Opinion Magazine
Number of visits: 9572325
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વારસાની ભૂમિ, ડાયસ્પોરા વિશ્વ તેમ જ ‘જય જગત’

ચિરાગ ઠક્કર|Diaspora - Features|22 April 2021

પ્રસ્તાવના

આમ તો 'જય જગત' વિનોબાજીએ આપણને સૌને આપેલો જીવનમંત્ર છે, પણ મારા માટે તેનો એક અંગત અર્થ પણ છે જેનો ઉઘાડ કરવામાં 'ઓપિનિયન' સામાયિકે મહત્વની ભૂમિકા ભજવી છે. 'ઓપિનિયન' મેગેઝિનના આ રજત રાણ પ્રસંગે એ અંગત વાત અપ્રસ્તુત નહીં ગણાય એમ માનું છું. કારણ કે એ વાત પણ મૂળે તો સ્વથી આગળ વધીને સર્વ સાથે જોડાવાની, માનવમાંથી વિશ્વમાનવ બનવાની દિશામાં અગ્રેસર થવાની જ વાત છે.

જય જગત

તો સૌ પ્રથમ તો આ જય જગતના સ્થૂળ અર્થમાં જય એટલે હું કારણ કે મારા નામ ચિરાગ ઠક્કર પાછળ હું 'જય'નું ઉપનામ અવશ્ય જોડતો હોઉં છું. અને એ જયનાં જગતનો મહત્તમ વિકાસ થયો છે યુનાઇટેડ કિંગ્ડમ નિવાસ દરમિયાન, 'ઓપિનિયન' સામાયિક અને ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’(યુનાઇટેડ કિંગ્ડમ)ના સંસર્ગથી.

વાંચન અને લેખન તો બાળપણથી હાડમાં ઉતરેલી આદત હતી. જ્યારે 2006માં યુ.કે. આવવાનું બન્યું ત્યારે વધારે સમય મળતાં એ પ્રવૃત્તિ પણ વધી. 2008માં બ્લોગિંગ શરૂ કર્યું અને સોશિયલ મીડિયા થકી એ બ્લોગ પહોંચ્યો પંચમ શુક્લ પાસે. તેમણે સામેથી મારો સંપર્ક સાધ્યો, અનિલ જોશીના એક કાર્યક્રમમાં હાજર રહેવાનું આમંત્રણ પાઠવ્યું અને હું આ શું હશે તેમ વિચારતો વિચારતો પહેલી વાર તે કાર્યક્રમમાં ગયો. એ કાર્યક્રમ હૃદયને એટલો બધો સ્પર્શી ગયો કે તેના વિષે બ્લોગ ઉપર લખ્યું. અને વિપુલભાઈએ એ લેખ 'ઓપિનિયન' મેગેઝિનમાં લેવા માટે મંગાવ્યો.

મારા માટે એ અત્યંત નવાઈની વાત હતી. ગુજરાતમાં તો સાહિત્યિક સામાયિકોમાં કંઈક છપાય એ માટે કેવાં શામ-દામ-દંડ-ભેદ ચાલતાં હોય છે એના વિષે તો બધાં જાણે જ છે. ગુણવત્તા કરતાં ત્યાં ઓણખાણ મોટા ભાગે વધારે મહત્ત્વની બની રહે છે. માટે મેં એ લેખ સાદર મોકલાવ્યો અને આવી રીતે 'ઓપિનિયન' તેમ જ GLA (U.K.) સાથે મારો પ્રેમસંબંધ શરૂ થયો.

એ પછી જેમ હેરી પોટરના મનોજગતને હોગવર્ટ સ્કૂલના આચાર્ય ડમ્બલડોર વિસ્તારે અને વિકસાવે છે એમ પ્રિય વિપુલ કલ્યાણીએ આ જયના જગતને વિસ્તારવા અને વિકસાવવા માંડ્યું. એમની શૈલી પાછી નિરાળી. એ સીધે-સીધું કશું જ કહે કે સૂચવે નહીં. બધાનો ઓપિનિયન પ્રગટ કરનારા એ પોતે સીધે-સીધો ક્યારે ય પોતાનો 'ઓપિનિયન' રજૂ જ ન કરે. પણ કંઇક એવું વાંચવા તરફ આંગળી ચીંધે કે એવા કોઈ કામમાં સામેલ કરે કે આપણે આપોઆપ વિસ્તાર અને વિકાસની દિશામાં અગ્રેસર થઈએ.

હું બ્લોગ પર જે લખું તેને વિપુલભાઈ 'ઓપિનિયન' મેગેઝિનમાં શબ્દશઃ છાપે. તેમાંથી પાછું ક્યારેક પ્રકાશભાઈ 'નિરીક્ષક'ના પાનાં પર પણ ઉતારે ને ક્યારેક કોઈ બીજા ગુજરાતી સામાયિકમાં પણ છપાય. આમ 'ઓપિનિયન' મેગેઝિન અને GLA(UK)ની ટીમે મારા અવાજને સ્પષ્ટ અને ઘેરો બનાવ્યો.

એ અવાજ લઈને હું સાતેક વર્ષ ડાયસ્પોરાની ભૂમિમાં વીતાવીને વારસાની ભૂમિ પર પાછો ફર્યો. અહીંયા એ સફર ચાલુ રાખી છે અને તેનાં પાયામાં 'ઓપિનિયન' રહેલું છે તેનો ઋણસ્વીકાર કરું છું.

Reverse Racism

આરાધનાબહેન ભટ્ટે જે રેસિઝમ અને રિવર્સ રેસિઝમની વાતની માંડણી કરી, તે વાત ખૂબ મહત્ત્વની છે. મને જીવનના થોડા-ઘણા અનુભવે એમ શીખવ્યું છે કે સામેવાળું આપણાથી કોઈક રીતે અલગ છે એમ દર્શાવવું એ રેસિઝમનો સૂક્ષ્મ પ્રકાર જ છે.

અને એ સૂક્ષ્મ રેસિઝમ ડાયસ્પોરા વિશ્વના આપણા ગુજરાતીઓમાં અને ભારતીયોમાં અવશ્ય જોવા મળે છે. બે અજાણ્યા ગુજરાતીઓ મળે ત્યારે 'તમે કયાં ગામના?' અને 'તમે કેવા?' એવી પૃચ્છા કરવી હજું પણ ત્યાં એકદમ સામાન્ય છે.

આપણે આ પ્રશ્નો પૂછવાનું બંધ કરીને માનવમાંથી વિશ્વમાનવ બનવા તરફ આગળ વધી શકીશું એમ લાગે છે. આ દિશામાં પણ 'ઓપિનિયન' પોતાનો નક્કર અભિપ્રાય રજૂ કરતું રહેશે એવી અપેક્ષા છે.

રતિલાલ ચંદેરિયાનું સ્મરણ

રોહિતભાઈ બારોટે રતિલાલ ચંદેરિયાનું સ્મરણ કર્યું છે. તેમને મારા વંદન. એ વ્યક્તિત્વનો પરિચય તો નહોતો થયો, પરંતુ ઓળખાણ 'ઓપિનિયન' થકી જ થઈ હતી અને અત્યારે તેમના દ્વારા સર્જાયેલી ગુજરાતીલેક્ષિકોન.કોમનો મારા જેટલો નિયમિત ઉપયોગ ભાગ્યે જ કોઈ કરતું હશે.

સૂચક વાત

નટવરભાઈ ગાંધીએ ડાસ્પોરા વિશ્વની બીજી અને ત્રીજી પેઢી વિષે એમ સૂચક વિધાન કર્યું કે એ પેઢીએ "અમેરિકામાં ઉછરીને અમેરિકન ન થવું અને ભારતીય બની રહેવું [તે] પાણીમાં પલળ્યા વગર તરવા જેવી વાત છે." આ પ્રાસ્તાવિક વાતને વારસાની ભૂમિના સંદર્ભે પણ મૂકી શકાય છેઃ "21મી સદીમાં ઉછરીને 21મી સદીના વૈશ્વિક ભારતીય ન થવું અને 19મી કે 20મી સદીનાં ભારતીય બની રહેવું, તે પાણીમાં પલળ્યા વગર તરવા જેવી વાત છે.

'ડાયસ્પોરા' શબ્દ

આ બેઠકમાં લોર્ડ ભીખુ પારેખે ડાયસ્પોરા શબ્દ સામે વાંધો નોંધાવીને કહ્યું કે તેમના અનુસાર ડાસ્પોરા શબ્દમાં અત્યંત લઘુમતીમાં હોવાની અને વતનમાં પાછા ફરવાની ઝંખના હોવી જોઈએ. 42 દેશોમાં વિખરાયેલો ભારતીય સમાજ 22 દેશોમાં નોંધપાત્ર સંખ્યા ધરાવે છે અને મહદઅંશે કોઈ પાછા ફરવાની ઝંખના સેવતું નથી. માટે એ સમાજ માટે 'ડાયસ્પોરા' શબ્દ વાપરવો કેટલો યોગ્ય છે અને તે ન વાપરી શકાય તો ગુજરાતીમાં કયો શબ્દ યોગ્ય રહેશે તેમ પણ તેમણે પૂછ્યું હતું.

જેમ અંગ્રેજી ભાષા વિદેશી શબ્દો યથાતથ સ્વીકારે છે કે તેમાં નવી અર્થછાયા ઉમેરે છે, તેમ ગુજરાતીએ પણ પોતાના યાયાવર સંતાનો માટે 'ડાયસ્પોરા' શબ્દનો બહુધા સ્વીકાર કર્યો છે અને ધીમે-ધીમે તેની અર્થછાય પણ વધારે સ્પષ્ટ બનતી જશે એમ માનવું અસ્થાને નહીં ગણાય.

સમાપન

બેઠકમાં હાજર વિપુલ કલ્યાણી, પંચમ શુક્લ, નીરજ શાહ, અશોક કરણિયા, ભદ્રા વડગામા ઉપરાંત અનિલ વ્યાસ, વલ્લભ નાંઢા, મારા પ્રિય અદમ ટંકારવી, ધવલ વ્યાસ, ધ્વનિ ભટ્ટ એ સૌનાં મધુર સ્મરણ સાથે વિરમું છે.

e.mail : chirag@chiragthakkar.me

(‘રજત રાણ પડાવે ઓપિનિયન’ અવસરે, “વારસાની ભૂમિ, ડાયસ્પોરા વિશ્વ જેમ જ ‘જય જગત’” નામક અવકાશી બેઠકમાં ‘વાચકસભા’ માંહેની રજૂઆત; રવિવાર, 18 ઍપ્રિલ 2021)

Loading

હ્યુમન લાઈબ્રેરી : મગર કોઈ ચહેરા ભી તુમને પઢા હૈ …

રાજ ગોસ્વામી|Opinion - Opinion|22 April 2021

"પુસ્તકો માણસનાં સૌથી ઉત્તમ મિત્ર છે”, એવું તમે વાંચ્યું/સાંભળ્યું હશે. પુસ્તકો વગરની દુનિયા કેવી હોય, તે કલ્પના  કરવી મુશ્કેલ છે. પુસ્તક શોખની, શિક્ષણની, જરૂરિયાતની, ટાઇમ-પાસની વસ્તુ છે. કોઈને કોઈ સ્વરૂપે પુસ્તક આપણા જન્મથી લઈને મૃત્યુ સુધીના તમામ પડાવોને પ્રભાવિત કરતું રહે છે. પુસ્તકોનો આવિષ્કાર થયો, ત્યારથી લઈને માનવ જીવનમાં તેની ઉપયોગિતા પર અનેક જ્ઞાની લોકોએ ખૂબ બધા વિચારો કર્યા છે, ખૂબ બધું લખ્યું છે.

આધુનિક રાજકીય ચિંતન અને રાજકીય વિજ્ઞાનના જનક ઇટાલિયન નિકોલો મેકિયાવલી આમ તો નિષ્ઠુર વિચારક હતો, પરંતુ તેના વ્યક્તિત્વમાં અમુક નાજૂક બાબતો પણ હતી. એમાં પુસ્તકોનો સમાવેશ થાય. તત્કાલીન રોમમાં ફ્લોરેન્ટીનના રાજદૂત અને અંગત મિત્ર ફ્રાંસેસ્કો વેટ્ટોરીને ડિસેમ્બર ૧૫૧૩માં લખેલા પત્રમાં મેકિયાવલીએ તેના વાંચનના શોખ અંગે લખ્યું હતું –

"સાંજ પડે હું નિવાસે પાછો ફરું છું અને પુસ્તકોના મારા કમરામાં જાઉં છું. દરવાજે હું દિવસનો મારો મેલોઘેલો પહેરવેશ ઊતારીને ટાંગી દઉં છું, અને દરબારી વસ્ત્રો ધારણ કરીને પ્રાચીન જ્ઞાનીઓના દરબારમાં પ્રવેશ કરું છું. મને પ્રેમથી આવકાર આપવામાં આવે છે. ત્યાં મારા માટે આહાર તૈયાર હોય છે. હું તેમની સાથે વાતો કરું છું અને તેમના આચરણ વિશે હું સવાલો પૂછું છું. તેઓ નમ્રતાથી મને જવાબો આપે છે. ત્યાં ચાર કલાક સુધી મને  કંટાળો નથી આવતો, હું દરેક દુઃખ ભૂલી જાઉં છું, મને ગરીબી, મોતનો ડર નથી લાગતો. હું મારી જાતને સંપૂર્ણપણે તેમને સમર્પિત કરી દઉં છું."

મેકિયાવલી તેનાં પુસ્તકો સાથે વાતો કરતો હોય એ કલ્પના કેટલી જબરદસ્ત છે. એ સાચી પણ છે. આપણે જ્યારે પુસ્તક વાંચીએ છીએ, ત્યારે આપણે તેની સાથે એવી રીતે સંવાદ કરીએ છીએ, જાણે એક મિત્ર સાથે વાત કરતા હોઈએ!  ૨૦૦૬માં, હોલીવૂડની એક ફિલ્મ 'નાઈટ એટ ધ મ્યુઝિયમ' આવી હતી. તેમાં રોજ રાત પડે મ્યુઝિયમમાં શો-કેસમાં મુકવામાં આવેલાં જનાવરો જીવતાં થાય છે!

ધારો કે મેકિયાવલીની લાઈબ્રેરીનાં પુસ્તકો જીવતાં થઈને જે તે લેખકનું સ્વરૂપ ધારણ કરે અને મેકિયાવલી સાથે સંવાદ કરે તો? આમ ભલે ફિલ્મી કલ્પના લાગે (કોઈએ આવો પ્લોટ વિચારવા જેવો છે), પણ ડેન્માર્કમાં પ્રતિવર્ષ યોજાતા રોસકિલ્ડે મ્યુઝિક ફેસ્ટિવલમાં સન ૨૦૦૦માં રોની અબેરજેલ નામના એક સ્થાનિક લેખકને એવો વિચાર આવ્યો હતો કે જેમ પુસ્તકોની લાઈબ્રેરી હોય છે, તેવી માણસોની લાઈબ્રેરી હોય તો કેવું?

આધુનિક સમયમાં ટેકનોલોજીના વિકાસની સાથે માણસોએ એકબીજા મળવાનું અને સંવાદ કરવાની ઓછું કરી દીધું છે, ત્યારે માણસો એકબીજાંને 'પુસ્તક' તરીકે મળે, તેવી કોઈ પ્રવૃત્તિ કરવી જોઈએ એવો વિચાર આ રોનીભાઈને આવ્યો હતો. એ વિચાર એટલો સશક્ત હતો કે આજે ૨૦ વર્ષ પછી ૮૦ દેશોમાં આવી લાઈબ્રેરી ચાલે છે, જેમાં માણસો 'પુસ્તક' બનીને એકબીજાને મળે છે. એ પ્રવૃત્તિનું નામ છે ‘હ્યુમન લાઈબ્રેરી’ એટલે કે માણસોની લાઈબ્રેરી.

આઈડિયા એવો છે એમાં જે વ્યક્તિ ‘મેમ્બર’ બનવા માગતી હોય, તે ‘પુસ્તક’ બને, અને ‘વાચકો’ માટે ઉપલબ્ધ રહે. એટલે ધારો કે હું ‘પુસ્તક’ તરીકે પેશ થવા તૈયાર થાઉં, તો કોઈ નિશ્ચિત જગ્યાએ કોઈ મને ‘વાંચવા’ આવે. એ મને મારા જીવન વિશે, વ્યવસાય વિશે, સફળતા-નિષ્ફળતા વિશે, દુઃખ-દર્દ વિશે પૂછે. ભારતમાં પણ અનેક શહેરોમાં આવી લાઈબ્રેરીઓ ચાલે છે.

જેમ પરંપરાગત લાઇબ્રેરીમાં વિષયવાર પુસ્તકો હોય છે, તેવી રીતે આ ‘હ્યુમન લાઈબ્રેરી’માં પણ કેવા પ્રકારના લોકો ‘પુસ્તકો’ રૂપે ઉપલબ્ધ છે, તેની સૂચિ બને છે. એટલે ધારો કે કોઈ ‘વાચક’ને સેરેબ્રલ પાલ્સીનું પુસ્તક ‘વાંચવું’ હોય, તો લાઈબ્રેરીમાં તે એવા રોગનો અનુભવ હોય તેવી વ્યક્તિને ‘વાંચવા’ માટે પસંદ કરી શકે. વ્યક્તિઓ સામેથી ‘પુસ્તક’ બનવા તૈયાર થઇ હોય, એટલે તેમને ‘વાચકો’નો કોઈ પણ સવાલનો જવાબ આપવાની શરમ ન હોય.

ધ હ્યુમન લાઇબ્રેરી ઓર્ગેનાઈઝેશન નામની નહીં નફો-નહીં ખોટના ધોરણે ચાલતી સંસ્થા આ લાઇબ્રેરીને ચાલવે છે. આ સંસ્થા ઊભી કરનાર રોની અબેરજેલ કહે છે કે અગાઉ તેણે અને તેના સહયોગીઓએ શહેરી વિસ્તારોમાં થતી હિંસા સામે સ્ટોપ ધ વાયોલેન્સ નામની ચળવળ સાત વર્ષ ચલાવી હતી. તે વખતે તેને પ્રશ્ન થયો હતો કે લોકો સાવ અજાણ્યા માણસો પર હિંસા કેમ કરતા હશે? તેને લાગ્યું કે તેનું એક કારણ એ છે કે તેમની વચ્ચે ભૂતકાળમાં કોઈ સંબંધ ન હતો. રોની કહે છે કોઈ વ્યક્તિ પસંદ ન હોય પણ તેની સાથે એક સામાજિક સંબંધ હોય, તો હિંસા ઘટી શકે.

આ વિચારમાંથી હ્યુમન લાઈબ્રેરીનો જન્મ થયો હતો, જેનો મૂળ હેતુ અજાણ્યા લોકો સાથે ઓળખાણ સ્થાપિત કરવાનો છે. આપણે અત્યંત ધ્રુવીકરણવાળા સમયમાં રહીએ છીએ, જેમાં જે ‘આપણા’ જેવા ન હોય અથવા આપણાથી ‘જુદા’ હોય તેવા લોકો પ્રત્યે આપણને બહુ બધા પૂર્વગ્રહો હોય છે. ધારો કે કોઈ વ્યક્તિ જેલની સજા કાપીને આવી છે અથવા ધારો કે સમલૈંગિક છે. આપણે જ્યાં સુધી તેને જાણતા નથી, ત્યાં સુધી આપણામાં તેના વિશે ઘણીબધી ગેરમાન્યતાઓ હોય છે. તેમાંથી જ નફરત અને ઘૃણા પેદા થાય છે. હ્યુમન લાઇબ્રેરીમાં આવા વિષમ લોકોને ખુલ્લા થવાનો અને પૂર્વગ્રહો દૂર કરવાનો મોકો મળે છે.

જુદા હોવું એટલે એકલા હોવું. જે સમાજ એક સરખા જોડા સીવતો હોય અને બધાને તેમાં ફીટ કરવાનો પ્રયાસ કરતો હોય, ત્યાં ‘નાના-મોટા પગવાળા’ માણસો તરછોડાય છે અને ભેદભાવનો શિકાર બને છે. આપણે નાના હતા ત્યારે આપણા વડીલો આપણને ઘણીવાર કહેતા હતા કે ‘આ પુસ્તક તારાથી ન વંચાય.’ આપણે સ્વતંત્રત થઈને ન વાંચવાનાં પુસ્તકો વાંચતા થયા, પછી આપણને ખબર પડી કે એ પુસ્તકોમાં તો કશું અસાધારણ ન હતું. બલકે, આપણે તે વાંચ્યા ન હતાં એટલે આપણે અધૂરા હતા. મોટા થઈને આપણે બહુ બધાં પુસ્તકો વાંચ્યાં, પછી ખબર પડી કે કોઈ પુસ્તક સારું કે ખરાબ નથી હોતું. પુસ્તક સારી રીતે લખાયેલું અથવા ખરાબ રીતે લખાયેલું હોય છે.

માણસોનું પણ એવું જ છે. આપણે તેને ‘વાંચીએ’ નહીં ત્યાં સુધી તે આપણને ખરાબ જ લાગે. શાહરુખ ખાનની ‘બાઝીગર’ ફિલ્મમાં ગીતકાર રાની મલિકે એટલે જ લખ્યું હતું;

કિતાબે બહોત સી પઢી હોંગી તુમને
મગર કોઈ ચહેરા ભી તુમને પઢા હૈ

સૌજન્ય : લેખકની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

વારસાની ભૂમિ, ડાયસ્પોરા વિશ્વ અને જય જગત

આરાધના ભટ્ટ|Diaspora - Features|21 April 2021

‘ઓપિનિયન’ એ વિચારપત્ર છે અને એના રજત પડાવે આ અવસર રચાયો છે તેથી બે શબ્દોની વાતથી શરૂઆત કરું. એક શબ્દ છે ‘ઓપિનિયન’, એ શબ્દના ગુજરાતી પર્યાય અભિપ્રાય, મત, મંતવ્ય કરીએ. બીજો શબ્દ છે ‘વિચાર’. અભિપ્રાય અને વિચાર – આ બંને શબ્દો વિદેશમાં વસતા સમુદાય સંદર્ભે મહત્ત્વના છે. વિચાર એ અભિપ્રાયનું ઉદ્ગમસ્થાન છે. વિચાર પ્રેરવા માટે માહિતી અને સંવેદનક્ષમતા જરૂરી છે. લોકો જ્યારે દેશમાંથી પોટલાં બાંધીને વિદેશ નિવાસાર્થે ગમન કરે છે ત્યારે ઘણી બધી વસ્તુઓ સાથે લઇ જાય છે. પણ સાથે લઇ જવાની એ બધી ભૌતિક વસ્તુઓની યાદીમાં આ બે અભૌતિકો પાછળ રહી જાય છે. બાલમુકુંદ દવેનું કાવ્ય ‘જૂનું ઘર ખાલી કરતાં’ની પંક્તિ છે ‘શું શું સાથે લઇ જઈશ હું?’ − કહેવાનું તાત્પર્ય એ છે કે નવા દેશમાં જઈને ઠરીઠામ થવામાં અને રોટલો રળવામાં આપણે એવાં જોતરાઈ જઈએ છીએ કે દેશ-વિદેશના પ્રવાહો વિષેની માહિતી અને એના આધારે વિચાર, વિચારમાંથી ઉદ્દભવતા અભિપ્રાય, અને લોકશાહી ઢબે એ અભિપ્રાયની અભિવ્યક્તિ અને આદાન-પ્રદાનની પ્રક્રિયાથી આપણને છેટું થઇ જાય છે. વાંચન, વિચાર, બંને દેશોના અને દુનિયાના સાંપ્રત સામાજિક-સંસ્કૃતિક-રાજકીય પ્રવાહોની માહિતી અને વિચાર વિમર્ષમાં આપણે ક્યાંક પાછાં પડીએ છીએ એવો મારો અનુભવ છે. અને તેથી ‘ઓપિનિયન’ જેવી વેબસાઈટ એ દેશાંતરિતોની આજની અને આવતી પેઢીઓ માટે અત્યંત ઉપકારક છે.

વારસાની ભૂમિ એટલે શું? પૃથ્વીના ગોળા પર અક્ષાંશ અને રેખાંશ વચ્ચે, રેખાઓથી બનેલા કોઈક ચોક્કસ આકારનો જમીનનો એક ટૂકડો? ના, ભૂમિ એટલે જે તે ભૂમિ પર વસતા લોકો, એ લોકોનો બનેલો સમાજ, જે સંસ્કૃતિના પાયા પર એ સમાજ રચાયો છે એ સંસ્કૃતિ, અને જે પરંપરાની ધરોહર પર એ સંસ્કૃતિ ટકી છે એ પરંપરા. વળી વારસાની ભૂમિ એકથી વધુ પણ હોઈ શકે છે. ભારતીય મૂળની કોઈ વ્યક્તિ આફ્રિકાના કોઈક દેશમાં જન્મી હોય, વિલાયતમાં અભ્યાસ કર્યો હોય અને પછી જો એ ઓસ્ટ્રેલિયા આવીને સ્થાયી થાય તો એનો વારસો, એની જીવન જીવવાની તરેહ, એની વિચાર પદ્ધતિ ભારત, આફ્રિકા, વિલાયત એમ ત્રણે ભૂમિ સાથે સંકળાયેલી સંસ્કૃતિની ઉપજ હોય. વળી સમાજો પરિવર્તનશીલ છે. સમય સાથે દરેક સ્થળ અને એનું જનજીવન પરિવર્તનોમાંથી પસાર થાય છે. ડાયાસ્પોરાના લોકો જ્યારે વતન જઈને પાછા ફરે છે ત્યારે વતનના પરિવર્તનથી ક્યારેક વ્યથિત થાય છે તો ક્યારેક એના વિષે ટીકાત્મક વલણ ધરાવે છે. પણ શું પરિવર્તન સાર્વત્રિક અને અનિવાર્ય નથી? આપણે જે દેશને અપનાવ્યો છે એ દેશ પણ ક્યાં પરિવર્તનથી પર છે? હકીકત એ છે કે આપણે જ્યાં આવીને વસ્યાં છીએ એ સમાજનું પરિવર્તન આપણે વધુ સરળતાથી સ્વીકારી શકીએ છીએ કારણ કે આપણે એ પરિવર્તનના ભાગ છીએ. સમાજોની આ પરિવર્તનશીલતાને કારણે વતનઝૂરાપો એક બહુ જ જટિલ અને પેચીદો મુદ્દો બને છે. આપણને કયા વતનનો ઝૂરાપો છે અથવા હોઈ શકે? જે વતનને આપણે પાછળ મૂકીને આવ્યાં એ વતન? જો દાયકાઓ પહેલાંના એ વતનને આપણે શોધતાં હોઈએ તો એ વતન તો હવે ક્યાં ય નથી. અને વતન આજે જેવું છે એને તો આપણે ઓળખતાં જ નથી. તે વખતે પ્રશ્ન એ થાય અને કરવો રહ્યો કે આપણા વતનનો ચહેરો બદલાયો છે કે આત્મા બદલાયો છે? દેશાંતર કરીને વિદેશોમાં વસતા કોઇ પણ વ્યક્તિના જીવનમાં છેલ્લાં દસેક વર્ષમાં આવેલી ટેકનોલોજીની ક્રાંતિએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ઈન્ટરનેટને કારણે પ્રત્યાયનની વધેલી સુવિધાઓએ ઘરઝૂરાપાને ધરમૂળથી ઉખેડવા માંડ્યો છે, અથવા ઓછો કર્યો છે. આજનો માઈગ્રન્ટ માત્ર ભૌગોલિક દૃષ્ટિએ વતનથી દૂર છે, તે સિવાય બધી જ રીતે એ વતન સાથે સંકળાઈ શકે છે.

ડાયસ્પોરાની દરેક વ્યક્તિ એ દ્વિજ છે. એને એક જન્મમાં બેવડો જન્મ મળ્યો છે. પણ તેની સાથે એનું બેવડું ઉત્તરદાયિત્વ પણ બને છે. દાખલા તરીકે હું ઓસ્ટ્રેલિયામાં વસું છું ત્યારે અહીંના સમાજમાં હું ભારતીયતાનું પ્રતિનિધિત્વ કરું છું અને જ્યારે હું ભારત જાઉં ત્યારે ઓસ્ટ્રેલિયાના સમાજમાંથી મેં જે આત્મસાત કર્યું છે એની હું વાહક બનું. ડાયસ્પોરા માટે દેશપ્રેમનું વિભાવન પણ સમજણ માંગી લે એવું છે. આપણે ભારતીયો ક્યારેક રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રપ્રેમ વચ્ચે ગૂંચવાતા હોઈએ એવું મેં જોયું છે. જો તમે રાષ્ટ્રવાદી છો તો તમે તમારા દેશબંધાવો સિવાય સર્વને ધિક્કારો છો, પરંતુ તમે જો રાષ્ટ્રપ્રેમી છો તો તમે સૌનો સ્વીકાર અને સૌને પ્રેમ કરી શકો છો.

દેશાંતર હવે સામાન્ય બનતું જાય છે ત્યારે એ રાજકારણનો, સમાજકારણનો અને મનોવિજ્ઞાનનો મુદ્દો બન્યો છે. બીજા દેશમાં જઈને વસવાટ કરીએ ત્યારે integration, assimilation જેવા શબ્દો રાજ્યકર્તાઓ પાસેથી વારંવાર સાંભળીએ છીએ. સમાનાર્થી જણાતા આ બે શબ્દો વચ્ચે એક સૂક્ષ્મ ભેદ છે. Integrationનો અર્થ પોતાનું જે છે એ જાળવીને બીજું અપનાવવું એવો થાય છે, જ્યારે assimilationમાં પોતાનું જે છે એ ત્યજીને નવા સાથે તાદાત્મ્ય સાધવાનો અર્થ સમાયેલો છે. ગુજરાતી ડાયસ્પોરા સંદર્ભે જોઈએ તો આ બંને શબ્દો સાથે સંકળાયેલો બીજો એક શબ્દ છે bi-lingualism અથવા દ્વિભાષીપણું. ભાષાવિજ્ઞાનીઓ બે જાતના દ્વિભાષીપણાની વાત કરે છે : Subtractive bi-lingualism અને additive bi-lingualism. પહેલા પ્રકારના દ્વિભાષીપણામાં વ્યક્તિ પહેલી ભાષા અથવા મૂળ ભાષાને ભૂલતી જાય અને બીજી ભાષા અપનાવે, જ્યારે બીજા પ્રકારમાં વ્યક્તિ પહેલી ભાષા જાળવી રાખે અને બીજી ભાષા સમાંતરે ચાલે. ગુજરાતીઓ પર પહેલી ભાષા ભૂલી જઈને અંગ્રેજી ભાષા અંગીકાર કરવાનો આરોપ છે. ડાયસ્પોરાની પહેલી પેઢી કદાચ મૂળ ભાષા જાળવી શકે છે, પરંતુ જ્યારે બીજી પેઢીનો સવાલ આવે ત્યારે મોટે ભાગે મૂળ ભાષા ભૂંસાતી જોવા મળે છે.

નવા દેશમાં વસવાટ કરવામાં જે તે દેશની સ્થાનિક પ્રજા દ્વારા નવાગંતુક વસાહતીઓનો સ્વીકાર થાય અને બધી જ પ્રજાઓ હળીમળીને સંવાદી સમાજનું ઘડતર કરે એ એક આદર્શ છે. પરંતુ આજે પણ દુનિયાભરમાં વંશવાદથી પ્રેરિત અનેક દુર્ઘટનાઓ ઘટે છે. વંશવાદી વૃત્તિનાં મૂળ કદાચ મનુષ્યની અન્ય કરતાં પોતાને ચડિયાતા માનવાની જરૂરિયાતમાં રહેલાં છે. પોતે બીજા કરતાં જુદો છે એનાથી એને સંતોષ નથી તેથી એ પોતાને બીજાથી ચડિયાતો ગણે છે અને એમાંથી એ અન્ય પ્રત્યે દુર્વ્યવહાર અને તિરસ્કારયુક્ત વર્તન કરે છે. આજે અનેક દેશોની સરકારોએ વંશવાદ વિરોધી કાયદાઓ ઘડ્યા છે, એનાથી વંશવાદી વર્તનના પ્રકાર બદલાયા છે, વંશવાદ હવે વધુ સૂક્ષ્મ સ્વરૂપે વ્યક્ત થાય છે અને તેથી સૂક્ષમ સ્વરૂપે એનો સામનો કરવાનો સમય આવ્યો છે. વંશવાદ બંને પક્ષે હોઈ શકે, અને જેમ જેમ ડાયસ્પોરા સંખ્યાની દૃષ્ટિએ વિસ્તરતો જાય છે એમએમ રીવર્સ રેસિઝમ એટલે કે અવળો વંશવાદ પ્રગટ થઇ રહ્યો છે. પોતાના વતનમાંથી દેશાંતર કરીને બીજા દેશમાં સ્થિર થયેલો જનસમૂહ ત્યાંની મૂળ વતની પ્રજા સાથે ભેદભાવયુક્ત વર્તન કરે એવા ઘણા કિસ્સા નોંધાઈ રહ્યા છે. ‘હું મારા ધંધામાં આપણા ગુજરાતીઓને/ભારતીયોને જ નોકરી આપું.’ અથવા એનાથી પણ આગળ જઈને ‘હું મારા ધંધામાં આપણી જ્ઞાતિના લોકોને જ નોકરી આપું’ આવી ઘટનાઓ એ આજની વાસ્તવિકતા છે. આજે પણ દેશ-વિદેશમાં પથરાયેલો ભારતીય ડાયસ્પોરા અનેક જાત-જ્ઞાતિ- ભાષા-રાજ્ય-ગામના આધારે રચાતાં મંડળો અને સંસ્થાઓમાં વિભાજીત છે એની સખેદ નોંધ લેવી જ પડે.

પહેલી પેઢીના દેશાંતરિતો પોતાનું મોટા ભાગનું જીવન પોતાની અસ્મિતા શોધવામાં અને પોતાના ચિત્તમાં એ અસ્મિતાને પ્રસ્થાપિત કરવામાં ગાળે છે. અસ્મિતાની શોધમાંથી ઘણી સમસ્યાઓ ઉદ્દભવે છે, જેનો અભ્યાસ સમાજશાસ્ત્રીઓ માટેનો અને મનોવિજ્ઞાનીઓ માટેનો વિષય છે. પરંતુ જગતનો છેલ્લાં પચીસ-પચાસ વર્ષનો ઇતિહાસ તપાસીશું તો જણાશે કે દુનિયામાં થયેલા મોટા ભાગના આતંકી હુમલાઓ પાછળ ઇમિગ્રન્ટસની બીજી પેઢી રહેલી છે. અસ્મિતાની કશ્મકશમાંથી સર્જાતી આંતરિક કટોકટીનું આ પરિણામ હોઈ શકે. તો બીજી તરફ બેવડી અસ્મિતાનો સ્વીકાર કરવાથી સકારાત્મક પરિણામો પણ આવી શકે જો આ દ્વૈતનો ઉપયોગ પ્રજાઓ વચ્ચે સંવાદ રચવામાં કરી શકીએ. વ્યક્તિમાત્રમાં plurality છે, એ હકીકતનો સ્વીકાર કરી શકીએ તો સમાજમાં પ્રવર્તતી વિવિધતા સાથે આપોઆપ તાલમેલ થઇ શકે અને જય જગતનો મંત્ર ચરિતાર્થ થાય, કારણ કે નાગરિક ધર્મ અને માનવ મૂલ્યો આખરે દેશ-કાળથી પર છે.

ફાધર વાલેસના પુસ્તક ‘ટુ કન્ટ્રીઝ, વન લાઈફ : એન એન્કાઉન્ટર ઓફ કલ્ચર્સ’માં એમણે નોંધેલી એક વાતથી સમાપન કરું છું. રૂડયાર્ડ કિપલિંગના ‘બેલડ ઓફ ધ ઇસ્ટ’ની જાણીતી પંક્તિ છે ‘East is East and West is West and never the twain shall meet’. એ વિષે ફાધર આ પુસ્તકમાં લખે છે કે આ પંક્તિને એના સંદર્ભ બહાર લેવાથી ઘણી ગેરસમજ સર્જાઈ છે. એ કાવ્યની ચાર પંક્તિઓ જોઈએ તો કિપલિંગ શું કહેવા માંગે છે સ્પષ્ટ થશે.

“Oh East is East, and West is West, and never the twain shall meet,
Till Earth and Sky stand presently at God’s great Judgement Seat;
But there is neither East nor West, Border nor Breed, nor Birth
When two strong men stand face to to face tho’ they come from the ends of the earth!”

દુનિયાના બે છેડે વસતી બે સક્ષમ વ્યક્તિઓ જ્યારે મળે ત્યારે જન્મ, જાત કે રાષ્ટ્રોની સીમાઓ નિરર્થક બને છે.

e.mail : aradhanabhatt@yahoo.com.au

(‘રજત રાણ પડાવે ઓપિનિયન’ અવસરે, “વારસાની ભૂમિ, ડાયસ્પોરા વિશ્વ જેમ જ ‘જય જગત’” નામક અવકાશી બેઠકમાંની રજૂઆત; રવિવાર, 18 ઍપ્રિલ 2021)

Loading

...102030...1,9241,9251,9261,927...1,9301,9401,950...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved