Opinion Magazine
Number of visits: 9680148
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉપદ્રવ

પ્રતિષ્ઠા પંડ્યા|Poetry|25 May 2021

જળ નિગમોની યોજનાના
પ્રસ્તાવ લખ્યા કાગળો જેવી
પાતળી, સફેદ, કડક પાંદડીઓ
ને ઉપર લાલ શાહીની છાંટ
નદીઓની નદીઓ ભરાઈ જાય છે એમનાથી

એ હિસાબ નથી માગતાં
છીનવાઈ લેવાયેલા શ્વાસોનો
એ સવાલ–જવાબ નથી કરતાં
એમની તરફ દુર્વ્યવહાર કરનારાઓ સામે
નથી એ માથાં ઊંચકતાં
કે નથી કરતાં વિરોધ પ્રદર્શનો

એમને બસ દાટી દેવાના હોય છે
જમીનમાં ૧૦ ફૂટ ઊંડે
એક સજડ પ્લાસ્ટિકની કોથળીમાં લપેટીને,
ભરીને કોતરણીવાળા લાકડાના ખોખામાં
કીડાઓ ખોતરી ખાય પાંદડીઓ
ને મૂકે ઈંડા ખોખલા ભેજભર્યાં કાણાઓમાં ત્યાં સુધી
કાં પછી નાખી દેવાના હોય છે દખમામાં,
ગીધડાંને કોચી ખાવા માટે
નહીં તો પછી બાળી મૂકવાના હોય છે
બધાંય પાન, ડાળીઓ રાખ થઈ જાય ત્યાં લગી.

પણ જરૂરી હોય છે એમનો
સરખી રીતે નિકાલ કરવો
જેથી એ આમ બેશરમ
કૂટવા ના માંડે રાતોરાત
અંધકારના તળિયેથી
સાવ વહેતાં પાણીમાં
અપવિત્ર કરતાં નદીઓને
આ જંગલી
સફેદ, ગુલાબી કમળનાં વન.

 

••••

 

Infestation

 

Petals stiff, thin, white, and crisp

like project papers of Jal Nigams

with bright red blobs of ink —
the rivers are flooding with those.

Their eyes are closed,
limbs are tied.
They don’t hold anyone accountable
for their plucked breaths.
They don’t get into arguments
over their perceived ill-treatment.
They don’t raise their defiant heads.
They don’t join angry protest marches.

You just need to bury them
ten feet deep into the soil,
wrapped in tight plastic bags
or ornate wooden boxes
until the maggots burrow and eat the petals,
and breed in their still moist caverns.
Or you just hang them in the Dakhma

for carrion birds to feed on.
Or just burn them
stems, leaves, flowers and all
until they all turn to ashes.

But it’s important
that you dispose of them
quickly and correctly,
lest they grow overnight
into an outrageous infestation like this.
Such impurities
and that too in running sacred waters.
Rising from slippery darkness
this wild colony of
white and pink lotuses.

 
https://indianculturalforum.in/2021/05/24/infestation-a-poem-by-pratishtha-pandya/

Loading

મારાં સાસુ સહનબહેનને સ્મરણાંજલિ

રૂપા મહેતા, રૂપા મહેતા|Opinion - Opinion|25 May 2021

હું ૨૧ વર્ષની વયે જાની પરિવારમાં ચોથા નંબરની પુત્રવધૂ તરીકે આવી. આજથી ૪૦ વર્ષ પહેલાં … મનીષી સાથે મારાં પ્રેમ લગ્ન અને સહજ રીતે જ અજાણ્યા કુટુંબમાં સ્વીકાર ને નવાં વાતાવરણમાં કેવી રીતે ગોઠવાઈશ તેની મૂંઝવણ! વળી, વિભક્ત કુટુંબમાંથી ને તેમાં ય અમે માત્ર બહેનો જ એટલે પાંચ ભાઈઓ, ત્રણ જેઠાણીઓ ને સાસુ-સસરાવાળાં કુટુંબમાં શું થશે? એમાં ય રસોઇ બિલકુલ આવડે નહીં … ને આપણા સમાજમાં સાસુને તો હંમેશાં વિલન તરીકે જ ચિતરવામાં આવી છે. .. …વળી, લગ્ન પણ કોઈ જાતનાં વિધિ-વિધાન વગર કમુરતાંમાં કરેલાં … ને તે પણ બ્રાહ્મણ કુટુંબમાં …. એટલે શું થશે એવી બધી જ મથામણ … પણ પહેલાં જ દિવસે મારાં સાસુ સહનબહેને મારું બહુ જ ઉમળકાભેર સ્વાગત કર્યું ને બધી જ દુવિધાઓ દૂર થઈ ગઈ. ને હંમેશ માટે હું આ પરિવાર સાથે ગોઠવાઈ ગઈ. મારી મમ્મીને પણ આશ્ચર્ય થતું  કે આ છોકરી કોઈ દિવસ સાસુની ફરિયાદ કેમ નથી કરતી!

પિતૃસત્તાક સમાજની દ્રષ્ટિએ જોઈએ તો મારાં સાસુનું સ્થાન બહુ ઊચું કહેવાય … પાંચ દીકરાની મા ….. પણ માત્ર ચાર ચોપડી ભણેલી આ ગૃહિણી પોતાની જાતને તો સન્માન આપતાં, પરંતુ બીજાનાં સ્વાતંત્ર્યનું માન પણ રાખતાં અને સવિશેષપણે વહુઓ સમેત. સૌને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના પાઠ એ ક્યાંથી શીખ્યાં હશે એવો પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય  !

માત્ર 15 વર્ષની વયે તેમના લગ્ન થયેલાં ને સોળમે વર્ષે માતૃત્વ … 28 વર્ષ સુધીમાં એ પાંચ દીકરાઓ … અચ્યુતભાઈ, અશ્વિનભાઈ, કૃષ્ણકાંત, મનીષી અને ગૌરાંગ …. પોતાના ક્ષેત્રમાં સફળ, સામાજિક  નિસ્બત ધરાવતા આ પાંચેય દીકરાઓનું માને ગૌરવ હોય તે સ્વાભાવિક હતું જ …

પણ અહીં વાત થોડી જુદી છે …. પાંચમાંથી ચાર દીકરાઓએ પ્રેમલગ્ન કર્યા અને એક દીકરાએ છાપાંમાં આવતી લગ્ન વિષયક જાહેરાતની મદદથી … પાંચેય વહુઓનાં સામાજિક સંદર્ભો ને કૌટુમ્બિક વાતાવરણ સાવ જુદાં … ડો. ભારતી પટેલ, ઉષા મહેતા, શ્રદ્ધા વ્યાસ, ડો. રૂપા મહેતા ને હર્ષા દવે. પણ સહનબહેને કે જેમને અમે બધાં મોટીબે’ન તરીકે સંબોધતાં, તેમણે બધી જ વહુઓનો  એકસરખા પ્રેમ ને ઉષ્માથી સ્વીકાર કર્યો ને બધાંને સમાન ગણ્યાં. ને સૌથી મહત્ત્વની બાબત તો એ કે અમે ત્રણ વહુઓએ તો અમારું ભણવાનું પણ સાસરે આવી પૂરું કર્યું … મેં અને ભારતીભાભીએ તો અમારી  maiden surname જ રાખી તો એની સામે મારા સાસુ સસરાએ કોઈ વાંધો ના ઉઠાવ્યો …. હકીકતમાં તેમને  તેમની પાંચ પુત્રવધૂઓનાં ભણતર અને પ્રગતિનું હંમેશાં બહુ જ ગૌરવ હતું.

હું જ્યારે દૂરદર્શનમાં નોકરી કરતી ત્યારે મારા કાર્યક્રમોનાં નિયમિત દર્શક. નવરાત્રિ વખતે બનાવેલાં  મારા ગરબા એમને સૌથી  પ્રિય! એ મારાં કાર્યક્રમોની નિષ્પક્ષ ટીકાટિપ્પણ પણ કરતાં. મને એ ગમતું … હું સપ્ટેમ્બરમાં  સેવાનિવૃત્ત  થઈ  ત્યારે  કહે, “હવે માત્ર તને ગમતી જ પ્રવૃત્તિ કરજે."

કોઈને એ માનવું અઘરું છે કે જિંદગીના છેક છેલ્લા દિવસોમાં ય એ છાપાં વાંચતાં. સાંપ્રત ઘટનાઓથી સંપૂર્ણ વાકેફ. નવલકથાઓ, વાર્તા, મેગેઝીન વાંચવાં ને સંગીત સાંભળવું એ એમનાં પ્રિય શોખ … હમણાં માતૃદિનની રાત્રે હું એમની સાથે જ્યારે હોસ્પિટલમાં હતી, ત્યારે હોસ્પિટલના બિછાનેથી એમણે મને કહ્યું કે  "મને ભગવાનના નામ કરતાં વાંચવામાં વધારે મઝા આવે છે.” કદાચ આજની પેઢી પણ 92 વર્ષનાં મોટીબે’નને વાંચવામાં હંફાવી ન શકે!

આપણાં અનેક લોકગીતોમાં સાસુનાં આકરાંપણાનું વર્ણન છે. મહેણાં મારવા .. વહુને ત્રાસ આપવો .. "સાસુ એટલે સૂરજમુખીનું ફૂલ જે દિવસ ઊગતાંની સાથે જ બોલવા લાગે ને સાંજ સુધી ભૂલો જ કાઢે" પણ સહનબહેન સાવ નિરાળાં … એમની પસંદગી નાપસંદગી બહુ strong હતી, સ્વચ્છતાપૂર્ણ ઘરકામનાં પણ બહુ જ આગ્રહી હતાં, પણ એમણે કોઈ દિવસ અમને નથી મહેણાં માર્યાં કે નથી કોઈ વહુ પર ઘાંટો પાડ્યો! સાચું કહું તો મોટાં કુટુંબમાં સમન્વય કેવી રીતે જાળવવો એ મને મોટીબે’ન  પાસેથી શીખવા મળ્યું. તેમની પાસે સમગ્ર  કુટુંબને એક સૂત્રે બાંધી રાખવાની કોઠાસૂઝ હતી. સૌની  સ્વતંત્રતાને  જાળવી  કોઈને નારાજ નહીં કરવાની સરસ આવડત હતી, સહનબહેનમાં.

મોટીબે’ન જે દીકરાને ઘરે રહેવા જતાં તે ઘરની વિશિષ્ટ રહેણીકરણીમાં બહુ જ સરસ રીતે ગોઠવાઈ જતાં. મારાં ઘરે એમને વાંચવાની મઝા પડતી .. અમે સાસુ વહુ ક્યારેક મંદિર  જતાં .. એમને મારી  સાથે ગાડીમાં બેસી ફરવું ગમતું … બંનેને મઝા …

એમની ખુશી અને સંતોષ એમનાં દીકરા – વહુઓનાં આનંદમય દાંપત્ય જીવનમાં હતો .. પણ એનો  અર્થ એવો નહીં કે વહુઓ એમના દીકરાની કોઈ પણ ટેવો પોષે. માત્ર દીકરાનો જ પક્ષ નહીં લેવાનો .. મારાં લગ્નના શરૂઆતના દિવસોમાં હું મનીષીને રાત્રે જ્યારે જમવા બેસે ત્યારે ગરમ ભાખરી કરી ખવડાવતી. મોટીબે’નને ખબર પડી એટલે કહે "આવી ખોટી  ટેવ નહીં પાડવાની … ભાખરી કરીને  મૂકી દેવાની .. મનીષી મોડા જમે તો ત્યાં સુધી રસોડું પકડીને બેસી નહીં રહેવાનું.” …

કોઈની કૂથલી નહીં .. નહીં કોઈનું પીઠ પાછળ ખરાબ બોલવાનું … એ બધી જ પુત્રવધૂઓનાં સારાં ને  નબળાં પાસાંથી વાકેફ છતાં ય એમણે હંમેશાં અમારાં સારાં પાસાંને જ પ્રોત્સાહન આપ્યું. મોટીબે’ન  ખૂબ સરસ રસોઇ બનાવતાં ને ખાવાનાં પણ શોખીન .. પણ મને રસોઇ કરતાં નહોતી આવડતી તો એમણે ક્યારે ય એના માટે મને ઉતારી પાડી હોય એવું મને યાદ નથી. ઊલટાનું પરંપરાગત વાનગીઓ સરળતાથી કેવી રીતે બનાવવી એ શીખવ્યું … અને આજે જ્યારે મારો હાંડવો સારો થાય ત્યારે મને  મોટીબે’ન યાદ આવે .. કઈંક સારું બને એટલે પ્રેમથી વખાણ કરે. બધી વહુઓ પ્રત્યે સમભાવ …. અમારાં આરોગ્યની પણ ચિંતા કરે .. એમણે અમારાં બધાંનાં લગ્નજીવનની શરૂઆતમાં જ એમની પાસે જે કંઈ સોનું હતું એ અમને સૌને સરખે ભાગે વહેંચી દીધું હતું; ખાસ એમ કહીને કે "અત્યારે નહીં પહેરો ઓઢો તો ક્યારે પહેરશો?" એમાં એમને અમારાં બધાં પરનો એક વિશ્વાસ પણ હતો કે એ બધું જ આપી દેશે તો પણ ઘડપણમાં અમે બધાં જ તેમને સાચવશું જ! એમની સરળતા, તટસ્થતા અને ખાસ તો કોઈ માલિકીભાવ નહીં … આ બધી બાબતોને કારણે પાંચ વહુઓ વચ્ચે દેરાણી જેઠાણીપણું નહીં પણ સખીપણું વધારે રહ્યું છે!

બધા જ ભાઈઓ અલગ અલગ રહે પણ મોટીબે’નનો એ આગ્રહ કે બધા તહેવારો સાથે જ ઉજવવાના. એટલે તહેવારો વખતે 25 જણાંની ઘરમાં જ રસોઇ થાય … બધી જ પરંપરાગત વાનગીઓ એમની સાથે જ રહેતી પુત્રવધૂ શ્રદ્ધા બનાવે ….. અમે બધાં એના સહાયકો …. સમૂહ ભોજનની સાથે સાથે સંસ્કૃતિથી માંડી ને રાજકારણના સાંપ્રત પ્રવાહોની ચર્ચાઓ થાય જેમાં દીકરાઓ, વહુઓ, પૌત્રો, પૌત્રી ને સાસુ-સસરા બધાં જ સામેલ થાય … અને આ જ મોટીબે'નનો પરમ્ આનંદ !

સહનબહેન મૂળ ધર્મજના પરંપરાગત બ્રાહ્મણ પરિવારનાં દીકરી … સંપૂર્ણ ધાર્મિક વાતાવરણ, અમુક અંશે રૂઢિચુસ્તતા પણ ખરી … પણ મોટીબે’નનો અભિગમ સાવ અલગ .. She was quite flexible  and not conservative. .. અને એટલે જ એમણે ક્યારે ય અમને કોઈ રૂઢિવાદી, પારંપારિક  સામાજિક સંબંધોમાં કે બંધનોમાં ન બાંધ્યાં … વહુઓ મનગમતાં કપડાં પહેરી શકે … ને સૌથી મોટી વાત તો એ કે મારા સસરાના મૃત્યુ પછી એ ચાંદલો પણ કરતાં ને સારી સાડી પણ પહેરતાં .. અરે એક  વાર તો મેં એમને મારો ડ્રેસ પહેરવાનો આગ્રહ રાખ્યો તો તે પણ પહેર્યો … વળી અમારાં પર કોઈ ધાર્મિક બંધન પણ નહીં .. મારાં ઘરમાં ભગવાનનો કોઈ ફોટો કે મૂર્તિ નથી તો એ અંગે કોઈ  ટીકાટિપ્પણી નહીં … અમે વહુઓ ટૂંકા વાળ રાખીએ તો પણ આનંદ ને વેણી નાંખીએ તો પણ ખુશ … માત્ર  દીકરાઓને જ નહીં, વહુઓને પણ પોતાને પોતાની રીતે રહેવાની પૂર્ણ સ્વતંત્રતા …

મોટીબે’ન એમનાં પૌત્ર-પૌત્રીઓને પણ ખૂબ વહાલાં. એ કદાચ Gender Equality શબ્દથી પરિચિત નહોતાં પણ એમણે બધાં જ પૌત્ર પૌત્રી વચ્ચે ક્યારે ય ભેદ નહોતો કર્યો ને બધાંને એક સરખો પ્રેમ  વહેંચ્યો … એટલે આનંદ હોય કે મહાશ્વેતા બંને એમને માટે સરખા વ્હાલાં … આનંદનું સાસરું મધ્ય પ્રદેશ ને મહાશ્વેતાનું બિહાર … આ બંને પરિવાર સાથે એમણે સંબંધો કેળવ્યાં … અને એવો જ પ્રેમ Great grand childrenને પણ …. પણ સૌથી રસપ્રદ હતી એમનાં એમની બે પૌત્રવધૂઓ સાથેની આત્મીયતા …. દિવ્યજ્યોતિ ખરે અને ખ્યાતિ નાયક. બંને સાથે એમને બહુ જ ગમે … ઉંમરની ભેદ રેખા  ક્યાં ય નડે નહીં … દિવ્યા અને ખ્યાતિનાં career developmentમાં પણ મોટીબે’ન રસ લે ..

મોટીબે’ન પાસે એક શીખવા જેવી વાત તે પોતાની જાતને પણ પ્રેમ કરવો … એ હંમેશાં પોતાના શરીરની માવજત કરતાં … અરીઠાં – આંબળાંથી માથું ધોવાનું, વાળમાં નિયમિત પોતાની જાતે જ તેલ ઘસવાનું … 92 વર્ષે એમના વાળ કાળા ને 60 વર્ષે  મારા  બધા  વાળ  ધોળા … અને વાળ હંમેશાં ઓળેલા જ હોય … બહુ જ સુધડ વ્યક્તિ … એમને ફોટો પડાવવાનું બહુ જ ગમતું, પણ પોતે કઈ રીતે બેસશે તો ફોટો સારો આવશે એનું ખાસ ધ્યાન રાખે …

મોટીબે’ન જિંદગી જીવવાનાં શોખીન હતાં … એમણે જિંદગીના બધા જ રંગ ને રસ માણ્યાં .. પોતે  જોયેલાં અતિ કપરા  દિવસો  સામે  પણ કોઈ  ફરિયાદ  નહીં … ચાર પેઢીના સુખને જોયાનો આનંદ  અને  સંતોષ …. એ હંમેશાં  કહેતાં, "હું તો લીલી વાડી મૂકીને જવાની છું.”

મારાં સાસુ સહનબહેન .. મોટીબે’ન .. એ સૂર્યમુખીનું નહીં, પણ મોગરાનું ફૂલ હતાં કે જેની સુવાસથી  માત્ર ઘરનો ઓરડો જ નહીં પણ અમે સૌ મહેંક્યાં!

સૌજન્ય : લેખિકાની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

ઓપિનિયન પોલ અને એકઝિટ પોલનું પોલંપોલ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|25 May 2021

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનાં પરિણામોની ઓપિનિયન પોલ અને એકઝિટ પોલ સાથે તુલના કરતાં અનેક સવાલો ઊઠે છે .. પાંચેય રાજ્યોના એકઝિટ પોલ આમ તો કંઈક અંશે જ ખોટા પડ્યા છે. છતાં જે રીતનાં પરિણામો આવ્યાં છે તેનું કોઈ જ અનુમાન એકઝિટ પોલમાં જોવા મળ્યું નથી. પશ્ચિમ બંગાળનાં પરિણામને રસાકસીભર્યું કે કાંટે કી ટક્કરનું ગણાવવામાં આવ્યું હતું. પણ એકેય એકઝિટ પોલમાં મમતા બેનરજી બસો કરતાં વધુ બેઠકો મેળવશે કે બી.જે.પી.ની બેઠકો ડબલ ડિજિટથી આગળ નહીં વધે એમ કહેવામાં આવ્યું નહોતું. બંગાળમાં કૉન્ગ્રેસ અને ડાબેરીઓનું ખાતું નહીં ખૂલે અને તમિલનાડુમાં સ્ટાલિનનો વિજ્ય ભવ્ય નહીં હોય એમ પણ ખોંખારીને કોઈ એકઝિટ પોલમાં કહેવાયું નહોતું. જ્યાં સુધી પરિણામોની દિશાનો સવાલ છે, એકઝિટ પોલ સાચાં છે પણ બેઠકોનાં અનુમાન સંપૂર્ણ ખોટાં છે.

ચૂંટણી પરિણામોનાં પૂર્વાનુમાનોનો આરંભ દિલ્હી સ્થિત પ્રતિષ્ઠિત સંસ્થા ‘સેન્ટર ફૉર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝ’ (સી.એસ.ડી.એસ.) દ્વારા ૧૯૫૭માં થયો હતો. નવમા દાયકામાં એન.ડી.ટી.વી.ના પ્રણવ રોય અને યોગેન્દ્ર યાદવે તેને વ્યાપક, મજબૂત અને લોકપ્રિય બનાવ્યાં. આ ચૂંટણી પૂર્વાનુમાનો, ખાસ કરીને ઓપિનિયન પોલ, કાળક્રમે વૈજ્ઞાનિક પદ્ધતિ પર આધારિત મોજણી મટી રાજકીય રંગે રંગાવા લાગ્યાં. તેથી તેની વિશ્વસનીયતા અને પારદર્શિતા પર શંકા-કુશંકા વ્યક્ત થતી રહી છે. ભા.જ.પા.તરફી મનાતી ન્યૂઝ ચેનલોએ હાલના એકઝિટ પોલમાં બંગાળમાં ભા.જ.પા.ની જીત દર્શાવીને આ શંકાને બળ આપ્યું છે.

૨૦૦૪ની લોકસભા ચૂંટણી ભારતીય જનતા પક્ષ અટલ બિહારી વાજપાઈના વડા પ્રધાનપદે ‘ઈન્ડિયા શાઈનિંગ’ના નારા સાથે લડ્યો હતો. આ ચૂંટણીમાં ભા.જ.પ.ની હારનું અનુમાન કોઈ પણ એજન્સીએ કર્યું નહોતું. તમામ ૬૧ ઓપિનિયન પોલ અને ૩૮ એકઝિટ પોલ ૨૦૦૪માં ખોટા પડ્યા હતા અને કેન્દ્રમાં એન.ડી.એ.ના બદલે કૉન્ગ્રેસના નેતૃત્વમાં યુ.પી.એ.ની સરકાર બની હતી. ૨૦૧૫ની બિહાર અને દિલ્હી વિધાનસભા ચૂંટણીનાં તમામ પૂર્વાનુમાનો ખોટાં પડ્યાં હતાં. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં એક એકઝિટ પોલમાં એન.ડી.એ.ને ૨૪૨ તો અન્યએ ૩૫૨ બેઠકો જીતશે તેવું અનુમાન લગાવ્યું હતું. એટલે બે વચ્ચે ૪૫ ટકા કે ૧૧૦ બેઠકોનો તફાવત હતો. ૨૦૨૦ની બિહાર વિધાનસભાનાં પરિણામ અને ચૂંટણી પૂર્વાનુમાનો વચ્ચે ૩૨થી ૩૭ ટકાની ત્રુટિ હતી. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં બંગાળમાં બી.જે.પી.ને ૪થી ૨૨ બેઠકો મળવાનું અનુમાન એકઝિટ પોલમાં હતું.  એટલે બે વચ્ચે પાંચ ગણો તફાવત હતો. એ જ ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં બી.જે.પી.ને ૭૩ બેઠકો મળશે એવું કોઈ એકઝિટ પોલમાં જણાવવામાં આવ્યું નહોતું.

પ્રણવ રોય અને દોરાબ સોપારીવાલા લિખિત ‘ધ વર્ડિક્ટ’ કિતાબમાં ૨૦૧૯ સુધીમાં ૩૯૩માંથી ૩૨૩ એકઝિટ પોલ સાચા પડ્યા હોવાનો દાવો કરાયો છે. કૉન્ગ્રેસ સાંસદ શશી થરુર પાંચેક વરસોમાં ૫૬ એકઝિટ પોલ ખોટા પડ્યાનું લખે છે. ૨૦૧૫ની બિહાર વિધાનસભાના ઓપિનિયન પોલ અને એકઝિટ પોલનાં અનુમાનો જુદાં જુદાં હતાં. ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કૉન્ગ્રેસને અનુક્રમે ૪૪ અને ૫૨ બેઠકો જ મળી હતી. પરંતુ કૉન્ગ્રેસની આવી કારમી હારનું અનુમાન ભાગ્યે જ કોઈ ઓપિનિયન પોલ અને એકઝિટ પોલમાં જોવા મળ્યું હતું.

ચૂંટણી પૂર્વાનુમાનો સાચાં ન ઠરવાનાં અનેક કારણોમાંનું એક કારણ તેની સેમ્પલ સાઈઝ છે. કરોડો મતદારોમાંથી લગભગ બધી જ કંપનીઓ ઓપિનિયન પોલ માટે ત્રણથી પાંચ હજાર અને એકઝિટ પોલ માટે સાતથી આઠ લાખ લોકોનો સંપર્ક કરે છે. લોકસભા કે વિધાનસભાના તમામ મતવિસ્તારોને તેઓ આવરી લેતા નથી. જ્યારે હારજીતના ફેંસલા માટે એકોએક મત મહત્ત્વનો હોય અને જીતનું માર્જિન નાનું હોય ત્યારે આટલા ઓછા લોકોના સર્વેનાં તારણો વિશાળ અને વિવિધતા ધરાવતા દેશમાં ખોટાં પડવાની શક્યતાઓ વધારે છે.

એકઝિટ પોલમાં મતદાન કરીને બહાર આવતા મતદારને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે છે, તેની અંગત વિગતો સહિતના પ્રશ્નોનું ફોર્મ ભરવામાં આવે છે, કેટલીક એજન્સી રીતસર બેલેટ પેપર આપી મતદાન કરાવે છે. હવે નવી ટેકનિકના દિવસોમાં મોબાઈલ કે ટેબલેટ પર સોફ્ટવેર દ્વારા જવાબો નોંધાય છે. આટલું કર્યા પછી પણ મતદાર સાચું બોલે છે કે કેમ તે સવાલ તો ઊભો જ રહે છે. ભા.જ.પ.ના શહેરી અને બોલકા મતદારો ઈન્વેસ્ટિગેટર સાથે વધુ વાત કરે અને અન્ય પક્ષોના ગ્રામીણ અને અભણ મતદારો શરમ અને ડરને લીધે આવા સર્વેક્ષણથી દૂર રહે કે સાચા જવાબ ના આપે તેવી પણ સંભાવના હોય છે.

ભારતની સંસદીય ચૂંટણીઓનું એક વિચિત્ર પાસુ, રાજકીય પક્ષોને મળેલા મતોની ટકાવારી બેઠકોમાં પરિવર્તિત થઈ શકતી નથી, તે છે. તાજેતરની ચૂંટણીઓમાં કેરળમાં સી.પી.આઈ(એમ.)ને ૨૫.૩૮ ટકા મત સાથે ૬૨ બેઠકો મળી. તેના કરતાં કૉન્ગ્રેસને ૦.૧૬ જ ઓછા એટલે કે.૨૫.૧૨ ટકા મત મળ્યા છે, પરંતુ બેઠકો ત્રણ ગણી ઓછી ૨૧ જ મળી છે .તમિળનાડુમાં ડી.એમ.કે.ને ૩૭.૭૦ ટકા વોટ સાથે ૧૩૩ બેઠકો મળી છે. પરંતુ એ.આઈ.ડી.એમ.કે.ને તેના કરતાં માત્ર ૪.૪૧ ટકા ઓછા વોટ (૩૩.૨૯ ટકા) મળ્યા છતાં બેઠકો અડધી જ એટલે ૬૬ જ મળી છે. આ સ્થિતિમાં સર્વેક્ષણ કરતી કંપનીઓ વોટશેરના આધારે બેઠકોનું અનુમાન લગાવે છે. તે કેટલું સાચું ઠરે તે પણ સવાલ છે.

પ્રિ-પોલ, પોસ્ટપોલ, ઓપિનિયન પોલ અને એકઝિટ પોલ જેવાં ચૂંટણી સર્વેક્ષણો અને અનુમાનો દુનિયાભરમાં થાય છે. વગર ચૂંટણીએ મતદારોનો મૂડ અને મિજાજ જાણવા પ્રિ-પોલ, તો ચૂંટણી પરિણામો પછીના વિષ્લેષણ માટે પોસ્ટ પોલ થાય છે. એકઝિટ પોલ મતદાનની સાથે જ જ્યારે ઓપિનિયન પોલ ચૂંટણી પ્રક્રિયા આરંભાય તેની સાથે કે તે પૂર્વેના મહિને થાય છે એટલે ઓપિનિયન પોલનાં તારણો મતદારોને પ્રભાવિત કે ભ્રમિત કરી શકે છે. કંપનીઓ પોતાના આર્થિક ફાયદાને ધ્યાનમાં રાખીને, રાજકીય નફા-નુકસાનને વરેલા ઓપિનિયન પોલ કરીને ચૂંટણી પ્રક્રિયાને દૂષિત કરે અને પેઈડ ન્યૂઝને પણ ઉત્તેજન મળે તેમ બની શકે છે.

ભારતમાં ચૂંટણી પૂર્વાનુમાનોનો આરંભ તો આઝાદી પછીના પહેલા દાયકાથી જ થયો હતો પણ તેની મતદારો પરની અસરના સંદર્ભે કાયદાકીય લગામ તો છેક ૨૦૧૦માં લાગી છે. ૧૯૯૭માં ઈલેકશન કમિશને કેટલાક નિયંત્રણો મુકવા નિયમો બનાવવા શરૂ કર્યા. સુપ્રીમ કોર્ટનો તે અંગેની પી.આઈ.એલ.નો ચુકાદો અને તમામ રાજકીય પક્ષોની સર્વસંમતિ પછી ૧૯૫૧ના લોક પ્રતિનિધિત્વ કાયદામાં, મતદાનના તમામ તબક્કા પૂર્ણ થયા પહેલા એકઝિટ પોલ જાહેર ન કરવાની જોગવાઈ ઉમેરવામાં આવી છે. એટલે હવે એકઝિટ પોલ સમગ્ર મતદાન સમાપ્ત થાય તે પછી જ જાહેર કરી શકાય છે. જો કે ઓપિનિયન પોલને આવું બંધન નથી. આટલી કાયદાકીય જોગવાઈ છતાં ૧૯૬૧ના કાયદાની મતદાનની ગુપ્તતા સંબંધી જોગવાઈ અને એકઝિટ પોલના ડેટાની ગુપ્તતા અને સુરક્ષાનો પ્રશ્ન તો રહે જ છે.

ચૂંટણીનાં પૂર્વાનુમાનોનો કરોડો રૂપિયાનો કારોબાર છે અને તે ચૂંટણી પ્રક્રિયાને સીધી અસર કરે છે. એટલે આ કામ સાથે સંકળાયેલી કંપનીઓની નોંધણી, તેના રાજકીય પક્ષો કે નેતાઓ સાથેના સંબંધો, કંપનીના માલિકોનું વિવરણ, પૂર્વાનુમાનોને પ્રાયોજિત કરનારની માહિતી, સેમ્પલ સાઈઝ અને વોટશેરને બેઠકોમાં તબદિલ કરવાની પ્રક્રિયાની જાહેરાત, સર્વેક્ષણ સાથે સંકળાયેલા લોકોના પ્રશિક્ષિણની વિગતો, ડેટા પ્રોટેકશન અને પ્રાઈવસીની વ્યવસ્થા, મતદારો અને વિસ્તારોની પસંદગીની પ્રક્રિયા અને તેમના સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય પૃષ્ઠભૂની જાહેરાત જેવી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તો ચૂંટણી પૂર્વાનુમાનોને વિશ્વસનીય અને પારદર્શી બનાવી શકાશે અન્યથા તેની સામે પોલના નામે પોલંપોલની ફરિયાદો ઊભી જ રહેશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...1,9161,9171,9181,919...1,9301,9401,950...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved