Opinion Magazine
Number of visits: 9571510
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સુરેશ શાહ : સપનાંનો બૂક સ્ટોર અને બૂક સ્ટોરનું સપનું

રાજ ગોસ્વામી|Opinion - Opinion|8 June 2021

એવું કહેવાય છે કે ગુજરાતીઓ બહુ પુસ્તકો ખરીદતાં નથી. કદાચ એટલા માટે જ, સુરેશભાઈ છગનલાલ શાહ પુસ્તકો વેચવાં માટે છેક તત્કાલીન બેંગલોર જતા રહ્યા હતા, અને ત્યાં જઈને તેમણે એવાં અને એટલાં પુસ્તકો વેચ્યાં કે ગયા અઠવાડિયે ૨૫મી મેના રોજ, ૮૪ વર્ષની વયે તેમનું અવસાન થયું, ત્યારે તેઓ તેમની પાછળ સમગ્ર એશિયાના સૌથી મોટા બૂકસ્ટોર, સપના બૂક હાઉસની વિરાસત મૂકીને ગયા હતા. કોરોનાની મહામારી અનેક લોકોને આપણી વચ્ચેથી અણધાર્યા ઉપાડી ગઈ છે. એક એક સમાચારો આંચકા સમાન છે. એવી અનેક જિંદગીઓ અચાનક ટૂંકાઈ ગઈ છે, જેમાં હજુ ઘણી સંભાવનાઓ બાકી હતી.

સુરેશ શાહની અલવિદાના સમાચાર પણ એવા જ છે. કર્ણાટકના અનેક પુસ્તકપ્રેમીઓ માટે મંગળવારનો દિવસ મનહૂસ હતો. થોડા દિવસથી તેઓ ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યા હતા, પણ વધતી ઉંમર અને વાઇરસની જુગલબંધી સામે ડોકટરો હારી ગયા. કર્ણાટકના સાહિત્ય જગતમાં એ મોટી ખોટ હતી. રાજ્યના મુખ્ય મંત્રી બી.એસ. યેડીયુરપ્પા, તેમના શિક્ષણ મંત્રી અને અનેક કેબીનેટ સાથીઓએ સુરેશ શાહના જવાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.

કર્ણાટક સરકારે સપના બૂક હાઉસને ૨૦૦૮માં કર્ણાટક રાજ્યોત્સવ પુરસ્કાર આપ્યો હતો. લિમ્કા બૂક ઓફ રેકોર્ડમાં સળંગ સાત વર્ષ સુધી તેનું નામ દર્જ હતું. ૨૦૧૬ સુધી, સપના બૂક હાઉસે ૫૦૦ લેખકોનાં ૫,૦૦૦થી વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા હતાં. જેમાં જ્ઞાનપીઠ અને સાહિત્ય એકાદમી પુરસ્કાર વિજેતા લેખકો પણ હતા. સપના બૂક હાઉસે બ્રાઝિલમાં રહેતા કન્નડીગાઓ માટે કન્નડ ભાષામાં ૫,૦૦૦ પુસ્તકો નિકાસ કર્યા હતાં.

વિચાર કરો કે જે છોકરો મુંબઈના ગુજરાતીઓથી ભરેલા ઉપનગર ઘાટકોપરના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓના માલ-સામાન ઊંચકવાનું કૂલીનું કામ કરતો હોય, તે એક દિવસ ૧ લાખ પુસ્તકોનો ભાર વહન કરતો પુસ્તક વિક્રેતા બની જાય, એ હકીકત પોતે જ એક પુસ્તકની કહાનીથી કમ નથી.

સુરેશ શાહના પિતા છગનલાલ શાહ ગુજરાતના ધોરાજી શહેરના વતની હતા, પણ કામધંધા અર્થે મુંબઈના ઘાટકોપર ઉપનગરમાં સ્થાયી થયા હતા. છગનલાલ કાલબાદેવીમાં આવેલા કોટન એક્સચેન્જમાં કામ કરતા હતા. ૩ માર્ચ ૧૯૩૮ના રોજ સુરેશભાઈનો જન્મ થયો હતો. બાળપણથી સુરેશભાઈને લખવા-વાંચવાનો શોખ હતો, પરંતુ ઘરમાં બે છેડા માંડ ભેગા થતા હતા, એટલે તેમણે પણ પિતાને હાથ લાંબો કરવો પડ્યો હતો. “હું ૧૦ વર્ષનો હતો ત્યારથી મારા પિતાને એક્સચેન્જમાં મદદ કરતો હતો. પરિવારમાં હું જ મોટો દીકરો હતો,” એવું તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું.

વાંચવા-લખવાના શોખના કારણે સુરેશભાઈ દસમા ધોરણમાં ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયા હતા, પણ ગરીબીના કારણે કોલેજનું ભણતર પૂરું કરી ન શક્યા. એના બદલે બે પૈસા કમાવા માટે એ પૈસાદાર ઘરોમાં સાબુ અને મોતી જેવી ચીજવસ્તુઓ પહોંચાડવાના ધક્કા-ફેરા કરતા હતા.

ઘાટકોપર રેલવે સ્ટેશનના માસ્તર સુરેશભાઈને ઓળખે અને એ માસ્તરે જ શહેરમાં રખડવા કરતાં સ્ટેશન પર કામ કરવા સૂચન કર્યું. એમાં સુરેશભાઈએ કૂલીનું કામ શરૂ કર્યું. માણસમાં ઘગશ હોય, તો જે પણ કામ કરે તે ખંતપૂર્વક જ કરે. સુરેશભાઈ ભલે ભણી ન શક્યા, પણ કૂલીના કામમાં પણ એવી જવાબદારી બતાવી કે મુંબઈ કૂલી એસોસિયેશનના ઘાટકોપર ડિવિઝનના પ્રમુખ બની ગયા.

ઘાટકોપર સ્ટેશન પર તેમનો પરિચય પોકેટ બૂક્સના વિતરક તુલસી શાહ સાથે થયો. ભાવતું હતું ને વૈધે કહ્યું. સુરેશભાઈએ તેમની ઓફીસમાં કામ શરૂ કર્યું. પુસ્તકોની દુનિયામાં તેમનાં કદમ અહીંથી મુકાયાં. જે ખંતથી કૂલીનું કામ કરતા હતા અને તેના કરતાં ય વધુ ગંભીરતાથી તે પુસ્તકોનું કામ કરતા હતા. ગમે તેમ તો ય કૂલીગીરીમાં સન્માન તો ન જ હતું. તુલસી શાહે કામથી ખુશ થઈને સુરેશભાઈને કંપનીની બેંગલોર ઓફીસમાં પ્રમોશન આપ્યું.

૬૦ના દાયકામાં, સુરેશભાઈ, તેમની પત્ની ભાનુમતી અને દીકરા નીતિનને લઈને બેંગલોર આવ્યા હતા. એ કામમાં ય સુરેશભાઈએ સફળતાના ઝંડા ફરકાવ્યા અને એમાંથી જ પુસ્તકો વેચવાનો આગવો વ્યવસાય શરૂ કરવાનું સાહસ આવ્યું. બેંગલુરુના ગાંધીનગર વિસ્તારમાં દસ બાય દસની પાનની એક દુકાનમાં સુરેશ શાહે પુસ્તકો વેચવાનું શરૂ કર્યું હતું. જે ખંત ઘાટકોપર સ્ટેશને માલ-સામાન ઊંચકવામાં હતો, એ જ ખંત ખુદનો વ્યવસાય જમાવામાં હતો. આજે એ ખંતના પ્રતાપે સપના બૂક હાઉસના નામથી ગાંધીનગરમાં ૪૦,૦૦૦ ચોરસ ફૂટના સ્ટોરમાં અંગ્રેજી, કન્નડ અને અન્ય ભાષાઓનાં મહાનથી લઈને નવોદિત લેખકોનાં પુસ્તકો છે, અને પૂરા રાજ્યમાં ૧૭ રિટેલ સ્ટોર છે.

આજે તેમનો દીકરો નીતિન શાહ કંપનીનો મેનેજીંગ ડિરેકટર છે, અને ત્રીજી પેઢીનો વંશજ, નિજેશ શાહ તેનો સી.ઈ.ઓ. છે. નીતિન શાહ એક ઈન્ટરવ્યુમાં કહે છે, “પોતાનો બૂક સ્ટોર હોય તે સ્વપ્ન મારી માતાનું હતું. તેમણે જ મારા પિતાને સાહસ આપ્યું હતું. તેમને ત્રણ દીકરા હતા, અને દીકરીનું સ્વપ્ન અધૂરું રહ્યું હતું. એટલે તેનું નામ સપના બૂક સ્ટોર છે.”

આજે સપના બૂકની બ્રાંડ તળે સાઈઠ ટકા પુસ્તકો અને બાકી સ્ટેશનરી, મલ્ટીમીડિયા પ્રોડક્ટ્સ, સ્પોર્ટ્સની વસ્તુઓ અને અન્ય ચીજો વેચાય છે. પુસ્તકોમાં ફિક્શનથી લઇને નોન-ફિક્શન, સ્કૂલ-કોલેજનાં પાઠ્યપુસ્તકો, મેનેજમેન્ટ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓનાં મટીરિયલ પણ રાખવામાં આવે છે. ૧૯૯૪થી તે કન્નડ ભાષામાં પણ પુસ્તકો પ્રગટ કરે છે. માત્ર કર્ણાટક જ કેમ? બીજા રાજ્યમાં કેમ નહીં? નીતિન શાહ જવાબમાં કહે છે, “સપના અને બેંગલુરુ સાથે જ મોટાં થયાં છે. બેંગલુરુ મારો પ્રથમ પ્રેમ છે.”

સુરેશ શાહનો પૌત્ર નિજેશ શાહ આ ‘સપના’ને હવે ઈ-કોમર્સમાં લઇ જવાનું કામ સંભાળે છે. ઇન્ટરનેટનો વિકાસ થયો અને એમેઝોન અને ફ્લિપકાર્ટે ઓનલાઈન સ્ટોર શરૂ કર્યો પછી સપના બૂક હાઉસે પણ એ દિશામાં ઝંપલાવ્યું છે. “અમે ઓનલાઈનમાં શિક્ષણનાં પુસ્તકોમાં ઘણું કામ કરી રહ્યા છીએ. અમે ૧૦,૮૦૦ સ્કૂલ અને કોલેજોને મટીરિયલ પૂરું પાડીએ છીએ. અમે આફ્રિકન દેશ ઘાનામાં પુસ્તકો સપ્લાય કરીએ છીએ. ત્યાં અમારી ઓફીસ પણ છે, અને તેના મારફતે ત્યાંની પાંચ યુનિવર્સિટીમાં પુસ્તકો આપીએ છીએ.”

ગુજરાતમાં ભલે એવું કહેવાતું હોય કે લોકો પુસ્તકો ખરીદતાં-વાંચતાં નથી, સુરેશ શાહે એકવાર તેનો ઇન્કાર કરતાં કહ્યું હતું કે લોકોમાં વાંચન વધી રહ્યું છે તેની સાબિતી સપના બૂક હાઉસની પ્રગતિમાં છે. “ભારતમાં બીજો એવો કયો સ્ટોર છે જે જ્યાં અલગ-અલગ વિષયોનાં એક સાથે ૧ લાખ પુસ્તકો હોય?” એવું સુરેશભાઈએ પૂછ્યું હતું. એકવારના કૂલી માટે આનાથી મોટું ગૌરવ શું હોય?

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’, નામે લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ’, 06 જૂન 2021

સૌજન્ય : રાજ ગોસ્વામીની ફેઇસબૂક દિવાલેથી સાભાર

Loading

કોર્ટ એમ ઈચ્છે છે કે લોકો હવે ન્યાયની આશા ન રાખે?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|7 June 2021

કોરોનાનું ભારણ ઘટતાં મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાતમાં નિયંત્રણો હળવાં થઈ રહ્યાં છે. ઓનલાઈન શિક્ષણનું નવું સત્ર પણ શરૂ થઈ રહ્યું છે. આમ તો તબીબી સેવાઓ કોરોના કાળમાં અનેક મુશ્કેલીઓ વચ્ચે ચાલુ રહી ને તેને કારણે ઘણી જિંદગીઓ બચાવી શકાઈ. એને માટે તબીબી જગતને આપીએ એટલાં અભિનંદનો ઓછાં છે. આજથી કોર્ટ પણ શરૂ થઈ રહી છે. કોરોના કાળમાં કોર્ટ મહિનાઓ સુધી બંધ રહી, રેલવે અને બીજી આવશ્યક સેવાઓ પણ કેટલોક વખત બંધ રહી, પણ સેંટ્રલ વિસ્ટાનું કામ કોરોના કાળમાં પણ ચાલુ રહ્યું. ત્યાં કામ કરતાં મજૂરોનાં સ્વાસ્થ્ય સંદર્ભે એ બંધ રહેવું જોઈએ એવું લાગતાં આન્યા મલ્હોત્રાએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી જેને 31મી મેએ દિલ્હી હાઈકોર્ટે કાઢી નાખી ને અરજદારને એક લાખ રૂપિયાનો દંડ કર્યો. સરકારી સોલિસિટરે સેંટ્રલ વિસ્ટા પ્રોજેકટ બહુ જ મહત્ત્વનો ગણાવ્યો. તે તો ઠીક, પણ એમને અરજદારની નિયત પર શંકા જતાં ઉમેર્યું કે બીજા પ્રોજેક્ટ્સ પર કામ કરતાં મજૂરોની ચિંતા કરવાને બદલે અરજદારે સેંટ્રલ વિસ્ટા પ્રોજેકટને ટાર્ગેટ કર્યો છે. બચાવ એમ પણ થયો કે સેંટ્રલ વિસ્ટા પ્રોજેકટ પર કોરોનાના તમામ પ્રોટોકોલનું ધ્યાન રખાય છે ને મજૂરોને ત્યાં જ રાખવામા આવે છે જેથી સંક્રમણનો ભય ન રહે.

અરજી નકારાય તેનો વાંધો નથી, પણ દંડ સમજાતો નથી. અરજદારે અરજી કરીને કોઈ ગુનો કર્યો હોય તેમ તેને દંડવાનું ઠીક નથી. કોઈએ અરજી કરવી નહીં ને કરશે તો દંડાશે, એવું તો કોર્ટને અભિપ્રેત ન જ હોય, પણ દંડને ભયે કોઈ પિટિશન કરતાં અચકાય તેવું તો ન થવું જોઈએ. જો કે, પ્રદીપકુમાર યાદવ નામની વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી છે, જેમાં કોરોના સંક્રમણ ચાલુ છે, એવામાં સેંટ્રલ વિસ્ટા પ્રોજેકટ આવશ્યક સેવાને નામે ચાલુ રાખી શકાય નહીં એવો મુદ્દો કર્યો છે. જો બીજી આવશ્યક સેવાઓ કોરોના કાળમાં બંધ રહી હોય તો સેંટ્રલ વિસ્ટા પ્રોજેકટ પણ રોકવો જોઈએ એ વાત છે. પ્રોજેક્ટ રાષ્ટ્રીય છે અને અગત્યનો છે, એની ના નથી, પણ કોરોનાનું જોર નરમ પડે તેટલો સમય રોકવાની વાત કરવામાં અરજદારનો કોઈ બદ ઇરાદો જણાતો નથી. એવું પણ નથી કે થોડો સમય પ્રોજેકટ રોકવામાં આવે તો કોઈ મહત્ત્વની રાષ્ટ્રીય પ્રવૃત્તિ અટકી પડે. આવા મુદ્દે કોઈ અરજી કરીને ધ્યાન ખેંચે તો તેને દંડી શકાય નહીં. એ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ નથી કે તેને દંડવી જ પડે.

આવો જ દંડ જુહી ચાવલાને દિલ્હી હાઈકોર્ટે એમ કહીને કર્યો છે કે તેણે પ્રસિદ્ધિ માટે 5Gની સામે અરજી કરી છે. કોર્ટે અભિનેત્રીની અરજી કાઢી નાખી છે અને કોર્ટનો સમય બગાડવા બદલ 20 લાખનો દંડ કર્યો છે. અરજીનો મુદ્દો એ છે કે ભારતની ટેલિકોમ કંપનીઓ 5Gની ટ્રાયલ માટે કોશિશ કરી રહી છે તો તેની રેડિયેશનની અસરો પશુપંખીને ને મનુષ્યને ન થાય તેટલું જોવાય ને જ્યાં સુધી તે નિર્દોષ છે એવું સિદ્ધ ન થાય ત્યાં સુધી ટેક્નોલોજીને અટકાવવી. દિલ્હી હાઇકોર્ટના એક જજ સાહેબે તો અભિનેત્રીને તેની દલીલના સમર્થનમાં નોટ મૂકવાનું પણ સૂચવ્યું હતું. જુહી ચાવલા રેડિયેશનની અસરો બાબતે 4G મામલે પણ ચિંતિત હતી ને આ અંગે તેણે 2008માં તે વખતના મહારાષ્ટ્રના મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન પણ ખેંચ્યું હતું. 4G કરતાં 5Gની અસરો 100 ગણી વધારે છે. બ્રસેલ્સમાં 5Gની ટ્રાયલ રોકવામાં આવી છે. બેલ્જિયમે પણ પૂરતી તપાસ પછી જ આ ટેક્નોલોજીને મંજૂરી આપવાનું ઠરાવ્યું છે. આ ઉપરાંત 4G નું રેડિયેશન શરીરની આરપાર નીકળે છે, જ્યારે 5Gનું રેડિયેશન શરીરમાં શોષાય છે, પરિણામે તે વધુ ઘાતક સિદ્ધ થઈ શકે એમ છે. એમ કહેવાય છે કે તે ડી.એન.એ.ને પણ પ્રભાવિત કરી શકે એમ છે. એક બાબત નક્કી છે કે રેડિયો તરંગની ફિક્વન્સી જેમ જેમ વધતી જાય તેમ તેમ તે માનવ મગજને હાનિ કરે જ છે. આ મામલે હાઈકોર્ટે પણ સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગને તેનો જવાબ ફાઇલ કરવા જણાવ્યું છે. આટલી વાતો પ્રસિદ્ધિ માટે કે કોર્ટનો સમય બગાડવા કોઈ કરે?

અભિનેત્રીએ તેની અરજીમાં કેટલી વિગતો સમર્થનમાં જણાવી છે તે તો ખબર નથી, પણ કોર્ટને લાગ્યું છે કે અભિનેત્રીએ અરજીમાં તથ્યો કે પુરાવા ટાંકયાં નથી. અરજી કાઢી નાખતાં કોર્ટે એવી ટકોર પણ કરી કે અભિનેત્રીએ કોર્ટમાં આવતાં પહેલાં સરકારમાં રજૂઆત કરવાની જરૂર હતી. કોરોનાને મામલે, બેડ – ઓક્સિજન – ઇન્જેકશન – રસીની અછતની કોર્ટે, સરકારો પર ઓછી પસ્તાળ પાડી છે? ટકોર કરવામાં હાઇકોર્ટ કે સુપ્રીમ, કોઈ બાકાત નથી, છતાં સરકાર માઈબાપ પર તેની કેટલી અસર પડી છે તે કોર્ટ અને પ્રજા બરાબર જાણે છે. મહામારી વખતે સરકાર પૂરતી ગંભીર ન જણાઈ હોય, ત્યાં જુહી ચાવલા સરકારમાં રેડિયેશનની કથા કરવા ગઈ હોત તો શું ઉપજયું હોત તે કહેવાની જરૂર છે? જ્યાં કોર્ટને જ જુહીની વાત સાચી ન લાગી હોય ત્યાં સરકારને એ કેટલી સાચી લાગે તે વિચારવાનું રહે.

કોર્ટે જુહીની અરજી કાઢી નાખી એનો વાંધો નથી, પણ આ અરજી તેણે સસ્તી પ્રસિદ્ધિ માટે કરી હોય એમ માનીને ચાલવામાં અરજીની વિગતો તો નજરઅંદાજ નથી થઈને તે પ્રશ્ન કોઈને મૂંઝવે એમ બને. જુહી ચાવલા ફિલ્મ જગતમાં વર્ષોથી જાણીતી છે. તેને મળવી જોઈતી પ્રસિદ્ધિ કોઈ પણ કોર્ટમાં ગયા વગર મળી જ ગઈ છે. આ અગાઉ એવી કોઈ વાત જુહીને નામે ચડી નથી જે એમ માનવા પ્રેરે કે તેણે પબ્લિસિટી સ્ટન્ટ માટે કરી હોય. જુહી ચાવલાએ કોર્ટની લિન્ક શેર કરીને અને કોર્ટ ફી ન ભરીને ગંભીર ભૂલ કરી છે એ પણ એટલું જ સાચું છે. દોઢ લાખ જેટલી ફી જુહીએ જમા કરાવવાની હતી પણ તે જમા કરાવી ન હતી, આ બાબતે કોર્ટને જુદી દિશામાં વિચારવા પ્રેરી હોય એમ બને. એ સાથે જ પ્રશ્ન એ થાય કે કોર્ટ ફી ભરાઈ નથી તો અરજી આટલી ચર્ચા ખમવા પાત્ર કઈ રીતે હતી? અરજદારની ફી જમા થઈ જ ન હોય તો કોર્ટમાં કાર્યવાહી ચાલવાને કોઈ કારણ બચે છે, ખરું?

એક વાત સ્પષ્ટ છે કે 2G ટેક્નોલોજીના કાળથી રેડિયેશન માનવ શરીરને હાનિ કરે છે એવું વૈજ્ઞાનિકો દ્વારા કહેવાતું રહ્યું છે, છતાં ટેક્નોલોજી અને ધંધાને નામે, ઉદ્યોગપતિઓને સાચવવા, સરકાર આંખ આડા કાન કરતી રહી છે. એવે વખતે કોઈ જનહિતમાં અરજી કરે ને ટેક્નોલોજીના વપરાશ અંગે કોર્ટનું ધ્યાન ખેંચે કે કોરોના કાળમાં સેંટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને જનહિતમાં જ થોડો વખત રોકવા કોઈ અરજી કરે અને એમાં અરજદારનો કોઈ સ્વાર્થ ન હોય ને છતાં, કોર્ટ તેની અરજી કાઢી નાખે તો તે ચુકાદો માથે ચડાવવાનો જ હોય, પણ અરજદારને લાખો રૂપિયાનો દંડ કરે તે સમજાતું નથી. કોર્ટને એમાં પોતાનો સમય બગડતો લાગે ને તે દંડ ફટકારે એ સમજાય, પણ કોઈ પણ અરજદાર કોર્ટને સમય પસાર કરવા કે ગમ્મત કરવા હાથ પર લેતો નથી તે નોધવાનું રહે. આમે ય લોકો કોર્ટકચેરીથી દૂર રહેવામાં જ માને છે ને જેની પતાવટ થઈ શકે એને માટે કોઈ કોર્ટમાં જવાનું ભાગ્યે જ પસંદ કરે છે.

એ સાચું કે લાખો કેસો કોર્ટમાં પેન્ડિંગ પડ્યા હોય ત્યાં કોર્ટને પોતાનો સમય બગડતો લાગે એ સમજી શકાય, પણ અરજદાર ન્યાય માટે કોર્ટ તરફ નહીં, તો બીજે ક્યાં નજર દોડાવે? એને પોતાનો ને કોર્ટનો સમય બગડે એમાં જરા પણ રસ નથી. આવામાં કેટલાંક જનહિતમાં અરજી કરે છે, ઘણા તો લોકો પાસેથી ફંડ ઉઘરાવીને આમાં જોતરાય છે, એમાં કોઈ મિસ્ચિવિયસ તત્ત્વ આવી પણ જતું હશે, એ ભલે દંડાય, પણ મોટા ભાગના એવા છે જે ખરેખર જનહિતમાં અરજીઓ કરે છે, કમ સે કમ એ લોકો ન દંડાય એટલું જોવાવું જોઈએ.

વારુ, અરજદાર વ્યક્તિ થોડી વિગતો કે તથ્યોને આધારે વકીલ મારફત અરજી કરતો હોય છે. એ પોતે વકીલ નથી. જો વકીલ થોડી સચ્ચાઈથી વર્તે તો અરજદારને કહી શકે કે કયા કિસ્સામાં આગળ વધવા જેવું છે? જો અરજી કોર્ટમાં ટકે એમ જ ન હોય તો વકીલ અરજદારને આગળ ન જવા સમજાવી શકે. આમ થાય તો કોર્ટનો સમય બચે અને અરજદાર પણ દંડથી બચે.

જો કે, અહીં લીધેલ બંને અરજીઓને કાઢી નાખવાના કોર્ટના અબાધિત અધિકારને માથે ચડાવ્યા પછી પણ, એટલું ઉમેરવાનું રહે છે કે અરજદારને દંડમાંથી મુક્તિ મળે એટલું જોવાય. તે એટલે કે બંને અરજીઓ કોર્ટનો સમય બગાડવા થયાનું લાગતું નથી. આમ જો અરજદાર દંડિત જ થતો રહેવાનો હોય તો ભવિષ્યમાં કોઈ જનહિતની અરજી કરવા તૈયાર નહીં થાય. કોર્ટ એમ ઈચ્છે છે કે લોકો હવે ન્યાયની આશા ન રાખે? એમ હોય તો વાત જુદી છે …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 જૂન 2021

Loading

ટેક જાયન્ટ્સ અને સરકાર વચ્ચેની દોરડા ખેંચમાં આમ જનતાને ખોટ ખાવાનો વારો ન આવે તે જરૂરી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|6 June 2021

આ કોકડું ઇન્ટરનેટના ડાર્ક વેબની જેબ જટિલ છે. અહીં અભિવ્યક્તિની સ્વતંત્રતા, અર્થતંત્ર, ડિજીટલ બિઝનેસ જેવી એકથી વધુ બાબતો એકબીજા સાથે જોડાયેલી છે

માત્ર ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં સમાજ પર સોશ્યલ મીડિયાના પ્રભાવને કારણે દેખીતી તાણ સર્જાતી રહી છે. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વ્યક્તિગત અભિવ્યક્તિની સ્વતંત્રતાને પગલે ધિક્કાર, ધ્રુવીકરણની સાથે સાથે સરકાર કે સત્તાધીશોને ઉઘાડા પડાતા હોવાના કિસ્સા પણ નવા નથી. સમસ્યા એ છે કે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પરના દેકારાને કારણે જે તાણ ખડી થાય છે તેને બહાના તરીકે આગળ ધરીને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પ્રતિબંધ લાગી શકે છે. અમર્યાદિત અવાજો તે અમર્યાદિત લોકો સુધી પહોંચી રહ્યા છે તે પરિસ્થિતિ બદલાઈ જાય અને પછી જે અવાજ પાસે સત્તા છે તેવા જ કેટલાક અવાજો મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચે એવો ઘાટ થઇ જાય તેવી શક્યતાઓ માથે ઝળુંબ્યા કરે.

ભારતમાં ૬૦૦ મિલિયન જેટલા લોકો ઇન્ટરનેટ વાપરે છે, ફેસબૂક અને ગૂગલના યુઝર્સનું માર્કેટ આપણે ત્યાં તોતિંગ છે અને આવા સંજોગોમાં સરકાર અને સોશ્યલ મીડિયા જાયન્ટ્સ વચ્ચેની તાણ યુદ્ધમાં ફેરવાઇ જાય તો નવાઇ નહીં. છેલ્લા કેટલાક દિવસોથી સોશ્યલ મીડિયાના આ ટેક જાયન્ટ્સની સરકાર સાથેની માથાકૂટ, નિયમોના પાલન અંગે સરકારની ચેતવણીઓ, કોર્ટમાં રજૂઆતના સમાચાર સતત ઝળક્યા કરે છે. હ્યુમન રાઇટ્સ વૉચના એક રિપોર્ટમાં સ્પષ્ટ કહેવાયું હતું કે પત્રકારો, વિદ્યાર્થીઓ, સામાજિક અધિકારો માટે લડનારા તમામ જે સરકારની ટીકા કરતા હતા તેમની સામે પગલાં લેવાયાં છે, તેમની કોઇને કોઇ રીતે હેરાનગતિ કરાઇ છે અને અમુક કિસ્સાઓમાં મોટી સંખ્યામાં લોકોને અટકમાં પણ લેવાયાં છે. આ રિપોર્ટ અનુસાર ભારતમાં ઇન્ટરનેટ શટડાઉનના સૌથી વધુ કેસિઝ બન્યા છે અને તેમાંથી ૮૦ ટકા જમ્મુ-કાશ્મીરમાં બન્યા છે. સપ્ટેમ્બર ૨૦૨૦માં એમ્‌નેસ્ટી ઇન્ટરનેશનલે ભારતમાં કામગીરી બંધ કરી દેવી પડી. સોશ્યલ મીડિયાને કારણે સામાન્ય માણસને ઑડિયન્સ મળે છે, જેમાં નાગરિકોના જૂથોથી માંડીને જાણીતી વ્યક્તિઓ, લેખકો બધાં જ નજીવી કિંમતે બહુ જ મોટા વર્ગ સુધી પહોંચી શકે છે. આ ચોક્કસ બહુ મોટી શક્તિ છે પણ શક્તિનો દૂરુપયોગ થાય છે તે ત્યારે સમજાય જ્યારે ઓનલાઇન અભિપ્રાયોને અમૂક દિશામાં વાળવા માટે ૩૮ જેટલા દેશોના રાજકીય વડાઓએ માણસોને કામે રાખ્યા હતા.

પરંતુ આ અમેરિકન સોશ્યલ મીડિયા જાયન્ટ્સ સામે માત્ર ભારતીય સરકારને તકલીફ છે એમ નથી. રશિયામાં પણ બધા જ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સતત દબાણ કરવામાં આવે છે તેઓ એવી બધી માહિતી કે સામગ્રી – એટલે કે કોન્ટેન્ટ હટાવી લે જેને સરકાર ગેરકદાયદે ગણે છે. ચીનમાં ગૂગલ, ફેસબૂક, વૉટ્સએપ, યૂટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ જેવાં બધાં જ મોટા ટેક જાયન્ટ પર પ્રતિબંધ છે. યુ.કે.માં પણ સોશ્યલ મીડિયા જાયન્ટ્સ સામે કેસિઝ થતા રહે છે. યુરોપિયન કમિશને તો ગૂગલ સામે એન્ટિટ્રસ્ટના કેસિઝમાં તગડા દંડ ફટકાર્યા છે. ઑસ્ટ્રેલિયાને પણ ગૂગલ સાથે મીડિયા કંપનીના સમાચાર પ્રકાશિત કરવાની કિંમત ચૂકવવાને મામલે માથાકૂટ થઇ ચૂકી છે અને હવે ત્યાં જો તે પોતાના અલ્ગોરિધમ બદલશે તો તેમણે મીડિયાને ૨૮ દિવસની નોટિસ આપવી પડશે. ગૂગલ ફેસબૂકને એ ચિંતા પણ છે કે બીજા દેશો જો ઑસ્ટ્રેલિયા-વાળી કરશે તો તેમને તગડાં રેવન્યુ લોસિઝ થશે.

બીજી તરફ આ બધા ટેક જાયન્ટ્સ યુ.એસ.એ.ના હોવા છતાં યુ.એસ.એ.ની સરકારના પણ તેમની સામેના વાંધા વચકા બહાર આવ્યા કરે છે પણ તેને માધ્યમ બનાવવામાં પણ ત્યાંની સરકાર માહેર છે. ત્યાં ચૂંટણીમાં કેમ્બ્રિજ એનાલિટીક્સનો ઉપયોગ કરીને વોટિંગ મેનેજમેન્ટ કેવી રીતે થયું તે હવે છુપું નથી. જો કે અમેરિકન સરકાર એ સારી પેઠે જાણે છે કે આ ટેક જાયન્ટ્સ જે સિલિવકોન વેલીમાં ઘડાયા છે તે ભારત જેવા વિકાસશીલ અર્થતંત્રમાં માનવાધિકારની સલાતમી સાથે એક આગવું મૂલ્ય ખડું કરી શકે તેમ છે. વળી એ પણ એટલું જ સાચું છે કે આખી દુનિયામાં ડેટા ગવર્નન્સ, ડેવલપમેન્ટ અને સલામતીને મામલે ટેક્નોલૉજીના ફાળા અંગે જાતભાતની અસંમતિઓ પ્રવર્તે છે. ડિજીટલ પ્લેટફોર્મ્સ જે રીતે વિસ્તર્યા છે તેનાથી ભલભલી સરકારોના પગ તળેથી જમીન ખસી ગઇ છે કારણ કે સરકારોની પ્રજા સુધી તેમના સિવાય બીજાઓ પણ સરળતાથી પહોંચી રહ્યા છે. જો કે ડિજીટલ ઇકોનોમીના વિસ્તરતા આયામોની વચ્ચે ટેક જાયન્ટ્સનો પૂરેપૂરો છેદ ઉડાડી દેવાનું પણ પોસાય તેમ નથી. વળી ભારતે ‘ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ’ના રેંકિંગમાં આગળ વધવાની દોટ મૂકી જેને કારણે પણ ફેસબૂક અને ટ્વિટરવને પોતાના બિઝનેસિઝ ચલાવવામાં સમસ્યા થઇ. આ બધાંની વચ્ચે પ્રતિબંધની વાતો ત્યારે આવી જ્યારે ભારતના એક્સ્ટર્નલ અફેર્સ મિનિસ્ટર એસ. જયશંકર યુ.એસ.એ.માં જો બાયડેનના સિનિયર અધિકારીઓ સાથે મિટીંગ કરી રહ્યા હતા.

આ કોકડું ઇન્ટરનેટના ડાર્ક વેબની જેમ જટિલ છે. (ડાર્ક વેબ એટલે કે ઇન્ટરનેટનો એવો હિસ્સો જે સર્ચ એન્જિનમાં વિઝિબલ નથી હોતો અને તેને એક્સેસ કરવા માટે એક જુદા જ બ્રાઉઝરની જરૂર પડે છે.) અહીં અભિવ્યક્તિની સ્વતંત્રતા, અર્થતંત્ર, ડિજીટલ બિઝનેસ જેવી એકથી વધુ બાબતો એકબીજા સાથે જોડાયેલી છે. ટૂલ કિટ્સ, એજન્ડા, મેનેજ્ડ કોન્ટેન્ટ આ બધું જ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મનું સત્ય છે. પણ સરમુખત્યાર સરકારોનું અસ્તિત્વ પણ વાસ્તવિકતા છે.  સોશ્યલ મીડિયાના દેશી વિકલ્પો, જેને સત્તા પરની સરકારનો ટેકો હોય છે તે તેમની ઇજારાશાહી ઓછી કરી શકશે એવું માનવાનો કોઇ તર્ક નથી.

આ સમસ્યાનો ઉકેલ સરકાર સોશ્યલ મીડિયા પર પોસ્ટ થતી માહિતી પર નિયંત્રણ કરે તેમાં નથી, પણ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ સ્વૈચ્છિક શિસ્તનું પાલન કરે જેમાં તેમના અલગોરિધમ ભ્રષ્ટ ગોટાળાના ચક્કરમાં ન ફસાઇ જાય. સરકારો જો સોશ્યલ મીડિયા પર ધારાધોરણો લાગુ કરે તો તે આંતરરાષ્ટ્રીય સ્તરે માનવાધિકારના કાયદાઓની સાથે પૂરી રીતે મેળ ખાય તેવા જ હોવા જોઇએ. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર જે પણ નિયમો કે ધારા ધોરણ લાગુ થાય તે સરકારથી સ્વતંત્ર હોવા જોઇએ અને તેનું અમલીકરણ થાય તેની જવાબદારી લેનાર જૂથ કે વ્યક્તિ હોય તે સાચી બાજુની પડખે ઊભા રહેવાનો નિર્ણય લઇ શકે તેવું, સંતુલિત હોય તે જરૂરી છે, પછી ભલે ક્યારેક તે સાચી બાજુ સરકારની સામે હોય, સાથે ન હોય.

બાય ધી વેઃ

નવી ટેક્નોલૉજીઝ, એડવાન્સ બાયો મેટ્રિક્સ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને ફિફ્થ જનરેશન મોબાઇલ નેટવર્ક બધું જ માણસના વિકાસમાં અઢળક તક ચોક્કસ પૂરી પાડશે પણ તે માનવાધિકાર માટેના પડકારો પણ ખડા કરશે કારણ કે ડેટાનો પાવર બહુ મોટો છે. ડેટાનો ઉપયોગ કોણ કેવી રીતે કરે છે તે જોવું રહ્યું અને તેમ કરવામાં સરકારો પણ પાછળ નથી. લોકશાહી સ્વતંત્રતા બહુ અગત્યની છે, અને તે એ માટે પણ જરૂરી છે કે ઇન્ટરનેટ દમનનો માર્ગ ન બની જાય. જનતા અને સરકાર બન્ને તેનો ઉપયોગ કરવામાં મર્યાદાઓનું ભાન ન ભૂલે અને એ પણ યાદ રાખે કે આ ટેક જાયન્ટ્સ કોર્પોરેટ્સ છે, તે પણ ધંધો લઇને જ બેઠા છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  06 જૂન 2021 

Loading

...102030...1,8611,8621,8631,864...1,8701,8801,890...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved