Opinion Magazine
Number of visits: 9677009
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો : અલવિદા ફાધર સ્ટૅન સ્વામી

રૂપાલી બર્ક|Opinion - Opinion|6 July 2021

૨૬ એપ્રિલ, ૧૯૩૭માં જન્મેલા ફાધર સ્ટૅન સ્વામી એસ.જે. (સ્ટૅનિસ્લૉસ લૉર્દુસ્વામી), આદિવાસી અધિકાર કર્મશીલ આજે  ૫ જુલાઈ, ૨૦૨૧ના દિને ફાની દુનિયાને ૮૪ વર્ષે અલવિદા કરી ગયા છે. તેઓ હોલી ફેમિલી હૉસ્પિટલમાં પલ્મનરી ઇન્ફૅક્શન, કૉવિડ પશ્ચાત્‌ થયેલા ફેફસાંના કૉમ્પ્લિકૅશન્સ અને ન્યુમોનિયા માટે સારવાર હેઠળ આઈ.સી.યુ.માં હતા. ૪ જુલાઈ, ૨૦૨૧ના રોજ સવારે ૪.૩૦ વાગે એમને કાર્ડિયૅક અરૅસ્ટ આવ્યા બાદ વૅન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ભાનમાં આવ્યા નહીં.

ફાધર સ્ટૅન ૩૦ મે, ૧૯૫૭ના રોજ ઈસુ સંઘમાં (જેસ્યુઈટ ઑર્ડર) જોડાયા હતા. ૨૨ એપ્રિલ, ૧૯૮૧ના દિવસે એમણે દીક્ષા ગ્રહણ કરી હતી. ઝારખંડના આદિવાસીઓ વચ્ચે રહી એમના હક માટે કર્મશીલતા કરતાં ફાધર સ્ટૅનની જાન્યુઆરી, ૨૦૧૮માં ઍલ્ગર પરિષદ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં રાખવામાં આવેલા. અહીં વિગતો આપવાનો આશય નથી, પરંતુ એક વયોવૃદ્ધ અને પાર્કિન્સન, વગેરે બિમારીઓથી ગ્રસ્ત વ્યક્તિ કારમા જેલવાસ દરમ્યાન વિષમ પરિસ્થિતિમાં પણ સાધુને છાજે એવા ધૈર્ય, શાંતિ, પ્રેમ, અનુકંપા અને આશાનો અમૂલ્ય સંદેશો આપતા ગયા છે, એ નોંધવાનો છે. તલોજા જેલમાંથી પત્ર મારફતે મોકલેલા સંદેશામાં એમણે લખેલું :

પ્રિય મિત્રો,

મારા અને મારા સાથી આરોપીઓ માટે દાખવેલા સુદૃ ઢતાભર્યા સમર્થન માટે તમારો ખૂબ આભાર માનું છું. હું સાચે જ કૃતજ્ઞ છું.

જેલ પ્રશાસન મને સવારનો નાસ્તો, દૂધ, બપોર અને રાતનું ભોજન પૂરું પાડે છે. તે સિવાયની ખાદ્ય સામગ્રી જેલની કેન્ટીનમાંથી મહિનામાં બે વખત ખરીદી શકાય છે. દૈનિકો, સાબુ, વગેરે, લેખન સામગ્રી અને બીજી જરૂરી ચીજો પણ જેલની કેન્ટીનમાં વેચાતી મળે છે.

મારી જરૂરિયાતો સીમિત છે. આદિવાસીઓ અને સોસાયટી ઑફ જીસસે મને સાદગીભર્યું જીવન જીવવાનું શિખવાડ્યું છે, પરંતુ મારે ચા-પાણી પીવાં માટે સિપર-ટમ્બલર લાવવું પડ્યું હતું. ૯ ઑક્ટૉબરે જેલના ઝાંપેથી મારી પાસેથી એ લઈ લેવાયું હતું.

હવે હું જેલની હૉસ્પિટલમાંથી બાળકો માટેનું સિપર ખરીદીને વાપરું છું. મેં મારી આ જરૂરિયાત મારા વકીલને જણાવી છે. સિપર મને મળે એની રાહ જોઉં છું.

વરવરા રાવ ઘણા બિમાર છે, એમના માટે પ્રાર્થના કરજો. તલોજામાં મારા સાથી કેદીઓની જીવન-કહાણીઓ સાંભળવાથી આનંદ મળે છે. એમની પીડા અને સ્મિતમાં મને ઈશ્વરના દર્શન થાય છે.

courtesy : Satish Acharya, Cartoonist

ફાધર સ્ટૅન સ્વામી એસ. જે. જેલમાં ૧૦૦ દિવસ પૂરા થયાના ટાણે ફાધર સ્ટૅને પત્રના અંતે લખેલું : “પિંજરમાં કેદ પંખી પણ ગાઈ શકે છે.”*

પૉલ લૉરૅન્સ ડનબારના કાવ્ય ‘Sympathy’માં ‘caged bird’ના રૂપકથી અશ્વેત કવયિત્રી માયા ઍન્જલો પ્રભાવિત થયેલાં. એમની આત્મકથાનું શિર્ષક છે : ‘I know why the caged bird sings’. એમના એક કાવ્ય ‘Caged Bird’નો અનુવાદ નીચે મુજબ છે :

પિંજરનું પંખી

મુક્ત પંખી પવનની પીઠ પર ઉછળે છે
અને વહેણ અટકે નહીં ત્યાં સુધી
નીચે તરફ વહે છે
કસુંબી સૂર્યકિરણોમાં પાંખ બોળીને
આકાશ હસ્તક કરવાની હિંમત કરે છે.

પરંતુ સાંકડા પિંજરમાં ફરતું પંખી
એના આક્રોશના સળિયાની આરપાર
ભાગ્યે જ નજર કરી શકે છે
એની પાંખો કાપી નાખેલી છે
અને એના પગ બાંધી દીધેલા છે
તેથી ગાવા માટે એ એનો કંઠ ખોલે છે.

પિંજરનું પંખી ગાય છે
ભયભીત સૂરે
અજાણ પણ જેની ઝંખના કાયમ છે
તેવી ચીજો અંગે
ને એનો સૂર સંભળાય છે
દૂરના પર્વત પર
કારણ કે પિંજરનું પંખી
મુક્તિનું ગાયન ગાય છે.

આઝાદ પંખી કોઈ બીજા જ પવનનો વિચાર કરે છે
એક જ દિશામાંથી વાતા પવનો નિસાસા નાખતાં વૃક્ષો વચ્ચેથી અને
પરોઢના પ્રકાશમાં ઘાસ પર રાહ જોતી જાડી ઈયળો મધ્યેથી વહે છે
અને આકાશને એ પોતાના નામે કરે છે.

પરંતુ પિંજરે પૂરાયેલું પંખી સ્વપ્નની કબર પર ઊભું રહે છે
દુ:સ્વપ્નની ચીસ પર એનો પડછાયો બરાડે છે
એની પાંખો કાપી નાખેલી છે
અને એના પગ બાંધી દીધેલા છે
તેથી ગાવા માટે એ એનો કંઠ ખોલે છે.

પિંજરનું પંખી ગાય છે
ભયભીત સૂરે
અજાણ પણ જેની ઝંખના કાયમ છે
તેવી ચીજો અંગે
ને એનો સૂર સંભળાય છે
દૂરના પર્વત પર
કારણ કે પિંજરનું પંખી
મુક્તિનું ગાયન ગાય છે.

~

e.mail: rupaleeburke@yahoo.co.in

Loading

ગુજરાતમાં વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો છે કે પછી …?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|5 July 2021

આમ તો આખા દેશમાં જીવતી પ્રજાનો અનુભવ થતો નથી, પણ ગુજરાતમાં પણ વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો જીવંત હોય એવું લાગતું નથી. બહુબહુ તો ફી ઘટાડવાને મુદ્દે ક્યારેક સળવળે છે, પણ શિક્ષણને નામે જે ચાલે છે એની સામે કોઈને કોઈ ફરિયાદ નથી. આચાર્યો કે શિક્ષકો ક્યાંક કચવાતા હશે, પણ મોટે ભાગે તો વિદ્યાર્થીઓ, વાલીઓ માથે પડે છે તે વેઠી લે છે. કોરોનાને કારણે સરકાર પણ મૂંઝવણ અનુભવે છે ને એવા નિર્ણયો લે છે કે તઘલખ ઓછો તરંગી લાગે. ગયું આખું વર્ષ લગભગ એકમ કસોટી કે સત્રાંત કસોટીઓ લેવામાં જ ગયું. ઓનલાઈન શિક્ષણ બધે નથી જ થયું ને જ્યાં થયું ત્યાં નિયમિતતા કે ગંભીરતા ઓછી જ હતી. પરીક્ષાઓમાં વર્ગખંડોમાં જે વ્યવસ્થાઓ હોય છે એનો લાભ ઓનલાઈન પરીક્ષાઓને મળ્યો નથી એટલે વિદ્યાર્થીઓએ મોટે ભાગે ઉતારાઓથી જ ઉત્તરવહીઓ ભરી છે. એમાં જે ખરેખર ભણવા બાબતે ગંભીર હતા એ વિદ્યાર્થીઓ ઓછાં માર્ગદર્શને જાતે પ્રયત્ન કરીને અપડેટ થવા મથ્યા હશે, બાકી તો બધાંએ આ વર્ષ માંડી જ વાળ્યું હતું.

નાછૂટકે બધાં જ ધોરણમાં માસ પ્રમોશન અપાયું. એમાં 10, 12માં આગલાં વર્ષનાં પરિણામોની ચોક્કસ ટકાવારી નક્કી કરીને પરિણામ તૈયાર કરવાનું ઠરાવાયું ને 10નું તો પરિણામ પણ જૂનને અંતે જાહેર થઈ ગયું, જેમાં રાજયમાં 17,186 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં પાસ થયા. તેમાં પણ સુરત જિલ્લામાં સૌથી વધુ 2,991 A1 ગ્રેડમાં પાસ થયા. 2020માં એ આંકડો 350નો હતો. 8.57 લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા ન આપી તો પણ પાસ જાહેર થયા. પરીક્ષા લેવાઈ જ નહીં ને બોર્ડના ઇતિહાસમાં પહેલી વખત 17,186 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં પાસ થયા. પરીક્ષા ન આપવાથી 100 ટકા પરિણામ આવે છે એ કોરોનાએ સાબિત કરી આપ્યું.

એ ખરું કે પરીક્ષા લેવાય એવી સ્થિતિ જ ન હતી ત્યારે માસ પ્રમોશન પણ ન લાગે ને વિદ્યાર્થીઓને આગલી પરીક્ષાઓને આધારે પરિણામ પણ મળે એ માટે ફોર્મ્યુલા નક્કી કરાઈ અને તેને આધારે પરિણામ જાહેર થયું, પણ તે આશ્વાસનથી વિશેષ કૈં નથી, કારણ આ, જે તે વર્ષની બોર્ડની ન લેવાયેલી વાર્ષિક પરીક્ષાનું પરિણામ હતું. એ જ એક માત્ર સત્ય હતું. આમાં કોઈનો સીધો વાંક કઢાય એમ નથી, કારણ જે સંજોગોમાં જે થઈ શકે તે જ થયું હતું. વાંક હોય તો ફોર્મ્યુલાનો હતો. આ ફોર્મ્યુલા બધે એક સરખી રીતે લાગુ કરાય એમ ન હતું, કારણ ઘણા વિસ્તારોમાં તો શિક્ષણ કાર્ય કે પરીક્ષા થાય એવી સગવડો જ ન હતી, ત્યાં કેવી રીતે પરિણામ તૈયાર થયું હશે તે તો કદાચ ઈશ્વર પણ નહીં જાણતો હોય ! વારુ, કોઈને નાપાસ તો કરવાના જ ન હતા ને કોઈ થાય તો દરેક વિષયના પાસિંગ 33 ટકા આપવાનો ઇજારો બોર્ડે પોતાની પાસે રાખ્યો હતો, એટલે એક પણ પરીક્ષા આપી ન હોય એવા વિદ્યાર્થીઓના દરેક વિષયમાં પાસિંગ માર્કસ બોર્ડે ઉમેરીને માસ પ્રમોશનનો હેતુ જાળવી રાખ્યો છે.

એ સાથે જ ઓનલાઈન શિક્ષણ 11માં ધોરણનું શરૂ થઈ ગયું છે ત્યારે શિક્ષણ વિભાગને નવો તુક્કો સૂઝયો છે. સાડા આઠ લાખથી વધુ વિદ્યાર્થીઓ પાસ તો થઈ ગયા, પણ તેમનું આગલા વર્ષનું શિક્ષણ અધૂરું રહ્યું છે, તો તે વર્ષનું શિક્ષણ પણ થાય એ માટે ચાલુ વર્ષની સાથે જ ગયા વર્ષની પરીક્ષાઓ નિદાન કસોટીને નામે યોજવાનું વિભાગે નક્કી કર્યું છે. આ પરીક્ષાઓ દ્વારા હેતુ લર્નિંગ લોસ જાણવાનો છે. એ જાણવા ધોરણ 9, 10 અને 12માં નિદાન કસોટીઓ 10થી 12 જુલાઈ દરમિયાન યોજાશે. ખરેખર તો નવું સત્ર શરૂ થાય તે સાથે પાછલા વર્ષનો અભ્યાસ 1 મહિનો કરાવવા શિક્ષણ વિભાગે પરિપત્ર કર્યો હતો, પણ સ્કૂલોએ ભણાવ્યું નથી ને 10થી 12 જુલાઈ દરમિયાન પરીક્ષા તો આવી લાગી છે. એટલે આ પરીક્ષાઓ પણ નથી ભણાવાયું એની જ લેવાશે. વેલ, નવા વર્ષનું ભણવાનું ચાલુ હોય ત્યાં પાછલા વર્ષની પરીક્ષાનો બોજ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની મુશ્કેલીઓ વધારે એમ બને. શિક્ષણ વિભાગ પરિપત્રો તો બહાર પાડી દે છે, પછી એનો અમલ થાય છે કે કેમ તેની પરવા કરતો નથી. એ હિસાબે, વિભાગે તો ભણાવ્યા વગર જ ધોરણ 9 માટે 8માંની, 10 માટે 9ની, 12 માટે 11ની ચોક્કસ વિષયની નિદાન કસોટીઓ લેવાનું નક્કી કર્યું છે.

બોર્ડ 7 જુલાઈએ મેઈલથી ડી.ઇ.ઓ.ને પ્રશ્નપત્રો મોકલશે. એ પછી 8મીએ બધી સ્કૂલોને પ્રશ્નપત્રો મોકલવાની વ્યવસ્થા થશે અને 12મી સુધી વિદ્યાર્થી રોજનું એક પેપર લખશે. પછી 13-14 જુલાઈ સુધીમાં વિદ્યાર્થીઓ પાસેથી ઉત્તરવહીઓ મેળવી લેવાશે, જેનું પરિણામ 30 જુલાઈ સુધી સ્કૂલો તૈયાર કરીને ઓગસ્ટના પહેલા સપ્તાહમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતે અપલોડ કરશે. ટૂંકમાં, ઓગસ્ટના પહેલાં અઠવાડિયા સુધી વિદ્યાર્થીઓ અને સ્કૂલો આગલા વર્ષની પરીક્ષામાં બિઝી રહેશે ને એટલો સમય ચાલુ વર્ષનું ભણતર ઘોંચમાં પડશે. એમ લાગે છે કે બોર્ડમાં પ્રશ્નપત્રો તૈયાર કરવાનું કારખાનું ચાલે છે. એ કોઈને કોઈ પ્રશ્નપત્ર કાઢ્યાં જ કરે છે ને છાશવારે પરીક્ષાઓ લીધે રાખે છે. ગયા વર્ષનો અભ્યાસ આ વર્ષે પાકો કરાવવાનો હેતુ સારો, પણ તે નવો અભ્યાસ શરૂ થાય તે પહેલાં કરાવવાનો હતો, તે થયું નહીં અને હવે પરીક્ષાનો ખેલ પડવામાં છે. ગયું આખું વર્ષ વિભાગે કસોટીઓ જ લીધે રાખી છે ને જે પરીક્ષા લેવાવી જોઈતી હતી, ત્યાં માસ પ્રમોશનથી ચલાવવું પડ્યું છે. શિક્ષણ વિભાગમાં ગંભીર વિચાર કરી શકે એવું કોઈ છે કે કેમ તે નથી સમજાતું. માત્ર તુક્કાઓ પર આ વિભાગ ટક્યો હોય એવું લાગે છે. બીજું બધું જવા દઈએ ને માત્ર પાછલાં વર્ષોની પરીક્ષાનો જ મુદ્દો વિચારીએ તો તે સમયના દુર્વ્યયથી વિશેષ કૈં નથી. હા, વેકેશનમાં કે નવા સત્રની શરૂઆતમાં પાછલાં વર્ષનો અભ્યાસ કરાવાયો હોત અને પછી નિદાન કસોટીઓ થઈ હોત તો આ આખો ઉપક્રમ લેખે લાગ્યો હોત, તેને બદલે પરીક્ષા લઈને જ સંતોષ માનવો પડે એ સ્થિતિ છે. આ પરીક્ષાઓ પણ વર્ગખંડમાં લેવાય તે રીતની નથી જ, એટલે એ કેવી રીતે લેવાશે તે કલ્પવાનું અઘરું નથી. આ વર્ષની પરીક્ષાઓએ એક નવું સૂત્ર આપ્યું છે ને તે એ કે પરીક્ષા એટલે ઉઠાંતરી. એ પણ કરતાં ન આવડે તેવાઓને પાસ કરવાની જવાબદારી બોર્ડની છે. શિક્ષણને કોઈ ધોરણ હોય તે વાતનો પૂરેપૂરો છેદ આ વર્ષે ઊડી ગયો છે.

ગયા વર્ષનો અભ્યાસ કાચો રહી ગયો હોઈને અભ્યાસ કરાવીને પરીક્ષા લેવાનો ઉપક્રમ પ્રશંસનીય છે જ, પણ તે શિક્ષણ વિભાગની પોલને જ ઉઘાડી પાડનારો છે. અહીં પ્રશ્ન એ થાય કે જો અભ્યાસ કાચો રહ્યાની વિભાગને ખાતરી હોય તો 10માંનું પરિણામ જેને આધારે નક્કી થયું તે કેટલું પાકું હતું? ગયે વર્ષે ઓનલાઈન થયેલો અભ્યાસ પૂરો ને પૂરતો ન હતો તેવું તો વિભાગને પોતાને લાગ્યું છે, એટલે તો વાત નિદાન કસોટી સુધી આવી છે, તો 10માંની પરીક્ષામાં 17,186 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં પાસ થયા એ અભ્યાસમાં રહેલી કચાશનું પરિણામ છે? ક્યાં તો અભ્યાસ ન થયો એ સાચું છે અથવા તો 17,186 વિદ્યાર્થીઓનો A1 ગ્રેડ શંકાસ્પદ છે ને સાચું તો એક જ છે.

બોર્ડ તો આ જાણે જ છે, વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, આચાર્યો પણ જાણે છે કે હકીકત શું છે, પણ કોઈ બોલતું નથી. આચાર્યો જૂની, નવી પરીક્ષાઓ લેવાની વાતે મૂંઝાય છે, પણ તેઓ પણ વેઠ ઉતારીને રાજી છે. ખૂણેખાંચરે બબડે છે, પણ દેખાય છે તો એવું કે તેમને પગાર સિવાય બીજા કશામાં રસ નથી. એવું નથી કે સાચું શું છે તે શિક્ષકો જાણતા નથી, વાલીઓ ને વિદ્યાર્થીઓ પણ જાણે છે કે જે મળ્યું છે તેમાં સાચું કેટલું છે, પણ વગર મહેનતે મળ્યું તે ગજવે ઘાલીને સૌ ટાબોટા ફોડે છે. ના, છૂટકે માસ પ્રમોશન લેવું પડે તે લાચારી છે, પણ વગર પરીક્ષાએ આટલા A1 ગ્રેડ આવે તે બરાબર નથી એવું એક વિદ્યાર્થી, એક શિક્ષક, એક વાલી કે એક આચાર્ય કહેતો નથી, એ જ સૂચવે છે કે શિક્ષણનું ધોરણ શું અને કેટલું છે?

10થી 12 જુલાઈ દરમિયાન લેવાનારી પરીક્ષા લર્નિંગ લોસ જાણવા માટે લેવાઈ રહી છે. એ પણ કમાલ છે ને કે બધાં જાણે છે કે સિલકમાં લર્નિંગ લોસ જ છે, પણ શિક્ષણ વિભાગને જ ખબર નથી. એ પણ ભણાવીને પછી નક્કી થાય તો લેખે લાગે, પણ આ તો ભણાવ્યા વગર માત્ર પરીક્ષાથી નક્કી થાય છે. ઓકે, પરીક્ષા લેવાય અને ઉતારા પણ બરાબર ન થાય ને કોઈ નાપાસ થાય તો તેનું માસ પ્રમોશન રદ્દ થશે? ના, એવું નથી. જે પાસ જાહેર થયા છે તે તો પાસ જ છે. તો, પ્રશ્ન એ થાય કે આ આખો વ્યાયામ કરવાનો કોઈ અર્થ ખરો?

છોડો, અનર્થમાં અર્થ શોધવાનો કોઈ અર્થ નથી …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 જુલાઈ 2021

Loading

વસુધૈવ કુટુંબકમનું મહિમામંડન કરવું પડે

રમેશ ઓઝા|Opinion - Opinion|4 July 2021

તમારા ધ્યાનમાં એક વાત આવી છે? એ વિનાયક દામોદર સાવરકર હોય કે સંઘપરિવારના હિન્દુત્વવાદીઓ હોય, તેઓ જેટલી વિવેચના ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ વિષે કરે છે એટલી હિંદુ ધર્મ વિષે નથી કરતા. તેઓ વિધર્મીઓની જેટલી વિવેચના કરે છે એટલી હિંદુઓની નથી કરતા. ખાતરી કરવી હોય તો તેમનું પ્રકાશિત સાહિત્ય જોઈ શકો છો. શા માટે? વિચારવા જેવો પ્રશ્ન છે.

આનું એક કારણ એ છે કે ભારતીય દાર્શનિક પરંપરાનું મહિમામંડન કરે તો સ્વાભાવિકપણે માણસાઈનું મહિમામંડન કરવું પડે. વસુધૈવ કુટુંબકમનું મહિમામંડન કરવું પડે, એકોહમ બહુસ્યામ(એક જ ઈશ્વર અનેક સ્વરૂપે દર્શન દે છે) નું મહિમામંડન કરવું પડે, આ નો ભદ્રા: ક્રતવો યન્તુ વિશ્વત:…(ચારે દિશાએથી અમને ભદ્ર વિચારો પ્રાપ્ત થાઓ)નું મહિમામંડન કરવું પડે, ભદ્રં કર્ણેભિ: શ્રુણયામ દેવા… (હે દેવો અમે કાનેથી માત્ર ભદ્ર વચન જ સાંભળીએ)નું મહિમામંડન કરવું પડે, વગેરે વગેરે. અહીં બે-ચાર કથનો દૃષ્ટાંત તરીકે ટાંક્યા છે. બાકી વેદોથી લઈને ૧૮મી સદી સુધીના મધ્યકાલીન સંતો અને સૂફીઓનાં વચનો તપાસશો તો એમાં ક્યાં ય હલકી વાત જોવા નહીં મળે. આખી ભારતીય પરંપરા (જેમાં બ્રાહ્મણ ધર્મનો, શ્રમણ ધર્મોનો, મધ્યકાલીન સંતો અને સૂફીઓનો તેમ જ સાહિત્ય, કાવ્યશાસ્ત્ર, રસસૂત્રનો વગેરેનો સામવેશ થાય છે.) ભદ્રતાથી ભરેલી છે. આ પરંપરાના કેન્દ્રમાં મુખ્યત્વે માણસાઈ છે. 

બીજું કારણ એ છે કે જો ભારતીય દાર્શનિક પરંપરાનો સ્વીકાર કરે અને ગર્વ સાથે આવકારે તો ગાંધીજી અને તેમના માણસાઈયુક્ત, મૂલ્યનિષ્ઠ, અહિંસક રાજકીય અભિગમને પણ આવકારવા પડે. અંતે ગાંધીજી વિનોબા ભાવે કહેતા એમ સમૃદ્ધ ભારતીય દાર્શનિક પરંપરાનાં અપૂર્વ ફળરૂપે અવતર્યા હતા. ગાંધીજી ગમે તેટલા બહાદુર હોય, પણ તેમના રાજકીય અભિગમમાં વેર-ઝેરનો અભાવ હતો અને માટે તેઓ નકામા હતા.

ત્રીજું કારણ એ કે ભારતીય દાર્શનિક પરંપરા ભદ્રતાથી ભરેલી હોવા છતાં બ્રાહ્મણોએ અને બીજા સવર્ણોએ દલિતો અને પોતાના જ સમાજની સ્ત્રીઓ સાથે જે અન્યાય કર્યો હતો તેના વિષે કાંઈક બોલવું પડે. કહેવાતા મહાન બ્રાહ્મણોના વર્તનમાં ભદ્રતાનો સરિયામ અભાવ હતો તેનો સ્વીકાર કરવો પડે. જ્યાં ૯૫ ટકા હિન્દુત્વવાદીઓ બ્રાહ્મણ હોય ત્યાં તેઓ આ સ્વીકાર કેવી રીતે કરી શકે! ભદ્ર પરંપરાએ નિર્બળ સાથે અભદ્ર વ્યવહાર કરનારી જમાતને કેવી રીતે પેદા કરી એ વિષે પણ ખુલાસો કરવો પડે. ગળે ઉતરે એવો ખુલાસો કરવાની સ્થિતિમાં ન હોઈએ તો હિંદુ સમાજમાં રહેલી ખામીનો સ્વીકાર કરવો પડે. જે લોકો આવી અન્યાયજનક સમાજવ્યવસ્થાની નિંદા કરે છે તેમને સાથ આપવો પડે. પોતે જ પોતાને ગુનેગારના પીંજરામાં ઊભા રાખવા પડે અને એ બધું કેવી રીતે બને!

ચોથું કારણ એ કે જો અન્યાયકારક જ્ઞાતિ વ્યવસ્થાનો સ્વીકાર કરે તો ભારતના ઇતિહાસમાં હિંદુઓના થયેલા પરાજય માટે જ્ઞાતિ વ્યવસ્થા જવાબદાર હતી એ હકીકતનો પણ સ્વીકાર કરવો પડે. દુશ્મનનો સામનો એકલા ક્ષત્રીયે જ કરવાનો હોય અને બહુજન સમાજને હાથમાં તલવાર શું લાકડી રાખવાનો પણ અધિકાર ન હોય તો પરાજય તો અવશ્ય થવાનો. જે દેશમાં કેટલીક પ્રજાને જોડા પહેરીને ગામમાં પ્રવેશવાનો અધિકાર ન હોય ત્યાં જય કેવી રીતે મળે? વિભાજીત પ્રજા ક્યારે ય વિજય પ્રાપ્ત કરતી નથી એ તો સનાતન સત્ય છે. ગુજરાતનાં ગામેગામમાં એક નજર કરી જુઓ. ગુજરાતના ગામોમાં જેટલા વિજય સ્મારક મળશે એનાથી વધુ પાળિયા જોવા મળશે. ટૂંકમાં હિંદુઓનો વિધર્મી દુશ્મનો સામે પ્રત્યેક વેળા પરાજય થયો છે તેનું કારણ જ્ઞાતિ વ્યવસ્થા છે અને જ્ઞાતિ વ્યવસ્થાના પુરસ્કર્તા અને લાભાર્થી બ્રાહ્મણો હતા. શ્રમણોએ શિખવાડેલ અહિંસાને કારણે હિંદુઓનો પરાજય થયો છે એમ કહેવા માટે કોઈ જગ્યા જ ન બચે.

આ ચાર કારણો એવાં કવરાવનારાં છે કે તેઓ (હિન્દુત્વવાદીઓ) પોતાના (ભારતીય દર્શન અને હિંદુ સમાજ) તરફ જોવાનું ટાળે છે. ફરી વાર કહું છું કે ખાતરી કરવી હોય તો તેમના પ્રકાશિત સાહિત્ય પર એક નજર કરી જાવ. તેમાં ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ અને મુસલમાનો અને ખ્રિસ્તીઓની વિગતે વાત થયેલી જોવા મળશે અને ભારતીય દર્શન અને હિંદુ સમાજની ચિકિત્સા નહીંવત્ જોવા મળશે. તેમાં આપણે કેવા મહાન એમ કહેનારા બે-ચાર પાનાં માંડ જોવા મળશે અને એ પછી બીજા કેવા નઠારા છે અને તેમણે હિંદુઓને કેટલા સતાવ્યા હતા અને અન્યાય કર્યો હતો તેની વિગતે વાત કહેવામાં આવશે. તેઓ મુસલમાનો અને ખ્રિસ્તીઓના નઠારાપણાનાં મૂળ તેમના ધર્મમાં શોધે છે. એ ધર્મ જ નઠારા છે એટલે એ બે પ્રજા નઠારી છે એવું તેઓ સરળીકરણ કરે છે. 

માટે હિંદુઓએ જેવા સાથે તેવા થવું જોઈએ. માટે હિંદુઓએ સત્ય, અહિંસા, સાધનશુદ્ધિ જેવા મૂલ્યોમાં અટવાવું ન જોઈએ. માટે હિંદુઓએ ગમે તે સાધન અપનાવવામાં સંકોચ નહીં કરવો જોઈએ. માટે હિંદુઓએ સંગઠિત થઈને સાબદા રહેવું જોઈએ. માટે હિંદુઓએ મનમાં વેરભાવ કેળવવો જોઈએ અને મોકો મળ્યે વેર વાળવું જોઈએ, વગેરે. આ બધું સ્પષ્ટ કહેવામાં નથી આવતું અને તેની જરૂર પણ નથી. તેઓ ઇસ્લામ અને ઈસાઈ ધર્મનાં સ્વરૂપ, મુસલમાનો અને ખ્રિસ્તીઓનો વ્યવહાર, પશ્ચિમનો ઇતિહાસ અને પરંપરા, તેમના ભારત અને હિંદુઓ સાથેના સંબંધોનો ઇતિહાસ વગેરે એવી રીતે રજૂ કરે છે કે એમાંથી આ જ નિષ્પન્ન થાય. શાખામાં જનારા યુવકને વરસ દિવસમાં પ્રતીતિ થવી જોઈએ કે હિંદુને છોડીને દુનિયા આખી નઠારી છે એટલે જેવા સાથે તેવાના સંસ્કાર અપનાવવા પડશે. ગાંધીથી કામ નહીં ચાલે. 

તો આનો દેખીતો અર્થ એ થયો કે તેઓ (હિન્દુત્વવાદીઓ) આપણને (હિંદુઓને) આપણાપણું છોડવાનું અને બીજાનું બીજાપણું અપનાવવાનું કહે છે. અંતે જેવા સાથે તેવા તો ત્યારે જ થવાય જ્યારે જેવાના ગુણ અપનાવીએ. આશ્ચર્યની વાત છે કે તેઓ જેમની નિંદા કરે છે તેમના જેવા બનવાની આપણને આડકતરી રીતે શીખ આપે છે. તેઓ ભારતીય કે હિંદુ સંસ્કારરૂપી માંનું દૂધ છોડીને પરાઈ દાઈનું દૂધ પીવાની શિખામણ આપે છે. તેઓ અમૃતવેલ છોડીને ઝેરનો વેલો  ઉછેરવાની સલાહ આપે છે. હિંદુ હોવા માટે ગર્વ પણ અનુભવે છે અને હિંદુ સંસ્કાર-વારસાને નકારે પણ છે.

આ બધું વિચિત્ર નથી લાગતું?

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 04 જુલાઈ 2021

Loading

...102030...1,8621,8631,8641,865...1,8701,8801,890...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved