર પ્રદેશમાં વધુ તીવ્રતાથી પંજો ફેલાવી રહ્યો છે. ખુદ મુખ્ય મંત્રી ને પૂર્વ મુખ્ય મંત્રી કોરોનાગ્રસ્ત છે ને રોજના વીસ હજારથી વધુ સંક્રમિતો ઉમેરાતા જાય તો હાલત કફોડી જ થાય એમ છે. એમાં ઉત્તરાખંડના મુખ્ય મંત્રી બકવાસ કરે તો એમ થાય કે આટલું જ બાકી હતું ! માણસ ધાર્મિક હોય તે સમજી શકાય, પણ અંધશ્રદ્ધાળુ હોય ને તે પાછો મુખ્ય મંત્રી હોય તો કેવો દાટ વાળે તે જોવા જેવું છે. સાહેબ, દસ માર્ચે મુખ્ય મંત્રીપદ સંભાળે છે ને બે જ દિવસમાં કહે છે કે કોરોના જેવું કૈં નથી ને કુંભમેળાનું આયોજન થશે તો ગંગામાં ડૂબકી મારતાં જ વાઇરસ મરી જશે. હસવું એ વાતે આવે કે એમના કહેવા પ્રમાણે કોરોના જેવું કૈં હોય જ નહીં, તો તે મરી કેવી રીતે જાય? ગમે તેમ પણ કુંભનું આયોજન થયું જ અને લાખો લોકોએ શાહી સ્નાન પણ કર્યું ને સાધુસંતો સહિત હજારો લોકો સંક્રમિત પણ થયાં. એ વળી પોતાના વિસ્તારમાં જઈને બીજાને પણ સંક્રમિત કરશે તે નફામાં ! આ જ મુખ્ય મંત્રીએ મહિલાઓનાં જિન્સ પહેરવા અંગે પણ ટિપ્પણી કરેલી ને પછી માફી માંગવી પડેલી, એટલું ઓછું હોય તેમ 16મી માર્ચે એમણે એમ પણ કહ્યું કે હાલના વડા પ્રધાન તો રામ અને કૃષ્ણના અવતાર છે. ધન્ય છે આ અવતારને ! આટલું થાય છે પણ કોઈ એમને એ નથી પૂછતું કે વડા પ્રધાનને ભગવાન જાહેર કરવાની સત્તા તમને આપી કોણે? આવો જ લવારો હિમાચલ પ્રદેશના શહેર વિકાસ મંત્રીએ પણ કરેલો, એમણે તો વડા પ્રધાનને મહાદેવ કહી દીધેલા. સારું છે કે વડા પ્રધાન સુદર્શનધારી થઈને કહેતા નથી કે સાહેબ, સો ગુના પછી આ સુદર્શન તમારું સગું નહીં થાય.

આવા મંત્રીઓ હોય તો કોરોના ન વકરે તો જ આશ્ચર્ય થાય. આમાં ધર્મ નથી, ધર્માંધતા છે. ગયે વરસે  બે હજાર તબલીગીઓ મરકસમાં ભેગા થયેલા તો તેમને સુપર સ્પ્રેડર તરીકે જવાબદાર ઠેરવીને પસ્તાળ પાડેલી ને હવે કુંભમાં લાખો લોકો સ્નાન કરે તો કોરોના મરી જાય એમ કહીએ તો એ વાજબી છે? એનો અર્થ એવો પણ નથી કે તબલીગી જમાતનું એ પગલું વાજબી હતું. એ બનાવથી શરૂઆત થયેલી એ ભૂલવાનું નથી. જેમ એ ખોટું હતું એમ જ આ પણ ખોટું છે.

આજે જ્યારે બધું જીવ પર આવી ગયું છે ને અનેક લોકો વિશ્વભરમાં જીવ ગુમાવી રહ્યા છે ત્યારે એક પણ એવું ખોટું પગલું ન ભરીએ જે જિંદગી છીનવી લે. આજનો સમય બચવાનો તો છે જ, બચાવવાનો પણ છે એટલું સમજીએ તોય ઘણું ….

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 16 ઍપ્રિલ 2021

Loading

રક્ષક જ ભક્ષક અને સંરક્ષક મૂકબધિર

રમેશ સવાણી|Opinion - Opinion|16 April 2021

મહિલાના ગુપ્તાંગમાં જે પોલીસ અધિકારીએ પથ્થર ભર્યા; તેને રાષ્ટ્રપતિએ ગૅલેન્ટ્રી ઍવોર્ડ આપ્યો !

આદિવાસી એક્ટિવિસ્ટ હિમાંશુકુમારની ફેસબૂક પોસ્ટ રૂંવાડા ઊભા કરી મૂકે તેવી છે. છત્તીસગઢના બિજાપુરમાં ૨૨ જવાનો ૩ એપ્રિલ, ૨૦૨૧ના રોજ શહીદ થઈ ગયા. તે ગરીબ પરિવારના કિસાનોના પુત્રો હતા; બંદૂકધારી મજૂર જ કહેવાય. પોતાના બાળકોના પેટ ભરવા બંદૂક ટાંગીને નેતાઓની યોજના અનુસાર ગરીબ લોકોને મારવા માટે ગામડાંમાં મોકલી દેવાય છે. દલીલ એવી કરાય છે કે અશાંતિ માટે માઓવાદી દોષી છે; માઓવાદી ન હોત તો દેશમાં શાંતિ જ શાંતિ હોત. આરોપ એ પણ મૂકવામાં આવે છે કે માઓવાદી વિકાસનાં કામો થવા દેતા નથી! શું જ્યાં માઓવાદી નથી ત્યાં શાંતિ છે? ત્યાં ભ્રષ્ટાચાર સમાપ્ત થઈ ગયો છે? શું ત્યાં વિકાસ થઈ ગયો છે? સવાલ એ છે કે જે લોકો આદિવાસીઓના માનવાધિકારના હનનના મુદ્દા ઉઠાવે છે; વિકાસના ખોટા મોડલ, પર્યાવરણ, આદિવાસીઓની આજીવિકા અને જળ/જમીન/જંગલના મુદ્દાઓ ઉઠાવે છે તેમને સરકાર શા માટે જેલમાં પૂરે છે?

અદાણી દ્વારા છત્તીસગઢમાં અવૈધ રીતે ખાણો હડપવા અને ૨૦,૦૦૦ વૃક્ષો કાપવા બાબતે લખી રહ્યો છું. હું પાછલા બે વરસથી આદિવાસીઓએ તેમની સામે આંદોલન કર્યું જેથી સરકારે મજબૂર થઈને હાલે અદાણીને રોકી દીધેલ છે. આ આંદોલનમાં જોડાયેલ ચાર યુવાનો-પોદિયા/લચ્છૂ/ગુડ્ડી/ભીમાને ઘેરથી પોલીસ ઉપાડી ગઈ અને ફેઈક એન્કાઉન્ટરમાં મારી નાખ્યા! આદિવાસી મહિલા કાર્યકર્તા હિડમેને જેલમાં પૂરી દીધી અને તેની ઉપર UAPA લગાડી દીધો; જેથી ૧૦ વરસ સુધી જામીન ન મળે. છત્તીસગઢના મુખ્ય મંત્રીએ ઘોષણા કરી છે કે હવે આખરી યુદ્ધ લડીશું અને માઓવાદને સમાપ્ત કરીશું! આ પ્રકારની ઘોષણા અનેક વખત થઈ ચૂકી છે. એટલે આવી ઘોષણાથી ડર વધે છે; કેમ કે હવે માઓવાદ વધુ વકરશે! વાસ્તવમાં થાય છે શું? CMની ઘોષણા બાદ SP ઉપર બહાદુરી દેખાડવાનું દબાણ વધશે. માઓવાદી તો એમને મળતા નથી એટલે એમના જવાનો જઈને નિર્દોષ આદિવાસીઓને મારશે. અમારી જેવા સામાજિક કાર્યકર્તા તેના વિરુદ્ધ બોલશે તો અમને માઓવાદી સમર્થકનો સિક્કો મારી દેશે!

માઓવાદીને આદિવાસીઓથી તાકાત અને સમર્થન મળે છે. આદિવાસીઓ ઉપર જેટલો વધુ જુલમ થાય એટલા વધુ તેઓ માઓવાદીને પોતાના દોસ્ત સમજશે. આદિવાસીઓને સન્માન આપો; એમની વાત સાંભળો; એમની સાથે અન્યાય થાય તો ન્યાય આપો. સમસ્યા દૂર થઈ જશે ! પરંતુ આપણું વહિવટી તંત્ર/આપણી સરકાર/કોર્ટ આદિવાસી વિરુદ્ધ કામ કરે છે. ‘સલવા જુડૂમ’ મુવમેન્ટમાં આદિવાસીઓના ૬૫૦ ગામો પોલીસે સળગાવી દીધા. હજારો મહિલાઓ સાથે જવાનોએ બળાત્કાર કર્યા. હજારો નિર્દોષ આદિવાસીઓને માઓવાદી ચીતરીને જેલમાં ઠૂંસી દીધાં. ૧૨ વરસની આદિવાસી છોકરીઓનાં સ્તન/ગુપ્તાંગો ઉપર વીજળીના તાર વડે ડામ દીધા અને તેને જેલમાં પૂરી દીધી. આ બધું મેં ઉજાગર કર્યું ત્યારે મારા સમર્થનમાં જેલર વર્ષા ડોંગરેએ લખ્યું કે ‘હિમાંશુકુમાર સાચું કહે છે. મેં પણ જેલમાં આવી આદિવાસી છોકરીઓ જોઈ હતી અને હું ધ્રૂજી ગઈ હતી.’ એ પછી સરકારે આદિવાસીઓને ન્યાય આપવા અને દોષી પોલીસવાળાને સજા કરવાને બદલે જેલર વર્ષા ડોંગરેને જ સસ્પેન્ડ કરી દીધા! આદિવાસીઓ ઉપર થતા સરકારી જુલમ સામે અમે સુપ્રિમ કોર્ટમાં ગયા ત્યારે સુપ્રિમ કોર્ટે ‘સાલવા જુડૂમ’ને ગેરબંધારણીય ઠરાવ્યું અને છત્તીસગઢ સરકારને આદેશ કર્યો કે ૬૫૦ ગામોને ફરી વસાવો/દોષી પોલીસ સામે એફ.આઈ.આર. કરો / આદિવાસીઓને વળતર આપો. પરંતુ સરકારે એક પણ આદેશનું પાલન ન કર્યું. સુપ્રિમ કોર્ટના આ આદેશ બાદ અમારી સંસ્થાના કાર્યકર્તાઓએ ૪૦ ગામને ફરી વસાવી દીધા અને પોલિસના ગુનાઓ અંગે ૫૧૯ ફરિયાદો કલેક્ટર/એસ.પી. અને સુપ્રિમ કોર્ટને સોંપી પરંતુ બદલામાં સરકારે અમારા આશ્રમ ઉપર બુલડોઝર ચલાવી દીધું અને મારા કાર્યકર્તાઓને જેલમાં પૂરી દીધા. જે રાતે પોલીસ દ્વારા મારું એન્કાઉન્ટર થવાનું હતું; તે રાત્રે મારે છત્તીસગઢ છોડવું પડ્યું.

ભારતના બંધારણની પાંચમી અનુસૂચિમાં આદિવાસીઓને વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે. બંધારણે રાષ્ટ્રપતિને આદિવાસીઓના સંરક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. રાષ્ટ્રપતિ જ્યારે ઈચ્છે ત્યારે સરકારને પૂછ્યા વિના આદિવાસીઓના હિતોની રક્ષા માટે સીધી કાર્યવાહી કરી શકે છે. પરંતુ આદિવાસીઓના ૬૫૦ ગામો સળગાવીને ઉઝાડી નાખ્યા હોય; પોલીસોએ હજારો આદિવાસી મહિલાઓ સાથે બળાત્કાર કર્યા હોય; આજ સુધી રાષ્ટ્રપતિએ આદિવાસીઓના પક્ષમાં એક વખત પણ પોતાના એ અધિકારનો ઉપયોગ કર્યો નથી. ઊલટાનું દંતેવાડા એસ.પી. અંકિત ગર્ગે આદિવાસી માનવાધિકાર કાર્યકર્તા સોની સોરીના ગુપ્તાંગોમાં પથ્થર ભરી દીધા ત્યારે રાષ્ટ્રપતિએ તેને ગૅલેન્ટ્રી-વીરતા પુરસ્કાર આપ્યો! છત્તીસગઢની અગાઉની સરકારે કોઈ કાર્યવાહી ન કરી; પરંતુ હાલની કૉન્ગ્રેસ સરકારે પણ તેમની સામે કોઈ કાર્યવાહી ન કરી! જ્યાં અન્યાય છે ત્યાં શાંતિ હોઈ શકે નહીં. જવાનોની બંદૂકના દમ પર બસ્તરમાં શાંતિ સ્થાપી શકાય નહીં. બસ્તરમાં સી.આર.પી.એફ.ની વધુ બટાલિયન ડીપ્લોઈ કરવાથી શાંતિ સ્થપાઈ જાય, એ શક્ય નથી. માઓવાદ વિકાસના ખોટા મોડલ/સરકારી જુલમ/અન્યાયના કારણે મજબૂત થઈ રહ્યો છે. ન્યાય આપો શાંતિ આવી જશે! પરંતુ આપણી સરકાર તો ન્યાયની વાત કરનારને જ જેલમાં પૂરે છે. જેણે આખી જિંદગી ગરીબ શ્રમિકો માટે વિતાવી એ સુધા ભારદ્વાજને જેલમાં પૂરેલ છે. ઝારખંડની જેલમાં ૪,૦૦૦ નિર્દોષ આદિવાસીઓ છે; તેની યાદી ફાધર સ્ટેન સ્વામીએ પ્રકાશિત કરી એટલે એમને જેલમાં પૂર્યા !

મારા પિતાએ ગાંધીજી સાથે કામ કર્યું હતું. હું અને મારી પત્ની લગ્નના વીસ દિવસ બાદ ૧૯૯૨માં દંતેવાડા આવી ગયા હતાં અને ગામમાં ઝૂંપડી બાંધી રહેતાં હતાં. વિનોબા ભાવેની માનસપુત્રી નિર્મલા દેશપાંડેએ મને બસ્તર જવા પ્રેરિત કર્યો હતો અને કહ્યું હતું કે ‘હિંસાગ્રસ્ત વિસ્તારમાં ગાંધીની અહિંસાની શક્તિને સાબિત કરો !’ મારો દાવો છે કે જો સરકાર સામાજિક કાર્યકર્તાઓને જેલોમાંથી મુક્ત કરે/આદિવાસી નેતાઓ અને માનવાધિકાર કાર્યકર્તાઓ સાથે વાત કરીને; આદિવાસી વિસ્તારમાં ન્યાય અને વિકાસના કામ કરે તો નિર્દોષ જવાનોની હત્યા રોકી શકાય. અમે જ્યારે બસ્તરમાં ૪૦ ઉઝડેલા ગામ ફરી વસાવ્યા ત્યારે છ મહિના સુધી એ વિસ્તારમાં એક પણ જવાનની હત્યા થઈ ન હતી. મેં આ વાત દંતેવાડાના તત્કાલિન એસ.પી. રાહુલ શર્માને કહી હતી; પરંતુ તેમના મનમાં અમારા પ્રયાસ માટે માન ન હતું; તેમણે જ અમારા આશ્રમ ઉપર બુલડોઝર ફેરવી દીધું. સિંગારમમાં ૧૯ આદિવાસીઓને લાઈનમાં ઊભા રાખી ગોળીથી ઉડાવી દીધાં ! થોડાં વર્ષો બાદ રાહુલ શર્માએ પોતાની રીવોલ્વરથી ખુદને ગોળી મારી દીધી. ૧૯ આદિવાસીઓને રહેંસી નાખ્યા તે કેસ ૧૨ વરસથી કૉર્ટમાં પેન્ડિંગ છે; કોઈને સજા નથી થઈ ! વાંક સરકારનો છે. મિનિસ્ટર પૂંજીપતિઓના દલાલ તરીકે કામ કરે છે. જેના ઈશારે આદિવાસીઓને એમની જમીનથી ખસેડવામાં આવી રહ્યા છે. આદિવાસીઓનો અવાજ બુલંદ કરનાર સામાજિક કાર્યકર્તાઓ સરકારને આંખના કણાની જેમ ખટકે છે ! સરકારોને જવાનોની મોતથી કોઈ ફરક પડતો નથી; સરકારને તો ઇન્વેસ્ટમેન્ટ/પૂંજીપતિઓની કૃપા અને તેમાં મળનાર કમિશનમાં જ રુચિ હોય છે ! પરંતુ અમને કિસાનના દીકરા જવાનોના મોતથી દુઃખ થાય છે અને ઊંડો ફરક પડે છે; એટલા માટે અમે શાંતિની સાચી કોશિશ કરતા રહીશું અને ન્યાય માટે અવાજ ઉઠાવતા રહીશું; ભલે સરકાર અમને જેલમાં પૂરે !

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2021; પૃ. 13

Loading

...102030...1,9311,9321,9331,934...1,9401,9501,960...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved