ખલનાયક કૉરૉના વાઈરસ છે, કોવિડ-૧૯, ઔપચારિક ધોરણે SARS-CoV-2 કહેવાતો. ડૅલ્ટા વૅરિયન્ટે બધાંને નાકે દમ લાવી દીધો છે. પરંતુ ખરો દોષી વાઈરસ છે કે પછી વર્તમાન સમયમાં વિશ્વ જે કટોકટીનો સામનો કરી રહ્યું છે એની પાછળના ઊંડા કારણો સંકળાયેલા છે?
ચાલો જોઈએ વિશ્વ કયા પ્રશ્નોના બોજ તળે દબાયેલું છે? સૌથી ધનાઢ્ય દેશોથી શરૂઆત કરીએ, જી-૭ દેશો: કૅનૅડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન, યુ.કે. અને યુ.એસ.એ.
અહેવાલો મુજબ કૅનૅડા ઘણો શાંતિપૂર્ણ દેશ છે પરંતુ ૨૦૨૧ના એક વૈશ્વિક અહેવાલ મુજબ, ‘કૅનૅડા … પરદેશમાં કૅનૅડાની ખનન કંપનીઓ દ્વારા થતા માનવ હક સંબંધી ગંભીર પ્રશ્નોનો અને સંઘર્ષમાં સંડોવાયેલા પક્ષોને હથિયારો અને સૈન્યબળ પૂરા નહીં પાડવાના સંયુક્ત રાષ્ટ્રસંઘના અનેક સૂચનો બાદ પણ યમનમાં સાઉદી અરબની આગેવાની હેઠળ રચાયેલા સંયુક્ત મોરચાને હથિયારનું વેચાણ બંધ કરવાની સરકારની નાકામિયાબીનો સામનો કરવો પડી રહ્યો છે.’
ફ્રાન્સ સામે જટીલ સમસ્યાઓ છે જેવી કે આતંકવાદનો મુકાબલો, વધતી આર્થિક કટોકટી, ૨૦૨૨માં થનાર ચૂંટણી સંદર્ભે અનિશ્ચિતતા અને દેશમાં ઉગ્ર થતા જમણેરી પરિબળો.
જર્મનીમાં મોટા પ્રશ્નો સર્જાયા છે વાઈરસને લીધે ઊભા થયેલા આર્થિક સંકટ, તાજેતરના ફ્લૅશ ફ્લડ (એકાએક આવતાં પૂર), અને જાનમાલને થયેલા પારાવાર નુકસાનને કારણે. આ કટોકટીની તીવ્રતાથી વૈજ્ઞાનિકો આઘાત પામ્યા છે.
બેલ્જિયમમાં પણ નુકસાન પારાવાર અને આઘાતજનક છે.
ઈટાલીમાં રાજકીય અસમંજસ ઉપરાંત થીગડાં મારેલા સંયુક્ત મોરચાનું શાસન છે. વળી આર્થિક અને આરોગ્ય સંબંધી કટોકટીઓને પહોંચી વળવું મુશ્કેલ છે.
જાપાન સામે ના કેવળ ગંભીર હવામાન પરિવર્તનના પ્રશ્નો છે, પરંતુ વસ્તીશાસ્ત્ર સંબંધી અસંતુલિત પરિસ્થિતિ છે. દર ચાર વ્યક્તિએ એક ૬૫ વર્ષ ઉપરની છે. ૨૦૩૫માં દર ત્રણે એક હશે. ૨૦૬૦ સુદીમાં દર પાંચે બે ૬૫ ઉપરના હશે.
બ્રેક્સીટ બાદ, યુ.કે.ની નેતાગીરીને નકારાત્મક રીતે મૂલવવામાં આવી રહી છે. અમુક નિરિક્ષકો મુજબ યુ.કે. ભગ્ન સમાજ બની રહ્યો છે. “કેફી પદાર્થોનું દૂષણ, હિંસક ગુનાખોરી, તરુણોમાં ગુનાવૃત્તિ, તૂટતા પરિવારો, સરકારી સહાય સંબંધી પરાવલંબન, દારુણ શહેરી વાતાવરણ, તરુણીઓની સગર્ભાવસ્થા, નિષ્ક્રિય કુટુંબો, દારૂનું અમાપ સેવન, હત્યા કરતાં બાળકો : ભગ્ન સમાજ છીએ, એ પુરવાર કરવા આ બધાં કારણો દર્શાવવામાં આવ્યાં છે.”
ટ્રમ્પ યુગ બાદ જો બાઈડન યુ.એસ.નું રસીકરણ કરવા મથી રહ્યાં છે. સ્થળાંતર, અસંતુલિત આરોગ્ય સેવા તંત્ર, વધતી જતી બંદૂક સંસ્કૃતિ, અને વૈશ્વિક નેતાગીરીના નુકસાન જેવા અનેક પ્રશ્નોનો સામનો આ દેશ કરી રહ્યો છે.
એશિયાની વાત કરીએ તો, ગરીબી અને સંતાપ ચારેકોર વધી રહ્યા છે. ભારત અને પાકિસ્તાનમાં માનવ હકોનું ગંભીર ઉલ્લંઘન થઈ રહ્યું છે. અફઘાનિસ્તાન ગમે ત્યારે ફાટી શકે એવો જ્વાળામુખી છે. મ્યાનમાર માનવ હકોનું કતલખાનું છે. ચીન વૃદ્ધિ પામતા અર્થતંત્ર હોવાનો ઉત્સવ મનાવી રહ્યું છે પરંતુ દમનકારી જોહાકીની વાપસી થઈ રહી છે અને માનવ હકોના ઉલ્લંઘન વણનોંધાયેલા રહે છે. ફિલીપાઈનની શાસન વ્યવસ્થાનું ચિત્ર કંગાળ છે. કોઈ પણ મુદ્દે ઈન્ડોનેશિયાની સ્થિતિ પણ દયનીય જ છે. ટૂંકમાં, કોઈ પણ એશિયાઈ દેશમાં આશા રાખવા જેવું કંઈ ખાસ નથી.
આફ્રિકા નરકનું ચિત્ર પ્રસ્તુત કરે છે — ગરીબી, આંતર-વિગ્રહો અને પ્રકૃતિનું નિકંદન. દક્ષિણ આફ્રિકાના તાજેતરના હુલ્લડો યાદ કરો. હવામાન પરિવર્તનની અવળી અસરો, વધતું જતું જળ સંકટ, જૈવિક વૈવિધ્ય અને પર્યાવરણીય ધોવાણ, રણ વિસ્તરણ, કુદરતી આફતો સામે ઓછું ટકાઉપણું, આતંકવાદ અને રાજકીય નેતાગીરીની કારમી અસફળતા આફ્રિકાનાં લક્ષણો છે. નાઈજિરિયા, મોસાંબિક, માલી, માદગાસ્કર, બર્કિના ફાસો, ઝામ્બિયા, આલજિરિયા, ઈથોપિયા અને માલાવી સૌથી ખરાબ શાસન તંત્ર ધરાવતા દેશો છે.
લૅટિન અમૅરિકન દેશો માનવ ઇતિહાસમાં સૌથી બૂરી પર્યાવરણીય અને નેતાગીરીની કટોકટીનો સામનો કરી રહ્યા છે. આ દેશો સામે વિસ્તૃત ભ્રષ્ટાચાર, આર્થિક વૃદ્ધિનો અભાવ, રાજકીય અસ્થિરતા, અસુરક્ષા, ગુનાખોરી, કેફી પદાર્થોનો ગેર-કાનૂની વેપાર, પર્યાવરણીય વિનાશ અને શિક્ષણના અભાવ જેવા મોટા પ્રશ્નો તાકી રહ્યા છે. બ્રાઝીલ, વેનેઝ્યુએલા, સૂરીનામ, બોલિવિયા અને ગાયેના સૌથી ત્રસ્ત દેશો છે. સૌથી અગત્યનું કે લોકશાહીની ઝડપથી કથળતી જતી ગુણવત્તા લેટિન અમૅરિકા માટે સારા એંધાણ નથી.
મધ્યપૂર્વના અમુક દેશોએ બધાની ઊંઘ હરામ કરી દીધી છે. લેબનન, સિરિયા, ઈરાક, પૅલૅસ્ટાઈનના પ્રદેશો જેવાનો વિચાર કરતા જ નિર્દયી હેવાનિયતનો અણસાર મળશે. આંતર-વિસ્થાપિતો (વિશ્વભરમાં ૮૦ મનલિયન), માનવીય સહાયની જરૂરિયાતવાળાં અને સ્ત્રીઓ અને બાળકો આ દેશોમાં જોવા મળે છે. ISIS અને બીજા કટ્ટરપંથી જૂથોનું સર્વત્ર જોખમ તો ખરું જ.
હવે મૂળ પ્રશ્ન પર પાછા આવીએ. શું વાઈરસ જ ખરો ખલનાયક છે? હા પાડતા સંકોચ થાય છે. ખરો ખલનાયક માનવતા અને કરુણાનો અભાવ નથી શું? કરુણામય નેતાગીરીનો અભાવ નથી શું? વિકાસના ખોટા નમૂનાને આપણે અપનાવ્યો છે એ નથી શું? માનવ જીવનમાં પરમ તત્ત્વની અવગણના નથી શું?
દુનિયાનું આ કરુણ વાંચન છે. ક્યાં ય આશા નજર નથી આવતી. પરંતુ શું આશા ત્યજી દેવી જોઈએ? આખા વિશ્વની ભયાનક પરિસ્થિતિ વચ્ચે આશા ઝળકાવતી વ્યક્તિઓ અને ચળવળો પણ છે. એમાંનાં અમુક મુખ્ય જોઈએ. રૅડ ક્રોસ, ઑક્સફામ, ડૉક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ, કૅથોલિક રિલીફ સર્વિસીસ, વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ, યુ.એન. એજન્સીઓ, જેસ્યુઈટ રેફ્યુજી સર્વિસ જેવા માનવીય અને સેવાભાવી સંગઠનો, ખાસ કરીને યુદ્ધથી ગ્રસિત પ્રદેશોમાં કાર્ય કરતી સંસ્થાઓ પ્રકાશની દીવાદાંડીઓ છે.
પોપ ફ્રાન્સિસ, દલાઈ લામા, ન્યુઝીલૅન્ડનાં પ્રધાન મંત્રી ઍડર્ન જેવાં કરુણામય આગેવાનો અને ગ્રૅટા થુનબર્ગ અને મલાલા યુસફઝાઈ જેવાં તરુણ/યુવાનો આપણને આશા પૂરી પાડે છે. પરંતુ બધાં આશા ઉપજાવનારા તત્ત્વોમાંથી સૌથી મહત્ત્વનો છે કરુણા ભરેલો વ્યક્તિગત મનુષ્ય. તમે અને હું જે દુનિયાને કરુણાથી જોવાની તસ્દી લઈએ છીએ અને સેવાભાવી સંસ્થાઓને દાન આપીએ છીએ અથવા સેવા પૂરી પાડીએ છીએ. ખરી આશા આપણે છીએ. આપણામાંના જેમણે આપણી આજુબાજુના પ્રવાસી મજૂરોને, શેરીના નાકે ઘર વિહોણા માનવીઓને સહાય કરી, આપણે આશાના દીવડા છીએ.
આપણા હૃદયોમાં આશા ધારણ કરીએ. કરુણાની વાત કરીએ. શાંતિ અને ન્યાય માટે અવાજ ઉઠાવીએ. યાદ રાખીએ, ‘પર્વત પરની હજાર બૂમો હિમપ્રપાત સર્જી શકે છે.’
~
સ્રોત : https://mattersindia.com/2021/08/world-is-in-turmoil-we-are-messengers-of-hope/
e.mail: rupaleeburke@yahoo.co.in