Opinion Magazine
Number of visits: 9571632
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અજંપો

દેવિકા ધ્રુવ|Poetry|16 May 2021

વર્તમાન સમયમાં, વિશ્વમાં ચારેબાજુ ઊઠેલા વિવિધ સળગતા પ્રશ્નોથી થતા અજંપાની અભિવ્યક્તિ


********************  ***********************  ***************

માયાના દોરડે બાંધેલી ગાગરને સાગરમાં કેમ કરી બોળું?
જુગજૂની વાતોથી બાંધેલા જીવને શિવ ભણી કેમે ઝબોળું?
              ગોવર્ધન પર્વતને આંગળીએ ઝીલી,
               લીધા ઉગારી તેં ગોકુળના વાસી.
              નરસિંહ, પ્રહલાદ ને કેવટની નાવડી,
              શબરી, અહલ્યા અનેક લીધા તારી.
મીરાંને કાજ એ મેવાડના પ્યાલામાં ઝેરને અમૃતથી ઘોળ્યું;
 કેમ રે સંતાયો આજ, તું યે ના દેખે  આ કાળુ ને ધોળુ?!
               ફૂંફાડે ફેણ ધરી અવનવા કાળીનાગ,
               ડોલે મદારીનાં ડુગડુગિયાં ગાન-તાન,
               કેટલાંયે આસપાસ મેલાં દુઃશાસન,
               ખેંચીને ચીર આજ સર્જે મહાભારત.
ધૃતરાષ્ટ્રના પાટા ને ખોટા અંધાપાને કેમ કરી અહીંયા ઢંઢોળું?
નહિ આવે જીસસ, કબીર કે કહાન કૈં, કળિયુગમાં ખાલી શું ખોળું?
              પાક્યો સમય હવે પરિત્રાણ સાચો,
               ને આવ્યો વખત દુષ્કૃત્ય-વિનાશો,
               સમરાંગણો, મહામારી આ હટાવો
              બની પાર્થસારથિ, વિષાદો મિટાવો.
સંસ્થાપવાને કુરુક્ષેત્રે ધર્મો, પધારો તો વાતો ફરીથી વાગોળું;
વેદનાના દોરડે બાંધેલી ગાગરને સાગરમાં શાંત થઈ બોળું.

e.mail : ddhruva1948@yahoo.com

http://devikadhruva.wordpress.com

Loading

લૂઝ કનેક્શન (12) : ભાષા

સુમન શાહ|Opinion - Opinion|16 May 2021

= = = = પ્રેમ માતૃભાષામાં જ થાય એ વાત એમને કોણ સમજાવે. અસ્તિત્વનું પ્રમુખ માધ્યમ – મીડિયમ કે વ્હીકલ – ભાષા છે એ બીજી એટલા જ મહત્ત્વની વાત એમને કોણ સમજાવે = = = =

કોઈ મને કહે કે : તે દિવસ પછી તો, તમે મને બહુ જ ગમવા લાગ્યા છો : તો એના દિલમાં એને સારું જ લાગતું હોય છે, સાંભળીને મારું મન પણ હસુ હસુ થઈ જાય છે. ભાષા આપણને જોડે છે. સમ્બન્ધ દૃઢ થાય છે, ન હોય તો નવો શરૂ પણ થાય છે.

ભાષા આપણને તોડે પણ છે. તમે કોઈને ‘નાલાયક’ કહો તો તમે એ ઘડી પૂરતા એનાથી કપાઈ જ જાઓ છો. એ પણ રાતોપીળો થઈને જતો રહે છે, સાથે, ‘નાલાયક તું છું’ ક્હૅતો જાય છે, થૂંકે પણ ખરો. સમ્બન્ધ તૂટી જાય છે, હોય તો પતી પણ જાય છે.

ભાષા કનેક્ટ કરે, ભાષા ડિસ્કનેક્ટ કરે. ભાષાને લીધે લૂઝ કનેક્શન કાયમ માટે ટાઈટ થઈ જાય, કાયમ માટે બ્રેક પણ થઈ જાય – તૂટેલા બન્ને છેડા હવામાં ઝૂલતા દેખાય.

સમ્બન્ધોમાં ભાષા તમે કેવી વાપરો છો એ વાતનો મહિમા અપાર છે. ભાષિક વર્તનનો – લિન્ગ્વિસ્ટિક બીહેવિયરનો – દરેક સમ્બન્ધમાં એક રોલ હોય છે. ભાષાવિજ્ઞાનક્ષેત્રે ‘બીહેવિયરલ લિન્ગ્વિસ્ટિક્સ’ નામની શાખા પણ છે. એ શાખા અને તેના વિદ્વાનો એમ સમજાવે છે કે ભાષા મનુષ્યનું વર્તન બદલી શકે છે, બદલી નાખે છે.

વ્યક્તિઓ સમ્બન્ધ બાંધીને સ્થિર થવા ઝંખતી હોય છે, પણ વિચારતી નથી હોતી કે પોતે શું બોલે છે, શું નથી બોલતી, કેવું બોલવું જોઈએ, કેવું ન બોલવું જોઈએ. સફાઇદાર ભાષામાં દલીલો કરી શકાય છે, ચડિયાતા પુરવાર થઈ શકાય છે, બધાંને પ્રભાવિત – ઇમ્પ્રેસ – કરી શકાય છે. પરન્તુ, અઘરા પણ આમ સરળતમ એવા માનવ-સમ્બન્ધોમાં એવી ચડસાચડસી કે જીભાજોડી કામ નથી આવતી, ઊલટું, એને લીધે જ કનેક્શનો અશક્ય બની જાય છે, હોય એ લૂઝ પડી જાય છે.

જેમ કે, ભારતમાં સામાન્યપણે પત્નીઓ પતિઓને તમે-કારથી સમ્બોધતી હોય છે : તમે જઈ આવ્યા વડોદરા? : તમને ભૂખ લાગી હશે : વગેરે. એમાં પ્રેમ અને આદર બન્ને હોય છે. શ્હૅરોમાં અમુક કપલ એવાં મળે – ભણેલાંગણેલાં – જેમાં પત્ની પતિને તું-કારતી હોય : જૅન્તી, તને કેટલી વાર કહ્યું કે આ તારે નહીં કરવાનું એટલે નહીં જ કરવાનું, નો મીન્સ નો, વ્હાય ડોન્ચ્યુ અન્ડરસ્ટૅન્ડ …? : કામવાળાને પણ ક્હૅતી હોય : બાલુ ! તું સમજતા ક્યૉં નહીં, યે તુઝે હી કરને કા હૈ : છેક તળપદમાં જાઓ તો પત્ની પતિને તું-કારતી હોય છે : પસા, તું સું કરસ? : એને ગમ નથી હોતી કે પત્ની શું ને પતિ શું … બહુ બહુ તો એટલું જાણતી હોય કે પસો એનો વર છે ને પોતે પસાની વહુ છે. ઘણી વાર તો પાલવ વડે ચ્હૅરો ઢાંકી મુસ્કરાતાં એટલું જ કહે છે – એ મારા ‘એ’ થાય છે.

તમે-કારમાં કંઈક દમ્ભ જેવું છે, ક્લાસિકલ લાગે, ટ્રૅડિશનલ લાગે, ઘરેડિયું પણ લાગે. એ માટે કોઈ કોઈ પત્નીઓને જોર લાવવું પડે છે. પણ તું-કાર સહજ હોય છે. તું-કારમાં એક જાતનું રોમૅન્ટિસિઝમ રસાયેલું છે. ભલે દેખાદેખીથી શીખ્યાં હોય, એમાં પતિ પ્રત્યેનો પ્રેમ જ હોય છે. પ્રેમમાં પડ્યા પછી પરણ્યાં હોય એ દાખલાઓમાં તો તું-કાર લગભગ હમેશાં જોવા મળે છે. બન્નેને તેમ જ આસપાસનાંને બહુ મીઠું લાગે છે. પણ ઝઘડો થાય ત્યારે ચિત્ર બિહામણું બની જાય છે : તારે લીધે થયું : તને કશી સમજ નથી : તું છું જ એવો …

પેલા મીઠડા તું-ના ભુક્કો બોલી જાય છે.

ઘણી વાર તો તું-ને સ્થાને યૂ આવી જાય છે : વ્હૉટ ડુ યૂ મીન? ઇટ્સ નૉટ માય ફૉલ્ટ ઍટૉલ : યૂ માઇન્ડ યૉર ઓન બિઝનેસ : યૂ માઇન્ડ યૉર લૅન્ગ્વેજ … યૂ આર … …

ભૈબંધના ખભે હાથ મૂકીને ભૈબંધ ક્હૅતો હોય છે : તું સાલા રાસ્કલ છું. બેનપણી ગાલે ચીમટો ભરીને ક્હૅતી હોય છે : તું સમજતી નથી, ઇડિયટ છું : એવી અંગ્રેજી ગાળો મૈત્રી-સમ્બન્ધોમાં ગાળો નથી લાગતી પણ વર્તન બાબતે અસરકારક પુરવાર થાય છે.

શિક્ષક-વિદ્યાર્થીના સમ્બન્ધમાં પણ ઉપકારક નીવડતી હોય છે. એક જમાનામાં પ્રાથમિક શાળાનો શિક્ષક છોકરાને કહી શકતો : તને ગધેડા, આટલું નથી આવડતું? : બિચારાનો કાન આમળી રાખ્યો હોય. પોતે ગધેડો છે એમ સાંભળવા સિવાય ત્યારે એનો છૂટકો ન્હૉતો. માધ્યમિકમાં ગયો ત્યારે સાંભળવા મળ્યું : યૂ ડર્ટિ બૉય, સ્ટૅન્ડ અપ : છોકરાને ટીચર ડર્ટિ ન્હૉતો લાગતો, એને થતું પોતે સુધરવું જોઈશે.

અંગ્રેજીને વરેલાં એવાં પૅરન્ટ્સ સ્વસ્વજનોની તેમ જ સ્વવડીલોની હાજરીમાં તડાતડી કરતાં હોય છે. સન્તાનો આડઅસર રૂપે શીખી જતાં હોય છે. વડીલો શરમાઈને સહી લે છે. ન-સમજુ વડીલો તડાતડીને વિકસાવતા પણ હોય છે, બળતામાં ઘી ઉમેરે. બધાં ફૅમિલી-કનેક્શન્સ લૂઝ થવા માંડે. સાંધા ઊકલવા માંડે – જોઈ શકાય એમના ચ્હૅરાઓની ઢીલી થતી રેખાઓમાં. એમણે વાપરેલાં લડાયક વાક્યો રૂમની છત જોડે અથડાતાં હોય.

ગુસ્સો ન જ થાય કે ન જ કરાય એમ નથી સમજવાનું. બે વાસણ ખખડે જ. ન ખખડતાં હોય તો ક્યારેક તો ખખડવાં જોઈએ. પણ ગુસ્સો સહજ એવી માતૃભાષામાં બેડરૂમમાં શાન્તચિત્તે કરાય, ઓછામાં ઓછા શબ્દોમાં, તો પરિણામદાયી નીવડે છે.

સહજ ભાષાનો એક સાચો દાખલો મને યાદ રહી ગયો છે. ધની-વની બેનપણીઓ. બન્ને અમરતને ચાહે, પણ એકબીજાને જાણવા ન દે. એક વાર ધનીને ગડ બેઠી કે વની મૉં હસતું રાખે છે પણ ઇર્ષાને લીધે અંદરથી બહુ બળે છે. તે દિવસે અમરતની વાતે ધની રંગરંગીન વાતો કરવા લાગેલી : વાડીમાં બૌ મજા આવેલી : વગેરે. વની એને તાકીને ક્હૅ : તું ફડાકા નૈ માર, ઉં હંધુ જાનુ છું : તો ધનીએ અસરકારક એટલું જ કહ્યું : તું બળસ : એ પછી તો આ ‘બળસ’ હું મારા એક મિત્રને પણ સંભળાવવા લાગેલો. સાંભળીને વનીની જેમ એ જરા છોભીલો પડી જતો. જો કે છેવટે અમે હસી પડતા, મજા આવતી. વનીનું શું થતું, વની જાણે.

When lovers quarrel

Picture courtesy : Indian Economy And Market Magazine

આપણે ત્યાં ભણેલાં ગણાતાં હોય એમને ટેવ હોય છે, ગુસ્સો તો અંગ્રેજીમાં કરે, પણ પ્રેમના કિસ્સામાં ય અંગ્રેજી વાપરે – ભલે ખોટીહાચી હોય. પ્રેમ થવા માંડ્યો હોય એટલે એક દિવસ પેલું ચવાઈને કૂચો થઈ ગયેલું કહી દે : આઈ લવ યૂ : એ પછી એવાઓને, માય ડીયર – કેટલાક મૂરખા તો ડીયરેસ્ટ ક્હૅતા હોય છે – ડાર્લિન્ગ સ્વીટી બેબી હનિ એમ અંગ્રેજી જ સૂઝ્યા કરે છે. એવાં બધાં : આ મારી વાઇફ છે : આ મારા હસ્બન્ડ છે : એમ ભપકાથી ક્હૅતાં હોય છે. વિદેશી નારીની જેમ, હી ઈઝ માય સૅકન્ડ / થર્ડ હસ્બન્ડ, એમ કહેવાની સાચકલાઈ તો હોય છે જ ક્યાંથી? બાકી, આ મારી વહુ છે, આ મારા વર છે, એમ કોઈ કહે તો એમની વચ્ચેની આત્મીયતા આપણને પણ અડે છે, અનુભવાય છે.  

કેટલા ય પ્રિયજનો પાસે પ્રેમને માટેની પોતાની ભાષા હોતી નથી. શાયરીના ટુકડા કે ફિલ્મી ગીતોની પંક્તિઓ નિ: સંકોચ ફટકારે છે. એમને ગૂગલ મા’રાજ પણ કામ આવે છે. એમને પિન્ટરેસ્ટ વગેરે સોશ્યલ મીડિયા સર્વિસિસ પિક્ચર્સ અને બેસ્ટ વર્ડ્ઝના તૈયાર મસાલા પૂરા પાડે છે. બાકી, તું મને બહુ ગમું છું, સાચ્ચું કહું છું. તું પાસમાં હોઉં ત્યારે યાર મને એટલું સારું લાગે છે … જેવાં સહજ વચનો જે અસર કરે તે ઊછીઉધારની ભાષાથી ન થાય, ભલે ને એમાં કવિતા ચળકતી હોય.

સમ્બન્ધોમાં બનાવટ ઝાઝું નભતી નથી. સ્વાર્થ સાધવા કોઈ અમસ્તું જ લખ્યા કરતું હોય – સ્નેહાદરપૂર્વક – નતમસ્તક વન્દન. રૂબરૂ મળવાનું થાય ત્યારે મસ્તક થોડું ઊંચું રાખે ને પછી બળાત્ જરા સ્નેહ કે લગીર આદર. પ્રેમથી મોટો કોઈ સ્વાર્થ નથી કેમ કે એને સાધવો નથી પડતો. એ સ્વયં સધાઈ જાય છે. પ્રેમભંગ કે બ્રેક-અપના કારણોમાં હવે છેતરપિંડી બહુ થાય છે. કહ્યું હોય – ઍમ.બી.બી.ઍસ., નીકળે ઍસ.ઍસ.સી.. કહ્યું હોય – યૂ આર ફર્સ્ટ, પણ થર્ડ સૅકન્ડ પછી આવ્યો હોય. સમ્બન્ધોની સચ્ચાઈ સમજાઈ જતી હોય છે – અંદર લાઈટ થાય છે.

કોઈ કશુંક હૃદયથી બોલીને ગાલે બચ્ચી કરી દે તો પછી ચુમ્બનની સગવડ આપોઆપ થઈ જાય છે. પૂછવું નથી પડતું – મે આઈ કિસ યૂ? થૅન્કસને બદલે બોલી પડાય છે – સારું લાગ્યું. જવાબમાં વૅલકમ ક્હૅવાની જરૂર નથી પડતી. બન્નેના પ્રસન્ન પુલકિત ચ્હૅરા જ બધું કહી દે છે. અને, આપણે યાદ રાખવું જોઈએ કે ભાષા તોડે-જોડે છે એમ સંતાડે પણ છે, સંતાડી કેમ શકાય એ પણ શીખવે છે. ‘આઈ લવ યૂ’ ક્હૅનારો કેટલીયને એમ કહ્યા-કારવ્યા પછી આવ્યો હોય છે, શુંયે ન કર્યું હોય …

પેલા ભાઈની માતૃભાષા ગુજરાતી હોય, બાઈ પણ એમ જ હોય, તેમ છતાં અંગ્રેજી !? ભાઈ તમિળ હોય તો જુદી વાત. બાઈ ઇટાલિયન હોય તો જુદી વાત.

પ્રેમ માતૃભાષામાં જ થાય એ વાત એમને કોણ સમજાવે. અસ્તિત્વનું પ્રમુખ માધ્યમ – મીડિયમ કે વ્હીકલ – ભાષા છે એ બીજી એટલા જ મહત્ત્વની વાત એમને કોણ સમજાવે.

આપણા વિચારો ચિત્તમાં જન્મે છે પણ એને આકાર આપે છે, ભાષા. અને ભાષા જન્મ આપે છે, કર્મોને. મન, વચન અને કર્મની એકતાનું ગાણું ગાયા કરવાને બદલે, હિતાવહ એ છે કે બધું ધ્યાન આપણે ભાષાને વિશે એકત્ર કરીએ.

જીવનયાત્રા આપણે ભાષાના રથે અસવાર થઈને ચલાવતા હોઈએ છીએ. એ રથના શબ્દ-અશ્વોને જોડીએ છીએ આપણે, ચલાવીએ છીએ પણ આપણે. આપણે જ રથી, આપણે જ સારથિ. માટે હમેશાં સજાગ અને સાવધાન રહેવાની જરૂર છે. નહિતર, સંભવ છે કે ગરબડ-ગોટાળા થાય ને જીવનયાત્રા આમતેમ થઈ ખોટકાઇને, ઊલળી પડે. 

= = =

(May 15, 2021: USA)

Loading

ધૂંધળા કેડા પર મશાલ લઈને ઊભો છું : વિપુલ કલ્યાણી

સોનલ પરીખ|Diaspora - Features|16 May 2021

‘જન્મભૂમિ પ્રવાસી’ના વાચકોને ‘લંડન કૉલિંગ’ કૉલમ અને એના લેખક વિપુલ કલ્યાણી જરૂર યાદ હશે. ગાંધીવાદી પત્રકાર, સાહિત્યકાર અને યુનાઇટેડ કિંગ્ડમની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના પ્રમુખ વિપુલભાઈ બ્રિટનમાં ગુજરાતી ભાષાને સતત વિકસતી અને પાંગરતી રાખવા ખાતર જાણે ભેખ લીધો હોય એમ સતત કાર્યશીલ રહ્યા છે. માત્ર મહેફિલો-મુશાયરા નહીં, બલકે ભાષાની જાળવણી અને વિકાસ ખાતર શિક્ષણ વર્ગો ચલાવ્યા છે, શિક્ષકો અને પાઠ્યપુસ્તકો તૈયાર કર્યાં-કરાવ્યાં છે અને ડાયસ્પોરિક સાહિત્યનાં સંપાદનો પણ કર્યાં છે. વિપુલભાઈએ બ્રિટનમાં રહીને ગુજરાતી ભાષામાં ચલાવેલા ‘ઓપિનિયન’ સામયિકને પચીસ વર્ષ પૂરાં થયાં. એ નિમિત્તે પ્રસ્તુત છે ‘જન્મભૂમિ પ્રવાસી’ના વાચકો માટે લીધેલી તેમની ખાસ મુલાકાતની ખાસ ખાસ વાતો.

••••••

‘હું જન્મ્યો આફ્રિકામાં. મોટો થયો ઢેબરભાઈવાળા ગુજરાતમાં અને ગાંધી-વિનોબાના ભારતમાં. ભણ્યો મુંબઈની વિલ્સન કૉલેજમાં. યુનિવર્સિટીમાં એમ.એ. કરતો ત્યારે ઉષાબહેન મહેતા અને આલુબહેન દસ્તૂર મારાં શિક્ષકો હતાં. મણિભવન, ભારતીય વિદ્યાભવન અને ફાર્બસમાં અવરજવર. ચોપાટીની જાહેરસભાઓ, બેઠકોમાં જાઉં. રાજાજી જોડે સરહદના ગાંધી અબ્દુલ ગફાર ખાનસાહેબને લેવા એરપોર્ટ પણ ગયો હતો. 60-70ના એ દાયકાઓ કોઈ પણ મુંબઈગરા માટે ગોલ્ડન પિરિયડ સમા હતા. મોટા પત્રકારો-તંત્રીઓ-લેખકો અને દિગ્ગજ નેતાઓ ત્યારે પાક્યા હતા. એમાં પાછી કૉલેજમાં મને પ્રખર સ્વાતંત્ર્યસૈનિકની દીકરી કુંજ મળી ને અમે પરણ્યાં. આમ મનની માટી એવી તૈયાર થતી આવી કે કંઈ ન નીપજે તો જ નવાઈ.’

‘જન્મભૂમિ પ્રવાસી’ના વાચકો માટે વિપુલ કલ્યાણી અને એમની કલમ અજાણ્યા નથી. આ પૃષ્ઠો પર પ્રગટ થયેલી એમની કૉલમ ‘લંડન કૉલિંગ’ આપણે માણી છે. ગાંધીવાદી પત્રકાર, સાહિત્યકાર અને યુનાઇટેડ કિંગ્ડમની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના પ્રમુખ વિપુલભાઈ બ્રિટનમાં ગુજરાતી ભાષાને સતત વિકસતી અને પાંગરતી રાખવા ખાતર જાણે ભેખ લીધો હોય એમ સતત કાર્યશીલ રહ્યા છે. માત્ર મહેફિલો-મુશાયરા નહીં, બલકે ભાષાની જાળવણી અને વિકાસ ખાતર શિક્ષણ વર્ગો ચલાવ્યા છે, પાઠ્યપુસ્તકો અને શિક્ષકો તૈયાર કરાવ્યા છે અને ડાયસ્પોરિક સાહિત્યનાં સંપાદનો પણ કર્યાં છે. વિપુલભાઈએ બ્રિટનમાં રહીને ગુજરાતી ભાષામાં ચલાવેલા ‘ઓપિનિયન’ સામયિકને પચીસ વર્ષ પૂરાં થયા. એ નિમિત્તે પ્રસ્તુત છે ‘જન્મભૂમિ પ્રવાસીના વાચકો’ માટે લીધેલી તેમની ખાસ મુલાકાતની ખાસ ખાસ વાતો.

1975માં કટોકટી આવી ત્યારે વિપુલભાઈ ‘ઈન્ડિયન એક્સપ્રેસ’માં પત્રકાર હતા. બ્રિટિશ પાસપોર્ટ તો હતો જ. તેઓ લંડન ચાલ્યા ગયા અને ત્યાં જ સ્થાયી તયા. બ્રિટનમાં અંગ્રેજી ભાષાનું અને યુરોપના બીજા દેશોમાં જે તે દેશની ભાષાનું સામ્રાજ્ય. આ દેશોમાં વસતા ગુજરાતીઓમાં ગુજરાતી ભાષા પ્રત્યેની સમજણ અને લગાવ આવે તેવો ત્યારથી જ વિપુલભાઈનો પ્રયત્ન રહ્યો. એ પહેલા છૂટાંછવાયાં કામો અને પ્રવૃત્તિ થતાં. સામયિકો, કાર્યક્રમો, કવિઓ, લેખકો અને લહિયાઓ, ગુજરાતી ભાષા શીખવવાના વર્ગો બધું ખરું, પણ એકવાક્યતા નહીં. તેથી ગુજરાતી સાહિત્યનાં વિવિધ પાસાંઓ તેમ જ પ્રવૃત્તિઓને વેગ આપવા, ગુજરાતી ભાષાની અસ્મિતાનો વિકાસ કરવા અને ગુજરાતી સંસ્કૃતિનો પ્રસાર-પ્રચાર કરવા 1977માં ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની સ્થાપના કરવામાં આવી.’ અકાદમીનું મહામંત્રીપદ વિપુલભાઈએ 1978ના અરસામાં 37 વર્ષની ઉંમરે સંભાળ્યું અને સન 2010ના માર્ચ અંતે સિત્તેરની ઉંમરે નિવૃત્ત તે પદેથી થયા.

અકાદમીના ઉપક્રમે નવ ‘ભાષા-સાહિત્ય પરિષદો’ યોજાઈ. મુશાયરા, નાટક, કૃતિવાંચનસભા, વગેરે પણ યોજાતાં રહ્યાં. છ પાઠ્યપુસ્તકો મુંબઈસ્થિત ‘નવભારત સાહિત્ય મંદિરે’ પ્રકાશિત કરેલાં. ‘આચમન’ નામે ડાયસ્પોરિક સાહિત્યસંગ્રહની ચોપડી થઈ. મર્યાદિત અને સીમિત સહકાર સતત મળતો રહ્યો. અકાદમી, અકાદમીની પ્રવૃત્તિ તેમ જ વ્યક્તિ તરીકે વિપુલભાઈ અરસપરસ રસાયાં, સમૃદ્ધ બન્યાં અને વિકસ્યાં.

‘ઓપિનિયન’ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘પત્રકાર-લેખકના જીવને આંદોલન માટે કોઈક પત્રિકા તો જોઈએ. પત્રિકા વગર લોકઘડતરનું કામ થઈ શકે નહીં. ચારે તરફ ફેલાયેલા ગુજરાતીઓ માટે એક પ્લેટફોર્મ પણ ઊભું કરવું હતું. એટલે ૧૯૯૫માં ‘ઓપિનિયન’ શરૂ કર્યું. એ અંગે મારે બે વ્યક્તિઓનાં પ્રદાનને ખાસ યાદ કરવું જોઈએ. પછીતે રહીને સૌથી મોટો ભોગ કુંજે આપ્યો છે. ઘરખટલાથી મને બને તેટલો મુક્ત રાખે. ઉપરાંત લેખો જુવે-વાંચે, ટીકા પણ કરે, સમજણ પણ આપે. એનું વાંચન મારા કરતાં પણ અગાધ અને સમજણવાળું છે. બીજા મારા મિત્ર રમણભાઈ ડી. પટેલે ‘ઓપિનિયન’ને ઊભું કરવા માટે તન-મન-ધનથી જહેમત ઉઠાવી. ‘ઓપિનિયન’ નામ સૂચવે છે તેમ તેમાં અભિપ્રાય, મત, વિચાર વગેરેને સ્થાન હતું. પણ ‘ઓપિનિયન’નો વિશાળ અર્થ પ્રગટ કરે તેવો ગુજરાતી પર્યાય મળ્યો નહીં તેથી એ જ નામ રાખ્યું. ઉપરાંત મહાત્મા ગાંધીનું ‘ઇન્ડિયન ઓપીનિયન’ તો ખરું જ, પણ અમારા ટાન્ઝાનિયાના ઝાંઝીબારમાં વર્ષો પહેલાં ‘જંગબાર ઓપીનિયન’ શરૂ થયેલું અને હું વિલ્સન કૉલેજમાં મુંબઈ ભણતો ત્યારે ત્યાં એ.ડી. ગોરવાલા નામના એક આઈ.સી.એસ. ઓફિસરે નિવૃત્ત થયા પછી ‘ઓપીનિયન’ નામની પત્રિકા બહાર પડેલી. એ પોતે બહાર નીકળીને લોકોને વહેંચતા, અને એમાં મુખ્ય પ્રવાહનાં છાપાંઓ અને સામયિકો લેતાં ડરે એવી સામગ્રી મૂકતા. ‘ઓપિનિયન’ નામ પાછળ આ ત્રણનો પ્રભાવ પણ ખરો. ‘ઓપિનિયન’માં ગુજરાતી ડાયસ્પોરાના પ્રશ્નોની રજૂઆત કરતાં લેખો, કાવ્યો વગેરે બધું જ આપી શકાયું છે, અને એને આધારે કેટકેટલાં પુસ્તકો પણ થયાં છે. સંઘર્ષ તો આવે. હિતો પણ ટકરાય. પણ ટટ્ટાર ઊભા રહેવાનું – સ્વાન્તસુખાય.’

‘શરૂઆતનાં પંદર વર્ષ તો એ મુદ્રિત સ્વરૂપે આવતું. એ વખતે લેખો પસંદ કરવાના, ટાઈપ કરવાના, પ્રિન્ટ કાઢવાની, પાનાં બાંધવાનાં, અંકો પોસ્ટ કરવાના બધું ઘરમાં જ, એકલે હાથે કરતો. સવારે 3-4 વાગ્યે ઊઠું ને કામે વળગું. સામગ્રી માનવધર્મને સંકોરે ને છેવાડાના માણસનું હિત ચિંતવે એવી પસંદ કરું. પછીનાં ત્રણ વર્ષ ડિજિટલ સ્વરૂપે પી.ડી.એફ.માં આવ્યું અને એ વર્ષોમાં વેબસાઈટ ઉપર ગયું છે. રોજેરોજ કંઈક નવી સામગ્રી એની વેબસાઈટ ઉપર મૂકાતી આવે છે. 76 લાખથી વધારે વિઝિટર્સ થયા છે. એના વાચકો માત્ર યુનાઈટેડ કિંગ્ડમ અને ભારતમાં નથી, પણ નાના નાના દેશોમાં પણ એના વાચકો છે. પાકિસ્તાનના મિત્રો પણ ‘ઓપિનિયન’ જોતા હોય છે.’

પચીસ વર્ષ પૂરા કરવાની ઘટના માટે વિપુલભાઈએ ‘રજત રાણે ઓપિનિયન’ એવા શબ્દો યોજ્યા છે, ‘રજતને પચીસ વર્ષની વાત સાથે સાંકળું, અને રા’ણનું બહુ સરસ મજાનું વૃક્ષ અને રાયણનાં મીઠાં, મજેદાર ફળ. તો એને છાંયડે બેસીને એક પડાવ કર્યો છે. શરૂ કર્યું ત્યારે કુંજની દસ વર્ષની મર્યાદા હતી, મારી પંદર વર્ષની હતી, એ વધીને આજે પચીસે પહોંચાયું છે. આ છવીસમું વર્ષ છે. મને ખબર નથી કે હવે કેટલું લાંબુ ખેંચી શકાશે.

અકાદમી અને ડાયાસ્પોરા લેખકો વિશે તેઓ કહે છે. ‘અકાદમીએ નક્કર કાર્યો ઘણાં કર્યાં છે. પણ બ્રિટનમાં આજે ગુજરાતી ભાષા એવી જગ્યાએ ઊભી છે જ્યાંથી કેડો ધૂંધળો થતો લાગે છે. યુરોપ અને અમેરિકામાં ગુજરાતી ભાષાનો સૂર્ય હળવે હળવે આથમતો જવાનો છે તે વાત નક્કી. ગુજરાતી ડાયસ્પોરાના બંકાઓ પોતાની કલમ સતત ઘસ્યા કરે; વિવેક, ધૈર્ય, લગની અને અવિરત પ્રયાસ કર્યા કરે તો તે લેખક, કવિ થાય ખરા. સખત પરિશ્રમ અને દ્રઢ સંકલ્પબળ હોય, અભ્યાસ અને અધ્યાસ પણ હોય તો તે સાહિત્યકાર પણ બની જાય અને પછી તળને અને બૃહદ્દને ઝળાંહળાં કરી જાય તેમ બને.’

વર્તમાન પરિસ્થિતિ વિશે તેઓ ખેદપૂર્વક કહે છે, ‘હવે ધોરણો કથળી ગયાં છે. આપણે કથળવા દીધાં છે. ધનની, સત્તાની છડેચોક પૂજા થાય છે. ગાંધીજી પૂરા વિવેકથી વર્તતા ને સત્તાને, શોષણને પડકારતા એ તાકાત રહી નથી. જાતને પૂછવાની જરૂર છે કે ક્યાં શું ચૂક્યા છીએ.’

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે પ્રકાશ ન. શાહ ચૂંટાયા એ પછીની સભામાં વિપુલભાઈએ જે કહ્યું તેમાં ગુજરાતી પ્રજા અને ગુજરાતી ભાષા-સાહિત્ય તરફની એમની વ્યાપક ખેવના દેખાય છે : ‘આપણા પૂર્વસૂરિ રણજિતરામ વાવાભાઈ મહેતા અને કનૈયાલાલ માણેકલાલ મુનશી કહેતા તેમ પરિષદે ગુજરાતના અને ભારતના સીમાડાઓ ઓળંગવા જોઈશે. અમે બ્રિટનમાં નક્કર કામ કર્યું છે. અન્ય દેશોએ સરસ ગુજરાતી કવિલેખકો આપ્યાં છે, તે દરેકને ગુજરાતી સાહિત્ય પરિષદે પોતાના કેન્દ્રવર્તી દાયરામાં સક્રિયપણે દાખલ કરવા જ રહ્યાં. ગુજરાતનાં ગામોથી માંડી દુનિયાના ખંડે ખંડે વિસ્તરેલી ગુજરાતી જમાત પરાયી નહીં રહેવી જોઈએ. અને વળી, તેને સારુ, 01 જૂન 1921ના ‘યંગ ઇન્ડિયા’માં લખતાં મહાત્મા ગાંધીએ કહેલું તે આપણો ધ્યેયમંત્ર બની રહેજો’, આમ કહી વિપુલભાઈએ એક સદી પહેલાનું પણ અર્થદૃષ્ટિએ તાજુંમાજું એ પ્રસિદ્ધ અને પ્રેરણાદાયક ગાંધી-અવતરણ ટાંક્યું હતું, ‘મારું ઘર બધી બાજુએ દીવાલોથી ઘેરાયેલું રહે અને એનાં બારીબારણાં બંધ કરી દેવામાં આવે એ હું નથી ઇચ્છતો. મારા ઘરની આસપાસ દેશ દેશાવરની સંસ્કૃતિનો પવન સુસવાતો રહે એમ જ હું ઇચ્છું છું, પણ તે પવનથી મારી ધરતી ઉપરથી મારા પગ ફગી જાય અને હું ઊથલી પડું એ હું નથી ઇચ્છતો.’

જીવનના આ તબક્કે વિપુલભાઈ શું અનુભવે છે? ‘મને જીવાડ્યો છે ગાંધી-વિનોબા-જયપ્રકાશની અને લિંકન-મંડેલા-જૉન સ્ટુઅર્ટ આ બધાની પેઢીએ. આંખ મિંચાય ત્યારે મારી ફરજ ચૂક્યો નથી એવો સંતોષ લઈને જઈશ. કંઈક સારું કામ કરી શક્યાનો આંનદ ખૂબ માણ્યો છે ને એને કારણે કેટકેટલાં મિત્રો અને એમનો સ્નેહ મળ્યા છે. વધારે શું જોઈએ?’ 

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ,“જન્મભૂમિ – પ્રવાસી”, 16 મે 2021

Loading

...102030...1,8911,8921,8931,894...1,9001,9101,920...

Search by

Opinion

  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved